Opinion Magazine
Number of visits: 9683970
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘રામ’ વગરના શ્રીરામ લાગૂ : ચાલો, ઈશ્વરને નિવૃત્ત કરીએ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|31 December 2019

“હું ઈશ્વરમાં માનતો નથી, અને મને લાગે છે કે ઈશ્વરને હવે નિવૃત્ત કરી દેવો જોઈએ. ઈશ્વરનો વિચાર એ કવિની સુંદર કલ્પના છે, અને માનવ સભ્યતાની શરૂઆતમાં એની ઉપયોગિતા હતી, પણ હવે સમય આવ્યો છે આપણે સંપૂર્ણ તાર્કિક અભિગમ સાથે દુનિયાનો સામનો કરવો જોઈએ. છેલ્લા પાંચ હજાર વર્ષથી, ઈશ્વરના અસ્તિત્વનો કોઈ પુરાવો નથી મળ્યો, અને જેને વૈજ્ઞાનિક રીતે પુરવાર ના કરી શકાય, તેવી ઘટનાઓમાં વિશ્વાસ એ અંધશ્રદ્ધાથી વિશેષ કશું નથી. ‘ઈશ્વર’ના નામે ઘણાં અમાનવીય વ્યવહારો, અત્યાચારો અને યુદ્ધો થયાં છે. ઈશ્વરની ધારણાને રદ્દ કરવાની માત્ર જરૂર જ નહીં, આપણી ફરજ પણ છે, કારણ કે તે માનવતા સામેનો બહુ મોટો અન્યાય છે. માત્ર તાર્કિક વિચારશક્તિ પાસે જ લોકોને તમામ ચીજોથી ઉપર મુકવાની ક્ષમતા છે, પણ તમે જ્યારે ઈશ્વરમાં માનો છો, ત્યારે તમે તે ક્ષમતાને જતી કરો છો, અને જે કહેવામાં આવ્યું હોય, તેને આંખો બંધ કરીને સ્વીકારો છો. તમે તમારી બુદ્ધિને નિષ્ક્રીય બનાવી દો છો, અને પછી તમારામાં અને જાનવરમાં કોઈ તફાવત રહેતો નથી.”

ગઈ ૧૮મી તારીખે, ૯૨ વર્ષની ઉમરે, અવસાન પામેલા ડો. શ્રીરામ લાગૂને આપણે રંગમંચ અને સિનેમાના કલાકાર તરીકે ઓળખીએ છીએ, પણ એ એમ.બી.બી.એસ., એમ.એસ. ડિગ્રી સાથે આંખ-નાક-ગળાના ડોક્ટર અને રેશનાલિસ્ટ વ્યક્તિ હતા, અને સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર થાય તેમ જ વૈજ્ઞાનિક અભિગમ કેળવાય, તે માટે સક્રિય હતા. ઉપર જે વિધાનો છે, તે મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ અન્વયે તેમના એક બહુ પ્રચલિત વક્તવ્યનો હિસ્સો છે. આ સમિતિની રચના ડોક્ટર, સમાજ સેવક અને રેશનાલિસ્ટ નરેન્દ્ર દાભોલકરે કરી હતી, જેમની ૨૦૧૩માં આ પ્રવૃત્તિના કારણે જ હત્યા કરવામાં આવી હતી. શ્રીરામ લાગૂ અને દાભોલકર બંને પુણેવાસી હતા.

મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ દર મહિને ‘વિવેક જાગરણ’ શીર્ષક હેઠળ ડો. લાગૂનું એક વક્તવ્ય ગોઠવે, જેનો વિષય હોય ‘ઈશ્વરને નિવૃત્ત કરીએ.’ તેમને સંભાળવા માટે બહુ લોકો એકઠા થાય અને અનેક સંસ્થાઓ-સંગઠનો આ વક્તવ્ય ગોઠવવા માટે પડાપડી કરે. શ્રીરામ લાગૂએ આ જ વિષય પર લેખ પણ પ્રકાશિત કરેલો, અને તેનો બહુ વિરોધ-વિવાદ થયો હતો. એમાં લાગૂને ધમકીઓ પણ આપવામાં આવેલી અને કાર્યક્રમોમાં તોફાન પણ કરવામાં આવેલાં, છતાં તેઓ વિચલિત થયા વગર તેમનું કામ ચાલુ રાખતા. વિરોધ કરવાવાળાએ તેમને કહેલું કે તેઓ ‘શ્રીરામ’ નામ બદલી નાખે, કારણ કે નાસ્તિક માણસનું નામ શ્રીરામ ના હોય.

ડો. લાગૂએ તેની પાછળનો તર્ક અને ભાવના સમજવતાં કહ્યું હતું, “એક બાળક તરીકે મારી એ સ્થિતિ ન હતી કે, હું મારા પેરન્ટ્સને કહું કે મને ઈશ્વરનું નામ ન આપે. તેઓ બહુ જ શ્રદ્ધાળુ પેરન્ટ્સ હતાં, અને એ પ્રેમના કારણે ઈશ્વરનું નામ આપ્યું હશે. મને તો તેમણે પ્રેમ અને સ્નેહનાં કારણે આ નામ આપ્યું હતું (એટલે મેં રાખ્યું છે).”

ડો. દાભોલકરના દીકરા હમીદ દાભોલકર એક સમાચારપત્રમાં પ્રકશિત લેખમાં લખે છે કે, ૮૦ના દાયકામાં સમાજ સેવા માટે કોઈ સહાયતા ન હતી અને બિન-સરકારી સંગઠનો પણ ન હતાં, ત્યારે ડો. લાગૂ અને એક્ટર રામ આપ્ટેએ સમાજ સેવકોને આર્થિક મદદ મળે, તે માટે ‘સામાજિક કૃત્યદ્યાનતા નિધિ’ સ્થાપી હતી, જે સમાજ સેવકોને દર મહિને જીવન જરૂરી ચીજો માટે પૈસા આપતી હતી. લાગૂએ થિયેટર અને સિનેમાના એકટરો પાસે દાન માટે અપીલ કરાવી હતી. તેમણે નીતુ ફૂલે, રીમા લાગૂ સુધીર જોશીના નાટક ‘લગ્નાચી બેડી’ને આખા મહારાષ્ટ્રમાં ભજવ્યું હતું.

નાટક પૂરું થાય તે પછી ડો. લાગૂ ઝોળો લઈને પ્રેક્ષકોમાં ફરે અને દાન ઉઘરાવે. નાના-નાના ગામડાંઓમાં, જ્યાં રહેવાની સારી જગ્યા પણ ના હોય, ત્યાં લાગૂ આ નાટક કરે અને લોકો પાસેથી દાન ઉઘરાવે. સામાજિક સેવા પ્રત્યે તેમની આ પ્રતિબદ્ધતા હતી. થિયેટર પ્રત્યેનો તેમનો પ્રેમ પણ આ સામાજિક પ્રતિબદ્ધતામાંથી જ આવેલો. મહારાષ્ટ્રની રંગમચ પરંપરા સામાજિક સુધારણા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલી છે. લાગૂ તેમની ચાલીસી સુધી તો ધંધાદારી સિનેમામાં આવ્યા પણ હતા. એ કેન્યામાં એક હોસ્પિટલમાં સર્જન તરીકે કામ કરતા હતા, અને ૧૯૬૯માં ૪૨ વર્ષની વયે ભારત પરત આવીને પૂર્ણસમય માટે થિયેટરમાં જોડાઈ ગયા હતા. તે દરમિયાન વસંત કાનેટકરની એક ફિલ્મમાં શિવાજી મહારાજના પુત્ર સંભાજીની ભૂમિકા મળી, ત્યાંથી મરાઠી સિનેમાઓ શરૂ થઇ હતી.

ડો. લાગૂ કહે છે, “હું એક જમાનામાં સર્જન હતો. નાક-કાન-ગળાનો ડોક્ટર હતો. જે વર્ષે હું મેડિકલ કોલેજમાં ગયો, એ જ વર્ષે મેં થિયેટર શરૂ કર્યું હતું. બસ, થિયેટરનો જ શોખ હતો. જ્યારે હું હિન્દી સિનેમામાં વ્યસ્ત થઇ ગયો, તો એક સમય એવો હતો કે હું થિયેટર બિલકુલ કરી શકતો ન હતો. ત્યારે મને લાગ્યું કે મારા જીવનમાં આ બહુ ખોટું રહ્યું છે. થિયેટર તો મારું જીવન છે. પછી હું પાછો થિયેટર તરફ ગયો, અને દર રવિવારે થિયેટર કરતો, બાકી છ દિવસ ફિલ્મો કરતો.”

સતારામાં ૧૯૨૭માં જન્મેલા શ્રીરામ લાગૂ તેમની ભાવે સ્કૂલમાંથી જ થિયેટર કરતા હતા. ભાવે સ્કૂલ રંગમંચને બહુ પ્રોત્સાહન આપતી હતી. અહીંથી જ સ્મિતા પાટીલ, રોહિણી હતંગડી અને સોનાલી કુલકર્ણીને એક્ટિંગનો રંગ લાગેલો. આ જ સ્કૂલના એક નાટકમાં લાગૂએ સ્વતંત્ર્ય સેનાની ગોપાલ કૃષ્ણ ગોખલેની ભૂમિકા કરી હતી. વર્ષો પછી રિચાર્ડ એટનબરોની ‘ગાંધી’ ફિલ્મમાં લાગૂ એ જ ભૂમિકા કરવાના હતા.

“મને બહુ ઝડપથી ખબર પડી ગઈ હતી કે,” તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, “મારા વિલંબથી આવવાના કારણે અને મારા ચોક્કસ દેખાવને કારણે હિન્દી ફિલ્મોમાં મને પિતા અને કાકાની જ ભૂમિકાઓ મળવાની છે. મેં જો કે ૧૫૦થી વધુ હિન્દી ફિલ્મો કરી હતી, છતાં ‘ઘરોંદા,’ ‘કિનારા,’ ‘ઇન્કાર,’ ‘સાજન બિન સુહાગન,’ ‘ઇન્સાફ કા તરાજુ,’ ‘એક પલ’ અને ‘એક દિન અચાનક’ જેવી અમુક જ ફિલ્મો યાદગાર હતી.

શ્રીરામ લાગૂને જેના માટે યાદ રાખવામાં આવે છે, તે મરાઠી નાટ્યકાર વિષ્ણુ વામન શિવર્ડકર ઉર્ફે કુસુમાગ્રજના પ્રતિષ્ઠિત ‘નટસમ્રાટ’માં તેમણે શ્રેષ્ઠતાના શિખર પરથી ગબડીને કનિષ્ઠતાની ખીણમાં પટકાતા અભિનેતા ગણપત બેલવલકરની દુઃખદાયક યાત્રા ભજવી હતી. કુસુમાગ્રજ શેક્સપિયરના મહાન નાટક ‘કિંગ લિયર’ને મરાઠીમાં કરવા માંગતા હતા, અને અચાનક તેમને એક એવા ઉંમરવાન એક્ટરનું પાત્ર મગજમાં આવ્યું, જે શેક્સપિયરના નાટકો કરતો હોય, અને રંગમંચથી નિવૃત્ત થઈને પરિવારના નાટકમાં ફસાઈ જતો હોય. ગણપત બેલવલકરનું એ પાત્ર એટલું ગહન હતું કે તે સમયે શ્રીરામ લાગૂના હાર્ટ-એટેક માટે કારણભૂત બન્યું હતું. તેમના પછી જેટલા રંગકર્મીઓએ તે ભૂમિકા કરી, તેમના સ્વાસ્થ્ય પર પણ તેની અસર પડી હતી.

તેને યાદ કરીને ડો. લાગૂએ કહ્યું હતું, “તેનું કારણ એ છે કે એ ભૂમિકા અસાધારણ મહેનત માગી લે તેવી હતી. બીજું શું કે મોટા ભાગના આપણા એકટરો ચુસ્ત નથી. ડોકટર તરીકે મને ખબર હતી કે હું પણ ચુસ્ત ન હતો. એ જમાનામાં અમને કશી ખબર ન હતી. શું કરવું અને શું ના કરવું તથા કેટલું કરવું અને કેટલું ના કરવું, તેની સલાહ-સમજણ આપવાવાળું પણ કોઈ ન હતું. અમે તબિયતની, ખાવા-પીવાને કસરતની કોઈ દરકાર વગર એક્ટિંગમાં ડૂબી જતા હતા. એ નુકશાનકારક છે.”

૨૦૧૬માં મહેશ માંજરેકરે ‘નટસમ્રાટ’ નામથી તેની મરાઠી ફિલ્મ બનાવી હતી, જેમાં નાના પાટેકરે ગણપત બેલવલકરની ભૂમિકા કરી હતી. ૨૦૧૮માં ડિરેક્ટર જયંત ગિલાટરે સિદ્ધાર્થ રાંદેરિયા, દીપિકા ચીખલિયા અને મનોજ જોશીને લઈને ‘નટસમ્રાટ’ને ગુજરાતીમાં બનાવી હતી. નાના પાટેકરે આ ભૂમિકા માટે શ્રીરામ લાગૂની સલાહ લીધી હતી. એક ઇન્ટરવ્યુમાં લાગૂએ કહ્યું હતું, “એ ભૂમિકા કોઈ રીતે સહેલી ન હતી. એમાં પાત્રની ખિન્નતામાં ડૂબી જઈને પ્રેક્ષકો સુધી પહોંચવાનું હતું. લોકો આજે પણ ગણપત બેલવલકરના અવાજ અને હાવભાવને યાદ કરીને મને તેનું રહસ્ય પૂછે છે, તો મારા મોઢા પર હાસ્ય આવી જાય છે.”

એંસી વર્ષના આ પડાવ પર આવીને તમે પાછળ વળીને જુવો, તો તમને કશું જુદી રીતે કરવાનું મન થાય? શ્રીરામ લાગૂને એક ઇન્ટરવ્યુમાં સવાલ પૂછવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું, “ઘણું બધું. હું આમ તો અભિનેતા જ બનું, પણ હું મારો અહંકાર છોડવાનું પસંદ કરું. હું શ્રેષ્ઠ છું, એવી ભાવના જરા વધારે પડતી છે.”

સૌજન્ય : ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 29 ડિસેમ્બર 2019

Loading

સ્વ. હરનિશ જાની સ્મૃતિ ‘હાસ્યરચના-સ્પર્ધા’

——, રાજેન્દ્ર શુક્લ|Opinion - Opinion|31 December 2019

સાહિત્ય સંસદ, સાન્તાક્રુઝ, સાહિત્ય સંસદ, નોર્થ અમેરિકા અને ગુજરાતી સાહિત્ય અકાદમી(ચુ.કે.)ના સંયુક્ત ઉપક્રમે

શ્રી રાહુલ શુક્લના સૌજન્યથી આયોજિત

સ્વ. હરનિશ જાની સ્મૃતિ ‘હાસ્યરચના-સ્પર્ધા’

નિયમો

૧ : આ સ્પર્ધા ગુજરાતી ભાષામાં જ આયોજિત કરવામાં આવી છે; પરંતુ માત્ર ગુજરાતીભાષીઓ પૂરતી મર્યાદિત નથી. ગુજરાતી ભાષાનું જ્ઞાન ધરાવતી કોઈ પણ વ્યક્તિ આમાં ભાગ લઈ શકશે.

૨ :  સ્પર્ધક લેખકે પોતાની મૌલિક અને અપ્રગટ કૃતિ જ મોકલવાની રહેશે. એટલે કે અનુવાદિત કે પ્રગટ થયેલી કૃતિઓ સ્વીકાર્ય બનશે નહીં.

3 ; હાસ્યરચનામાં હાસ્યવાર્તા, હાસ્યનિબંધ કે હાસ્ય એકાંકી – આ ત્રણ સાહિત્યસ્વરૂપો પૂરતી જ આ સ્પર્ધા મર્યાદિત છે. હાસ્યનવલકથા કે હાસ્યકવિતા સ્વીકાર્ય બનશે નહીં. શબ્દસંખ્યા વધારેમાં વધારે ૩૦૦૦.

૪ ; સ્પર્ધકે એક જ કૃતિ મોકલવાની રહેશે. હસ્તલિખિત પ્રત સુવાચ્ય અક્ષરોમાં કાગળની એક બાજુ લખેલ હોવી જરૂરી. હસ્તલિખિત અથવા ટાઈપ કરેલ કૃતિઓની ત્રણ ત્રણ નકલો કુરીઅર અથવા પોસ્ટથી મોકલવાની રહેશે. પી.ડી.એફ. અથવા વર્ડમાં તૈયાર કૃતિ ઈ.મેઈલથી મોકલી શકાશે. વર્ડમાં તૈયાર કરેલ કૃતિઓ યુનિવર્સલ ફોન્ટમાં મોકલવી. તેવું શક્ય ન હોય તો જે ફોન્ટમાં તૈયાર કરી હોય તે (ડાઉનલોડ કરી શકાય તેવા) ફોન્ટ એટેચ કરી મોકલવા જરૂરી. કોમ્પ્યુટરમાં તે નહીં ખૂલે તો કૃતિ અસ્વીકાર્ય ગણાશે.

૫ ; સ્પર્ધકે કૃતિની સાથે એક જુદા કાગળ પર પોતાનું નામ, સરનામું, સંપર્ક નંબર અને પોતાના વિષે ટૂંક માહિતી સાથે બે પાસપોર્ટ સાઈઝ ફોટાઓ મોકલવાના રહેશે. કૃતિના કોઈ પણ પાના પર કે કૃતિમાં સ્પર્ધકનું નામ આવવું ન જોઈએ તે ખૂબ જ અગત્યની અને અનિવાર્ય શરત છે. એવું થવાથી સ્પર્ધકની કૃતિને સ્પર્ધામાંથી રદ્દ કરવામાં આવશે.

૬ ; સ્પર્ધકની કૃતિ મૌલિક, સ્વલિખિત અને અપ્રકાશિત છે તેવી બાંહેધરી આપતો પત્ર કૃતિ સાથે સંમિલિત કરવાનો રહેશે. આવી બાંહેધરી ઈ મેઈલથી મોકલવામાં આવે તો તે ઈ.મેઈલ સ્પર્ધકે પોતાની આઇ.ડી. પરથી જ મોકલવાનો રહેશે.

૭ ; કૃતિના હક્ક કર્તાના પોતાના જ રહેશે.

સાહિત્ય સંસદ સંસ્થા ઇનામી કે અન્ય કૃતિઓ પ્રગટ કરવા ઈચ્છે તો સર્જકના હક્ક અબાધિત રાખી સર્જકની અનુમતિથી પ્રગટ કરી શકશે. સ્પર્ધા માટે મોકલેલી કૃતિ સ્પર્ધાનું પરિણામ ન આવે ત્યાં સુધી સર્જક અન્યત્ર પ્રગટ કરશે નહીં.

૮ ; સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય એ રીતે ત્રણ કૃતિઓને નિર્ણાયકોના નિર્ણય મુજબ અનુક્રમે  રૂ. ૧૫,૦૦૦/=, રૂ. ૧૦,૦૦૦/= અને રૂ.૫,૦૦૦/=ના પુરસ્કાર આપવામાં આવશે.

૯ ; નિર્ણાયકોનો નિર્ણય અંતિમ અને સર્વ સ્પર્ધકો માટે તેમ જ સંસ્થા માટે પણ બંધનકર્તા રહેશે.

૧૦ ; હાસ્ય માટેના શ્રેષ્ઠ સાહિત્યની અપેક્ષાથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. કૃતિ આધારિત આ સ્પર્ધામાં પ્રતિષ્ઠિત કે નવોદિત જેવા કૃત્રિમ વિભાગો કરવામાં આવ્યા નથી. સંસ્થાના પ્રમુખ અને નિર્ણાયકો સિવાય બધાં જ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. નિર્ણાયકો કોણ છે તેની માહિતી મેળવવા કોશિશ કે પૃચ્છા કરવી નહીં. સંસ્થાના સભ્યો અને હોદ્દેદારોને પણ તે વિદિત કરવામાં નહીં આવે.

૧૦ ; કુરીઅર કે પોસ્ટથી કૃતિ મોકલનારા સ્પર્ધકે સંસ્થાના સરનામા પર મોડામાં મોડી ૨૯મી ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ પહોંચતી કરવાની રહેશે. એ પછી આવેલી કૃતિઓ સ્વીકારવામાં આવશે નહીં. ઈ.મેઈલ દ્વારા કૃતિ મોકલનાર સ્પર્ધકને વિનંતી કે તેઓ કૃતિ બે દિવસ પહેલાં મોકલે જેથી તેનાં પ્રિન્ટઆઉટ અને નકલો થઈ શકે. 

સંસ્થાનું સરનામું :

સાહિત્ય સંસદ, સાન્તાક્રુઝ, c/o કનુભાઈ સૂચક, 3 વિવેક, વિદ્યા વિનય વિવેક સોસાયટી, ૧૮૫, એસ.વિ. રોડ, વિલેપાર્લે (પશ્ચિમ) મુંબઈ ૪૦૦ ૦૫૬

સંપર્ક: ૦૨૨ ૨૬૭૧૦૮૦૮ / ૦૯૮૭૦૦૦૭૩૭૧ (India); 001 732 856 4093 (USA)

kanubhai.suchak@gmail.com,                      vijaythakkar55@gmail.com,

kaushikamin@hotmail.com,                          vipoolkalyani.opinion@btinternet.com

Loading

ચલ મન મુંબઈ નગરી — 24

દીપક મહેતા|Opinion - Opinion|30 December 2019

કર્નાક રોડ ને ક્રાફર્ડ માર્કેટ, મેટ્રો અને કયાની

હતાં ત્યાંનાં ત્યાં, ત્યારે અને અત્યારે 

ગોવિંદ નિવાસ જઈને ભગવાનના ગુણ તો ગાઈ લીધા. હવે? ચાલો પાછા ધોબી તળાવ. ૧૮મી સદીમાં બંધાયેલા, અને આજે પણ હયાત એવા જર મહાલ પાસે ફૂટપાથ પર ઊભા રહીને ચારે બાજુ નજર ફેરવીએ. ધોબી તળાવ પર ઘણા રસ્તા ભેગા થાય. ડાબી બાજુ પહેલો છે ક્રાફર્ડ માર્કેટ તરફ જતો કર્નાક રોડ, આજનો લોકમાન્ય ટિળક માર્ગ. ક્રાફર્ડ માર્કેટ નામ પડેલું મુંબઈના પહેલવહેલા મ્યુનિસિપલ કમિશ્નર આર્થર ક્રાફર્ડના નામ પરથી. એમનો જન્મ ૧૮૩૫, અવસાન ૧૯૧૧. તેઓ મ્યુનિસિપલ કમિશ્નર બન્યા ત્યારે મુંબઈમાં પાણીની ખેંચ હતી, રસ્તાઓ પર પડેલો કચરો સડ્યા કરતો અને દુર્ગંધ તથા રોગચાળો ફેલાવતો. અને મૃત્યુ દર હતો એક હજારે ૪૦ જેટલો ઊંચો. ક્રાફર્ડ આવ્યા અને પાણીનો પુરવઠો વધાર્યો, રસ્તાઓ નિયમિત રીતે સાફ થાય એવી વ્યવસ્થા કરી. પરિણામે મૃત્યુ દરમાં ૫૦ ટકાનો ઘટાડો થયો. આ બધાં કામ પાછળ તેઓ આદુ ખાઈને માંડી પડ્યા. પણ પરિણામે બજેટમાંના અંદાજ કરતાં મ્યુનિસિપાલિટીનો ખરચ ઘણો વધી ગયો. એ અંગે તેમને ચેતવવામાં આવ્યા, પણ ક્રાફર્ડ તો લગે રહો મુન્નાભાઈ! ૧૮૭૦માં આ અંગે ખૂબ ઊહાપોહ થયો ત્યારે ફિરોઝશાહ મહેતાએ તેમનો બચાવ કર્યો. પણ થોડા વખત પછી લોકમાન્ય ટિળક અને ગોપાલ કૃષ્ણ ગોખલે જેવા માંધાતાઓએ ક્રાફર્ડ પર લાંચ લેવાનો આરોપ મૂક્યો. કલકત્તા હાઈ કોર્ટના જજ સ્ટુઆર્ટ વિલ્સનને એ અંગેની તપાસ સોંપાઈ. તેમણે ચુકાદો આપ્યો કે ક્રાફર્ડે લાંચ લીધી નહોતી, પણ પોતાના હાથ નીચે કામ કરનારાઓ પાસેથી પૈસા ઊછીના લીધા હતા. છતાં તેમનું નામ સિવિલ સર્વિસ લિસ્ટમાંથી રદ બાતલ કરવામાં આવ્યું અને સરકારે તેમને સ્વદેશ પાછા મોકલી દીધા. તેમણે લખેલું સંસ્મરણોનું પુસ્તક અવર ટ્રબલ્સ ઇન પૂના એન્ડ ધ ડેક્કન ૧૮૯૭માં પ્રગટ થયું હતું. ક્રાફર્ડ મરાઠી બહુ ફાંકડું બોલી શકતા. એટલે તો ન.ચી. કેળકરે કહેલું કે જો ધોતિયું પહેરે તો ક્રાફર્ડ ચિતપાવન બ્રાહ્મણ તરીકે સહેલાઈથી ખપી જાય. ક્રાફર્ડ માર્કેટનું મકાન ૧૮૬૯માં બંધાઈને તૈયાર થયું હતું. તેના બાંધકામનો બધો ખર્ચ સર કાવસજી જહાંગીરે આપ્યો હતો. આઝાદી પછી તેનું નામ બદલીને મહાત્મા જ્યોતિબા ફૂલે મંડઈ રાખવામાં આવ્યું, પણ લોકજીભે તો આજે પણ ક્રાફર્ડ માર્કેટ નામ જ વસેલું છે.

ક્રાફર્ડ અને તેના નામની માર્કેટ

સેન્ટ ઝેવિયર્સ કોલેજ

હવે નજર દોડાવીએ ક્રૂકશેંક રોડ પર. આજનું નામ મહાપાલિકા માર્ગ. થોડે દૂર જુઓ : સેન્ટ ઝેવિયર્સ કોલેજનું મકાન દેખાશે. હવે તો એ ૧૫૦ વર્ષ જૂની કોલેજ છે પણ ૧૮૬૯ના જાન્યુઆરીની બીજી તારીખે શરૂ થઈ ત્યારે એ મુંબઈ શહેરમાંની ત્રીજી કોલેજ હતી. સાતમી જાન્યુઆરીએ કોલેજમાં વર્ગ શરૂ થયો ત્યારે તેમાં કેટલા વિદ્યાર્થી હતા, ખબર છે? રોકડા બે. એનાથી થોડા આગળ જઈએ તો આવે કામા એન્ડ આલબ્લેસ હોસ્પિટલ. ૧૮૮૩ના નવેમ્બરની ૨૨મી તારીખે ડ્યૂક ઓફ કોનોટને હાથે એના મકાનનો શિલાન્યાસ થયો અને ૧૯૮૬ના જુલાઈની ૩૦મી તારીખે મકાન બંધાઈ રહ્યું અને હોસ્પિટલ શરૂ થઈ. આ હોસ્પિટલ માટે પેસ્તનજી હોરમસજી કામાએ એક લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. અને તેના પછી આવે મુંબઈની મ્યુનિસિપાલિટીનું વડુ મથક. ૧૮૬૫માં મુંબઈની મ્યુનિસિપાલિટીની શરૂઆત થઈ ત્યારે તેનું મથક ગિરગામ રોડ પર હતું. પછી આજે જ્યાં આર્મી એન્ડ નેવી બિલ્ડિંગ છે ત્યાં આવેલા એક મકાનમાં તે ખસેડાયું. ૧૮૮૪ના ડિસેમ્બરની ૯મીએ વાઈસરોય લોર્ડ રિપનને હાથે હાલના વડા મથકના મકાનનો પાયો નખાયો. ૧૮૯૩માં એનું બાંધકામ પૂરું થયું.

આ બધાં મકાનોની સામેની બાજુએ આવેલું છે આઝાદ મેદાન. પહેલાં તે બોમ્બે જિમખાના મેદાન તરીકે ઓળખાતું. અસલમાં તો આ મેદાન, ક્રોસ મેદાન, ઓવલ મેદાન અને કૂપરેજ ગ્રાઉન્ડનો આખો વિસ્તાર મળીને એસપ્લનેડનું મેદાન બન્યું હતું. બીજી ગોળમેજી પરિષદમાંથી ગાંધીજી પાછા આવ્યા ત્યારે મુંબઈ પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિ તરફથી સરદાર વલ્લભભાઈ પટેલે ૧૯૩૧ની ૨૮મી ડિસેમ્બરે ગાંધીજીને આવકારવા એક સભાનું આયોજન કર્યું હતું. ત્યારે આખું આઝાદ મેદાન ખીચોખીચ ભરાઈ ગયું હતું. ત્યાર બાદ આઝાદીની લડત દરમ્યાન અહીં અવારનવાર નાની-મોટી સભાઓ યોજાતી રહી, અને પહેલાં લોકજીભે, અને પછી સત્તાવાર રીતે આ મેદાન બન્યું આઝાદ મેદાન.

 

એસ્પ્લનેડ રોડ


આઝાદ મેદાનની એક બાજુ ક્રૂકશેન્ક રોડ તો બીજી બાજુ એસપ્લનેડ રોડ. આજનો મહાત્મા ગાંધી રોડ. આજે પણ તેની બંને બાજુ મકાનો કરતાં નાનાં-મોટાં મેદાનો વધુ. એક જમાનામાં આ એસપ્લનેડ રોડ નજીક, જ્યાં વિદેશ સંચાર નિગમ લિમિટેડનું બહુમાળી મકાન બંધાયું ત્યાં રાણી વિક્ટોરિયાનું સફેદ આરસનું ભવ્ય પૂતળું ઊભું હતું. ૧૮૭૨માં વડોદરાના મહારાજાએ તે ભેટ આપ્યું હતું. પહેલાં તેને વિક્ટોરિયા ગાર્ડન ખાતે મૂકવામાં આવ્યું હતું, પણ પછીથી તેને એસપ્લનેડ રોડ નજીક ખસેડાયું હતું. આસનસ્થ રાણીને માથે આરસનું ભવ્ય છત્ર હતું. ૧૮૮૬ના ઓક્ટોબરમાં રાણીના આ પૂતળાના મોઢા ઉપર રાતને વખતે કોઈ કાળો રંગ લગાડી ગયું. રાણીનું આવું અપમાન બ્રિટિશ સરકાર કેમ સાંખી શકે? દેશ-વિદેશ જ્યાંથી મળ્યા ત્યાંથી જાણકારોને બોલાવ્યા, પણ તેમાંનું કોઈ એ કાળો રંગ દૂર ન કરી શક્યું. ત્યારે ત્રિભુવનદાસ ગજ્જર નામના એક ગુજરાતી રસાયણ શાસ્ત્રના નિષ્ણાતે કહ્યું કે હું આ કામ કરી શકીશ. પણ વિદેશી જાણકારો પણ ફાવ્યા નહોતા એટલે સરકારને તેમની વાતમાં બહુ વિશ્વાસ પડ્યો નહિ. એટલે કહ્યું કે પહેલાં એક નાના ખૂણા પરથી રંગ કાઢી આપો, તો પછી આખા મોઢા પર કામ કરવાની મંજૂરી આપીએ. અને સૌના આશ્ચર્ય વચ્ચે ગજ્જરે થોડા ભાગ પરથી કાળો રંગ કાઢી આપ્યો. એટલે સરકારે મંજૂરી આપી અને થોડા જ વખતમાં રાણીનો ચહેરો પહેલાંની જેમ ચમકતો થઈ ગયો. આ કામ માટે સરકારે તેમને બે હજાર રૂપિયાનું ઇનામ આપ્યું. ત્રિભુવનદાસ ગજ્જરનો જન્મ ૧૮૬૩માં, સુરત શહેરમાં. તબીબી વિદ્યા, ઔષધો, રસાયણોના અઠંગ જાણકાર.

ક્વીન વિકટોરિયાનું પૂતળું અને ત્રિભુવનદાસ ગજ્જર

અંગ્રેજ સરકારે સિંધની કોલેજમાં મહિને ૩૦૦ રૂપિયાના પગારે રસાયણ શાસ્ત્રના પ્રોફેસરની જગ્યાની ઓફર કરી. એ જ વખતે વડોદરાના મહારાજાએ વડોદરા કોલેજમાં જોડાવાની ઓફર કરી, પણ પગાર મહિને ૨૦૦ રૂપિયા. અને ત્રિભુવનદાસ વડોદરા કોલેજમાં જોડાયા. કારણ વડોદરાના મહારાજા દેશી ઉદ્યોગો અને કારીગરીને પ્રોત્સાહન આપતા હતા. થોડા વખત પછી વડોદરા રાજ્યે વધુ અભ્યાસ માટે તેમને ગ્રેટ બ્રિટન મોકલવાનો વિચાર કર્યો. પણ ખુદ ત્રિભુવનદાસે જ અધિકારીઓને તેમ ન કરવા સમજાવ્યા! કારણ? દેશમાં રહીને દેશનાં કામ કરવાની ધગશ. ૧૮૯૦માં વડોદરામાં ‘કલા ભવન’ (આજની ભાષામાં પોલિટેકનિક) શરૂ થયું ત્યારે તેની બધી જવાબદારી ગજ્જરને સોંપાઈ. થોડા જ વખતમાં ૮૦૦ વિદ્યાર્થીઓ સુતારકામ, કડિયાકામ, લુહારકામ, બાંધકામ, જેવા વ્યવસાયલક્ષી વિષયોનો અભ્યાસ કરવા લાગ્યા. વળી આ વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તે માટે આવા બધા વિષયો પરનાં પુસ્તકો મરાઠી અને ગુજરાતીમાં તૈયાર કરી પ્રગટ કરવાની યોજના તેમણે ઘડી અને તે પ્રમાણે મોટી સંખ્યામાં પુસ્તકો પ્રગટ કર્યાં. પણ ૧૮૯૬માં કેટલાક વિરોધીઓના પ્રચારને કારણે તેમણે રાજીનામું આપ્યું અને મુંબઈ આવી વિલ્સન કોલેજમાં કેમિસ્ટ્રીના પ્રોફેસર તરીકે જોડાયા. એ વખતે પ્લેગનો રોગ મુંબઈમાં અવારનવાર દેખાતો અને તેની કોઈ અસરકારક દવા નહોતી. ત્રિભુવનદાસે જાતમહેનતે દવા બનાવી જે ખૂબ જ અકસીર નીવડી. આ દવા માટે તેમણે ‘પેટન્ટ’ લીધું હોત તો એ જમાનામાં પણ લાખ્ખો રૂપિયા કમાઈ શક્યા હોત. પણ તેમણે એમ ન કર્યું. પછી પીળાં પડી ગયેલાં મોતીને સાફ કરી ફરી સફેદ બનાવવા માટેનું રસાયણ અને તે અંગેની પ્રક્રિયા તેમણે શોધ્યાં અને તેનું પેટન્ટ લીધું અને તેમાંથી લાખ્ખો રૂપિયા કમાયા. પોતાના એક વિદ્યાર્થીની મદદથી વડોદરામાં એલેમ્બિક કેમિકલ્સ વર્કસની સ્થાપના કરી. ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ ગજ્જરે વાંચી અને તેમાંની કલ્યાણગ્રામની યોજનાથી તેઓ ખૂબ પ્રભાવિત થયા અને ગોવર્ધનરામને મળ્યા. થોડા જ વખતમાં બંને ગાઢ મિત્રો બની ગયા. અંધેરી નજીક એક કલ્યાણગ્રામ ઊભું કરવાની યોજના પણ ગજ્જરે બનાવી હતી. પૈસા વધતા હતા તેની સાથે કુટુંબમાં વિખવાદ પણ વધતો હતો. કેટલીક બાબતોમાં કુટુંબીજનો જ અદાલતમાં ગયા. ગજ્જર કેસ જીત્યા, પણ હતાશ થઈ ગયા. ૧૯૨૦ના જુલાઈની ૧૬મી તારીખે તેમનું અવસાન થયું.

મેટ્રો સિનેમાના ઉદ્ઘાટનની જાહેરાત

એસપ્લનેડ રોડ પર ચાલતાં ચાલતાં ફરી જઈએ ધોબી તળાવ તરફ. અહીં રસ્તાને છેવાડે મેટ્રો થિયેટર ઊભું છે! ૧૯૨૪ના એપ્રિલની ૧૭ તારીખે અમેરિકામાં મેટ્રો ગોલ્ડવિન મેયર સ્ટુડિયોની શરૂઆત થઈ. ટૂંકુ નામ એમ.જી.એમ. ડણકતો સિંહ એ એની ઓળખ. આ કંપનીએ પોતાની ફિલ્મો બતાવવા માટે દુનિયાના જુદા જુદા દેશોમાં થિયેટર બાંધ્યાં. તેમાં મુંબઈમાં બાંધ્યું મેટ્રો થિયેટર. ૧૯૩૮ના જૂનની પાંચમી તારીખે તેનો શુભારંભ થયો. શરૂઆતનાં કેટલાંક વર્ષો તેમાં માત્ર એમ.જી.એમ.ની ફિલ્મો જ બતાવાતી. પછી બીજા સ્ટુડિયોની ફિલ્મો પણ શરૂ થઈ. રવિવારે સવારે બાળકો માટે ખાસ વોલ્ટ ડિઝનીની ફિલ્મોના શો થતા. તેનું મકાન ‘આર્ટ ડેકો’ શૈલીનું છે. મુંબઈનાં બીજાં કેટલાંક થિયેટર અને મરીન ડ્રાઈવ પરનાં મકાનો પણ આ શૈલીમાં બંધાયાં છે. મેટ્રોમાં ફર્શ, દિવાલો, છત, ફર્નીચર, બધું લાલ કે ગુલાબી રંગનું. પોચા અને મુલાયમ લાલ કાર્પેટ પર ચાલીને ઉપર બાલ્કનીમાં જવું એ તો એક લહાવો. દાદર ચડીને ઉપર આવો એટલે વિશાળ ભીંતચિત્રો – મ્યુરલ્સ – તમારી નજરને બાંધી લે. ચાર્લ્સ ગેરાર્ડની દેખરેખ નીચે જે.જે. સ્કૂલ ઓફ આર્ટસના વિદ્યાર્થીઓએ એ બનાવેલાં. ‘દેશી’ થિયેટરો કરતાં મેટ્રો જેવાં અંગ્રેજી ફિલ્મો બતાવતાં થિયેટર થોડાં મોંઘાં. પણ આપણે તો બાલ્કનીની ટિકિટ જ લેવી છે.

ઈરાની રેસ્ટોરાં

ભલે અડધીપડધી સમજાઈ હોય, તો ય મેટ્રોમાં અંગ્રેજી ફિલ્મ જોવાની મજા આવીને? ભૂખ લાગી છે? ચાલો જઈએ સામે આવેલી કયાની રેસ્ટોરામાં. એ જમાનો મુંબઈમાં ઈરાની હોટેલોની જાહોજલાલીનો. આખા શહેરમાં ૩૫૦ કરતાં વધારે ઈરાની હોટેલો. એ બધીમાં ફર્નીચર લગભગ એક સરખું. લાકડાની કાળી ખુરસીઓ, કાચ મઢેલાં ગોળ કે ચોરસ ટેબલ. કાચની નીચે પાથરેલા રંગબેરંગી ટેબલ ક્લોથ. ટેબલો પર કાચની મોટી બરણીઓ. તેમાં મૂકેલાં બિસ્કિટ, કેક વગેરે. માથે ચાર પાંખવાળા પંખા ધીમે ધીમે ફરે. ઈરાનના શહેનશાહ અને ગ્રેટ બ્રિટનનાં રાજા કે રાણીના ફોટા ભીંત પર લટકે. દિવાલો પર બે-ત્રણ જગ્યાએ ગ્રાહકોને સૂચનાઓ આપતાં પાટિયાં લટકતાં હોય: લાંબો વખત બેસવું નહિ, મોટે મોટેથી વાતો કરવી નહિ, વોશ બસીન આગળ ઊભા રહી વાળ ઓળવા નહિ, વગેરે. કાઉન્ટર પર મોટી ઉંમરના ઈરાની માલિક કે પછી તેમનો દીકરો બેઠા હોય. નોન વેજિટેરિયન વાનગીઓ પણ મળે, એટલે ચુસ્ત શાકાહારીઓ ત્યાં જવાનું પસંદ ન કરે, અને જાય તો બીજું કોઈ ઓળખીતું જોતું તો નથીને એની ખાતરી કરીને જાય. તમે હોટ પુડિંગ, કે ચા અને બન મસ્કાનો ઓર્ડર આપો કે બીજી ઘડીએ હાજર. બીજે બધે મળતી ચા કરતાં ઈરાની ચાનો સ્વાદ જુદો, ફાંકડો. ઘણી ઈરાની હોટેલો મકાનના ખૂણા(કોર્નર)ની જગ્યાએ આવેલી હોય. કારણ? કારણ હિંદુઓ કોર્નરની જગ્યાને અપશુકનિયાળ માને એટલે ભાડે લેવાનું ટાળે. ઇરાનીઓને એવો કોઈ બાધ નહિ, અને વળી લેવાલ ઓછા એટલે આવી જગ્યા સસ્તે ભાડે મળે.

છેક ૧૯૦૪માં શરૂ થયેલી કયાનીમાં જઠરાગ્નિ ઠાર્યા પછી હવે વખત થયો છે ઘરે જવાનો. આવતા શનિવારે ફરી નીકળશું, મુંબઈમાં લટાર મારવા. પણ ક્યાં? કહ્યું છે ને કે ધીરજનાંફળ મીઠાં.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

સૌજન્ય : “ગુજરાતી મિડ-ડે”, 28 ડિસેમ્બર 2019

Loading

...102030...2,6222,6232,6242,625...2,6302,6402,650...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved