Opinion Magazine
Number of visits: 9577071
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અર્થશાસ્ત્રનું ૨૦૧૯ના વર્ષનું નોબેલ ઇનામ : એક અલ્પ પરિચય

રોહિત શુક્લ|Opinion - Opinion|15 November 2019

આ વર્ષનું અર્થશાસ્ત્રનું નોબેલ ઈનામ ત્રણ અર્થશાસ્ત્રીઓ અભિજિત બેનર્જી અને તેમનાં પત્ની એસ્ટર ડફલો તથા માઈકલ ક્રેમરને અપાયું છે.

અબ્દુલ લતીફ જમીલ ૧૯૪૫થી સાઉદી એરેબિયામાં કાર્યરત એક વેપારી પેઢી છે. વાહનવ્યવહારથી માંડી રિયલ એસ્ટેટ સુધીનાં અનેક ક્ષેત્રોમાં તે વ્યાવસાયિક ધોરણે કામ કરે છે. તેના વડા મહમદ અબ્દુલ લતીફ જમીલને ઇંગ્લૅન્ડમાં મહારાણીએ ‘નાઇટહૂડ’થી નવાજ્યા છે. માત્ર વેપાર કરતી પેઢીના વડાને આવું સન્માન ન જ હોય, પરંતુ આ પેઢી માત્ર વેપાર નથી કરતી; અનેક સામાજિક ક્ષેત્રે પણ તેનું પ્રદાન છે. આ પેઢીની સહાયથી વિશ્વના અનેક દેશોમાં લગભગ ૪૦૦ અર્થશાસ્ત્રીઓ ગરીબી નિવારણ માટેના પ્રયોગો કરે છે. ગરીબી નિવારણના આ કાર્યક્રમને ‘જે-પાલ’ (જમીલ પોવર્ટી એલિવિયેશન લૅબોરેટરી) કહે છે. આ વિચારના કેન્દ્રસ્થાને અભિજિત બેનર્જી અને તેમનાં પત્ની ડફલો છે. એક અન્ય અર્થશાસ્ત્રી સાથે આ ત્રણને આ વર્ષનું અર્થશાસ્ત્રનું નોબેલ ઇનામ મળ્યું છે.

ગરીબી નિવારણ માટેની પ્રયોગશાળા !! વિચાર અને પ્રક્રિયા બે ય નવાં છે. અર્થશાસ્ત્રના કેટલાક પ્રયોગો અને નીતિઓ તથા કાર્યપદ્ધતિઓના એકંદર સંદર્ભમાં વિચારવું ઘટે.

મૂડીવાદી વિચાર એમ કહે છે કે ગરીબી જેવા પ્રશ્ન માટે બહુ આળા થવાની જરૂર નથી. કહ્યું છે ને, ‘જિંદગી મેં જીના હૈ, તો કામ કર પ્યારે …” જે કામ કરવા માંગે તેને કામ મળી જ રહે. એન્જિનિયરે પટાવાળા કે રસોઇયા બનવામાં શરમ રાખવી ન જોઈએ ! પગાર પણ ૩૫ હોય કે ૩,૫૦૦, જે મળે તે લઈ લો. જો બધાં આવાં લચીલા વલણ ધરાવતાં થઈ જાય તો એક તરફ ઉત્પાદન અને સંપત્તિનું સર્જન થશે, તો બીજી તરફ વપરાશ અને વહેંચણી પણ હશે. સરકારના હસ્તક્ષેપની સંપૂર્ણ ગેરહાજરીમાં આપોઆપ બજારનાં પરિબળો દ્વારા સર્જાનાર આ વ્યવસ્થામાં સંપત્તિનું ઝમણ થશે અને સૌ સારાં વાનાં થશે.

પણ આવું થતું નથી. શોષણ અને અસમાનતા વ્યાપક બન્યાં છે. પરિણામે ગરીબ વધુ ગરીબ અને ધનવાનો વધુ ધનવાનો બન્યા છે. આફ્રિકા, એશિયા અને પૂર્વ યુરોપમાં પણ વ્યાપક ગરીબી છે. શિક્ષણનો અભાવ, સ્વાસ્થ્ય, સેવાઓનું અપૂરતાપણું ખાદ્યાન્નની તંગી, બજારમાંથી ખરીદવા માટેના પૈસા સહિતનાં સાધનોનો અભાવ, સામાજિક જાતિભેદ કુદરતી સંસાધનો ઉપર ધનકુબેરોનો કાબૂ વગેરે કારણોસર ગરીબી દૂર થતી નથી. સરકારો આ ગરીબી નિવારવા વાસ્તે સમગ્ર દેશ કે પ્રદેશ વાસ્તે કોઈક નીતિ ઘડતી રહે છે; તેમાં અનુભવોના આધારે સુધારા અને વધારા પણ કરતી રહે છે. ઇન્દિરા આવાસ યોજના, મનરેગા, અન્ન સુરક્ષા જેવાં પ્રત્યક્ષ પગલાં ઉપરાંત સર્વ શિક્ષા અભિયાન, પેયજળ, ઊર્જા વગેરે જેવી અનેક યોજનાઓ ચલાવાય છે. આમ છતાં ગરીબી દૂર નથી થતી. આવું કેમ?

અભિજિત બેનર્જી પત્ની એસ્ટર ડફેલો સાથે રેન્ડમાઇઝ્‌ડ કન્ટ્રોલ્ડ એક્સપેરિમેન્ટ – પૂર્વનિર્ણિત ન હોય તેવાં સૂત્રો ઉપર નિયંત્રિત પ્રયોગોથી અર્થશાસ્ત્ર માટે એક નવી ઢબનો વિનિયોગ કરે છે. આ કાર્ય તે ‘જે-પાલ’ હેઠળ કરે છે.

ભારતમાં આમ આદમી પાર્ટીએ દિલ્હીની નિશાળોની જે કાયાપલટ કરી છે, તે આ જે-પાલ ઉપર આધારિત છે. આ મુદ્દા ઉપરથી સમજાશે કે યોગ્ય નીતિ અને નાણાંની સગવડ કે વહીવટી તંત્રને આધારે ચાલતી વ્યવસ્થામાં વાંચ્છિત પરિણામો હાંસલ થઈ શકતાં નથી. આથી, અભિજિત બેનર્જી, ગરીબી – નિવારણની સમગ્ર શ્રૃંખલાને નાની નાની કડીઓમાં વહેંચી નાંખે છે. આવી છૂટક છૂટક કડીઓના જુદા જુદા ટુકડા વિવિધ સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક, સંસાધનિક ક્ષેત્રોમાં કેવી રીતે અસર નીપજાવી શકે અને તેને કઈ રીતે જોડવાથી ગરીબી નામનો રોગ દૂર કરી શકાય, તેની આ મથામણ છે. આથી જ તેમની આ પ્રવૃત્તિને રેન્ડમાઇઝ્‌ડ કન્ટ્રોલ્ડ એક્સપરિમેન્ટ ટ્રાવલ પૂર્વનિર્ધારિત ન હોય તેવા સમૂહો ઉપરના નિયંત્રિત પ્રયોગો કહે છે. તત્ત્વતઃ આ પદ્ધતિ હેઠળ ગરીબી – નિવારણના નિયંત્રિત પ્રયોગો હાથ ધરાય છે, પણ તેની વ્યાપકતા સાબિત કરવા વાસ્તે સમૂહોની પસંદગી યદૃચ્છ રીતે કરાય છે.

અભિજિત બેનર્જી, જેની સામે વર્તમાન સરકારની નારાજગી છે, તે જે.એન.યુ.માં ભણ્યા છે અને તેમને દસેક દિવસ માટે દિલ્હીની તિહાડ જેલમાં મુકામ કરવાનો પણ લહાવો મળ્યો છે.

અભિજિત બેનર્જીનાં પાંચ પુસ્તકો પણ જાણીતા બન્યાં છે : (૧) કેન ઇન્ફર્મેશન કેમ્પેઈન સ્પાર્ક લોકલ પાર્ટિસિપેશન (૨૦૦૬), (૨) મેઇકિંગ એઈડ વર્ક (૨૦૦૭), (૩) પિટફોલ્સ ઈન પાર્ટિસિપેટરી પ્રોગ્રામ્સ (૨૦૦૮), (૪) પુઅર ઈકોનોમિક્સ (૨૦૧૧) અને (૫) ગુડ ઈકોનોમિક્સ (૨૦૧૯) જાણીતા છે. આ ઉપરાંત, ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ સમાચારપત્રની તેમની કોલમ પણ જાણીતી છે.

[સંપાદક, ‘અભિદૃષ્ટિ’]

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, અંક 144 – વર્ષ 13 – નવેમ્બર 2019; પૃ. 17-18

Loading

ગુજરાતીમાં જીવનચરિત્રનું સાહિત્ય

છાયાબહેન કડિયા|Opinion - Literature|15 November 2019

જીવન ચરિત્રને અંગ્રેજીમાં ‘બાયોગ્રાફી’ કહીએ છીએ. ઇ.સ. ૧૬૮૩માં જ્‌હોન ડ્રાયડન દ્વારા પહેલી વાર આ શબ્દ પ્રયોજવામાં આવેલો હતો. તેને ‘જીવન વૃત્તાંત’, ‘જીવનકથા’ કે ‘ચરિત્રવિદ્યા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જીવનચરિત્ર એ સાહિત્યની એક એવી શાખા છે. તેમાં સ્મરણોનાં ફૂલોની જીવનમાળા ગૂંથવામાં આવે છે.

ઇતિહાસની જેમ ચરિત્ર પણ પ્રથમ વિજ્ઞાન કે શાસ્ત્ર છે અને પછી કળા છે. ઇતિહાસની જેમ જીવનચરિત્રમાં પણ કશું જ નિરાધાર લખાય નહીં. જીવનચરિત્રના આરંભકર્તા તરીકે નર્મદનું નામ આવે છે. નર્મદે ૧૮૬૫માં લખેલ ‘કવિચરિત્ર’ અને ૧૮૭૦માં લખેલ ‘મહાપુરુષોનાં ચરિત્ર’ આ સ્વરૂપની આરંભિક રચનાઓ છે. ૧૯૧૬માં વિનાયક મહેતા કૃત ‘નંદશંકર જીવનચરિત્ર’ નોંધપાત્ર ઉદાહરણ છે. ૧૯૩૩માં વિશ્વનાથ ભટ્ટ રચિત ‘વીર નર્મદ’, કનૈયાલાલ મુનશી કૃત ‘નરસૈંયોઃ ભક્ત હરિનો’ (૧૯૩૩), ન્હાનાલાલ કૃત, ‘કવિશ્વર દલપતરામ’ (૧૯૩૩-૪૧) વિજયરાય વૈદ્ય કૃત ‘શુક્રતારક’ (૧૯૪૪) જેવાં જીવનચરિત્ર નોંધપાત્ર છે.

સાહિત્યકારો કે કેળવણીકારો ઉપરાંત જાહેર જીવનમાં રાષ્ટ્રના ઘડતરમાં કે રચનાત્મક પ્રવૃત્તિઓમાં જેમનું નોંધપાત્ર પ્રદાન છે, એવા કર્મશીલોએ પણ ચરિત્રલેખન કર્યું છે. જેમ કે મહાદેવભાઈ દેસાઈએ ‘વીર વલ્લભભાઈ’ (૧૯૨૮), ‘સંત ફ્રાન્સિસ’ (૧૯૩૩) તથા બે ખુદાઈ ખિદમતગારો (૧૯૩૬) એમ ત્રણ જીવનચરિત્રો લખ્યાં છે. ગુણવંતરાય આચાર્યએ નેતાજી સુભાષચંદ્ર બોઝના જીવનનો આલેખ ‘નવજીવન સુભાષ’ (૧૯૩૮) અને ‘શ્રી સુભાષચંદ્ર બોઝ’ (૧૯૪૬) બે કૃતિઓમાં આપ્યો છે. બબલભાઈ મહેતા કૃત બે જીવનચરિત્રો મહારાજ થયા પહેલાં (૧૯૪૭) અને ‘રવિશંકર મહારાજ’ (૧૯૪૭)માં રવિશંકર મહારાજનાં પૂર્વ અને ઉત્તર જીવનને વર્ણવતાં ચરિત્રો આપ્યાં છે.

અંબાલાલ પુરાણીએ લખેલું ‘મણિભાઈ નભુભાઈ દ્વિવેદીનું જીવનચરિત્ર’(૧૯૫૧)માં તેમનાં ગતિશીલ પ્રસંગચિત્રો રજૂ થયાં છે. સુન્દરમ્‌ રચિત ‘મહાયોગી અરવિંદ’ (૧૯૫૩), નરહરિ પરીખ કૃત ‘શ્રેયાર્થીની સાધના’ (૧૯૫૩), અને ‘મહાદેવભાઈનું પૂર્વરચિત’ (૧૯૫૦), પાંડુરંગ દેશપાંડે કૃત ‘લોકમાન્ય તિલક’ (૧૯૫૬), જયભિખ્ખુ કૃત ‘નિગ્રંથ ભગવાન મહાવીર’ (૧૯૫૬), અંબાલાલ પુરાણી કૃત ‘અરવિંદજીવન’ (૧૯૫૭), બંસીધર ગાંધી કૃત ‘ઍલેક ઝાન્ડર ફ્‌લેમિંગ’ (૧૯૬૪), ઈશ્વર પેટલીકર કૃત ‘વિદ્યાનગરના વિશ્વકર્મા’ (૧૯૬૪), મોહનભાઈ પટેલ કૃત ‘આલ્બર્ટ સ્વાઇત્ઝર’ (૧૯૬૪). આ સમયગાળામાં લખાયેલ ઉલ્લેખનીય કહીં શકાય એવાં જીવનચરિત્રો છે.

વનમાળા દેસાઈ ગાંધીજીની આબોહવામાં ઊછર્યાં અને ઘડાયાં છે. તેમણે ‘અમારા બા’(૧૯૪૫)માં કસ્તૂરબા વિશે ‘નરહરિભાઈ’માં પિતા નરહરિ પરીખ વિશે, ‘મહાદેવભાઈ’(૧૯૯૧)માં મહાદેવભાઈ દેસાઈ વિશે ચરિત્રલેખન કર્યું છે. મૃદુલા મહેતા કૃત ‘દેવદૂત : જ્યૉર્જ વૉશિંગ્ટન કાર્વર’ (૧૯૬૭) અને ‘બે પુણ્યશ્લોક પુરુષો’(૧૯૮૬)માં લેખિકાની રજૂઆતકળા અને ભાષાપ્રભુત્વની ક્ષમતા દેખાઈ આવે છે. લેખિકા થોડા દિવસ પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજ સાથે રહ્યાં તેના આધારે બે પુણ્યશ્લોક પુરુષોનું આલેખન કર્યું છે. દક્ષિણ કુમાર જોશીએ પિતા ‘ધૂમકેતુ’ વિશે બે ચરિત્રો તૈયાર કર્યાં છે. જેમાં ‘ધૂમકેતુની ઉત્તરયાત્રા’ (૧૯૭૧) અને ‘ધૂમકેતુના જીવનઘડતરની વાતો’(૧૯૬૫)માં સરળ રીતે પિતાનો ગુણાનુવાદ કર્યો છે.

ગાંધીજી વિશે રસપ્રદ પ્રસંગો આલેખીને ઉમાશંકર જોષીએ ‘ગાંધીકથા’ (૧૯૬૯) ઉપરાંત ‘હૃદયમાં પડેલી છબીઓ’ દ્વારા વ્યક્તિત્વના વિશેષોને ઉપસાવી આપ્યા હતા. તેમાં રજૂઆતની ભાષાએ અગત્યનો ભાગ ભજવ્યો છે. આથી આ જીવનચરિત્રોને વ્યાપક આવકાર મળ્યો છે. ઈશ્વરભાઈ દેસાઈ લિખિત ‘બે કર્મવીર ભાઈઓ’ (૧૯૭૪) સુરતના કુંવરજીભાઈ અને કલ્યાણજીભાઈની સેવાઓને પ્રત્યક્ષ કરાવે છે. ધીરુભાઈ ઠાકરે લખેલ ‘મણિભાઈ નભુભાઈ : જીવનરંગ’ (૧૯૫૭) અને કસ્તૂરભાઈ લાલભાઈ શેઠની જીવનકથા ‘પ્રગતિ અને પરંપરા’ (૧૯૮૦) કર્મઠ પુરુષના વ્યક્તિત્વને સુપેરે ઉપસાવે છે. દલપત શ્રીમાળી લિખિત ‘સેવામૂર્તિ’ પરીક્ષિતલાલ (૧૯૭૧), ગુજરાતના ઉત્તમ હરિજનસેવક પરીક્ષિત મજમુદારનાં જીવનકાર્ય અને ભાવનાઓને પ્રસંગો દ્વારા સરળ ભાષામાં રજૂ કરે છે. આ ચરિત્રમાં તેમનાં ત્યાગ અને જીવનસમર્પણ દૃષ્ટાંત સ્વરૂપે તથા પ્રભાવક રીતે માણી શકાય છે.

કેળવણીકાર લીનાબહેન શેઠે ‘અખંડ દીવો’(૧૯૭૯)માં માતા સરલાદેવી અને અંબાલાલ(પિતા)ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ગુજરાતના અગ્ર હરોળના મહાજન અંબાલાલ સારાભાઈના પરિવાર વિશે તથા સુપ્રતિષ્ઠિત ‘શ્રેયસ’ ફાઉન્ડેશનનાં સ્થાપક લીનાબહેનના જીવનઘડતરની આસ્વાદ વિગતો આ લઘુ સ્મૃતિગ્રંથમાં મળે છે. જ્યોતિબહેન થાનકી કૃત બે જીવનચરિત્રો છે, જેમાં ‘પૂર્વવાહિની’(૧૯૮૧)માં ભગિની નિવેદિતાનું પ્રભાવક ચરિત્ર આલેખ્યું છે. ‘પરિવ્રાજકનું પાથેય’(૧૯૮૧)માં કાકાસાહેબ કાલેલકરનાં જીવન અને વિચારને મૂર્ત કર્યા છે. ‘વાત્સલ્યમૂર્તિ મા’ (૧૯૭૭), ‘પ્રભુનું સ્વપ્ન’(૧૯૭૯)માં ફાધર વાલેસના જીવનસંઘર્ષનું ‘સ્વપ્ન શિલ્પી’(૧૯૭૯)માં નાનજી કાલિદાસનું ચરિત્રદર્શન કરાવ્યું છે.

‘શ્રી સી. તેજપાલ’ (૧૯૮૨) ચીમનલાલ સોમપુરા દ્વારા રચિત ક્રાંતિકારી વિચારોનો પ્રચાર કરનાર છોટુભાઈ તેજપાલનું જીવનચરિત્ર છે. એચ.એમ. પટેલ કૃત ‘સરદાર પટેલની સિદ્ધિઓ’ (૧૯૮૨) ‘વિઠ્ઠલભાઈ પટેલ’ (૧૯૮૩) લાઘવપૂર્ણ ચરિત્રચિત્રણ છે. કાન્તિલાલ શાહ કૃત ‘પાગલ દેશભક્ત વાસુદેવ બળવંત ફડકે’ (૧૯૮૩), રમણલાલ જોશી કૃત શબ્દલોકના યાત્રીઓ – (ભાગ-૧,૨)(૧૯૮૩)માં ૧૩૧ સાહિત્યકારોનો પરિચય પ્રાપ્ત થાય છે. આ ચરિત્રલેખનમાં સર્જકોનાં વતન, જન્મસ્થળ, અભ્યાસ, વ્યવસાય અને સાહિત્ય-સર્જનની વિગતો સંક્ષેપમાં વર્ણવી છે. સુરેશ દલાલે ‘ખલિલ જિબ્રાન’ (૧૯૮૨) અને ‘કવિ ખબરદાર’ (૧૯૮૧); ચરિત્રો આપ્યાં છે.’ સંતસમાગમ(૧૯૮૩)માં ત્રણ જાણીતા સંતો મોરારિબાપુ, પાંડુરંગ આઠવલે શ્રી પ્રેમચૈતન્યનું જીવન, ચિંતન, મનન અને કથનનું દર્શન સુરેશ દલાલે કરાવ્યું છે. પ્રવીણ ભટ્ટ કૃત ‘કૃષ્ણમૂર્તિચરિત્ર’ (૧૯૮૩) પણ ઉલ્લેખનીય છે.

‘પ્રભાશંકર પટણી : વ્યક્તિત્વ દર્શન’ (૧૯૮૩) મુકુન્દરાય પારાશર્યે નિર્ધન અવસ્થામાંથી પુરુષાર્થ અને પ્રતિભાના બળે ઉન્નતિ કરનાર પ્રભાશંકરના વ્યક્તિત્વના વિવિધ પ્રસંગો સ્પષ્ટ કર્યા છે. ‘સ્વાતંત્ર્યસેનાની ગંગાબહેન ઝવેરી’(૧૯૮૩)માં રતિલાલ અધ્વર્યુએ ગાંધીજીના ઉલ્લેખનીય જીવનના ૭૫ પ્રસંગો પ્રસ્તુત કર્યા છે. કસ્તૂરબાના જીવનના મહત્ત્વના પ્રસંગોને સરળ શૈલીમાં આલેખતી સંક્ષિપ્ત જીવનકથા ‘વત્સલ મા કસ્તૂરબા’(૧૯૮૩)માં રજનીકાંત જોશી દ્વારા આલેખવામાં આવી. ભોગીભાઈ ગાંધી અને સુભદ્રા ગાંધી દ્વારા રચિત ‘મહર્ષિ તૉલ્સતૉય જીવનરંગ’(૧૯૮૩)માં રશિયન સાહિત્યકાર અને તત્ત્વચિંતક તૉલ્સ્તૉયના જીવન સંઘર્ષની વાત કરવામાં આવી છે. નરેન્દ્ર દવેએ ‘ક્રાંતિકારી દયાનંદ’(૧૯૮૩)માં સ્વામી દયાનંદ, રાજા રામમોહનરાય અને સ્વામી વિવેકાનંદ ‘ભારતીય જનતાના રાષ્ટ્રીય ઉદ્દામ પ્રગતિશીલ ક્રાંતિકારી જનમુક્તિ આંદોલન’ના આદ્યજનક હતા, એવું સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે.

અરુણિકા મનોજ દરુએ ‘હજરત મહંમદ પયંગબર’ અને ‘ભગવાન બુદ્ધ’ (૧૯૮૩) ગુણવંત શાહ કૃત ‘સરદાર એટલે સરદાર’ (૧૯૮૩) તપોમૂર્તિ ભક્તિબાનો સેવાયજ્ઞ (૧૯૮૩) સતીષચંદ્ર જોશી કૃત. મોહન દાંડીકરે લખેલ ‘નાનાભાઈનું જીવનદર્શન’(૧૯૮૪)માં નાનાભાઈ ભટ્ટના જીવનપ્રસંગો, વિચાર ભૂમિકાઓ અને સંસ્થાઘડતરને ઉપસાવી આપ્યું છે. પુષ્કર ચંદરવાકર કૃત’ ‘શ્રેયાર્થી દાદાસાહેબ માવળંકર’(૧૯૮૪)માં દાદાસાહેબના વ્યક્તિત્વની વિશેષતાઓ અને સત્યનિષ્ઠાનું પ્રભાવક આલેખન કર્યું છે. મનસુખલાલ સાવલિયા કૃત ‘જે પીડ પરાઈ જાણે રે’(૧૯૮૪)માં મોહનલાલ વિરજીભાઈ પટેલનું જીવનચરિત્ર આલેખ્યું છે. ‘દેશદેશના ગાંધી’(૧૯૮૪)માં રણછોડભાઈ પટેલે ગાંધીજી અને તેમના આદર્શોને જીવનમાં ઉતારનારા માર્ટિન લ્યુથર જેવા છ નેતાઓનો પરિચય કરાવ્યો છે. ગુણવંત શાહે કરુણામૂર્તિ બુદ્ધ’ (૧૯૮૪) નામક ચરિત્રમાં બુદ્ધના જીવનના કેટલાક પ્રસંગો વિશે ચિંતન કર્યું છે. આજીવન સત્યાગ્રહી વીર આત્મારામ(૧૯૮૪)માં મીરાં ભટ્ટે આત્મારામના નિર્ભયતાના ગુણનો ચિતાર દર્શાવ્યો છે. સતીશચંદ્ર જોશીનાં ત્રણચરિત્રો ‘રાષ્ટ્ર સેવક દરબાર ગોપાળદાસ દેસાઈ’ (૧૯૮૧) ‘તપોમૂર્તિ ભક્તિબાનો સેવાયજ્ઞ’ (૧૯૮૩) લોકસેવક ભગવાનભાઈ (૧૯૯૨) સરળ અને ભાવાંજલિરૂપ છે.

હસમુખ રાવળે ‘સરદાર વલ્લભભાઈ પટેલ’(૧૯૮૫)માં સરદારનું જીવન આલેખ્યું છે. હરબન્સ પટેલ કૃત ગાંધીગુણદર્શન(૧૯૮૫)માં ગાંધીજીનું મનુષ્ય તરીકે મૂલ્યાંકન કરતા જીવનપ્રસંગો વર્ણવ્યા છે. મીરાં ભટ્ટ રચિત ‘મહાત્મા ગાંધી’ (૧૯૮૫) તથા ‘મહર્ષિ વિનોબા ભાવે’ (૧૯૮૫) ચરિત્રો નોંધપાત્ર છે. રમેશચંદ્ર ઘંટીવાળા કૃત ‘પૂજ્ય સંતશ્રી નિર્વાણ સાહેબની જીવનઝરમર’ (૧૯૮૫), ધીરુભાઈ દેસાઈ દ્વારા લખાયેલ ‘વિદ્યાપીઠની મા’(૧૯૮૫)માં ગૂજરાત વિદ્યાપીઠના અસાધારણ સેવકનું જીવનચરિત્ર છે. તમિલ કવિ સુબ્રમણ્યમ ભારતી(૧૯૮૫)માં રજનીકાંત જોશીએ રાષ્ટ્રપ્રેમ, કૃષ્ણપ્રેમ અને કવિનું જીવનકવન આલેખ્યું છે.’ શેખાદમ ગ્રેટાદમ(૧૯૮૫)માં વિનોદ ભટ્ટે પોતાના મિત્ર શેખાદમ આબુવાલાનાં રોચક સંસ્મરણો આલેખ્યાં છે.

‘નોખા અનોખા’(૧૯૮૮)માં પ્રફુલ્લ રાવલે આદ્ય શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય અને સહજાનંદ ચાર ધર્મના પ્રવર્તકોના જીવનનો પરિચય કરાવ્યો છે. હસમુખ રાવલ કૃત ‘નાના ફડનવીસ’ (૧૯૮૬), ‘મહામના અબ્રાહમ લિંકન (૧૯૮૫) – મુકુલ કલાર્થી,’ ભગવાન ઈશુ (૧૯૮૫) – મીરાં ભટ્ટ, ‘મિર્ઝા ગાલિબ’ (૧૯૮૬) – અબાબક્ષ શેખ. પુષ્કરભાઈ ગોકાણી કૃત ‘કર્મયોગી ગુર્જિએફ’(૧૯૮૬)માં વર્તમાન યુગના ચિંતક, સાધના અને પૌલિકતાનું ચરિત્રચિત્રણ કર્યું છે. ‘મને કેમ વિસરે રે?’(૧૯૮૬)માં નારાયણ દેસાઈની ચરિત્રલેખનની વિશેષતાઓનો આસ્વાદ્ય પરિચય મળે છે. રતન માર્શલે ‘માદામ ભીખાઇજી કામા’(૧૯૮૬)માં પારસી વ્યક્તિઓનો પરિચય આપીને બહુ ઓછા ખેડાયેલાં ચરિત્રોનો આપણને ભેટો કરાવ્યો છે.

બબાભાઈ પટેલે ‘જે. કૃષ્ણમૂર્તિ : જીવન અને દર્શન’ (૧૯૮૭) આપ્યું છે. ગાંધીજી(૧૯૮૭)માં ઉષા મહેતાએ ગાંધીજીના વિચારોની છણાવટ કરી છે. શાંતિલાલ જાની કૃત ‘ભારતનાં નારીરત્નો’ (૧૯૮૭), ગુણવંત શાહ દ્વારા ‘શક્યતાના શિલ્પી શ્રી અરવિંદ’ (૧૯૮૭) નિમિત્તે ક્રાંતિ તથા અધ્યાત્મનું જેમાં સિદ્ધ થયું તેવા પૂર્ણયોગના સાધક અરવિંદ વિશે અભ્યાસપૂર્ણ મૌલિક ચિંતન મળે છે. દાદાસાહેબ માવળંકરની જન્મશતાબ્દી નિમિત્તે તેમના પુત્ર પુરુષોત્તમ ગણેશ માવળંકરે ‘પિતાનો વારસો’(૧૯૮૯)માં પ્રગટ કરી છે. શ્રી વાડીલાલ ડગલી કૃત ‘પુરુષાર્થનાં પગલાં’ (૧૯૮૯) મળે છે, ‘થોડા નોખા જીવ’(૧૯૮૯)માં સોળ વ્યક્તિચિત્રો સંગ્રહિત કરવામાં આવ્યાં છે. પ્રસિદ્ધ હાસ્યલેખક વિનોદ ભટ્ટે ‘વિનોદલક્ષી વ્યક્તિચિત્રો’(૧૯૮૯)માં આપ્યાં છે. લાભશંકર ઠાકરનું ‘બાપા વિશે’(૧૯૯૩)માં લાભશંકર તેમના બાપા વિશે બધી જ વિલક્ષણતાઓ સાથે રજૂ થાય છે. ‘મારી બા’(૧૯૮૯)માં લા.ઠા.નાં પોતાની માતા પ્રત્યેનાં સંસ્મરણોની ઝાંખી અરૂઢ રીતે વ્યક્ત થયેલી જોવા મળે છે.

ચરિત્રસાહિત્યનું શિરમોર જીવનચરિત્ર છે. નારાયણ દેસાઈ કૃત ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’(૧૯૯૨)માં કેવળ મહાદેવભાઈની જ કથા નથી, ગાંધીજીની પણ છે. અનેક તત્ત્વો, સંદર્ભો, નિર્ણયો, પ્રક્રિયાઓ અને તેમાંથી જન્મેલી ઘટનાઓ ગાંધીજીના સંદર્ભે આલેખાઈ છે. મારું જીવન એ જ મારી વાણી’ (૨૦૦૩) મહાત્મા ગાંધીજીનું શકવર્તી મહાચરિત્ર છે. જેને ચાર ખંડોમાં ખંડ-૧ સાધના, ૨. સત્યાગ્રહ, ૩. સત્યપથ ૪. સ્વાર્પણ. તે ગાંધીજીના આંતરવિકાસના પરિચાયક છે. સુપ્રસિદ્ધ લેખક ચંદ્રકાંત બક્ષીનું જીવનચરિત્ર ‘બક્ષી : એક જીવની’ મળે છે. જયંતીલાલ મહેતાએ બક્ષીના વિવિધ રૂપો આ ગ્રંથમાં ઉપસાવ્યાં છે. કાંતિ શાહ કૃત ‘એકત્વની આરાધના’ (૧૯૯૩) દસમા દાયકાનું નોખી ભાત પાડતું ચરિત્રપુસ્તક છે. ભગિની યુગલ કાન્તાબહેન અને હરિવિલાસબહેનની સ્ત્રી તરીકે જન્મ લેવા, સ્ત્રી હોવાના કહેવાતા અભિશાપો ભોગવનાર બંને બહેનોના જીવન- સંઘર્ષોમાંથી જોડાતી ચેતનાનું આવિષ્કરણ આ ચરિત્રમાં જોવા મળે છે.

ગુજરાતી રંગભૂમિના જાણીતા અભિનેતા પ્રાણસુખ નાયકનું ચરિત્રાંકન દિનકર ભોજક અને વિનુભાઈ શાહે ‘રંગનાયક પ્રાણસુખ’(૧૯૯૫)માં કર્યું છે. કનુભાઈ જાની કૃત ‘મેઘાણીછબી’(૧૯૯૬)માં મેઘાણીચરિત્ર જોવા મળે છે. નારીચરિત્રને ચરિત્રસાહિત્યમાં સ્થાન મળે છે એ વિષ્ણુ પંડિત લિખિત જીવનસાધકની વિમલયાત્રા(૧૯૯૭)માં જોવા મળે છે. વિમલાતાઈના જીવનની કેટલીક અપરિચિત વાતો, કાર્યક્ષેત્રો વિશેનું આલેખન આ ચરિત્રલેખનમાં જોવા મળે છે. જયંત કોઠારીએ લખેલું કલાપી : સ્મરણમૂર્તિ(૧૯૯૮)માં કલાપીના જીવનકવનનો પરિચય મળે છે. યોગેશ જોશીકૃત ‘મોટી બા’ (૧૯૯૮) નોંધપાત્ર ચરિત્રલેખન છે. મનસુખલાલ સલ્લાએ ‘ધરતીપુત્ર’(૧૯૯૮)માં લલ્લુભાઈ પટેલનું જીવનચરિત્ર આલેખ્યું છે.

પુરુરાજ જોશીએ ‘જિજ્ઞાસુની ડાયરી’ (૧૯૯૯) રૂપે સાવલીના સ્વામીજીનું જીવન આલેખન કર્યું છે. લેખકે જિજ્ઞાસુ ભાવે સ્વામીજીના અહોભાવ, જીવનમૂલ્યો, ચરિત્રરેખાઓ પ્રગટ કરી છે. મીરાંબહેન ભટ્ટ કૃત ‘હાથે લોઢું હૈયે મીણ’(૧૯૯૯)માં ભાવનગરના સેવાપ્રવૃત્તિના વડલારૂપ માણભટ્ટનું ચરિત્ર લખ્યું છે. ભરત ના. ભટ્ટે ‘નાનાભાઈ ભટ્ટ : પ્રસંગદીપ(૨૦૦૧)માં નાનાભાઈના પ્રસિદ્ધ અને પોતે અનુભવેલા પ્રસંગો દ્વારા નાનાભાઈની ખૂબીઓ અને કેળવણીસમજ, તત્ત્વપ્રીતિ વગેરે પ્રગટાવ્યું છે. મહેશ દવેએ ‘કવિતાનો સૂર્ય : રવીન્દ્રચરિત્ર’(૨૦૦૪)માં રવીન્દ્રનાથ ટાગોરનાં જીવન-કાર્ય-સર્જનનો પરિચય કરાવ્યો છે. રમેશ ઓઝાએ ‘ઋષિકથા’(૨૦૦૪)માં હરિવલ્લભ ભાયાણીની સર્વાંગી છબી ઉપસાવી આપી છે.

ઉર્વીશ કોઠારી કૃત ‘સરદાર-સાચો માણસ – સાચી વાત’(૨૦૦૫)માં સરદારનું સર્વાંગી નોંધપાત્ર ચિત્રણ કર્યું છે. રમણ પાઠકે તેમની પત્ની સરોજ પાઠક વિશે ‘અતિતના આયનાની આરપાર’(૨૦૦૬)માં સરોજબહેનના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં આંતરિકતા છતાં તટસ્થ રહીને આલેખ્યા છે. કૃષ્ણકાંત કડકિયાનું ‘ભર્યું ભર્યું અસ્તિત્વ’(૨૦૦૭)માં કે.કા. શાસ્ત્રીનું જીવનચરિત્ર આલેખ્યું છે. રઘુવીર ચૌધરીએ ‘માનસથી લોકમાનસ’(૨૦૦૮)માં મોરારિબાપુની જીવનકથા રજૂ કરી છે.

જીવનચરિત્રના સાહિત્યનો દરેક ભાષામાં ચોક્કસ વાચકવર્ગ હોય છે. સાધારણ ભાવકો કે અધિકારી ભાવક; દરેકને માટે જીવનચરિત્રનું સાહિત્ય અભ્યાસદૃષ્ટિને વ્યાપક ભૂમિકા કેળવવામાં સહાયક બને છે.

[ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી]

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, અંક 144 – વર્ષ 13 – નવેમ્બર 2019; પૃ. 09-12

Loading

શક્તિરૂપેણ સંસ્થિતા ધરતીપુત્રી ગ્રેટા તુન્બર્ગ

અરવિંદ વાઘેલા|Opinion - Opinion|15 November 2019

‘મારાથી જે અશક્ય હોય, તે કરવાના પ્રયત્નો વડે જ શક્યતાની સીમાને ઓળંગીને મારો વ્યાપ વધારી શકીશ.’ માણસના ખમીર, ખુમારી અને ખુદ્દારીને દર્શાવતું આ વિધાન સાંપ્રત વિશ્વની, એક સ્વિડિશ, ષોડશી ગ્રેટા તુન્બર્ગને સંદર્ભે બિલકુલ યથાર્થ ઠરે છે. વર્તમાન વિશ્વ સામે વિકટ પર્યાવરણીય પરિસ્થિતિ ઊભી કરનાર ક્લાઇમેટ ચેન્જ(જળવાયુ-પરિવર્તન)ની સમસ્યા સામે વૈશ્વિક ફલક પર આંદોલન પ્રેરનાર અને વિશ્વના સત્તાધીશોને ડારતો – 'How Dare you?’નો એક અવાજ એટલે ગ્રેટા તુન્બર્ગ. સોળ વર્ષની આ અનન્ય કિશોરીની કાવ્યમય ઓળખ આ રીતે કરી શકાય કે ….

’મૈં હું અકેલા, નહિ કોઈ મેરા,
ફિર ભી મૈં એક કારવાં હૂં,
ઊઠું તો આસમા ચૂમ લૂં , ઝૂકું તો ચીર દૂં  ઝમીં 
મૈં કુદરત કા  વો ઝર્રા હૂઁ , કુદરત ભી હૈ ફના મુઝ પે’

વિશ્વમાં પર્યાવરણ ક્ષેત્રે અનેક પર્યાવરણવાદીઓ કાર્ય કરી રહ્યા છે ત્યારે, માત્ર સોળ વર્ષની, કાચી વયની એક કિશોરીએ પોતાના આખાબોલા, સ્પષ્ટ વક્તા સ્વભાવને કારણે દુનિયામાં હલચલ મચાવી દીધી છે. ગ્રેટાએ દુનિયાની મહાસત્તાઓ અને એના સત્તાધીશોને જનતાની અદાલતમાં ઊભા કરી દીધાં  છે. રમવાની, નાચવા-કૂદવાની, ભણવાની ઉંમરે આ છોકરીએ એક ગંભીર અને મહત્ત્વના વિષયમાં આંદોલન છેડ્યું છે. ગ્રેટાની ઉંમર આમ તો કાચી કે અપરિપક્વ છે, પણ તેનું વ્યક્તિત્વ મૅચ્યૉર છે. આપણા વ્યવહાર જગત કે સમાજજીવનમાં કોઈ વ્યક્તિ કે કોઈ ચીજ કાચી હોય, તો આપણે તેને મહત્ત્વ આપતા નથી, તરત તેનો કાંકરો કાઢી નાખીએ છીએ, એટલું જ નહિ તેને ઇમ્મૅચ્યૉર કહીને ઉતારી પણ પાડીએ! પણ મને તો અપરિપક્વતા ખૂબ ગમે છે. કેમ કે ’કાચો માણસ સૌથી વધુ સંવેદનશીલ અને જીવતી ચામડીનો હોય છે. માનવીમાં રહેલી કચાશ ખોટાં મૂલ્યો સાથે ક્યારે ય સમાધાન કરતી નથી. કચાશનો સ્વભાવ જ દાંત ખાટા કરી નાખવાનો છે.’ ગ્રેટા તુન્બર્ગનું વ્યક્તિત્વ અદ્દલ આ પ્રકારનું જ છે.

૩ જાન્યુઆરી, ૨૦૦૩ના રોજ સ્વિડનના સ્ટોકહોમમાં જન્મેલી ગ્રેટાને ખુદ્દારી અને ખુમારી માતા-પિતા અને દાદાના સમૃદ્ધ વારસામાં પ્રાપ્ત થઈ છે. દાદા ઓલોફ તુન્બર્ગ સ્વિડિશ ટીવી અને ફિલ્મના ઍક્ટર – ડાયરેક્ટર છે. પ્રભાવક વાણી ધરાવતા, ઘેઘૂર અવાજના સ્વામી દાદા ઓલોફ તુન્બર્ગ સ્વિડિશ રેડિયો પર જુદા-જુદા કાર્યક્રમોના ઉદ્‌ઘોષક છે. ’ધ જંગલબુક’ ટીવી સિરીઝના સ્વિડિશ વર્ઝનમાં તેમણે શેરખાનના પાત્રને અવાજ આપ્યો હતો. ગ્રેટાના પિતા સ્વાન્તે તુન્બર્ગ પણ સ્વિડનના જાણીતા લેખક, એક્ટર, પ્રોડ્યુસર અને પત્રકાર છે. જ્યારે માતા મલેના એર્નમેન જાણીતાં ઓપેરાસિંગર છે. ઝાઝ, પોપ, ઓપેરા, કેબ્રે જેવા આધુનિક વેસ્ટર્ન મ્યુઝિકના તેમનાં અનેક આલ્બમ પ્રકાશિત થયાં છે. અનેક આંતરરાષ્ટ્રીય કૉન્સર્ટમાં તેમણે પરફૉર્મન્સ આપ્યાં છે. પરંતુ દીકરી ગ્રેટાના આહ્વાન પર, હવાઈ યાત્રાની પર્યાવરણીય અસરોને કારણે મલેનાએ પોતાની ઓપેરા સિંગર તરીકેની ઝળહળતી આંતરરાષ્ટ્રીય કારકિર્દી છોડી દીધી. પિતા સ્વાન્તેને આરંભે તો ગ્રેટા સ્કૂલના ભોગે આંદોલન કરે તે પસંદ નહોતું, છતાં તેમણે ગ્રેટાના નિર્ણયનું સન્માન કર્યું અને પ્રોત્સાહન પૂરું પાડ્યું. એટલું જ નહિ, પણ દીકરી ગ્રેટાના આગ્રહથી, પર્યાવરણના રક્ષણ અર્થે તેમના કુટુંબે પોતાની જીવનશૈલી બદલી કાર્બનનું ઉત્સર્જન ઘટાડવા તેમણે પણ હવાઈ યાત્રાઓનો ત્યાગ કર્યો, ભોજનમાં માંસનો ત્યાગ કરી શાકાહાર અપનાવ્યો. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં જીવતા કુટુંબ માટે આ સઘળી બાબતો ઘણી મુશ્કેલ હતી. છતાં ગ્રેટાને પ્રોત્સાહન અને સમર્થન પૂરું પાડવા તેઓએ આ ત્યાગ કર્યો. ગ્રેટા પણ માતા-પિતાના હકારાત્મક અને ભાવનાત્મક સહકારની કદર કરે છે.

ગ્રેટાની નાનકડી જિંદગી અનેક ઉતારચઢાવથી ભરેલી છે. આઠ વર્ષની ઉંમરે ગ્રેટા ૨૦૧૧માં પ્રથમ વાર ક્લાઇમેટ ચેન્જ ( જળવાયુ, પરિવર્તન ) વિશે સંભાળે છે, પણ એના વિશે કઈ ઝાઝું સમજી શકતી નથી. ધીરે-ધીરે સમજણ પ્રાપ્ત થતાં, પર્યાવરણીય પ્રશ્નો અને વિશ્વના દેશોની ગુનાહિત બેદરકારીએ તેને હચમચાવી દીધી. અગિયાર વર્ષની નાની ઉંમરમાં ક્લાઈમેટ ચેન્જના પ્રશ્ને વિચારતાં વિચારતાં તે હતાશામાં ગરકાવ થઈ ગઈ, ડિપ્રેશનનો ભોગ બની. હતાશાને કારણે તે આળસુ બની ગઈ, ખાવાનું તો છોડી દીધું. પણ વાત કરવાનુંયે બંધ કરી દીધું .ધીરે ધીરે તે માનસિક રીતે પડી ભાંગી.

ગ્રેટા તુન્બર્ગ(Greta Tintin Eleonora Eruman Thunbarg)ની ઓળખ દુનિયાને પ્રથમ વાર ઑગસ્ટ, ૨૦૧૮માં થઈ. જ્યારે પંદર વર્ષની નાની ઉંમરે સ્કૂલ જવાને બદલે તેણે સ્વિડિશ પાર્લામેન્ટની સામે દેખાવો કર્યા. તે સમજી ચૂકી હતી કે ગ્લોબલ વૉર્મિંગનું કારણ પર્યાવરણ સામેનાં જોખમો છે, માટે તેણે સ્વિડનના સત્તાધીશો સામે મોરચો માંડ્યો અને પર્યાવરણની સુરક્ષા માટે નક્કર કાર્ય કરવા માંગ કરી.

’મૈં અકેલા હી ચલા થા જાનિબે મંઝિલ,
લોગ આતે ગયે ઔર કારવાં બનતા ગયા’

ધીરે ધીરે તેની વાત લોકોની સમજમાં આવી, જેને કારણે વિદ્યાર્થીઓ અને લોકો તેની સાથે જોડાયા.

ગ્રેટાએ હજુ તો નવમા ગ્રેડ(માધ્યમિક સ્કૂલ)ની શરૂઆત જ કરી હતી અને ૨૦ ઑગસ્ટ, ૨૦૧૮ના રોજ તેણે સ્કૂલ ન જવાનું નક્કી કર્યું. ૨૦૧૮ના વર્ષે સ્વિડનના ઇતિહાસમાં પાછલાં ૨૬૨ વર્ષોમાં ન પડી હોય તેટલી રેકૉર્ડબ્રેક ગરમી પડી, આ સૌથી વધુ ગરમ ઉનાળામાં સ્વિડનનાં જંગલો ભડકે બળી રહ્યાં હતાં, પર્યાવરણને ભયંકર નુકસાન થઈ રહ્યું હતું. આ વિષમ પરિસ્થિતિ અને ગ્લોબલ વૉર્મિંગની અસરથી સ્વિડનના લોકો ત્રાહિમામ્‌ પોકારી ઊઠ્યા હતા. આવા વિકટ સંજોગોમાં ગ્રેટાએ આંદોલનની શરૂઆત કરી. પોતાના દેશની સરકાર પાસે તેની મુખ્ય માંગણી, સ્વિડનમાં પૅરિસ કરાર મુજબ કાર્બન ડાયૉક્સાઇડનું પ્રમાણ ઘટાડવા માટે કાર્બનનું ઉત્સર્જન ઘટાડવા માટેની હતી. સ્વિડિશ પાર્લામેન્ટ (Riksdag)ની બહાર દરરોજ સ્કૂલના સમયના ત્રણ કલાક, ત્રણ અઠવાડિયાં સુધી બેસીને દેખાવકારોએ સ્વિડિશ ભાષામાં લખાયેલ – ’સ્કૂલ સ્ટ્રાઇક ફોર ધ ક્લાઇમેટ’ના બૅનરો અને પ્લેકાર્ડ સાથે  દેખાવો કર્યા. ગ્રેટાએ ત્યાં – 'I am doing this because you adults are sitting on my future’ જેવાં માર્મિક લખાણોવાળાં ચોપાનિયાં પણ વહેંચ્યાં.

ગ્રેટા તુન્બર્ગના જળવાયુ-પરિવર્તન સામેના આ આંદોલનના મૂળમાં અમેરિકાના ફ્‌લોરિડામાં બનેલી એક કરુણ ઘટના છે. એની ગૂડમેન સાથેના ઇન્ટરવ્યૂમાં આ બાબતે તેણે નિખાલસ સ્પષ્ટતા કરી છે કે ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૮માં માર્જોરી સ્ટોનમેન ડગ્લાસ હાઈસ્કૂલ, પાર્કલૅન્ડમાં એક ઓગણીસ વર્ષના વિદ્યાર્થી નિકોલસ ક્રુઝે શાળામાં સેમીઑટોમેટિક રાઇફલથી ગોળીબાર કરી સત્તર જેટલા વિદ્યાર્થીઓની હત્યા કરી, આ સ્કૂલ શૂટિંગમાં અનેક વિદ્યાર્થીઓ ઘવાયા હતા. આ ઘટનાના ડરને કારણે વિદ્યાર્થીઓ સ્કૂલે જવાની ના પાડતા હતા. આને કારણે ગ્રેટાના મનમાં સ્કૂલ સ્ટ્રાઇકનો વિચાર જન્મ્યો. ગ્રેટાએ આ શેતાની કૃત્ય વિરુદ્ધ અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માર્જોરી સ્ટોનમેન ડગ્લાસ હાઈસ્કૂલ,પાર્કલેન્ડમાં 'March for our lives’ને નામે કૂચ પણ યોજી હતી.

ગ્રેટાએ, મે, ૨૦૧૮માં એક સ્વિડિશ ન્યૂઝપેપર આયોજિત ’ક્લાઇમેટ ચેન્જ’ વિશેની નિબંધ સ્પર્ધા જીતી. તેનો આ નિબંધ એ  ન્યૂઝપેપરે પ્રકાશિત કર્યો, આ નિબંધમાં તેણે લખ્યું હતું કે – “I want to feel safe. How can I feel safe, when I know we are in the greatest crisis in human history ?” નોંધપાત્ર છે કે, સ્વિડનના એક શિલ્પી-કલાકાર બો થોરેને દક્ષિણ સ્વિડનના કુદરતી સૌંદર્યથી ભરપૂર ભાતીગળ પ્રાંત ડાલ્સ લેન્ડને અશ્મિભૂત પ્રદૂષણથી બચાવવાની હિમાયત કરી હતી, એ બો થોરેને પણ ગ્રેટાને કલાઈમેટ ચેન્જ માટે સ્કૂલ સ્ટ્રાઇકનું સૂચન કર્યું હતું.

માહિતી અને સંચારક્રાંતિના આ યુગમાં ગ્રેટાના જળવાયુ-પરિવર્તનના આંદોલનને સોશિયલ મીડિયાનો ભરપૂર સાથ મળ્યો. ગ્રેટા તુન્બર્ગના ઉદયમાં સોશિયલ મીડિયાની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. ગ્રેટાએ પોતાની સ્કૂલ-હડતાળના ફોટા ઇન્સ્ટાગ્રામ, ટિ્‌વટર અને બીજા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં જ તેના શુભ હેતુને જાણી ગયેલા લોકોનો જબરદસ્ત વૈશ્વિક સપોર્ટ તેને પ્રાપ્ત થયો. સોશિયલ મીડિયાએ  તેના આ આંદોલનને વૈશ્વિક રૂપ આપ્યું. બીજી તરફ ભારતના સોશિયલ મીડિયા અને યુવાનોનું વર્તમાન ચિત્ર નિરાશાજનક છે. હાઈ …હલ્લો…ના મૅસેજ, PUBG જેવી ગેમ, અફવા અને ફેક ન્યૂઝમાં રમમાણ ભારતીય યુવાનો મીડિયા અને સોશિયલ મીડિયા જાણે પોતાનો ધર્મ ભૂલી ગયા છે. એટલે ગ્રેટા આપણે માટે પ્રેરણારૂપ છે. દુનિયા માટે કંઈક કરી છૂટવાની ભાવના અને મીડિયાનો હકારાત્મક સાથ મળતાં, ગ્રેટા આજે સેલિબ્રિટી બની ચૂકી છે. ’ઇન્ગમાર રેન્ટઝોગ નામની ક્લાઇમેટ ચેન્જ માટે કામ કરતી એક સ્વિડિશ કંપનીના સ્થાપકનું ધ્યાન ગ્રેટા પર ગયું, અને તેમણે ‘WE DON'T HAVE TIME (WDHT)’ જેવા હૃદયસ્પર્શી શીર્ષકથી ગ્રેટાની સ્ટ્રાઇકને આકર્ષક રીતે વિશ્વના લોકો સુધી પહોંચાડી. ફ્રીલાન્સ ફોટોગ્રાફરોએ મિસ તુન્બર્ગની સ્કૂલ સ્ટ્રાઇકની તસવીરો ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી. અંગ્રેજીમાં બનાવાયેલો ગ્રેટાનો વીડિયો યુ-ટ્યૂબ પર મુકાયો, જેને હજારો લોકોએ જોયો. ટિ્‌વટર પર ગ્રેટાના ક્વૉટેશનને ફોલો કરનાર બે લાખ લોકો છે અને દિનપ્રતિદિન તેની સંખ્યા વધતી જાય છે. ’ફ્રાઇડે ફોર ફ્યુચર’ને અનુસરનારા આજે હજારો છે. જાહેર માધ્યમોની જવાબદાર ભૂમિકાએ ગ્રેટાની સ્ટોરીને આંતરરાષ્ટ્રીય ઓળખ અને માન્યતા અપાવી છે.

સ્વિડનમાં આજે પણ ગ્રેટાનું આંદોલન ચાલુ છે, પણ હવે માત્ર શુક્રવારે જ દેખાવો થાય છે. માર્ચ ૨૦૧૯થી તે નિયમિત રીતે સ્વિડનની પાર્લામેન્ટ સામે દેખાવો કરે છે. દર શુક્રવારે અન્ય વિદ્યાર્થીઓ પણ તેમાં જોડાય છે. એટલું જ નહિ પણ દર અઠવાડિયે દુનિયાના કોઈક ને કોઈક સ્થળે જળવાયુ-પરિવર્તન સંદર્ભે દેખાવો કરે છે. ગ્રેટાએ ૨૦૧૯માં બે મોટાં પ્રદર્શનો યોજ્યાં કે જેમાં લાખો વિદ્યાર્થીઓ જોડાયા. ડિસેમ્બર, ૨૦૧૮માં સમગ્ર વિશ્વનાં ૨૭૦ શહેરોમાં ૨૦,૦૦૦ વિદ્યાર્થીઓએ સ્કૂલ-હડતાળ કરી હતી, ભારતમાં પણ હરિયાણાના વિદ્યાર્થીઓએ માનવસાંકળ રચી, અરાવલી બાયો ડાયવર્સિટી પાર્કને બચાવવાનો પ્રયત્ન કર્યો. મેટ્રોશેડ બનાવવાને નામે મુંબઈમાં આરે કૉલોનીનાં ૨,૭૦૦ જેટલાં વૃક્ષ-ઉચ્છેદન સામે પર્યાવરણપ્રેમીઓએ સત્યાગ્રહ કર્યો, છતાં નિષ્ઠુર સરકારે ૨,૦૦૦ જેટલાં વૃક્ષોનો ભોગ લીધો, વર્ષો જૂનાં વૃક્ષોનું નિકંદન નીકળી ગયું. પ્રકૃતિપ્રેમીઓના દેખાવ અને કાયદાકીય લડત પછી સુપ્રીમ કોર્ટના સ્ટેને કારણે બીજાં હજારેક વૃક્ષો બચી ગયાં છે. એને આપણે ગ્રેટા તુન્બર્ગ ઇમ્પેક્ટ ગણી શકીએ. વિકાસને નામે પ્રકૃતિ તબાહ થઇ રહી છે. ગ્રેટા કહે છે કે, જો પૃથ્વી પર પર્યાવરણ નહિ બચાવીએ તો, સઘળી પ્રગતિ કે વિકાસ કંઈ નથી, નિષ્ફળતા જ છે. આપણી સ્થિતિ જોતાં ભારતને પણ કોઈ ગ્રેટા તુન્બર્ગ સમા કર્મવીરની તાતી જરૂર છે.

જાહેર સભા હોય કે રાજનેતાઓની સભા હોય, ગ્રેટા તુન્બર્ગ સ્પષ્ટ વક્તા છે, ભલભલા ચમરબંધીઓ સામે સત્ય ઉજાગર કરતાં તે ડરતી નથી. યુ.એન.ની મહાસભાના મંચ પરથી ડોનાલ્ડ ટ્રમ્પ સહિતના દુનિયાના જમાદારોને એ ખરીખોટી સંભળાવે છે. ક્લાઇમેટ ચેન્જની કટોકટીમાંથી વિશ્વને બચાવવા માત્ર વાતોનાં વડાં નહિ, પણ તત્કાલ નક્કર પગલાં લેવાની વિનંતી પણ કરે છે. UNની ક્લાઇમેટ ચેન્જ કૉન્ફરન્સ, ૨૦૧૮માં પ્રવચન કરતાં ગ્રેટાએ ક્લાઇમેટ જસ્ટિસની માંગ કરી.

કાર્બન ઉત્સર્જન ઘટાડવાના ઉદાહરણ રૂપે, તુન્બર્ગ સંયુક્ત રાષ્ટ્રોની ઑગસ્ટ, ૨૦૧૯ની ક્લાઇમેટ સમીટમાં હાજરી આપવા હવાઈ યાત્રાને બદલે ’મેલેઝિયા II’ નામની સોલાર ઊર્જા અને અન્ડરવૉટર ટર્બાઇનથી ચાલતી ૬૦ ફૂટની રેસિંગ નાવ (yatch) પર પિતા સાથે સવાર થઈ, દક્ષિણ-પશ્ચિમ ઇંગ્લૅડના પ્લીમથ શહેરથી ન્યુયૉર્ક સુધીની એટલાન્ટિક મહાસાગરની ૧૫ દિવસની વિકટ યાત્રા કરે છે. ત્યાં તેણે COP ૨૫ ક્લાઇમેટ ચેન્જ કૉન્ફરન્સમાં પણ વ્યાખ્યાન કર્યું.

ક્લાઈમેટ ચેન્જ અંગેના પોતાના પ્રથમ વક્તવ્યથી લઈ આજ સુધી ગ્રેટા તુન્બર્ગ વિશ્વના શક્તિશાળી રાજનેતાઓ સમક્ષ ’જળવાયુ, પરિવર્તન’ના મુદ્દે નક્કર અને પરિણામલક્ષી કામ કરવા સતત આગ્રહ કરી રહી છે. સાથે સાથે પર્યાવરણ સંદર્ભે પોતાનાં આગઝરતાં ભાષણોમાં લોકબળવાની ચેતવણી ઉચ્ચારે છે અને  પ્રવચનને અંતે કહે છે કે – “No one is too small to make a difference”. પરંતુ જાડી ચામડીના નેતાઓ શાહમૃગનીતિ અપનાવી રહ્યા છે. કદાચ એટલે જ U.N. સેક્રેટરી એન્ટોનિયો ગુત્રેસ, તેને સમર્થન આપતાં કહે છે કે – 'My Generation has failed to respond properly to the dramatic challenge of climate change. This is deeply felt by young people, no wonder they are angry.’

વિશ્વપ્રસિદ્ધ ’ટાઇમ’ મૅગેઝિને ૨૦૧૮માં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે વિશ્વના ૨૫ પ્રભાવક તરુણોની સૂચિમાં ગ્રેટા તુન્બર્ગનું નામ સામેલ કર્યું છે, ગ્રેટાએ વિશ્વને આપેલ  સંદેશ તરફ એક નજર  કરીએ તો સ્વિડિશ પાર્લામેન્ટ સામે ૨૦૧૮માં દેખાવ કરતાં તેણે બે સાદા સંદેશ આપ્યાઃ ૧, School : strike for Climate અને ૨, I am doing this because you adults are sitting on my future. વિશ્વના પ્રતિષ્ઠિત મંચ પરથી બોલતાં ગ્રેટા કહે છે કે, રાજનેતાઓ અને નિર્ણાયકમંડળોએ વૈજ્ઞાનિકોની ચેતવણી પર ધ્યાન આપવું જોઈએ, તેમની વાત સાંભળવી જોઈએ અને પૅરિસકરાર મુજબ કાર્બન એમિસન (ઉત્સર્જન) અને ગ્રીનહાઉસ ગૅસનું હવામાંનું પ્રમાણ ૨૦૩૦ સુધીમાં નોંધપાત્ર રીતે ઘટાડવું જ પડશે. યુરોપિયન ઇકોનૉમિક ઍન્ડ સોશિયલ કમિટીની ફેબ્રુઆરી, ૨૦૧૯ની  કૉન્ફરન્સમાં બોલતાં ગ્રેટાએ યુરોપિયન યુનિયનને આવનાર એક દાયકામાં કાર્બન-ઉત્સર્જન ૮૦ ટકા ઘટાડવા આહ્વાન કર્યું. વિશ્વના અનેક દેશોમાં ફરીને, એકલે હાથે ક્લાઇમેટ ચેન્જની સમસ્યા અંગે, લોકોને જાગૃત કરી રહેલી, ઘણા યુવાઓની રૉલ મૉડેલ ગ્રેટા નૈતિકતાના બળે દુનિયા સામે ઊભી છે. એ એકલી છે પણ .. એક આંદોલન છે.

ગત એક વર્ષમાં ગ્રેટા તુન્બર્ગે અનેક દેશોનો પ્રવાસ કરી, ક્લાઇમેટ ચેન્જ અંગે વક્તવ્યો આપ્યાં. તેના પર અનેક લેખ લખાયા. ગ્રેટાને એક નવી ઓળખ પ્રાપ્ત થઈ – ’નવી પેઢીની નેતા’, પૃથ્વીને બચાવવા નીકળેલી ’પૃથા’ ગ્રેટાને વિશ્વની અનેક સંસ્થાઓએ તેના આ ભગીરથ કાર્ય માટે અનેક ઇનામો અને ઍવૉડ્‌ર્સથી સન્માનિત કરી છે.

શક્તિરૂપે સંસ્થાપિત થયેલી ગ્રેટાને માર્ચ, ૨૦૧૯માં વિશ્વશાંતિના નોબેલ પારિતોષિક માટે નૉમિનેટ કરવામાં આવી હતી. તેના નૉમિનેશનની દલીલોમાં ગ્લોબલ વૉર્મિંગને ભવિષ્યમાં આપત્તિઓ, સંઘર્ષો અને યુદ્ધ માટે જવાબદાર ગણાવવામાં આવ્યું હતું.

’શાંતિ અને સ્વતંત્રતા’ માટે લડનાર યુવાનોને અપાતો નવો શરૂ થયેલો ફ્રાન્સનો પ્રથમ ઍવૉર્ડ ગ્રેટાને મળ્યો. આ ઍવૉર્ડની ૨૫,૦૦૦ યુરોની ઇનામરાશિ તેણે ક્લાઇમેટ જસ્ટિસ માટે કામ કરતી ચાર સંસ્થાઓને આપી દીધી. માર્ચ ૨૦૧૯માં જર્મનીનો સ્પેશિયલ ક્લાઇમેટ પ્રોટેક્શન ઍવૉર્ડ મળ્યો. વાણીસ્વાતંત્ર્ય, માટે કાર્ય કરનારને અપાતું નૉર્વેનું ફ્રીટ ઊર્ડ ઇનામ પણ ગ્રેટાને એપ્રિલ, ૨૦૧૯માં મળ્યું. આ જ માસમાં ’ટાઇમ’ મૅગેઝિનના વિશ્વના સો પ્રભાવક માણસોમાં તેને સ્થાન મળ્યું. મે, ૨૦૧૯માં ફ્રાન્સની યુનિવર્સિટી ઑફ મોન્સ દ્વારા ડૉક્ટરની માનદ પદવી તેને એનાયત થઈ.

એમ્નેસ્ટી ઇટરનેશનલ દ્વારા જૂન, ૨૦૧૯માં ક્લાઇમેટ ચેન્જ મૂવમેન્ટની લીડરશિપ માટે ઍમ્બેસેડર ઑફ કોન્સીએન્સના પ્રતિષ્ઠિત ઍવૉર્ડ દ્વારા ગ્રેટાનું સન્માન કરવામાં આવ્યું. સપ્ટેમ્બર માસમાં જ ‘મેન ઑફ ધ યર,નો ઍવૉર્ડ પણ તેને મળ્યો. ૨૫ સપ્ટેમ્બરના રોજ સ્વિડનના નોબેલ તરીકે ઓળખાતા ’રાઇટ લાઇવલીહૂડ’ ઍવૉર્ડથી તેના પોતાના દેશે તેનું સન્માન કર્યું. બ્રિટિશ મેગેઝિન ’VOGUE’ના સપ્ટેમ્બર, ૨૦૧૯ના અંકના કવર પેજ પર પંદર શક્તિશાળી સ્ત્રીઓમાં તેને સ્થાન મળ્યું. નોંધપાત્ર બાબત એ છે કે, આ કવર પેજ ગેસ્ટ એડિટર ડચેસ ઑફ સસેક્સ – મેગને બનાવ્યું હતું. ચિલ્ડ્રન ક્લાઇમેટ પ્રાઇઝ, યંગ રોલ મૉડેલ માટેની સ્કોલરશીપ અને આવા તો બીજા અનેક ઇનામો અને એવોડ્‌ર્સથી ગ્રેટા તુન્બર્ગનું સન્માન થયું છે, જે તેને મળેલી વૈશ્વિક માન્યતાને દર્શાવે છે. ગ્રેટા પોતાના આંદોલનને સંપૂર્ણ સમર્પિત છે. તેણે ઇનામની મોટા ભાગની રકમ ક્લાઇમેટચેન્જના નેક કામ માટે વાપરી છે, ક્યાં તો તે કામ માટે દાનમાં આપી દીધી છે.

સ્ત્રી પ્રકૃતિની કન્યા છે. ગાંધીજી કહે છે કે, “કોઈ સ્ત્રી પોતાના કામમાં તમામ શક્તિ લગાવી દે, ત્યારે તે પહાડને પણ હલાવી શકે છે !” સ્ત્રી કોઈ પણ સમસ્યાનો ઉત્તમ ઉપાય ખોળી કાઢે છે. અસુરોના આતંક સામે દેવોએ હથિયાર હેઠાં મૂક્યાં ત્યારે દેવીશક્તિએ જ અસુરમર્દન કર્યું હતું. સ્ત્રીનું ઉત્તમ લક્ષણ ખુમારી અને સ્વાભિમાન છે. કર્મશીલ ગ્રેટા તુન્બર્ગ આવી જ ’પૃથા’ છે. પૃથ્વીના ભાવિને ગ્રેટાના દિવ્યચક્ષુ પારખી ચૂક્યાં છે. ’ન્યુ ટેસ્ટામેન્ટ’ના પુસ્તક ’રેવેલેશન’(પ્રકટીકરણ)ના સંદર્શનને ગ્રેટા તુન્બર્ગ સમજી ચૂકી છે, બે હજાર વર્ષ પૂર્વેનું ભાવિકથન તેને નજીકના ભવિષ્યમાં આકાર લેતું દેખાઈ રહ્યું છે ! કદાચ કોઈ દિવ્ય ચેતનાના બળે જ તેણે પૃથ્વીને બચાવવાનું આંદોલન ઉપાડ્યું છે. U.N. મહાસચિવના મતે હવે આ ગ્રહને બચાવવાની જવાબદારી યુવા પેઢી પર છે, ત્યારે કેટલાંક સ્થાપિત હિતો અને ગ્રેટાને ઉતારી પાડનાર, તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડનાર નિંદકો તેને મનોરોગી અને ઉન્માદી સાબિત કરવાના અને નોબેલની રેસમાંથી તેનું નામ રદ્દ કરાવવા પ્રયત્નો કરી રહ્યા છે !! આવો, આપણે સાથે મળીને પ્રાર્થના કરીએ કે જટાયુવૃતિ ધરાવતી, આ ધરતીની પુત્રી ગ્રેટા, મલાલા બનીને અટકી ન જાય. પણ સત્યની લડાઈ લડનાર ગાંધી બને અને શક્તિરૂપે સંસ્થાપિત થાય.

[સદ્‌ગુણા આટ્‌ર્સ કૉલેજ, અમદાવાદ]

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, અંક 144 – વર્ષ 13 – નવેમ્બર 2019; પૃ. 05-09

Loading

...102030...2,6222,6232,6242,625...2,6302,6402,650...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved