Opinion Magazine
Number of visits: 9684585
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાવધાન! લોકશાહીનો અંત આવી રહ્યો છે, પૂરી દુનિયામાંથી …

રાજ ગોસ્વામી|Opinion - Opinion|18 October 2019

આ શીર્ષક ચોંકાવનારું જરૂર છે, પણ આઘાત આપવા માટે નથી. દરેક સફળ સામ્રાજ્ય, સમાજ અને શાસન વ્યવસ્થાનું પતન થાય છે. લોકશાહી તેમાંથી બાકાત નથી. જુલાઈ મહિનામાં લીસ્બનમાં મળેલી ઇન્ટરનેશનલ સોસાઇટી ઓફ પોલિટિકલ સાઈકોલોજિસ્ટની ચાર દિવસની વાર્ષિક મિટિંગમાં એક રીસર્ચ પેપર રજૂ થયું હતું, જે રાજકીય પંડિતોમાં ચર્ચાનો (આઘાતનો) વિષય બન્યું છે. હાર્વડ અને ઓક્સફર્ડમાં ભણેલા તેમ જ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના પ્રોફેસર, ૬૮ વર્ષના શોન રોઝેન્બર્ગે આ મિટિંગમાં એક અસાધારણ પેપર રજૂ કર્યું છે, જેમાં તેમણે લોકશાહીના પતન માટે આપખુદશાઈ અને જમણેરી શાસકોને નહીં, પણ ફોર અ ચેન્જ, નાગરિકોને જવાબદાર ઠેરવ્યા છે.

રોઝેન્બર્ગના પેપરનું શીર્ષક જ સૂચક છે : લોકશાહી ખુદને જ ગળી રહી છે – અણઘડ નાગરિકનો ઉદય અને જમણેરી લોકપ્રિયતાવાદની લાલચ (ડેમોક્રસી ડેવોરિંગ ઈટસેલ્ફ: ધ રાઈઝ ઓફ ઇન્કૉમ્પિટન્ટ્ સિટીઝન એન્ડ ધ અપીલ ઓફ રાઈટ-વિંગ પોપ્યુલિઝમ).

રોઝેન્બર્ગનો તર્ક આ પ્રમાણે છે : લોકશાહીને જાળવવા માટે નાગરિકો પાસે જરૂરી બૌદ્ધિક અને ભાવનાત્મક ક્ષમતા નથી. આ ઉણપને મોટાભાગના આધુનિક ઇતિહાસ દરમ્યાન રાજકીય ભદ્ર વર્ગે પૂરી કરી હતી, પણ આ વર્ગ ઉત્તરોતર હાંસિયામાં ધકેલાતો ગયો છે. પરિણામે અજ્ઞાની નાગરિકો નોંધારા થઇ ગયા છે, જેના કારણે અમેરિકા અને વિશ્વમાં બીજે જમણેરી લોકવાદી સરકારો આવી છે. લોકવાદ રાજકારણ અને સમાજનો વૈકલ્પિક દૃષ્ટિકોણ છે, જે આસાનીથી સમજમાં આવે છે અને ભાવનાત્મક રીતે વધુ સંતોષજનક હોય છે." લોકવાદ એટલે લોકોને ગમે તેવી રીતે કામ કરવું અથવા બોલવું અને તેના પરિણામોની ચિંતા ના કરવી તે.

આ સમજવા જેવું છે. મોટા ભાગના સાધારણ નાગરિકો શાસન-વ્યવસ્થા(એટલે કે લોકશાહી)ની નૈતિકતામાં પડતા નથી. દાખલા તરીકે સ્વતંત્રતા, સમાનતા, ન્યાય, માનવધિકાર જેવાં લોકતાંત્રિક મૂલ્યો સામાન્ય માણસને ન તો સમજમાં આવે છે કે ન તો એના જીવનમાં એની પ્રાથમિકતા હોય છે. એને તો એના જીવનની બુનિયાદી જરૂરિયાતોની જ ચિંતા હોય છે. લોકશાહીનાં મૂલ્યોનું જતન કરવાની જવાબદારી હંમેશાં સમાજના મુઠ્ઠીભર રાજકીય બૌદ્ધિકોના હાથમાં રહી હતી અને તેઓ જ લોકશાહીનું શાસન ચલાવતા હતા.

આ મૂલ્યો એટલાં મહત્ત્વનાં બની ગયાં કે બહુમતી નાગરિકોમાં એવી લાગણી ઘર કરી ગઈ કે લોકશાહી વધારે પડતી ઉદાર છે અને ઉદારતાવાદી શાસકો સાધારણ માણસો અને તેમની ભાવનાથી તદ્દન કપાઈ ગયેલા છે. બીજા અર્થમાં કહીએ તો લોકોમાં એવી માન્યતા મજબૂત બની કે 'લોકો માટેની' લોકશાહી અમુક લોકો માટે જ છે.

લોકવાદનો પ્રવેશ અહીંથી થાય છે. લોકવાદ આમ તો લોકશાહીનું જ શીર્ષાસન છે. લોકશાહીમાં જે લોકો-લાગણીઓ મૂલ્યો અને સિદ્ધાંતો પર ખરી ઉતરે, તેને જ અમલ કરવા માટે ઉચિત માનવામાં આવે છે. લોકવાદમાં મૂલ્યો અને સિદ્ધાંતો લોક-લાગણીઓ પર ખરા ઉતરે છે, તેને જ અમલ કરવા ઉચિત માનવામાં આવે છે. લોકશાહી અને લોકવાદમાં એટલો જ ફરક છે, જેટલો ફરક ‘શાહી’ અને ‘વાદ’માં છે.

લોકવાદી સરકાર કેવી હોય? તેની બે મુખ્ય માન્યતાઓ હોય છે : એક, રાજકીય ભદ્ર વર્ગ ‘બહાર’નો છે અને તે ‘સાચા લોકો’ની વિરુદ્ધ કામ કરે છે અને બે, અમે ‘સાચા લોકો’નો અવાજ છીએ અને એમાં અમને કોઈ નહીં રોકે. લોકશાહીમાં સત્તા પક્ષ ચૂંટણી પછી વિરોધ પક્ષમાં બેસવા તૈયાર હોય છે. લોકવાદી સરકાર કોઈ પણ ભોગે સત્તામાં ટકી રહે છે. લોકવાદી સરકારને લોકશાહીનાં બંધનો ગમતાં નથી, કારણ કે લોક લાગણી પર અમલ કરવામાં તે અવરોધક બને છે.

વીસમી સદીનો ઉત્તરાર્ધ લોકશાહીનો સુવર્ણ યુગ હતો. એક સર્વે પ્રમાણે ૧૯૪૫માં પૂરા વિશ્વમાં માત્ર ૧૨ લોકશાહીઓ હતી. સદીના અંતે ૮૭ થઇ ગઈ હતી. તે પછી ઊલટો ઊથલો વાગ્યો. એકવીસમી સદીના પહેલા દાયકામાં લોકશાહીની આગેકૂચ અચાનક થંભી ગઈ અને પીછેહઠ શરૂ થઇ. અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, હંગેરી, બ્રાઝિલ અને પોલેન્ડમાં જમણેરી નેતાઓ સત્તામાં આવી ગયા કે આવી રહ્યા છે.

રોઝેન્બર્ગ કહે છે કે ૧૯૯૮માં યુરોપમાં જમણેરી લોકવાદી નેતાઓનો વોટ-શેર ૪ ટકા હતો, તે ૧૯૧૮માં ૧૩ ટકા થઇ ગયો. જર્મનીમાં તો મંદી પૂરી થઇ અને બહારથી આવતા લોકોનો પ્રવાહ ઓછો થયો, પછી પણ જમણેરી લોકવાદી નેતાઓના વોટમાં વધારો થયો હતો.

રોઝેન્બર્ગ યેલ, ઓક્સફર્ડ અને હાર્વડના ડિગ્રીધારક છે અને તે હાલના સૌથી પ્રતિભાશાળી સમાજ વિજ્ઞાની છે. તેમની ભવિષ્યવાણી છે કે અગામી અમુક દાયકાઓમાં પૂરા વિશ્વમાં લોકશાહીનો પથારો ઘટતો જશે અને જે બચી જશે તે પણ ખોખલી પડતી જશે. રોઝેન્બર્ગ કહે છે કે લોકશાહીની જગ્યાએ એવી લોકપ્રિય જમણેરી સરકારો આવશે, જે લોકોને જટિલ સમસ્યાઓનાં સરળ ઉપાયો બતાવશે.

મુદ્દાની વાત અહીં જ છે. લોકશાહી પરિશ્રમથી ઊભી થયેલી વ્યવસ્થા છે. એના માટે નાગરિકોથી લઈને નેતાઓ સુધીના લોકોએ ઘણા બધા વિરોધાભાસો અને વિવિધતાઓ સાથે જીવવાનું શીખવું પડે છે. લોકશાહીમાં લોકોએ ભિન્ન મતને જગ્યા આપવી પડે છે, સચ્ચાઈ અને જૂઠમાં ફર્ક કરવો પડે છે, શિસ્ત અને તર્કનું સન્માન કરવું પડે છે અને આપણા જેવા ના હોય, તેવા લોકોને પણ સમાવવા પડે છે. આવા અભિગમો આધુનિક શિક્ષણ અને લોકતાન્ત્રિક વ્યવસ્થાઓમાંથી આવ્યા છે. માણસ જ્યારે કબીલામાં રહેતો હતો, ત્યારે તેને ભિન્નતાની દરકાર કરવાની જરૂર ન હતી.

રોઝેન્બર્ગ મનોવિજ્ઞાનનો સહારો લઈને કહે છે કે બુનિયાદી રૂપે માણસ પૂર્વગ્રહવાળો છે. સદીઓથી માણસે તેનાથી (રંગમાં, ભાષામાં, સંસ્કૃતિમાં, માન્યતાઓમાં) ભિન્ન હોય, તેવા માણસો માટે આભડછેટ રાખી છે. ‘અમે અને તમે’ એ માણસનો મૂળભૂત સ્વભાવ રહ્યો છે અને તે વિવિધ રીતે તેની સામાજિક વ્યવસ્થામાં પડઘાતો રહ્યો છે. લોકશાહી આવા પૂર્વગ્રહો પરનો વિજય હતો, પરંતુ તે પૂર્વગ્રહો નાબૂદ થયા ન હતા, સુષુપ્ત અવસ્થામાં હતા. આધુનિક લોકશાહી માટે આ પૂર્વગ્રહો જોખમી બની રહ્યા છે.

હંગેરીના જમણેરી પ્રધાનમંત્રી વિક્ટોર ઓર્બાને કહ્યું હતું કે, “ઉદારવાદી લોકશાહીનો યુગ પૂરો થયો છે.” આપણે ઓર્બાનને (કે ડોનાલ્ડ ટ્રમ્પને) દોષ દેવાની જરૂર નથી. લોકશાહીના પતન માટે લોકો જવાબદાર છે. આર્થિક અને સામાજિક અસમાનતાએ વિશ્વભરમાં ઊથલપાથલ મચાવી છે અને લોકો લોકશાહીમાંથી વિશ્વાસ ગુમાવી રહ્યા છે. લોકોને એમની સમસ્યાના સહેલા ઉપાયો જોઈએ છીએ, કારણ કે તેમને વોટ આપવા સિવાયની બીજી કોઈ બૌદ્ધિક બાબતોની સમજ નથી. ગ્રીક ચિંતક સોક્રેટિસે કહ્યું હતું કે લોકશાહીમાં લોકોને વિચાર કરીને વોટ આપવા માટે ટ્રેઈન કરવા પડે, પણ લોકોમાં એટલી વિચારશક્તિ છે નહીં, એટલે લોકશાહી નહીં ચાલે.

સોક્રેટિસ અત્યારે જીવતો હોત, તો હસ્યો હોત.

Loading

દેશની તિજોરીમાં જમા કરાવનારાઓ સવા અબજ ને તેને લૂંટનારા માંડ સાડા આઠ હજાર?

રમેશ ઓઝા|Opinion - Opinion|17 October 2019

રીઝર્વ બૅન્કે કહ્યું છે કે ૨૦૧૯ના માર્ચ મહિના સુધીની ભારતની બૅન્કોની નોન પરફોર્મિંગ એસેટ (એન.પી.એ. – એટલે બૅન્કોની ડૂબી ગયેલી રકમ ૧૭,૫૫,૬૯૧ કરોડ રૂપિયા છે. (જુઓ રીઝર્વ બૅન્કનો ૨૪મી જુલાઈનો પરિપત્ર) આ સરકારી આંકડો છે. આ તો માત્ર સરકારી અને શિડયુલ કમર્શિયલ (મુખ્યત્વે સહકારી) બૅન્કોની જાહેર કરવામાં આવેલી એનપીએની વાત થઈ. આ ઉપરાંત એક સ્ટ્રેસ્ડ ઍસેટ્સ નામનો પણ એક પ્રકાર છે જે એન.પી.એ.નો નાનો ભાઈ છે અને મોટો થઈને એન.પી.એ. થવાનો છે. સ્ટ્રેસ્ડ ઍસેટ્સ એટલે આપવામાં આવેલું એવું ધિરાણ જે પાછું ન ફરે એમ પણ બને. એન.પી.એ. એટલે ઉઠાંતરી અને સ્ટ્રેસ્ડ ઍસેટસ એટલે ઉઠાંતરીની દિશાનો વટેમાર્ગુ જે પાછળ પાછળ જ ચાલે છે.

હવે સ્ટ્રેસડ ઍસેટ્સ નામની કેટેગરીમાં આવતું જોખમી ધિરાણ કેટલું છે? કોઈ કહી શકે એમ નથી. આનું કારણ એ છે કે તેની કોઈ ચોક્કસ વ્યાખ્યા જ નથી. બીજું, બૅન્કો સ્ટ્રેસ્ડ ઍસેટ્સ એન.પી.એ. ન બને ત્યાં સુધી છૂપાવે છે. નોટિસો આપતા રહે, નવું ધિરાણ આપીને રીસ્ટ્રકચરીંગ કરતા રહે અને ધિરાણને વૅન્ટીલેટર પર જીવતું રાખે. હકીકત તો એ છે કે સ્ટ્રેસ્ડ ઍસેટ્સ એન.પી.એ. જ હોય છે, પણ તેને છૂપાવવા માટે સ્ટ્રેસડ ઍસેટ્સનું લેબલ લગાડવામાં આવે છે. છેલ્લા આઠ વરસથી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કૉપરેટિવ બૅન્ક વાધવાઓને આપેલાં ધિરાણને સ્ટ્રેસડ ઍસેટ્સ તરીકે બતાવતી હતી, જ્યારે કે તે ચોખ્ખી એન.પી.એ. હતી. બૅન્ક પોતે જ નવું ધિરાણ આપીને જૂનાના એક હપ્તાની અને વ્યાજની ભરપાઈ કરાવતી હતી કે જેથી ધિરાણને એન.પી.એ. જાહેર કરવું ન પડે.

એક ત્રીજો ભાઈ પણ છે, જે જન્મ સાથે જ શેતાની કરે છે અથવા શેતાની માટે જ જન્મ્યો છે. એ ભાઈ એવો છે જેના પર રીઝર્વ બૅન્કનો ખાસ કોઈ અંકુશ જ નથી. આમ તો પહેલા બે ભાઈઓને પણ લોકોના પૈસા ડુબાડી દેતા રોકવાનો મોટાં મોટાં છીંડાંઓને કારણે રીઝર્વ બૅન્કને અધિકાર નથી, પરંતુ ત્રીજા પર તો જરા ય નથી. એ ત્રીજો ભાઈ છે નોન બૅન્કિંગ ફાયનાન્સ કંપની. આઈ.એલ. એન્ડ એફ.એસ. તેમ જ શ્રદ્ધા ચીટ ફંડ વગેરે આવી કંપનીઓ છે અને તેનાં કૌભાંડ તાજી ઘટનાઓ છે. આવી કેટલીક કંપનીઓ માત્ર અને માત્ર છેતરપિંડી કરવાના ઈરાદાથી જ સ્થાપવામાં આવી છે. ભારતમાં નોંધાયેલી એન.બી.એફ.સી. ૯,૬૫૯ છે. કેટલીક એન.બી.એફ.સી. એવી છે જે સરકારી બેંકો પાસેથી જ ધિરાણ લઈને આગળ ધીરવાનો ધંધો કરે છે.

આપણે ખાનગી બેન્કોમાં ચંદા કોચરોએ કરેલાં કૌભાંડોને ગણ્યાં નથી કારણ કે રકમ નાની છે, પણ તેની યાદ એટલા માટે અપાવવી જોઈએ કે તે પણ કૌભાંડમુક્ત નથી.

હવે ૧૭,૫૫,૬૯૧ કરોડ રૂપિયાની એન.પી.એ.. એમાં જેનો આંકડો મળવાનો નથી એવી સ્ટ્રેસડ ઍસેટ્સની રકમનો ઉમેરો કરો. કેટલો કરશો? સામાન્ય બુદ્ધિ વાપરીને તમને જે ઠીક લાગે એ આંકડો ઉમેરો. એમાં એન.બી.એફ.સી.ના કૌભાંડોની રકમનો ઉમેરો કરો અને જે કૌભાંડ હજુ બહાર આવ્યાં નથી, પણ ચાલી રહ્યા છે તેની કલ્પના કરો. મને ખાતરી છે કે તમે દેશભક્ત હશો તો પણ અને પાકિસ્તાનનું અર્થતંત્ર ખાડે ગયું છે એ જોઇને પોરસાતા હશો તો પણ; એટલું તો કબૂલ કરવું જ પડશે કે એ ત્રીસ લાખ કરોડ રૂપિયા કરતાં ઓછો ન જ હોઈ શકે. જો આટલી મોટી રકમ જોઇને ટેન્શન આવતું હોય કે પછી આ લખનારને ભૂંડી ગાળ આપવા જેટલો ગુસ્સો આવતો હોય તો દેશની પીળે પાને નોંધાયેલી રકમમાં પાંચ લાખ કરોડ ઓછા કરી નાખો. એનાથી નીચે જઈ શકાય એમ નથી, કારણ કે રીઝર્વ બૅન્કના આંકડા મુજબ એન.પી.એ. જ ૧૭,૫૫,૬૯૧ કરોડ રૂપિયાની છે.

૨૦૧૪માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર દેશમાં વિકાસના મોરચે ક્રાંતિ કરવાનું વચન આપીને આવી ત્યારે દેશમાં એન.પી.એ. ૧૧ લાખ કરોડ રૂપિયાની હતી. એમાં એન.પી.એ. બની રહેલાં નાના ભાઈઓની રકમ અને એન.બી.એફ.સી.ના કૌભાંડો ઉમેરો તો સહેજે વીસ લાખ કરોડ રૂપિયા જેવી માતબર રકમ જોખમમાં હતી. એ સમયે આ કોઈ નાની રકમ નહોતી. એની સામે ૨૦૧૪માં દેશની કુલ મહેસૂલી આવક ૧૩,૬૪,૫૨૪ કરોડ રૂપિયા હતી અને અત્યારે ૨૭,૩૨,૯૦૩ કરોડ રૂપિયા છે. આનો અર્થ એ થયો કે દેશની કુલ જેટલી આવક એના કરતાં ઘણી મોટી રકમની ચોરી.

બીજું સરકારી તિજોરીમાં દેશની સવા અબજ પ્રજા પૈસા જમા કરાવે છે અને સામે પક્ષે એટલી જ મોટી રકમ ૮,૫૮૨ જણા લૂટી ગયા છે. જમા કરાવનારા સવા અબજ લોકો અને લૂંટનારા દસ હજાર પણ નહીં. ૨૪મી જૂન ૨૦૧૯ના રોજ કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સિતારામને કહ્યું હતું કે જાણીબૂજીને બૅન્કોને નવડાવનારાઓ(અંગ્રેજીમાં વિલફૂલ ડીફોલ્ટર)ની સંખ્યા ૨૦૧૪માં ૫,૩૪૯ હતી જે અત્યારે વધીને ૮,૫૮૨ થઈ છે. મહેસૂલી આવક અને લૂંટની તુલના કરતી વખતે એક ફરક ધ્યાનમાં રાખજો. મહેસૂલી આવક વરસોવરસની છે, જ્યારે એન.પી.એ. કેટલાંક વર્ષોની ભેગી થયેલી છે.

હવે ઘડીભર આપણે દેશની વાત બાજુએ રાખીએ અને આપણા પોતાના ઘરની વાત કરીએ. ધારી લો કે પાંચ ભાઈઓનો પરિવાર છે અને બધા સાથે રહે છે. પિતાજી ઘરધણી છે અને તેના પાંચે ય દીકરા પોતપોતાની રીતે ધોધો કરે છે. પિતાજીના ધ્યાનમાં એક વાત આવે છે કે જેને ખરા અર્થમાં આવક કહેવાય એવી આવક તો કુટુંબની માત્ર એક લાખ રૂપિયાની જ છે, પણ છોકરા કરોડોમાં રમે છે અને આઉડી અને બી.એમ.ડબલ્યુ. જેવી મોંઘી ગાડીઓ વાપરે છે. આવી સ્થિતિમાં સમજદાર બાપ હોય અને કુટુંબની આબરૂની ચિંતા હોય એ શું કરે? એ તરત સાવધાન થઈ જાય. ચાલી રહેલી રમતને સમજવાની કોશિશ કરે. સમજ ન પડતી હોય તો કોઈ સમજદારની મદદ લે. ઘરના ખર્ચા ઘટાડે અને અમીરાઈના દેખાડા પર કાપ મૂકે. પણ જો બાપમાં સમજદારી ન હોય તો એ પણ જલસા કરે.

આપણા દેશની સ્થિતિ પણ આવી રંગીલા પરિવાર જેવી જ છે. નક્કર મહેસૂલી આવક-જાવક કરતાં નાણાકીય અર્થતંત્ર (ફાયનાસિયલાઈઝેશન ઑફ ઈકોનોમી) અનેક અનેક ગણું મોટું. એમાંથી પચીસ લાખ કરોડ રૂપિયા તો સ્વર્ગે સિધાવેલા હોય, પણ તેની અંતિમક્રિયા કરવાનું ટાળવામાં આવતું હોય. બીજા દસેક લાખ કરોડ રૂપિયા વેન્ટીલેટર પર હોય. આવી સ્થિતિમાં દેશનો વડો પ્રધાન શું કરે? તમે કુટુંબના વડીલ હો કે પછી દેશના વડા પ્રધાન હો તો તમે શું કરો?

આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર કોઈ જદ્દોજહદ કરતી હોય એવું તમને લાગે છે? સરકાર માટેનો રાગદ્વેષ ભૂલીને પ્રામાણિક ઉત્તર આપજો. બીજાને આપવાની જરૂર નથી, પોતાની જાતને આપજો. જો નથી કરતા તો શા માટે નથી કરતા? કોણ અટકાવે છે?

આની વધુ ચર્ચા હવે પછી.

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 17 ઑક્ટોબર 2019

Loading

સદ્‌ગત આચાર્યશ્રી તખ્તસિંહ પરમાર

અજય પાઠક|Opinion - Opinion|16 October 2019

તાજેતરમાં તા. ૧૧-૦૯-૨૦૧૯, બુધવારની મોડી સાંજે ભાવનગરની શામળદાસ કૉલેજના પૂર્વ આચાર્ય તથા જાણીતા સાહિત્યકાર તખ્તસિંહ પરમાર સાહેબનું દુઃખદ અવસાન થયું. તા. ૧૨ના રોજ અંતિમ વિધિ તથા તા. ૧૪ તથા તા. ૧૫ના રોજ અનુક્રમે દક્ષિણામૂર્તિ પટાંગણમાં અને શિશુવિહાર સંસ્થામાં પ્રાર્થના સભા અને વિવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ભાવાંજલિ સભાઓ થઈ જેમાં ભરપૂર પ્રેમ આપનાર પરમારસાહેબને ચાહકોએ એટલો જ પ્રેમ ભાવાંજલિરૂપે વરસાવ્યો.

પરમારસાહેબનો જન્મ તા. ૦૯-૧૧-૧૯૧૯. આ વર્ષ ભાવનગરનું સાહિત્યજગત પરમાર સાહેબના શતાબ્દીવર્ષ તરીકે વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવતું હતું. રૂબરૂ વ્યક્તિગત તેમ સમૂહમાં તેમના ઘેર જઈને પ્રેમાલાપ-કાવ્યાલાપ કરવાનું ચાહકો દ્વારા થતું રહ્યું હતું, જેની છબિઓ ફેસબુક મારફત સાહિત્યરસિકો તથા ફેસબુકમિત્રો વચ્ચે મૂકાતી રહેતી હતી અને તે નિમિત્તે વ્યાપક વંદના થતી રહી હતી. ૧૦૦ વર્ષ પૂરાં થવામાં બે મહિના બાકી રહ્યા હતા અને પરમાર સાહેબ ‘રનઆઉટ’ થયા. આ ભાષા પ્રયોજવાનું કારણ એટલું જ કે સાહેબ ક્રિકેટની રમતના પરમ ચાહક, ઉપાસક, આરાધક રહ્યા. યુવાનીમાં ક્રિકેટ રમતા, ગૃહપતિ તરીકે તેમ અધ્યાપક તરીકે તેમ કુટુંબના વડીલ તરીકે બાળકો, કિશોરો, કુમારો, યુવકોને ક્રિકેટ રમવા પ્રતિ પ્રેરતા, પ્રોત્સાહિત કરતા. ઉત્તરાવસ્થામાં કાન અને આંખની મર્યાદાઓ ઊભી થતાં અન્ય પ્રવૃત્તિઓ તેમ સુટેવો અંગે સંયમ કેળવવો પડ્યો ત્યારે ય ટ્રાન્ઝિસ્ટર રેડિયો સતત બાજુમાં રાખીને, સંભળાય તેવી ઉપકરણ સુવિધા ઊભી કરીને, ક્રિકેટ મેચોની કોમેન્ટરી સાંભળવાનું સુખ તેમણે ભોગવ્યું હતું.

ઉમાશંકર જોશી જોડે તખ્તસિંહજી પરમાર

પરમારસાહેબનો કાવ્યપાઠ સાંભળવાનો શોખ, ઉમંગ પણ નોંધપાત્ર. તેમની વિશેષતાઓ એ હતી કે ‘ફૂટતી પાંખોનો પહેલો ફફડાટ’ પારખીને સર્જક ચેતનાને સંકોરવાનું કામ એમને પ્રિય હતું. જીવનભર એ પ્રવૃત્તિમાં તેઓ મગ્ન રહ્યા. તેનાં સુપરિણામોનો તેમને અત્યંત આનંદ રહેતો. તેનું જાણીતું દૃષ્ટાન્તઃ બહાઉદ્દીન કૉલેજમાં તેઓ દસેક વર્ષ અધ્યાપક રહ્યા તે દરમિયાન જૂનાગઢમાં ‘મંગળવારિયું’ નામે પ્રવૃત્તિ ચલાવી જેમાં કવિઓ પોતાની રચનાઓ સંભળાવે અને પરમાર સાહેબનું પ્રોત્સાહન પામે. પ્રોત્સાહન શબ્દો દ્વારા હોય, પણ વધુ તો કાવ્યપાઠ સાંભળતી વખતે પોતાની આંખોની વિશિષ્ટ ચમકથી પાઠકને પ્રોત્સાહિત કરે. જૂનાગઢ ખાતે તેનાં સુપરિણામો જાણીતાં બન્યાં તે કવિ રાજેન્દ્ર શુક્લ અને કવિ મનોજ ખંડેરિયા.

પછીથી ભાવનગર ખાતે પરમારસાહેબની આ પ્રતિભાનો સમાજના મોટાવર્ગને લાભ મળે તેવા હેતુથી ભાવનગરના જાણીતા સામાજિક કાર્યકર માનભાઈ ભટ્ટે પરમાર સાહેબને તેઓ શામળદાસ કૉલેજમાંથી આચાર્ય તરીકે નિવૃત્ત થયા તે સમયે (ઈ.સ. ૧૯૮૦) સૂચન કર્યું કે તેઓ શિશુવિહાર સંસ્થામાં અઠવાડિયે એક વખત સાંજે એક કલાક આવીને/બેસીને કવિઓના કાવ્યપાઠ સાંભળે અને કાવ્યસર્જન પ્રવૃત્તિને પોષણ આપે. માનભાઈએ તેમની સાથે જાણીતી નાટ્યસંસ્થા યંગક્લબના સૂત્રધાર સ્વ. બાબુભાઈ વ્યાસને પણ નિમંત્રણ આપી બોલાવ્યા. સાથે એવા જ નાટ્યપ્રેમી ડૉ. અરવિંદભાઈ મહેતાને પણ નિમંત્રણથી બોલાવ્યા. જાણીતા ગઝલકાર સ્વ. કિસ્મત કુરેશી તો માનભાઈના નિત્ય સંપર્કમાં હતા જ. બુધવારની સાંજ, સમય ૭થી ૮ નિયત થયાં. આરંભમાં ૫/૭ વ્યક્તિઓથી બેઠક શરૂ થઈ. પછીથી કપિલભાઈ પંડ્યા, અરવિંદભાઈ, માનશંકર, કવિ નાથાલાલ દવે, ગઝલકાર મુકબિલ કુરેશી, એમ જૂથ થયું. ગામ તો કવિઓનું / ગઝલકારોનું હતું. સૌ ધીમે ધીમે આવતા થયા. તેમાં પરમાર સાહેબનું ભાવભર્યું, વહાલભર્યું, આગ્રહભર્યું નિમંત્રણ કામ કરતું હતું. કવિઓની અસ્મિતાનું ગૌરવ કરીને તેમને આવતા કર્યા, અને વ્યવસ્થિત બુધસભાની બેઠક જામતી ગઈ. કવિઓ પ્રોત્સાહિત થતા રહ્યા. લખતા રહ્યા. પુસ્તક કરવા સુધી હોંશ ધરાવતા થયા. પુસ્તકમાં પ્રસ્તાવનારૂપે પરમારસાહેબ બે શબ્દો લખી આપે, આખી હસ્તપ્રત વાંચી જાય, સારું હોય તે ચીંધી બતાવે, કવિની હોંશ વધે અને રસભંગ ન થાય તેની ખેવના કરે. તેનાં સારાં પરિણામો આવ્યાં.

પિતા-પુત્ર. મહેન્દ્રસિંહજી પરમાર જોડે આચાર્ય તખ્તસિંહજી પરમાર

કેવળ પરમારસાહેબના શબ્દો, ઉદ્‌ગારોથી પ્રોત્સાહિત થઈને બુધસભામાં આવતા થયેલા અને વિકસેલા બે કવિઓનાં નામોનો નિર્દેશ કરું છું. ૧. પ્રિયવદન નૌતમરાય પાઠક, ૨. ભરત વાળા ‘દાસ ભરતજી’. પ્રથમ દૃષ્ટાન્ત એવું છે જે પરમારસાહેબના બી.એ., એમ.એ. (ગુજરાતી) વર્ગ સહાધ્યાયી, ઉત્તમ વાચક, ભાગ્યે જ લખવા પ્રવૃત્ત થાય તેવા નિવૃત્તિ પછી બુધસભામાં માત્ર પરમારસાહેબના સાંનિધ્યમાં રહેવા માટે ગયેલા. પછીથી ઉત્તમ સોનેટ્‌સ લખતા થયા. ‘સંધ્યારાત્ર’ નામે સોનેટ, મુક્તક રચનાઓનો સંગ્રહ કર્યો. પરમાર સાહેબે ઉત્તર પ્રસ્તાવના લખીને કવિનું ગૌરવ કર્યું. બીજું દૃષ્ટાંત એથી ય ચઢિયાતું છે. ભરત વાળા સ્થાનિક શહેર સુધરાઈ કચેરીમાં ૪થા વર્ગના કર્મચારી તરીકે કામ કરે. પરમાર સાહેબની સ્નેહાર્દ્ર દૃષ્ટિથી પ્લાવિત થયા. બુધસભામાં આવતા થયા. અલ્પશિક્ષિત એવા ભરતજી આજે દસેક સંગ્રહો પ્રકાશિત કરીને આત્મવિશ્વાસપૂર્વક છટાથી ગઝલપાઠ કરે છે. પ્રતિભાબીજની માવજત કેવાં સારાં ને દૂરગામી પરિણામો લાવી શકે છે તે જોવું રસપ્રદ બને છે. કપિલભાઈ કવિ ન હતા. પણ બુધસભામાં કવિઓને માટે સહૃદયી ભાવક હતા. તેમણે ‘નીરક્ષીર’ નામે બુધસભાનું વાર્ષિક પ્રકાશન થાય તેવું સૂચન કરેલું. પ્રથમ અંકની પોતે વ્યવસ્થા કરી આપેલી. પછીથી તે કાયમી સ્વરૂપે પ્રકાશિત થતું રહે તેની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરાવી. આમ કવિઓ અને કાવ્યપ્રેમીઓનું સુભગ મિલન એટલે બુધસભા. પરમારસાહેબ આત્મીય ભાવે બુધસભા સાથે જોડાયેલા રહ્યા. તેમનું નિધન બુધવારની સભા શરૂ હોય એવા સમયે થયું.

ગાંધીસ્મૃતિ (પુસ્તકાલય), સરદાર સ્મૃતિ, રામદાસ આશ્રમ, થિયોસોફિકલ સોસાયટી, દક્ષિણામૂર્તિ શિક્ષણસંસ્થા, ભાવનગર સાહિત્ય સભા કે સાહિત્ય સંગમ કે સાહિત્ય પરિવાર કે કિસ્મત કુરેશી સ્મૃતિફંડ … આવી અનેક પ્રવૃત્તિઓ સાથે પરમારસાહેબ સંકળાયેલા રહ્યા હતા. ક્યાંક પ્રસંગોપાત, ક્યાંક દીર્ઘકાલીન સેવાર્થે.

તેમના વ્યક્તિત્વનું કેન્દ્રબિંદુ નિર્વ્યાજ પ્રેમ. તેમના સંપર્કમાં આવીને પ્રમાદી વ્યક્તિ પણ પ્રેમાધીન થઈને પ્રવૃત્તિશીલ બની રહે. મારે ભાવનગર સાહિત્ય સભામાં ૧૯૭૨થી ૧૯૭૭ તથા બુધસભામાં ૨૦૦૦થી ૨૦૦૯/૧૦ના સમયગાળામાં તેમના સહયોગી કાર્યકર તરીકે કામ કરવાનું બન્યું એનાં પ્રેમભર્યા મધુર સ્મરણો સાથે નિઃશેષ ભાવાંજલિ!

ભાવનગર

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑક્ટોબર 2019; પૃ. 11-12

Loading

...102030...2,6852,6862,6872,688...2,7002,7102,720...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved