Opinion Magazine
Number of visits: 9684294
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અભય કવચ વિકસાવ્યું કોણે ? એ કવચ ભેદાશે કઈ રીતે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|10 October 2019

મુંબઈના મારા એક ગુજરાતી પત્રકાર મિત્રએ કહેલો આ કિસ્સો છે. તેઓ ઘર ખરીદવા માટે ગુજરાતીઓની કોઑપરેટિવ બૅંકમાં ગયા. તેમણે તેમની સિક્યુરિટીઝ અને લોન પાછી વાળવાની ક્ષમતા બતાવતા આવકનાં કાગળિયાં બતાવ્યાં, ત્યારે લોન મંજૂર કરનારા અધિકારીએ કહ્યું કે, ‘સાહેબ, અમે તમને લોન તો આપીએ પણ તમે માગો છો એટલી નહીં કારણ કે તમારી સિક્યુરિટીઝ અને આવક ઓછાં પડે છે.’

મારા મિત્રએ ઓફિસે જઈને બૅંકના ચેરમેનને ફોન કર્યો અને જે બન્યું તે કહીને મદદ કરવા વિનંતી કરી. ચેરમેને બૅંકમાં ફોન કરી દીધો અને લોન મંજૂર કરવાનો આદેશ આપ્યો. બીજા દિવસે લોન મંજૂર કર્યા પછી એ અધિકારીએ મારા મિત્રને કહ્યું કે સાહેબ, તમને તો લોન મળી ગઈ, પણ આ બૅંક એક દિવસ ઊઠી જવાની છે એમાં કોઈ શંકા નથી. દરેક ડાયરેક્ટર આ રીતે લોન અપાવે છે અને દરેકના કોટા છે.

બે વરસમાં બૅંક ઊઠી ગઈ. મારા પત્રકાર મિત્ર અને બૅંકના ચેરમેનને હું ઓળખું છું. એ બન્ને હાડોહાડ દેશપ્રેમી છે. પાકિસ્તાનનું નામ પડે અને શરીર કાંપવા લાગે. સવાલ એ છે કે દેશપ્રેમના યુગમાં અનીતિનો પારો ક્યારે ય નહોતો એટલો ઉપર કેમ છે? આનો જવાબ સેમ્યુલ જ્હોન્સન નામના બ્રિટિશ વિચારકે આમ કહીને આપ્યો છે : Patriotism is the last refuse of the scoundrel. અર્થાત્ ધુતારાઓ માટે છેલ્લો આશ્રય દેશપ્રેમ છે. એકવાર દેશપ્રેમી થઈ ગયો પછી હાથ ન લગાડાય. એક યુગમાં જે સ્થાન હિંદુઓમાં બ્રાહ્મણોનું હતું એ આજે દેશપ્રેમીઓનું છે. એ સમયના હિંદુ રાજા ગો-બ્રાહ્મણ પ્રતિપાલક હતા તો અત્યારના ગો-દેશપ્રેમી પ્રતિપાલક છે. એ યુગમાં બ્રાહ્મણો કાયદાની ઉપરવટ હતા તો આજે દેશપ્રેમી છે. આટલા મોટા પ્રમાણમાં દેશપ્રેમીઓ ફૂટી નીકળ્યા છે, જેમાં થોડા ભોળિયા છે અને વધુ તો ધુતારાઓ છે. 

જો કોઈક પ્રકારના અભયનું કવચ ન હોય તો મુંબઈમાં પંજાબ અને મહારાષ્ટ્ર કોઑપરેટિવ બૅંકના સંચાલકો સાધારણ ગ્રાહકોની જમાપૂંજી(થાપણ)માંથી ૭૫ ટકા રકમ કોઈ એક બિલ્ડરને આપે ખરા? બધા ઈંડા એક જ ટોપલીમાં ન રખાય એટલી સાદી સમજ આ જગતમાં કોણ નથી ધરાવતું? તેમને પણ આ સાદી સમજ હતી અને છતાં ૭૫ ટકા કરતાં વધુ મોટી રકમ એક જ બિલ્ડરને આપી હતી. તો સવાલ એ છે કે આ અભયનું કવચ કઈ રીતે વિકસ્યું છે? કોણ એનો લાભ લે છે અને કોણ તેને હાથ લગાડવા દેતું નથી?

આ કવચ નરેન્દ્ર મોદીએ વિકસાવ્યું નથી. નરેન્દ્ર મોદીનો રાજકીય ઉદય થયો એ પહેલાંથી તે વિકસેલું છે. વધુમાં વધુ એમ કહી શકાય કે નરેન્દ્ર મોદી એ કવચને ભેદવા માટે કાંઈ કરતા નથી તો તેમની પહેલાંના શાસકોએ પણ કાંઈ નહોતું કર્યું. પહેલાંના શાસકો ભ્રષ્ટ અને દેશદ્રોહી હતા એટલે કાંઈ થતું નહોતું એટલે આપણે સ્વચ્છ દેશપ્રેમીઓને લઈ આવ્યા; પણ એ પછી પણ કવચ ભેદવામાં આવતું નથી. શા માટે? શું સ્વરૂપ છે એ કવચનું અને કોણ એને બચાવે છે એ સમજી લેવું જોઈએ. એમાં એવી કઈ તાકાત છે જે દેશપ્રેમને પણ નિરસ્ત કરે છે. દુશ્મનની તાકાત સમજી લીધા વિના દુશ્મનને જેર કરી શકાતો નથી.

વાત એમ છે કે આપણી આખી વ્યવસ્થા મૂડીલક્ષી અને સત્તાલક્ષી બની ગઈ છે. જે વેપાર કરે છે એને કોઈ પણ કિમંતે પૈસો રળવો છે, પછી નીતિ ગઈ ભાડમાં. રાજકારણીઓને પણ કોઈ પણ કિંમતે સત્તા સુધી પહોંચવું છે, પછી નીતિ ગઈ ભાડમાં. બન્નેને ખબર છે કે જો નીતિથી ચાલશું તો બીજા આગળ નીકળી જશે અને આપણે તક ગુમાવી દેશું. કાંઈ નહીં મેળવવાની ચિંતા નથી, કારણ કે અનેક પ્રામાણિક માણસો નીતિ સાચવીને પેટ ભરે જ છે; પણ આગળ નહીં નીકળી શકાય અને બીજા આગળ નીકળી જશે એની ચિંતા છે. આજના યુગમાં જે નીતિધર્મ સાચવીને ચાલે છે એ બેવકૂફ છે.

દેશના કાયદાઓથી ડરવાનું હોય અને દેશના કાયદા હાથ લગાડી ન શકે એવી પાક્કી વ્યવસ્થા અંકે કરી લીધા પછી ડરવાનું કોનાથી? કોઈ આસ્તિક શ્રદ્ધાવાન કહેશે, ઈશ્વરના કાયદાથી. એ કોઈને છોડતો નથી. તો એ બાબતે અભય-કવચ આપવાનું કામ ધર્મગુરુ કરે છે. દેશના કાયદાથી જે આંબી શકે એ શાસક આંગળિયે હોય અને ઈશ્વરના કાયદાનો કહેવાતો રખેવાળ એક ધર્મગુરુ પાળેલો હોય (ગુરુ માટે વપરાતો પાળેલો શબ્દ પણ સૂચક છે) પછી ડર કઈ વાતનો? વાસ્તવમાં આજે ધર્મગુરુઓ નૈતિકતાની ઐસીતૈસી કરનારા વેપારી અને રાજકારણીને કેરેક્ટર સર્ટિફિકેટ આપવાનું કામ કરે છે.

કેરેક્ટર સર્ટિફિકેટ બહુ જરૂરી છે. દશેરાને દિવસે તો અસત્યનો પરાજય અને સત્યનો જ વિજય થવો જોઈએ. દસ્તૂર એવો છે, શું થાય? ધર્મગુરુઓ બન્નેને સર્ટિફિકેટ આપે છે. આપણા ગુરુએ આપણા નેતાને કેરેક્ટર સર્ટિફિકેટ આપી દીધું એટલે પત્યું. બીજું જોઈએ શું? અને જે શેઠ સામે આંગળી ચિંધવામાં આવે છે તેણે આપણા ગુરુના કહેવાથી અબજો રૂપિયાનું દાન કરી દીધું એટલે આપણે રાજી.

તો વાત એમ છે કે આ ત્રણેયનો ત્રિકોણ રચાયો છે. નેતા, વેપારી અને ધર્મગુરુ. આ ત્રિકોણ ઘણો જૂનો છે. નરેન્દ્ર મોદીનો ઉદય થયો એ પહેલાંનો. ૧૯૭૦ના દાયકામાં મેં પહેલીવાર જાણીતા વિચારક દાદા ધર્માધિકારીને મોઢે તખ્ત (રાજકારણી) તિજોરી (વેપારી) અને ત્રિશુળ (ધર્મગુરુ)ના ત્રિકોણની વાત સાંભળી હતી. પાંચ દાયકા પહેલાં. તેઓ મળીને કામ કરે છે. શાસક વ્યવસ્થાને એના એ જ સ્વરૂપમાં વેપારીને ફાયદો થાય એ રીતે ટકાવી રાખવાનું કામ કરે છે. વેપારી તેને લૂંટવાનું કામ કરે છે અને ધર્મગુરુ પ્રજાને કલોરોફોર્મ આપવાનું કામ કરે છે. ત્રણેય લૂટેલો માલ વહેંચી લે છે.

વીતેલા દાયકાઓ દરમ્યાન આપણા દેશમાં એક ત્રિકોણ રચાયો છે. એ ત્રિકોણ સ્વાર્થનો ત્રિકોણ છે. ત્રણેય એકબીજાનું ધ્યાન રાખે છે. એ ત્રિકોણ વિષે દાયકાઓ પહેલાથી ચેતવણી આપવામાં આવી રહી છે. એક સમયે કહેવામાં આવતું હતું કે કૉન્ગ્રેસ જશે એટલે ત્રિકોણ ભેદાશે અને અભય-કવચ તૂટશે. ૧૯૭૭માં કૉન્ગ્રેસ ગઈ હતી, ૧૯૮૯માં ગઈ હતી, ૧૯૯૬માં ગઈ હતી, ૧૯૯૮માં ગઈ હતી અને ૨૦૧૪થી કૉન્ગ્રેસ સત્તામાં નથી; પણ કવચ એવુંને એવું અકબંધ છે. એ પછી કહેવામાં આવ્યું કે દેશપ્રેમીઓ સત્તામાં આવશે તો આ કવચ ભેદાશે. આ દેશે બાર વરસ દેશપ્રેમીઓનું પણ શાસન જોયું છે; પણ કવચ ભેદાતું નથી. હું તો કહું છું કે વધારે મજબૂત બન્યું છે, કારણ કે દેશપ્રેમનો દુરુપયોગ કરવામાં આવે છે.

અહીં આપણે જે ચર્ચા કરી એ વ્યવસ્થાને ટકાવી રાખનારા બાહ્ય કવચની વાત કરી. તેના સ્વરૂપની વાત કરી. આવતા અઠવાડિયે વ્યવસ્થાના સ્વરૂપ વિષે વાત કરીશું જેને તોડવી અને સુધારવી જરૂરી છે. જરૂરી નહીં, અનિવાર્ય છે. પણ એ ત્યારે જ તૂટશે જ્યારે તેને સુરક્ષિત રાખનારું બાહ્ય કવચ તૂટશે. અને એ ત્યારે થશે જ્યારે આપણી આંખો પરના પડળ તૂટશે.

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 10 ઑક્ટોબર 2019

Loading

ચાલ સખી, પાંદડીમાં ઝાકળનાં ટીપાંની જેમ ફરી જિંદગીને મૂકીએ

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|10 October 2019

હૈયાને દરબાર

સ્ત્રી અને પુરુષનું સર્જન કરીને ઇશ્વરે કમાલ કરી છે. પતિ-પત્ની ઘર માંડે અને સ્નેહનું શિલ્પ રચાવા માંડે. પરંતુ, એ સ્નેહ ઘણીવાર ટૂંક સમયમાં જ સુકાવા લાગે છે. સંબંધની નાવ હાલકડોલક થવા માંડે ત્યારે જ ચેતી જઈને એને બચાવી લેવાની હોય છે. એ માટે સંબંધમાં બસ, તાજગી ઉમેરવાની હોય છે.

જિંદગી ફરી લીલીછમ કરવાની વાત કેવી નાજુકીથી આ ગીત ચાલ સખી…માં કવિએ કરી છે! કુદરતને અપાર ચાહનારા અને કુદરત વચ્ચે જ રહેવાનું પસંદ કરતા કવિ ધ્રુવ ભટ્ટ જુદી જુદી પંક્તિઓમાં કેવાં ટ્વીસ્ટ લાવે છે એ તો જુઓ! પહેલી પંક્તિમાં :

ચાલ સખી પાંદડીમાં ઝાકળનાં ટીપાંની જેમ ફરી જિંદગીને મૂકીએ …. કહેનાર કવિ અંતરામાં કહે છે, પાંદડીમાં ઝાકળનાં ટીપાંની જેમ ફરી ચાલ સખી જિંદગીને મૂકીએ … એ જ પંક્તિ છેલ્લે આ રીતે પ્રગટે છે કે ઝાકળશી જિંદગીને પાનની લીલાશ પરે, ચાલ સખી એક વાર મૂકીએ …!

અદ્ભુત અભિવ્યક્તિ! આ ગીત સંબંધોમાં, જિંદગીમાં લાગણીની ભીનાશ સીંચીને એને લીલીછમ બનાવવાની વાત વ્યક્ત કરે છે. છોડને ઉછેરવા જેમ ખાતર-પાણીની જરૂર પડે એમ સંબંધને ઉછેરવા, ટકાવવા અને મહેકતો રાખવા લાગણીરૂપી ખાતર-પાણીનું સિંચન કરતાં રહેવું પડે, સંબંધમાં તાજગી બરકરાર રાખવી પડે, મનગમતા સાથીને સમય આપવો પડે, એકબીજાંને ગમતાં રહેવું પડે. સુખ દુ:ખ ભરતી-ઓટ જેવાં છે. વેદના તો અડીખમ ઊભેલો કાંઠો છે, ઉછળતાં મોજાં એને કોતરતાં રહે પણ સુખ સાથે તો આપણો જળનો સંબંધ છે બસ, વહેતાં રહેવું, વહાવતાં રહેવું.

આ ગીતના રચયિતા ધ્રુવ ભટ્ટ ગુજરાતી ભાષાના અગ્રગણ્ય નવલકથાકાર-કવિ છે. એમની નવલકથાઓ ‘સમુદ્રાન્તિકે’, ‘તત્ત્વમસિ’ અને ‘અતરાપિ’ના વિવિધ ભાષાઓમાં અનુવાદ થયા છે અને તેમને વિવિધ એવોર્ડ મળ્યા છે. કવિતા સંગ્રહ ‘ગાય તેનાં ગીત’ને ગુજરાતી સાહિત્ય પરિષદનો એવોર્ડ મળ્યો છે.

ધ્રુવ ભટ્ટે આ ગીતના સંદર્ભમાં કહ્યું કે, "આ ગીત બહુ જૂનું છે. પહેલાં તો હું ગીત-કવિતાઓ જ લખતો હતો. નવલકથાઓ લખવાની પછી શરૂ કરી. આ ગીતમાં એક ઘરમાં સાથે રહેતાં પતિ-પત્નીની વાત છે, જેમનાં સંબંધો કાળની કેડીએ થોડા શુષ્ક થવા લાગે ત્યારે એમાં ભીનાશ, તાજગી ઉમેરવાની વાત છે. નાનકડી જિંદગીને તરબતર કરવાની છે.

માણસમાત્રની ઝંખના હોય છે કે તેની ગતિ તમસો મા જ્યોતિર્ગમય બને, જડતામાંથી લાગણીશીલતા તરફ આગળ વધે. કાર અને મોબાઈલનાં મોડલ બદલાય એમ માણસ સંબંધો પણ ફટાફટ બદલે છે, પણ એનું મન છેવટે તો ઝંખે છે ભીના, મઘમઘતા અતૂટ ભાવભર્યા સંબંધને! દૈહિક સુખને અતિક્રમીને એનું મન ઝંખે છે સાચા પ્રેમને! ફેસબુક અને વોટ્સ એપના સાંનિધ્યમાં જીવતો માણસ ક્યારેક તો ઝંખે છે સાંજના રતૂંબલ આકાશને! દરિયા પર અસ્તાચળના ઓળાની સાખે ઓતપ્રોત થઈ જવાની એષણા એનામાં જાગે છે. આધુનિકતા અને ભૌતિકવાદમાં સપડાયેલા મનુષ્યને સમય જ ક્યાં છે પત્નીના બે બોલ સાંભળવા કે સમજવા માટે? ટચ સ્ક્રીન ઉપર અટવાયેલા અને એનાથી જ ટેવાયેલા માનવીને સહજ સ્પર્શ ઝંકોરતો નથી એટલે જ કવિને પ્રશ્ન થાય કે ટેરવાનો સ્પર્શ એ એક શારીરિક ઘટના માત્ર છે કે લાગણીનો ઘૂઘવતો સમુદ્ર?

જિંદગી યંત્રવત્ બની ગઈ છે. વેદના, દુ:ખ, ચિંતામાં ઘેરાયેલો માણસ રાતોની રાતો ઊંઘી નથી શકતો. પણ સવારે એ કોઈક આશા સાથે જાગે છે. વેલની નાનકડી પાંદડી પર પડેલાં ઝાકળનાં ટીપાં જેવી આશા! ઝાકળનું ક્ષણિક જીવન પાંદડીની મૃદુતામાં, પાંદડીની લીલાશમાં સુરક્ષિત છે. પાંદડી પરથી ખરી પડતું ઝાકળ ધરતીની રુક્ષતામાં મૃત્યુ પામે છે. એમ જિંદગી પણ ક્ષણિક છે, નાજુક છે. એવી જિંદગીને ક્યાં મૂકીશું? સવારના એ દૃશ્યમાંથી જવાબ મળે છે કે ભીની ભીની, લીલી લીલી લાગણીઓમાં!

જિંદગીમાં વેદના, દુ:ખ તો અડીખમ ઊભાં હોય છે – જેમ કંઠાર એટલે કે સમુદ્રકિનારાનો પ્રદેશ ગમે તેટલી જુવાળ એટલે કે ભરતી આવે છતાં અડીખમ ઊભો છે તેમ! જિંદગીમાં આપણો સુખ સાથેનો સંબંધ આ દરિયાનાં પાણી જેવો છે. કાંઠા એટલે કે કંઠારરૂપી વેદનાને ઢાંકવા પાણી કાંઠા ઉપર ફરી વળે છે અને પળ બે પળમાં તો ઓસરી જાય છે! કિનારા ઉપરનું પાણીનું ફરી વળવું, ક્ષણમાં ઓસરી જવું; અને કિનારાનું અસ્તિત્વ તો ત્યાંનું ત્યાં જ – એમ ‘થોડુંક સુખ અને ઝાઝી વેદના’ આ ઘટનાક્રમમાંથી બહાર ત્યારે જ અવાય જ્યારે એ કિનારાને છોડીને છીપલાની હોડીને શઢથી શણગારી કાંઠો છોડીને સાથે મઝધારમાં ઝૂકવામાં આવે. એ મઝધારે જ્યાં જળરૂપી લાગણીઓની ભીનાશ છે, મઝધારમાં એકબીજાના સહારે સુખ-દુ:ખથી પર થઈ જવાની આ વાત છે! જિંદગી બહુ જ નાજુક છે, તે આ સુખ-દુ:ખની થપાટો સહન નથી કરી શકતી, એટલે ફરી પાછું, પાંદડી પર ઝાકળનાં ટીપાંને મૂકી આ જિંદગીને લીલી લીલી લાગણીઓમાં મૂકવાની ઝંખના જાગે છે. અને પછી તો યાદ આવે છે પ્રેમના એ શરૂઆતના દિવસો કે જ્યારે આજે આ પૂનમના ચાંદની ચાંદની સુંદર છે એવું આપણે ન’તા કહેતાં, પણ કહેતાં હતાં કે આ ચાંદ નથી પણ હું છું, અને આ ચાંદની નથી પણ તું છે! યાદ આવે છે એ દિવસો કે જ્યારે ચાંદનું ઊગવું અને ચાંદનીનું ફેલાવવું એ એક ઘટના નહીં પણ લાગણીસભર અભિવ્યક્તિ બની જતી હતી.

માણસ ક્યારેક દિશાભ્રમિત થઈ જાય છે, ક્યારેક ભૌતિકતાના પ્રવાહમાં તણાઈ જાય છે, વગર કારણે બિઝી થઈ જાય છે, સંજોગોને આધીન થઈ જાય છે, જીવનમાં રુક્ષતા આવી જાય ત્યારે પાંદડી પર પડેલાં ઝાકળ અને દરિયાની અગાધ જલરાશિમાં સમાયેલો ઈશ્વર ફરીથી આપણને એક ભાવમય જીવન જીવવાનો સંદેશ આપી જાય છે. આ સુંદર કાવ્યને વધારે જીવંત બનાવ્યું છે અમર ભટ્ટના મધુર અવાજ અને ક્ષેમુ દીવેટિયાના સંગીતે!

ક્ષેમુભાઈએ આ ગીતની દીર્ઘ પંક્તિઓ રાગ ચારૂકેશીમાં સ્વરબદ્ધ કરી છે ચારૂકેશીનો વિરહ ભાવ બહુ સરસ અહીં ઝિલાયો છે. શબ્દોને અનુરૂપ ગીત કમ્પોઝ થાય એ ખૂબ અગત્યનું છે. સજ્જ સંગીતકાર જ શબ્દોને ઉઘાડી આપે. મેલોડિયસ મેલડીના માલિક ક્ષેમુભાઈએ સ્વરબદ્ધ કરેલું કવિ ધ્રુવ ભટ્ટનું આ ગીત અમદાવાદમાં ‘સ્પંદન’ના જાહેર કાર્યક્રમમાં સૌપ્રથમ ૧૯૮૫માં અમર ભટ્ટે ગાયું હતું. એ પછી ક્ષેમુભાઈએ બહાર પાડેલી ‘સંગીત સુધા’ કેસેટ્સ-સીડીમાં અમર ભટ્ટના કંઠમાં જ રેકોર્ડ થયું હતું. આ ગીત વિશે અમર ભટ્ટ કહે છે, "ક્ષેમુભાઈએ મારા જેવા એ વખતે સાવ નવા ગાયક પાસે એ ગવડાવ્યું, ખૂબ લોકપ્રિય થયું. એમને યુવા ગાયકોમાં અપાર શ્રદ્ધા હતી. મારા દરેક કાર્યક્રમમાં આ ગીત ગાવાની ફરમાઈશ થાય છે જ. ગીતની લોકપ્રિયતાને લીધે મારી બહેન કહેતી હતી કે તારું નામ અમર ભટ્ટ નહીં પણ ’ચાલ સખી’ ભટ્ટ રાખવું જોઈએ.

બીજી એક વાત હળવી યાદ આવે છે. આ ગીતની પ્રથમ પંક્તિના શબ્દોમાં મારા એક વકીલ મિત્રને ‘જિંદગી નવેસરથી શરૂ કરવાની ઑફર’ દેખાયેલી. એણે કહેલું કે છૂટાછેડાના કેસોમાં સમાધાન માટે આ ગીત પક્ષકારોને સંભળાવો તો તરત સમાધાન થઇ જાય.

સાધારણ રીતે સ્થાયી/મુખડું મધ્ય સપ્તકમાં સ્વરબદ્ધ હોય અને અંતરા તાર સપ્તકમાં જાય. અહીં સ્થાયીની પ્રથમ પંક્તિ અને અંતરાની પ્રથમ પંક્તિ બંને તાર સપ્તકમાં છે. ચાલ સખી એ શબ્દોના સ્વરાંકનમાં નિમંત્રણ સંભળાશે ને એ બે શબ્દો વારંવાર ગણગણવા ગમે તેવું એમનું સ્વરાંકન છે. ધ્રુવ ભટ્ટના આ ગીતના શબ્દો લાજવાબ છે.

નીલા ટેલી ફિલ્મે ગુજરાતી સાહિત્યમાં એક આગવી શરૂઆત કરી છે. ધ્રુવ ગીત (Dhruv Geet) નામે યુટ્યૂબની ચેનલ ઉપર ધ્રુવ ભટ્ટનાં ‘ગાય તેનાં ગીત’ સંગ્રહની કવિતા, તેને અનુરૂપ વીડિયો સાથે મૂકવામાં આવે છે. આ ગીતો અનેકો સુધી પહોંચ્યાં છે. જાણીતા વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર કૌશિક ઘેલાણીએ આ વિશે જણાવ્યું, "ગુજરાતના નવા ઉદય પામતા ગાયકો અને સંગીત સર્જકોએ કરેલા સર્જન અને નવા કંઠની હલક ગુજરાતમાં ગુંજતી થઈ રહી છે.

નિશાળોથી માંડીને સંગીતના કાર્યક્રમોમાં ગવાતાં આ ગીતો અન્ય રાજ્યોમાં બિનગુજરાતીભાષીજનોના કંઠ સુધી પણ પહોંચ્યાં છે. ગામેગામથી તસવીરકારોએ પોતાના વીડિયોઝ ભેટ આપ્યા છે. ધરમપુરના યુવાનોની ટીમે વરસતા વરસાદમાં પહાડો ચડીને જંગલ અને ઝરણાં તો જાફરાબાદના ખારવા સમાજે સમુદ્રમાં ઉછળતાં વહાણોના વીડિયો અને ફોટા ત્યાંના તસવીરકારો પાસેથી લઈને મોકલાવ્યા છે. સુરત, કેશોદના અને મહુવાના તસવીરકારો કે અલગારી પક્ષીવિદો અને વાઈલ્ડલાઈફના નિવડેલા તસવીરકારોએ પોતાની કળા ‘ગાય તેનાં ગીત’ને ગીતોને શણગારવા ભેટ ધરી છે.

ગુજરાતી સાહિત્યને ચાહનાર ખૂણે ખૂણે છે એ વાત નીલા ટેલી ફિલ્મે ધ્રુવદાદાનાં ગીતો મૂકવાની શરૂઆત કરી ઉજાગર કરી છે. આ બાબતે યુવાનોના ચહીતા ધ્રુવદાદાએ કહ્યું કે યુવાનો સાહિત્ય સાથે જોડાયા તે એમની જીવંત સંવેદનાને આભારી છે.

ચાલ સખી સહિત ધ્રુવ ભટ્ટનાં ગીતો સાંભળીને યુવાનો સુધી પહોંચાડવાના એમના યજ્ઞમાં આપણે પણ આહુતિ આપીશુંને?

——————–

ચાલ સખી, પાંદડીમાં ઝાકળનાં ટીપાંની
જેમ ફરી જિંદગીને મૂકીએ,
ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય
કે લાગણી ગણાય એમ પૂછીએ.

વેદના તો અડીખમ ઊભો કંઠાર
જતાં આવતાં જુવાળ ભલે કોતરે,
સુખ સાથે આપણો તો જળનો સંબંધ
ક્યાંક રેતી ઢાંકે ને ક્યાંક ઓસરે.

છીપલાની હોડીને શઢથી શણગાર ચાલ
કાંઠો છોડીને હવે ઝૂકીએ,
પાંદડીમાં ઝાકળનાં ટીપાંની જેમ
ફરી ચાલ સખી જિંદગીને મૂકીએ.

ચાંદનીને ચાંદનીનું નામ ન’તા દે’તા
એ વાતો અકબંધ મને યાદ છે,
વૃક્ષ પછી ડાળ પછી પંખીનો માળો
ને ઉપર આકાશ જેવો સાદ છે.

મૂળમાંથી ફૂટે ને ટોચ લગી જાય
એવી લાગણીને કેમ રે ઉવેખીએ,
ઝાકળશી જિંદગીને પાનની લીલાશ પરે
ચાલ સખી એક વાર મૂકીએ.

• કવિ : ધ્રુવ ભટ્ટ  •  સ્વરકાર: ક્ષેમુ દીવેટિયા   •  ગાયક: અમર ભટ્ટ

http://tahuko.com/?p=650

https://www.youtube.com/watch?time_continue=7&v=SCtNDKddmDc

———————————

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 10 ઑક્ટોબર 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=590317

Loading

જિજ્ઞા વોરા : ક્રાઈમ રિપોર્ટર જ્યારે ખુદ ક્રિમિનલ બની ગઈ!

રાજ ગોસ્વામી|Opinion - Opinion|9 October 2019

પત્રકારોનું કામ સમાચાર આપવાનું હોય છે. એવા પત્રકારો બદનસીબ કહેવાય, જે સમાચાર આપતાં-આપતાં ખુદ સમાચાર બની જાય. જિજ્ઞા વોરા મુંબઈની આવી જ એક બદનસીબ પત્રકાર છે, જે અપરાધ જગતના સમાચારોનું રિપોર્ટીંગ કરતી હતી, અને એમાં ખુદ અપરાધી બનીને સમાચાર બની ગઈ! જે અદાલતમાં એ અપરાધીઓના ખટલાઓમાં હાજરી આપતી હતી, તે જ અદાલતમાં તે બીજા અપરાધીઓની માફક કઠેડામાં ઊભી રહેતી હતી. જે જેલમાં પહેલો દિવસ ગુજારનાર ચકચારી લોકોના જિજ્ઞા ઇન્ટરવ્યૂ કરતી હતી, એ જ જેલમાં જિજ્ઞા કેદી હતી. અને જે સાથી પત્રકારો સાથે જિજ્ઞા આ બધા સમાચારો કરવા જતી હતી, આજે એ જ પત્રકારો ‘અપરાધી’ જિજ્ઞાનો ઇન્ટરવ્યૂ કરે છે.

પત્રકાર તરીકે જેલમાં રિપોર્ટીંગ કરવા જવું અને એ જ જેલમાં અપરાધી તરીકે ૮ વર્ષ રહેવું, એ બંને બાબતમાં કેટલો ફર્ક છે, તે મુંબઈની એક સમયની ટોચની આ ક્રાઈમ રિપોર્ટર જિજ્ઞા વોરાને બહુ ખરાબ રીતે યાદ રહી ગયું છે. જે પોલીસ અને પત્રકારો સાથે તમારી ઊઠબેસ હોય, તે જ પોલીસ અને પત્રકારો તમને હત્યા કેસમાં જેલમાં મોકલવામાં ‘મદદ’ કરે, એવું ક્યા પત્રકારને સપનું આવે? જિજ્ઞા એટલે જ ન્યાય તંત્રનો ભરપૂર પાડ માને છે (“મને પોલીસ કે મીડિયા વિષે બોલતાં હજુ ય ડર લાગે છે,” એવું તેણે એક ટીવી ચેનલને કહ્યું હતું). મુંબઈ હાઇકોર્ટની મહેરબાનીથી જ જિજ્ઞા વોરા આજે મુંબઈના સૌથી સનસનીખેજ હત્યા-કેસમાંથી નિર્દોષ મુક્ત થઇ છે. એમાં એને ૮ વર્ષ લાગ્યાં. એ દરમિયાન એ મુંબઈની ભાઈખલા જેલમાં બંધ હતી. જેલનાં એ ૮ વર્ષનાં કારણે જિજ્ઞાની પારિવારિક અને વ્યવસાયિક જિંદગીના બધા અંકોડા વિરવિખેર થઈ ગયા હતા અને આજે એ એક એક ટુકડા ઊઠાવીને જિંદગીને સાંધી રહી છે.

જ્યોતિર્મોય ડે એટલે કે જે.ડે.ના નામથી જાણીતા મુંબઈના સાંધ્ય દૈનિક ‘મિડ-ડે’ના ૫૬ વર્ષીય વરિષ્ઠ ક્રાઈમ પત્રકારની ૧૧ જૂન, ૨૦૧૧ની દિવસે મુંબઈના પવઈ વિસ્તારમાં મોટરસાઈકલ પર આવેલા ૪ લોકોએ ગોળી મારીને હત્યા કરી હતી. મુંબઈના અપરાધ જગતમાં એક જાણીતા પત્રકારની હત્યા એ બહુ મોટી ઘટના હતી. એક મહિનાની અંદર મુંબઈ પોલીસે કેસ ઉકેલી નાખ્યાનો દાવો કર્યો. આ હત્યારાઓ માફિયા ડોન રાજન સદાશિવ નિખલજે ઉર્ફે છોટા રાજનના ભાડૂતી હતા.

રાજનને શંકા હતી કે જે.ડે. હરીફ ડોન દાઉદ ઈબ્રાહિમ વતી કામ કરે છે અને સમાચારો લખે છે. રાજને સતીશ કાલિયા નામના લોકલ ગુંડાને જે.ડે.નું કામ સોંપ્યું હતું. કાલિયાએ બીજા છ જણાને રોક્યા હતા. માત્ર કાલિયાને જ ખબર હતી કે જે.ડે. પત્રકાર છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આ સાતેની ધરપકડ કરી, પણ એમાં ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો, જ્યારે જાતીય સતામણી કેસોમાં બદનામ મોદી સરકારના એકવારના મંત્રી એમ.જે. અકબરે શરૂ કરેલા અંગ્રેજી સમાચારપત્ર ‘એશિયન એજ’ની ક્રાઈમ પત્રકાર જિજ્ઞા વોરાની ૨૫ નવેમ્બર, ૨૦૧૧ના રોજ ધરપકડ કરવામાં આવી. પોલીસનો દાવો હતો કે જિજ્ઞા રાજનના સંપર્કમાં હતી અને તેણે જ રાજનને જે.ડે.ની મોટરસાઇકલનો નંબર અને ઘરનું એડ્રેસ પૂરું પાડ્યું હતું. જિજ્ઞાને જે.ડે. સામે વ્યવસાયિક દુશ્મની હતી, પોલીસે કારણ આપ્યું.

જિજ્ઞા વોરા ગુજરાતી પરિવારની છે. મુંબઈની ડી.જી. રૂપારેલ કોલેજમાંથી લોમાં ગ્રેજ્યુએટ થઇ હતી અને કે.જે. સોમૈયા કોલેજમાંથી માસ કોમ્યુનિકેશન કર્યું હતું. એની પહેલી નોકરી ‘ફ્રી પ્રેસ જર્નલ’ સમાચારપત્રમાં હતી. તે પતિથી છૂટી પડી હતી અને માતા-પિતા અને દાદા-દાદી સાથે રહેતી હતી. તે ૩૦ વર્ષની હતી અને એક દીકરો હતો. એક ઈન્ટરવ્યુમાં જિજ્ઞા કહે છે, “મારું જીવન એની (દીકરાની) અને એનું જીવન મારી આસપાસ ફરતું હતું. સવારે એ સ્કૂલે જાય. સાડા અગિયારે હું એને લઇ આવું. પછી તૈયાર થઇને કોર્ટમાં જાઉં અને ઓફિસ જઈને સમાચાર લખું. ૯.૩૦ સુધી પછી આવી જાઉં, કારણ કે એ મારા વગર ખાય નહીં. દોસ્તો બનાવવાની ટાઈમ જ ક્યાં હતો? હું ન તો સ્મોક કરતી હતી, ન તો ડ્રીંક કરતી હતી. પાર્ટી પણ કોલેજના દોસ્તો સાથે કરતી. મારું સામાજિક જીવન સીમિત હતું. મીડિયામાં મારા વિષે બહુ આવ્યું. મારે અને જે.ડે.ને અફેર હતો. હું એનાથી પ્રેગ્નન્ટ થઇ હતી અને એણે જવાબદારી લેવાની ના પાડી દીધી હતી. મેં તો એમની સાથે કામ પણ કર્યું ન હતું. મારાથી ૨૦ વર્ષ સિનીયર હતા. શેની હરીફાઈ? હું છ વર્ષમાં સિનિયર પોઝીશન પર પહોંચી એમાં ય એવું લખાયું કે પથારીઓ ગરમ કરીને ઉપર ગઈ છું. તમે એકલા હો અને પ્રગતિ કરી હોય, તો આવું કરીને જ ને. “

જે.ડે.ની હત્યા થઇ ત્યારે જિજ્ઞા સિક્કિમ ફરવા ગઈ હતી. તેનો પણ એવો અર્થ કાઢવામાં આવ્યો કે એને ખબર હતી એટલે જે મુંબઈ બહાર જતી રહી હતી. હત્યાના બે મહિના પછી, ૩૧ ઓક્ટોબરે, મુંબઈને એક ટેબ્લોઈડ સમાચારપત્રમાં આખું પાનું ભરીને ‘સ્ટોરી’ આવી કે એક મહિલા પત્રકાર જે.ડે.ની હત્યામાં સામેલ છે. એમાં જિજ્ઞાનું નામ ન હતું. ૨૫ દિવસ પછી ક્રાઈમ બ્રાન્ચે સંગઠિત અપરાધ રોકવા માટેના જાલિમ મકોકા કાનૂન હેઠળ જિજ્ઞાની ધરપકડ કરી. ત્યારે તે ૩૭ વર્ષની હતી. “હું નિર્દોષ હતી એટલે અતિ-આત્મવિશ્વાસમાં હતી. એમાં જ હું ભરવાઈ ગઈ,” જિજ્ઞા કહે છે.

એને ભાઈખલાની મહિલા જેલમાં મોકલી દેવામાં આવી. નવ મહિના એ આ જેલમાં રહી. પછી સિંગલ માતા હોવાના આધાર પર તેને જામીન મળ્યા. એ દરમિયાન પહેલાં સી.બી.આઈ. કોર્ટ અને પછી ૨૭ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ મુંબઈ હાઈ કોર્ટે જિજ્ઞાને નિર્દોષ મુક્ત કરી. પોલીસે રાજન અને જિજ્ઞાના ફોન કોલ્સના આધારે અને મોટરસાઇકલનો નંબર અને ઘરનું એડ્રેસ પહોંચાડ્યાના આધારે જિજ્ઞાની ધરપકડ કરી હતી. પોલીસ કોર્ટમાં આ સાબિત ના કરી શકી. ફોન કોલ્સ અગાઉ એક ઇન્ટરવ્યૂ માટેના હતા. એમાં ક્યાંય જે.ડે.નો ઉલ્લેખ ન હતો. જિજ્ઞાના ઈમેલ અને સીમ કાર્ડ પરથી પણ એ સાબિત ના થયું કે મોટરસાઈકલનો નંબર અને ઘરનું એડ્રેસ જિજ્ઞાને મોકલાવ્યું હતું. દરમિયાનમાં રાજનની પણ ધરપકડ થઇ ચૂકી હતી અને તેને દિલ્હીની તિહાર જેલમાં રાખવામાં આવ્યો હતો. આ કેસમાં તેની ઊલટ તપાસ થઈ, તો તેણે પણ જિજ્ઞાની સંડોવણીની કોઈ વાત ના કરી.

પોલીસ અને મીડિયાએ તો એને કાતિલ બનાવી જ દીધી હતી, પણ ન્યાયિક ત્રાજવાના પ્રતાપે જિજ્ઞા વોરા આજે તમામ કલંકમાંથી મુક્ત બનીને જીવી રહી છે, પણ એમાં એનાં આઠ વર્ષ ગયાં છે, જે એની વ્યવસાયિક, માનસિક, પારિવારિક અને સામાજિક જિંદગીને તહસનહસ કરવા કાફી હતાં. જિજ્ઞાએ તેનાં આ આઠ વર્ષ અને ખાસ કરીને ભાઈખલા જેલમાં પસાર કરેલા મહિનાઓ પર એક પુસ્તક પણ લખ્યું છે : બિહાઇન્ડ ધ બાર્સ ઇન ભાઈખલા: માઈ ડેઝ ઇન પ્રિઝન.

આ પુસ્તક માટે મદદ કરનાર અને આ આઠ વર્ષ સુધી જિજ્ઞાની પડખે ઊભા રહેનાર તેના એડિટર હુસેન ઝૈદી કહે છે કે, “ઉત્તમ સ્ટોરીઓ લાવવાની તેની કુનેહમાં વધી પડતો આત્મવિશ્વાસ અને દુનિયા-જખ-મારે-છેનો તેનો સ્વભાવ તેને પત્રકાર જગતમાં અને પોલીસમાં નડી ગયો. છેવટે એમાં જ એનું પતન થયું.” મુંબઈનું ક્રાઈમ રિપોર્ટીંગ પુરુષના પ્રભુત્વવાળું છે. એમાં જિજ્ઞાએ જે સંપર્કો બનાવ્યા હતા, તે ભલભલાને ઈર્ષ્યા અપાવે તેવા હતા. આજે તેની કારકિર્દી પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. અપરાધના જગતમાં કેસ તો સોલ્વ થઇ જાય છે, પણ એમાં ઘણા લોકોના જીવનમાં ઘણી બાબતો સોલ્વ થતી નથી. જિજ્ઞા વોરા એમાંથી એક છે. આજે તે તેના પુસ્તકના પ્રમોશન, મેડિટેશન અને નાનાં-મોટાં કામમાં તૂટેલા તેરને સાંધી રહી છે.

જિજ્ઞા વોરા કહે છે, “એ જેલ હતી. એ ભયાનક જ હોય, પણ હું વગર કારણે જેલમાં હતી, તે વાત પચાવવી અઘરી હતી. એ તમામ મહિનાઓમાં એક દિવસ એવો ગયો ન હતો કે હું રડી ના હોઉં. એક દિવસ મારો દીકરો આવ્યો અને બોલ્યો કે તે મારા માટે પ્રાર્થના કરે છે, જેથી હું બહાર આવી જાઉં. એ દિવસે, મેં નક્કી કર્યું કે હું એના માટે થઈને મક્કમ મનની થઈશ. હું માત્ર તેને, મારા માતા-પિતા અને દાદા-દાદીને જ જવાબદેહ હતી. મને જેલમાંથી બહાર આવવાની બીક લગતી હતી કારણ કે હું અંડરવર્લ્ડની સ્ત્રી હતી, હત્યારણ હતી. અને ખબર ન હતી કે મારો પરિવાર તેમની વચ્ચે મારી હાજરીથી કેવી રીતે વર્તશે.”

જેલમાં ય આવું જ હતું ને. જેલના ‘પરિવાર’ને પણ જિજ્ઞાની હાજરી નડી હતી. તેના પુસ્તકમાંથી થોડા અંશ:

“સૂઈ જા ને, રાંડ,” એ બોલી “શું કરવા અમને હેરાન કરે છે?”

મેં ટચલી આંગળી ઊંચી કરીને બાથરૂમ જવું છે, એવું કહ્યું. પેલીએ મોઢું વાંકું કરીને ટોઇલેટ તરફ ઈશારો કર્યો.

પાણી ભરવાનાં ભૂરા રંગનાં ડ્રમની પાછળ ઇન્ટિયન સ્ટાઈલનાં ચાર ગંદા ટોઇલેટ હતાં. મેં શ્વાસ રોકી રાખ્યો. બારણું અડકાડીને હું બેઠી. મારું માથું અને અડધું શરીર બારણા બહાર દેખાતું હતું.

———————————————-

“તું જિજ્ઞા વોરા છે ને?” એણે શુદ્ધ અંગ્રેજીમાં પૂછ્યું.

એનો ટોન સાંભળીને મને ધ્રુજારી છૂટી અને મેં અચકાઈને કહ્યું, “ય-ય-યસ.”

પરોમીતાએ મારી આંખમાં ડોળા ઘાલીને મને માપતી હોય તેમ કહ્યું, “ડોન્ટ વરી. યુ વીલ બી ફાઈન.”

મેં રાહતનો શ્વાસ લીધો. એણે ઊંધા ફરીને બટાકાની કાતરીનું ઉઘાડું પેકેટ ઉપાડ્યું.

“ખા,” એ બોલી.

મને ખચકાટ થયો, પણ એના ડોળા જોઈને મેં એક કાતરી ઉઠાવીને મોઢામાં મૂકી.

“ચા?” એણે પૂછ્યું.

“ના,” મેં કહ્યું.

“ઓકે,” એ બોલી, “જા તારી જગ્યાએ.”

——————————————-

“તું પત્રકાર છે, નહીં?” એણે પૂછ્યું.

મેં માથું હલાવ્યું.

“તેં મર્ડર કર્યું છે?”

“ના,” હું એવી રીતે બોલી જાણે એ બહુ અગત્યનો જવાબ હતો. “ના,” મેં ભાર દઈને કહ્યું.

“મને ખબર છે,” એ બોલી, “તું સારી છું.”

મને ખબર ના પડી હું શું કહું.

“તને ભૂખ લાગી છે?” તેણે પૂછ્યું.

મેં માથું હલાવ્યું. એ મને જોઈ રહી અને ખિસ્સામાંથી સુકાયેલી બ્રેડનો ટુકડો કાઢ્યો.

“ખા,” એ બોલી, “ખાઈ લે.”

 https://www.facebook.com/permalink.php?story_fbid=2387771894884189&id=1379939932334062&__tn__=K-R 

Loading

...102030...2,6972,6982,6992,700...2,7102,7202,730...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved