Opinion Magazine
Number of visits: 9456397
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહાત્મા ગાંધી અને પર્યાવરણીય ચળવળ – ૪

રામચંદ્ર ગુહા [અનુવાદ : ડંકેશ ઓઝા]|Gandhiana|29 January 2025

આ પહેલાના ત્રણ પ્રકરણો આ લિંક પર જોવાવાંચવા પામીએ :

મહાત્મા ગાંધી અને પર્યાવરણીય ચળવળ

મેં મારી વાતની શરૂઆત ભારતીય પર્યાવરણ ચળવળ પર ગાંધીની જે સ્પષ્ટપણે દેખાતી અસર છે તેને સ્વીકારીને તેની ચર્ચાથી શરૂ કરી હતી. તે પછી મેં એ તપાસ આદરી હતી કે ગાંધી આજની નિસર્ગની વિશિષ્ટ સમસ્યાઓને કઈ હદ સુધી કલ્પી શક્યા હતા. પુરાવાઓ દર્શાવે છે કે ગાંધીના વિચારો અને તેમના અનુયાયીઓ – જે.સી. કુમારપ્પા અને મીરાંબહેનના વિચારો આજની પર્યાવરણની ચળવળ માટે પૂરેપૂરા ઉપયોગી છે.

રામચંદ્ર ગુહા

હવે આપણે વ્યાપક રીતે પ્રવર્તમાન એક બીજા વિચાર તરફ પણ ધ્યાન આપવાની જરૂર છે. એ વિચારનાં મૂળિયાં એ વાતમાં પડેલાં છે કે આજની ચળવળ ગાંધીને કેટલી હદે અનુસરી શકે તેમ છે. આ ચળવળના પરિઘ પરનાં જે ઉદ્દામ પરિબળો છે તે કમનસીબે કોઈને સારા અને કોઈને ખરાબ તરીકે ઓળખીને આગળ ચાલે છે. ઉદ્દામ પર્યાવરણવાદી જેટલા ગાંધીને સારા ગણે છે તેટલા જ પ્રમાણમાં નહેરુને ખરાબ ગણે છે. ગાંધીને એક આદર્શ તરીકે ગણાવીને તેનો આદર કરે છે અને તેમને અનુસરે છે. તો વળી એ જ સાથે એ નહેરુને બદનામ કરવા તરફ વળે છે અને એવું કહે છે કે ભારતીય સમાજની પર્યાવરણીય કટોકટી માટે જવાહરલાલ નહેરુ જવાબદાર છે.

ઘણા પર્યાવરણવાદીઓ ખરેખર એવું માને છે કે ગાંધીએ પર્યાવરણ સાથેના વિકાસનું એક સરસ મોડેલ રજૂ કરેલું અને નહેરુએ ગાંધીના આ વૈકલ્પિક માળખાને કચરાપેટીમાં નાંખી દીધેલું. તે પછી સ્વતંત્ર ભારત પર તેમણે મૂડી કેન્દ્રિત પર્યાવરણનો વિનાશ કરતા આર્થિક વિકાસનું મોડેલ લાદેલું. આ વાત તાજેતરમાં ભારતના એક પર્યાવરણવાદીએ પોતાના મુદ્દાને દૃઢતા બક્ષવા કહી હતી જે આજે બ્રિટનમાં રહે છે. એ તો જાણીતું છે કે ગાંધી અલ્હાબાદના નહેરુના પૈતૃક ઘરમાં રોકાયા હતા ત્યારે તેમણે એક સવારે એક ડોલ ભરીને પાણી નહાવા માટે માંગેલું. નહેરુએ એમને બે ડોલ પાણી મોકલ્યું. વળી કહ્યું પણ ખરું કે ગાંધીજી, અલ્હાબાદમાં ગંગા અને યમુના જેવી મોટી બે નદીઓનો સંગમ છે. અહીં પાણીની કદી અછત હોતી નથી.

આ પ્રસંગ દર્શાવે છે કે ગાંધી કેટલા કરકસરિયા હતા અને એમના યજમાન કેટલા ઉડાઉ હતા. ૧૯૪૭ પછી આ જ ઉડાઉપણું નવા રાષ્ટ્રના વિકાસના માર્ગ માટે કઈ રીતે પ્રયોજાયું તે આપણે જોયું છે. જો કે આ વાતનો કોઈ પુરાવો નથી. તે પર્યાવરણવાદીની કલ્પનાનો હોઈ શકે છે. પણ ગાંધીવિચારના પર્યાવરણવાદીઓ આજે પણ આ વાત માને છે. હું આવા બીજા ઘણા દાખલા આપી શકું પણ મારે એવો એક અહીં  આપવો છે. કેટલાંક વર્ષો પૂર્વે એક લેખ પ્રગટ થયેલો. તેમાં એક જાણીતા ભારતીય પર્યાવરણવાદી લેખકે દાવા સાથે કહેલું કે ગાંધીએ વધુ પડતા વપરાશના વિકાસના માર્ગને ત્યજી દેવા જવાહરલાલ નહેરુને સમજાવવાનો નિષ્ફળ પ્રયાસ કરેલો.

આ વિધાન બંને બાજુના કર્મશીલો એક વાતને કેવી રીતે જુએ છે તે બહુ સ્પષ્ટપણે દર્શાવે છે. એમાંથી પ્રગટ થતો પહેલો મુદ્દો એ કે પર્યાવરણની બાબતે નહેરુ ઉડાઉ હતા અને ગાંધી કરકસરિયા. બીજો મુદ્દો એ પ્રગટ થાય છે કે ગાંધી પાસે ભારતના વિકાસનું એક વૈકલ્પિક આયોજન હતું જે નહેરુએ પોતાના અહંકારને કારણે તે છોડી દીધેલું. બંનેના મૃત્યુ પછી પર્યાવરણના વિવાદમાં આજે ગાંધી અને નહેરુને જાહેર રીતે એકબીજાના તીવ્ર હરીફ તરીકે રજૂ કરાય છે. એમ કરતી વખતે એ ભૂલી જવાય છે કે એ બંને મહાનુભાવો વચ્ચે કેવો અતૂટ અને અભૂતપૂર્વ મૈત્રીસંબંધ હતો.

ગાંધી અને નહેરુ બંનેના એકબીજાથી વિરોધી અભિગમમાંથી પર્યાવરણવાદીઓએ એક નવો જ કોયડો ઊભો કર્યો છે. તે એ છે કે સ્વતંત્ર ભારતમાં જે વિકાસનો માર્ગ અખત્યાર થયો છે તેમાં પર્યાવરણની વિચારણા બાબતે ઘણી ઘણી અસંવેદના જોવા મળે છે. આ ત્યારે જ્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને એ જ લોકો બહુ આગળના પર્યાવરણવાદી તરીકે ઓળખાવે છે. કરકસરિયા અને શાણા ગાંધીને ઉડાઉ નહેરુ સામે મૂકીને કોયડાને ઉકેલવાનો પ્રયત્ન થાય છે. તેમાં કાવતરાની વાત પણ ઉમેરવામાં આવે છે. કાવતરું એ કે ગાંધી અને નહેરુમાંના ઓછી ઉંમરના જવાહરલાલે ગમે તે રીતે કૉંગ્રેસ પરનો પોતાનો કાબૂ પ્રસ્થાપિત કર્યો અને હળવેકથી ગાંધીના વારસામાંથી છુટકારો મેળવ્યો.

આ એક કોયડો તો છે જ, જેનો હું ઇન્કાર કરતો નથી. પરંતુ મારે કહેવું છે કે પર્યાવરણ ચળવળ સામે એક એવો પડકાર હતો તે મારે આ મિત્રોને સમજાવવું રહ્યું. ગાંધીને ધોળા અને નહેરુને કાળા ચીતરવાનો આ સહેલેા માર્ગ છે. આમ કરીને આપણે એ બંને વચ્ચે જે તાત્ત્વિક મતભેદ હતો તેને બાજુ પર હડસેલી દઈએ છીએ. સ્વતંત્ર ભારતના ગાંધીના સ્વપ્નમાં ગામડાનો પુન:ઉદ્ધાર કેન્દ્રસ્થાને છે. જ્યારે નહેરુના સ્વપ્નમાં કેન્દ્રસ્થાને ઝડપી ઔદ્યોગિક વિકાસ છે. વૃદ્ધ માણસ પરિવર્તનને સ્થાને સ્થિરતા પસંદ કરે છે. અજંપા એવા નહેરુ સ્થિરતાને સ્થાને પરિવર્તન ઝંખે છે. આ સ્પષ્ટ મતભેદો ઑક્ટોબર-૧૯૪૫ દરમ્યાન બંને વચ્ચે ચાલેલા પત્રવ્યવહારમાં જોવા મળે છે.

સામાજિક અને આર્થિક ઉદ્દેશો સ્વતંત્ર ભારતમાં કયા હોવા ઘટે એ અંગેની કારોબારી સમિતિની બેઠક પછી ગાંધી નહેરુને લખે છે કે ગામડાના સાદા-સરળ જીવન થકી જ આઝાદ ભારત સત્ય-અહિંસાના માર્ગે ચાલી શકશે એમ મારું માનવું છે. આગળ લખતાં ગાંધી ઔદ્યોગિક સમાજને એવા ફુદ્દા સાથે સરખાવે છે જે લાઈટની આજુબાજુ ભલે કૂદાકૂદ કરે પણ તેનો અંત તો પેાતાના મૉતમાં જ છે. પ્રત્યુત્તરમાં નહેરુ લખે છે કે મારા મનમાં ગામડું એટલે બૌદ્ધિક અને સાંસ્કૃતિક રીતે પછાત તેથી તે કદી સત્ય અને અહિંસાના સિદ્ધાંતોને સમજી નહિ શકે.

આર્થિક આયોજનનું નહેરુનું ધ્યેય વધુ વપરાશનું નથી. (જે પર્યાવરણવાદીઓ હોવાનું આપણને મનાવી રહ્યા છે.) પણ એ તો ખોરાક, પહેરવેશ, ગૃહનિર્માણ, શિક્ષણ, આરોગ્ય વગેરેમાં સ્વનિર્ભર બનવા માટે છે. પ્રત્યેક ભારતીયને આપણે સ્વ-નિર્ભર બનાવવો છે. હવે, આ સ્વનિર્ભરતાના ઉદ્દેશ બાબતે નહેરુ અને ગાંધી બંને સંમત છે. પણ બંનેના રસ્તા જુદા છે. તે સમયના બૌદ્ધિકોની માફક જવાહરલાલ બહુ સ્પષ્ટ છે કે જો સ્વનિર્ભર થવું હોય તો તે માટે ઝડપી ઔદ્યોગિકીકરણ અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી જ થશે.

આ મતભેદો ઉપરાંત જે સમજવાનું છે તે તો એ કે ગાંધી અને નહેરુ વચ્ચે ઊંડો અને અતૂટ સ્નેહ છે. જુલાઈ-૧૯૩૬માં તેથી જ ગાંધીએ લખ્યું કે : “હું મારી જાતને જવાહરલાલના હરીફ તરીકે જોતો નથી કે જવાહરલાલ મારા હરીફ નથી.” અમે હરીફ હોઈએ તો એ બાબતમાં છીએ કે અમે બંને ભલે અલગ અલગ માર્ગે પણ એક જ ધ્યેય સિદ્ધ કરવા માંગીએ છીએ. ઘણી બધી વખત સાથે કામ કરતા હોવા છતાં અને એક જ ધ્યેય સિદ્ધ કરવા મથતા હોવા છતાં અમે અલગ અલગ માર્ગ અખત્યાર કરીએ છીએ. આશા છે કે દુનિયા એ વાત સમજશે કે અમે ક્ષણ માટે પણ જુદા પડ્યા નથી. ફરી ફરી પરસ્પરના વધતા આદર અને સ્નેહ સાથે મળતા રહ્યા છીએ.

મને સમજ નથી પડતી કે પર્યાવરણવાદીઓ ગાંધી-નહેરુ વચ્ચેના પ્રગટ દ્વૈત અને અદૃશ્ય અદ્વૈતને સમજી શકશે કે નહિ. એ ભૂલી જાય છે કે મહાત્માએ છેક ૧૯૩૦ના દાયકાની શરૂઆતમાં જાહેર રીતે પોતાના વારસદાર તરીકે નહેરુને જાહેર કર્યા હતા. તે પછીનાં વર્ષોમાં એ વાતને વળગી રહ્યા હતા. આ લોકોએ ૧૯૪૦ના મહત્ત્વનાં વર્ષોમાં શું બન્યું તે વિગતે સમજવાની જરૂર છે. ગાંધીના આર્થિક વિચારોને રાષ્ટ્રિય ચળવળે સ્પષ્ટ રીતે નકારી કાઢ્યા હતા. બૌદ્ધિકો અને રાજકારણીઓ બંને વર્ગમાં એ બાબતે સર્વસંમતિ પેદા થઈ ગઈ હતી કે આઝાદ ભારતમાં ઝડપી ઔદ્યોગિકીકરણ એ જ આર્થિક વ્યૂહરચનાનો સ્વીકૃત માર્ગ હોઈ શકે. આ માર્ગે જ ગરીબી અને બેકારીની સમસ્યાઓનો હલ નીકળશે. સ્વતંત્ર સમાજ મજબૂત અને સ્વનિર્ભર તો જ બની શકશે. નહેરુએ તો આ સર્વસંમતિ પોતાના આગવા વકતૃત્વથી જાહેર રીતે પ્રગટ કરી હતી. ત્યારે નહેરુ પાછળ આવું જ માનવાવાળો નિષ્ઠાવાન અને દેશભક્ત લોકોનો વર્ગ ઊભો હતો.

જે.સી. કુમારઅપ્પા

જ્યારે દેશનો બહુમતી વર્ગ આવું માનતો હોય ત્યારે ૧૯૪૭માં આર્થિક નીતિના ભાગ રૂપે જો ગાંધીમોડેલને સ્વીકારવામાં આવ્યું હોત તો એ બિનલોકશાહી રીતે ઉપરથી લાદવામાં આવેલું ગણવાનું થાય. ગાંધીનો વૈકલ્પિક માર્ગ ખરેખર હાંસિયામાં ધકેલાઈ ગયો, એ વાત જે.સી. કુમારપ્પાના ઉદાહરણથી બરાબર પ્રગટ થઈ રહે છે. ૧૯૩૭માં કુમારપ્પાને કૉંગ્રેસની રાષ્ટ્રિય આયોજન સમિતિમાં અખિલ ભારતીય ગ્રામોદ્યોગ સંઘના પ્રતિનિધિ તરીકે નીમવામાં આવેલા. પરંતુ જ્યારે આયોજન સમિતિ ગામને આયોજનના કેન્દ્રમાં મૂકવા સંમત ન થઈ ત્યારે તેમને રાજીનામું આપવું પડેલું. એ તો આઝાદી પહેલાંની વાત પણ આઝાદી પછી પણ કુમારપ્પાને આયોજન પંચના પરામર્શક મંડળમાં સર્વસેવા સંઘના પ્રતિનિધિ તરીકે મૂકવામાં આવેલા. પરંતુ જ્યારે આ ગાંધીવાદી અર્થશાસ્ત્રીને એવું સમજાયું કે પોતે એકલા પડી ગયા છે ત્યારે તેમણે સમિતિમાંથી નીકળી જવું પસંદ કરેલું.

આપણા ફાયદાની વાત કરીએ તો, પર્યાવરણવાદ પૂર્વેના યુગના આ બે પર્યાવરણવાદીઓ નામે મહાત્મા અને તેમના શિષ્ય નહેરુને આ રીતે સમજવાનું શક્ય છે. વિરોધાભાસ એ છે કે ભારતના પહેલા વડા પ્રધાન રાષ્ટ્રિય ચળવળના બહુમત બૌદ્ધિક અભિપ્રાયનું પ્રતિનિધિત્વ કરતા હતા. એ અભિપ્રાય એ હતો કે ભારતને ફરીથી શક્તિવાન બનાવવું હોય તો એ મહત્તમ ઔદ્યોગિકીકરણથી જ શક્ય બનશે. આપણે બહુ યોગ્ય રીતે ગાંધી અને કુમારપ્પાનું સન્માન કરી શકીએ કેમ કે એ બંને પોતાના સમયથી આગળ હતા. પણ તે સાથે નહેરુનો અનાદર કરવો તે ઇતિહાસથી વિપરીત કાર્ય ગણાશે. કારણ કે સમય નહેરુના પક્ષે છે.

એડવર્ડ કારપેન્ટર નામના મહાન અંગ્રેજ સમાજવાદીએ એક વાર કહેલું કે એક યુગનો ઉપેક્ષિત એ બીજા યુગનો વીરનાયક હોઈ શકે છે. વિપરીત રીતે એમ પણ કહી શકાય કે એક યુગનો વીરનાયક એ બીજા યુગનો ઉપેક્ષિત પણ હોઈ શકે છે, તેમ કહેવું ખોટું નથી. નહેરુને પોતાના સમયમાં જેટલાં માન-સન્માન અને પ્રેમ મળ્યાં છે તેટલાં ભાગ્યે જ કોઈ બીજાને મળ્યાં હશે. છતાં મૃત્યુ પછી એમને જેટલા બદનામ કરવામાં આવ્યા છે એટલું બીજું કોઈ બદનામ થયું નથી. આજે તો એવું જણાય છે કે સાંપ્રત ભારતમાં જે કંઈ ખોટું છે એ બધા માટે જાણે નહેરુ જવાબદાર હોય. જમણેરી પરિબળો નહેરુને સુડો સેક્યુલારિઝમની નીતિઓ બદલ જવાબદાર ઠેરવે છે. કોમી વિસંવાદિતા અને આર્થિક સ્થગિતતા માટે એમના સરકારી આયોજનને જવાબદાર ગણે છે. તો બીજી તરફ ડાબેરીઓ આજની આર્થિક અસમાનતા અને પર્યાવરણ વિનાશના મૂળિયાં એ જ નહેરુના સુડો સમાજવાદના અમલીકરણમાં અને પર્યાવરણીય ઉધ્ધતાઈમાં જુએ છે.

બધા જ દોષનો ટોપલો પર્યાવરણ ચળવળવાળા અને બીજા પણ નહેરુ પર ઢોળે છે ત્યારે એ ભૂલી જવાય છે કે જેમ સમય બદલાય છે તેમ માણસો અને તેમના વિચારો પણ બદલાતા હોય છે. સરદાર સરોવર યોજનાની આસપાસના વિવાદનો જ દાખલો લઈએ. પર્યાવરણવાદીઓ એને લઈને ગાંધી / નહેરુ વિરોધને વ્યક્ત કરે છે. યોજનાના ટીકાકારે તે અંગે એવું લખેલું કે ડેમનું પાણી વધવાની સાથે પ્રાચીન ઐતિહાસિક મંદિર પણ ડૂબમાં જવાનું છે. પછી ઉપમા આપી કે “જવાહરલાલ નહેરુના આધુનિક ભારતનું એક મંદિર” એમ પણ કહ્યું.

જે વ્યક્તિ દાયકાઓ પૂર્વે અવસાન પામી તેને આજે ડેમના બાંધકામ બદલ અપરાધી ઠેરવવામાં આવે છે. કારણ માત્ર એટલું જ કે નહેરુએ આઝાદી પછી આવા મોટા બંધ બાંધવા માંડ્યા ત્યારે એ બધાને આધુનિક ભારતનાં મંદિરો ગણાવેલાં. પણ આપણે નહેરુ જેવા ઉદાર અને ખુલ્લા મનવાળી વ્યક્તિ માટે આવું કહેતી વખતે એવો વિચાર કરતા નથી કે એમની સમક્ષ મોટા બંધનાં નવાં નકારાત્મક પાસાં રજૂ થયાં હોત તો  કદાચ તેમણે પણ પોતાનો મત બદલવાનું યોગ્ય ગણ્યું હોત. માત્ર મારી જ વાત કરું તો મને તો એવું લાગે છે કે નહેરુ અને ગાંધી જો આજે હયાત હોત તો સરદાર સરોવર વિવાદ સંદર્ભે એ બંને જણ એક પક્ષે જ હોત, એ નિ:શંક વાત છે.

સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 જાન્યુઆરી 2025; પૃ. 14-15

Loading

પ્રજનન દરમાં ઘટાડો સામાજિક પરિવર્તનનો સંકેત છે.

ચંદુ મહેરિયા|Opinion - Opinion|29 January 2025

ચંદુ મહેરિયા

આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રાબાબુ નાયડુએ તેમની સરકાર બેથી વધુ બાળકો હોય તેને  ખાસ પ્રોત્સાહન આપશે તેમ જણાવ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં બેથી વધુ બાળકો ધરાવતી વ્યક્તિઓને ઉમેદવારી કરતાં અટકાવતો કાયદો આંધ્ર સરકાર સુધારશે તેવી પણ જાહેરાત કરી છે. ‘અમે બે અમારા બે’ના શોર અને વસ્તી નિયંત્રણના આકરા પગલાં પર જોર વચ્ચે વધુ બાળકોની અપીલનું કારણ ઘટતો પ્રજનન દર છે. દેશના ૨.૧ ટકા પ્રજનન દરની સરખામણીએ દક્ષિણના રાજ્યોનો પ્રજનન દર ૧.૬ ટકા હોવાથી વસ્તી વૃદ્ધિની અપીલો થઈ રહી છે. 

આંધ્રના સી.એમ.ની અપીલના વળતા દિવસે જ તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિને  સમૂહ લગ્નના સમારંભમાં કહ્યું કે પહેલાં નવદંપતીને સોળ પ્રકારની સંપત્તિના આશીર્વાદ અપાતા હતા, હવે સોળ સંતાનોના આશીર્વાદ આપવા જોઈએ. નવા પરણેલાં જોડાં નાના કુટુંબોનો ખ્યાલ છોડે તેવી વિનંતી તેમણે કરી છે. 

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે તો વળી આધુનિક વસ્તી વિજ્ઞાનનો હવાલો આપીને જણાવ્યું છે કે જ્યારે કોઈ સમાજનો પ્રજનન દર ૨.૧થી નીચે જાય છે ત્યારે તે આપોઆપ નષ્ટ થઈ જાય છે. આજે ભારત તે સ્થિતિએ છે. એટલે તેમણે લોકોને સમાજને જીવતો રાખવા ઓછામાં ઓછા ત્રણ બચ્ચાં પેદા કરવા અપીલ કરી છે. યાદ રહે મોહન ભાગવત અપરિણીત છે અને તેમને કોઈ સંતાન નથી. આંધ્ર પ્રદેશના સી.એમ.ને એક અને તમિલનાડુના સી.એમ.ને બે જ સંતાનો છે. પરંતુ તેઓ પોતાનાં વોટર્સ ઘટી ન જાય તે માટે પ્રજનન દરના ઘટાડાનો સરળ ઉકેલ વસ્તી વૃદ્ધિમાં જુએ છે અને લોકોને વધુ બાળકો પેદા કરવા જણાવે છે. 

૨૦૨૪ના મધ્યમાં તો ભારત ચીનને આંબીને દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો હતો અને હવે ફરી પ્રજનન દરના ઘટાડાને અટકાવવા વસ્તી વધારાની અપીલો થઈ રહી છે. એક દંપતી દ્વારા જન્મેલાં બાળકોની સરેરાશ સંખ્યા કે એક મહિલાએ તેના જીવનકાળમાં જન્મ આપેલ સંતાનોની સરેરાશ સંખ્યા એટલે ટોટલ ફર્ટિલિટી રેટ ( TFR) કે પ્રજનન દર ગણાય છે. મહિલા તેની ઉમરના ૧૫થી ૪૯ વર્ષના ગાળામાં ગર્ભધારણની ક્ષમતા ધરાવે છે. ૧૫થી ૧૯ વર્ષમાં આ ક્ષમતા વિશેષ હોય છે. ભારતીય મહિલાઓની ગર્ભધારણ  ક્ષમતા, પ્રજનન દર કે જન્મ દર ઘટી રહ્યો છે અને તે ૨.૧ કે ૨-એ પહોંચ્યો  છે. 

માનવ ઇતિહાસના સૌથી મૂળભૂત સામાજિક પરિવર્તન પૈકીનું એક પ્રજનન દરમાં ઘટાડો છે. નિયંત્રિત પ્રજનન દર માટે જાણીતા બાંગ્લાદેશને બેના પ્રજનન દરે પહોંચતા સત્તર વરસ લાગ્યા હતાં પરંતુ ભારતે ચૌદ વરસમાં આ સિદ્ધિ મેળવી છે. તેનાં કારણો જાણીને આ પરિવર્તનને આવકારવાની જરૂર છે. 

શિક્ષણ અને મહિલા શિક્ષણમાં થયેલા વધારાને કારણે વસ્તી વૃદ્ધિની વિપરિત અસરો વિશે જાગ્રતિ વધી છે. વસ્તી વધારા પર નિયંત્રણનું જ પરિણામ પ્રજનન દરનો ઘટાડો છે. જો કે તે નસબંદી કે વધુ બાળકો ધરાવનારને દંડિત કરવાથી નહીં પણ ચોક્કસ આર્થિક-સામાજિક કારણોથી થયો છે. દેશના સૌથી શિક્ષિત રાજ્ય કેરળે શિક્ષણના ઊંચા દર દ્વારા આ પ્રજનન દર હાંસલ કર્યો છે. મહિલા જાગ્રતિકરણ કે સ્ત્રી સશક્તિકરણ, શ્રમ શક્તિમાં વધેલી મહિલા ભાગીદારી, કુટુંબના નિર્ણયોમાં મહિલાનો અવાજ, ગર્ભ નિરોધક્ના ઉપયોગને મળેલી સામાજિક સ્વીકૃતિ, લગ્ન વયમાં વધારો, એક્લ અપરિણિત મહિલાઓનું વધતું પ્રમાણ, સમાજનું આધુનિકીકરણ, સંકોચાતા પરિવારો, આરોગ્ય સેવાઓમાં સુધારો, બાળ મૃત્યુનું ઘટતું પ્રમાણ,મહિલા અધિકારોનો અમલ, બાળકોના ઉછેર અને શિક્ષણ આરોગ્યના ખર્ચમાં વધારો, નવા મૂલ્યોનો જન્મ અને શહેરીકરણ જેવાં કારણોથી પ્રજનન દરમાં ઘટાડો થયો છે. 

ટોટલ ફર્ટિલિટી રેટના ઘટાડાની સકારાત્મક અને નકારાત્મક અસરો જોવા મળે છે. પ્રજનન દરમાં ઘટાડાથી વસ્તી વૃદ્ધિનો નો દર ઘટ્યો છે. ૧૯૬૩માં વૈશ્વિક વસ્તી વૃદ્ધિ દર ૨.૩ ટકા હતો જે આજે  લગભગ ૧ ટકા છે. ભારતનો પ્રજનન દર અને વસ્તી વૃદ્ધિ દર સમાન એટલે ૨ છે. અધિક મૃત્યુ દરથી નિયંત્રિત થતી વસ્તી વૃદ્ધિ હવે ઓછા પ્રજનન દરથી નિયંત્રિત થશે. હાલમાં ભારતમાં યુવા વસ્તીનું પ્રમાણ વધુ છે. પરંતું પ્રજનન દરમાં ઘટાડાને કારણે યુવા વસ્તીમાં ઘટાડો થશે અને વૃદ્ધ વસ્તીમાં વધારો થશે. વલ્ડ પ્રોસ્પેકટ રિપોર્ટ પ્રમાણે હાલમાં ભારતમાં પાંત્રીસ વરસથી નાની વયની યુવા આબાદી ૬૫ ટકા છે. ટી.એફ.આર.માં ઘટાડો થતાં ત્રીસ વરસ પછી પાંસઠ વરસની વૃદ્ધ વસ્તી ૬૫ ટકા હશે. પ્રજનન દરના ઘટાડાનું આ સૌથી મોટું નકારાત્મક પાસું ગણાય છે. 

એક એવો હાઉ ઊભો કરવામાં આવી રહ્યો છે કે પ્રજનન દરમાં ઘટાડાથી વસ્તીમાં તુરત ઘટાડો થઈ જશે. પરંતુ આગામી કેટલાક દાયકા સુધી તો વસ્તી વધવાની જ છે. તે પછી તેમાં ઘટાડો થવો શરૂ થશે. હાલમાં યુવાઓની જનસંખ્યા વધારે હોવાથી કામ કરતા લોકોમાં વધારો થયો છે તેને કારણે આર્થિક વિકાસ ઝડપી બન્યો છે. ઘરડા લોકો અને બાળકોની વસ્તી વધવાની અસર થઈ શકે છે કેમ કે આ વર્ગ અન્ય પર નિર્ભર છે. એટલે બુઝુર્ગ અને વૃદ્ધ વસ્તીની દેખભાળ મોટી ચેલેન્જ બની શકે છે. 

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અનુસાર ભારતમાં મહિલાઓની ગર્ભધારણ ક્ષમતા રાષ્ટ્રીય લેવલે ૨  છે, પરંતુ ગુજરાતમાં તેનાથી થોડી ઓછી એટલે કે ૧.૯ છે. તેનું કારણ મોડાં લગ્ન, શહેરીકરણ અને ગર્ભનિરોધકનો ઉપયોગ તો છે જ, પરંતુ ગુજરાતમાં ૬૫ ટકા મહિલાઓ કુપોષિત છે. એટલે પ્રજનન દરનો ઘટાડો કુપોષણનું પરિણામ હોય તો તે દૂર કરવાની દિશાના પ્રયત્નો વધારવા પડે. બાળમૃત્યુ દરમાં ઘટાડો, સરેરાશ આયુષ્યમાં વધારો અને ઓછા વજન અને ઊંચાઈ ધરાવતા બાળકોની સર્વાધિક સંખ્યામાં ઘટાડાના સંદર્ભે યોગ્ય પગલાં પણ પ્રજનન દરના ઘટાડાની વિપરિત અસરો ઓછી કરી શકે છે.  

રાજકારણીઓને પ્રજનન દરના ઘટાડાનો સરળ અને તુરત ઉકેલ વસ્તી વધારામાં લાગ્યો છે. પરંતુ આ બાબતને મહિલાઓની દૃષ્ટિએ જોવાની જરૂર છે. ઓગણીસમી સદીમાં સરેરાશ છ બાળકોના પ્રજનન દરને અડધો કે ત્રણ કરતાં યુ.કે.ને ૯૫ વરસ અને અમેરિકાને ૮૨ વરસ થયા હતા. પરંતુ વીસમી સદીમાં બાંગ્લાદેશે ૨૦, સાઉથ કોરિયાએ ૧૮, ચીને ૧૧, ઈરાને ૧૦ વરસમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. ધીમા પણ મક્કમ સામાજિક પરિવર્તનને ફટાફટ વધુ બાળકો જણવા માંડો એમ કહીને વેડફી ના નાંખીએ. 

જો અન્ય પર નિર્ભર વૃદ્ધોની વધુ વસ્તી સમસ્યા લાગતી હોય તો વૃદ્ધો લાંબો સમય કામ કરી શકે તેવા તંદુરસ્ત રહે તેવું કરવાની જરૂર છે. વૃદ્ધ વસ્તીને સમસ્યારૂપ માનવાને બદલે તેને સ્વસ્થ રાખી વધુ સમય કામ કરતા કરવાની જરૂર છે. વસ્તી વૃદ્ધિ કે વસ્તી નિયંત્રણને બદલે તંદુરસ્ત અને ખુશહાલ આબાદી દેશને આબાદ બનાવશે. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

મારું જીવન એ જ મારી વાણી 

આશા બૂચ|Gandhiana|29 January 2025

દુનિયામાં અસંખ્ય લોકોએ ગાંધીજી વિષે થોકબંધ સાહિત્ય રચ્યું, તેમાંનું ઘણુંખરું વંચાયું, ચર્ચા થઈ, પણ તેમાંથી શીખીને અમલમાં મુકાયું કેટલું?

આજે ધાર્મિક માન્યતાઓના ઓઠા હેઠળ વધતી જતી વિભાજનની નીતિ અને પરિણામે હિંસામાં થતો વધારો, અનેક દેશોમાં જમણેરી વિચારધારાના શાસકોનો થતો પુનઃપ્રવેશ, માનવ અધિકારોનો – ખાસ કરીને મહિલા સ્વાતંત્ર્યનો – થતો ધ્વંસ અને એટલું જાણે પૂરતું ન હોય તેમ પર્યાવરણીય કટોકટીએ મુકેલી માઝા જેવી સમસ્યાઓએ સમગ્ર માનવજાતને ઘેરી લીઘી છે  ત્યારે કોણ જાણે કેમ પણ એ બધાના ઉકેલ માટે ગાંધી તરફ નજર જાય છે. એનું કારણ એ હોઈ શકે કે હજુ આજે પણ ગાંધીજી અને તેઓના વિચારો એટલા જ, કદાચ એથી ય વધુ પ્રસ્તુત છે.

ગાંધીજીનાં લેખન અને કાર્યોમાંથી જે સમજાયું તેના સાર રૂપે કેટલાક મુદ્દા અહીં પ્રસ્તુત છે.

જે જોઈએ, સાંભળીએ અને વાંચીએ તે સત્યની પુષ્ટિ કરતું હોય તો તેનો અમલ કરવો. જો એનો અમલ એક વ્યક્તિ કરી શકે તો સમૂહના બધા લોકો કાં ન કરી શકે તેવી શ્રદ્ધા રાખવી. (એટલે જ તો નાની વયે રાજા હરિશ્ચંદ્રનું નાટક જોયા પછી ગાંધીજીને “બધા હરિશ્ચંદ્ર જેવા સત્યવાદી કાં ન થાય?” એવો વિચાર આવ્યો અને એનો અમલ અનેક સત્યાગ્રહો મારફત કર્યો) અહીં બધા શબ્દ પર જોર છે અને એ લોકશક્તિ પરનો વિશ્વાસ સૂચવે છે.

દરેક નાગરિક અને સમુદાયને પોતાને થતા અપમાન તેમ જ અન્યાયનો બદલો લેવાની પૂરી સ્વતંત્રતા છે. માત્ર તેનો માર્ગ અલગ, એટલે કે અહિંસક હોવો ઘટે. સત્ય પોતાના પક્ષે છે તેની ખાતરી કર્યા બાદ તર્કબદ્ધ દલીલો સાથે અપમાન અને અન્યાય કરનાર સાથે પોતાના અધિકારની માંગણી કરવી, સમાધાન કરવા તૈયાર રહેવું અને તેમાં નિષ્ફળતા મળે તો સતેજ પગલાં ભરવાં. તેમ કરવા જતાં પોતાનું અને પ્રતિપક્ષીનું આત્મસન્માન જળવાવું જોઈએ, બીજાનાં માથાં વાઢવા માટે નહીં, પણ તેને પોતાના અન્યાયી વર્તનનું ભાન કરાવીને હૃદય પરિવર્તન કરવા માટે લડાઈ કરવી.

પોતાના અધિકારો માટે વ્યક્તિગત કે સામૂહિક ચળવળ કરવી વ્યાજબી છે, પણ તેમ કરતાં મોતને ભેટવા તૈયાર રહેવું, મારવા માટે હરગીઝ નહીં એ કક્ષાની અહિંસક સૈનિક તરીકે તાલીમ લેવી જરૂરી.

પોતાના પક્ષે જે હકીકત હોય તે પૂર્ણ વિવેકથી, પણ મક્ક્મતાથી અધિકારી વર્ગને પણ કહી શકાય. તેમાં જરૂર પડે તો પોતાના ધર્મ અને સભ્યતાનો ઉલ્લેખ પણ કરી શકાય, પણ તેમાં ઘમંડને બાદ રાખવો.

સ્વાતંત્ર્ય અને પોતાના અધિકારોની રક્ષા ખાતર દેખાવો કરવા, હડતાલ પાડવી અને ભાષણો કરવાથી હેતુ ન સરે તો ધ્યેય પ્રાપ્ત કરવા હિંસક પગલાં સિવાયનાં તમામ પગલાં ભરવાં અને સાચા સત્યાગ્રહી તરીકે પીડા સહન કરવી પણ કોઈને પીડવું નહીં તેનું સ્મરણ રાખવું.

દરેક નાગરિક માટે ન્યાયી કાયદો તોડવો એ ગુનો છે, તેમ અન્યાયી કાયદો પાળવો એ પણ ગુનો છે. અન્યાયી કાયદા તોડવા એ માત્ર આપણો અધિકાર જ નથી, પણ એક જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ પણ છે.

અહિંસક પ્રતિકાર નિષ્ક્રિય ન હોવો જોઈએ, એ પોતાના અધિકાર મેળવવા માટે સક્રિય પ્રયાસ છે. પ્રતિપક્ષના અન્યાય અને ગુસ્સા સામે લડો, પરંતુ તેને અન્યાયી અને હિંસક વર્તાવ કરવા ઉશ્કેરવાની કોશિશ હરગીઝ ન કરવી. સત્યાગ્રહીના મનમાં વ્યક્તિ, સંગઠન કે સરકારી તંત્રને પોતાના ખોટા અને અન્યાયી કાયદા તેમ જ વર્તાવ માટે મારવાનો નહીં પણ તેના હૃદયને એનો અહેસાસ કરાવીને બદલવાનો હેતુ હોવો જોઈએ. સત્ય પોતાને પક્ષે હતું તેથી જ ગાંધીજી ચંપારણ સત્યાગ્રહ સમયે જજની આંખમાં આંખ પરોવીને વાત કરી શક્યા અને વાઇસરોયને પણ “તમે પારકા ઘરમાં રાજ કરો છો, માટે તમે શાંતિથી અમારો દેશ છોડી જશો, અને તેમાં જ તમારું ડહાપણ કહેવાશે.” એમ કહેવા પાછળ અહિંસક લોક લડતની તાકાત પર અતૂટ શ્રદ્ધા હતી અને લક્ષ્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી જંપ ન લેવાની મક્કમતા હતી.

ગાંધીજીના તમામ રાજકીય અને સામાજિક અભિયાનો પરથી રાજ્યકર્તાઓ અને સામાજિક નેતાઓને શીખ મળી કે સત્યને પક્ષે રહો, નિર્ભય બનો, તો જીત મળશે. પ્રજા માટે કામ કરવું હોય તો પ્રજામાંના એક બનીને જીવન જીવો, તો તેની નાડ પારખી શકશો અને લોકોને પોતાનું હિત જાળવવા સાચા રસ્તે દોરી શકશો.

રિચર્ડ એટીનબરા કહેતા હતા તેમ ગાંધી હજુ પણ આખી દુનિયાને પ્રેરણા આપે છે, બધા તેનું સન્માન કરે છે; કેમ? કેમ કે તેઓ માનતા કે પોતે માઇનોરિટી ઓફ વન (લઘુમતી સંખ્યામાં માત્ર એકલા હશે) તો પણ સત્ય એ જ અંતિમ સાધ્ય છે એમ માનીને જીવશે. એમ કરતાં તેમણે જીવનની અંતિમ કિંમત ચૂકવી. તેમની પાસે કોઈ ધન-દૌલત નહોતી, કોઈ રાજકીય સત્તા નહોતી ભોગવી, તેમનામાં કોઈ કલાકાર જેવી અદ્દભુત સર્જન શક્તિ નહોતી, છતાં તેમની વિદાય સમયે આખી દુનિયા શોકમગ્ન હતી. એમના જીવન અને કાર્યથી સત્ય એક સામ્રાજ્ય કરતાં વધુ બળવાન સાબિત થયું. સત્તાનું સામર્થ્ય જ સાચું છે એ માન્યતા ખોટી ઠરી અને સત્ય વધુ સામર્થ્ય ધરાવે છે એ પુરવાર થયું.

ઈશ્વર આપણને સહુને આવી સરળ સહેલી વિચારધારાને અમલમાં મુકવાની શક્તિ આપે.

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...269270271272...280290300...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved