Opinion Magazine
Number of visits: 9576415
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મને દરિયો સમજીને પ્રેમ કરતી નહીં

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|5 December 2019

હૈયાને દરબાર

પ્રેમ કેવો હોય? બોલકો? વાચાળ? મૂક, મૌન કે દુન્યવી ચકાચૌંધથી સાવ વેગળો? એ આમાંથી કંઈ પણ અથવા બધું જ કે કશું જ ન હોય એવી જુદી જ લાગણી છે જેની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. મને દરિયો સમજીને પ્રેમ કરતી નહીં … ગીતમાં દેખીતી રીતે અપેક્ષા વિનાના પ્રેમની વાત કરવામાં આવી છે.

આપણે ઘણીવાર વ્યક્તિને નહીં, વ્યક્તિત્વને ચાહતાં હોઈએ છે જેની આપણને પોતાને ય ખબર નથી હોતી. પ્રભાવશાળી, સત્તાધારી, સમાજમાં સ્ટેટસ ધરાવતી કે કોઈ પણ ક્ષેત્રની સેલિબ્રિટી સાથે અચાનક પ્રેમ થઈ જાય તો એમાં કેટલીક વાર વ્યક્તિ નહીં, વ્યક્તિત્વના અછોવાનાં થતાં હોય એવી સંભાવના રહેલી છે. એટલે જ કદાચ કવિ અહીં પાણી પહેલાં પાળ બાંધી દે છે કે મને દરિયો સમજીને પ્રેમ કરતી નહીં, કે તારી આંખોમાં ભરતીનું પૂર છે, તારી આંખોમાં કંઇક તો જરૂર છે …! આંખોમાં પ્રેમની ભરતી આવી હોય ત્યારે એ ધસમસતી લાગણી ભલે છલકાઈ જાય પણ છેવટે તો આપણે કશાથી અંજાયા વિના માત્ર એકરૂપ થવાનું છે. એટલે જ કવિ છેલ્લે કહે છે કે મારું હોવું તારાથી ભરપૂર છે.

"આ ગીત ૧૯૭૨માં લખાયું હતું. એ વખતે હું કાંદિવલીની ૧૦૧૦ની ખોલીમાં મારી મા સાથે રહેતો હતો. આટલા ઘરમાં તો એક પલંગ ને એક કબાટથી વધારે બીજી કઈ ઘરવખરી હોય? એ નાનકડા પલંગ પર બેસીને હું દરિયાના સપનાં જોતો કારણ કે મારી ઓફિસથી દરિયો સાવ નજીક. અચાનક આ ગીત સ્ફૂર્યું ને એકી બેઠકે લખાઈ ગયું. ગીતમાં આમ તો પુરુષના અવ્યક્ત પ્રેમની વાત છે. એની ‘ના’માં ‘હા’નો સંકેત છે. ગીતની છેલ્લી પંક્તિઓ ;

મને આંખોના ઓરડામાં રોકતી નહીં
મારું હોવું તારાથી ભરપૂર છે

તારી આંખોમાં કંઇક તો જરૂર છે…માં છેવટે "પ્રેમમાં એકરૂપતાની વાત આવે છે, કહે છે ગીતના કવિ મહેશ શાહ.

આ ગીત ‘વર્ણમ’ સાથે સંકળાયેલા નવીન શાહે સ્વરબદ્ધ કર્યું હતું. નવીન શાહ એ વખતે અનેક કલાકારો સાથે સંપર્કમાં હતા. યેસુદાસનાં ગીતો ‘ચિત્તચોર’ ફિલ્મના લીધે ઘણાં લોકપ્રિય થયાં હતાં તેથી નવીનભાઈએ એમનો સંપર્ક સાધ્યો અને યેસુદાસ ગીત ગાવા સહર્ષ સંમત થઈ ગયા હતા.

કોચીમાં જન્મેલા યેસુદાસ રોમન કેથલિક પરિવારના સભ્ય છે. પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી સન્માનિત ૮૦ વર્ષીય યેસુદાસ છેલ્લાં ૫૬ વર્ષથી સંગીત સાથે સંકળાયેલા છે. હિંદુ દેવી-દેવતાઓની સ્તુતિમાં તેમણે પાંચ હજારથી વધારે ભજન ગાયાં છે. તેઓ રેકોર્ડબ્રેકિંગ કહી શકાય એવા સાત રાષ્ટ્રીય પુરસ્કાર જીતી ચૂક્યા છે. યેસુદાસજીનો અવાજ અને એમનાં ગીત મનનો બોજો હળવો કરે એવાં હોય છે.

જુદી જુદી ભાષામાં પાંચ હજાર ભજન ગાઈ ચૂકેલા તથા જેમના અવાજને મીઠાશનો પર્યાય માનવામાં આવે છે એ યેસુદાસે ગાયેલું આ સૌ પ્રથમ ગુજરાતી ગીત છે. યેસુદાસે ગાયેલું પહેલું ગુજરાતી ગીત આમ સૌ પ્રથમ આકાશવાણીમાં રેકોર્ડ થયેલું. મહેશભાઈ ગીતનાં સર્જન વિશે કહે છે કે, "એ સમયે દરિયાથી હું ખૂબ પ્રભાવિત હતો. સાગર ઉપર મારું ઘણું ચિંતન ચાલતું એટલે કવિતા પણ દરિયાની જ લખાતી. મારી અન્ય એક કવિતા છે : દરિયો રે દરિયો મારો સાંવરિયો. આ ગીત પુરુષોત્તમ ઉપાધ્યાયે ગાયું છે. એ ઉપરાંત બદલાતો જાય ભલે દરિયાનો રંગ, મારા સાંવરિયા તું એનો એ રહેજે … પણ નવીન શાહનું સ્વરાંકન છે જે કૌમુદી મુનશીએ સરસ ગાયું છે. મને દરિયો સમજીને … પ્રેમની સર્વોચ્ચ લાગણી ધરાવતું ગીત છે. આ ગીત ગાઈને રેકોર્ડિંગ રૂમમાંથી બહાર આવ્યા પછી યેસુદાસે પૂછ્યું કે ‘મહેશ શાહ કહાં હૈ?’ હું ત્યાં જ ઊભો હતો. તેઓ તરત જ મને ભેટી પડ્યા હતા. એમને આ ગુજરાતી ગીત ગાવાની ખૂબ મજા આવી હતી.

કવિ મહેશ શાહ રચિત આ ગીત સર્વપ્રથમ ૧૯૯૫માં ‘સનમ શોખીન-૧૯૯૫નાં પ્રેમગીતો’ નામે સુરેન ઠાકર ‘મેહુલ’ સંચાલિત સંગીતના સ્ટેજ શોમાં, મુંબઇનાં ભાઇદાસ હોલના સ્ટેજ પરથી સોલી કાપડિયાએ ગાયું હતું. આ પ્રોગ્રામની ખાસ વિશેષતા હતી કે સુરેશ દલાલ, વેણીભાઇ પુરોહિત, રવિ ઉપાધ્યાય, કનુ રાવળ, દિલીપ પરીખ અને શાન જેવા ગુજરાતીના નામાંકિત કવિઓની રચનાઓ, નવીન શાહનાં સંગીતમાં અને દીપક શાહની મ્યુઝિક એરેન્જમેન્ટમાં તૈયાર થઇ હતી, જેને સોલી કાપડિયા, રેખા ત્રિવેદી, પ્રકાશ ઉપાધ્યાય, સુરેશ વાઘેલા અને નેહા મહેતા જેવાં ગાયકોએ મ્યુઝિક ટ્રેક પર સ્ટેજ પર અને ઓડિયન્સમાં ફરીને ગાવાની હતી. સિંગ અલોંગ-કરાઓકેનો આ ગુજરાતીમાં કદાચ પ્રથમ પ્રયોગ હતો. એ પછી પાર્થિવ ગોહિલે પણ આ ગીતને ખાસ્સું લોકપ્રિય બનાવ્યું. નેવુંના દશકમાં ટીવી પર ગુજરાતી ગીતોનો રિયાલિટી શો આવતો હતો. એમાં પાર્થિવે આ ગીત ઘણીવાર ગાયું હતું. આલાપ દેસાઈએ પણ આ ગીત ગાયું છે. યુટ્યુબ પર યેસુદાસજીના અવાજમાં એ ઉપલબ્ધ છે. યેસુદાસે ખૂબ સરસ ગાયું છે પણ ક્યારેક ઉચ્ચાર દોષ જોવા મળે, પરંતુ આપણા ગુજરાતી કલાકારોને કંઠે સાંભળવાની મજા જુદી જ હોય. પ્રેમકથા આલેખતું આ ગીત તમને ગમશે જ.

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 05 ડિસેમ્બર 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=605321

Loading

કાર્ટૂનિસ્ટોની નજરે ડો. બાબાસાહેબ આંબેડકર

ચંદુ મહેરિયા|Opinion - Opinion|4 December 2019

અમેરિકી પ્રેસિડેન્ટ ટ્રમ્પના એક વિવાદિત કાર્ટૂન પછી આ વરસથી નીડર અને સ્વતંત્ર અખબાર ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ને રાજકીય કાર્ટૂન નહીં છાપવાનો નિર્ણય કરવો પડયો છે. એ જ દિવસોમાં દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશ ભારતના પ્રમુખ સંવિધાન નિર્માતા. ડો. બાબાસાહેબ આંબેડકર પરના કાર્ટૂન્સની કિતાબ પ્રગટ થઈ અને તેનું સર્વત્ર સ્વાગત થયું. આ માટે ડો. આંબેડકરના ચાહકોની હિંમત અને સંયમને દાદ દેવી પડે.

લાગણી દુભામણીના કારણે થતા વિરોધથી આંબેડકરનાં કાર્ટૂન્સ પણ મુક્ત નહોતાં. ૨૦૧૨ના વરસમાં સી.બી.એસ.સી.ના ધોરણ ૧૧ના સમાજવિજ્ઞાનના પાઠયપુસ્તકમાં ડો.આંબેડકરના એક કાર્ટૂનનો વિવાદ થયો હતો અને કેન્દ્રની તત્કાલીન યુ.પી.એ. સરકારે તેને અભ્યાસક્રમમાંથી દૂર કરવું પડયું હતું. છેક ૧૯૪૯માં પ્રગટ કે. શંકર પિલ્લઈના એ કાર્ટૂનમાં બંધારણના ઘડતરની ધીમી ગતિને વાચા આપવામાં આવી હતી. આ કાર્ટૂનમાં ડો. આંબેડકરને બંધારણ રૂપી ગોકળગાય પર બેઠેલા અને તેને વડાપ્રધાન પંડિત નહેરુ ચાબુક ફ્ટકારતા ચિતરવામાં આવ્યા હતા. આંબેડકરના અનુયાયીઓને તે બાબાસાહેબનું અપમાન લાગ્યું હતું એટલે સંસદથી સડક સુધી તે કાર્ટૂનનો ભારે વિરોધ થયો હતો. આ સ્થિતિમાં ડો. આંબેડકરના કાર્ટૂનનું પુસ્તક દલિત સંશોધક અને દલિત પ્રકાશક થકી કશા વિરોધ વિના પ્રકાશિત થાય તે આનંદપ્રદ ઘટના છે.

ડો. આંબેડકરના કાર્ટૂનનો ગ્રંથ ‘નો લાફ્ગિં મેટર (ધ આંબેડકર કાર્ટૂન્સ ૧૯૩૨-૧૯૫૬)’ આંબેડકરી સાહિત્યમાં નોંધપાત્ર ઉમેરણ છે. ૨૦૧૨માં થયેલા આંબેડકર કાર્ટૂન વિવાદ પછી રચાયેલી તત્કાલીન યુ.જી.સી. ચેરપર્સન સુખદેવ થોરાટ સમિતિ સમક્ષ રજૂ કરવાના આશયે ઉન્નામતિ શ્યામ સુંદર નામના સંશોધકે બાબાસાહેબ આંબેડકરના કાર્ટૂનની શોધ આદરી. ચાર વરસની ભારે જહેમત અને અનેક ખાંખાખોળા પછી તેમને હાથ લાગેલા અને અંગ્રેજી મીડિયામાં છપાયેલાં ૧૨૪ કાર્ટૂન પુસ્તકમાં સંગૃહીત છે. ૯ અંગ્રેજી અખબારો – સામયિકોમાં પ્રગટ દેશના જાણીતા ૧૧ કાર્ટૂનિસ્ટોનાં કાર્ટૂન આ પુસ્તકમાં છે. આ કાર્ટૂનિસ્ટો છે, કે. શંકર પિલ્લઈ, આર.કે. લક્ષ્મણ, અબુ અબ્રાહમ, અનવર અહમદ, વાસુ, ઓમેન, બિરેશ્વર, આર. બેનરજી, ઈરાન, રવીન્દ્ર અને કુટ્ટીનાં ૧૨૪ કાર્ટૂન અહીં સાત કાળખંડમાં વિભાજિત કરવામાં આવ્યાં છે. ૧૯૩૨થી ૧૯૩૬ અને ૧૯૪૨-૪૩ના પહેલાં બે તથા ૧૯૫૩થી ૫૬ના સાતમા કાળખંડનાં ૧૧-૧૧ કાર્ટૂન છે. ૧૯૪૪થી ૪૬ના વર્ષના ૧૨, ૧૯૪૭-૪૮નાં ૧૬, ૧૯૪૯-૫૦નાં ૨૭ અને ૧૯૫૧-૫૨નાં ૩૬ કાર્ટૂન છે. ડો. આંબેડકરના રાજકીય જીવનનાં મહત્ત્વનાં વર્ષો અને ઘટનાઓ આ કાર્ટૂનમાં આલેખાયાં છે. અડધોઅડધ (૬૩) કાર્ટૂન ૧૯૪૯થી ૧૯૫૨નાં ચાર વરસોનાં છે. એ જ રીતે કુલ કાર્ટૂનના અડધા કરતાં વધુ કાર્ટૂન શંકરનાં છે. ૧૯૩૨ના કોમી ચુકાદા અગેના શંકરના ‘ટેન્સ મોમેન્ટ્સ'(તણાવની ક્ષણો)થી આરંભાતી અને ૧૯૫૬ના ધર્મપરિવર્તન અંગેના ‘ભિખ્ખુ ભીમરાવ’થી સમાપ્ત થતી આ કાર્ટૂનકિતાબ ડો. આંબેડકરની રાજકીય જીવનયાત્રા પણ આલેખે છે. વિસ્તૃત સંપાદકીય અને પ્રત્યેક કાર્ટૂન સાથે ડો. આંબેડકરના જીવનનો સમયસંદર્ભ સ્પષ્ટ કરતી સંપાદકીયનોંધ આ પુસ્તકને માતબર બનાવે છે.

પત્રકારત્વ અને કલાના મિશ્રણસમા કાર્ટૂનમાં સાંપ્રત ઘટનાઓ અંગેની આલોચના હોય છે. એ રીતે કાર્ટૂન વૈકલ્પિક ઇતિહાસનો દસ્તાવેજ બની શકે છે, પરંતુ તે ત્યારે જ શક્ય બને જ્યારે તે વ્યક્તિને વ્યક્તિવિશેષને બદલે વિષયવસ્તુ કે વ્યક્તિ તરીકે વ્યક્ત કરે.

સત્તાનશીનોને જમીન અને જનમાનસનું સત્ય બતાવવાની તાકાત પણ કાર્ટૂનમાં હોય છે. આ માપદંડે ચકાસીએ તો કાર્ટૂનમાં આલેખિત ડો. આંબેડકરનું કેવું ચિત્ર એ સમયના અંગ્રેજી મીડિયાએ ઉપસાવ્યું હતું તે જાણવું રસપ્રદ છે. કાર્ટૂનિસ્ટો નેતાઓના ઠઠ્ઠાચિત્રમાં તેમના શારીરિક દેખાવની કેટલીક ખૂબીઓ (જેમ કે અડવાણીની મૂછો, રાજીવ ગાંધીનું નાક, નરસિંહરાવનો લબડતો હોઠ) ઉપસાવીને તે દ્વારા નેતાનું વ્યક્તિત્વ ઉપસાવે છે. કાર્ટૂનમાં ડો. આંબેડકરનું વ્યક્તિત્વ નાનું કે ઠીંગણું કદ દર્શાવીને ઉપસાવ્યું છે. એ સમયના મોટા ભાગના કાર્ટૂનિસ્ટોએ તેમને નકારાત્મક ભાવના સાથે વ્યક્ત કર્યાં છે. એટલે તેમના કાર્ટૂનમાં બાબાસાહેબને બેઢંગ, કાર્ટૂનફ્રેમના ખૂણામાં જમીન પર બેઠેલા, રોતલ બાળક, સાડી પહેરેલી મહિલા તરીકે એમ સરવાળે સ્વાર્થી અને આત્મમુગ્ધ દર્શાવ્યા છે. કાર્ટૂનિસ્ટોએ તેમને અપમાનિત કરવામાં કોઈ કસર છોડી નથી તેમ ભારોભાર ઉપેક્ષા પણ કરી છે. ડો. આંબેડકરનું જાહેરજીવન આરંભાયાના દોઢ બે દાયકા બાદ જ્યારે ૧૯૩૨ના પૂનાકરાર વખતે તેઓ ગાંધીજીના વિરોધી તરીકે જાણીતા થયા તે પછી જ તે કાર્ટૂનનો વિષય બન્યા હતા, તે હકીકત આંબેડકર પ્રત્યેની તત્કાલીન માધ્યમોની ઉપેક્ષા અને અનુદાર વલણ દર્શાવે છે.

૩૦મી જુલાઈ, ૧૯૩૨નું શંકરનું કાર્ટૂન અલગ મતદારમંડળ સંબંધી કોમી ચુકાદો ઝંખતા નેતાઓની તણાવની ક્ષણો વ્યક્ત કરે છે. કાર્ટૂનમાં બ્રિટિશ મંત્રી સેમ્યુઅલ હોરેને કોમ્યુનલ એવાર્ડ રૂપી મરઘી પર બેઠેલા બતાવી તેના ઇંડાની પ્રતીક્ષા કરતા આંબેડકર સહિતના મુસ્લિમ, શીખ અને અન્ય નેતાઓને ઓશિયાળા ચહેરે જમીન પર બેસાડયા છે. યેવલા પરિષદમાં ધર્મપરિવર્તનની જાહેરાત પછી પૂના કરારનો અમલ ડો. આંબેડકરના પૂનાકરાર રૂપી ફેડયા વિનાના ઇંડાથી ઓમલેટ પકવતી વ્યક્તિ તરીકેના મર્માળા કાર્ટૂનમાં વ્યક્ત થયો છે. ડો. આંબેડકરનાં ચૂંટણી જોડાણોને તકવાદ તરીકે આલેખતાં એકાધિક કાર્ટૂન અહીં છે. બાબાસાહેબને સાડી પહેરાવી પાંચ પાંડવોની પત્ની દ્રૌપદી તરીકે દર્શાવ્યા છે તો એક અન્ય કાર્ટૂનમાં તેમને કોંગ્રેસી આખલાને ભગાડતા ચિતર્યા છે. બંધારણના ઘડતરમાં તેમના પ્રદાન સંદર્ભે ૧૯૪૯માં પ્રગટ ‘ધ મોર્ડન મનુ’ અને ‘મનુ મીટ્સ મનુ’ કાર્ટૂન માણવાલાયક છે. હિંદુ કોડ બિલ સંદર્ભે તે સમયે જાગેલા વિરોધને વ્યક્ત કરતાં કાર્ટૂનમાં ૧૨ ફેબ્રુઆરી, ૧૯૫૧માં પ્રગટ થયેલું રવીન્દ્રનું અને ૧૯ સપ્ટેમ્બર, ૧૯૫૧નું બિરેશ્વરનું કાર્ટૂન ધ્યાનપાત્ર છે. આંબેડકરના કાર્ટૂનિસ્ટોએ માત્ર તેમને નકારાત્મક જ ચિતર્યા નથી. ૧૯૩૩ના એક કાર્ટૂનમાં શંકર વર્ણાશ્રમ પર હથોડાથી પ્રહાર કરતા આંબેડકર અને વર્ણાશ્રમની દેવીના મોં પર કાળો કુચડો ફેરવતા પેરિયારને તથા વર્ણાશ્રમને બચાવવાનો પ્રયાસ કરતા અને વર્ણાશ્રમની દેવીના મોં પરથી કાળો રંગ ભૂંસી તેને ઉજળા કરતાં મહાત્મા ગાંધીને પણ આબાદ દર્શાવે છે!!

નિર્વાણ પછી પણ બાબાસાહેબ આંબેડકર કાર્ટૂનનો વિષય બનતા રહ્યા છે. વી.પી. સિંઘ વડાપ્રધાન હોય અને દેવીલાલ નાયબ વડાપ્રધાન હોય તે સરકાર તેમને ભારતરત્નથી નવાજે તો કાર્ટૂનિસ્ટને કટાક્ષ કરવાનું સુઝે જ અને તે દેવીલાલને ‘મહાભારતરત્ન’ ગણાવે છે! કાયમ ગરીબીમાં જીવેલા આંબેડકર કેશલેસ માટે ભીમ એપ બને તો તે પણ કાર્ટૂનિસ્ટને કાર્ટૂનના વિષય તરીકે આકર્ષિત કરે જ. છઠ્ઠી ડિસેમ્બરના આગામી આંબેડકર નિર્વાણ દિને બાબાસાહેબના સૌ ચાહકો માટે આંબેડકરનાં કાર્ટૂન્સ હસવાનો, હસી કાઢવાનો કે લાગણી દુભાવાનો નહીં ગંભીર અભ્યાસનો વિષય બનવો જોઈએ.

e.mail : maheriyachandu@gmail.com

પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 04 ડિસેમ્બર 2019

Loading

સર્વત્ર સદ્‌બુદ્ધિ પ્રવર્તો

ચંદ્રકાંત ટોપીવાળા|Opinion - Opinion|3 December 2019

‘નિરીક્ષક’(૧૬ નવેમ્બર, ૨૦૧૯)માં છપાયેલા સુમન શાહના પત્ર અંગે નુક્તેચીની કરતો એ જ અંકમાં આપનો પ્રત્યુત્તર પણ છપાયો એ યોગ્ય થયું છે. તમે મોઘમમાં પણ ઘણું ખુલ્લું કરી આપ્યું છે, તેમ છતાં બે-ત્રણ મુદ્દાઓ એવા છે, જે ખૂલીને પ્રગટ થવા જોઈએ અને એ જ કારણે હું આપને લખવા પ્રેરાયો છું :

૧. પહેલી વાત તો સુમન શાહે આશ્ચર્યજનક રીતે પોતાની ભૂમિકા બદલી છે. સાહિત્ય સાહિત્ય-૨ મુદ્દે પણ એમણે જાહેર કરેલું કે ‘હું એમ નથી માનતો કે ચૂંટણી હોય તો જ સ્વાયત્ત થવાય’ અને પછી ત્યાં સુધી ઉચ્ચારેલું કે ‘સરકાર મનઘડંત કરશે એમ માની લેવું પણ દુરાશય કહેવાય’ આ એમનું બચાવ-ઉચ્ચારણ ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’માં એમણે સ્વીકારેલી એમની સક્રિય ભૂમિકામાંથી આવ્યું હતું. આજે કોઈ કારણસર, ગુજરાત સાહિત્ય અકાદમીથી પોતે ફારેગ થયા પછી અકાદમી પર હલ્લો કરાવવા તેઓ ઉત્સાહિત થયા છે, એ અત્યંત દુઃખદ બાબત છે.

૨. એમનો બીજો આક્ષેપ છે કે પરિષદના ‘પહેલા બે ય બે પ્રમુખ સહિતના વર્તમાન પ્રમુખ ચૂપ છે. બને કે એમનો હૃદયાભાવ કરમાઈ ગયો હોય’. આ બાબતમાં તત્કાલીન પ્રમુખનો ‘પરબ’નો ‘સ્વાયત્તતા’ અંક જોઈ જવા એમને વિનંતી છે. એમાં પૂરી કામગીરીનો નકશો અપાયો છે. આ નિરાધાર વિધાન છે.

૩. આ જ પત્રમાં એમણે નિર્દેશ્યું છે કે ‘મેં એક-દોઢ વર્ષ પહેલાં પરિષદ પ્રતિ આ જ કૉલમમાં લખેલું કે લડત ચાલુ રાખો પણ ફતવો પાછો ખેંચી લો. અકાદમીને લખેલું કે કાર્યવાહક અને માર્ગદર્શક બંને સમિતિઓની નવરચના કરો, નહીં તો આપખુદ લાગશો.’ અહીં સ્વાયત્તતાની કોઈ પણ ભૂમિકાનો સ્વીકાર કર્યા વગર સુમન શાહે બે બાજુ થાપ લગાવવાનો પ્રયત્ન કરી સ્વાયત્તતાને હાંસીપાત્ર બનાવી છે. ખરી વાત તો એ છે કે પરિષદે જાહેર કરેલો એ ‘ફતવો’ નહોતો. કોઈ પણ સ્વમાની અને સંવેદનશીલ ગુજરાતી લેખકની સહજ પ્રતિક્રિયાનો એ સંભવિત આલેખ હતો.

જાનફેસાની માટેનો આ જ સર્વોત્તમ સમય નથી, પણ જે ક્ષણે ગુજરાત સાહિત્ય અકાદમીનું બંધારણ કોરાણે મુકાયું, ત્યારે જ સુમન શાહ અકાદમી પક્ષે પ્રવૃત્ત થવાને બદલે અન્યથા પ્રવૃત્ત થયા હોત અને એમની જોડે અન્યો પણ જોડાયા હોત, તો ચિત્ર કાંઈક જુદું હોત, ખેર, હજી પણ સુમન શાહ લોકોને સક્રિય થવાની હાકલ કરવા સાથે પોતે પણ સક્રિય થાય અને એમના જેવા બીજા પણ સક્રિય થાય તો સાહિત્યજગતની સરકાર તરફથી થયેલી આ માનહાનિમાંથી જલદી ઊગરી શકાશે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2019; પૃ. 13

Loading

...102030...2,6022,6032,6042,605...2,6102,6202,630...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved