“હું ઈશ્વરમાં માનતો નથી, અને મને લાગે છે કે ઈશ્વરને હવે નિવૃત્ત કરી દેવો જોઈએ. ઈશ્વરનો વિચાર એ કવિની સુંદર કલ્પના છે, અને માનવ સભ્યતાની શરૂઆતમાં એની ઉપયોગિતા હતી, પણ હવે સમય આવ્યો છે આપણે સંપૂર્ણ તાર્કિક અભિગમ સાથે દુનિયાનો સામનો કરવો જોઈએ. છેલ્લા પાંચ હજાર વર્ષથી, ઈશ્વરના અસ્તિત્વનો કોઈ પુરાવો નથી મળ્યો, અને જેને વૈજ્ઞાનિક રીતે પુરવાર ના કરી શકાય, તેવી ઘટનાઓમાં વિશ્વાસ એ અંધશ્રદ્ધાથી વિશેષ કશું નથી. ‘ઈશ્વર’ના નામે ઘણાં અમાનવીય વ્યવહારો, અત્યાચારો અને યુદ્ધો થયાં છે. ઈશ્વરની ધારણાને રદ્દ કરવાની માત્ર જરૂર જ નહીં, આપણી ફરજ પણ છે, કારણ કે તે માનવતા સામેનો બહુ મોટો અન્યાય છે. માત્ર તાર્કિક વિચારશક્તિ પાસે જ લોકોને તમામ ચીજોથી ઉપર મુકવાની ક્ષમતા છે, પણ તમે જ્યારે ઈશ્વરમાં માનો છો, ત્યારે તમે તે ક્ષમતાને જતી કરો છો, અને જે કહેવામાં આવ્યું હોય, તેને આંખો બંધ કરીને સ્વીકારો છો. તમે તમારી બુદ્ધિને નિષ્ક્રીય બનાવી દો છો, અને પછી તમારામાં અને જાનવરમાં કોઈ તફાવત રહેતો નથી.”
ગઈ ૧૮મી તારીખે, ૯૨ વર્ષની ઉમરે, અવસાન પામેલા ડો. શ્રીરામ લાગૂને આપણે રંગમંચ અને સિનેમાના કલાકાર તરીકે ઓળખીએ છીએ, પણ એ એમ.બી.બી.એસ., એમ.એસ. ડિગ્રી સાથે આંખ-નાક-ગળાના ડોક્ટર અને રેશનાલિસ્ટ વ્યક્તિ હતા, અને સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર થાય તેમ જ વૈજ્ઞાનિક અભિગમ કેળવાય, તે માટે સક્રિય હતા. ઉપર જે વિધાનો છે, તે મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ અન્વયે તેમના એક બહુ પ્રચલિત વક્તવ્યનો હિસ્સો છે. આ સમિતિની રચના ડોક્ટર, સમાજ સેવક અને રેશનાલિસ્ટ નરેન્દ્ર દાભોલકરે કરી હતી, જેમની ૨૦૧૩માં આ પ્રવૃત્તિના કારણે જ હત્યા કરવામાં આવી હતી. શ્રીરામ લાગૂ અને દાભોલકર બંને પુણેવાસી હતા.
મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ દર મહિને ‘વિવેક જાગરણ’ શીર્ષક હેઠળ ડો. લાગૂનું એક વક્તવ્ય ગોઠવે, જેનો વિષય હોય ‘ઈશ્વરને નિવૃત્ત કરીએ.’ તેમને સંભાળવા માટે બહુ લોકો એકઠા થાય અને અનેક સંસ્થાઓ-સંગઠનો આ વક્તવ્ય ગોઠવવા માટે પડાપડી કરે. શ્રીરામ લાગૂએ આ જ વિષય પર લેખ પણ પ્રકાશિત કરેલો, અને તેનો બહુ વિરોધ-વિવાદ થયો હતો. એમાં લાગૂને ધમકીઓ પણ આપવામાં આવેલી અને કાર્યક્રમોમાં તોફાન પણ કરવામાં આવેલાં, છતાં તેઓ વિચલિત થયા વગર તેમનું કામ ચાલુ રાખતા. વિરોધ કરવાવાળાએ તેમને કહેલું કે તેઓ ‘શ્રીરામ’ નામ બદલી નાખે, કારણ કે નાસ્તિક માણસનું નામ શ્રીરામ ના હોય.
ડો. લાગૂએ તેની પાછળનો તર્ક અને ભાવના સમજવતાં કહ્યું હતું, “એક બાળક તરીકે મારી એ સ્થિતિ ન હતી કે, હું મારા પેરન્ટ્સને કહું કે મને ઈશ્વરનું નામ ન આપે. તેઓ બહુ જ શ્રદ્ધાળુ પેરન્ટ્સ હતાં, અને એ પ્રેમના કારણે ઈશ્વરનું નામ આપ્યું હશે. મને તો તેમણે પ્રેમ અને સ્નેહનાં કારણે આ નામ આપ્યું હતું (એટલે મેં રાખ્યું છે).”
ડો. દાભોલકરના દીકરા હમીદ દાભોલકર એક સમાચારપત્રમાં પ્રકશિત લેખમાં લખે છે કે, ૮૦ના દાયકામાં સમાજ સેવા માટે કોઈ સહાયતા ન હતી અને બિન-સરકારી સંગઠનો પણ ન હતાં, ત્યારે ડો. લાગૂ અને એક્ટર રામ આપ્ટેએ સમાજ સેવકોને આર્થિક મદદ મળે, તે માટે ‘સામાજિક કૃત્યદ્યાનતા નિધિ’ સ્થાપી હતી, જે સમાજ સેવકોને દર મહિને જીવન જરૂરી ચીજો માટે પૈસા આપતી હતી. લાગૂએ થિયેટર અને સિનેમાના એકટરો પાસે દાન માટે અપીલ કરાવી હતી. તેમણે નીતુ ફૂલે, રીમા લાગૂ સુધીર જોશીના નાટક ‘લગ્નાચી બેડી’ને આખા મહારાષ્ટ્રમાં ભજવ્યું હતું.
નાટક પૂરું થાય તે પછી ડો. લાગૂ ઝોળો લઈને પ્રેક્ષકોમાં ફરે અને દાન ઉઘરાવે. નાના-નાના ગામડાંઓમાં, જ્યાં રહેવાની સારી જગ્યા પણ ના હોય, ત્યાં લાગૂ આ નાટક કરે અને લોકો પાસેથી દાન ઉઘરાવે. સામાજિક સેવા પ્રત્યે તેમની આ પ્રતિબદ્ધતા હતી. થિયેટર પ્રત્યેનો તેમનો પ્રેમ પણ આ સામાજિક પ્રતિબદ્ધતામાંથી જ આવેલો. મહારાષ્ટ્રની રંગમચ પરંપરા સામાજિક સુધારણા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલી છે. લાગૂ તેમની ચાલીસી સુધી તો ધંધાદારી સિનેમામાં આવ્યા પણ હતા. એ કેન્યામાં એક હોસ્પિટલમાં સર્જન તરીકે કામ કરતા હતા, અને ૧૯૬૯માં ૪૨ વર્ષની વયે ભારત પરત આવીને પૂર્ણસમય માટે થિયેટરમાં જોડાઈ ગયા હતા. તે દરમિયાન વસંત કાનેટકરની એક ફિલ્મમાં શિવાજી મહારાજના પુત્ર સંભાજીની ભૂમિકા મળી, ત્યાંથી મરાઠી સિનેમાઓ શરૂ થઇ હતી.
ડો. લાગૂ કહે છે, “હું એક જમાનામાં સર્જન હતો. નાક-કાન-ગળાનો ડોક્ટર હતો. જે વર્ષે હું મેડિકલ કોલેજમાં ગયો, એ જ વર્ષે મેં થિયેટર શરૂ કર્યું હતું. બસ, થિયેટરનો જ શોખ હતો. જ્યારે હું હિન્દી સિનેમામાં વ્યસ્ત થઇ ગયો, તો એક સમય એવો હતો કે હું થિયેટર બિલકુલ કરી શકતો ન હતો. ત્યારે મને લાગ્યું કે મારા જીવનમાં આ બહુ ખોટું રહ્યું છે. થિયેટર તો મારું જીવન છે. પછી હું પાછો થિયેટર તરફ ગયો, અને દર રવિવારે થિયેટર કરતો, બાકી છ દિવસ ફિલ્મો કરતો.”
સતારામાં ૧૯૨૭માં જન્મેલા શ્રીરામ લાગૂ તેમની ભાવે સ્કૂલમાંથી જ થિયેટર કરતા હતા. ભાવે સ્કૂલ રંગમંચને બહુ પ્રોત્સાહન આપતી હતી. અહીંથી જ સ્મિતા પાટીલ, રોહિણી હતંગડી અને સોનાલી કુલકર્ણીને એક્ટિંગનો રંગ લાગેલો. આ જ સ્કૂલના એક નાટકમાં લાગૂએ સ્વતંત્ર્ય સેનાની ગોપાલ કૃષ્ણ ગોખલેની ભૂમિકા કરી હતી. વર્ષો પછી રિચાર્ડ એટનબરોની ‘ગાંધી’ ફિલ્મમાં લાગૂ એ જ ભૂમિકા કરવાના હતા.
“મને બહુ ઝડપથી ખબર પડી ગઈ હતી કે,” તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, “મારા વિલંબથી આવવાના કારણે અને મારા ચોક્કસ દેખાવને કારણે હિન્દી ફિલ્મોમાં મને પિતા અને કાકાની જ ભૂમિકાઓ મળવાની છે. મેં જો કે ૧૫૦થી વધુ હિન્દી ફિલ્મો કરી હતી, છતાં ‘ઘરોંદા,’ ‘કિનારા,’ ‘ઇન્કાર,’ ‘સાજન બિન સુહાગન,’ ‘ઇન્સાફ કા તરાજુ,’ ‘એક પલ’ અને ‘એક દિન અચાનક’ જેવી અમુક જ ફિલ્મો યાદગાર હતી.
શ્રીરામ લાગૂને જેના માટે યાદ રાખવામાં આવે છે, તે મરાઠી નાટ્યકાર વિષ્ણુ વામન શિવર્ડકર ઉર્ફે કુસુમાગ્રજના પ્રતિષ્ઠિત ‘નટસમ્રાટ’માં તેમણે શ્રેષ્ઠતાના શિખર પરથી ગબડીને કનિષ્ઠતાની ખીણમાં પટકાતા અભિનેતા ગણપત બેલવલકરની દુઃખદાયક યાત્રા ભજવી હતી. કુસુમાગ્રજ શેક્સપિયરના મહાન નાટક ‘કિંગ લિયર’ને મરાઠીમાં કરવા માંગતા હતા, અને અચાનક તેમને એક એવા ઉંમરવાન એક્ટરનું પાત્ર મગજમાં આવ્યું, જે શેક્સપિયરના નાટકો કરતો હોય, અને રંગમંચથી નિવૃત્ત થઈને પરિવારના નાટકમાં ફસાઈ જતો હોય. ગણપત બેલવલકરનું એ પાત્ર એટલું ગહન હતું કે તે સમયે શ્રીરામ લાગૂના હાર્ટ-એટેક માટે કારણભૂત બન્યું હતું. તેમના પછી જેટલા રંગકર્મીઓએ તે ભૂમિકા કરી, તેમના સ્વાસ્થ્ય પર પણ તેની અસર પડી હતી.
તેને યાદ કરીને ડો. લાગૂએ કહ્યું હતું, “તેનું કારણ એ છે કે એ ભૂમિકા અસાધારણ મહેનત માગી લે તેવી હતી. બીજું શું કે મોટા ભાગના આપણા એકટરો ચુસ્ત નથી. ડોકટર તરીકે મને ખબર હતી કે હું પણ ચુસ્ત ન હતો. એ જમાનામાં અમને કશી ખબર ન હતી. શું કરવું અને શું ના કરવું તથા કેટલું કરવું અને કેટલું ના કરવું, તેની સલાહ-સમજણ આપવાવાળું પણ કોઈ ન હતું. અમે તબિયતની, ખાવા-પીવાને કસરતની કોઈ દરકાર વગર એક્ટિંગમાં ડૂબી જતા હતા. એ નુકશાનકારક છે.”
૨૦૧૬માં મહેશ માંજરેકરે ‘નટસમ્રાટ’ નામથી તેની મરાઠી ફિલ્મ બનાવી હતી, જેમાં નાના પાટેકરે ગણપત બેલવલકરની ભૂમિકા કરી હતી. ૨૦૧૮માં ડિરેક્ટર જયંત ગિલાટરે સિદ્ધાર્થ રાંદેરિયા, દીપિકા ચીખલિયા અને મનોજ જોશીને લઈને ‘નટસમ્રાટ’ને ગુજરાતીમાં બનાવી હતી. નાના પાટેકરે આ ભૂમિકા માટે શ્રીરામ લાગૂની સલાહ લીધી હતી. એક ઇન્ટરવ્યુમાં લાગૂએ કહ્યું હતું, “એ ભૂમિકા કોઈ રીતે સહેલી ન હતી. એમાં પાત્રની ખિન્નતામાં ડૂબી જઈને પ્રેક્ષકો સુધી પહોંચવાનું હતું. લોકો આજે પણ ગણપત બેલવલકરના અવાજ અને હાવભાવને યાદ કરીને મને તેનું રહસ્ય પૂછે છે, તો મારા મોઢા પર હાસ્ય આવી જાય છે.”
એંસી વર્ષના આ પડાવ પર આવીને તમે પાછળ વળીને જુવો, તો તમને કશું જુદી રીતે કરવાનું મન થાય? શ્રીરામ લાગૂને એક ઇન્ટરવ્યુમાં સવાલ પૂછવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું, “ઘણું બધું. હું આમ તો અભિનેતા જ બનું, પણ હું મારો અહંકાર છોડવાનું પસંદ કરું. હું શ્રેષ્ઠ છું, એવી ભાવના જરા વધારે પડતી છે.”
સૌજન્ય : ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 29 ડિસેમ્બર 2019