Opinion Magazine
Number of visits: 9576539
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાશ્મીરઃ નજરોનજર

નંદિની સુંદર|Opinion - Opinion|3 December 2019

૯મી ઓક્ટોબરના રોજ અમે કેટલાંક ઉપાહારગૃહોને આખો દિવસ માટે ખૂલતાં જોયાં. એવું જણાય છે લોકો ધીમે ધીમે ફરજિયાત રીતે પોતાનો ધંધો આખા દિવસ માટે કરતા થઈ જશે. તેમ છતાં, એક સફરજન ઉગાડનારે અમને જણાવ્યું, “જો આઝાદી મળવાની હોય, તો તે વરસમાં રૂપિયા ૯-૧૦ લાખ ખોવાના ભોગે પણ સફરજનનો પાક ઉતારીને વેચીશ નહીં.” (સફરજન-ઉત્પાદન વિશેનો ભાગ વિગત માટે જોવો.)

હાઉસબોટના માલિકો, કામદારો અને તે ધંધા પર આધારિત અન્ય લોકો વધુ ગંભીર અસર પામ્યા છે. પાંચ ઓરડીઓ ધરાવનાર એક હાઉસબોટના માલિકે જણાવ્યું કે એણે ચાલુ વરસે રૂપિયા ૭ લાખની ખોટ કરી. એક અત્તરના વેપારી, જે ગુજરાતમાંથી માલ લાવીને વેચતાં તેણે જણાવ્યું કે સંપૂર્ણ સંચારબંધી હોવાને લીધે માલ પૂરો પાડનારા જોડે સંપર્ક ટૂટી ગયો છે અને જો સંપર્ક ચાલુ હોત તો પણ ઘરાકીના અભાવે તે કશું કરી શકે એવું છે જ નહીં.

લગ્નસમારંભ થઈ રહ્યા છે, પરંતુ તેમાંની સંખ્યા અને ખાણીપીણીનો જથ્થો સામાન્ય સ્તર કરતાં ખૂબ નીચો ગયો છે. આશ નામે અનાથોનાં સમૂહલગ્ન યોજનારી સ્વૈચ્છિક સંસ્થાના વડાએ જણાવ્યું કે, ગયા વરસે તેઓ સમારંભમાં સૌને બિરિયાની ખવડાવી શક્યા હતા, પરંતુ આ વરસે માત્ર કહવા પીણું જ પૂરું પાડી શક્યા.

શ્રીનગર શહેર અને ગામના લોકોએ અમને જણાવ્યું હતું કે હડતાલ કે બંધની સ્થિતિમાં તેઓ ટકી રહેવા ટેવાયેલા છે, કારણ કે, સંઘર્ષના સમયે પરંપરાગત રીતે એકબીજાનો સહકાર અને ટેકો મેળવી લેતા હોય છે. જે ખાધા-ખોરાકી મેળવી શકવા સક્ષમ નથી તેમને મદદ કરાય છે. શ્રીનગરના આંચર જેવા સ્થાન પર લોકોએ પોતાની જાતને જ ઘેરામાં બંધ કરી લીધી છે કારણ કે, મોટા ભાગના ખેડૂતો છે અને તેઓની પાસે ડાંગરનો પૂરતો જથ્થો છે.

સફરજનનો વેપાર

અમે શોપિયાં અને સોપોરની ફળબજારની મુલાકાત લીધી. શોપિયાંનું ફળબજાર પૂરેપૂરું બંધ હતું અને મંડીની બહાર પણ ખટારાઓ ઊભા ન હતા. એક ઉત્પાદકે જણાવ્યું કે, જો હડતાલ દ્વારા તેમને આઝાદી મળતી હોય તો તે લાખોની ખોટ ખાવા તૈયાર છે.

સોપોરનું ફળબજાર પણ બંધ હતું, પણ બાગાયત વિભાગની કચેરી, જેના દ્વારા નાફેડ ફળની ખરીદી કરે છે તે ચાલુ હતી. ત્યાંના અધિકારીઓએ જણાવ્યું કે, સોપોરના ફળમબજારમાં દરરોજ આશરે ૩૦૦ ખટારા રોજ નીકળે છે, તેની સામે સપ્ટેમ્બર ૧૫ના રોજથી, જ્યારે બજાર – દરમિયાનગીરી યોજના દાખલ થઈ, માત્ર ૩ ખટારા જ નીકળી રહ્યા છે. અલબત્ત જે લોકોએ આઝાદપુર બજાર સાથે સીધા વાયદા કરેલા હતા, તેઓ સીધો જ માલ મોકલી રહ્યા હતા અને બજારની બહાર અનૌપચારિક ધંધો ચાલી રહ્યો હતો, પરંતુ એવું જોઈ શકાયું કે હડતાલ લગભગ પૂરેપૂરી હતી. ગયા વરસે બજારનો વકરો રૂપિયા ૧,૦૦૦ કરોડ હતો, હાલમાં બારામુલા જિલ્લાના ૯૪,૦૦૦ ખેડૂતોમાંથી માત્ર ૫૮૬ ખેડૂતોએ નાફેડ થકી માલ વેચવા નોંધણી કરાવી હતી, તે પૈકી માત્ર ૪૬ ઉત્પાદકો માલ વેચી શક્યા હતા ને કુલ માલનો જથ્થો ૩૦ મૅટ્રિક ટન જેટલો જ થયો હતો, જે પહેલાં જણાવ્યા મુજબ ત્રણ ખટારાઓમાં મોકલી દેવાયો હતો.

ધાર્મિક અસર કરતા પ્રતિબંધ

આ વરસે ભાગ્યે જ ઈદ ઊજવાઈ. કુપવારાના કલામાબાદની આસપાસ પોલીસે ફરીને ઇદગાહમાં લોકોના ભેગા થવા પર મનાઈ ફરમાવી અને લાઉડ સ્પીકર વાપરવા પર પ્રતિબંધ મૂક્યો. લોકોએ સ્થાનિક મસ્જિદોમાં નમાજ અદા કરી અને કલામાબાદની ઇદગાહમાં નમાજ ન થઈ શકી.

શિક્ષણને થયેલી નુકસાની

ઔપચારિક રીતે શાળાઓ ચાલુ છે, પણ બાળકો નિશાળે જતાં નથી. શિક્ષકો દિવસના અમુક કલાકો હાજરી આપે છે અને તે પણ અઠવાડિયામાં બે કે ત્રણ વાર. સૌરા ગામની ૬ વરસની એક બાળકી બોલી, “પોલીસઅંકલ ગોલી મારેંગે.” વાલીઓ બાળકોને નિશાળે મોકલવા માગતાં નથી કારણ કે, ભારે માત્રામાં ફોજની હાજરી છે અને ફોન ચાલતા નથી. લોકોએ જણાવ્યું કે પાંચ ઑગસ્ટથી કેન્દ્રીય અનામત પોલીસ દળે એસ.પી. હાયર સેકંડરી સ્કૂલ પર કબજો લઈ લીધો છે, પરંતુ અમે આ માહિતીની જાતે ખરાઈ ન કરી શક્યાં નથી. ગામની શાળાઓ બંધ છે. શાળાઓ ફળિયાંઓમાં હોવા છતાં સૈન્યબળ બધે જ છે અને લોકો ગોળીબારીની આશંકાથી ત્રસ્ત છે.

મધ્યમવર્ગીય શ્રીનગરના વિસ્તારની શાળાના એક શિક્ષકે જણાવ્યું કે, તેઓ જે વિદ્યાર્થીઓનાં સરનામાં છે, તેમને સ્વાધ્યાય મોકલાવે છે પણ જેમનાં સરનામા નથી, તેઓ સુધી કેમ કરી પહોંચવું તેઓ જાણતા નથી.

કૉલેજના એક શિક્ષકે જણાવ્યું કે, તે અને બીજા સહકર્મીઓ સમયાંતરે કૉલેજ પહોંચે છે, પણ કોઈ વિદ્યાર્થી આવતા નથી. ૯ ઑક્ટોબરે જ્યારે કૉલેજો આદેશ પ્રમાણે ઊઘડી, ત્યારે અમે ભાગ્યે જ કોઈ વિદ્યાર્થીને જોઈ શક્યા. અવરજવર માટે કોઈ જાહેર સાધનોના અભાવે શાળાઓ કે કૉલેજોમાં વિદ્યાર્થીઓ કઈ રીતે પહોંચશે, તે જાણી શકાતું નથી.

બાળકો / સગીરોની ધરપકડ

નાનાં બાળકો જેમની ઉંમર ૬ વરસની આસપાસ છે, તેમને પણ પકડીને એક દિવસ કે વધુ દિવસો રાખવામાં આવ્યાં છે અથવા રોજેરોજ કેટલાક દિવસ માત્ર સવાર-સાંજ હાજરી પુરાવવાની ફરજ પડાઈ છે. મોટા ભાગના કિસ્સાઓમાં ધરપકડનો કોઈ રેકર્ડ છે જ નહીં. બાળકોનાં મા-બાપ કે સગાંને સવારસાંજ પોલીસથાણે આવીને બાળકો અંગે ખાતરી આપવાની હોય છે. બાળકોને મસ્જિદના લાઉડ સ્પીકરોમાં પ્રતિકારના તરાના ગાવા-વગાડવાના અથવા પથ્થરમારો કરવાના વાંકે ઉઠાવી લેવામાં આવે છે અને આ ઑગસ્ટ ૫ પહેલાં પણ થઈ રહ્યું હતું અને હવે તેની ગતિની તીવ્રતા વધવા પામી છે.

પુલવામા અને શ્રીનગરના વિસ્તારોમાં અમને જણાવવામાં આવ્યું કે, બાળકો ધરપકડના ભયે પોતાના ઘરે જ રાત્રે સૂતાં બીવે છે. તેઓ સગાંઓ અથવા દાદા-દાદીનાં ઘરોમાં સૂએ છે. વરસ ઉપર થયું જ્યારે સૈન્યબળે ગામોમાં વસ્તીગણતરી કરી હતી. ઑગસ્ટ ૫ પછી જે કુટુંબોમાં યુવાવસ્તી છે, તે કુટુંબોને લક્ષ્ય પર લેવાનું સરળ બન્યું છે.

એસ.બી. ગામ, શોપિયાં જિલ્લો

આ ગામમાં બાળકોને ૨૦૧૯ના મે મહિનામાં ઉઠાવીને છોડી દેવામાં આવ્યાં હતાં. અમે એ પૈકી કેટલાંક બાળકો અને તેમનાં વાલીઓને મળ્યાં હતાં.

૧. એસ.એફ., ઉં.વ.૧૨, ધોરણ ૫

૨. એ.એમ., ઉં.વ.૯, ધોરણ ૪

૩. એ.એસ., ઉં.વ.૧૨, ધોરણ ૩

૪. એફ.એફ., ઉં.વ. ૧૪, ધોરણ ૭

બે વ્યક્તિઓ સાદા વેશમાં સ્કૂટર પર આવીને બપોરે આશરે ૩ વાગે એ.વાય.ના ઘરે આવ્યાં અને એને લઈ ગયા. પછી તેઓ એફ.એફ.ના ઘેર આવ્યાં અને તેને થાણા પર બોલાવ્યો. એ એની મા સાથે ગયો. પછી તેઓ એ.એમ. અને એ.એસ.ની ઘરે ગયા અને એમને પણ થાણે તેડાવ્યા. પોલીસે નાનાં બાળકોને રાત્રે છોડી દીધાં અને ફરી બીજા દિવસે સવારે થાણે હાજર થયાં. તેમને કેટલીક લાતો મારી, કાન પકડી ઊઠબેસ કરાવી. બધાંને એકથી વધુ વખત પકડી ગયાં મરઘો બનાવી ઊઠબેસ કરાવી. એ એમને તો ૨૦૧૬માં પણ પકડી ગયા હતા, જ્યારે એ માત્ર ૬ વરસનો જ હતો.

શ્રીનગર

અમે એક બાળક, જેની ધરપકડ કરી છોડી દેવામાં આવ્યો હતો, તેની જોડે વાત કરી. ૬ વરસના એચ.ને ૧૭ ઑગસ્ટના રોજ બપોરે ત્રણ વાગે ટી. ઉં.વ. ૧૨, ધોરણ ૭ની જોડે મસ્જિદથી પકડવામાં આવ્યો અને થાણે લઈ જવામાં આવ્યો હતો. તેઓને મધ્યરાત્રે છોડી મૂક્યા હતા એ શરતે કે ટી.ના પિતા અને એચ.ના દાદા દિવસો સુધી રોજ સવારે અને સાંજે થાણે હાજર થઈ રિપોર્ટ કરે. એચ.ના મગજમાં હવે સતત બંદૂક રમે છે અને એ બંદૂક વિશે જ વિચાર કર્યા કરે છે.

રિબામણી અને ત્રાસના કિસ્સાઓ

પરિગામ, પુલવામા

પરિગામ ગામ નજીકમાં બે સૈન્યછાવણીઓ છે. બે મહિનાથી હાઈસ્કૂલ બંધ છે. પહેલાં સૈનિકો ગામમાંથી પસાર થતા, ત્યારે ગામના રહેવાસીઓને કોઈ કનડગત નહોતી, પરંતુ ઑગસ્ટ ૫ પછી સૈનિકોએ મુખ્ય રસ્તા પર આવતાં ઘરોમાંથી ગમે તે યુવાઓને પકડી અને ત્રાસ ગુજારી ડર પેસાડી દેવાનું શરૂ કર્યું. ૬ ઑગસ્ટની રાત્રે ૮ ઘરોમાંથી શ્રૃંખલાબદ્ધ રીતે ઘરોનાં બારણાં ખખડાવી ૨૦થી ૩૦ વરસના ૯-૧૧યુવકોને પકડી લીધા.

અમે ૨૫ અને ૨૩ વરસના બે ભાઈઓ શબીર અહમદ સોફી અને મુઝફ્‌ફર અહમદ સોફી અને તેના પિતા સનાઉલ્લા સોફીને પરિગામમાં તેમના ઘરે મળ્યા. પરિવાર નાનવાઈ (તંદૂર અને બૅકરી) ચલાવે છે. ૬ ઑગસ્ટની રાત્રે સેનાએ પહેલાં ચોકીદાર અબ્દુલગનીનું બારણું ખખડાવ્યું અને કિરાણાની દુકાન ચલાવનાર કય્યુઅહમદ વાનીને બોલાવી લાવવા કહ્યું. પછી કય્યૂમને બૅકરીવાલાનું ઘર બતાવવાનું કહ્યું. જ્યારે સનાઉલ્લાએ બારણું ખોલ્યું, ત્યારે સૈનિકોએ તેના દીકરાઓ વિશે પૂછ્યું. (તેમની માહિતી વસ્તીગણતરીના લીધે સૈન્ય પાસે હતી અને તેમના પર તે પહેલાં કોઈ પણ આરોપ ન હતા.)

જે ૯થી ૧૧ યુવાઓને પકડ્યા (જે પૈકી સોફીબંધુઓ, કય્યૂમ અહમ્‌ વાની, યાસિન અહમદ મુઝ્‌ફ્‌ફર ભટ્ટ, અબ્દુલગનીનો દીકરો હતા.) અને તે સૌને મસ્જિદની બહાર એક સ્થળે લઈ જવામાં આવ્યા રાત્રે ૧૨-૩૦ અને સવારે ૩ વાગ્યા સુધી તાર અને લાકડીઓ વડે મારવામાં આવ્યા. અને બેભાન અવસ્થામાંથી બહાર લાવવા, તેઓને વીજળીના આંચકા આપ્યા. આ યુવાઓ હાથપગ ઘસડીને ઘરે પહોંચ્યા. બે મહિના સુધી તેઓ હલનચલન માંડ કરતા થયા, કામ કરવાની વાત તો દૂર રહી.

જ્યારે યુવાઓના પરિવારવાળાઓએ સૈનિકોને રોકવાની આજીજી કરી, ત્યારે તેમને પાછા કાઢવામાં આવ્યા અને ધમકાવવામાં આવ્યા કે જો કોઈ રોકવા આવશે, તો હજી વધુ માર મારશે. બીજા દિવસે સવારે આ યુવકોને બારઝુલ્લા, શ્રીનગર સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા, જ્યાં હાડકાં અને તેનાં જોડાણોની સર્જરી કરવામાં આવી. વાલીઓ પોલીસમાં એફ.આઈ.આર. કરવા માગતા હતા, પણ પુલવામા થાણું ફરતે કાંટાળી તારથી બંધ કરી દેવામાં આવ્યું હતું.

કરિમાબાદ ગામ , શોપિયાં

આ ગામ આતંકીઓ માટે જાણીતું છે. અહીં શહીદોની ૧૧ કબર છે. સેનાએ બે વાર આ કબ્રસ્તાનને જમીનદોસ્ત કરી નાખ્યું છે, પરંતુ લોકો તેનું પુનર્નિમાણ કરી દે છે અને કબરો પર કાગળનાં ફૂલ ચડાવે છે. અહીંથી પણ સેનાએ યુવાઓની નિવારક અટકાયતો કરી અને આગ્રા જેલમાં મોકલી આપ્યા છે, આ યુવાઓને આતંક અને તેની ગતિવિધિઓ જોડે કોઈ વ્યક્તિગત સંબંધ નથી.

ધરપકડ કરાયેલામાં નીચે જણાવેલાનો સમાવેશ થાય છે?

૧. મમૂન અહમદ પંડિત, ઉં.વ. ૧૭, ડિગ્રી કૉલેજ પુલવામાનો બીજા વરસનો વિદ્યાર્થી, ૭ ઑગસ્ટે એની ધરપકડ થઈ અને એને આગ્રા મધ્યસ્થ – જેલમાં પી.એસ.એ. હેઠળ મોકલી દેવામાં આવ્યો છે. તેનો ગુનો માત્ર એટલો છે કે એ જાણીતા આતંકવાદી નાસિર અહમદ પંડિત જે ૨૦૧૬માં મરણ પામ્યો, તેનો સૌથી નાનો ભાઈ છે. અમે એની માતાને મળ્યા, તેણે જણાવ્યું કે સેનાએ ૭ ઑગસ્ટની રાત્રે ૨ વાગે આવીને પરિવારને જણાવ્યું કે આ યુવાનને તેઓ નિવારક અટકાયતના પગલે ૧૫ ઑગસ્ટ સુધી લઈ જઈ રહ્યા છે, જ્યારે પરિવારજનો ૧૬ ઑગસ્ટના રોજ પુલવામા પોલીસ પાસે ગયાં ત્યારે એવું કહેવામાં આવ્યું કે તેને બીજે લઈ જવામાં આવ્યો છે.

૨. મુનિરુલ ઇસ્લામ અથવા સુહૈલ ઉં.વ. ૨૦, બશીર અહમદ પંડિતનો દીકરો, જેની ધરપકડ ઑગસ્ટ ૮ની રાત્રે ૨.૪૫ વાગે કરવામાં આવી.

પરિવારજનો એને પુલવામા પોલીસ-સ્ટેશને મળ્યાં પણ તેને તરત જ પહેલાં શ્રીનગર મધ્યસ્થ જેલ અને પછી આગ્રા-જેલમાં લઈ જવામાં આવ્યો.

૩. બિલાલ અહમદ ડાર (બે બાળકોનો પિતા છે). અમે કોઈ પરિવારજનને મળી શક્યા નહીં તેથી વિગતો મળી નથી.

આ ત્રણે વ્યક્તિઓ પર પથ્થરમારો, કારને નુકસાન પહોંચાડવાનો અને આતંકીઓને મદદ કરવાના આરોપ છે. અમે આ અંગેના કોઈ કાગળો જોઈ શક્યા નથી અને પરિવારજનોએ આગ્રા મુલાકાત લીધી નથી અને કોઈ વકીલને પણ રોક્યા નથી.

પ્રોંગ્રૂગામ, હંદવારા

આ ગામમાં ૩ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને હજી સૌ જેલમાં છે. અમે તેમનાં પરિવારજનોને મળ્યાં :

૧. મોહમ્મદ શફી મીર દીકરો  (મોહમ્મદ મકબૂલ મીર, ઉં.વ. ૩૫)

૨. અસગર મકબૂલ ભટ્ટ

૩. નદીમ મોહમ્મદ શેખ

સમુદાય બાંહેધરીવ્યવસ્થા અન્વયે એક વાર કોઈ વ્યક્તિ પકડાય, તો તે સમુદાયના લોકોને ખાત્રી આપવાનું કહેવામાં આવે છે. ઓ.એમ.ના કિસ્સામાં વિસ્તારના ૨૦ વડીલોને રોજ બાંહેધરી આપવા બોલાવવામાં આવતા હતા. તેમના ઓળખપત્ર લઈ લેવામાં આવે અને એકથી બે કલાક બેસી રહેવું પડે અમુક વાર પોલીસ-સ્ટેશનમાં આખો દિવસ પણ બેસી રહેવું પડે.

પ્રસારમાધ્યમ સાથે વાત કરવા બદલ ધરપકડ

સૌરાના દુકાનદાર ઇનાયત અહમદની ૨૯ ઑગસ્ટના અલ્‌ ઝઝીરા સાથે વાત કરવા અને પ્રતિરોધમાં ભાગ લેવા બદલ ધરપકડ કરવામાં આવી. પોલીસથાણામાં ૧૫-૧૬ દિવસ રાખ્યા પછી તેને પી.એસ.એ.ના આરોપી બનાવી શ્રીનગર મધ્યસ્થ જેલ લઈ જવામાં આવ્યો.

જેલ-જાપતામાં મોત

૩ સપ્ટેમ્બર ૨૦૧૯. નંદપુરા ભાંડીગામના નંદપુરા વૉર્ડ ભાંદીગામના ૨૦ વર્ષના રિયાઝ અહમદ ઠીકરીનું મૃત્યુ, ઉંમર આશરે ૨૦ વરસ.

ભાંદી ગુજ્જરોનું ગામ છે અને ત્યાંના ઘણા લોકો સામે જંગલખાતાના કેસ છે. ગામના લોકો કહે છે કે જંગલના અધિકારીઓ રૂપિયા ૧૦થી ૨૦ હજારની લાંચ લે છે અને કોર્ટની દરેક તારીખે વકીલને રૂપિયા ૫૦૦ની ફી આપવી પડે છે. કોર્ટ સુધી આવવાજવા અને આનુષંગિક ખર્ચા સાથે દરેક તારીખે રૂપિયા કુલ ૧,૦૦૦નો ખર્ચ થાય છે. એક વ્યક્તિએ કહ્યું કે એ ૨૦૦૫થી કોર્ટમાં હાજરી આપે છે. ૨૦૧૦થી જંગલખાતાએ કાંટાળા તાર બાંધી ગુજ્જરોનો રસ્તો બંધ કરી દીધો છે.

રિયાઝ અહમદ લદ્દાખમાં મજૂરી કરી પાછો જ ફર્યો હતો, જ્યારે પોલીસ ૨ સપ્ટેમ્બરના રોજ ઘરે આવી અને એને એક વરસ પહેલાં લાકડાચોરીના કિસ્સામાં થયેલ એફ.આઈ.આર. બાબતે પોલીસ સ્ટેશન આવવાનું કહી ગઈ. ૩ સપ્ટેમ્બરના પોલીસ તેના કાકા જમાલદીન શાબંગીના ઘરે ગઈ અને એમને પોલીસસ્ટેશન લઈ ગઈ. ત્યાં એમને જાણ કરવામાં આવી કે એમના ભત્રીજાએ પોતાના સલવારના નાડા વડે આપઘાત કરી લીધો છે.

જમાલદીન અને બીજાઓએ જોયું કે રિયાઝનું નાક તૂટેલું હતું અને શરીરના જમણા પડખે ખભેથી નિતંબ સુધીનો ભાગ ભૂરો પડી ગયો હતો અને ઉઝરડાયુક્ત હતો. હંદવારામાં પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું. પણ તેની નકલ પરિવારને આપવામાં આવી નથી.

રિયાઝનાં માતા શિરિનાબેગમ આંધળાં છે. એના ત્રણ ભાઈઓ છે, જે મજૂરી કરે છે. રિયાઝ પરિવારનો મુખ્ય કમાતો દીકરો હતો.

રિયાઝના પોલીસ-હિરાસતમાં મૃત્યુ થયા બાદ હેરલથી વરપુરા, કલામાબાદ સુધી એક સરઘસ નીકળ્યું, જેની પર પોલીસે અશ્રુગૅસ છોડ્યો. રિયાઝના મૃતશરીરનો બળજબરીથી પોલીસે કબજો લઈ લીધો અને બીજા લોકો આવે તે પહેલાં જબરદસ્તી તેના ઘર પાસે તેની દફનક્રિયા કરાવી દીધી. એના કાકા જમાલદીને વિરોધ કર્યો, તો એના મોઢા પર માર માર્યો.

નિષ્કર્ષ

જો સુપ્રીમ કોર્ટે પહેલાં જ દખલ કરી હોત – જે હજી કરી શકે – અને ધારા ૩૭૦ પુનઃસ્થાપિત કરી જમ્મુ અને કાશ્મીરને સંઘના એક રાજ્ય તરીકે પૂર્વસ્થિતિમાં લાવી દીધાં હોત, તો કેટલોક ગુસ્સો શમી ગયો હોત, પરંતુ હવે કાશ્મીરમાં અને કાશ્મીરની બહાર સૌ કાશ્મીર અને ભારત માટે ભાવિના ગર્ભમાં શું છે, તે અંગે અનિશ્ચિતતા અનુભવીએ છીએ.       

[ટુંકાવીને]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2019; પૃ. 10-12

Loading

વકીલનો ધંધો-કેવો છે?

રાજેન્દ્ર પ્રસાદ|Opinion - Opinion|2 December 2019

મુકરદમાખોરીથી હિન્દુસ્તાન બરબાદ થઈ રહ્યું છે. દેશ આટલો નિર્ધન થઈ ગયો હોવા છતાં કોરટો અને મુકરદમાઓ પાછળ આજ જેટલો ખરચ થાય છે તેટલો બીજા કશા પાછળ નહીં થતો હોય. અદાલતોની જે પ્રથા ચાલુ છે તેમાં પાણીની પેઠે પૈસો વાપર્યા વિના એક તણખલું સરખું આમથી તેમ નથી થઈ શકતું.

સૌ પહેલું તો મંગલાચરણ તરીકે જ દાવો દાખલ કર્યાની ફી જે કોર્ટ ફી કહેવાય છે તે ભરવી પડે છે. એની રકમ પણ ઠીક જાડી હોય છે. આ ઉપરાંત કોર્ટમાં એવા કેટલાએ નાના અમલદારો પડેલા હોય છે જેમને ‘નૈવેદ્ય’ ન ધરવામાં આવે તો બધું કામ કથળી જાય અને એક ખરચવાથી ચાલે એવું હોય ત્યાં બે ખરચવાનો વારો આવે છે. કોર્ટ ફીમાંથી સરકારને જે આવક થાય છે એમાંથી અદાલતોનો બધો ખરચ નીકળી રહેવા ઉપરાંત સરકાર પાસે બચત રહે છે અને કેટલાક પ્રાંતોમાં તો આવી આવક વરસોવરસ વધી રહી છે.

વકીલ બારિસ્ટરોની ફીની તો વાત જ પૂછો મા. એમને જે ફી મળે છે એનો નથી કોઈ અડસટ્ટો કે નથી હદ. જેનું તીર એકવાર લાગ્યું એ પછી જોઈએ તો પાવડા ખંપાળીથી ધન ઢસડે અને જે કમબખ્ત રહી ગયો તે મૂઓ પડ્યો. ચાહે તેટલી યોગ્યતા ભલેને હો, કોઈ એનો ભાવ પૂછતું નથી. અને એ યોગ્યતા પણ વળી કઈ? વાદવિવાદના જોર વડે, બુદ્ધિની ચાલાકી વડે, સાચને જૂઠ અને જૂઠને સાચ કરાવી દેવું! વકીલ બારિસ્ટરોનું કામ એ નથી ગણાતું કે તેઓ સાચનો જ પક્ષ લે. એમનું કહેવું છે કે એ કામ તો જજનું છે. અમારું કામ તો એટલું જ છે કે જે પક્ષની બાજુ અમે લીધી હોય તે પક્ષને અનુકૂળ હોય તે બધી બાબતો રજૂ કરવી. જે બાબતો વિરુદ્ધની છે તે બતાવવાનું કામ તો સામેવાળાના વકીલનું છે. જો એક પક્ષનો વકીલ બુદ્ધિશાળી અને ચતુર હોય અને બીજા પક્ષનો નબળો હોય તો સારો મુકરદમો પણ માર્યો જાય અને વકીલ બારિસ્ટરોની મોટાઈ, એમનું ગૌરવ, એમાં જ રહેલું છે કે એમનો પક્ષ ગમે તેટલો કમજોર હોય, તો પણ સામાવાળાને હર ઉપાયે હરાવી જીત મેળવવી. અને આ બાબતમાં જેની જેટલી શક્તિ વધારે તેટલી તેની ફી પણ મોટી.

હવે ફી તરફ જરા નજર કરીએ. અદાલતોમાં ઘણું ખરું પાંચ કલાક કામ ચાલે છે. એને માટે ફી આપવામાં આવે છે. પણ આ સિવાય બીજી પણ કેટલીએ જાતની ફીઓ છે જેનું વર્ણન અહીં કરશું. ઘણા ખરા મોટા વકીલ બારિસ્ટરોમાં પ્રથમ મુકરદમાના કાગળો વાંચી જવાની જુદી ફી લેવાનો રિવાજ છે. મુકરદમો જેમ મોટો તેમ તેના કાગળો પણ થોકડાબંધ હોય છે. અદાલતમાં દલીલ કરવા સારુ કાગળો વાંચવા જ જોઈએ. કાગળ વાંચ્યા વિના તો મુકરદમો લડી જ કેવી રીતે શકાય? પણ ફી તો કાગળિયાં વાંચી જવા માટે જુદી અને પછી અદાલતમાં ઊભા રહી દલીલ કરવા સારુ પણ જુદી આપવી પડે છે! ઘણી વાર એવું બને છે કે એક જ પક્ષ તરફથી બે, ત્રણ કે વધુ વકીલો કામ કરતા હોય છે અને દલીલ તો એકીવારે એક જ જણ કરી શકે છે તેથી બીજાઓ બેઠા બેઠા બોલનાર વકીલને મદદ કરતા રહે છે, પણ તેઓનામાં પણ જો કોઈ નામીચો વકીલ કે બારિસ્ટર હોય છે તો તે પણ કાગળ વાંચવાની જુદી અને બેસવાની જુદી એમ ડબલ ફી લે છે! કાગળો વાંચી જવાની ફી પણ થોડી નથી હોતી. સાંભળ્યું છે કે કોઈ જગ્યાએ રૂ. ૫૦,૦૦૦ સુધી પણ કાગળ વાંચવાની ફી અપાઈ છે! અને પૃષ્ઠ દીઠ ૨થી ૫ રૂ. ફી તો સામાન્ય મનાય છે.

આમ જ્યારે કાગળો વંચાઈ રહે છે ત્યારે એક જ પક્ષના જેટલા વકીલો હોય છે એ બધાને ભેગા થઈને સાથે બેસી મુકરદમાની દલીલ કઈ ઢબે ગોઠવવી એનો વિચાર કરવો જરૂરી હોય છે. આવી રીતે એકઠા મળીને તે એક બીજાના વિચાર ન લે તો બધાની મહેનત અને બુદ્ધિનો લાભ મુકરદમાને ન મળી શકે. વળી મોટા વકીલ બારિસ્ટરોનો તો વખત પણ આવી કોન્ફરન્સ કરી લેવાથી બચી જાય છે; કેમ કે એમ કરવાથી તેમને દરેકને મુકરદમાના કાગળો વાંચી જવાની જરૂર રહેતી નથી, અને જે વકીલ કાગળો વાંચી ગયો હોય છે તેણે કરેલાં ટિપ્પણોથી તેઓ મુકરદમો સમજી લઈ પોતાની સલાહ આપે છે. પણ આવી કૉન્ફરન્સને માટે પણ જુદી ફી આપવી પડે છે. સામાન્ય રીતે કલાકના ૮૫ રૂ. આપવાનો રિવાજ હોય છે. ક્યાંક ક્યાંક વધારે આપવી પડે છે.

પણ આ બધી તો અદાલતમાં મુકરદમાની દલીલ પહેલાંની જ વાત થઈ. અદાલતમાં દલીલ કરવાની સાથે વકીલ બારિસ્ટરની ફી દરરોજ ઘણું ખરું ૫૦ રૂપિયા હોય છે અને ઘણી વાર તેઓ એક જ દિવસમાં બે ત્રણ મુકરદમાઓ પણ પતાવે છે! આ વકીલ પણ એક અદાલતમાંની પોતાની દલીલ પૂરી થતાં સામા પક્ષનો વકીલ તેનો જવાબ આપવા લાગે છે એટલે તે સાંભળવા ન થોભતાં બીજી અદાલતોમાંનું પોતાનું કામ કરવા ચાલતો થાય છે અને અસીલ જો સામાવાળાની દલીલ પણ સાંભળવાને વકીલને રોકવા ઇચ્છા કરે તો એને ૫૧૦ ને બદલે ૧૦૨૦ રૂ. આપવા પડે છે! રે! ઘણીવાર તો એવું બને છે કે ફી ખીસામાં મૂકીને પણ મુકરદમો નીકળે તે વેળાએ વકીલ દલીલ કરવા હાજર નથી થઈ શકતો અને તેને બદલે ફી પાછી આપવી જોઈએ તે પણ નથી આપતા! આ બાબતમાં એક નામાંકિત વકીલના મોઢાંનો એવો બચાવ મેં સાંભળ્યો છે કે “મારી ફી હું પાછી શાનો આપું ? અસીલે મને રોક્યો તે હું અદાલતમાં ઊભા રહીને દલીલ કરીશ જ એ ખાત્રીએ નહીં પણ એટલી જ આશાએ કે મને વખત હશે તો હું મુકરદમો ચલાવીશ!” મતલબ કે વકીલ સામા પક્ષ તરફથી ન ઊભો રહે એટલી જ ખાત્રી મેળવવાને અસીલ એને ફી ભરીને રોકી લે. મુકરદમો એને હાથે ચલાવવાનો તો માત્ર ચાન્સ જ લે.

હાઈકૉર્ટ છોડીને બહાર ગામ જવાની તો આ વકીલોની સામાન્ય ફી પહેલા દિવસ માટે રૂપિયા ૫,૦૦૦ અને બીજા દિવસથી રૂપિયા ૧,૫૩૦ હોય છે. સામટા માસિક મહેનતાણાની શરતે કોઈ રોકે તો તે ૫૦થી ૬૦ હજાર લેવામાં આવે છે!

આ ઉપરથી એમ નથી માની લેવાનું કે જે અસીલ ઉપલી ગજબખોર ફીઓ ભરે છે તે બધા ખુશીથી આપે છે. ગમે તેટલો નબળો મુકરદમો ભલેને હોય અસીલને હંમેશાં એ જ ઉમેદ રહ્યા કરે છે કે પોતે અવશ્ય જીતશે. નીચલી અદાલતમાં નહીં તો ઉપલીમાં. ત્યાં નહીં તો અપીલમાં, છેવટ પ્રિવી કાઉન્સિલમાં, ક્યાંકને ક્યાંક અવશ્ય જીત મળશે. અને જીતવાનો એક માત્ર ઉપાય એ જ કે સારામાં સારા વકીલ બારિસ્ટરોને રોકવા. આથી જ પોતાનો મુકરદમો સાચો હોય કે જૂઠો, વકીલ બારિસ્ટર ઉપર ખરચ કરવામાં અસીલ પાછું વાળીને જોતો નથી. જો પોતે સાચો હોય તો સામા પક્ષના પોતાને જૂઠો ઠરાવવાના પ્રયત્નમાંથી બચવાની ખાતર અને પોતે જૂઠો હોય તો પોતાના જૂઠને સાચ કરાવવાની ખાતર. ન્યાય તોલનારની સ્થિતિ એટલી લાચાર છે, કાયદાની શૈલી એવી જડ છે કે મુકરદમાનું કિસ્મત મોટે ભાગે વકીલોની બુદ્ધિ ઉપર આધાર રાખે છે.

પણ હિંદુસ્તાન આ કજિયાખોરીના ખરચથી બરબાદ થઈ રહ્યું છે એ આમ સ્પષ્ટ છતાં આમાં અમારી જે સૌથી મોટી હાનિ થઈ છે તે આર્થિક હાનિ નથી. આ અદાલતોને પ્રતાપે આજ આખી હિંદી પ્રજા સત્યનો ત્યાગ શીખી રહી છે. એવો એક પણ મુકરદમો નથી હોતો જેમાં બધી સાક્ષી સાચી લેવાતી હોય. સાક્ષી કાનૂન જ એવો છે, કે દેખીતી વાત પણ સહેલાઈથી સાબિત નથી થઈ શકતી. આપણા દેશીઓ એવા ચતુર નથી, અને કાયદાની સમજપૂર્વક બધાં કામ કરતા નથી તેથી જ્યારે કંઈ બાબત અદાલતમાં જાય છે ત્યારે તેઓ તેમાં રહી ગયેલી ઊણપ જૂઠી સાક્ષી વડે પૂરી કરવા માગે છે. અને એ જ કારણે જૂઠી સાક્ષીઓનો પાર રહેતો નથી. સારા વકીલ બારિસ્ટરો તો સાક્ષીઓને જૂઠી સાક્ષી આપવાનું નથી શીખવતા પણ તેઓ સુદ્ધાં પોતાના અસીલોને એટલું તો જરૂર સમજાવી દે છે કે ફલાણી ફલાણી બાબતોનો પુરાવો રજૂ કરવો પડશે. બસ, અસીલોને પછી જોઈતા પૂરાવાને સારુ ફાવે ત્યાંથી સાક્ષીઓ ઊભા કરવાનું જ બાકી રહે છે. આમ પ્રજાને જૂઠ શીખવવાના સીધા નહીં તો આડકતરા દોષમાંથી તો વકીલ વર્ગ નથી જ બચી શકતો.

ગામેગામ આવા જૂઠ કજિયાઓ ઊભા કરનારા અને મુકરદમાઓ કરાવી તે ઉપર જ પોતાની આજીવિકા કરનાર લોકો આજે દેશમાં ઊભા થયા છે. એમનો વ્યવસાય જ એ છે કે લોકોને પરસ્પર લડાવી મારવા અને પોતાની તુંબડી ભરવી. એ જ એમનો જીવનનિર્વાહ છે, એ જ એમની પ્રતિષ્ઠા છે. એમની જાળમાં સપડાઈને અનેક સાદા અને સરળ મનના ગામડિયાઓ પોતાના સર્વસ્વનું પાણી કરીને અદાલતોમાં આયુષ્ય ખુવાર કરે છે અને ધન, મર્યાદા અને ઇમાન ગુમાવી પાછા ફરે છે.

[નવજીવન, તા. ૧૦-૧૦-૧૯૧૯]

o

સૌજન્ય : नवजीवनનો અક્ષરદેહ, ઑગસ્ટ-સપ્ટેમ્બર 2019; પૃ. 277-279

Loading

લોકમિલાપની વિદાય : ‘શબદના સોદાગર’નો ‘પુણ્યનો વેપાર’ સંકેલાય છે ત્યારે

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|2 December 2019

મહેન્દ્ર મેઘાણી

ભાવનગરનો 'લોકમિલાપ' પુસ્તકભંડાર 26મી જાન્યુઆરીથી બંધ થાય છે એ મતલબની પોસ્ટ તેના સંચાલક ગોપાલભાઈ મેઘાણીએ 17મી નવેમ્બરે બપોરે મૂકી ત્યારે નગરના અને ગુજરાતના પુસ્તકચાહકો જાણે એક ધબકારો ચૂકી ગયા.

આ પોસ્ટના પ્રતિભાવમાં સોશિયલ મીડિયામાં જે લખાયું છે તેમાંથી સમજાય છે કે સૌરાષ્ટ્રના નાના સંસ્કારનગર ભાવેણાના સેંકડો પુસ્તકરસિકોને આ પુસ્તકભંડાર સાથે ગાઢ લાગણીનો સંબંધ હતો.

'લોકમિલાપ'ની પુસ્તકમેળાની પરંપરા

લોકમિલાપનો એક પુસ્તક મેળો

અત્યારે વીસેક વર્ષની ઉંમરની નવી પેઢી માટે 'લોકમિલાપ' ગુજરાતી ભાષાનાં ઉત્તમ પુસ્તકો અને સંગીતની ચૂંટેલી સી.ડી. પૂરા પાડનાર 'કૂલ બુકશૉપ' હતી.

પણ તે પહેલાંની અરધી સદી જેમણે જોઈ હોય તે સહુ પુસ્તકરસિયાઓ માટે 'લોકમિલાપ' એટલે ભાવવિશ્વનો એક સમૃદ્ધ હિસ્સો.

તેમના માટે લોકમિલાપ એટલે પુસ્તકભંડાર વત્તા તેની સમાંતરે ચાલેલી એ જ નામની પ્રકાશન સંસ્થા.

કેટલા ય વાચકોનાં કિતાબી દુનિયામાં પગરણ કિશોરવયમાં 'લોકમિલાપ'ની મુલાકાતોથી કે કૉલેજનાં વર્ષોમાં ત્યાંથી કરેલી પુસ્તકોની ખરીદીથી થયાં હતાં.

'લોકમિલાપે' ગયાં સિત્તેર વર્ષમાં લાખો વાચકોને સત્ત્વપૂર્ણ સાહિત્ય ઘણી ઓછી કિંમતે પૂરું પાડ્યું. તદુપરાંત તેણે ઘરઆંગણે અને દેશવિદેશમાં પુસ્તકમેળા કર્યા.

પુસ્તકમેળો શબ્દ મહેન્દ્રભાઈને કારણે લોકજીભે ચઢ્યો. ભાવનગરના તેના વાર્ષિક પુસ્તકમેળાની તો આખા ય પંથકના લોકો રાહ જોતા અને મેળાના દિવસો જાણે અવસર બની જતા!

લોકમિલાપે 'ફિલ્મ મિલાપ' નામના ઉપક્રમ હેઠળ વર્ષો લગી ભાવનગરનાં બાળકોને મોટા પડદે નજીવા દરની ટિકિટમાં સુંદર ફિલ્મો બતાવી.

ગુજરાતી વાચકો માટે 1950થી ઓગણત્રીસ વર્ષ સુધી 'મિલાપ'નામનું વાચન-સમૃદ્ધ માસિક ચલાવ્યું.

'લોકમિલાપ'ના પાયામાં 'ગ્રંથનો ગાંધી'

લોકમિલાપ

'મિલાપ' તે 'લોકમિલાપ'નું પ્રારંભબિંદુ. તેના સ્થાપક-સંપાદક મહેન્દ્ર મેઘાણી ગુજરાતમાં 'ગ્રંથના ગાંધી' બિરુદ પામ્યા છે અને અત્યારે 96 વર્ષની ઉંમરે પણ લેખન-વાચનમાં યથાશક્તિ વ્યસ્ત છે.

મહેન્દ્રભાઈ 'લોકમિલાપ'નો પર્યાય છે એટલે ગયા સાત દાયકા દરમિયાન 'લોકમિલાપે' બહાર પાડેલાં બસો કરતાં ય વધુ પુસ્તકોનાં નિર્માણની કામગીરી લગભગ સંપૂર્ણપણે મહેન્દ્રભાઈના શબ્દકર્મને આભારી છે.

પુસ્તક તરીકે પ્રસિદ્ધ કરવા માટેની સામગ્રીની પસંદગી તેમ જ તેની મઠારણીથી શરૂ કરીને પુસ્તક એક પણ ભૂલ વિના છપાય, બંધાય, ટપાલી કે દુકાનદાર થકી સમયસર તે વાચકના હાથમાં અને ત્યાંથી સોંસરું તેના હૈયામાં પહોંચે ત્યાં લગીની આખી ય સાંકળની દરેક કડીમાં 'શબદના સોદાગર' મહેન્દ્ર મેઘાણીની મંજાયેલી સમજ અને સખત મહેનત છે.

પોણી સદીથી તેમણે પુસ્તકો તેમ જ સામયિકોનાં લખાણોનાં સંક્ષેપ, સંકલન, સંપાદન, પ્રકાશન, પ્રદર્શન અને નીવડેલા સાહિત્યનાં સમૂહવાચન થકી વાચન-પ્રસારનું જે કામ કર્યું છે તે લોકોત્તર છે.

તેમાં ન્યોછાવરી કે ત્યાગનો દાવો તેમણે ક્યારે ય કર્યો નથી. પણ ટૉલ્સ્ટૉય-ગાંધી પ્રણિત 'બ્રેડ-લેબર' એટલે કે ઇમાનદારીપૂર્વકના સખત સતત ઉત્પાદક પરિશ્રમ દ્વારા વધુ સારી દુનિયા બનાવવાની કોશિશની વાત જરૂર કરી છે.

પુસ્તકોથી ક્રાંતિનો વિચાર

વચ્ચે મહેન્દ્ર મેઘાણી. બેઠેલાં મંજરીબહેન (જમણે) અને અંજુબહેન (ડાબે). ઊભેલા ગોપાલભાઈ (ડાબે) અને અબુલભાઈ (જમણે)

'ઇતિહાસમાં બૅલટ કે બુલેટથી ક્રાન્તિઓ આવી હશે, 'લોકમિલાપ' બુક્સથી ક્રાન્તિ લાવવા ધારે છે', એવું મહેન્દ્રભાઈનું જાણીતું કથન છે.

મહેન્દ્રભાઈને વિશ્વાસ છે કે લોકો પુસ્તકો વાંચે તો બદલાવ આવે. પણ લોકો પુસ્તકો વાંચતાં નથી એની તેમને ખબર છે.

એટલે લોકો જે કારણસર પુસ્તકો વાંચતાં નથી તે બધાં કારણોનું તેમણે લોકમિલાપ પ્રકાશન થકી નિવારણ કર્યું. લોકોને લાંબાં લખાણો વાંચવાનો સમય નથી એટલે તેમણે ટૂંકાં લખાણો આપ્યાં.

પુસ્તકો મૂકવા માટે જગ્યા નથી, તો મહેન્દ્રભાઈએ નાનાં કદનાં છેક ખિસ્સામાં સમાઈ જાય એવડાંક પુસ્તકો ય બનાવ્યાં.

લોકો કહે છે કે 'વાંચવાનું અઘરું પડે છે', મહેન્દ્રભાઈએ કહ્યું કે 'લો સરળ સોંસરું વાંચન'.

લોકોએ કહ્યું કે રસ નથી પડતો, મહેન્દ્રભાઈએ કહ્યું કે 'લેખકો કંઈ બધું કંટાળાજનક નથી લખતાં, લો હું તમારા માટે એકદમ સરસ લખાણો વીણી લાવ્યો છું'.

'પુણ્યનો વેપાર'

આપણા દેશમાં કરોડો લોકોને ખરેખર પુસ્તકો પોષાતાં નથી એ જાણનાર મહેન્દ્રભાઈએ પુસ્તકપ્રકાશક તરીકે કરકરસર અને સાદગીભર્યું જીવન સ્વીકારીને વાચકોને ઓછી કિંમતે પુસ્તકો પૂરાં પાડ્યાં.

આ આખી ય વ્યવસ્થાને મહેન્દ્રભાઈ 'પુણ્યનો વેપાર' કહે છે. તેનાં રૂડાં ફળ ગુજરાતને મળ્યાં છે.

વાંચવામાં રસ ધરાવતાં ગુજરાતનાં લગભગ દરેક સ્ત્રી-પુરુષ પાસે લોકમિલાપનાં પુસ્તકો છે.

મહેન્દ્રભાઈ મહાન સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીનાં સંતાનોમાંના એક. ભાવનગર અને મુંબઈની શાળાઓમાં ભણીને અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કૉલેજ 1942માં અધવચ્ચે છોડીને પિતાની લેખનની અને પત્રકારત્વની પ્રવૃત્તિમાં સાથી બન્યા.

1948માં ન્યૂયૉર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં પત્રકારત્વનો અભ્યાસ કરવા ગયા. ત્યાંથી ગુજરાતી દૈનિક 'નૂતન ગુજરાત' માટે નિયમિત લખાણો મોકલતાં.

1950માં મુંબઈ પાછા આવીને કોઈ પણ ભારતીય ભાષામાં કદાચ પહેલવહેલું કહી શકાય તેવું 'રિડર્સ ડાયજેસ્ટ' ઢબનું 'મિલાપ' શરૂ કર્યું.

તેમાં ઓગણત્રીસ વર્ષ લગી વિવિધ સામયિકોમાંથી સુંદર સામગ્રી વીણીવીણીને અનુવાદ કરીને, ટૂંકાવીને, માવજત કરીને ગુજરાતી વાચકોને પૂરી પાડી.

બિનધંધાકારી સંસ્થાની શરૂઆત

મહેન્દ્રભાઈ 1951માં મુંબઈથી ભાવનગર આવ્યા અને 1954માં 'લોકમિલાપ કાર્યાલય' શરૂ કરી તેના પુસ્તકભંડાર દ્વારા પુસ્તકોનાં પ્રકાશન અને વેચાણનાં મંડાણ કર્યાં.

ભણતરનું પ્રમાણ ઓછું હોય તેવા જમાનામાં ઓછી વસતિવાળા એક કસબામાં પુસ્તકોનો વ્યવસાય શરૂ કરવામાં ધંધાકીય સાહસવૃત્તિ ઉપરાંત પુસ્તક અને વાચનમાં આદર્શવાદી શ્રદ્ધા પણ હતી.

લોકમિલાપે આરંભે ઝવેરચંદ મેઘાણીનાં ઇતિહાસપુસ્તકો અને તેમની કિશોરકથાઓ તેમ જ કુમારવયના વાચકો માટે પોતે અંગ્રેજીમાંથી અનુવાદ કરેલી સાહસકથાઓ 'કોન-ટિકિ', 'તિબેટની ભીતરમાં' અને 'ભાઈબંધ' જેવાં પુસ્તકો બહાર પાડ્યાં.

1968માં 'લોકમિલાપ કાર્યાલય'નું 'લોકમિલાપ ટ્રસ્ટ'માં રૂપાંતર કરીને તેને સારાં પુસ્તકોના પ્રચાર અને બીજી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવા માટેની બિનધંધાદારી સંસ્થા બનાવી.

લોકમિલાપ પુસ્તકભંડારની સુવાસ ફેલાતી ગઈ. તેમાં મૂકવામાં આવતાં પુસ્તકોની પસંદગી, ગ્રાહક માટેની કદરબૂજ, સંચાલકોની સહજ સંસ્કારિતા અને એકંદર આહ્લાદક વાતાવરણને કારણે લોકમિલાપ વાચકો માટે મિલનસ્થાન, વાચનસ્થાન, પુસ્તકતીર્થ બનતું ગયું.

તેમાં મહેન્દ્રભાઈ સાથે જુદા-જુદા તબક્કે વત્તા-ઓછા સમયગાળા માટે તેમના ભાઈઓ નાનક અને જયંત તેમ જ દીકરો ગોપાલ અને દીકરી મંજરી જોડાઈને લગનથી કામ કરતાં રહ્યાં (નાનક, જયંત અને મંજરીએ પછી પોતપોતાનાં પુસ્તકભંડાર પણ કર્યા).

મહેન્દ્રભાઈએ વીસેક વર્ષ પહેલાં 'લોકમિલાપ' પુસ્તકભંડારનાં રોજબરોજના કામમાંથી નિવૃત્તિ લીધી પછી પુસ્તકભંડારની બહોળી જવાબદારી અત્યારે 65 વર્ષના ગોપાલભાઈ અને તેમનાથી એક જ વર્ષ નાનાં તેમનાં પત્ની રાજુ(રાજશ્રી)બહેન સંપૂર્ણ સમર્પિત ભાવે ભારે ખંત અને ચોકસાઈથી નિભાવી છે.

સસ્તાદરે સાહિત્યનો ઉદ્દેશ

એક સમયે અરવિંદભાઈ શુક્લ અને વલ્લભભાઈ ચિખલિયા 'લોકમિલાપ'ના યાદગાર કર્મચારીઓ હતા. વર્ષો સુધી પુસ્તકભંડારની બહાર રોજનો એક સુવિચાર વાંચવા મળતો.

કાળા પાટિયા પર ચૉકથી સુંદર અક્ષરોમાં લખવામાં આવતું અવતરણ ભાવેણાવાસીઓનું એક સંભારણું છે.

એ દૈનિક સુવિચાર અને નવાં પુસ્તકોની સાપ્તાહિક યાદી ખૂબ નિષ્ઠાવાન કર્મચારી વલ્લભભાઈ લખતા.

પુસ્તકોનાં વેચાણમાંથી ધોરણસરની આવક થતી ગઈ એટલે સમાજ માટે ઘસાઈને ઊજળા થવામાં માનનાર મહેન્દ્રભાઈએ 'નહીં નફો નહીં નુકસાન'નાં ધોરણે ઉત્તમ સાહિત્ય સસ્તા દરે લોકોને પૂરું પાડવા માટે જાણે ઝુંબેશ હાથ ધરી.

ગુજરાતી સાહિત્યકૃતિઓની ઓછી કિંમતની આવૃત્તિઓ લાખોની સંખ્યામાં પ્રકાશિત કરી વિક્રમો સર્જ્યા. વળી, આ પ્રકાશનોમાં આગોતરા ગ્રાહક નોંધાતા હોવાથી, પ્રકાશન પહેલાં જ તમામ નકલો ખલાસ થઈ જતી!

'લોકમિલાપે' ઝવેરચંદ મેઘાણીની પંચોતેરમી જયંતી નિમિત્તે 1972માં મેઘાણી સાહિત્યનાં ત્રણ પુસ્તકોનો સંપુટ 'કસુંબીનો રંગ' નામે પ્રકટ કર્યો, જેની એક લાખથીય વધુ નકલોની આગોતરી નોંધાઈ.

'લોકમિલાપ'નાં યાદગાર પ્રકાશનો

પછીના વર્ષે 'આપણો સાહિત્યવારસો' શ્રેણી હેઠળ પાંચ-પાંચ પુસ્તકોના ચાર સંપુટો ગ્રાહકો નોંધી પ્રકટ કર્યા, જેમાં વિવિધ લેખકોની કૃતિઓને ટૂંકાવીને લોકો સામે મૂકી.

તેની સવા બે લાખ નકલો વાચકોએ વસાવી હતી. 'વારસો'માં અનેક સર્જકો આવરી લેવાયા.

કેટલાંક નામ આ મુજબ : કવિઓ – કલાપી, કૃષ્ણલાલ શ્રીધરાણી, નાન્હાલાલ, પ્રહ્લાદ પારેખ, સુંદરમ; વાર્તાકારો – ગિજુભાઈ બધેકા, દ્વિરેફ, ધૂમકેતુ, શરદચન્દ્ર, ટૉલ્સ્ટૉય; નવલકથાકારોમાં ઇશ્વર પેટલીકર, પન્નાલાલ પટેલ, ર.વ. દેસાઈ; ગદ્યકારોમાં કાકા કાલેલકર, ચંદ્રવદન મહેતા, જ્યોતીન્દ્ર દવે, રસિકલાલ ઝવેરી.

આ બધા સંપુટોની ખાસિયત એ હતી કે ભૂલો વિના, ખૂબ સુઘડ રીતે છપાયેલાં, સાદગીભરી સુંદરતાવાળાં મુખપૃષ્ઠો સાથેનાં, સાતસોથી નવસો પાનાંનું વાચન વધુમાં વધુ દસથી બાર રૂપિયામાં મળી રહેતું.

એ જ ક્રમમાં લોકમિલાપે ઝવેરચંદ મેઘાણીની છ નવલકથાઓ સમાવતાં ત્રણ પુસ્તકોના, રવીન્દ્રનાથના સાહિત્યવારસાનાં છ પુસ્તકોના અને ત્રણ ગુજરાતી વાર્તાકારોના સંપુટ પણ સસ્તાદરે બહાર પાડ્યા.

સ્વામી આનંદનાં ચૂંટેલાં લખાણોનો સંચય 'ધરતીની આરતી', ચારુચન્દ્ર ચક્રવર્તી 'જરાસંધ'ની નગીનદાસ પારેખ દ્વારા અનુવાદિત નવલકથા 'ઊજળા પડછાયા કાળી ભોંય' જેવાં પુસ્તકો પણ નોંધી શકાય.

પાંચ ગુજરાતી ચરિત્રગ્રંથોને ટૂંકાવીને મહેન્દ્રભાઈ તૈયાર કરેલાં 'ચંદનનાં ઝાડ' નામનાં છણ્ણું પાનાંના પાંચ રૂપિયાના (જેની બજાર કિંમત 13 રૂપિયા થાય) પુસ્તકનો એક લાખ નકલોનો પ્રિન્ટ ઑર્ડર 'લોકમિલાપે' આપ્યો હતો.

કિશોરો માટેની વાર્તાઓના અને બાળકો માટેની ચિત્રકથાઓના સંપુટો પણ બહાર પડ્યા. બે નોખાં પુસ્તકોનો ઉલ્લેખ કરવો જોઈએ.

'ચાલો બાળ ફિલ્મો બનાવીએ' અને 'લોક-ગંગા : ભારત-પાક સંઘર્ષ' (1966). આ બીજાં પુસ્તકમાં 1965ના ઉત્તરાર્ધમાં થયેલા સંઘર્ષ અંગે ગુજરાતી અને અંગ્રેજી અખબારોમાં આવેલા પંચોતેર જેટલા ચર્ચાપત્રોનો સંચય છે.

ખીસાપોથીઓથી કવિતાઓ ઘરે-ઘરે પહોંચાડી

'કાવ્ય-કોડિયાં'નું પ્રકાશન એ તો 'લોકમિલાપ'નું એવું કામ કે જેનો આટલાં વર્ષોમાં ભાગ્યે જ કોઈ સમાંતર જડે. 'કાવ્ય-કોડિયાં' એ કવિતાની રૂપકડી ખીસાપોથીઓ અર્થાત્‌ પૉકેટ-બુક્સ હતી.

સરેરાશ સિત્તેર પાનાંની એક ખીસાપોથીમાં એક કવિની કવિતાઓ, અને દસ ખીસાપોથીઓનો એક સંપુટ જેનું સંપાદન એક અગ્રણી સાહિત્યકારે કર્યું હોય.

એક સંપુટની કિંમત બારથી પંદર રૂપિયાની વચ્ચે. આઠમા આખા દાયકામાં ગુજરાતી કવિતાઓ ઘરે-ઘરે પહોંચી તે ખીસાપોથીઓ થકી.

ખીસાપોથીઓની સાથે વળી ચાર ઇંચ x અઢી ઇંચનાં કદની ટચૂકડી કાવ્યકણિકાઓની લઘુખીસાપોથીઓ કરી.

આવી ચાળીસ પાનાંની દરેકમાં એક કવિની સો નાની પંક્તિઓ દસ કવિઓનો એક એવા ત્રણ સંપુટ, એક સંપુટની કિંમત પાંચ રૂપિયા.

ઘાટ-ઘડામણમાં થોડા ફેરફાર સાથે ખીસાપોથીઓની હારમાળા પછીનાં વર્ષોમાં, છેક હમણાં 2011 સુધી ચાલુ રહી.

અનેક પ્રકારનાં લખાણો પરની ખીસાપોથીઓ આવી. શરૂઆતમાં 'મેઘાણીની કિશોરકથાઓ' અને 'દાદાજીની વાતો' આવી.

પછી કિશોરીઓને મનોશારીરિક રીતે નાજુક વયમાં વાત્સલ્યમય સલાહ આપતી ખૂબ લોકપ્રિય 'મુગ્ધાવસ્થાને ઉંબરે' અને નાનાભાઈ ભટ્ટનાં જીવનમાંથી શિક્ષણની સ્વાયત્તતાનો પ્રેરણાદાયી પ્રસંગ કહેતી 'શિંગડાં માંડતાં શીખવશું' ખીસાપોથીઓ આવી.

અનેક પુસ્તકોનાં સંક્ષેપ ખીસાપોથી તરીકે આવ્યા : અબ્રાહમ લિંકનનું જીવનચરિત્ર, દર્શકનું 'મારી વાચનકથા', કાકાસાહેબનું 'ઓતરાદી દીવાલો' જયંત પાઠકનું 'વનાંચલ', ગ્રામસેવક બબલભાઈ મહેતાનું 'મારી જીવનયાત્રા' અને ગુજરાતનાં પહેલાં નર્સ કાશીબહેન મહેતાનું 'મારી અભિનવ દીક્ષા', જાપાની શિક્ષક સેઈક્યો મુચાકોનું 'ઇકોઝ ફ્રૉમ અ માઉન્ટેઇન સ્કૂલ' (પહાડી નિશાળના પડઘા) અને અન્ય.

અવતરણો, વિચારમૌક્તિકો, કાવ્યકંડિકાઓને ટુચકાની પણ ખીસાપોથીઓ કે તેનાથી થોડાં મોટાં કદની પુસ્તિકાઓ બની. તે બંનેની સંખ્યા પચાસે પહોંચી શકે.

કિંમત અચૂકપણે દસ રૂપિયાથી ઓછી હોય, છેક 2016-17માં પણ! ગયાં દસેક વર્ષમાં પંદર લાખ ખીસાપોથીઓ ગુજરાતી વાચનારા લોકોનાં ખીસાંમાં ગઈ છે!

મહેન્દ્ર મેઘાણીની 'વાચનયાત્રા'

લોકમિલાપ એક મોટું મોજું હજારો ઘરો અને ગ્રંથાલયોમાં પહોંચ્યું તે 2003થી ચાર વર્ષ દરમિયાન બહાર પડતાં રહેલાં 'અરધી સદીની વાચનયાત્રા'ના ચાર ભાગ થકી.

પાંચસો જેટલાં પાનાંના દરેક ભાગની કિંમત પંચોતેર રૂપિયા, જેનો બજાર ભાવ ચારસો રૂપિયા હોય. દસ નકલોના પાચસો રૂપિયા.

દરેક પુસ્તકમાં એક કે બે પાનાંનાં ઉમદા લખાણો. એ વર્ષોમાં જ્યાં-જ્યાં પુસ્તકો હોય ત્યાં 'અરધી સદી'નો કોઈ ને કોઈ ભાગ હોય જ.

તેને સમાંતરે 'રોજેરોજની વાચનયાત્રા'ના પાંચ ભાગ આવ્યા જેમાં સાઠ દિવસ સુધી રોજનું એક પાનું વંચાય એવી રીતે દરરોજનું પાંચ મિનિટનું વાચન આપવામાં આવ્યું.
'વાચનયાત્રા' પછીનાં તરતનાં વર્ષે મહેન્દ્રભાઈએ તેમના આજીવન આરાધ્ય મહાત્મા ગાંધી વિશેનાં લખાણોનાં બે સંચયો 'ગાંધી-ગંગા' (2007) નામે આપ્યા.
અલબત્ત, આ પહેલાંનાં પચાસ વર્ષમાં લોકમિલાપે રાષ્ટ્રપિતા વિશેનાં મધ્યમ તેમ જ નાનાં અનેક પુસ્તકો કર્યાં જ હતાં.

'ગાંધીજીની જીવનયાત્રા એમના જ શબ્દોમાં'

વળી, 2009 માં 'લોકમિલાપે' 'ગાંધીજીની જીવનયાત્રા એમના જ શબ્દોમાં' નામનું પુસ્તક આપ્યું.

તેમાં મહેન્દ્રભાઈએ ગાંધીજીનાં બે પુસ્તકો એટલે કે આત્મકથા અને 'દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' માંથી સંકલન અને સંક્ષેપ કર્યાં છે.

કુલ સવા બે લાખ શબ્દોનાં બંને પુસ્તકોને તેમણે 58,000 શબ્દોમાં મૂક્યાં છે.

પાકા પૂંઠાનાં 185 પાનાંના આ પુસ્તકની 'લોકમિલાપે' જુદી-જુદી સવલતો હેઠળ ચાળીસથી દસ રૂપિયા જેટલી કિંમત રાખી હતી.

આ પુસ્તકની મહેન્દ્રભાઈએ કરેલી અંગ્રેજી આવૃત્તિ નવજીવન ટ્રસ્ટે બહાર પાડી છે.

એ વખતે દીકરીને ત્યાં અમેરિકા ગયેલા મહેન્દ્રભાઈએ એ પુસ્તક એ વખતના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાને પણ આપવા માગતા હતા!

ગાંધીજી પરના એક પુસ્તકના મહેન્દ્રભાઈએ 'આંસુ લૂછવા જાઉં છું…' નામે કરેલા બેનમૂન સંપાદનને પણ યાદ કરવું રહ્યું.

આ પુસ્તકમાં પ્યારેલાલ નૈયરના અંગ્રેજી પુસ્તક 'ગાંધી : ધ લાસ્ટ ફેઝ'ના મણિલાલ દેસાઈએ 'પૂર્ણાહુતિ' નામે કરેલા અનુવાદના ત્રીજા ભાગનાં છસો પાનાંને દોઢસો પાનાંમાં સારવીને મૂક્યો છે.

2002નાં રમખાણો વખતે…

2002ના ગુજરાત રમખાણની એક તસવીર

પ્યારેલાલે તેમના પુસ્તકના આ ભાગમાં ગાંધીજીએ જીવનના આખરી પંદર મહિનામાં કોમી દાવાનળ ઠારવા માટે એકલવીર બનીને આત્મબળથી ચલાવેલાં શાંતિ-મિશનનું બયાન આપ્યું છે.

મહેન્દ્રભાઈએ આ પુસ્તક ગુજરાતમાં 2002માં ગોધરાકાંડને પગલે ફાટી નીકળેલાં રમખાણોમાં સાહિત્યના કર્મશીલની ભૂમિકાથી માત્ર બે જ મહિનામાં તૈયાર કર્યું.

તેની પ્રસ્તુતતા વિશે મહેન્દ્રભાઈએ કહ્યું છે, "તેમાં ગુજરાતનું નામ દીધા વિના ગુજરાતની પરિસ્થિતિનું વર્ણન અને ઉકેલ ગાંધીજીએ બતાવ્યાં છે."

મહેન્દ્રભાઈની રાજકીય સંપ્રજ્ઞતા અને સેક્યુલર માનવતાવાદી મૂલ્યો 'મિલાપ' અને 'અરધી સદી'ની સામગ્રી પસંદગીમાં ડોકાતી રહી છે.

તે પ્રકાશનમાં બિલકુલ સીધી રીતે આવી તે 'સૌને માટે રાજકરણનું જ્ઞાન' નામે લોકમિલાપે બહાર પાડેલી ખીસાપોથીમાં.

તે 2012માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વેના મહિનાઓમાં વિનામૂલ્યે વહેંચવામાં આવી હતી. યુવા મતદારોની કેળવણી માટે રાજકીય સમજ કેળવવાં ધારતાં લખાણો તેમાં સમાવવામાં આવ્યાં છે.

ડિજિટલ મીડિયાને કારણે વાચનમાં આવેલી ભારે ઓટની વચ્ચે પણ 'લોકમિલાપ'નાં પ્રકાશનો પ્રકટ થતાં જ રહ્યાં.

મેઘાણીનાં લોકસાહિત્ય પરનાં લખાણો પરથી 'લોકસાહિત્યની વાચનયાત્રા'(2008)નાં સાઠ પાનાંનાં એક એવાં ચાર બહુ વાચનીય સંપાદનો આવ્યાં.

1978માં સંકેલી લીધેલા પેલા 'મિલાપ'નો ખજાનો 'અરધી સદી'નાં હજારો પાનાં પછી પણ ખૂટતો ન હતો.

'સાત વિચારયાત્રા'

એટલે તેમાંથી 'મિલાપની વાચનયાત્રા' (2013) નામે સરેરાશ દોઢસો પાનાંનાં એક એવાં પાંચ પુસ્તકો કર્યાં જેમાંથી દરેકની બબ્બે હજાર નકલો છાપી.

એ જ વર્ષે બેતાળીસ પાનાંની 'સાત વિચારયાત્રા'માં ગુજરાતના સાત ચિંતકોનાં લખાણો એકઠાં કર્યાં.

ચિંતકો આ મુજબ છે : ઉમાશંકર જોશી, કાકા કાલેલકર, ગિજુભાઈ બધેકા, ગુણવંત શાહ, ફાધર વાલેસ, મનુભાઈ પંચોળી અને વિનોબા ભાવે.

'અંતિમ વાચનયાત્રા' તરીકે મહેન્દ્રભાઈએ સંપાદિત કરેલ પાંચસો પાનાંનું 'ચરિત્રસંકીર્તન' પુસ્તક બરાબર ત્રણ વર્ષ પહેલાં પ્રસિદ્ધ થયું.

તેમાં 'અરધી સદી'ના બધા ભાગમાંથી ચૂંટેલાં 'સરસ માણસો' વિશેના દોઢસોથી વધુ ચરિત્રલેખો, રેખાચિત્રો અને જીવનપ્રસંગો વાંચવા મળે છે.

સવા ચારસો પાનાનું આ પુસ્તક 'સંસ્કાર સાહિત્ય મંદિરે' કર્યું છે, લોકમિલાપે નહીં.

લોકમિલાપે ઘણું કરીને છેલ્લા પ્રકાશન તરીકે 2015માં 'ઝવેરચંદ મેઘાણીની વિચારકણિકા અને ઝવેરચંદ મેઘાણી : સ્મરણાંજલિ' નામની ત્રીસ પાનાંની પુસ્તિકા બહાર પાડી.

ગયા વર્ષથી સંકેલો કરવાના આયોજન સાથે ખીસાપોથીઓ છાપવાની પણ બંધ કરી હતી.

'ડિસ્કવરિંગ ઇન્ડિયા'

2009ના એક પુસ્તકમેળામાં વળતરની ચોખવટ આવી રીતે કરાઈ હતી

'લોકમિલાપ'નાં કેટલાંક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયસ્તર પરનાં કામ ઓછાં જાણીતાં છે.

1969ના ગાંધી શતાબ્દી વર્ષ દરમિયાન લોકમિલાપ ટ્રસ્ટે 'ડિસ્કવરિંગ ઇંડિયા' નામે એક પ્રદર્શનની યોજના તૈયાર કરી.

તેમાં જયપ્રકાશ નારાયણના વડપણ હેઠળ બનેલી મુલ્કરાજ આનંદ, ઉમાશંકર જોશી અને ગગનવિહારી મહેતા જેવા સભ્યોની બનેલી એક સમિતિએ ભારતમાં પ્રગટ થયેલાં એક હજાર ચૂંટેલાં અંગ્રેજી પુસ્તકોનો એક સેટ તૈયાર કર્યો અને વિશ્વના પાંચ ખંડોના વિવિધ દેશોમાં સતત એક વર્ષ સુધી પુસ્તક-પ્રદર્શનોનું આયોજન કર્યું.

જેમાં યુરોપ અને અમેરિકાના દેશોમાં મહેન્દ્રભાઈ અને બીજા ખંડોમાં જયંતભાઈ ગયા. તેનાથી લોકમિલાપની શાખ એવી બંધાઈ કે તેમને પરદેશની સંસ્થાઓ પ્રદર્શનો માટે નિમંત્રણ આપતી.

તેનો સ્વીકાર લોકમિલાપ એ શરતે કરતું કે સંસ્થાએ લોકમિલાપે પસંદ કરેલાં પુસ્તકોનો એક સેટ ખરીદવાનો, તેને પ્રદર્શન તરીકે લોકો સામે મૂકવાનો અને તેમાંથી ગ્રાહકો પુસ્તકોની વધુ નકલોના ઑર્ડર લોકમિલાપને આપે.

તે મુજબનાં પુસ્તકો ભારતમાંથી લોકમિલાપની ખૂબ કાર્યક્ષમ લૉજિસ્ટિક વ્યવસ્થાને આધારે પરદેશના વાચક સુધી પહોંચે.

પરદેશમાં લોકમિલાપના પ્રતિનિધિઓની રહેવા-જમવાની વ્યવસ્થા યજમાન સંસ્થા કરે અને પ્રવાસખર્ચ પુસ્તકોનાં વેચાણમાંથી નીકળે એવું આયોજન લોકમિલાપ કરતું.

પછીનાં વર્ષોમાં મહેન્દ્રભાઈએ લોકમિલાપ ટ્રસ્ટના નેજા હેઠળ આફ્રિકા, યુરોપ અને અમેરિકાના દેશોમાં સતત પ્રવાસ કરીને ભારતીય સાહિત્ય દ્વારા આપણી કલા અને સંસ્કૃતિની ઓળખ જગતને આપવાની પ્રવૃત્તિ કરી.

અમેરિકાથી માંડીને ન્યૂઝીલૅન્ડ અને સ્વિડન સુધીના દેશોમાં ગુજરાતી અને ભારતીય સાહિત્યનો પ્રચાર-પ્રસાર કર્યો.

અનેક દેશોનાં સંગ્રહાલયો, જાહેર પુસ્તકાલયો, સંસ્થાઓમાં મહેન્દ્રભાઈ બાળસાહિત્ય અને કળાના સંપુટો ભરેલા થેલા ખભે નાખીને જતા.

વળી, દેશ-વિદેશના વાચકો ભાવનગરના પુસ્તકભંડારમાંથી ભારતીય પ્રકાશનોની માહિતી મેળવતા અને પુસ્તકો મગાવતાં.

લોકમિલાપે 1970માં જર્મનીના વિશ્વવિખ્યાત 'ફ્રેન્કફર્ટ બુકફૅર' અને ઇટાલીના 'બોલ્યોના ચિલ્ડ્રન બુકફૅર'માં ભાગ લીધો હતો.

લોકમિલાપનો એક કિસ્સો તો બેનમૂન છે. 1979નું વર્ષ યુનેસ્કોએ આંતરરાષ્ટ્રીય બાળક વર્ષ તરીકે જાહેર કર્યું હતું.

એ વર્ષની ઉજવણી કરવા મહેન્દ્રભાઈએ ભારતના વિવિધ પ્રકાશકોએ બહાર પાડેલાં બાળસાહિત્યનાં અંગેજી પુસ્તકોનો એક સેટ તૈયાર કર્યો.

ત્યાર પછી મહેન્દ્રભાઈએ 'ઍર ઇન્ડિયા'ને સૂચન કર્યું કે લોકમિલાપના બે પ્રતિનિધિઓને યુરોપ અને અમેરિકાના પ્રવાસ માટેની બે ટિકિટો 'ઍર ઇન્ડિયા' આપે.

તેની સામે લોકમિલાપ ઍર ઇન્ડિયાને એટલી કિંમતના બાળસાહિત્યના સેટ આપશે.

એ પુસ્તકોનું ઍર ઇન્ડિયા શું કરશે તેનો પણ અદ્ભુત વિચાર તેમણે કરેલો.

તેમણે કંપનીના સંચાલકોને કહ્યું કે એ પુસ્તકો દુનિયાભરના દેશોમાં આવેલી ઍર ઇન્ડિયાની કચેરીઓમાં રાખવાં અને કચેરીમાં આવનાર યજમાન દેશનાં બાળકોને બાળવર્ષની ઉજવણી નિમિત્તે ભારતનાં બાળકો તરફથી ભેટ આપવાં.

ઍર ઇન્ડિયાએ આ સૂચન તરત વધાવી લીધું અને એ મુજબ યુરોપ-અમેરિકાના દેશોમાં લોકમિલાપના બે પ્રતિનિધિઓએ કુલ અગિયાર મહિના સુધી બાળસાહિત્યનાં પ્રદર્શનો યોજ્યાં.

ગ્રાહકો સુધી પુસ્તકો પહોંચાડતું દંપતી

ગોપાલભાઈ અને રાજશ્રીબહેન

લોકમિલાપની ગયાં વીસેક વર્ષની સિદ્ધિઓના કદાચ મહેન્દ્રભાઈ કરતાં ય ચાર વેઢા વધારે યશભાગી ગોપાલભાઈ અને રાજુ(રાજશ્રી)બહેન છે.

'અરધી સદી'ના ઑર્ડર તો સેંકડાના આંકડામાં અને ખીસાપોથીના હજારના આંકડામાં આવતા.

તે બધાને લોકમિલાપનાં શિસ્ત અને સમયપાલન સાથે ગ્રાહકોને પહોંચાડવાનું કામ આ દંપતીએ અપાર પરિશ્રમથી પાર પાડ્યું છે.

મહેન્દ્રભાઈએ કરીને મૂકેલાં સંપાદનોને પુસ્તકનું અંતિમ સ્વરૂપ તો ગોપાલભાઈને લીધે જ મળતું.

ઉપરાંત લોકમિલાપ માટે થઈને આ દંપતીએ સુખચેન, મોજશોખ, આનંદપ્રમોદ, પ્રસંગ-પ્રવાસ, સાવ અનુભવ્યાં નહીં હોય એવું કદાચ નથી.

પણ તેમના જીવનની અગ્રતા લોકમિલાપ પ્રકાશન અને પુસ્તકભંડાર હતાં એ જોઈ શકાતું હતું. તેમનાં ઉજમ અને તરવરાટ જાણે આખાય પુસ્તકભંડારને અજવાળેલો રાખતા.

સત્તરમી નવેમ્બરે તેમણે નિખાલસતાથી નિર્મળ ભાવે લખ્યું છે, "સિત્તેર વર્ષની સાહિત્યયાત્રા હવે પૂરી કરીએ છીએ. પુસ્તકપ્રેમીઓનો પહેલો પ્રતિભાવ હોય જ કે કેમ બંધ કરો છો?"

"દરેક પ્રારંભનો અંતિમ પડાવ ક્યારેક તો આવવાનો જ. લોકમિલાપના હાલના સંચાલકો આશરે પચાસ વર્ષોથી આ મનગમતું કામ કરી રહ્યા છે."

"હવે તેમની ઇચ્છા આ કામને વિરામ આપી અન્ય પ્રવૃત્તિઓ કરવાની છે, જે એક પુસ્તકભંડાર ચલાવતા મોકળાશથી થઈ શકેલ નથી …. પુસ્તકભંડાર દ્વારા ભાવનગર શહેર તથા દેશ-વિદેશના સાહિત્યપ્રેમીઓને પુસ્તકો પૂરાં પાડ્યાં, સેંકડો પુસ્તકમેળાઓ કર્યા, અનેક પુસ્તક યોજનાઓ કરી, બાળફિલ્મોનાં આયોજન થયાં."

"આવાં વિવિધ મનગમતાં કાર્યો થયાં તેના પાયામાં લોકમિલાપના અનેક કાર્યકરોની નિષ્ઠાપૂર્વકની મહેનત તથા પુસ્તકચાહકોનો સહકાર."

"ભાવનગરની પ્રજાએ અમને આટલાં વર્ષો નર્યો પ્રેમ આપીને એક આદર્શ પુસ્તકભંડાર ચલાવવાની હોંશ સંતોષી છે. એમને, સમગ્ર ગુજરાતના તથા વિદેશના પુસ્તકપ્રેમીઓને વિદાયની પળે નતમસ્તકે પ્રણામ."

પુસ્તકચાહકો પણ કહેશે : નતમસ્તકે પ્રણામ!

સૌજન્ય : “બી.બી.સી. ગુજરાતી”; 02 ડિસેમ્બર 2019

https://www.bbc.com/gujarati/india-50622740?SThisFB&fbclid=IwAR0U9RNEie7JVpw76dlwFK3x3nOz9jDXC5g6J9U9chX37FYz2WGUhFd_4zM

Loading

...102030...2,6052,6062,6072,608...2,6202,6302,640...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved