Opinion Magazine
Number of visits: 9663923
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આખો દેશ કોન્ટ્રાક્ટ પર આપવાનો છે …?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|30 May 2025

રવીન્દ્ર પારેખ

એનો આનંદ છે કે ઓપરેશન સિંદૂરને કારણે આખો દેશ સિંદૂરિયો થઈ ગયો છે, પણ હવે આત્મ નિરીક્ષણ કરીને, વાસ્તવિક પરિસ્થિતિ કેવીક છે, તે જોવાની જરૂર છે. એવું નથી કે 11 વર્ષનાં ભા.જ.પ.નાં કાર્યકાળમાં કૈં થયું જ નથી. જનધન, આયુષ્યમાન, ઉજ્જવલા જેવી યોજનાઓ દ્વારા લોકકલ્યાણનાં કામ થયાં જ છે. મોદી સરકારનાં ત્રણ ત્રણ કાર્યકાળમાં સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક, તીન તલાકનો ગુનાહિત કૃત્યમાં સમાવેશ, મહિલા આરક્ષણ કાયદો, વકફ કાયદામાં સંશોધન, 370મી કલમની નાબૂદી  જેવાં ઘણાં કામ થયાં છે, તેની ના પાડી શકાશે નહીં. નોટબંધી, ન્યાયપાલિકામાં સુધાર, સ્માર્ટ સિટી એવમ્ આદર્શ ગ્રામ યોજના, નવી શિક્ષા નીતિનો અમલ- જેવામાં ધારી સફળતા મળી નથી, પણ 81.5 કરોડ જનતા સરકારની મફત અન્ન યોજનાથી ધરાયેલી છે તે પણ સ્વીકારવું ઘટે. પણ, દયનીય સ્થિતિ શિક્ષિતોની છે –

હજારો, લાખો રૂપિયા ખર્ચીને જે ભણી પરવાર્યા છે, તેમને માટે નોકરી નથી. જે છે તે હંગામી છે. 11 મહિનાના કોન્ટ્રાક્ટવાળી છે. એ નોકરી નથી, લાઇસન્સ છે જે રિન્યૂ કરાવતાં રહેવાનું છે. જે પ્રકારની મોંઘવારી છે, તેની સામે કોન્ટ્રાક્ટ નોકરીનો પગાર મશ્કરી જેવો છે. દેશ તો વર્લ્ડ ઇકોનોમીમાં જાપાનને પછાડીને ચોથા નંબરે પહોંચી ગયો છે ને કાલે ત્રીજા નંબરે પણ પહોંચશે, પણ એથી સામાન્ય નાગરિકનો દા’ડો વળ્યો છે કે કેમ તે જોવાનું રહે જ છે. વર્લ્ડ ઇકોનોમીમાં દેશ આગળ વધ્યો હોય ને આખો દેશ કોન્ટ્રાક્ટ નોકરી પર મુકાયો હોય તો, આનંદ કે ગૌરવ થાય એવું ઓછું જ છે.

મંત્રીઓના રસાલા પાછળ કોઈ કરકસર થતી ન હોય, ઉચ્ચ અધિકારીઓ કાયમીનો લાભ મેળવતા હોય, કારણ વગરનાં ઉજવણાંમાં કરોડોનો ધુમાડો થતો હોય ને શિક્ષિતોને કોન્ટ્રાક્ટ પર નોકરી દસ-વીસ હજારની આપતાં પણ હાથ ખેંચાતો હોય, તો સમાનતા અને સમભાવ પાયામાંથી નથી તે સ્વીકારવું પડે. વાત શિક્ષણ ક્ષેત્રની જ નથી, નોકરીનાં તમામ ક્ષેત્રોમાં આ હાલત છે. આ કરકસર નથી, કંજૂસાઈ છે. ક્યાંક વહીવટી વિવાદો પણ ભાગ ભજવે છે ને જગ્યાઓની મંજૂરી સરકારે આપી હોવા છતાં, ભરતી ઘોંચમાં પડે છે.

28 મે, 2025ના જ સમાચાર છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક સમયે વહીવટી કર્મચારીઓની સંખ્યા 500ની હતી, તે હવે 50 પર ઊતરી આવી છે. રાજ્ય સરકારે બબ્બે વખત મંજૂરી આપી હોવા છતાં, વહીવટી વિવાદોને કારણે ભરતી અટકી પડી છે. યુનિવર્સિટી દ્વારા ફરી ભરતીની દરખાસ્ત કરવામાં આવી છે ને કમાલ એ છે કે હવે ભરતી માટે મંજૂરી મળતી નથી. અત્યારે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર, સિસ્ટમ મેનેજર, મદદનીશ કુલસચિવ, પ્રકાશન અધિકારી … જેવી અનેક જગ્યાઓ ખાલી છે. આવતાં જૂનમાં વધુ કાયમી કર્મચારીઓ નિવૃત્ત થશે, એ સ્થિતિમાં નવી નિમણૂક થાય એ જરૂરી છે, પણ સરકાર બને ત્યાં સુધી નિમણૂક ન થઈ જાય એની કાળજી રાખે છે. ગુજરાતનું વિકાસ અને રોજગારીનું મોડેલ વાયદા અને ફાયદા પર નિર્ભર છે. સરકારી વિભાગોમાં, પોલીસ ખાતામાં, કોર્પોરેશનમાં, હેલ્થ સેક્શનમાં, એરપોર્ટ પર, પોસ્ટમાં જરૂર મુજબ કરાર આધારિત નોકરીઓ અપાય છે. સચિવાલયમાં ફેશન જરા જુદી છે, ત્યાં નિવૃત્ત અધિકારીને જ કોન્ટ્રાક્ટ પર રાખી લેવામાં આવે છે. એથી ડિપાર્ટમેન્ટને અનુભવી અધિકારી તો મળે જ છે, પણ નવી નિમણૂકનો અધિકાર આંચકી લેવાય છે. આપણે ત્યાં કોન્ટ્રાક્ટનું ગુજરાતી, શોષણ થાય છે, કારણ નજીવા પગારે માણસો રાખી લેવાતા પૈસાની બચત થાય છે ને પૂરું કામ ધાકધમકીથી લેવાતું રહે છે.

પેટ્રોલ કે પોકેટમની જેટલા ભાવમાં સરકાર અપેક્ષા રાખે છે કે કર્મચારી ઈમાનદારીથી નોકરી કરે ને પરિવારનું પેટ પાળે. એવા પાંચેક લાખથી વધુ કર્મચારીઓ હશે, જે દસેક હજારના પગારમાં કુટુંબનો નિર્વાહ કરવા વિવશ છે. એક ટ્રાફિક પોલીસ કે કોન્સ્ટેબલ દસેક હજારના કોન્ટ્રાક્ટ પર હોય ને તે કરપ્ટ હોય તો તેને માથે માછલાં ધોવાય છે. અહીં કરપ્શનનો બચાવ નથી, પણ ભૂખે ભજન કરાવવાની દાનત ખોરી છે. ટ્રાફિક પોલીસનો જ દાખલો લઈએ. સિગ્નલ પર ટાઢ-તડકા-વરસાદમાં ધુમાડા, ઘોંઘાટ અને લોકો સાથેની રકઝક વચ્ચે એ ઊભો હોય છે. નથી એને પીવાનાં પાણીની પૂરી સગવડ કે નથી હોતાં ટોઇલેટ-બાથરૂમનાં ઠેકાણાં. આવામાં ટૂંકા પગારમાં ઘર ચલાવવા, લાંચ માટે ક્યાં સુધી ન લલચાય તે પ્રશ્ન જ છે.

કોર્પોરેશન શાળાઓમાં જ નહીં, અન્ય વિભાગોમાં પણ 400-500ના રોજ પર રોજમદારો રાખે છે. તેમાં રજા હોય તો રોજ મળતો નથી. ઓછા પગારે કામચોરી કે લાંચ તરફ ખેંચાવાનું એવા કર્મચારીઓમાં સામાન્ય થઈ પડે છે. એની દાઝ ઘણી વખત સામાન્ય લોકો પર કઢાય છે ને વેઠવાનું એમને આવે છે, જેમનો કોઈ વાંક નથી. શિક્ષિતોને રોજગારી મળતી નથી, મળે છે તો પગાર ભીખ જેવો હોય છે ને કરપ્ટ નેતાઓ એ શિક્ષિત ભિખારીઓને ઈમાનદારી અને પ્રમાણિકતાનો ઉપદેશ આપતા રહે છે. દેખીતું છે કે કૂવામાં હોય તો હવાડામાં આવે. સરકાર, સાંસદો અને વિધાનસભ્યોને રાતોરાત પગાર અને ભથ્થાં તોતિંગ આપે છે, પણ નાના કર્મચારીઓને પગાર આપવામાં ગરીબ થઈ જાય છે. સરકારને પોતાને માટે ગરીબી નડતી નથી, ઉજવણાં કરવાં પણ તિજોરી ખુલ્લી રહે છે, પ્રજા પાસેથી ઠેર ઠેર ટેક્સ અનેક રીતે નીચોવાય છે, પણ પ્રજાને આપવાનું આવે છે, તો સંકોચાય છે.

સૌથી વધુ કંજૂસાઈ કદાચ શિક્ષણ વિભાગમાં ચાલે છે. એમાં મજૂરો રાખવા કરતાં માસ્તરો રાખવાનું સસ્તું પડે છે. તે તો દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી જ છે ! ભણાવવા સિવાયનાં બધાં કામ તેની પાસેથી કઢાવાય છે. તેને ભણાવવા દેવાતો નથી, પણ નેતાઓનાં ભાષણ માટે તે ભીડ એકઠી કરી આપે છે. રસીકરણ કે ટીકાકરણમાં, વસ્તી ગણતરીમાં, ચૂંટણી મથકોમાં, પ્રવેશોત્સવમાં, ગુણોત્સવમાં, કસોટીઓમાં, પરિપત્રોના જવાબો આપવામાં, ડેટા મોકલવામાં માસ્તર બહુ કિફાયતી છે. એ બધું તે વિદ્યા સહાયક, શિક્ષણ સહાયક, જ્ઞાન સહાયકની ટેગ નીચે ફિક્સ પગારમાં કરતો રહે છે. કાયમી શિક્ષક કરતાં તે વધારે વૈતરું કરે છે, પણ પગાર ત્રીજા ભાગનો જ મેળવતો હોય તો નવાઈ નહીં ! આટલું કરવામાં કસૂર થાય તો કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવામાં આફત આવી પડે છે. આને શોષણ કહેવાય એની ખબર સરકાર સિવાય બધાંને છે.

હેલ્થ, સફાઇ જેવાં ક્ષેત્રોમાં પણ મોટે ભાગનાં કામ કોન્ટ્રાક્ટ પર અપાય છે. સારું છે કે ડોકટરો કોન્ટ્રાક્ટ પર નથી રખાતા, નહિતર દવાનો ડૉક્ટર, ઇન્જેક્શનનો ડૉક્ટર, ઓપરેશનનો ડૉક્ટર .. 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર ફિક્સ પગારે રખાય એમ બને. સફાઇ કામદારોને પણ સમ ખાવા પૂરતો પગાર અપાય છે. આમ તો વિધાનસભા કે લોકસભા પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ પર જ ચાલે છે, પણ સફાઇ કામદાર કે શિક્ષકના કોન્ટ્રાક્ટમાં પાયાનો ફરક એ છે કે સફાઇ કામદારનો કોન્ટ્રાક્ટ પૂરો થતા તે ઘર ભેગો થાય છે ને સાંસદ કે વિધાનસભ્ય ટર્મ પૂરી થતાં પેન્શન અને અન્ય લાભો મેળવવા હકદાર બને છે. પેન્શન ને અન્ય નિવૃત્તિ લાભો ન આપવા પડે એટલે શિક્ષક કે સફાઇ કામદારને કોન્ટ્રાક્ટ પર રખાય છે. હલકું નામ હવાલદારનું એ ન્યાયે કોન્ટ્રાક્ટ પર રખાયેલાનો ભ્રષ્ટાચાર છાપે ચડે છે ને તે શિક્ષાને પાત્ર પણ ઠરે છે, જ્યારે કોર્પોરેટરો, વિધાનસભ્યો, સાંસદો અનેક કોન્ટ્રાકટોમાં કરોડોનાં ભ્રષ્ટાચાર કરે છે ને પકડાવાનું થાય તો એકાદ નાના માણસને વધેરીને દોષનો ટોપલો તેને માથે નાખી દેવાય છે.

કાયમી કમાય ને કોન્ટ્રાક્ટવાળો પસ્તાય – એ સ્થિતિ છે. એનું કોઈ બેલી નથી. એની ક્યાં ય રજૂઆત નથી. જો કે, સુપ્રીમ કોર્ટે આની નોંધ ગયા ફેબ્રુઆરીમાં જ લીધી છે. તેનું કહેવું છે કે ભારતીય શ્રમ કાયદો, કાયમી કામ હોય ત્યાં કોન્ટ્રાક્ટ પદ્ધતિની ફેવર નથી કરતો. કોન્ટ્રાક્ટ પદ્ધતિનો ઉપયોગ કર્મચારીનાં શોષણ માટે કે તેને લાભથી વંચિત કરવા ન કરી શકાય. કામચલાઉ ભરતીમાં પણ કર્મચારીઓ વર્ષો સુધી સેવાઓ આપતા હોય તો તેમનું યોગદાન કાયમીથી ઓછું ન અંકાવું જોઈએ – એવો ચુકાદો સુપ્રીમે આપ્યો છે. પણ સરકારને એ કોણ સમજાવે? તેણે કોન્ટ્રાક્ટ સિસ્ટમ દાખલ જ એટલે કરી છે કે વર્ષો સુધી હંગામી તરીકે સેવા આપી હોય, તો પણ તેને કાયમી કર્મચારીઓ જેવા અધિકારો ન મળે. આ બધી રીતે નિંદનીય છે. શિક્ષણનું કામ હંગામી ન હોય, તે નિરંતર ચાલતી પ્રક્રિયા છે. કેટલીક સરકારી ઓફિસોમાં કાયમી સેવાની ગરજ રહેતી જ હોય છે, ત્યાં કોન્ટ્રાક્ટ પર રખાતા કર્મચારીઓ કે અન્યત્ર એ રીતે રખાતા કર્મચારીઓ, શોષણને ઇરાદે રખાતા હોય તો તેનો સાર્વત્રિક વિરોધ થવો જોઈએ. કેટલાક લાલચુ અને કંજૂસોનું ચાલે તો તે રૂપિયો ય ઓછો લે એમ નથી, પણ ફાયદો થતો હોય તો આખો દેશ કોન્ટ્રાક્ટ પર ચલાવવા આપી દે એમ બને …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 30 મે 2025

Loading

બાપુની સેવાભાવના

નવીન ગાંધી|Gandhiana|29 May 2025

સ્નેહ અને કારુણ્ય વરસાવતાં બાપુનાં નેત્રોએ ઘણાંને મુગ્ધ કર્યાં છે. એમના જીવનમાં એક આકર્ષક તત્ત્વ હતું અને તે એમનું ‘અકોદ્ધેન જિને કોધ.’ અક્રોધથી ક્રોધને જીતવાની એમની શક્તિ અજબ હતી. પોતાની સામે ઊઠતા વિરોધનો તેઓ શાંતિથી અને વિશ્વાસપૂર્વક પ્રતિકાર કરતા.

કોઈકવાર વિરોધીઓ સામે કડક હાથે કામ લેવાનું પણ મિત્રો સૂચવતા. બાપુ શાંતિથી કહેતા : “મારા વિરોધીઓ પહેલાં હતા તેમ આજે પણ છે. છતાં મને તેએાના પ્રત્યે રોષ નથી આવ્યો. સ્વપ્નામાંયે મેં તેમનું ભૂંડું નથી ઈછ્યું. પરિણામે ઘણા વિરોધીઓ મિત્ર બન્યા છે. કોઈનો વિરોધ મારી સામે આજ લગી કામ નથી કરી શક્યો. ત્રણ વાર તો મારી જાત ઉપર ગયા (હુમલો કર્યો) છતાં હજુ લગી ઊભો છું. તેનો અર્થ એમ નથી કે વિરોધી કોઈ દહાડો પોતે ધારેલી સફળતા ન જ મેળવે. મેળવે કે ન મેળવે તેની મારે લેવા દેવા ન હોય; મારો ધર્મ તેમનું હિત ઈચ્છવાનો છે, અને પ્રસંગ આવ્યે તેમની સેવા કરવાનો છે. આ સિદ્ધાંતનો મેં યથાશક્તિ અમલ કર્યો છે. એ મારા સ્વભાવમાં રહેલી વસ્તુ છે એમ મારી માન્યતા છે. લાખો લોકો મારી પૂજા કરે છે ત્યારે મને થાક ચડે છે. કોઈ દહાડો એ પૂજામાં રસ આવ્યાનું કે તેથી તેને યોગ્ય છું એમ મને નથી ભાસ્યું; પણ મારી અયોગ્યતાનું ભાન રહ્યું છે. માનની ભૂખ મને કોઈ દિવસ રહી હોય એવું યાદ નથી. પણ કામની ભૂખ રહી છે. માન આપનારની પાસેથી કામ લેવા મથ્યો છું. તે નથી આપ્યું ત્યારે તેના માનથી હું ભાગ્યો છું. હું કૃતાર્થ તો ત્યારે થાઉં કે જ્યારે મારે જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચું.”

આશ્રમમાં પણ બાપુ બાળકો, યુવાનો તેમ જ મોટાઓ આવી ઉદારતા વિરોધીઓ સામે કેળવે એમ ઈચ્છતા.

આશ્રમમાં ભણતી એક બહેનને સંજોગવશાત્ ભાવનગર જવાનું થયું. બાપુના આશીર્વાદ મેળવવા જ્યારે તે બહેન વહેલી સવારે પહોંચી ત્યારે બાપુએ જોરથી ધબ્બો મારી પ્રેમલ હાસ્ય વેરી કહ્યું : ‘શરીરને લોખંડ જેવું’ બનાવી તારા અભ્યાસ સાથે ખાદીના પણ પ્રચાર કરજે.’ બહેને વચન આપ્યું અને બાપુની વિદાય લીધી.

થોડા દિવસ પછી એ બહેનનો બાપુ ઉપર લાંબો પત્ર આવ્યો. ખાદીની વાતો કરે તો આજુબાજુના પડોશીઓ એને ન અપનાવવા માટે કેવો લૂલો બચાવ કરે છે અને કેવી ગરમ ચર્ચા થાય છે તેનું એમાં વર્ણન હતું.

બાપુએ તે બહેનને લખ્યું : 

“જે બાઈની સાથે તેં ખાદીની વાત કરી તેઓની સાથે એક જ જાતનો વહેવાર હોય. એ જ વસ્તુનું વિનયપૂર્વક સિંચન કર્યા કરવું. બીજાઓનાં ઉદાહરણ આપવા. નિરાશ ન જ થવું ને તેઓની સેવાના પ્રસંગ શોધી લેવા. સેવા ને ખાદીને સંબંધ નથી છતાં સેવા પ્રેમ ઉત્પન્ન કરે છે ને જેની ઉપર પ્રેમ પેદા થાય તેની વાત વહેલી ગળે ઊતરે છે.”

સેવાનું કાર્ય અત્યંત મુશ્કેલીભર્યું હોય છે. એમાં ધીરજની પણ ઘણી જરૂર રહે છે. સેવાના કામમાં ઘણીવાર એવું બને છે કે જેઓની આપણે સેવા કરવા ઇચ્છીએ છીએ તેઓ અજ્ઞાનને કારણે અથવા ચાલી આવતા રીતરિવાજોને કારણે કે રહેણીકરણીને કારણે તેમ જ આળસ, મંદતા કે શિથિલતા લીધે આપણે તેઓને કેટલી ય સારી વસ્તુ કહીએ તોયે તેઓને એ વાત ગળે ઊતરતી નથી અને ઘણી વાર તેઓ સારી વસ્તુનો ૫ણ વિરોધ કરવા લાગી જાય છે. એવે સમયે આપણે બહુ ધીરજ ધરીને તેઓ પર જરાયે ગુસ્સે થયા વિના, બધો વિરોધ હસતે મુખે સહન કરીને તેઓની સાથે પ્રેમભાવથી વર્તવું જોઈએ. શુદ્ધ પ્રેમભાવ સામી વ્યક્તિના હૃદય પર અસર કર્યા વિના રહેતો જ નથી. અવશ્ય એ પ્રેમ બાહ્ય દેખાવ પૂરતો નહિ પણ હૃદયની સચ્ચાઈભર્યો હોવો જોઈએ. નિષ્કામ પ્રેમભાવે કરેલી સેવા જ શુભફળદાયી લાંબે ગાળે પણ બને જ છે. તેથી આપણામાં પ્રથમ પ્રેમભાવ અને તેમાંથી નીપજતો સેવાભાવ હોવો જરૂરી છે એમ બાપુ માનતા.

(આવા હતા બાપુ)
28 મે 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 326

Loading

લક્ષ્ય : સીમા પરના નહીં, નિરુદ્દેશે ભટકતા યુવાનના આંતરિક યુદ્ધની વાર્તા

રાજ ગોસ્વામી|Opinion - Opinion|29 May 2025

રાજ ગોસ્વામી

તાજેતરમાં, ભારત અને પાકિસ્તાન વચ્ચે ખૂંખાર લડાઈ થઇ અને પછી અમેરિકાની મધ્યસ્થીથી શસ્ત્ર-વિરામ થયો, તે દિવસે એક અનપેક્ષિત ઘટના બની હતી. ભારત અને પાકિસ્તાનના સેના અધિકારીઓ વચ્ચે સમજૂતી મુજબ તે દિવસે સાંજે પાંચ વાગ્યા પછી શસ્ત્રો મૌન થઇ જવાનાં હતાં. અર્થાત, બંને દેશો નિર્ધારિત સમય પછી સીમા પર એકબીજા વિરુદ્ધની તમામ કારવાઈ રોકી દેવાના હતા. 

પરંતુ તે જ રાતે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં તેની કારવાઈ ચાલુ રાખીને ભારતને આશ્ચર્ય અને આઘાતમાં નાખી દીધું હતું. લોકોમાં અને સરકારમાં બેઠેલા અમુક લોકોમાં ચિંતાની સાથે આક્રોશ પણ ફેલાઈ ગયો હતો. અચનાક એવું લાગવા માંડ્યું કે પાકિસ્તાન તેના વચનમાંથી ફરી ગયું છે. પરિસ્થિતિ ફરીથી અસ્થિર અને જોખમી થઇ ગઈ.

તે વખતે, સોશિયલ મીડિયા પર હિન્દી ફિલ્મ ‘લક્ષ્ય’નો એક સંવાદ બહુ વાઈરલ થયો હતો. જાણે કે એ કોઈ ભવિષ્યવાણી હતી. તેમાં સૂબેદાર મેજર પ્રિતમ સિંહનો કિરદાર નિભાવતા સ્વર્ગસ્થ અભિનેતા ઓમ પૂરી ફિલ્મના નાયક કરણ શેરગીલ(રિતિક રોશન)ને એક સલાહ આપે છે;

“મુજે ઉન લોગો કા તજુરબા હૈ. પાકિસ્તાની હારે તો પલટ કે એક બાર ફિર વાપસ આતા હૈ.  અગર જીત જાઓ તો ફૌરન લાપરવાહ મત હો જાના. મેરી બાત યાદ રખના.” કરણ કહે છે, “યાદ રખૂંગા.”

સોશિયલ મીડિયા પર આ ક્લિપ પોસ્ટ કરીને લોકોએ લખ્યું હતું કે લક્ષ્યમાં ઓમ પૂરીએ સાચું જ કહ્યું હતું, પાકિસ્તાનીઓનો ભરોસો કરવા જેવો નથી. એક યુઝર્સે લખ્યું હતું, “કેવું કહેવાય? ઓમ પૂરીએ વર્ષો પહેલાં આ દુષ્ટ લોકોના વ્યવહારની ભવિષ્યવાણી કરી હતી.”

ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષો પર બનેલી ફિલ્મોમાં ‘લક્ષ્ય’ (2004) એક સીમાચિહ્ન રૂપ ફિલ્મ છે. યુદ્ધ પર બનેલી બીજી ફિલ્મોમાં ‘લક્ષ્ય’ અલગ પડે છે. તે 1991ના આર્થિક સુધારા પછી જન્મેલી પેઢીની વાર્તા કહે છે. તમે એ ફિલ્મના મુખ્ય કિરદાર કરણ અને રોમિલા દત્તા(પ્રીતિ ઝિન્ટા)ને તે સમયના સોળથી વીસ વર્ષના યુવાનો સાથે સરળતાથી જોડી શકો છો. 

1991 પછી ભારતે દુનિયા માટે તેના દરવાજા ખુલ્લા મુક્યા તેના પગલે નોકરી, ધંધા અને શિક્ષણમાં ધરખમ ફેરફારો આવ્યા હતા, રોજગારી માટે નવાં ક્ષેત્રો ખુલ્લાં હતાં અને યુવાનો માટે ઉજ્જવળ ભવિષ્યની નવી તકો સામે આવી હતી.

તે સાથે જ યુવાનોમાં એક મૂંઝવણ પણ પેદા થઇ હતી; કેવી કેરિયર પસંદ કરવી? તેમના માટે શું બહેતર હશે? શેમાં ભવિષ્ય બનશે? એ મૂંઝવણમાં અનેક યુવાનો તેમના જીવન પથ અંગે નિર્ણય લઇ શક્યા નહોતા. 

દિલ્હીમાં ખાતા-પિતા સુખી ઘરના ફરજંદ કરણ પણ એવો જ યુવાન હતો. તેનું કોઈ લક્ષ્ય નહોતું. તે રખડી ખાતો હતો. તેની ગર્લફ્રેન્ડ રોમિલા, જે પત્રકાર બનવા માંગતી હતી (તેનું પાત્ર ટેલિવિઝન પત્રકાર બરખા દત્ત પરથી પ્રેરિત હતું), તેને જીવનનો ધ્યેય નક્કી કરવા સલાહ આપતી હોય છે.

અંતત: કરણ તેનાં માતા-પિતાની નારાજગી વચ્ચે કમ્બાઈન ડિફેન્સ સર્વિસ મારફતે ઇન્ડિયન મિલિટરી એકેડમી માટે પસંદ થાય છે. પરંતુ ત્યાંની શિસ્ત અને કઠોર ટ્રેનિંગથી તે હતાશ થઇ જાય છે અને ત્યાંથી નાસી આવે છે. 

તેનાં માતા-પિતા તેને પરિવારના ધંધામાં જોડાઈ જવાની સલાહ આપે છે, પરંતુ મહત્ત્વાકાંક્ષી રોમિલા તેની નાહિંમતથી નારાજ થઈને બ્રેક-અપ કરી નાખે છે. કરણ માટે તો હવે ના ઘરનો કે ન ઘાટનો જેવી સ્થિતિ સર્જાય છે. 

તે તેની ગર્લફ્રેન્ડને પછી લાવવા માટે કમર કસે છે. તે પાછો એકેડમીમાં જાય છે. ત્યાં તે હસતા મોઢે નાસી જવાની સજા સ્વીકારે છે. તે મન દઈને ભણે છે, તાલીમ મેળવે છે અને અંતે ગ્રેજ્યુએટ થઈને લેફ્ટનન્ટ તરીકે સેનામાં દાખલ થાય છે. એ જ વખતે કારગિલ યુદ્ધ આવી પડે છે. રોમિલા પત્રકાર તરીકે એ જ યુદ્ધ કવર કરવા આવે છે. કરણને તેનું લક્ષ્ય મળી ગયું હતું. તે એ યુદ્ધમાં જાનના જોખમે શુરવીરતાનું પ્રદર્શન કરે છે અને દેશનું, પરિવારનું અને રોમિલાનું માથું ગર્વથી ઊંચું કરે છે.

ફરહાન અખ્તરે આ ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. ત્રણ દોસ્તોના જીવનની આંટીઘૂંટીઓની વાર્તા કહેતી ‘દિલ ચાહતા હૈ’ની અપાર સફળતા પછી ફરહાન પર એક એવી જ સાર્થક ફિલ્મ આપવાનો ભાર હતો. ‘દિલ ચાહતા હૈ’માં બાહ્ય જીવનની વાત હતી. એટલે ફરહાને ‘લક્ષ્ય’ના મધ્યમથી એવા જ એક યુવાનના ભીતરી સંઘર્ષની વાત કહેવાનું નક્કી કર્યું હતું.

એક ઇન્ટરવ્યુમાં ફરહાન કહે છે, “મોટા થવાનો અર્થ એ પણ થતો હોય છે કે જીવનમાં શું કરવું તેની સમજ ન હોય. હું એવા ઘણા લોકોને જાણું છું હું પોતે એમાંથી પસાર થયો છું – તમારા જીવનનું લક્ષ્ય શોધવાનું હોય, ખુદને શોધવાના હોય. લક્ષ્યની સ્ક્રિપ્ટમાં મને એ જ વાત ગમી હતી – તે ખુદને તલાશવાની વાર્તા હતી.”

ફરહાનના પિતા જાવેદ અખ્તરે 18 વર્ષ પછી પટકથા લેખનમાં વાપસી કરી હતી. તેમણે કારગિલ યુદ્ધમ ભાગ લેનારા સૈનિક અધિકારીઓ સાથેની ચર્ચાના આધારે આ વાર્તા લખી હતી. અધિકારીઓએ ફરિયાદ કરી હતી કે સેનાને કારકિર્દી તરીકે પસંદ કરતા શિક્ષિત યુવાનોની સંખ્યા ઘટી રહી છે. જાવેદે તે વખતે ખાતરી આપી હતી કે તેઓ યુવાનો પ્રોત્સાહિત થાય તેવી એક ફિલ્મ લખશે.

તેમણે વિચાર કર્યો હતો કે યુવાનો સેનાને એક પસંદ નથી કરતા અને નવી પેઢીના છોકરાઓની જીવનના લક્ષ્યને લઈને શું સમસ્યા છે. તેમણે એક વાર્તા વિચારી હતી જેમાં એક યુવાન છોકરો સેનામાં એટલા માટે જોડાય છે કારણ કે તેના જીવનમાં કોઈ લક્ષ્ય નથી. અને એ પછી જ તેને તેનો અસલી મકસદ મળે છે, જેમાં તે હીરો તરીકે બહાર આવે છે.

ફરહાન કહે છે, “આ એક આઈડિયા હતો, પણ મને તેનું હાર્દ સ્પર્શી ગયું હતું. હું જ્યાં સુધી ફિલ્મો બનાવતો થયો ન હતો ત્યાં સુધી મને પણ એ ખબર નહોતી કે મારે જીવનમાં શું કરવું જોઈએ. અમે વાતચીત કરી અને પછી તેમણે (જાવેદે) આખો સ્ક્રિનપ્લે લખ્યો.”

‘લક્ષ્ય’ યુદ્ધની ફિલ્મ નથી. કારગિલનું યુદ્ધ તો ખાલી બેકગ્રાઉન્ડ છે. આ ફિલ્મ ખુદની તલાશ કરવા માટેનો, મહત્ત્વાકાંક્ષાને ઓળખવાનો અને જવાબદારીની ભાવનાને કેળવવાનો પ્રયાસ છે. ઘણા ખરા અંશે નવી પેઢીને આ ફિલ્મમાં ખુદનું પ્રતિબિંબ નજર આવ્યું હતું. જાવેદ અખ્તરે ફિલ્મના એક ગીતમાં આ વાતને ખૂબસુરતીથી પેશ કરી હતી :

અબ મુજકો યે કરના હૈ, અબ મુજે વો કરના હૈ

આખિર ક્યૂં મૈં ના જાનૂં, ક્યા હૈ કિ જો કરના હૈ

લગતા હૈ અબ જો સીધા કલ મુજે લગેગા ઊલટા

દેખો ના મૈં હું જૈસે બિલકુલ ઊલટા – પુલટા

બદલૂંગા મૈં અભી ક્યા 

મૈં એસા ક્યૂં હૂં, મૈં વેસા ક્યૂં હૂં

પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”;  28 મે 2025
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...268269270271...280290300...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved