Opinion Magazine
Number of visits: 9576793
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી — 11

દીપક મહેતા|Opinion - Opinion|15 September 2019

છાપેલાં પાઠ્યપુસ્તકો આવ્યાં અંગ્રેજીમાંથી વિરામ ચિહ્નો લાવ્યાં

માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટનની શિક્ષણનીતિને સાથ અને સહકાર મળ્યો. બહુ ઓછા અભ્યાસીઓ પણ આજે જેમનું નામ જાણે છે, તે કેપ્ટન જ્યોર્જ રિસ્તો જર્વિસનો. તેમણે પહેલ કરીને પહેલવહેલાં ગુજરાતી-મરાઠી પાઠ્ય પુસ્તકો તૈયાર કર્યાં, કરાવ્યાં. કેપ્ટન જર્વિસનો જન્મ ૧૭૯૪ના ઓક્ટોબરની છઠ્ઠી તારીખે. વ્યવસાયે એન્જિનિયર. ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં નોકરી લઈને ૧૮૧૧ના સપ્ટેમ્બરની છઠ્ઠી તારીખે પહેલી વાર મુંબઈ આવ્યા. ૧૮૧૮માં પીંઢારા સામેની અંગ્રેજોની લડાઈમાં ભાગ લીધો. પછી ત્રણ મહિનાની રજા લઇ સ્વદેશ ગયા. ૧૮૨૨ના જાન્યુઆરીની ૨૮મીએ હિન્દુસ્તાન પાછા આવ્યા અને ચીફ એન્જિનિયરના મદદનીશ તરીકે નિમણૂક થઈ. મુખ્ય કામ બોમ્બે પ્રેસિડેન્સીમાં નવા બંધાતા રસ્તાઓ પર દેખરેખ રાખવાનું હતું. તેથી ગુજરાતી અને મરાઠીભાષી પ્રદેશોમાં સતત ફરવાનું થયું. એટલે એ બંને ભાષાઓથી સારા એવા માહિતગાર થયા. વળી દેશીઓના શિક્ષણ અંગે એલ્ફિન્સ્ટનની જેમ જર્વિસ પણ દૃઢપણે માનતા હતા કે શાલેય શિક્ષણ માટેનું માધ્યમ તો ગુજરાતી-મરાઠી જેવી ‘દેશી’ ભાષાઓ જ હોઈ શકે.

કેપ્ટન જર્વિસ

એટલે ધ નેટિવ સ્કૂલ એન્ડ સ્કૂલ બુક કમિટીના અંગ્રેજ સેક્રેટરીની જગ્યાએ કામ કરવા માટે એલ્ફિન્સ્ટને તેમની સેવા ઉછીની માગી લીધી. સોસાયટીના સેક્રેટરી તરીકે જર્વિસે ગુજરાતી-મરાઠી પાઠ્ય પુસ્તકો તૈયાર કર્યાં. તેમને નામે છપાયેલાં ઓછામાં ઓછાં ૧૫ ગુજરાતી અને ૧૩ મરાઠી પુસ્તકો અંગેની માહિતી આજે મળે છે. અલબત્ત, આમાંનાં ઘણાંખરાં પુસ્તકો અંગ્રેજી પાઠ્ય પુસ્તકોના અનુવાદ હતા. પણ જુદા જુદા વિષયો માટેની પરિભાષા આ બે ભાષાઓમાં નીપજાવવામાં જર્વિસનો મોટો ફાળો. અર્વાચીનોમાં આદ્ય કવિ નર્મદ તો તેનાથી પણ આગળ વધીને ગુજરાતી ગદ્યના જનકનું માન જર્વિસને આપે છે: “ગદ્યમાં લખેલું આપણી પાસે કંઈ નથી. ગદ્યમાં કાગળો લખાતા ને દરબારમાં કામ ચાલતાં. પણ તે કેવી રીતના હતા ને છે તે સહુને માલમ છે ને એ કંઈ ભાષા વિદ્યા ન કહેવાય. ભાષા વિદ્યાને જન્મ આપ્યાનું પ્રથમ માન જેરવીસને છે ને સને ૧૮૨૮ના વરસને ગુજરાતી ભાષા-વિદ્યાનો શક કહેવો જોઈએ, કે જે વરસથી ગદ્યમાં લખવાનું શરૂ થયું.” નર્મદ જર્વિસનાં નામ અને કામથી પરિચિત હતો કારણ તેના પિતા લાલશંકરે કેટલોક વખત જર્વિસના હાથ નીચે લહિયા તરીકે કામ કર્યું હતું. લાલશંકરે હાથે લખેલાં ઘણાં પુસ્તકો શીલાછાપ પદ્ધતિથી જાર્વિસની દેખરેખ નીચે છપાયાં હતાં.  

પાઠ્ય પુસ્તકો તૈયાર કરીને છપાવતાં જર્વિસને હાથે જાણ્યે અજાણ્યે એક મહત્ત્વનું કામ થયું. આજે આપણે ગુજરાતી લખવા-છાપવામાં જે વિરામ ચિહ્નો વાપરીએ છીએ તેમાંનું એક પણ ચિહ્ન સંસ્કૃત કે બીજી કોઈ ભારતીય ભાષામાં નહોતું. આ બધાં જ વિરામ ચિહ્નો આપણે અંગ્રેજીમાંથી ઉછીનાં લીધાં છે. જર્વિસે તૈયાર કરેલાં પાઠ્ય પુસ્તકોમાં પહેલી વાર અંગ્રેજીમાં વપરાતાં વિરામ ચિહ્નોનો ઉપયોગ ગુજરાતી છાપકામમાં થયો. તે અગાઉ પારસીઓએ અને પાદરીઓએ જે થોડાંક ગુજરાતી પુસ્તકો છાપ્યાં હતાં તેમાં વિરામ ચિહ્નો વપરાયાં નહોતાં.

કેપ્ટન  જર્વિસનું એક પુસ્તક શિક્ષામાલા

વખત જતાં જર્વિસ સરકારમાં જુદા જુદા મહત્ત્વના હોદ્દે નીમાયા હતા. ૧૮૨૩ના જુલાઈમાં બ્રિટીશ તેમ જ ‘દેશી’ વિદ્યાર્થીઓને એન્જિનિયરીંગનાં શિક્ષણ અને તાલીમ આપવા માટે સરકારના આદેશથી જર્વિસે ‘ગણિત શિલ્પ વિદ્યાલય’ની સ્થાપના કરી અને તેના સુપ્રિન્ટેન્ડન્ટ બન્યા. વિદ્યાલયની બે શાખાઓ હતી – એક સર્વેયર્સ અને બીજી બિલ્ડર્સ. બંનેમાં અંગ્રેજી ઉપરાંત ગુજરાતી-મરાઠીમાં શિક્ષણ અપાતું. તેમાં પહેલે વર્ષે ૭ ગુજરાતી છોકરાઓ ભણતા હતા, પણ વર્ષને અંતે પરીક્ષા લેવાઈ તેમાં પાસ થનાર છોકરાઓમાં એક પણ ગુજરાતીભાષી નહોતો. બીજે વર્ષે પણ આમ જ બન્યું. એટલે સરકારે જર્વિસ પાસે ખુલાસો મગાવ્યો. તેમણે આપેલો ખુલાસો ત્રીજા વર્ષના અહેવાલમાં જોવા મળે છે. આ સંસ્થામાં ભણતા છોકરાઓ પાસ થાય પછી તેમને સરકારમાં યોગ્ય નોકરી આપવાની ખાતરી અપાઈ હતી. તો બીજી બાજુ પાસ થયા પછી પોતે ઓછામાં ઓછાં પાંચ વર્ષ સરકારી નોકરી કરશે એવી લેખિત બાંહેધરી દરેક છોકરાએ દાખલ થતી વખતે જ આપવી પડતી. પણ ત્યાં જે શિક્ષણ અને તાલીમ મળતાં તેનો ઉપયોગ કરીને ખાનગી કામ કરીને સરકારી નોકરી કરતાં વધુ આવક મેળવી શકાતી. એટલે ગુજરાતી છોકરાઓ આખું વર્ષ ધ્યાન આપીને ખંતપૂર્વક ભણતા ખરા, પણ છેવટે પરીક્ષા ન આપતા અને ખાનગી ધંધો કે નોકરી કરતા!

કવિ  નર્મદના પિતા લાલશંકર દવે

લાલશંકરના હસ્તાક્ષરમાં છપાયેલા પુસ્તકનું એક પાનું 

પુસ્તકોની વાત થાળે પડી એટલે નવા શિક્ષકોની તાલીમ અને નિમણૂક અંગે સોસાયટી વધુ સક્રિય બની. ૧૮૨૬ના મે મહિનાની ૧૯મી તારીખે મરાઠી સ્કૂલોના શિક્ષકો માટે પહેલી વાર પરીક્ષા લેવાઈ તેમાં કુલ ૧૪ ઉમેદવારો પાસ થયા. તેમને પૂના, સતારા, ધારવાડ, અહમદ નગર, નાસિક અને ધૂળિયા ખાતે મોકલવામાં આવ્યા. તેવી જ રીતે ગુજરાતી શિક્ષકો માટેની પરીક્ષા તે જ વર્ષના ઓગસ્ટ મહિનાની ૧૪મી તારીખે લેવાઈ જેમાં કુલ ૧૦ ઉમેદવારો પાસ થયા. તેમાંથી દુર્ગારામ મંછારામ, પ્રાણશંકર ઉમાનાથ, હરિરામ દયાશંકર એ ત્રણને સુરત મોકલવામાં આવ્યા. તુલજારામ સુખરામ, ધનેશ્વર સદાનંદ, અને ગૌરીશંકર કૃપાશંકર એ ત્રણને અમદાવાદ મોકલવામાં આવ્યા. મુકુન્દરામ આશારામ અને હરહરરામ આશારામ એ બે ભાઈઓને ભરૂચ અને મયારામ જયશંકર અને લક્ષ્મીનારાયણ સેવકરામને ખેડા મોકલવામાં આવ્યા. આ દસ શિક્ષકોએ જે દસ નવી સ્કૂલ શરૂ કરી તે બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી ગુજરાતીભાષી વિસ્તારની પહેલી સ્કૂલો.

સોસાયટીના આરંભથી તેની સાથે અંગ્રેજ અધિકારીઓ સંકળાયેલા હતા જ, પણ સાથોસાથ ‘દેશીઓ’ પણ સંકળાયેલા હતા. સરકાર તેને આર્થિક મદદ પણ કરતી, પણ સોસાયટી એ સરકારી સંસ્થા નહોતી. આજની પરિભાષામાં કહેવું હોય તો એ પી.પી.પી. – પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ પ્રકારની વ્યવસ્થા હતી. પણ ૧૮૪૦ના એપ્રિલની પહેલી તારીખે મુંબઈ સરકારે ‘બોર્ડ ઓફ એજ્યુકેશન’ની સ્થાપના કરી અને તેના દ્વારા શિક્ષણ વ્યવસ્થા પોતાને હસ્તક લઇ લીધી. તેમાં પ્રમુખ ઉપરાંત સરકારે નીમેલા ત્રણ અંગ્રેજ સભ્યો અને સોસાયટી દ્વારા નિમાયેલા ત્રણ દેશી સભ્યો રહેશે એવું ઠરાવવામાં આવેલું. સોસાયટીની છેલ્લી મિટિંગમાં બે જ કામ કરવામાં આવ્યાં – બોર્ડ ઓફ એજ્યુકેશન માટે ત્રણ સભ્યોનાં નામ નક્કી કરવાનું અને સોસાયટીને વિખેરી નાખવાનું. સોસાયટીએ નીમેલા ત્રણ સભ્યો હતા — જગન્નાથ શંકરશેઠ, ફરામજી કાવસજી, અને મહમ્મદ ઇબ્રાહિમ મક્બા. લગભગ ૧૫ વર્ષના આયુષ્યમાં બોર્ડ ઓફ એજ્યુકેશને ઠીક ઠીક પ્રગતિ કરી. ૧૮૫૪-૫૫ના વર્ષને અંતે બોર્ડ દ્વારા કુલ ૧૯૪ વર્નાક્યુલર સ્કૂલો ચલાવાતી હતી. પણ પછી ૧૮૫૫માં  શિક્ષણની બધી જવાબદારી માટે મુંબઈ સરકારે ડિરેક્ટર ઓફ પબ્લિક ઇન્સ્ટ્રકશનનો હોદ્દો ઊભો કર્યો, અને તે સાથે બોર્ડ ઓફ એજ્યુકેશનની કામગીરીનો અંત આવ્યો. આઝાદી પછી ૧૯૫૧માં ડિરેક્ટર ઓફ પબ્લિક ઇન્સ્ટ્રકશનનું નામ બદલીને ડિરેક્ટર ઓફ એજ્યુકેશન, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ કરવામાં આવ્યું.

આપણે ત્યાં એક એવો ખ્યાલ પ્રવર્તે છે કે ૧૮૫૭માં મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના થઈ તે પછી જ ઉચ્ચ શિક્ષણની શરૂઆત થઈ. પણ હકીકતમાં આ યુનિવર્સિટીની સ્થાપના થઈ તે પહેલાં અસ્તિત્ત્વમાં આવેલી એલ્ફિન્સ્ટન કોલેજ દ્વારા બોમ્બે પ્રેસિડેન્સીમાં ઉચ્ચ શિક્ષણની શરૂઆત થઈ હતી. ૧૮૨૭ના નવેમ્બરની પહેલી તારીખે બોમ્બે પ્રેસિડેન્સીના ગવર્નરને પદેથી એલ્ફિન્સ્ટન નિવૃત્ત થયા. તેમની સ્મૃતિને કાયમ રાખવા માટે શું કરવું જોઈએ એ અંગે વિચારણા કરવા નાગરિકોની એક જાહેર સભા ૧૮૨૭ના ઓગસ્ટની ૨૮મી તારીખે મુંબઈમાં મળી. એલ્ફિન્સ્ટન પ્રોફેસરશીપ શરૂ કરવી એ ઉત્તમ રસ્તો છે એવું ઠરાવવામાં આવ્યું. તે માટે ‘દેશીઓ’ પાસેથી ફાળો ઉઘરાવવાનું પણ નક્કી થયું. કુલ રૂ. ૨,૨૬,૧૭૨નો ફાળો ભેગો થયો. અંગ્રેજી ભાષા-સાહિત્ય ઉપરાંત યુરોપનાં કળા, સાહિત્ય, વિજ્ઞાન વગેરે વિષયો શીખવી શકે એવા એક કે વધુ પ્રોફેસરોની પસંદગી એલ્ફિન્સ્ટન પોતે કરે એવી વિનંતી પણ સરકારને કરવામાં આવી. અલબત્ત, સરકાર સાથેની લખાપટ્ટીમાં ઘણો વખત ગયો. છેવટે ૧૮૩૫માં એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂશન(પછીથી કોલેજ)ની સ્થાપના થઇ શકી. પહેલા બે પ્રોફેસરો ઓર્લેબાર અને હાર્કનેસ મુંબઈ આવ્યા પછી ૧૮૩૬માં પહેલવહેલા વર્ગો શરૂ થયા. અલબત્ત, બીજી કોઈ જગ્યાની સગવડ થઈ ન હોવાથી એલ્ફિન્સ્ટન કોલેજની શરૂઆત મુંબઈના ટાઉન હોલના મકાનમાં થઈ હતી. મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના પછી ૧૮૬૦માં તેની સાથે આ કોલેજ સંલગ્ન થઈ હતી.

૧૯મી સદીમાં બોમ્બે પ્રેસિડેન્સીમાં અર્વાચીન શિક્ષણ પ્રણાલીનો પાયો નાખવામાં અને તેની ઈમારતનું ઘડતર અને ચણતર કરવામાં જો કોઈ એક વ્યક્તિએ સૌથી વધુ મહત્ત્વનો ફાળો આપ્યો હોય તો તે માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટને. તેઓ પ્રમુખ થયા તે પહેલાં સોસાયટીએ જે થોડી સ્કૂલો શરૂ કરી હતી તેને સ્થાનિક પાદરીઓની દેખરેખ નીચે મૂકી હતી. એલ્ફિન્સ્ટન ચતુર હતા, સુજાણ હતા. ધર્માન્તરની પ્રવૃત્તિને કારણે દેશી લોકો પાદરીઓ તરફ શંકાની નજરે જુએ છે એ તેઓ જાણતા હતા. એટલે તેમણે સોસાયટીની બધી સ્કૂલોને જે-તે પ્રદેશના કલેકટર કે જજની દેખરેખ નીચે મૂકી. એટલું જ નહિ, સોસાયટીની સ્કૂલોમાં કોઈ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપવું નહિ એમ ઠરાવ્યું. બીજું, શાલેય શિક્ષણ ગુજરાતી-મરાઠી વગેરે દેશી ભાષાઓમાં જ અપાવું જોઈએ એવો પોતાનો દૃઢ મત સાથી અમલદારોનો વિરોધ વહોરીને પણ અમલમાં મૂક્યો. અલબત્ત, સાથોસાથ તેમણે અંગ્રેજીના શિક્ષણ પર પણ ભાર મૂક્યો. આપણા દેશની શિક્ષણ વ્યવસ્થામાં જે કાંઈ ખામીઓ જણાય છે તેનો દોષ આજે પણ આપણે લોર્ડ મેકોલેને આપીએ છીએ. પણ મેકોલેની નીતિની અસર કલકત્તા અને મદ્રાસ પ્રેસિડેન્સીમાં અપાતા શિક્ષણ પર વધુ થઈ હતી. બોમ્બે પ્રેસિડેન્સીમાં એલ્ફિન્સ્ટનની સમન્વયકારક નીતિ વધુ પ્રભાવક બની હતી. બીજું એક નોંધપાત્ર પગલું પણ તેમણે લીધું હતું જે વિષે આજે ભાગ્યે જ કોઈ જાણે છે: તેઓ ગવર્નર બન્યા તે પહેલાં ગુજરાત પ્રદેશ માટેની અદાલત મુંબઈ ખાતે હતી, અને તેનું કામકાજ ફારસી ભાષામાં ચાલતું. એલ્ફિન્સ્ટને એ અદાલત સુરત ખસેડી અને તેનું કામકાજ ગુજરાતીમાં ચલાવવાનું ઠરાવ્યું. ત્રીજું, તેમણે ગુજરાતી-મરાઠીમાં નવાં પાઠ્ય પુસ્તકો તૈયાર કરવાના કામને ખૂબ મહત્ત્વ આપ્યું. અને ચોથું, શિક્ષકોની તાલીમ માટેની વ્યવસ્થા ઊભી કરી.

ટાઉન હોલ – ૧૯મી સદીમાં

૧૭૭૯માં જન્મ. ઇસ્ટ ઇન્ડિયા કંપનીની નોકરીમાં જોડાઈને ૧૭૯૬માં કલકત્તા આવ્યા. બીજાં કેટલાંક સ્થળોએ મહત્ત્વની કામગીરી બજાવ્યા પછી ૧૮૧૯ના નવેમ્બરની પહેલી તારીખે બોમ્બે પ્રેસિડેન્સીના ગવર્નર બન્યા અને ૧૮૨૭ના નવેમ્બરની પહેલી સુધી એ પદ પર રહ્યા. તે પછી લગભગ તરત સ્વદેશ જવા રવાના થયા અને બે વર્ષની મુસાફરી કર્યા પછી ૧૯૨૯માં સ્વદેશ પહોંચ્યા. એ પછી બે વખત હિન્દુસ્તાનના ગવર્નર જનરલના પદે તેમની નિમણૂક કરવાની દરખાસ્ત રજૂ થઈ હતી, પણ એ પદ સ્વીકારવાની તેમણે સંમતિ આપી નહોતી. કારણ? કારણ સ્વદેશ પાછા ફર્યા પછી તેઓ હિન્દુસ્તાનનો ઇતિહાસ લખી રહ્યા હતા અને તેનું લેખન પૂરું ન થાય ત્યાં સુધી બીજી કોઈ જવાબદારી સ્વીકારવા માગતા નહોતા. એ પુસ્તક ૧૮૪૧માં પ્રગટ થયું હતું. ૧૮૫૯ના નવેમ્બરની ૨૦મી તારીખે તેમનું અવસાન થયું. દેશી લોકોના શિક્ષણ ઉપર એલ્ફિન્સ્ટન કેટલો ભાર મૂકતા હતા એ એક પ્રસંગ પરથી જણાઈ આવે છે.

એક વખત તેઓ જિલ્લામાં તપાસ માટે ફરી રહ્યા હતા. એક લશ્કરી છાવણી પાસે તેમણે મુકામ કર્યો. તેઓ તંબુમાં એકલા બેઠા હતા. બાજુમાં ગુજરાતી-મરાઠી પુસ્તકોનો નાનો ઢગલો પડ્યો હતો. ફાનસના ઝાંખા અજવાળામાં તેઓ એક એક પુસ્તક હાથમાં લઈ ધ્યાનથી ઉથલાવતા હતા. ત્યાં એક લશ્કરી અફસર કર્નલ બ્રિગ્સ તેમને મળવા આવ્યા. પૂછ્યું: આવા ઝાંખા અજવાળામાં શું વાંચો છો, સાહેબ? જવાબ મળ્યો: દેશી ભાષાનાં પુસ્તકો. બ્રિગ્સે પૂછ્યું: પણ આ પુસ્તકોનો ઉપયોગ શો, સાહેબ? દેશીઓને ભણાવવા માટે. બ્રિગ્સ: પણ દેશીઓને ભણાવવા એટલે તો આપણે માટે અહીંથી સ્વદેશ પાછા જવાનો રસ્તો બાંધવો. ભણ્યાગણ્યા પછી એ લોકો આપણા તાબામાં થોડા જ રહેશે? એલ્ફિન્સ્ટન કહે: ભવિષ્યમાં જે થવાનું હશે તે થશે. પણ દેશીઓને ભણાવવા એ શાસક તરીકે આપણી ફરજ છે અને સાચો અંગ્રેજ કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની ફરજ બજાવવાનું ચૂકી શકે નહિ.

છાપેલાં પાઠ્યપુસ્તકો અને નવી નિશાળો વિશેની આજની વાત કવિ, વિવેચક, સાક્ષર નરસિંહરાવ દિવેટિયાના  એક શ્લોકથી પૂરી કરીએ:

આવી સર્વ વિદેશથી જ વસિયાં, વર્ષો ઘણાં વીતિયાં,
આખા ભારતવર્ષમાં પ્રસરીને ભાષા ઘણી જીતિયાં;
પામી સ્થાન રૂડું હવે સ્થિર થઇ સેના, ન તે છોડતી,
ગર્જાવો જ વિરામચિહ્નદળનો જે-જે-ધ્વનિ જોરથી!

e.mail : deepakbmehta@gmail.com

સૌજન્ય : “ગુજરાતી મિડ ડે”, 14 સપ્ટેમ્બર 2019

Loading

ફિલ્મ અભી બાકી હૈ?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 September 2019

ચૂંટણી-સન્મુખ ઝારખંડની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નમોએ રાંચીથી રણટંકાર કર્યો છે કે ભલા ચમરબંધીની શેહમાં આવ્યા વગર કાયદો કાયદાનું કામ કરશે. કોઈ પણ વ્યક્તિ આ દેશમાં પોતાને કાયદાથી ઉપર માનતી હશે તો તે ચલાવી લેવામાં નહીં આવે. દેખીતી રીતે જ, એમના ચિત્તમાં ચિદમ્બરમ્‌ પ્રકરણ હશે. બીજું પણ હશે. આક્રમક આશ્વસ્તતાથી એમણે ઉમેર્યું છે કે આ તો ટ્રેલર છે. ફિલ્મ હજુ બાકી છે.

નાગરિક છેડેથી આ ટ્રેલરનો ખરો ને પૂરો અહેસાસ અલબત્ત પેલા રણટંકારની મૂર્છા ને મોહનીને અતિક્રમીને મેળવવો રહે છે. આ જ ઝારખંડમાં, આ જ દિવસોમાં તરબેઝ અનસારીના સંભવિત હત્યારાઓ સામેના આરોપો જે ખરું જોતાં કળી જેવા હતા અને પોલીસ તપાસે જેની પાંખડીઓ ખૂલવી અપેક્ષિત હતી તે બચાડા પાકટ પાન પેઠે ખરી (ખડી) પડ્યા છે. એને જીવતો છોડવાનો નથી, એવો ચોખ્ખો સાદ સંભળાતો હોવાનું સાક્ષીએ કહ્યું છે. માથા પરની પ્રાણઘાતક બની શકતી ઈજા પણ નોંધાયેલી છે, પણ … અને પહેલુખાન તો ચર્ચામાં છે જ. પોલીસે એના હત્યારાઓ પરની ગુનાકલમોમાં અને કારવાઈમાં એવી કમાલ કરી કે પૂર્વે જેસિકા કેસ પર આબાદ ટિપ્પણી જે ફિલ્મ-શીર્ષક રૂપે આવી હતી તે સાચી પડીને રહી કે નો બડી કિલ્ડ જેસિકા. નો બડી કિલ્ડ પહેલુખાન.

ટ્રેલર કદાચ ફિલ્મ કરતાં લાંબું છે. ઉમાશંકરની લગરીક બેઅદબી લાગે તો પણ ‘માઈલોના માઈલ મારી અંદર’ તેમ ‘ફિલ્મોની ફિલ્મો મારી અંદર’ એવું કવિત ક્યારેક કોઈ ટ્રેલર લલકારવા લાગે તો નવાઈ નહીં. રાજસ્થાનમાં ભા.જ.પ. સરકાર હસ્તક પોલીસે નોંધેલ પહલુ કેસનો ચુકાદો કૉંગ્રેસ સરકારના વારામાં આવ્યો. ફરી તપાસ, ધોરણસર ને નવેસર, અલબત્ત અઘરી હોય જ. યસ, નો બડી કિલ્ડ જેસિકા.

પર્સનને લગભગ અનપર્સન, વ્યક્તિ ને લગભગ નહીંવ્યક્તિ કરવાની હદે જઈ શકતી રાજ્યસંસ્થા સામે લડવું તે પરચક્રમાં જ નહીં સ્વચક્રમાં પણ અનિવાર્ય બની રહે છે. સ્વરાજના ગાદીપતિઓ પણ સાંસ્થાનિક માનસ ધરાવતા હોય છે. આ સામ્રાજ્યશાહી સાંસ્થાનિક માનસના પ્રતિકાર અને સંસ્કરણના પ્રયાસો ભા.જ..પપૂર્વ ભારતમાં પણ થતા રહ્યા છે. કથિત નવો વિમર્શ અને નવું શાસન આ પ્રતિકાર અને સંસ્કરણની વારસાઈ આગે બઢાવવા અને કાલવવાને બદલે સામ્રાજ્યશાહી સાંસ્થાનિક માનસના દૃઢીકરણ અને વાજબીપણાનો વ્યાયામ કરતાં માલૂમ પડે છે.

આસામ મોરચે એન.આર.સી. જુઓ. કેટલી બધી સ્ત્રીઓ, કેમ કે એમની પાસે પિતૃપરંપરાનો રેકર્ડ નથી, આજની તારીખે અનપરસન સરખી અનવસ્થામાં છે. ૧૯૫૧ના રજિસ્ટરમાં એમનાં માતાપિતા નોંધાયેલાં હોય તો પણ અપેક્ષિત દસ્તાવેજોને અભાવે ૨૦૧૮-૧૯માં એ બચાડી માતાપિતા વગરની અને એથી ચોપડા બહાર હોઈ શકતી નકો નકો જિંદગી બસર કરવાને બંધાયેલી છે. એક રીતે, આ કિસ્સો નાગરિક ધોરણે એમનાં વણમર્યા મૃત્યુનો છે.

તંત્રમાં, શીર્ષ નેતૃત્વની કૃપાએ, આ બાબતે ખાસી કશી સંવેદના બલકે સમસંવેદના છે કે કેમ તે મર્યાદામાં રહીને કહીએ તો આપણે જાણતા નથી. પતીજ જ પડતી નથી. બે આઈ.એ.એસ. અધિકારીઓનાં રાજીનામાં વિકર્ણ પેઠે પડ્યા તેની સાનંદ, સાભાર નોંધ લઈએ. પણ આ રાજીનામાં જે છે તે કરતાં જે નથી એની આકરી ને અકારી ચમચમાટી જગવે છે. અહીં આ પૂર્વે અરુણ શૌરિની એક તીખી ટિપ્પણી સંભારવાનું બન્યું છે. કટોકટીરાજ વિશે જે.સી. શાહ પંચે જે વિક્રમ હેવાલ આપ્યો તે પછી શૌરિએ કહ્યું હતું કે આપણા આઈ.એ.એસ. અધિકારીઓની ક્લબનુમા મંડળીઓને આની ચર્ચા કરવાનું (અને અધિકારી તરીકે આપણે કેવા ‘રુલ ઑફ લૉ’થી ચાતરી ગયા હતા તે અંગે આત્મનિરીક્ષણ કરવાનું) કેમ સૂઝતું નથી. ખરું પૂછો તો ખરીદવેચાણ ભેલાણને ધોરણે વિશ્વાસમત ગુમાવતી અગર વિશ્વાસમત મેળવતી એમ જતીઆવતી સરકારો કરતાં નાગરિકના અવાજને જ્યાં સ્થાન નથી એવા તંત્ર સામે બે અધિકારીઓએ અંતરાત્માના સ્વાતંત્ર્યપૂર્વક ધરી દીધેલાં રાજીનામાં વધુ ભરીબંદૂક છે.

જે સામ્રાજ્યશાહી સાંસ્થાનિક માનસિકતા, ક્યાં ક્યાં દેખાય છે એ! પોતે જેને કબજે કરવાજોગ માને છે એ જે.એન.યુ.માં સરકારનીમ્યા દંડનાયક જેવા ચીઠ્ઠીચાકર વીસી પેલાં રોમિલા થાપર ને પ્રભાત પટનાયકની હેડીના એમરિટસ પ્રાધ્યાપકો પાસે એમના સી.વી. (શૈક્ષણિક સિદ્ધિઓની વહી) માગે છે. નિવૃત્ત થયે વરસોનાં વરસો વીતી ગયાં છે, તમારા નોકરિયાત નથી, એથી શું. વાત સાચી કે રોમિલા થાપરનાં કે પ્રભાત પટનાયકનાં અભ્યાસયુક્તો નિરીક્ષણો ને તારણો હાલના સત્તા-પ્રતિષ્ઠાનને સોરવાતાં નથી. (એમણે અગાઉના સત્તા-પ્રતિષ્ઠાન સામે પ્રશ્નો ઉઠાવવામાં સંકોચ નહોતો કર્યો એ વિગતની વી.સી.ને અને એમની પાછળનાં પરિબળોને ખબર હોવી જરૂરી નથી.) ધારો કે આ આરૂઢ અભ્યાસીઓના કેટલાંક અવલોકન આપણને ગ્રાહ્ય નથી, કેટલાંક નવા અભ્યાસો પછી કાળગ્રસ્ત માલૂમ પડે છે તો એ તો વિદ્યાસમાજમાં ધોરણસરની ખુલ્લી બહસ વાટે બહાર આણી શકાય છે. પણ તમે રોમિલા  કે પ્રભાતને અનપરસન ન કરી શકો ત્યારે પણ તેઓને પરસોના નોન ગ્રાટા કરીને શું સૂચવવા માંગો છો, એ સવાલ મિલિયન ડૉલરનો છે.

ગુજરાત હાઇકોર્ટમાંથી જસ્ટિસ કુરેશીને અન્ય રાજ્યમાં વડા ન્યાયમૂર્તિ તરીકે નહીં ખસેડવાની કે મદ્રાસ હાઇકોર્ટના વડા ન્યાયમૂર્તિ ટહેલરામાણીને મેઘાલયની નાની હાઈકોર્ટમાં ખસેડવાની ચેષ્ટાઓમાં કૉલેજિયમ ઉપરાંતનાં પરિબળો કામ નહીં કરતાં હોય એવું કહેવા માટેની નિશ્ચિંત પરિસ્થિતિ નથી તે નથી. આ ન્યાયમૂર્તિઓએ વર્તમાન સત્તા-પ્રતિષ્ઠાનને નહીં સોરવાતા ચુકાદાઓ આપ્યા છે એ કટુ એટલું જ કમનસીબ સત્ય છે.

પરસનને અનપરસન કરતી વ્યવસ્થા વેળાએ જો ન્યાયતંત્ર પરત્વે આશાભરી મીંટ નહીં માંડીએ તો ક્યાં માંડીશું. એ અમૂઝણને અકબંધ રાખી એકંદર અનવસ્થા સબબ એક પાયાનું નિરીક્ષણ (ખરું પૂછો તો આ સ્થાનેથી દોહરાવીને) રજૂ કરવું અનિવાર્ય અનુભવાય છે. શાસકીય નેતૃત્વને, સત્તાપક્ષને અને ભક્ત ભીડ અગર ટોળાને આ બધી વાતે કોઈ ખટકો જ કદાચ નથી. ન કરવાનું કરતી સરકારો પૂર્વે પણ હતી, પણ ત્યારે એમની પાસે આજની પેઠે વિચારધારાનું સૅન્ક્‌શન નહોતું. ‘સૈંયા ભયે કોતવાલ’ એ કહેતી જતીઆવતી સરકારોને પ્રતાપે સદાબહાર છે. પણ એમાં જ્યારે વિચારધારાકીય સૅન્ક્‌શન થકી નવલાં ને અદકાં ખાતરપાણી સિંચાય ત્યારે આખો મામલો બાગેબહાર પરિમાણ ધારણ કરે છે. ફિલ્મગર્ભા, ‘ફિલ્મોની ફિલ્મો મારી અંદર’ એવી ટ્રેલરકહાણી વચાળે જ્યાં વ્યક્તિ નહીંવ્યક્તિ બની શકે ત્યાં નાગરિકનો તો ક્લાસ જ ક્યાંથી હોવાનો હતો.

સપ્ટેમ્બર ૧૨, ૨૦૧૯

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2019; પૃ. 01-02

પ્ર.ન. શાહનું આ રેખાંકન અશોક અદેપાળને નામે જમે બોલે છે.

Loading

સંકડાતા ને સંકોચાતા દેશમાં

સલિલ ત્રિપાઠી|Opinion - Opinion|14 September 2019

ત્રણ દાયકા પહેલાં આસામમાં જ્યારે પરદેશીઓ સામે ચળવળ પૂરજોશમાં ચાલતી હતી, ત્યારે એ ચળવળનો મુખ્ય હેતુ એક હતો – આસામી પ્રજા ‘પર’દેશીઓની – ‘ઘૂસણખોરી’થી ત્રાસી ગઈ હતી. આસામી જનતાની અસ્વસ્થતા સ્વાર્થી કે ગેરવ્યાજબી નહોતી. એક તો પૂર્વ પાકિસ્તાન અને પછી બાંગ્લાદેશ અને બીજી બાજુ બંગાળના ભારતીય નાગરિકો મોટી સંખ્યામાં આસામમાં રહેવા માંડ્યા હતા – એમાંના કેટલાક નિર્વાસિત હતા, જ્યારે કેટલાક પૈસા કમાવા આવ્યા હતા – એમાંનાં ઘણા ભારતીય હતા, અને ઘણા બાંગ્લાદેશી કે બર્મીઝ પણ હોઈ શકે. પણ એને કારણે આસામી પ્રજાને ચિંતા થઈ હતી, કે પોતાના જ રાજ્યમાં પોતે લઘુમતી બની જાય. કોઈને ગતાગમ કે ખબર નહોતી કે કેટલા પરદેશીઓ આસામ આવ્યા હતા, અને એને જ કારણે સર્વોચ્ચ ન્યાયાલયે આદેશ આપ્યો કે નાગરિકોની એક રાષ્ટ્રીય રજિસ્ટ્રી બનાવવી. પણ માણસોની ગણના કરવી એ એક વાત છે; પણ ગણ્યા અને ભાગલા પડ્યા પછી શું કરવું, એ બીજો જ પ્રશ્ન છે.

રજિસ્ટ્રીનું કામ હવે પૂરું થયું છે અને ઓગણીસ લાખ લોકો પાસે એવા પૂરા દસ્તાવેજ નથી જેથી એ લોકો પુરવાર કરી શકે કે એ લોકો ભારતીય છે. આ આંકડો ધાર્યા કરતાં ઘણો નાનો નીકળ્યો. પહેલા તો અંદાજ હતો કે કદાચ એકાદ કરોડ લોકો પાસે દસ્તાવેજ નહીં હોય, અને આને લીધે સાંપ્રદાયિક તત્ત્વોને તો ઘી-કેળાં મળ્યાં! આવા પરિણામને લીધે આસામી પ્રજાને હૈયે કદાચ થોડી શાંતિ પડવી જોઈએ, પણ એનો અર્થ એમ નથી થતો કે લોકોની ચિંતા ઘટે કે દૂર થાય, કારણ કે સાંપ્રદાયિક તત્ત્વો તો ઢોલનગારા વગાડવા તત્પર તૈયાર છે.

ભારતીય જનતા પક્ષ માટે તો આસામની ચળવળ એક સુવર્ણી તક હતી, જેથી એ પોતાનું હિન્દુત્વ અભિયાન પૂર્વ ભારતમાં પ્રસરાવી શકે. પણ આખા રાજ્યમાં ત્રીસ ટકાને બદલે માત્ર છ-સાત ટકા લોકો જ દસ્તાવેજ વગરના નીકળ્યા. અને એમાંના ઘણા બધા તો હિન્દુ નીકળ્યા! સરકારી નિર્ણય સામે અપીલ તો થવાની જ, અને એ પછી કદાચ આ સંખ્યા હજુ ઘટવાની – તો આ બધા નાટકની શું ખરેખર જરૂર હતી?

આ દ્વિધાનું મૂળ કારણ છે કે જે ઉદ્દેશ આસામી પ્રજાનો છે અને ભા.જ.પા.નો છે, એ વચ્ચે ઘણો મહત્વનો ફરક છે. આસામની ચળવળનો પાયો ધાર્મિક નહોતો; ભાષા અને પ્રાંતના વ્યક્તિત્વ જાળવવા વિષે હતો. ન્યૂ યોર્ક રહીશ લેખક સુકેતુ મહેતાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું : “આસામની ચળવળનો ઉદ્દેશ આર્થિક અને સાંસ્કૃતિક છે અને એ વાત આપણે સમજવી જરૂરી છે. પણ એનો અર્થ એમ નથી કે ભારતની મુસ્લિમ પ્રજાને આપણે અલગ કરવી કે જુદી રીતે જોવી. જો ભારતની મુસ્લિમ પ્રજાને જુદી ગણીશું તો એ માંદગીમાંથી આપણે ક્યારે ય સાજા નહીં થઈએ.”

અગત્યની વાત તો એ છે, કે રજિસ્ટ્રી પ્રમાએ જે લોકો ‘પર’દેશી ગણાશે, એમનું ભવિષ્ય શું એ વિશે કોઈએ કંઈ પણ વિચાર નથી કર્યો. હદ પાર કરો એમને, એવું કેટલાક લોકોએ કહ્યું – પણ ક્યાં? કે એમને ભારતમાં જ જેલમાં રાખીશું? હદ પાર કરે તો પણ ક્યાં? બાંગ્લાદેશ શું એમને પોતાના દેશમાં આવવા દેશે? શું કામ? એ લોકો બાંગ્લાદેશી છે એનો શું પુરાવો? અને આવાં મોટાં પગલાંની અસર ભારતના બાંગલાદેશ જોડેના સંબંધ પર શું થશે, એનો કોઈએ પણ વિચાર કર્યો હતો?

એથી પણ મૂળભૂત પ્રશ્ન એ છે કે નાગરિકતાનો અર્થ શું? એ કઈ રીતે પૂરવાર કરી શકાય? કોઈ હિમાચલ પ્રદેશની મહિલા આસામ રહેતી હોય, એ કઈ રીતે પુરવાર કરી શકે એ ભારતીય છે? ક્યાંથી લાવે એ પુરાવા અને કઈ રીતે એ બતાવી આપે કે એ ભારતીય છે? એ દસ્તાવેજો મેળવવા જો એને હિમાચલ પ્રદેશ જવું પડે, તો એનો ખર્ચો કોણ આપશે? રજિસ્ટ્રીને કારણે આપણે જ એકબીજાને શંકાસ્પદ વ્યક્તિ સમજવા માંડ્યા છીએ, અને રજિસ્ટ્રી આપણા અસ્તિત્વની સાબિતી આપણી પાસે માંગે છે. આ તે કેવી રાજનીતિ? પ્રા. ચિન્મય તુમ્બેના નવા પુસ્તક(India Moving : A History of Migration)માં બતાવ્યું છે કે કરોડો લોકો એક રાજ્ય છોડી બીજા રાજ્યમાં રહેવા જતા હોય છે. આ નવી વાત નથી; વર્ષોથી એવું ચાલતું રહ્યું છે. એ સંખ્યા કદાચ અઢાર કરોડ જેવડી મોટી હોય. હવે તો દરેક રાજ્યને રજિસ્ટ્રી બનાવવી છે. એટલા બધા લોકો પુરાવા ક્યાંથી લાવશે?

હવે વિચાર કરો કોને માટે આ પ્રશ્ન અઘરો છે – ગરીબ, પીડિત, આશ્ચર્યચક્તિ અને ભયભીત પ્રજા માટે, જે લોકોને સત્તાધારી નેતાઓ, પોલીસ અને અધિકારીઓનો ડર હોય છે. એમાંના ઘણા હોય છે નિરક્ષર, ઘણા પાસે નથી હોતા દસ્તાવેજો. રજિસ્ટ્રીમાં ભરપૂર ખામીઓ છે. કેટલાક કુટુંબમાં અમુક કુટુંબીજનોને રજિસ્ટ્રીએ સ્વીકાર્યા છે, અને અમુકને નથી સ્વીકાર્યા થોડા એવા પણ કિસ્સા દેખાયા છે, જ્યાં ગભરાયેલી વ્યક્તિએ હતાશ થઈ આત્મહત્યા કરી હોય. કેટલાક લોકો તો અધિકારીઓથી એટલા બીતા હોય છે કે એમણે સરકારી પત્રવ્યવહારની અવગણના કરી છે, કારણ કે સરકારી અમલદારી ભાષામાં લખાયેલા પત્રો એમને નથી સમજાતા, અને એમના પૂરગ્રસ્ત નાના ગામડેથી ગુવાહાટી જવું, એનો ન એમને ખર્ચો પોસાય, ન એમને રસ્તો ખબર હોય.

આજકાલ ઘણાને રાષ્ટ્રવાદનું ઝનૂન ચડ્યું છે, પણ એનો અર્થ એવો તો નથી થતો ને કે દરિદ્ર પ્રજા દેશની સુરક્ષાને જોખમમાં મૂકે છે. તો ય આ રજિસ્ટ્રીના બલિ બન્યા છે દરિદ્ર લોકો. એમને આમજનતાથી જુદા રાખી સુરક્ષાને નામે વિભિન્ન ગણ્યા છે. એથી પ્રજા વ્યાકુળ થાય છે. ભા.જ.પા.ના નેતાઓ તો ઉપરાંત એમ કહે છે કે આ ઓગણીસ લાખમાં જે હિન્દુ હોય એમણે ચિંતા કરવાની જરૂર નથી. એનો અર્થ કે જે મુસ્લિમ હોય, તેમણે વ્યથિત રહેવું. એનો અર્થ એમ પણ થયો કે ભારતીય એટલે હિન્દુ અને હિન્દુ એટલે ભારતીય.

ભા.જ.પ.ના નેતાઓએ એમ પણ કહ્યું છે કે આપણા પાડોશના દેશમાંથી શીખ, જૈન, બૌદ્ધ અને હિન્દુ લોકો જો ભારત આવીને આશરો માંગશે તો એમનો તરત સ્વીકાર થશે. એટલે કે મુસ્લિમ નિર્વાસિતોને તાબડતોડ આશ્રય નહીં મળે. ભારતના બે નજીકના પાડોશી દેશ, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મુસ્લિમ પ્રજાની બહુમત છે. ત્યાંના વિકૃત રાજકારણને લીધે સરકારે બલુચી, અહમદી, અને શિયા પ્રજા (પાકિસ્તાનમાં) પર અથવા નાસ્તિક કે સમલૈંગિક લોકો (બાંગલાદેશમાં) પર ઘણા અત્યાચાર કર્યા છે. પણ એ લોકોને આશ્રય ન પણ મળે, કારણ કે ૨૦૧૪ પછી ભારતે પોતાની શરણાર્થી નીતિ બદલી છે.

આઝાદી વખતે દેશના ભાગલા તો પડ્યા, પણ ‘ટુ-નૅશન થીઅરી’ તો પાકિસ્તાનની નેતાઓએ ગજાવી હતી; ભારતના નેતાઓએ એનો સૈદ્ધાંતિક દૃષ્ટિએ વિરોધ કર્યો હતો, પણ વાસ્તવિકતા સ્વીકારી હતી. પણ આ બે દેશ કંઈ મુસ્લિમ પાકિસ્તાન અને હિન્દુ ભારત નહોતા; પણ મુસ્લિમ પાકિસ્તાન અને બિનસાંપ્રદાયિક, ધર્મનિરપેક્ષ ભારત હતા. ધાર્મિક ભેદભાવ તો મુસ્લિમ લીગનું ધ્યેય હતું.

ભારત તો એક મોટો દેશ હતો – માત્ર ક્ષેત્રફળની દૃષ્ટિએ નહીં. એ તો પ્રત્યેક વ્યક્તિ, જે પોતાને ભારતીય સમજે, એમનું નિવાસસ્થાન હતું. બાકી ભલેને જે હોય એનો ધર્મ, ભાષા, જાતિ કે જ્ઞાતિ, જો રજિસ્ટ્રી દેશભરમાં પ્રસરાવાઈ તો તો પાકિસ્તાનની વિચારસરણીનું ભારતમાં સમર્થન થયું કહેવાય, કે જ્યાં કોણે ક્યાં રહેવું, એ એક નાગરિકનો હક નથી, પણ સરકારે આપેલો વિશેષાધિકાર બની જાય છે.

શું હવે ભારતીય પ્રજાએ એવા તૂટેલા, ભાંગેલા, સાંકડા અને સંકોચાયેલા દેશમાં રહેવાનું છે?

E-mail : salil.tripathi@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2019; પૃ. 04-05

Loading

...102030...2,6862,6872,6882,689...2,7002,7102,720...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved