
courtesy : "The Indian Express", 26 November 2019
![]()

courtesy : "The Indian Express", 26 November 2019
![]()
૨૭મી નવેમ્બર ૧૮૯૦. આજથી આશરે ૧૩૦ વરસો પૂર્વેનો આ દિવસ. ૬૩ વરસના જોતીરાવ ફુલે બે વરસથી બેવારના પક્ષાઘાતથી પથારીવશ છે. શરીરનું જમણું અંગ કામ કરતું નથી. આજે તેમને જીવનનો અંત નજીક લાગે છે. એટલે સાંજે સૌને ભેગા કરે છે. પોતાના જીવનભરના કામ અંગે ભારે સંતોષ વ્યક્ત કરે છે. પત્ની સાવિત્રીબાઈ અને દત્તક દીકરા યશવંતની ભાળવણી કરી આંખ મીંચે છે. ૨૮મી નવેમ્બર ૧૮૯૦ની રાતે બે વાગે તેમના શ્વાસ કાયમને માટે થંભી જાય છે. સામાજિક ક્રાંતિના અગ્રદૂત અને બહુજન નવજાગરણના પ્રણેતા મહાત્મા જોતીબા ફુલેના અવસાન સાથે ઓગણીસમી સદીના ભારતના સામાજિક પરિવર્તનના એક મહત્ત્વના અધ્યાયનો અંત આવે છે.
મહારાષ્ટ્રમાં દુરાચારી પેશવાઈથી વકરેલા બ્રાહ્મણવાદ અને શૂદ્રોની પાયમાલીના માહોલમાં મહાત્મા ફુલેએ પોતાના પ્રગતિશીલ અને સમાનતાવાદી વિચારોથી નવી હવાની લહેર પેદા કરી હતી. જ્યારે એ જમાનાના સમાજસુધારકો ઉચ્ચ વર્ગમાં સુધારા માટે પ્રયત્નો કરતા હતા ત્યારે ફુલે અસ્પૃશ્ય દલિતો અને સ્ત્રીઓના હામી બન્યા હતા. તેમણે સમાજના આ કહેવાતા નીચલા વર્ગમાં સમાજ સુધારણાના પ્રયત્નો કર્યા હતા. અન્ય સમાજ સુધારકો અસ્પૃશ્યોને ઉચ્ચ વર્ણનાં મૂલ્યો સુધી લઈ જવા મથતા હતા ત્યારે ફુલેએ બ્રાહ્મણવાદી પરંપરાઓનો છેદ ઉડાડી નવા સુધારાવાદી વિચારો વહેતા કર્યા હતા.
પરંપરાગત માળીના વ્યવસાય સાથે સંકળાયેલા મહારાષ્ટ્રના શૂદ્ર કુટુંબમાં ૧૮૨૭માં તેમનો જન્મ, પિતા ગોવિંદરાવ અને માતા ચિમણાબાઈ. આર્થિક વિટંબણાઓ છતાં પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો. ૧૩ વરસની વયે, ૧૮૪૦માં, ૮ વરસનાં સાવિત્રી સાથે બાળ લગ્ન કરનાર જોતીરાવને સમાજમાં પ્રવર્તતા ઉચ્ચનીચના ભેદનો યુવાવસ્થામાં જ અનુભવ થયો હતો. કથિત ઉચ્ચવર્ણના મિત્રના લગ્નમાં થયેલા આ અનુભવે તેમને ઝકઝોરી મૂક્યા હતા. આ અપમાનને કારણે જ મોટપણે જાતિપ્રથાની નાબૂદી અને અસ્પૃશ્યતા નિવારણની અગત્ય સમજાઈ હતી. આ સમસ્યાનું કારણ તેમને કહેવાતા નીચલા વર્ણના લોકોમાં રહેલો શિક્ષણનો અભાવ લાગ્યું. ભણતરનું મહત્ત્વ ઊંચું આંકતા ૨૧ વરસના યુવાન જોતીરાવે, ૧૮૪૮માં, પૂણેમાં શૂદ્રાતિશૂદ્ર સમાજની કન્યાઓ માટેની શાળા શરૂ કરીને જીવનકાર્યનો આરંભ કર્યો હતો. પોતાનાં અભણ પત્ની સાવિત્રીબાઈને તેમણે ભણાવ્યા અને તેમણે કન્યાઓને ભણાવી. દેશમાં દલિતોની પહેલી પાઠશાળા ૧૮૫૧માં તેમણે જ શરૂ કરી હતી. એ રીતે જોતીબા ફુલે અને સાવિત્રી ફુલે દેશના દલિતોના આધ્ય શિક્ષકો છે.
સ્ત્રીઓ અને દલિતોને ભણાવવાનું આ કામ જરા ય આસાન નહોતું. પૂણેના ઉચ્ચવર્ણના વિરોધ આગળ ઝૂકીને તેમના પિતા ગોવિંદરાવે ફુલે દંપતીને કામ છોડવા કે ઘર છોડવા જણાવવું પડ્યું હતું. એટલે એમણે પોતાનું ઘર છોડવું પડ્યું. જોતીરાવને મારવા ભાડૂતી મારાઓને મોકલવામાં આવ્યા. તેમના ઘર પર રોજ પથ્થરો પડતા. સાવિત્રીબાઈ શાળાએ જતાં તો તેમના પર પથરા અને છાણ ફેંકવામાં આવતાં. આટલા પ્રબળ વિરોધ છતાં તેઓ અડગ રહ્યા. મહાત્મા ફુલેએ શિક્ષણનું મહત્ત્વ સ્પષ્ટ કરતાં “શેતકર્યાચા અસૂડ” (કિસાનનો ચાબૂક) પુસ્તકમાં લખ્યું છે : “વિદ્યા વિના મતિ ગઈ, મતિ વિના નીતિ ગઈ, નીતિ વિના ગતિ ગઈ ! ગતિ વિના સંપત્તિ ગઈ, સંપત્તિ વિના શૂદ્ર નાસીપાસ થયો, આટલો બધો અનર્થ એકલી વિદ્યા વિના થયો.”
અનેક બાબતોમાં આધ્ય એવા મહાત્મા ફુલેના જીવનીકારોએ એમના સામાજિક ક્રાંતિના જે કામો ગણાવ્યા છે તેની ઝલક જોઈએ : વિધવા સ્ત્રીઓ પરના દુ:ખો ખાસ કરીને તેમની વિધવાવસ્થામાં થતાં બળાત્કારોથી કે મોહવશ બંધાતા શરીરસંબંધોથી આવતી મુશ્કેલીઓ માટે તેઓ બાળહત્યા પ્રતિબંધ ગૃહ ખોલી વિધવા સ્ત્રીઓની પ્રસૂતિ કરાવતા, તેમના અવૈધ સંતાનોનો ઉછેર કરતાં, વિધવા વિવાહને ઉત્તેજન આપ્યું, વિધવાઓના પુન:લગ્ન કરાવ્યાં અને બાળલગ્નોનો વિરોધ કરી તેને અટકાવ્યા, વિધવાઓના કેશ મૂંડનને રોકવા વાળંદોને જાગ્રત કરી સંગઠન બનાવ્યું, ધાર્મિક વિષમતાની નાબૂદી માટે “સત્યશોધક સમાજ” નામક સંસ્થાની સ્થાપના કરી, લગ્ન અને અન્ય ધાર્મિક વિધિવિધાનો સંસ્કૃતને બદલે સરળ મરાઠીમાં થાય તેનો આગ્રહ રાખ્યો, જમીનદારોના જુલમોથી પીડિત કિસાનોની મદદ કરી, ખેડૂતોની સમસ્યાઓ અંગે કૉન્ગ્રેસ અને અંગ્રેજ સરકારને રજૂઆતો કરી, ખેતીની પદ્ધતિમાં સુધારા માટે પ્રયત્નો કર્યા, મુંબઈમાં મિલકામદારોને શોષણ સામે સંગઠન બનવા પ્રેરિત કર્યા, પોતાના ઘરનો કૂવો દલિતોના ઉપયોગ માટે ખૂલ્લો મૂક્યો, હંટર કમિશન સમક્ષ શિક્ષણમાં પાયાના ફેરફારો સૂચવ્યા, પૂણે નગરપાલિકા સભ્ય તરીકે નગરપાલિકાના સાર્વજનિક પાણીના સ્થાન અસ્પૃશ્યો સહિત સૌ માટે સુલભ કરવાનો પ્રસ્તાવ મૂક્યો, સ્ત્રી સમાનતા, સ્વાતંત્ર્ય અને સ્ત્રી મુક્તિ માટે આધુનિક ગણાય તેવા દ્રષ્ટિકોણથી કામ કર્યું, “માનવી અધિકાર”, “સર્વ એકંદર સ્ત્રી અને પુરુષ” તથા “શૂદ્રાતિશૂદ્ર” જેવા શબ્દપ્રયોગ પ્રથમવાર કર્યા, સમાજ સુધારણા માટે “દીનબંધુ” સાપ્તાહિક ચલાવ્યું, ઘણાં લેખો અને પુસ્તકો લખ્યાં હતાં.
મહાત્મા ફુલેને તેમના કાર્યો અંગે જેમ વિરોધ વેઠવો પડ્યો તેમ આદરસન્માન પણ મળ્યા હતા. તેમના ૪૦ વરસના જાહેરજીવનને વધાવવા તેમનું ભવ્ય ષષ્ઠિપૂર્તિ સન્માન ૧૧મી મે ૧૮૮૮ના રોજ મુંબઈમાં થયું હતું. આ સમારંભમાં ગાંધીજીથી પૂર્વે તેમને “મહાત્મા”ના બિરુદથી નવાજવામાં આવ્યા હતા. જાણે તેના પર મંજૂરીની મહોર મારતા હોય તેમ ગાંધીજીએ ૧૯૩૨માં જોતીબાને “સાચા મહાત્મા”ગણાવ્યા હતા. પોતાના જમાનાથી ખૂબ જ આગળનું વિચારતા જોતીબા ફુલે પરંપરાભંજક હતા. જાતિપ્રથા, સતીપ્રથા, બહુપત્નીત્વ પ્રથા, વિધવાવિવાહ નિષેધ જેવા જડ વિચારો અને રૂઢિઓનો તેઓ વિરોધ કરતા હતા. એ સમયમાં વ્યાપ્ત અંધશ્રદ્ધા, વહેમ અને રૂઢિજડતા દૂર કરવા તેમણે ‘સત્યશોધક સમાજ’ની રચના કરી હતી. “ગુલામગીરી” નામક અદ્દભુત પુસ્તક લખનાર મહાત્મા ફુલેએ જીવનના અંતિમ વરસોમાં લકવાથી જમણું અંગ નકામું થઈ ગયું ત્યારે ડાબા હાથે “સાર્વજનિક સત્ય ધર્મ” પુસ્તક લખીને પોતાની માનવધર્મની વિભાવના સ્પષ્ટ કરી હતી. મહાત્મા ફુલે લિખિત અન્ય જાણીતાં પુસ્તકોમાં ‘બ્રાહ્મણાંચે કસબ’, ‘છત્રપતિ શિવાજી રાજે ભોસલે યાંચા પોવાડા’, ‘સત્સાર’ અને ‘ઈશારા’ છે.
આજે મહારાષ્ટ્રમાં સમાજસુધારણા માટે ફુલે-આંબેડકર યુગ એવો શબ્દ પ્રચલિત છે. તેના મૂળમાં ડો. આંબેડકર અને મહાત્મા ફુલેનાં કાર્યો વચ્ચે લગભગ પોણી સદીના અંતર છતાં રહેલી અનેક સમાનતા છે. એટલે જ ડો. આંબેડકરે બુદ્ધ અને કબીરની સાથે પોતાના ત્રીજા ગુરુ મહાત્મા ફુલેને ગણાવ્યા હતા. પોતાનો ગ્રંથ “હુ વ્હેર શૂદ્રાઝ ?” તેમણે જોતીબા ફુલેને અર્પણ કર્યો હતો. મહારાષ્ટ્રમાં અને દેશમાં આજે જોવા મળતી દલિત જાગ્રતિના મૂળમાં મહાત્મા ફુલેના યુગકાર્યનો અલ્પ હિસ્સો છે તે સ્વીકારવું રહ્યું. સ્ત્રીઓ અને દલિતોની હાલત આજે પણ ચિંતાજનક છે અને તેમના પ્રત્યેના ભેદ અને શોષણ નવા સ્વરૂપે ચાલુ છે ત્યારે મહાત્મા ફુલેના જીવનકાર્ય અને વિચારોની પ્રસ્તુતતા વધી જાય છે.
e.mail : maheriyachandu@gmail.com
પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 27 નવેમ્બર 2019
![]()
જરી ન રડશો અહીં મુજ સમાધિ પાસે ઊભી,
નથી હું અવ ત્યાં કશે, નવ રહ્યો વળી હું ઊંઘી,
સહસ્ર મરુતો તણો ઘૂઘવતો છું ફુત્કાર હું,
અને ચમકતી દ્યુતિ, બરફ પે, હું હીરા સમી.
પીળા કણસલે ફૂટે સૂરજતેજની સેર હું,
વળી શરદકાલનાં મૃદુલ વર્ષણો તે ય હું.
તમારું ઊઠવું થશે રવહીણા પ્રભાતે યદિ
તદા ત્વરિત વેગની ગતિવિધિ ઊંચાઈ તણી
વિહંગવલયે રચી, અરવ પાંખની, એ ય હું.
હું છું મસૃણ તારકો ટમકતેજ, રાત્રિ તણા.
સમાધિ સમીપે ઊભી વિલપશો લગીરે નહીં,
નથી જ નથી હું તહીં, મરણ મારું ક્યાં છે થયું ?
(વરસો પહેલાં, લંડનમાં, 'ગુજરાતી સાહિત્ય અકાદમી'ના એક જાહેર અવસરે, અહીં નીચે મૂકાયું અંગ્રેજી કાવ્ય પેશ કરીને તત્ક્ષણ અનુવાદ કરવાનો પ્રસંગ ઊભો કરેલો. તે અવસરે ગુજરાતીના એક અવ્વલ સાહિત્યકાર અને મિત્ર દિવંગત જયન્ત મ. પંડ્યાએ આ ઉપર આપ્યો અનુવાદ કરેલો. અબીહાલ, તે કવિના 'આમ્રમંજરી' નામક કાવ્યસંગ્રહમાં સામેલ છે. − વિ.ક.)
Do not stand at my grave and weep
I am not there. I do not sleep.
I am a thousand winds that blow.
I am the diamond glints on snow.
I am the sunlight on ripened grain.
I am the gentle autumn rain.
When you awaken in the morning's hush
I am the swift uplifting rush
Of quiet birds in circled flight.
I am the soft stars that shine at night.
Do not stand at my grave and cry;
I am not there. I did not die.
− Mary Elizabeth Frye
![]()

