બોલાવે કોઈ મને, સંભારે કોઈ મને, કેમ કરી જાઉં એની પાસ ?
ભીતરના ખેતરમાં ભીનેરા અજવાશે સહેમી ઊઠે છે મારા શ્વાસ
અણજાણી વાટ પર, સમજણના ઘાટ પર, એક દિવસ કેવું રે મળિયાં
રવરવતી લાગણીની, ખળખળતી સરિતાની સુંદરતા સાથે લઈ હળિયાં
આરંભ્યો તે દિનથી શબ્દોના સથવારે સ્મરણોનો સુંદર પ્રવાસ
બોલાવે કોઈ મને …
વાગે છે ટ્રીન ટ્રીન ટેલિફોનઘંટડી, લંડનથી આવ્યા છે ક્હેણ
બારડોલી કેમ છે? સ્કૂલ હવે કેમ છે? આરતથી દ્રવતા એ વેણ
વાત મારી સાંભળીને, બાળપણને સાંભરીને, લીલુંછમ કરતા એ હાસ
બોલાવે કોઈ મને …
કોઈ વાર લહેરાતા કાવ્યોના છોડ વળી કોઈ વાર સત્યાગ્રહ નાદ
કોઈ વાર પુરાણા મિત્રોને યાદ કરી કરતા એ રસભર સંવાદ
માણેલા દિવસોની,જાણેલા માણસોની સાથ મારો થાતોતો વાસ
બોલાવે કોઈ મને …
![]()


૧૯૧૭માં અમેરિકામાં ભારતીય રાષ્ટ્રવાદ વિષે પ્રવચન આપતા ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે રાષ્ટ્રવાદ એક ભૂંડી કલ્પના છે અને ખાસ કરીને ભારત માટે તો એ વધારે ભૂંડી છે; કારણ કે ભારતની સમસ્યા રાજકીય નથી, સામાજિક છે. રવીન્દ્રનાથ ટાગોર માત્ર એક પ્રવચન આપીને અને તેને છપાવીને થોભ્યા નહોતા, પણ ગાંધીજીએ ૧૯૨૦-૧૯૨૧ની સાલમાં જ્યારે અસહકારનું આંદોલન શરૂ કર્યું ત્યારે તેઓ ગાંધીજી સાથે પણ વિવાદમાં ઉતર્યા હતા. અસહકારના આંદોલનનો વિરોધ કરતા તેમણે ગાંધીજીને કહ્યું હતું કે રાષ્ટ્રીય જાગૃતિના નામે તેઓ (ગાંધી) આગ સાથે રમત રમી રહ્યા છે. ગાંધીજીએ ‘કવિની ચોકી’ (ચોકીદારી) નામનો લેખ લખીને ગુરુદેવને નિશ્ચિંત રહેવાનું આશ્વાસન આપ્યું હતું.