તાજેતરમાં તા. ૧૧-૦૯-૨૦૧૯, બુધવારની મોડી સાંજે ભાવનગરની શામળદાસ કૉલેજના પૂર્વ આચાર્ય તથા જાણીતા સાહિત્યકાર તખ્તસિંહ પરમાર સાહેબનું દુઃખદ અવસાન થયું. તા. ૧૨ના રોજ અંતિમ વિધિ તથા તા. ૧૪ તથા તા. ૧૫ના રોજ અનુક્રમે દક્ષિણામૂર્તિ પટાંગણમાં અને શિશુવિહાર સંસ્થામાં પ્રાર્થના સભા અને વિવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ભાવાંજલિ સભાઓ થઈ જેમાં ભરપૂર પ્રેમ આપનાર પરમારસાહેબને ચાહકોએ એટલો જ પ્રેમ ભાવાંજલિરૂપે વરસાવ્યો.
પરમારસાહેબનો જન્મ તા. ૦૯-૧૧-૧૯૧૯. આ વર્ષ ભાવનગરનું સાહિત્યજગત પરમાર સાહેબના શતાબ્દીવર્ષ તરીકે વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવતું હતું. રૂબરૂ વ્યક્તિગત તેમ સમૂહમાં તેમના ઘેર જઈને પ્રેમાલાપ-કાવ્યાલાપ કરવાનું ચાહકો દ્વારા થતું રહ્યું હતું, જેની છબિઓ ફેસબુક મારફત સાહિત્યરસિકો તથા ફેસબુકમિત્રો વચ્ચે મૂકાતી રહેતી હતી અને તે નિમિત્તે વ્યાપક વંદના થતી રહી હતી. ૧૦૦ વર્ષ પૂરાં થવામાં બે મહિના બાકી રહ્યા હતા અને પરમાર સાહેબ ‘રનઆઉટ’ થયા. આ ભાષા પ્રયોજવાનું કારણ એટલું જ કે સાહેબ ક્રિકેટની રમતના પરમ ચાહક, ઉપાસક, આરાધક રહ્યા. યુવાનીમાં ક્રિકેટ રમતા, ગૃહપતિ તરીકે તેમ અધ્યાપક તરીકે તેમ કુટુંબના વડીલ તરીકે બાળકો, કિશોરો, કુમારો, યુવકોને ક્રિકેટ રમવા પ્રતિ પ્રેરતા, પ્રોત્સાહિત કરતા. ઉત્તરાવસ્થામાં કાન અને આંખની મર્યાદાઓ ઊભી થતાં અન્ય પ્રવૃત્તિઓ તેમ સુટેવો અંગે સંયમ કેળવવો પડ્યો ત્યારે ય ટ્રાન્ઝિસ્ટર રેડિયો સતત બાજુમાં રાખીને, સંભળાય તેવી ઉપકરણ સુવિધા ઊભી કરીને, ક્રિકેટ મેચોની કોમેન્ટરી સાંભળવાનું સુખ તેમણે ભોગવ્યું હતું.
ઉમાશંકર જોશી જોડે તખ્તસિંહજી પરમાર
પરમારસાહેબનો કાવ્યપાઠ સાંભળવાનો શોખ, ઉમંગ પણ નોંધપાત્ર. તેમની વિશેષતાઓ એ હતી કે ‘ફૂટતી પાંખોનો પહેલો ફફડાટ’ પારખીને સર્જક ચેતનાને સંકોરવાનું કામ એમને પ્રિય હતું. જીવનભર એ પ્રવૃત્તિમાં તેઓ મગ્ન રહ્યા. તેનાં સુપરિણામોનો તેમને અત્યંત આનંદ રહેતો. તેનું જાણીતું દૃષ્ટાન્તઃ બહાઉદ્દીન કૉલેજમાં તેઓ દસેક વર્ષ અધ્યાપક રહ્યા તે દરમિયાન જૂનાગઢમાં ‘મંગળવારિયું’ નામે પ્રવૃત્તિ ચલાવી જેમાં કવિઓ પોતાની રચનાઓ સંભળાવે અને પરમાર સાહેબનું પ્રોત્સાહન પામે. પ્રોત્સાહન શબ્દો દ્વારા હોય, પણ વધુ તો કાવ્યપાઠ સાંભળતી વખતે પોતાની આંખોની વિશિષ્ટ ચમકથી પાઠકને પ્રોત્સાહિત કરે. જૂનાગઢ ખાતે તેનાં સુપરિણામો જાણીતાં બન્યાં તે કવિ રાજેન્દ્ર શુક્લ અને કવિ મનોજ ખંડેરિયા.
પછીથી ભાવનગર ખાતે પરમારસાહેબની આ પ્રતિભાનો સમાજના મોટાવર્ગને લાભ મળે તેવા હેતુથી ભાવનગરના જાણીતા સામાજિક કાર્યકર માનભાઈ ભટ્ટે પરમાર સાહેબને તેઓ શામળદાસ કૉલેજમાંથી આચાર્ય તરીકે નિવૃત્ત થયા તે સમયે (ઈ.સ. ૧૯૮૦) સૂચન કર્યું કે તેઓ શિશુવિહાર સંસ્થામાં અઠવાડિયે એક વખત સાંજે એક કલાક આવીને/બેસીને કવિઓના કાવ્યપાઠ સાંભળે અને કાવ્યસર્જન પ્રવૃત્તિને પોષણ આપે. માનભાઈએ તેમની સાથે જાણીતી નાટ્યસંસ્થા યંગક્લબના સૂત્રધાર સ્વ. બાબુભાઈ વ્યાસને પણ નિમંત્રણ આપી બોલાવ્યા. સાથે એવા જ નાટ્યપ્રેમી ડૉ. અરવિંદભાઈ મહેતાને પણ નિમંત્રણથી બોલાવ્યા. જાણીતા ગઝલકાર સ્વ. કિસ્મત કુરેશી તો માનભાઈના નિત્ય સંપર્કમાં હતા જ. બુધવારની સાંજ, સમય ૭થી ૮ નિયત થયાં. આરંભમાં ૫/૭ વ્યક્તિઓથી બેઠક શરૂ થઈ. પછીથી કપિલભાઈ પંડ્યા, અરવિંદભાઈ, માનશંકર, કવિ નાથાલાલ દવે, ગઝલકાર મુકબિલ કુરેશી, એમ જૂથ થયું. ગામ તો કવિઓનું / ગઝલકારોનું હતું. સૌ ધીમે ધીમે આવતા થયા. તેમાં પરમાર સાહેબનું ભાવભર્યું, વહાલભર્યું, આગ્રહભર્યું નિમંત્રણ કામ કરતું હતું. કવિઓની અસ્મિતાનું ગૌરવ કરીને તેમને આવતા કર્યા, અને વ્યવસ્થિત બુધસભાની બેઠક જામતી ગઈ. કવિઓ પ્રોત્સાહિત થતા રહ્યા. લખતા રહ્યા. પુસ્તક કરવા સુધી હોંશ ધરાવતા થયા. પુસ્તકમાં પ્રસ્તાવનારૂપે પરમારસાહેબ બે શબ્દો લખી આપે, આખી હસ્તપ્રત વાંચી જાય, સારું હોય તે ચીંધી બતાવે, કવિની હોંશ વધે અને રસભંગ ન થાય તેની ખેવના કરે. તેનાં સારાં પરિણામો આવ્યાં.
પિતા-પુત્ર. મહેન્દ્રસિંહજી પરમાર જોડે આચાર્ય તખ્તસિંહજી પરમાર
કેવળ પરમારસાહેબના શબ્દો, ઉદ્ગારોથી પ્રોત્સાહિત થઈને બુધસભામાં આવતા થયેલા અને વિકસેલા બે કવિઓનાં નામોનો નિર્દેશ કરું છું. ૧. પ્રિયવદન નૌતમરાય પાઠક, ૨. ભરત વાળા ‘દાસ ભરતજી’. પ્રથમ દૃષ્ટાન્ત એવું છે જે પરમારસાહેબના બી.એ., એમ.એ. (ગુજરાતી) વર્ગ સહાધ્યાયી, ઉત્તમ વાચક, ભાગ્યે જ લખવા પ્રવૃત્ત થાય તેવા નિવૃત્તિ પછી બુધસભામાં માત્ર પરમારસાહેબના સાંનિધ્યમાં રહેવા માટે ગયેલા. પછીથી ઉત્તમ સોનેટ્સ લખતા થયા. ‘સંધ્યારાત્ર’ નામે સોનેટ, મુક્તક રચનાઓનો સંગ્રહ કર્યો. પરમાર સાહેબે ઉત્તર પ્રસ્તાવના લખીને કવિનું ગૌરવ કર્યું. બીજું દૃષ્ટાંત એથી ય ચઢિયાતું છે. ભરત વાળા સ્થાનિક શહેર સુધરાઈ કચેરીમાં ૪થા વર્ગના કર્મચારી તરીકે કામ કરે. પરમાર સાહેબની સ્નેહાર્દ્ર દૃષ્ટિથી પ્લાવિત થયા. બુધસભામાં આવતા થયા. અલ્પશિક્ષિત એવા ભરતજી આજે દસેક સંગ્રહો પ્રકાશિત કરીને આત્મવિશ્વાસપૂર્વક છટાથી ગઝલપાઠ કરે છે. પ્રતિભાબીજની માવજત કેવાં સારાં ને દૂરગામી પરિણામો લાવી શકે છે તે જોવું રસપ્રદ બને છે. કપિલભાઈ કવિ ન હતા. પણ બુધસભામાં કવિઓને માટે સહૃદયી ભાવક હતા. તેમણે ‘નીરક્ષીર’ નામે બુધસભાનું વાર્ષિક પ્રકાશન થાય તેવું સૂચન કરેલું. પ્રથમ અંકની પોતે વ્યવસ્થા કરી આપેલી. પછીથી તે કાયમી સ્વરૂપે પ્રકાશિત થતું રહે તેની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરાવી. આમ કવિઓ અને કાવ્યપ્રેમીઓનું સુભગ મિલન એટલે બુધસભા. પરમારસાહેબ આત્મીય ભાવે બુધસભા સાથે જોડાયેલા રહ્યા. તેમનું નિધન બુધવારની સભા શરૂ હોય એવા સમયે થયું.
ગાંધીસ્મૃતિ (પુસ્તકાલય), સરદાર સ્મૃતિ, રામદાસ આશ્રમ, થિયોસોફિકલ સોસાયટી, દક્ષિણામૂર્તિ શિક્ષણસંસ્થા, ભાવનગર સાહિત્ય સભા કે સાહિત્ય સંગમ કે સાહિત્ય પરિવાર કે કિસ્મત કુરેશી સ્મૃતિફંડ … આવી અનેક પ્રવૃત્તિઓ સાથે પરમારસાહેબ સંકળાયેલા રહ્યા હતા. ક્યાંક પ્રસંગોપાત, ક્યાંક દીર્ઘકાલીન સેવાર્થે.
તેમના વ્યક્તિત્વનું કેન્દ્રબિંદુ નિર્વ્યાજ પ્રેમ. તેમના સંપર્કમાં આવીને પ્રમાદી વ્યક્તિ પણ પ્રેમાધીન થઈને પ્રવૃત્તિશીલ બની રહે. મારે ભાવનગર સાહિત્ય સભામાં ૧૯૭૨થી ૧૯૭૭ તથા બુધસભામાં ૨૦૦૦થી ૨૦૦૯/૧૦ના સમયગાળામાં તેમના સહયોગી કાર્યકર તરીકે કામ કરવાનું બન્યું એનાં પ્રેમભર્યા મધુર સ્મરણો સાથે નિઃશેષ ભાવાંજલિ!
ભાવનગર
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑક્ટોબર 2019; પૃ. 11-12