Opinion Magazine
Number of visits: 9576787
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઘર

રમણીક અગ્રાવત|Poetry|2 September 2019

આ દુનિયા મને પસંદ નથી
… શું કરું, મારું ઘર આ ભૂમિમાં ઊગેલું છે
એક દિવસમાં તો નથી થયું ઘર
કોઈને ક્યાં એમ એકાએક ઘર મળે છે
મારા ઘરને ઘર બનતું મેં અનુભવ્યું છે
એક-એક ધબકારે તો ચણાયું છે,
મારા ઘરને ઘેરી લેતા રસ્તા ય કેવા જટાજૂટ છે
ઝેરીલા –
તો ય મને ગમે છે એ
વળીવળીને આવ્યો છું પાછો ઘર ભણી,
ઘુમાવી-થકાવીને એ પાછા મૂકી જાય મને મારે દરવાજે
હું ય કંઈ ઓછો નથી
ગાળો, બખાળા, ચીડ કાઢતો રહું છું રસ્તા ઉપર
સતત શંકાની નજરે એને ધિક્કાર્યા છે,
ચાહ્યા છે ભરપેટ
ઘરમાં રહ્યે-રહ્યે કેટલી ય વાર નાસી છૂટ્યો છું ક્યાં ય
બે-ત્રણ હજાર વરસ ઉપરે ય આમ કરેલું,
પાછો ‘ભિક્ષાંદેહિ’ કહી ઊભો રહ્યો હતો યશોધરાને આંગણે
ચૌદ-ચૌદ વરસ એ જ ઘર,
પાછળ પાછળ ભમ્યું છે, ભટક્યું છે, રઝળ્યું છે
પંચવટીમાં દંડકારણ્યમાં કિષ્કિંધામાં-રાક્ષસનગરીમાં
ન જાણે ક્યાં-ક્યાં
અરે આ જ હાથે બાળ્યું છે એને ખાંડવવનમાં મેં
જરાસંઘની ગદાથી ધ્વસ્ત થયેલા ઘરને,
ફરી ખડું થતું જોયું છે મેં દ્વારિકામાં
એટલે છેટે નથી જવું,
થોડાંક સો વરસો પહેલાં
ઘોડા હાથી, ઊંટો લાદી-લાદી, પોઠો ભરી-ભરી
અરબરણમાં લઈ જઈ રહેંસી નાખ્યું છે મેં મારા ઘરને
ઠાંસોઠાંસ વહાણોમાં, ઠાંસોઠાંસ આગબોટોમાં ખડકી,
ફેંદી મૂક્યું છે એને ઇંગ્લૅન્ડ યુરોપ સુધી
હજી નજીક અટવીએ ચડેલું આ રહ્યું એ ઘર
અમેરિકાની ક્રાંતિ સળગાવી ગઈ કોનાં કોનાં ઘર?
આફ્રિકામાં ગુલામીખતમાં લખાયાં કોનાં ઘર?
ભારતવિભાજનની કરવતથી વહેરાયાં કોનાં-કોનાં ઘર?
ઇરાકમાં, અફઘાનિસ્તાનમાં, શ્રીલંકામાં સળગાવાયાં કોનાં ઘર?
સિરિયાના તાંડવમાં રહેસાયાં કોનાં- કોનાં ઘર?
સ્થળ પર જઈ તપાસ કરનારને દરેક વખતે હણાયેલો મળ્યો
એકનો એક માણસ, એનો એ જ બધે.
એનો એ જ.
કેટલી વાર – કેટલી વાર હણાયો એકનો એક માણસ?
કેટલી વાર – કેટલી વાર હણાશે એકનો એક માણસ?
હળાહળ વાસ્તવમાં ક્યાં ય કરસનની ખોલી તૂટી જાય,
ક્યાં ય રહીમની ઝૂંપડી સળગી જાય,
ક્યાં ય નાનકની દુકાન લૂંટાઈ જાય
ક્યાં ય મામદની બકાલાંની નાની વાડી ભેળાઈ જાય,
ક્યાં ય બજરંગનો ખૂમચો ઝૂંટવાઈ જાય,
સરવાળે તો રસ્તા પર રહેનારને રસ્તો જ રહે નસીબ,
હણાઈ જાય કોઈના સપનાનું અમથું ઘર
જ્યાં એક ટુકડો આકાશ, થોડી મજરે ભૂમિ
અને પોતાનો શ્વાસ લેવાની મોકળાશ
જ્યાં નિરાંતની પલાંઠી વાળી શકાય, જ્યાં હાશમાં લંબાવી શકાય
એવું અદના આદમીનું ઘર
હણાતું રહે શસ્ત્રોથી, છળથી, પીડાથી આંસુથી, ઉદ્વેગથી, તર્કથી, ભ્રમથી
ભૂંસાતું રહે ઘર ફરીફરી
તો ય અનુભવાય ક્યારેક એ
અંદર, છાતીમાં ડાબી બાજુએ
સાક્ષાત્‌, દઝાડતું.

(૧૯૯૪માં લખાયેલું આ કાવ્ય થોડા સુધારાવધારા સાથે.)

૭, મુક્તાનંદ સોસાયટી,  નર્મદાનગર, જિ. ભરુચ, ૩૯૨ ૦૧૫.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2019; પૃ. 16

Loading

ભારત ૨૦૧૯, અર્થપ્રકરણી પૂર્વરંગ

રમેશ બી. શાહ|Opinion - Opinion|2 September 2019

પુસ્તક – અર્થવાસ્તવ : પહેલી આવૃત્તિ – જુલાઈ 2019; પૃ. 10+ 170 : પ્રકાશક – ગુજરાતવિશ્વકોશ ટૃસ્ટ : મુખ્ય વિક્રેતા – ગુર્જર સાહિત્ય ભવન અને ગુજરાત વિશ્વકોશ ટૃસ્ટ : કિંમત – રૂ. 170

પ્રસ્તુત લેખસંગ્રહમાં સમાવિષ્ટ ૨૧ લેખો પૈકી ત્રણ લેખોને બાદ કરતાં બાકીના ૧૮ લેખો અર્થશાસ્ત્રીય મુદ્દાઓ પર લખાયેલા છે. આ લેખો ૧૯૮૯થી ૨૦૧૮નાં વર્ષોમાં લખાયા છે, પણ કોઈક રીતે તે આજે પ્રસ્તુત બની શકે તેમ છે. આઠ લેખો દેશમાં અપનાવવામાં આવેલી આર્થિક વિકાસ માટેની નીતિને સ્પર્શે છે. એ ગ્રંથનો મુખ્ય ભાગ હોવાથી તેની ચર્ચા થોડી વિગતે કરી છે.

દેશના ઝડપી અને સમાનતાકારક આર્થિક વિકાસ માટે આપણે રાજ્યની વિસ્તૃત ભૂમિકા સાથેની સમાજવાદી નીતિ પંડિત નેહરુના શાસનકાળમાં અપનાવી હતી. એ ઔપચારિક રીતે ૧૯૯૧માં નરસિંહરાવના શાસનમાં મનમોહનસિંઘે નવી આર્થિક નીતિની જાહેરાત કરી ત્યાં સુધી ચાલુ રહી.

આ નીતિની પાછળની ઐતિહાસિક ભૂમિકા બે લેખોમાં સ્પષ્ટ કરવામાં આવી છે : (૧) ‘નેહરુની આર્થિક નીતિઓનો સંદર્ભ’ અને (૨) ‘ભારતની આર્થિક નીતિમાં ડોકિયું’. આ બીજા લેખમાં દેશની આર્થિક નીતિના સંદર્ભમાં આઈ.જી. પટેલનાં સ્મરણો નોંધવામાં આવ્યાં છે. તેમાં બે અવલોકનો ધ્યાનપાત્ર છે : ‘દેશમાં આયોજનનો સાચો આરંભ બીજી પંચવર્ષીય યોજનાથી થયો હતો. તેમાં જાહેર (સરકારી) ક્ષેત્રે મોટી ભૂમિકા પોતાને હસ્તક રાખી હતી અને ખાનગી ક્ષેત્રને મર્યાદિત ભૂમિકા સોંપવામાં આવી હતી. આર્થિક નીતિવિષયક આવો મોટો નિર્ણય કશીયે ચર્ચા વિના જ લેવાયો હતો.’ મહત્ત્વની વાત તો આઈ.જી.પટેલે એ નોંધી છે કે જે પરવાના-પદ્ધતિ દેશમાં લગભગ ચાર દસકા ચાલી તેના વિશે કોઈ પાયાની વિચારણા જ કરવામાં આવી ન હતી.’ દેશના કરોડો લોકોને સ્પર્શતા આર્થિક નીતિવિષયક નિર્ણયો પુખ્ત વિચારણા કર્યા વિના કરવાનો આ સિલસિલો આજે પણ ચાલુ છે તેનો ઇશારો ‘નોટબંધીનું પોસ્ટમોર્ટમ’માંથી સાંપડે છે.

નવી આર્થિક નીતિનો અમલ ધીમા પગલે અને કશીયે જાહેરાત વિના ૧૯૮૦ પછીનાં વર્ષોમાં થયો હતો. પરંતુ જૂની નીતિનો ત્યાગ કરીને નવી બજારવાદી નીતિનો વિધિવત્ ‌અમલ કરવા માટે સરકારે ૧૯૯૦-૧૯૯૧ની વિત્તીય કટોકટીની જરૂર પડી હતી. એની પાછળ રહેલા રાજકારણની ચર્ચા ‘આર્થિક કટોકટી અને રાજકારણ’માં કરવામાં આવી છે. ૨૦૧૪માં ભા.જ.પ.ના વડપણ નીચે રચાયેલી સરકાર પાસે નિર્ણાયક બહુમતી હોવાથી એ સરકાર મોટા અને પાયાના આર્થિક સુધારા કરશે એવી અપેક્ષા રાખવામાં આવી હતી. પણ અપેક્ષા રાખવામાં આવી હતી તે પ્રમાણે તેણે મજૂર-કાયદામાં સુધારા ન કર્યા અને સરકારી સાહસોનું ખાનગીકરણ ન કર્યું. કામદારો – કર્મચારીઓના વિરોધનો સામનો કરવા માટે રાજકારણીઓને વિત્તીય કટોકટી જેવી કોઈ મજબૂરીની જરૂર પડે છે. એવી કોઈ કટોકટી સર્જાઈ ન હોવાથી સરકારે મોટા આર્થિક સુધારા પણ કર્યા નહીં.

નવી આર્થિક નીતિની પાછળ બજારવાદી અર્થશાસ્ત્રીઓની વિચારધારા રહેલી છે. જી.ડી.પી.ની ઊંચા દરે થતી વૃદ્ધિ એની ધ્યાનમૂર્તિ છે. એ માટે બજારપ્રથા અત્યંત કાર્યક્ષમ છે તેવું પ્રતિપાદન આ અર્થશાસ્ત્રીઓએ અમૂર્ત મૉડલ રચીને કર્યું છે. એનો અર્થશાસ્ત્રીય વિવાદ અહીં પ્રસ્તુત નથી પણ જી.ડી.પી.નો ઊંચો વૃદ્ધિદર હાંસલ કરવા માત્રથી દેશની બધી સમસ્યાઓનો ઉકેલ સાંપડતો નથી એની ચર્ચા ‘નવી આર્થિક નીતિ’ અને ‘જી.ડી.પી. કોઈ જાદુઈ છડી નથી’ એ લેખોમાં કરવામાં આવી છે. જી.ડી.પી.ના ઊંચા વૃદ્ધિદર છતાં રોજગારી અપેક્ષા પ્રમાણે ન વધવાથી બેકારીનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે અને વધેલી આવકની વહેંચણીમાં તીવ્ર અસમાનતા માલૂમ પડી છે. પૂર્વ એશિયામાં ચીન, દક્ષિણ કોરિયા વગેરે દેશોમાં બજારવાદી નીતિને જેવી અને જેટલી સફળતા સાંપડી છે તેવી અને તેટલી સફળતા તેને ભારતમાં સાંપડી નથી. વિકાસ અંગેના આપણા પ્રશ્નો વિશિષ્ટ છે અને આપણે નોખી સંસ્કૃતિ ધરાવીએ છીએ. તેથી આપણી વિકાસનીતિની બાબતમાં આપણે મૌલિકતા દાખવવી પડે, આપણે ‘સ્વદેશી’ થવું પડે. આ મુદ્દાની ચર્ચા ‘ગાંધીજી, સ્વદેશી અને આર્થિક સ્વરાજ’માં થોડી વિગતે કરવામાં આવી છે. એ વિચારનું મૂળ ગાંધીજીના પ્રથમ પુસ્તક ‘હિંદ સ્વરાજ’માં રહેલું છે.

‘હિંદ સ્વરાજ’ એ ગાંધીજીનું અત્યંત વિવાદાસ્પદ બનેલું પુસ્તક છે. એ પુસ્તકના પ્રથમ બે વાચન પછી મને પણ એ પુસ્તક તદ્દન જૂનવાણી અને નવી અવતરેલી ઔદ્યોગિક સંસ્કૃતિના પ્રત્યાઘાત રૂપે રચાયેલું લાગેલું, પણ બે વિદેશી વિદ્વાનોના ગાંધીવિચાર અંગેનાં પુસ્તકોના વાચનથી ‘હિંદ સ્વરાજ’ વાંચવાની દૃષ્ટિ મળી. તે પછી તેના ત્રીજા વાચને મને ‘હિંદ સ્વરાજ’ જે રીતે સમજાયું તે મેં ‘હિંદ સ્વરાજ : અહિંસક સંસ્કૃતિની ખોજ’ એ લેખમાં દર્શાવ્યું છે. ગાંધીજી માટે દેશના રાજકીય સ્વરાજ કરતાં સાંસ્કૃતિક સ્વરાજ અને સાંસ્કૃતિક સ્વરાજ કરતાં વ્યક્તિનું સ્વરાજ વિશેષ મૂલ્યવાન હતું. વ્યક્તિ સ્વરાજ ભોગવી શકે એવા સમાજનું ‘વિઝન’ ગાંધી પાસે હતું. ‘હિંદ સ્વરાજ’ને આ દૃષ્ટિએ વાંચવાનું છે.

‘ભારતના વિકાસ અંગે ગાંધીજી અને નેહરુના વિચારભેદ’ એ લેખમાં ગાંધીવિચારના માર્ગે ભારત કેમ ન ચાલી શક્યું તેનો ખુલાસો સાંપડે છે અને પંડિત નેહરુની વિચારસૃષ્ટિનો પરિચય થાય છે. નેહરુ દેશના શિક્ષિત યુવાનોના ભારતના વિકાસ અંગેના વિચારોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા તે ‘ભારતની આર્થિક નીતિમાં ડોકિયું’માં વાંચવા મળે છે.

‘ભારતમાં બજારની વિસ્તરતી ભૂમિકા’માં ઝડપી બનેલા આર્થિક વિકાસથી દેશમાં આવેલાં કેટલાંક પરિવર્તનોની ચર્ચા કરવામાં આવી છે. કુટુંબથી શરૂ કરીને આરોગ્યસેવા, શાસ્ત્રીય સંગીત જેવાં કલાનાં ક્ષેત્રો, ક્રિકેટ જેવા રમતના ક્ષેત્ર વગેરેમાં બજારનો જે પ્રવેશ થયો છે તે તેમાં વર્ણવવામાં આવ્યું છે.

‘શિક્ષણ : રાજ્યે ઘટાડેલી જવાબદારી’માં ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે રાજ્યે તેની નાણાકીય જવાબદારીમાં જે મોટો ઘટાડો કર્યો છે તેની ચર્ચા કરવામાં આવી છે. આ વલણ ભારતમાં જ અસ્તિત્વમાં આવ્યું નથી, ઇંગ્લૅન્ડ અને અમેરિકા જેવા વિકસિત દેશોમાં પણ તે જોવા મળે છે. એની પાછળનાં પરિબળોની ચર્ચા આ લેખમાં કરવામાં આવી છે.

આ ચર્ચાના એક આનુષંગિક મુદ્દાની અહીં નોંધ લેવા જેવી છે. દેશમાં ૧૯૬૬માં કોઠારી પંચનો હેવાલ પ્રગટ થયો ત્યારથી જી.ડી.પી.ના છ ટકા જેટલું ખર્ચ રાજ્યે શિક્ષણ પાછળ કરવું જોઈએ એવી ભલામણ પંચે કરી છે એ વાત ભારપૂર્વક વારંવાર કહેવાતી આવી છે. પણ હકીકત જુદી છે : કોઠારી પંચે ૧૯૮૫-૮૬માં શિક્ષણ પાછળ થનાર કુલ ખર્ચ, તેમાંનું કેટલું ખર્ચ રાજ્ય ભોગવશે અને એ વર્ષે દેશની જી.ડી.પી. કેટલી હશે એ વિશે વિવિધ ધારણાઓના આધારે અંદાજો મૂક્યા હતા. એ અંદાજોના આધારે પંચે એવી ગણતરી કરી હતી કે ૧૯૮૫-૮૬ના વર્ષમાં સરકારનું શિક્ષણ પાછળનું ખર્ચ જી.ડી.પી.ના છ ટકા જેટલું હશે, જે ૧૯૬૫-૬૬માં ત્રણ ટકાથી ઓછું હતું. આમ રાજ્યે શિક્ષણ પાછળ જી.ડી.પી.ના છ ટકા ખર્ચવા જોઈએ એવો કોઈ નીતિવિષયક આદર્શ કોઠારી પંચે રજૂ કર્યો નહોતો. પંચોના હેવાલો કેટલા ઉપર ઉપરથી વંચાય છે તેનો આ એક નમૂનો છે.

અર્થશાસ્ત્રની ઓળખ એક સામાજિક વિજ્ઞાનની છે, પણ પ્રાકૃતિક વિજ્ઞાનોની જેમ તે સાચી આગાહીઓ કરી શકતું નથી. અર્થશાસ્ત્રીઓ વચ્ચે મોટા મતભેદો પ્રવર્તે છે અને મુખ્ય પ્રવાહથી જુદો મત ધરાવતા અર્થશાસ્ત્રીઓ પરત્વે કેટલી ઉપેક્ષા સેવવામાં આવે છે તે ભારત અને અમેરિકાનાં ઉદાહરણો લઈને ‘આર્થિક આગાહીઓ : કેટલી ભરોસાપાત્ર?’ એ લેખમાં વિગતે વર્ણવાયું છે.

વિકાસના માપદંડ તરીકે જી.ડી.પી.ના વિકલ્પે માનવવિકાસનો ખ્યાલ પાકિસ્તાનના અર્થશાસ્ત્રી મહેબૂબ ઉલ હક, ભારતના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન અને અન્ય અર્થશાસ્ત્રીઓએ ૧૯૯૦માં રજૂ કર્યો હતો અને દુનિયાના વિવિધ દેશોના માનવવિકાસ અંગેનો પ્રથમ હેવાલ પણ ૧૯૯૦માં પ્રગટ કરવામાં આવ્યો હતો. ત્યારથી શરૂ કરીને એ હેવાલ યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) દ્વારા દર વર્ષે પ્રગટ કરવામાં આવે છે. પ્રભાવક બનેલી વિકાસ અંગેની આ વિચારણાની સમીક્ષા ‘માનવવિકાસ – અભિગમ : એક સમાલોચના’ એ લેખમાં કરવામાં આવી છે. માનવવિકાસના એક નમૂનારૂપ ઉદાહરણ તરીકે કેરળનો દાખલો ટાંકવામાં આવતો હતો. તેથી કેરળના માનવવિકાસને એના ઇતિહાસમાં જઈને તપાસવામાં આવ્યો છે અને તેની મર્યાદાઓ દર્શાવવામાં આવી છે.

રશિયા અને પૂર્વ યુરોપના અન્ય દેશોમાંથી સામ્યવાદની વિદાય પછી આજે મૂડીવાદી પ્રથાનો કોઈ વિકલ્પ દુનિયાના દેશો પાસે રહ્યો નથી. અલબત્ત, મૂડીવાદી સમૃદ્ધિ સર્જવામાં અનેરી સિદ્ધિ હાંસલ કરી છે પણ તે સાથે તેની મર્યાદાઓ પણ મોટી છે. આ પ્રશ્નોની ચર્ચા ‘મૂડીવાદનો વિકલ્પ શું છે?’ એ લેખમાં કરવામાં આવી છે.

આપણા દેશમાં મજબૂત નેતા અને સ્થિર સરકારનો દેશના વિકાસમાં સંદર્ભમાં બહુ મહિમા કરવામાં આવે છે. આ મહિમા રાજકારણીઓ પોતે જ કરતા હોય છે. પણ સમગ્ર દેશ અને વિવિધ રાજ્યોના સંદર્ભમાં તથાકથિત મજબૂત નેતા અને વિકાસ વચ્ચે કેવો અને કેટલો સંબંધ છે તે એક લેખમાં તપાસવામાં આવ્યું છે. ‘દૃઢ’ નેતૃત્વ અને વિકાસ. એનું તારણ સ્પષ્ટ છે : આપણે ઉદ્ધારકની માનસિકતાથી બચવાનું છે.

પંદરમીથી અઢારમી સદી દરમિયાન દેશમાં અને વિદેશોમાં નાણાવટના કેન્દ્ર તરીકે અને વીસમી સદીના પૂર્વાર્ધમાં દેશના માંચેસ્ટર તરીકે ખ્યાત અમદાવાદની આર્થિક ચડતીપડતીનો ઇતિહાસ ‘અમદાવાદનાં ૬૦૦ વર્ષ : આર્થિક આલેખ’માં વર્ણવાયો છે. તેનું એક નોંધપાત્ર પાસું છે : ઇંગ્લૅન્ડ આદિ યુરોપના દેશોમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી બજાર-આધારિત જે અર્થવ્યવસ્થા વિકસી હતી તેવી વ્યવસ્થા અમદાવાદ અને ગુજરાતનાં અન્ય કેટલાંક નગરોમાં વિકસી હતી. રાજ્યની ભૂમિકા વ્યવસ્થા (ઑર્ડર) જાળવવા પૂરતી મર્યાદિત હોય તો પણ ઉદ્યોગધંધા મોટા પ્રમાણમાં વિકસી શકે એવું પણ અમદાવાદના આર્થિક ઇતિહાસમાંથી ફલિત થાય છે.

ગુજરાત ઔદ્યોગિક વિકાસની બાબતમાં વીસમી સદીના છેલ્લા બે દસકામાં વાઇબ્રન્ટ બની ગયું હતું. એની થોડી વિગતે ચર્ચા ‘ગુજરાત વાઇબ્રન્ટ ક્યારથી બન્યું છે?’ એ લેખમાં કરવામાં આવી છે. એ વર્ષોમાં ગુજરાતને મુખ્યમંત્રીના રૂપમાં કોઈ ‘વિકાસ-પુરુષ’ નહોતા મળ્યા તોપણ ગુજરાત ઉદ્યોગના ક્ષેત્રે વાઇબ્રન્ટ બન્યું હતું તે એક નોંધપાત્ર બાબત છે.

ડૉલરની કિંમત રૂપિયામાં રોજેરોજ બદલાતી રહે છે. ક્યારેક એ વધઘટ બહુ મોટી હોય છે. ૨૦૧૮ના ઑક્ટોબરમાં ડૉલરની કિંમતમાં ૧૫ ટકા જેવો મોટો વધારો થયો હતો. રૂપિયામાં ડૉલરની કિંમતમાં આવી મોટી વધઘટ કેમ થાય છે, તેની સમજૂતી ‘ગબડતો રૂપિયો’માં આપી છે. એ એક ‘કેસ સ્ટડી’ છે. બીજા કિસ્સામાં જવાબદાર પરિબળો નોખાં હોઈ શકે. મુદ્દો એ છે કે હૂંડિયામણના દરને રાષ્ટ્રીય ગૌરવ સાથે સાંકળવાનો નથી. એ પણ એક કિંમત જ છે.

વીસમી સદીના છેલ્લા દસકામાં અને ૨૧મી સદીની શરૂઆતમાં વૈશ્વિકીકરણ ચર્ચાનો એક વિવાદાસ્પદ મુદ્દો હતો. વૈશ્વિકીકરણ સામે ઠેર ઠેર દેખાવો થતા હતા. પણ ૨૦૦૮માં અમેરિકામાં સર્જાયેલી વિત્તીય કટોકટી અને એના પગલે આવેલી મંદી પછી વૈશ્વિકીકરણ ભુલાઈ ગયું છે. આર્થિક ચર્ચાની દૃષ્ટિએ ભૂતકાળ બની ગયેલા વૈશ્વિકીકરણની થોડી ચર્ચા ‘વૈશ્વિકીકરણ સામેનો અસંતોષ’માં કરી છે.

આજે ભારતમાં પુરુષોની તુલનામાં સ્ત્રીઓની ઓછી સંખ્યા – જાતિ ગુણોત્તર – (sex ratio)નો પ્રશ્ન ભ્રૂણહત્યાના સંદર્ભમાં ચર્ચાવામાં આવે છે. ગુજરાતમાં ૧,૦૦૦ પુરુષો દીઠ ૯૧૯ સ્ત્રીઓ છે. સમગ્ર દેશમાં એ પ્રમાણ ૯૩૩ સ્ત્રીઓનું છે. દુનિયાના મોટા ભાગના દેશોમાં ૧,૦૦૦ પુરુષોની સામે ૧,૦૦૦થી વધારે સ્ત્રીઓ માલૂમ પડે છે. પણ ગુજરાતમાં સ્ત્રીઓની આ ‘ખાધ’નો પ્રશ્ન કેટલીક જ્ઞાતિઓમાં ૧૯મી સદીના છેલ્લા બે દસકાઓમાં પણ માલૂમ પડ્યો હતો. તેથી સ્ત્રીઓની આ ખાધનો પ્રશ્ન કેવળ ભ્રૂણહત્યાનું પરિણામ નથી. એની પાછળ બીજાં કારણો પણ હોવાં જોઈએ એવું ‘સ્ત્રીઓની ખાધ’એ લેખમાંથી ફલિત થાય છે.

ગુજરાતીમાં અર્થશાસ્ત્રીય વિષયો પર બિનપાઠ્યપુસ્તકીય અલ્પ સાહિત્ય ઉપલબ્ધ છે. અન્ય શાસ્ત્રો અને વિજ્ઞાનો માટે પણ આ વિધાન કરી શકાય. યુનિવર્સિટી કક્ષાએ ગુજરાતી માધ્યમ અપનાવવામાં આવ્યું ત્યારે એક અપેક્ષા હતી : વિવિધ વિષયોનું જ્ઞાન ગુજરાતીમાં ઉપલબ્ધ થશે. પણ એ આશા સંતોષાઈ નથી. આપણી યુનિવર્સિટીઓ એ દિશામાં કોઈ પ્રદાન કરી શકી નથી. જ્ઞાનનું વિસ્તરણ અને સર્જન એ યુનિવર્સિટીનાં મુખ્ય કાર્યો છે. આ અર્થમાં ગુજરાતમાં યુનિવર્સિટીનું અવતરણ થયું નથી.

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે જ્ઞાનના વિસ્તરણનું યુનિવર્સિટીનું એક કાર્ય ઉપાડી લીધું છે. તે માટે તેણે વિશ્વકોશના ૨૫ ગ્રંથો પ્રગટ કર્યા છે અને તે સાથે વિવિધ વિષયોના ગ્રંથો પણ પ્રગટ કર્યા છે. એ પ્રવૃત્તિના એક ભાગરૂપે  અર્થશાસ્ત્રીય વિષયો પરના લેખોનો આ સંગ્રહ થઈ રહ્યો છે. કુમારપાળ દેસાઈના આગ્રહમિશ્રિત સૂચનનું એ પરિણામ છે. મારા ગુજરાતીમાં લખાયેલા અર્થશાસ્ત્રીય લેખો ગ્રંથસ્થ થાય એ મારા માટે કલ્પનાતીત હતું પણ કુમારપાળભાઈએ શક્ય બનાવ્યું. તે માટે હું સાચે જ તેમનો અને વિશ્વકોશ ટ્રસ્ટનો આભારી છું. પ્રીતિબહેન શાહે આ ગ્રંથની જે માવજત કરી છે તેની સાભાર નોંધ લઉં છું. ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગના અધ્યાપક અશ્વિન ચૌહાણે આ ગ્રંથ તૈયાર કરવામાં સંપાદકીય કામગીરી કરી એની પણ આનંદપૂર્વક નોંધ લઉં છું.

તા. ૩-૫-૧૯

પાલડી, અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2019; પૃ. 08, 09 તેમ જ 07

Loading

ક્યાં જઈ રહ્યા છીએ આપણે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|1 September 2019

હવે ઑક્ટોબરના પહેલા અઠવાડિયાથી આપણે એક અધ્ધરજીવ મનઃસ્થિતિમાં હોઈશું : સત્તાવીસમી ઑગસ્ટે જ્યારે જમ્મુ-કાશ્મીરની બાબત સર્વોચ્ચ અદાલત સમક્ષ આવી, ત્યારે મુખ્ય ન્યાયમૂર્તિ ગોગોઈએ સમગ્ર પ્રશ્નનું મહત્ત્વ પ્રમાણી વિશેષ બંધારણીય પીઠની જરૂરત જોઈ અને ઑક્ટોબરના પહેલાબીજા અઠવાડિયામાં તે દેવડીએ લેવાશે એમ પણ કહ્યું. અયોધ્યાની રોજેરોજની સુનાવણી ત્યારે પૂરી થવામાં હશે, અને તરત જમ્મુ-કાશ્મીર (૩૭૦ એ અને ૩૫ એ-ના સંદર્ભમાં) હાથ ધરાશે.

હમણાં અનાયાસ જ અયોધ્યા અને જમ્મુ-કાશ્મીર બંને એક સાથે, લગભગ એકશ્વાસે યાદ કરવાનું બન્યું એ જોગાનુજોગમાં એક ઔચિત્ય પણ છે. કલમ ૩૭૦ હો કે રામ મંદિરનો પ્રશ્ન (કોર્ટ કેસ ખરું જોતાં તો જમીન પરના કબજાનો એટલે કે ટાઈટલ સુટનો છે, તેમ છતાં) : બંને હાલના હાકેમો અને હુકમરાનોને મન કોઈ કાયદો અને વ્યવસ્થા કે ન્યાયિક રાજવટના મુદ્દા નથી. રાષ્ટ્રવાદની એમની પોતાની જે ચોક્કસ વ્યાખ્યા અને સમજ છે તે ધોરણે તેઓ આ બાબતો જુએમૂલવે છે અને ખપમાં લે છે.

સદ્‌ભાગ્યે, સર્વોચ્ચ અદાલતે રાજ્યકર્તાઓની કાશ્મીર સમજને પરબારી નહીં સ્વીકારી લેતાં સર્વ રજૂઆતો સાંભળી બંધારણીય ધોરણે ઘટાવવાનું વલણ લીધું છે. આ જ સંદર્ભમાં એણે સંઘ સરકાર અને જમ્મુ-કાશ્મીર સરકાર બેઉને નોટિસ પાઠવવાનું પણ નક્કી કર્યું છે. ભારત સરકારના એટર્ની જનરલ અને સોલિસિટર જનરલ બંને અદાલતમાં હાજર હતા અને એમણે કહ્યું કે અમે અહીં છીએ જ તો બંને સરકારોને અલગથી નોટિસ પાઠવવાની જરૂર નથી. તેમ છતાં, સર્વોચ્ચ અદાલતે વિધિવત્‌ નોટિસનો રાહ લેવું ઉચિત લેખ્યું એ બીના, ખાસ તો, બંને સરકારી ધારાશાસ્ત્રીઓની જે એક દલીલ હતી એ જોતાં મહત્ત્વની બની રહે છે. ધારાશાસ્ત્રીઓની દલીલ એ હતી કે બંને સરકારો જોગ આવી નોટિસ પાઠવવામાં આવશે એથી આંતરરાષ્ટ્રીય વર્તુળોમાં પાકિસ્તાનને પોતાના એકતરફી પ્રચાર માટેનું ઓજાર મળી રહેશે. આમ તો, આ દલીલ એ જ કુળની હતી અને છે જે ભા.જ.પ. પ્રવક્તાઓએ રાહુલ ગાંધીની ટીકામાં પ્રયોજી હતી. કાશ્મીરમાં સત્તાવાર પ્રચારની જેમ બધું સમુંનમું નથી એવું રાહુલ ગાંધીએ કહ્યું અને પાક વર્તુળોએ આ ટિપ્પણીને પોતાના પ્રચાર સારુ ખપમાં લીધી એ જાણીતું છે. વસ્તુતઃ રાહુલ ગાંધી કે બીજાઓ એક લોકશાહી મુલકને ધોરણે પેશ આવી રહ્યા છે, અને સર્વોચ્ચ અદાલતે પણ સરકારના ધારા-અધિકારીઓના અનુનય અને આગ્રહને વટીને વિધિવત્‌ નોટિસનો રાહ લીધો તે પુખ્ત લોકતંત્રને લાયક સ્વતંત્ર ન્યાયતંત્રની ભૂમિકા છે.

જે સંજોગો ઊભા થયા એમાંથી ૩૭૦ને તરાપે તરવાનો રાહ દેશના નેતૃત્વે આટલાં વરસ ખપમાં લીધો છે, અને નેહરુ વાજપેયી ફ્રિકવન્સી પરની એની કામગીરીએ અહીં બાંગલાદેશ સરજાતું ટાળ્યું છે. હાલના હાકેમો ૩૭૦ની નાબૂદી(અને ૩૫ એ ની નાબૂદી)ને લગભગ એક વિદેશી કિલ્લો કબજે કર્યો હોય એવા વિજ્યોન્માદથી જુએ છે. એટલું જ નહીં ભા.જ.પ. શ્રેષ્ઠીઓ રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીમાં તેમ જ ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીમાં ૩૭૦ની નાબૂદીના કથિત વીરકર્મને મુખ્ય મુદ્દો બનાવવા વાસ્તે લાલાયિત માલૂમ પડે છે. અહીં લાંબી ચર્ચામાં નહીં જતાં એટલું જ કહીશું કે નવી દિલ્હી કોઈ સાંસ્થાનિક સામ્રાજ્યશાહીની માનસિકતાથી જમ્મુ-કાશ્મીરથી માંડીને ઇશાન ભારત સહિતનાંને પોતાનાં કરી શકવાનું નથી. જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનું કોઈ લોકસ સ્ટૅન્ડાઈ નથી એ જો સાચું છે તો એટલું જ સાચું એ પણ છે કે પાક હસ્તકના કાશ્મીર (પી.ઓ.કે.) કરતાં અહીં જે લોકશાહી ગુંજાશમોકળાશ હોઈ શકે છે એને માટે આપણી રાજવટ સતત પરીક્ષણની સ્થિતિમાં હતી અને છે.

રાજકીય અખાડામાં પક્ષવિપક્ષની મલ્લકુસ્તી ચાલતી હોય ત્યારે એમાં એક પક્ષકાર, રિપીટ, પક્ષકાર હોય એવી અદાથી રાજ્યપાલ સત્યપાલ મલિક ક્વચિત પેશ આવતા જણાતા હોય તે બીનાને કોઈ એકલદોકલ દાખલાને બદલે આપણે ત્યાં બંધારણીય અને સ્વાયત્ત સંસ્થાઓ પરની કૃષ્ણછાયાના એક નમૂના દાખલ જોવી જોઈએ. સરકારમાત્ર બંધારણીય સંસ્થાઓમાં સંભવિત તાંબુલવાહિની જોતી હોય છે, જેની એક પરાકાષ્ઠા ૧૯૭૫ના જૂનના કટોકટીરાજરૂપે આપણે જોઈ હતી. આ સ્તો એ પરિસ્થિતિ હતી જેણે જનસંઘ સહિતના વિપક્ષી એકત્રીકરણને એક ગતિ આપી હતી. આ પ્રક્રિયાનો, અંતતો ગત્વા, સૌથી વડો લાભાર્થી ભા.જ.પ. (જનસંઘ) સ્વાયત્ત સંસ્થાઓ પરત્વે ‘અધો અધો ગંગેયમ્‌’નું જે ચિત્ર ઉપસાવે છે એને વિશે શું કહેવું, સિવાય કે રુક જાવ.

ન્યાયમૂર્તિ ગોગોઈ અને અન્ય ત્રણ વરિષ્ઠ ન્યાયમૂર્તિઓએ જાન્યુઆરી ૨૦૧૮માં દેશજનતા સમક્ષ ધા નાખવાપણું જોયું હતું તે બાબતે આપણે સવિશેષ સચિન્ત અને સતર્ક રહેવાપણું સતત લમણે લખાયું દીસે છે. ચિદમ્બરમ્‌ને જામીન નહીં આપનાર હાઈકોર્ટ જજ નિવૃત્તિના બે જ દિવસમાં (પૂર્વે અરુણ જેટલીએ ક્વચિત્ ‌હિમાયત કરી હતી તેમ બેત્રણ વરસના ‘કુલિંગ પિર્યડ’નો મલાજો મેલીને) એપેલેટ ટ્રિબ્યુનલ પર આરૂઢ થઈ રહ્યાના સમાચાર સાચા હોય તો એમાં શું વાંચશું ?

અને સન્માન્ય ન્યાયમૂર્તિઓ? ભીમા-કોરેગાંવ કેસમાં જજસાહેબ એક આરોપીને ટૉલ્સ્ટૉય કૃત ‘વૉર ઍન્ડ પીસ’ સંઘરવા બદલ ધધડાવે છે. ભાઈ, ચારેક દાયકા પર ગુજરાતમાં ‘માઓવાદી સાહિત્ય’ સામે સરકારી પોલીસ કારવાઈ ચાલી ત્યારે ન્યાયમૂર્તિ પ્રફુલ્લ ભગવતીએ ચુકાદામાં સ્પષ્ટ કહ્યું હતું કે વિચારપ્રસાર તે પોતે કરીને કોઈ ગુનો નથી. વાંસોવાંસ, સન્માન્ય ન્યાયમૂર્તિ સારંગ કોતવાલની સ્પષ્ટતા આવી છે કે હું જેને વિશે ટિપ્પણી કરતો હતો તે ટૉલ્સ્ટૉય કૃત ‘વૉર ઍન્ડ પીસ’ પુસ્તક નહોતું પણ બિસ્વજીત રૉયનું ‘વૉર ઍન્ડ પીસ ઈન જંગલમહાલ : પીપલ, સ્ટેટ ઍન્ડ માઓઇસ્ટ્‌સ’ હતું. અહીં એટલું જ કહીશું કે એ સંજોગોમાં પણ ભગવતી ચુકાદો અક્ષરશઃ ઊભો જ છે. બીજું, ન્યાયમૂર્તિ કોતવાલની ટિપ્પણી ‘તમે બીજા દેશની યુદ્ધવાર્તામાં કેમ રસ લો છો’ એ તરજ પર હોય તો એ આપણે ત્યાંના માઓવાદીઓને બીજા મુલકના માને છે કે કેમ એવો સવાલ પણ લાજિમ છે. જો કે, આ લખનારનો અધીન મત છે કે ટૉલ્સ્ટૉયથી ગાંધી સહિતના સૌને પાછલી અસરથી અને આગલી કહેતાં આગળની સંભાવનાઓ લક્ષમાં લઈ સતત અદાલતમાં પેશ કરતા રહેવું જોઈએ. પૂર્વે ગાંધીએ અંગ્રેજ અમલમાં ‘રાજદ્રોહ’ના આરોપ સબબ જે કહેલું તે આ સામયિકે છેલ્લા દસકામાં એક વાર અગ્રલેખને સ્થાને મૂક્યું હતું તે સાંભરે છે. કદાચ, થોડે થોડે અંતરે તે ફરી ફરી છાપવું જોઈએ જેથી કથિત રાષ્ટ્રવાદ અને ઘોર સત્તાવાદની મૂઠ ન વાગે અને મૂર્છા વળતી રહે.

અને પોલીસકર્મીઓ વિશે શું કહીશું ? ‘મૉબ લિન્ચિંગ’ને પોતાની ધર્મશ્રદ્ધા કે રાષ્ટ્રપ્રીતિને ધોરણે તેઓ ધર્મ્ય ગણે છે; (જેમ સત્તાવર્તુળો પણ ગણે છે), અને એ અંગે નકો નકો કારવાઈમાં મત્ત મહાલે છે. (બુલંદ શહર ઘટનામાં કોઈ સુબોધકુમાર સિંહ જેવા પ્રામાણિક અધિકારી જુદા પડે તો એમની હત્યા થાય અને પછી જામીનધન્ય હત્યારાઓ બહાર આવે એટલે એમનું ફૂલેકું ચડે. પ્રજા તરીકે ક્યાં જઈ રહ્યા છીએ, આપણે ?) વાત અલબત્ત પોલીસકર્મીઓની કરતા હતા – અને હમણાં જ કૉમન કૉઝ અને સેન્ટર ફોર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝના સર્વેક્ષણ પ્રમાણે તો દરેક બીજો પોલીસકર્મી મુસ્લિમ એટલે ગુનેગાર એવા સમીકરણને સ્વીકારીને ચાલે છે અને દરેક ત્રીજો ઉન્માદી ટોળાશાહી હસ્તકની હત્યાઓમાં કુદરતી ન્યાય જુએ છે.

ભારત સરકારને, સત્તાપક્ષી વિચારધારાકીય વરિષ્ઠોને એક છેડેથી આર્ત પોકાર તો બીજે છેડેથી બંધારણબદ્ધ પૃચ્છાની રીતે કહેવું રહે છે કે તમે લોકશાહી રાજવટને ન્યાયાધીન માનો છો કે સત્તાધીન. જે ન બનવાનું બની રહ્યું છે એમાં તમારું સૅન્ક્‌શન હોય એવી છાપ કેમ ઊઠે છે, એ સવાલ વિપળવાર પણ વહેલો નથી.

ઑક્ટોબરના પહેલાબીજા અઠવાડિયામાં ન્યાયની દેવડીએ કાશ્મીર ચર્ચા આવશે, પણ ત્યાં સુધીનો ગાળો, તે દરમ્યાનનો ગાળો, અને તે પછીનો પણ, ‘રુલ ઑફ લૉ’ની ભૂમિકા સ્પષ્ટસુરેખ લેવાનો અને કોઈ સાંસ્થાનિક સામ્રાજ્યશાહી નહીં પણ પ્રજાસૂય રાજવટને અધોરેખિત કરવાની સવિશેષ સભાનતાનો બની રહેવો ઘટે છે.

મથાળે જરી સલામત સંડોવણીએ પૂછ્યું કે ક્યાં જઈ રહ્યા છીએ આપણે; પણ પૂછવું તો સંકેલાતે આ સમજાય છે : ક્યાં જવું છે આપણે.

ઑગસ્ટ ૨૮, ૨૦૧૯

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2019; પૃ. 01-02

Loading

...102030...2,6972,6982,6992,700...2,7102,7202,730...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved