Opinion Magazine
Number of visits: 9456467
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માંગને સે જો મૌત મિલ જાએ …

યશવન્ત મહેતા|Opinion - Opinion|30 January 2025

યશવંત મહેતા

ડિસેમ્બર ૨૦૨૪ની પ્રારંભિક તારીખોના ઘણા ચિંતાજનક સમાચારો વચ્ચે એક વિચારપ્રેરક સમાચાર છે. બ્રિટનની પાર્લામેન્ટે બહુમતીથી ઇચ્છા-મૃત્યુને કાનૂની મંજૂરી આપી છે. માણસ એ હદે બીમાર હોય કે મુંબઈની પેલી કમભાગી નર્સની જેમ દાયકાઓથી કોમામાં હોય કે એ હદે વૃદ્ધ હોય કે એને (અને સ્વજનોને પણ) લાગે કે “આ જીવન હવે લંબાવવું નિરર્થક અને પીડાદાયી છે” ત્યારે એ જીવનની સમાપ્તિ જ ઇચ્છનીય ગણાય.

આ જ દિવસોમાં ‘સદ્ભાવના સાધના’ સામયિકમાં વિસનગરના ડૉક્ટર દ્વારકાદાસ જોશીની જીવનકથામાં વાંચ્યું કે એમણે હવે આ જીવન લંબાવવું નિરર્થક છે એમ સમજીને ૯૪ વર્ષની વયે એક નિશ્ચિત તારીખથી ખાવાનું અને કેટલાક દિવસ પછી પાણી પીવાનું પણ બંધ કર્યું, અને એ રીતે પોતાનું સાર્થક જીવન સમાપ્ત કર્યું.

મારા સસરાજી, વૈદ્ય શાસ્ત્રી અમૃતલાલ કે. રાવળે પણ ૯૫ વર્ષની વયે એક માંદગી આવી એટલે દવા અને ખોરાક પાણી લેવાનું બંધ કર્યું હતું. માત્ર ને માત્ર ગંગાજળ લેતા. એ ખૂબ નિરાંતે અવસાન પામ્યા. સારું થયું કે ડૉ. જોશી અને દાદાજીને કાનૂને સતાવ્યા નહિ. બાકી હજુ હમણાં સુધી (૨૦૧૪ સુધી) આપણા દેશમાં બ્રિટિશ પ્રણાલિકાઓના કાનૂનોની બોલબાલા હતી.

ખ્રિસ્તીધર્મમાં વાસ્તવમાં ગર્ભપાત સહિત કોઈ પણ પ્રકારના જીવ-નિર્વાણને અપરાધ ગણવામાં આવતા. દેશના તત્કાલીન ફોજદારી કાનૂનની ૨૦૯ કે ૩૦૯ કે એવી કોઈ કલમ હેઠળ આપઘાતનો પ્રયાસ કરનારને એક વર્ષ સુધીની કેદની સજા અથવા દંડ અથવા કેદ અને દંડ, એ બંનેની સજા કરવાની જોગવાઈ હતી. આપઘાત આદરનાર અગર મરણ પામે તો તો છૂટી જાય, પરંતુ જીવી જાય તો જે યાતનામાંથી કે નાલેશીથી કે બદનામીથી બચવા માટે એ મરી જવા આતુર હોય તે તો ભોગવે જ, ઉપરાંત જેલ ભોગવે. કદાચ ૨૦૧૪માં ભારતની સંસદે આ કલમ રદ્દ કરી છે. હમણાં નવા બનેલા કાનૂનોમાં શી પરિસ્થિતિ છે એની ખબર નથી. એક જૂની કહેવત છે : માગ્યાં મૉત ન મળે ! અને જો માગ્યાં મૉત મળે તો ? લતા મંગેશકરે ગાયેલી એક ગઝલ જૂની પેઢીના નાગરિકોને તો ખૂબ યાદ હશે. નવી પેઢીમાંયે ઘણાંએ સાંભળી હશે :

“માંગનેસે જો મૌત મિલ જાતી તો

કૌન જીતા ઇસ જમાને મેં….”

જો માંગવાથી મૉત મળી જાય તો, આ જમાનામાં કોણ જીવવા માંગે ? સાસરિયાંના ત્રાસથી છૂટવા કોઈ યુવતી આપઘાત કરવા જાય પણ મરી ન શકે તો પોલીસ, વકીલ, અદાલત અને સમાજનો અમાનુષી ત્રાસ તો ચાલુ રહે.

આપઘાતનું આ એક પાસું છે. કોઈને આપઘાત માટે પ્રેરવા અથવા એની પાસે આપઘાત સિવાય કશો વિકલ્પ જ ન રહે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું એ બીજું પાસું છે. આ સંજોગોમાં તો, આપઘાતની ઘટનામાં વ્યક્તિ સફળ થાય કે નિષ્ફળ જાય એને આ પગલું ભરવા માટે મજબૂર કરનાર અપરાધી જ રહે છે. એટલે કે આપઘાત કરનાર માટે આપઘાત ગુનો ન ગણાય તો ય આપઘાતની પ્રેરણા આપનાર તો અપરાધી ઠરે છે.

આપઘાતની ઘટનાનાં બે અન્ય પાસાં પણ છે. એક : વ્યક્તિ સ્વયમેવ સ્વ-નાશનો માર્ગ શોધી લે તે એક પાસું છે. ઝેર ખાવું કે પીવું, ગળે ફાંસો ખાવો, અગ્નિસ્નાન કરવું, જળ સમાધિ લેવી, ટ્રેઈન જેવા વાહન હેઠળ કચડાઈ મરવું, બંદૂક-પિસ્તોલ હાથવગી હોય તો એની ગોળી પોતાની ખોપરીમાં કે છાતીમાં દાગવી વગેરે … વગેરે. એક રીત છે તેમાં પેટમાં પોતાની તલવાર ભોંકવી એ જાપાનની હારાકીરી નામની આપઘાતની રીત પણ આવી જાય છે. બીજી રીતે પોતાને મારી નાખવા માટે કોઈક અન્યને પ્રેરણા, ઉશ્કેરણી કરવી કે આજ્ઞા કરવી, આ બીજા પ્રકારે પોતાના જીવનનો અંત આણવાના પણ અનેકવિધ રસ્તા છે.

મધ્યયુગીન મૂલ્યોનું જ્યારે પ્રવર્તન હતું ત્યારે અગર પતિ દુ:શ્મનને હાથે હારે અને મરે એવું નિશ્ચિત જણાય ત્યારે પત્ની પોતાના પતિને વિનવતી કે મને મારી નાંખો ! મારી કાયા દુ:શ્મનને હાથ પડે અને એ કાયાને ચૂંથે એ અગાઉ જ મારા પ્રાણ હરી લો ! આ પ્રકારના વ્યક્તિગત  કિસ્સા પણ બનતા અને સામૂહિક પણ બનતા, રાજપૂત રાજાને અને એના સાથીઓને સંપૂર્ણ ખાતરી થઈ જાય કે હવે પોતાના નગરનું રક્ષણ થઈ શકે તેમ જ નથી અને રક્ષણની કોશિશ કરતાં કરતાં પોતે સૌ મરી પરવારવાના છે ત્યારે તેઓની પત્નીઓ એમને વિનતી કે અમને અગ્નિને હવાલે કરીને પછી કેસરિયાં કરો. અને સ્ત્રીઓ જ નહિ, પુરુષ લડવૈયાઓને પણ જ્યારે હાર અને બંધન નિશ્ચિત જણાય ત્યારે દુ:શ્મનને હાથ પડવું અને અપમાન સહેવું અને દુ:શ્મનને હાથ મરવું પસંદ નહિ કરતાં વીર યોદ્ધાઓ પોતાના સાથીના હાથે મરવાનું પસંદ કરતા.

મધ્યયુગની એકાદ વાર્તા અમે એવી પણ વાંચી છે કે જે દુ:શ્મન સામે પોતે હારી રહ્યા છે એ દુ:શ્મન એવી પ્રણાલિકા ધરાવે છે કે પોતે જેને મારે તેનું મસ્તક ભાલાની અણી પર ચડાવીને એનું ફૂલેકું ફેરવે છે ! આવા સંજોગોમાં હારનાર લડવૈયો પોતાના વફાદાર અનુચરને આજ્ઞા કરે કે મારું મસ્તક કાપીને તું દૂર દૂર નાસી જા ! ક્યાંક મસ્તકને અગ્નિદાન દઈ શકાય તો તેમ, નહિ તો એને નદીમાં પધરાવજે !

પતિને, સાથીને, અનુચરને આમ પ્રાણ હરવા અનુરોધ કરવા ઉપરાંત આ બીજા પ્રકારમાં તબીબને મારા પ્રાણ હરો એમ વિનવવાનો વિકલ્પ રહે છે. અલબત્ત, તબીબો-ડૉક્ટરો કોઈનો ય પ્રાણ જાય એમ ઇચ્છતા ન હોય, અને કોઈને આપઘાતમાં સહાય કરવાનું તો ન જ વિચારે. એક સર્વ સામાન્ય માન્યતા (અને આગ્રહ પણ) એ જ છે કે ડૉક્ટર તો પ્રાણ આપે, પ્રાણ લે નહિ. (ધંધાદારી દૃષ્ટિકોણથી જોઈએ તો ય, ડૉક્ટરને દર્દી જીવે અને દૂઝણી ગાયની જેમ ફી આપ્યા કરે એમાં રસ હોય. દર્દી મરે અને આવક ટળે એમાં રસ ન હોય).

પરંતુ ક્યારેક સ્થિતિ જ એવી આવે છે કે મૃત્યુ એ મુક્તિ સમાન હોય છે. કેન્સરના અંતિમ તબક્કાની વેદના ભોગવતી વ્યક્તિ કે અલ્ઝાઈમર ડિસીઝની તીવ્રતા જેવી અતિ દુ:ખદાયી સ્થિતિથી પીડાતી વ્યક્તિ માટે મૃત્યુ તો અસહ્ય વેદનામાંથી દયામય મુક્તિ ગણાય. આવી વ્યક્તિને મુક્તિ આપવાની ઘટનાને મર્સીકિલીંગ કે ઇચ્છામૃત્યુ કહે છે. આપઘાતના આ પ્રકારને કાયદેસર ગણવા માટેનો પણ એક ઠરાવ આપણી સંસદમાં છેક ૧૯૭૬માં રજૂ થયેલો, જો કે આ પદ્ધતિ અંગે સમાજમાં ડર પણ છે. કેટલાંક લોકો આ જોગવાઈનો આશરો લઈને અણગમતા પરિવારજનને પતાવી પણ દે !! ખાસ કરીને વૃદ્ધજનો માટે આ ડર સાચો પણ હોય.

મર્સી કિલિંગને બહાને માંદી વ્યક્તિઓ ભણી નિર્દયતાની આ પ્રકારની સંભાવના છતાં અમેરિકામાં અને બ્રિટનમાં પણ મર્સીકિલિંગને માન્યતા આપવાની માંગ વારંવાર ઊઠતી રહી છે અને વર્ષ ૨૦૦૦માં ઉત્તર યૂરોપના નાનકડા દેશ નેધરલેન્ડ–(હોલેન્ડ)ની સંસદે મર્સી કિલિંગનો ઠરાવ મંજૂર કર્યો છે, ઉત્તર યુરોપનો આ દેશ તેમ જ પડોશના નોર્વે અને સ્વીડન જેવા અન્ય દેશો ક્રાંતિકારી (અને જુનવાણીઓને હળાહળ ‘પાપ’ લાગે એવા) કાનૂનો માટે જાણીતા છે. પુરુષ-પુરુષ વચ્ચેના અને સ્ત્રી-સ્ત્રી વચ્ચેના લગ્નને કાયદેસરતા બક્ષનાર આ દેશો છે. ફિલ્મમાં, નાટકમાં જો કથાની આવશ્યકતા હોય તો નગ્નતાની છૂટ આપનાર આ દેશો છે. એવા એક દેશમાં ઇચ્છામૃત્યુને કાનૂની બનાવવામાં આવે એની નવાઈ નહિ.

અલબત્ત, આપઘાત સામેની દલીલો જેવી જ આ પ્રેરિત આપઘાત સામે પણ છે. ઘણાને મન આ જોગવાઈ (આપઘાતને અપરાધ નહિ ગણવાની જોગવાઈ) ધર્મ, માનવતા, તબીબી નૈતિકતા, કૌટુંબિક પ્રેમ, એ બધાની ઉપરવટ જતી જણાય છે. માનવી જેવા માનવીને જાતે મરવાનો અધિકાર આપવો અથવા એ કોમામાં હોય કે બેહોશ હોય તો એનાં સગાંને જો અધિકાર આપવો શું યોગ્ય છે ? માનવી બીમાર હોય એમાંથી પુન: સ્વસ્થ નહિ જ થઈ શકે એમ માની લેવામાં શું ડહાપણ છે ?

ઘણા સમય સુધી કોમામાં રહેનાર માનવી પુન: સભાન બન્યાનાં ઉદાહરણો શું નથી મળ્યાં ? કેટલાક વિચારકો વળી આવી જોગવાઈને મૃત્યુદંડ(કેપિટલ પનિશમેન્ટ)ના સંદર્ભમાં જોવા સૂચવે છે. ઇતિહાસ-પર્યંત એવાં અનેક ઉદાહરણ મળ્યાં છે કે માનવીને મૃત્યુદંડ અપાઈ જાય તે પછી નવા પુરાવા કે નવી માહિતી સૂચવે છે કે મરનારનો કશો દોષ નહોતો ! એ સંજોગોમાં મરનારને પાછાં આણી શકાતાં નથી. એવું જ કોમામાં સરી પડેલી વ્યક્તિને મરણ આપવાથી બની શકે ને ? આ કોમામાંથી ઊગરે એવું એના કેસ-પેપર્સ પરથી સીનીઅર ડૉક્ટર તારવે, પરંતુ ત્યાં સુધીમાં તો એની રાખ પણ ઊડી ચૂકી હોય ને !!

જો કે હોલેન્ડમાં વિચારસરણી જુદી છે. અમારી સામે જૂના આંકડા છે, એ મુજબ ૧૯૯૬થી ૨૦૦૦ સુધીનાં પાંચ વર્ષમાં ત્યાં ૨,૫૬૫ ઇચ્છા-મૃત્યુ (આપઘાત) યા દયામૃત્યુ (મર્સી કિલિંગ) થઈ ચૂક્યાં હતાં. અરે ત્યાંની સંસદે ૧૦૪ વિરુદ્ધ ૪૦ મતથી આપઘાત – દયામૃત્યુની છૂટ આપતો જે કાનૂન પસાર કર્યો છે એમાં ‘મારે મરવું છે’ એવું નક્કી કરવાનો અધિકાર ૧૬ વર્ષ કે તેથી વિશેષ વય ધરાવતી દરેક વ્યક્તિને આપ્યો છે !

હવે આપણે આ લેખનું શીર્ષક ફરી વાંચીએ : “માંગને સે જો મૌત મિલ જાએ ….” તો ગરીબ ભારતમાં કેટલાં લોકો જીવવાનું પસંદ કરે ! થઈને ચિંતા ! જી, હા, માગ્યાં મૉત મળવાની સંભાવના આપણા દેશમાં તો ગંભીર ચિંતા પ્રેરે છે. આપણા દેશમાં ભયાનક બેહાલીમાં જીવતી એટલી બધી વ્યક્તિઓ છે કે ઘણીબધી આપઘાત કોશિશો થશે. જે સફળ થશે તે તો પરવારી જશે. એમના પર કાનૂની કારવાઈ નહિ થાય. અરે બચી જશે એમના પર પણ કાનૂની કારવાઈ નહિ થાય.

પરંતુ લાખ ટકાનો સવાલ ઊભો જ રહેશે : એમની બેહાલીનું શું ? એટલું જ નહિ. અહીં આતવારે ને છાશવારે ત્રણ-પાંચ-સાત-નવ બચ્ચાં જણવાના અનુરોધ થયા કરે છે. બીજી બાજુ લસણ છસો રૂપિયે કિલો જેવી મોંઘવારી પ્રવર્તે છે. આ સંજોગોમાં આપઘાત કરવા કેટલાં પ્રેરાશે ?

વાસ્તવમાં આપઘાત અને દયા મૃત્યુ જેવા વિષયો વધારે ચિંતન માગી લે છે, જનજીવનની સ્થિતિ અંગે. એક એવી પરિસ્થિતિનું નિર્માણ થવું જોઈએ અને દેશની આર્થિક-સામાજિક, ધાર્મિક પરિસ્થિતિ એવી બનવી જોઈએ કે કોઈને ય આપઘાતનો વિચાર ન આવે. કોઈની ય સ્થિતિ એ હદે ન બગડે કે એને મરણ આપવું પડે.

ઋત – ૪૭/એ, નારાયણનગર, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭.
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 જાન્યુઆરી 2025; પૃ. 16-17

Loading

અંધારી રાતના મુસાફર

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|30 January 2025

ઇશાંત પોતાની મિટિંગ પતાવી કારમાં ઘરે જઈ રહ્યો હતો. આજે મિટિંગ લાંબી ચાલી હતી અને મિટિંગ પૂરી થયા પછી ડિનર હતું. આ બધું પૂરું થતાં થતાં રાતના અગિયાર વાગી ગયા અને ઘરે પહોંચતા એક વાગી જશે એવી ઇશાંતની ગણતરી હતી. ઇશાંતને જતાં સમયે તો સ્ટાફની કંપની હતી, પણ વળતા એકલાએ જ પાછા ફરવાનું હતું એટલે મસ્તીથી ગીતો સાંભળતો સાંભળતો, મોબાઇલ ઉપર વાત કરતો કરતો કાર ડ્રાઈવ કરી રહ્યો હતો. અચાનક તેને રોડના કિનારે દૂર કોઈ હાથથી હલાવી કાર રોકવાનું કહેતું હોય એમ લાગ્યું. ઇશાંતે કાર ધીમી કરી ઊભી રાખી તો એક ખૂબસુંદર, મદમસ્ત, યૌવનથી ભરપૂર અને ખુશ્બૂ ફેલાવતી યુવતી ઊભી હતી.

ઇશાંતે કાર ઊભી રાખી પૂછ્યું, “તમે કાર ઊભી રાખવા માટે જ હાથ હલાવતા હતાં?”

“હા, મારી કાર બગડી ગઈ છે, મારે વડોદરા જવું છે, કારમાં લિફ્ટ આપશો?” 

ઇશાંત યુવતીની મોહકતાથી મુગ્ધ થઈ ગયો હતો, ના, ન પાડી શક્યો. ઇશાંતે હાથથી કારમાં બેસવા કહ્યું, યુવતી આગળની સીટનો દરવાજો ખોલી બેસી ગઈ.

“આપનો ખૂબ ખૂબ આભાર.” 

“મારુ નામ ઇશાંત છે મારે પણ વડોદરા જ જવાનું છે. આપનું નામ?”

 “મારું નામ મેઘા શર્મા છે. હું ડૉક્ટર છું અને હું પણ એક સેમિનારમાં ગઈ હતી.”

“ઇશાંતજી, આગળ હાઈવે ઉપર હોટલ છે ત્યાં કોફી પીવાની ઈચ્છા છે, આપણે ત્યાં રોકાશું?” ઇશાંત ના, ન પાડી શક્યો, વચ્ચે મમ્મીનો ફોન પણ આવી ગયો, “બેટા બહુ મોડું થયું, ક્યાં છો?” “બસ, રસ્તામાં છું, આજે મિટિંગ બહુ લાંબી ચાલી અને રસ્તા ઉપર ટ્રાફિક છે એટલે ઘરે પહોંચતા મને વાર લાગશે. તમે ચિંતા ન કરતા.” મેઘાએ ઇશાંત સામે જોયું. મેઘા મંદ મંદ હસતી હતી એ ઇશાંતે જોયું.

“ઇશાંતજી, આગળ જતાં શર્મા ફાર્મહાઉસ આવશે ત્યાં રોડ ઉપર કાર ઊભી રાખજો, હું એ ફાર્મહાઉસમાં રહું છું. તમને અત્યારે ફાર્મહાઉસમાં આવવાનું આમંત્રણ આપત, પણ બહુ મોડું થયું છે અને તમારી મમ્મી ચિંતા કરતા હશે.” ઇશાંતે શર્મા ફાર્મહાઉસના બોર્ડ પાસે કાર ઊભી રાખી. મેઘા ઉતરી ગઈ. ઇશાંતે પાછળ ફરીને જોયું પણ મેઘા ન દેખાઈ, ઇશાંતે ધ્યાન આપ્યા વગર કાર દોડાવી મૂકી, કારણ કે તેને ખબર હતી મમ્મી જાગતી હશે અને ચિંતા પણ કરતી હશે.

ઇશાંતના મનમાંથી મેઘા ખસતી નહોતી. એની માદકતાએ તેને વિહવળ કરી દીધો હતો. મેઘાને મળવાની તીવ્રતા વધતી જતી હતી. અંતે નક્કી કયું મેઘા તો વડોદરા નજીકના શર્મા ફાર્મહાઉસમાં રહે છે, તો આજે જ મળી લઉં.

ઇશાંતે, મેઘાને ગઈકાલની રાત્રીએ જ્યાં ઉતારી હતી ત્યાં પહોંચ્યો, તો ત્યાં ફાર્મહાઉસ કે ફાર્મહાઉસનું બોર્ડ એવું કંઈ નહોતું, ખાલી ખેતર હતું. ઇશાંતને મનમાં થયું કે કદાચ કાલે રાતના હિસાબે મને ઠેકાણું બરોબર યાદ ન રહ્યું હોય, હશે! નસીબમાં હશે તો મેઘાની ફરી મુલાકાત થશે.

આજે પણ ઇશાંતને મિટિંગ પૂરી કરી મોડું નીકળવાનું થયું, અને એ જ જગ્યાએ ફરી મેઘાને ઊભેલી જોઈ. “અરે! તમે? હું તમને મળવા આવ્યો હતો પણ તમારું શર્મા ફાર્મહાઉસ મને ક્યાં ય ન મળ્યું.” 

“હું તો ત્યાં જ રહુ છું, કદાચ તમે ખોટું ઠેકાણું યાદ રાખ્યું હશે.”

“તમારી વાત બરોબર છે એવું બન્યું હશે, આજે ઠેકાણું બરોબર યાદ રાખી લઈશ.”

ઇશાંતે, મેઘાએ કહ્યું ત્યાં જ ઉતારી. આજે તેણે શર્મા ફાર્મહાઉસના બોર્ડને બદલે સામે દેખાતા ઓમ પેટ્રોલ પમ્પનું ઠેકાણું યાદ રાખી લીધું. આજે પણ મેઘા ઉતરી પણ પછી દેખાઈ નહીં. ઇશાંતને આ જરા અજુગતું લાગ્યું. ઇશાંતે નક્કી કર્યું કાલે અહીયાં આવી સાચી અને ચોક્કસ હકીકત જાણીશ.

ઇશાંતે ઓમ પેટ્રોલ પમ્પમાં જઈ પૂછ્યું, “આટલામાં ક્યાં ય શર્મા ફાર્મહાઉસ છે.”

“તમારે શું કામ છે? તમે કોણ છો?”

“મારે ડૉક્ટર મેઘા શર્માને મળવું છે.” 

પેટ્રોલ પમ્પનો માલિક ઇશાંત સામે જોઈ રહ્યો, “તમને કંઈક અનુભવ થયો લાગે છે?” ઇશાંતે બધી વાત કરી.

“અમને પણ ખબર નથી. બધાં વાત કરે છે કે વર્ષો પહેલાં અહીંયાં ક્યાંક શર્મા ફાર્મહાઉસ હતું અને તમારી જેવો અનુભવ ઘણાને થયો છે.”

“કેમ, બેટા ચિંતામાં છો? તબિયત તો સારી છે ને?” ઇશાંતે બધી વાત કરી.

“બેટા એવું તો ઘણી વખત બને છે એ વિશે ઝાઝું વિચારવાનું નહીં અને હવે પછી ધ્યાન રાખવાનું.”

“ભલે, મમ્મી.” ઇશાંતને કહેવાનું મન થયું, `મમ્મી` તું પણ જો એકવાર મેઘાને મળે તો ન ભૂલી શકે તો હું તો તેની માદકતા, મનને તરબોળ કરી દેતી ખુશ્બૂ કેમ ભૂલું! પણ મેઘાને ભૂલવી તો પડશે જ. પણ એ અંધારી રાતની મુસાફર તો યાદ રહેશે જ, કેમ ભૂલું એ માદક અનુભવને….

ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848@gmail.com 

Loading

આ મુદ્દે ભા.જ.પી. રાજ્યોનું મૌન મુખર અનુભવાઈ રહ્યું છે  

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|30 January 2025

શિક્ષણ

સૂચિત યુ.જી.સી. માર્ગદર્શિકા 

શિક્ષણ ક્ષેત્રે  સમવર્તી યાદીને ધોરણે વિશેષ વિચારણા જરૂરી છે અને  અધ્યાપક મંડળોએ  આનુષંગિક મુદ્દાઓની ચર્ચામાં વ્યાપક નાગરિક  સમાજને પણ સાંકળવાપણું છે 

પ્રકાશ ન. શાહ

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની ગાઇડલાઈન્સ (2025) કેન્દ્ર સરકારે જાહેર ચર્ચા માટે રમતી મૂકી પણ પ્રજાકીય સ્તરે, કંઈક અંશે ખુદ શૈક્ષણિક મંડળોમાં પણ તે અંગે વિચારવિનિમયની કોઈ હવા બની હોય એવું કશું કમનસીબે ખુલ્લાણમાં તો વરતાતું નથી. તેલંગણ, તામિલનાડુ અને કેરળમાંથી રાજ્ય સરકારો તરફથી સત્તાવાર ધોરણે જરૂર વિરોધલાગણી પ્રગટ થઈ છે, કેમ કે ભા.જ.પ.શાસિત સરકારોની જેમ એ ઓછેવત્તે અંશે ચૂપ રહેવા બંધાયેલ નથી. 

હાલનું યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન 1956ના કાયદાની અન્વયે રચાયેલું છે. એન.ડી.એ.-2 દરમિયાન કાયદો બદલવાની કોશિશ થઈ હતી પણ તે પડતો મૂકવાની ફરજ પડી હતી. હવે જરા જુદી રીતે કથિત ‘ગાઇડલાઇન્સ’ ઉર્ફે માર્ગદર્શિકાને ધોરણે સરકારે ફેરકોશિશ હાથ ધરી છે. 

1956ના કાયદા પૂર્વે, મૂળે તો, છેક 1946માં યુ.જી.સી. જેવી રચના જરૂર થઈ હતી પણ તે તો કેવળ ત્રણ કેન્દ્રીય યુનિવર્સિટીઓ – અલીગઢ, બનારસ, દિલ્હી – સંદર્ભે જ હતી. હાલ રાજ્યે રાજ્યે જે સેન્ટ્રલ યુનિવર્સિટીઓ છે તે બધી અલબત્ત કેન્દ્ર સરકારની સીધી પાંખ નીચે છે. પણ શિક્ષણ છેવટે તો રાજ્ય સરકારોનો વિષય છે. આ બંધારણીય વાસ્તવિકતા સ્વીકારી ભારત સરકારે સાતમા શિડ્યુલ અને 246મી કલમને અન્વયે શિક્ષણને ઉભયવર્તી અગર સમવર્તી કહેતાં કન્કરન્ટ લીસ્ટમાં સમાવેલ છે જેથી કેન્દ્ર સરકાર માટે સ્વાભાવિક જ સીધા પ્રવેશની બારી ખૂલી ગઈ છે. 

દેખીતી રીતે જ, સમવર્તી યાદીનો પૂરો લિહાજ કર્યા વિના કેન્દ્ર સરકાર એકપક્ષી ધોરણે આગળ જઈ શકે એવી આ શકયતા છે. પોતે આજે વિવિધ રાજ્યોમાં વ્યાપ્ત કેન્દ્રીય યુનિવર્સિટીઓ પર કેવી રીતે ભોગવી શકે, કંઈક એવી મંછા યુ.જી.સી. ગાડઇલાઇન્સ (2025)માં માલૂમ પડે છે. 

આજે યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરોની નિમણૂક પ્રમાણમાં સ્વતંત્ર સર્ચ કમિટી મારફતે પસંદગીને ધોરણે થઈ શકે (થાય જ એવું નહીં પણ થઈ શકે) એવી શક્યતા છે. ગુજરાતમાં રાજ્યપાલ ચાન્સેલર હોય એવું મોટા ભાગની યુનિવર્સિટીઓમાં છે. ગૂજરાત વિદ્યાપીઠ જેવામાં એવું અનિવાર્ય નહોતું, પણ ચોક્કસ દબાણ હેઠળ એણે રાજ્યપાલની ‘સ્વાયત્ત પસંદગી’ કરી એ વળી એક જુદો જ કિસ્સો છે. જેમ રાજ્યની સાહિત્ય અકાદમી તેમ આ પણ ‘ગુજરાત મોડેલ’નો એક ઓર નાદર નમૂનો છે.

જો કે, આ જ મોડેલ અન્વયે ગુજરાત સરકારે કાનૂની ફેરફાર કરી રાજ્યપાલને મુકાબલે વાઇસ ચાન્સેલરોની નિમણૂકમાં મંત્રીમંડળની ભૂમિકા વધારી દીધી છે. ભા.જ.પ. સરકારે આવો નિર્ણય કેમ કર્યો હશે, એનો જવાબ શોધવો સહેલ છે. જે દસકો કેન્દ્રમાં મનમોહનસિંહની સરકારનો હતો તેમાં યુનિવર્સિટી ક્ષેત્રે રાજ્યપાલની સત્તા ઘટાડી રાજ્યના મંત્રીમંડળની સત્તા વધારવી તે વ્યૂહાત્મક રીતે સલાહભર્યું લાગ્યું હશે. 

કેન્દ્રનું નેતૃત્વ આજે તત્કાલીન મુખ્ય મંત્રી પાસે જ છે, એ સંજોગોમાં વળી રાજ્યપાલોને આગળ કરવું સલાહભર્યું જણાયું હોય એ સ્વાભાવિક છે. પણ રાજકીય પેચપવિત્રાથી હટીને વિચારીએ તો પણ ચર્ચા માટે રમતી મુકાયેલ ગાઇડલાઇન્સ (2025) સામે રાજ્ય સરકારોની વિરોધલાગણી એ મુદ્દે ચોક્કસ હોઈ શકે કે સૂચિત ગાઇડલાઇન્સ મુજબ વાઇસ ચાન્સેલરોની નિમણૂકમાં રાજ્યપાલનો હિસ્સો સર્વાધિક મહત્ત્વનો હોઈ રાજ્યપાલ મારફતે કેન્દ્ર સરકાર સીધી ચિત્રમાં આવે છે અને એ રીતે આપણું સમવાયી માળખું કાગળ પર રહી એકતંત્રી વલણ ભણી ઢળે છે. હાલની કેન્દ્રસ્થ વિચારધારા ‘વન નેશન’ એ તરજ પર સર્વ ક્ષેત્રે ‘વન’-‘વન’ની રીતે વિચારવાની વરતાય છે એ લક્ષમાં લઈએ તો સઘળી યુનિવર્સિટીઓમાં રાજ્યપાલની ભૂમિકા વધારી દઈ કેન્દ્રની સીધી દરમિયાનગીરી શક્ય બને તે એના માનસિક ઢાંચા જો કે પણ બંધબેસતું આવે છે. 

સૂચિત ગાઇડલાઇન્સ મુજબનાં બીજાં ભયસ્થાનો વિશે ઝડપથી થોડી નુક્તેચીની કરી લઈએ તો ફંડિગ માટે કેન્દ્ર સરકાર પરનો આધાર, અંદાજપત્રમાં શિક્ષણખર્ચ પરનો કાપ, કંત્રાટી શિક્ષકોની બેંછૂટ ભરતી, શૈક્ષણિક ક્ષેત્રનાં નહીં એવા ઉદ્યોગકર્મી ને સરકારી વહીવટદારો માટે વાઇસ ચાન્સેલર તરીકે ખૂલતો રસ્તો, તરત સાંભળે છે. ગમે તેમ પણ વધુ ચર્ચા જરૂરી હતી અને છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 29 જાન્યુઆરી 2025

Loading

...102030...268269270271...280290300...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved