ચોથો સુજ્ઞપુરુષ
દસ પાશ્ચાત્ય નવલિકાઓ : વાર્તા સંગ્રહ : સં. રેમંડ પરમાર : રંગદ્વાર પ્રકાશન : પૃ.160 : ISBN: 978-93-80125-42-8
વિશ્વના ઉત્તમ વાર્તાસર્જકોની દસ નવલિકાઓના અનુવાદનો સંગ્રહ 'દસ પાશ્ચાત્ય નવલિકાઓ'. અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદની સુદીર્ઘ પરંપરામાં અનુવાદક રેમંડ પરમારે ગુજરાતી સાહિત્યને કરેલું આ નોંધપાત્ર પ્રદાન છે. સંગ્રહની ભૂમિકામાં ડૉ. સગુણા રામનાથન અનુવાદ સંદર્ભે નોંધે છે કે – 'Translation' લેટિન અર્થચ્છાયા ધરાવતો 'Carring across' (સામે પાર લઇ જવું) એવા અર્થવાળો શબ્દ પ્રયોગ છે. આ અર્થને સાર્થક કરતી 'આ નવલિકાઓ વાંચવી એટલે આપણા પોતાના જગતને વળોટીને એક જુદા જગતમાં પ્રવેશ કરવો’.(દ.પા.ન. પૃ.૮) આમ પણ અનુવાદક Cultural Ambassador હોય છે.' સાંસ્કૃતિક સાતત્ય સાધવામાં ને સંસ્કૃતિઓ વચ્ચે સમજણ વધારવામાં અનુવાદનો ફાળો સર્વાધિક છે.' વિકસતા આધુનિક વિશ્વને વિજ્ઞાન – ટેકનોલોજી, ધર્મ અને શિક્ષણ જેવા ક્ષેત્રોની સાથે સાહિત્યિક અને સાંસ્કૃતિક સંબંધો સ્થાપિત કરવા માટે અનુવાદ અતિ આવશ્યક છે. . – ' કોઈ પણ દેશની સંસ્કૃતિ અને કલાનો પરિચય અન્ય દેશની પ્રજાને એની ભાષામાં કરાવવો પડે'. અનુવાદ દ્વારા જ જગતની જુદી જુદી ભાષાઓમાં પડેલું ઉત્તમ સાહિત્ય આપણને ઉપલબ્ધ થઇ શકે .'
'દસ પાશ્ચાત્ય નવલિકાઓ'માંની અમેરિકન વાર્તાકાર હેન્રી વાન ડાઈક(૧૮૫૨-૧૯૩૩)ની નવલિકા 'ચોથો સુજ્ઞપુરુષ' (The Fourth WiseMan) આ ચર્ચાના કેન્દ્રમાં છે. હેન્રી વાન પેન્સિલવેનિયાના જર્મનટાઉનમાં જન્મેલા અને બ્રુકલીન ઉછરેલા અંગ્રેજી સાહિત્યના અધ્યાપક હતા. એક સર્જક લેખે એમની ઓળખ કવિ, નિબંધકાર અને નવલિકાકાર તરીકેની છે. તો વળી તેમની બીજી ઓળખ ન્યૂયોર્કના પ્રિસબિટેરિયન ફિરકાના સુપ્રસિદ્ધ અને પ્રભાવક વક્તા તરીકેની પણ છે.
તેમનાં સર્જન તરફ એક નજર નાંખીએ તો કાવ્ય ક્ષેત્રે -'Hymns' સંગ્રહ, નિબંધ ક્ષેત્રે -'Little river' 1895 અને 'Fisherman's Luck' 1899 વાર્તા સંગ્રહ -'The Blue Flower' 1902. આ ઉપરાંત તેમની લોકપ્રિય રચનાઓમાં – 'The Other Wiseman (1896) અને The First Christmas tree ( 1902) નામની બે Christmas story ખૂબ જાણીતી છે. લઘુ પ્રશિષ્ટ કૃતિ તરીકે ખૂબ જાણીતી થયેલી અને યુરોપની લગભગ તમામ ભાષાઓમાં અનૂદિત થયેલી 'ધ અધર વાઈઝ મેન' નવલિકાની લોકપ્રિયતાનું કારણ એમાં વણાયેલું ધાર્મિક ઈસાઈ કથાનક નથી, બલકે એને આધારે એમાં પ્રગટ થયેલી સર્વદેશીય આધ્યાત્મિકતા છે. માનવજાતને પરમેશ્વરનો ભેટો, એમના દર્શન 'દરિદ્રનારાયણ 'માં થાય છે તે છે આ કૃતિનો સનાતન સંદેશ.
ઈસાઈ મૂલ્યો અને પ્રસંગો પર આધારિત આ નવલિકાનું કથાબીજ બાઈબલના 'નવા કરાર'માં આવતા માથ્થીના પુસ્તકના બીજા અધ્યાયની એકથી અઢાર કલમોમાંથી લેવામાં આવ્યું છે. મૂળ પ્રસંગ જોઈએ તો ઇસુ ખ્રિસ્તના જન્મ અગાઉ ૭૦૦ વર્ષ પૂર્વે યર્મિયા પ્રબોધકે કરેલા ભવિષ્ય કથન પ્રમાણે યહૂદિયા પ્રાંતના બેથલેહેમમાં મસીહા ઇસુનો જન્મ થયો. ઈસુના જન્મ સમયે આ શુભ પ્રસંગની નિશાની રૂપે આકાશમાં એક તેજસ્વી તારો દેખાયો. આ શુભ સમાચાર સાંભળી ‘માગી' નામના પૂર્વના (ઈરાનના જરથોસ્તી પુરોહિતો જે માગી નામે ઓળખાય છે.) વિદ્વાન પંડિતો નવા જન્મેલા રાજા ઈસુના દર્શન કરવા આવ્યા. આ સમયમાં હેરોદ રાજા ત્યાં રાજ્ય કરતો હતો. માગીઓએ યરુશાલેમ આવીને પૂછ્યું કે – 'યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે ? કેમ કે પૂર્વમાં તેનો તારો જોઇને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ’. (માથ્થી ૨:૨:૩) આ સાંભળી હેરોદ ચિંતામાં પડી ગયો, તેણે યહૂદી મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓને બોલાવી ખ્રિસ્તના જન્મ સંબંધી પૃચ્છા કરી. જવાબમાં તેમને જણાવ્યું કે પ્રબોધકોએ એમ લખ્યું છે કે – 'ઓ યહૂદાહ દેશના બેથલેહેમ …. તારામાંથી એક અધિપતિ નીકળશે જે મારા ઇસ્રાએલી લોકોનો પાળક થશે.' (મા.૨:૬ ) ત્યાર પછી રાજાએ માગી પંડિતોને એકાંતમાં બોલાવી તારા સંબંધી જાણકારી મેળવી લીધી અને તેઓને બેથલેહેમ મોકલતાં કહ્યું કે -'તમે જઈને તે બાળક સંબંધી સારી પેઠે શોધ કરો, ને જડ્યા પછી મને ખબર આપો, એ માટે કે હું પણ આવીને તેનું ભજન કરું .' ત્યાર પછી માગીઓ તારાની નિશાનીએ તેની પાછળ ચાલતા ચાલતાં તારો જ્યાં થંભ્યો ત્યાં આવ્યા અને નવા જન્મેલા રાજા(બાળ ઈશુ )ના દર્શન કરી કીમતી ભેટ સોગાદો સોનું, રૂપું, બોળ અને લોબાનનું અર્પણ ચઢાવી પૂજા અર્ચના કરી. માગીઓને સ્વપ્નમાં હેરોદ પાસે પાછા ન જવા ચેતવવામાં આવ્યા તેમ જ દેવદૂતે યુસૂફ અને મરિયમને પણ બાળક સાથે મિસર ચાલ્યા જવા જણાવ્યું. પોતે છેતરાયો હોવાનું ભાન થતા અને નવા રાજાના જન્મની બીકથી હેરોદે ગુસ્સે ભરાઈને બેથલેહેમની આસપાસના બે વર્ષથી નાના બધાં જ બાળકોની કતલ કરવાનું ફરમાન છોડ્યું. અહીં યર્મિયા પ્રબોધકની બીજી ભવિષ્ય વાણી પણ સત્ય ઠરી – 'રડવાનો તથા મોટા વિલાપનો પોકાર રામામાં સંભળાયો’. (મા.૨:૧૮ )
ઇસુ જન્મના આ જાણીતા કથાનકને કેન્દ્રમાં રાખી, નવલિકાકાર એક નવા જ દ્રષ્ટિકોણ સાથે માનવજાતને સનાતન સંદેશ આપે છે. ' માનવતામાં જ પ્રભુતા છે.' દરિદ્રનારાયણની સેવા એ જ ઈશ્વરની સેવા છે. હેન્રી વાનની આ નવલિકા આપણને હરીન્દ્ર દવેની નવલકથા 'માધવ ક્યાંય નથી ..'ની યાદ અપાવે છે. નારદના પરિભ્રમણોમાં કૃષ્ણ જીવે છે. એમ આ નવલિકાનો નાયક આર્તબાન પોતાના પરિભ્રમણોમાં દીન, દુઃખી અને દરિદ્રમાં દેવના દર્શન કરે છે. વાસદાના લયમાં, તપતાં રણની તરસમાં કે દીન દુઃખીઓ પ્રત્યેની દયામાં જ્યાં ઇસુ ન હોય તેવું કોઈ સ્થાન કલ્પી શકાય ખરું ? – 'ભક્તના ખરા હૃદય તલસાટમાં જ ઈશ્વરનો સાક્ષાત્કાર થવો એ ભારતીય સંત ભક્તોએ સ્થાપેલો મહામૂલો વારસો છે. (પૃ.૧૨૮ હરીન્દ્ર) સ્વમાંથી સર્વમાં વ્યાપી જતી વિનમ્રતામાં જ પ્રભુ વસે છે. વાર્તાકાર વાને આ નવલિકાને પાંચ ખંડમાં વહેંચી છે. (૧) હરિનો મારગ (૨) બાબિલ ભણી પ્રયાણ (૩) નાના બાળકને ખાતર (૪) પીડાનો માર્ગ (૫) નવલખું મોતી. આધુનિક ટૂંકીવાર્તાના દ્રષ્ટિકોણથી જોઈએ તો રચના સંવિધાનની રીતે શિથિલ જણાતી, ઘટના, પ્રસંગો અને વર્ણનોથી ભરપૂર આ એક દીર્ઘ નવલિકા છે. વાર્તામાં એક લાંબી ભૌગોલિક યાત્રા છે. ઈરાન – ઇઝરાયેલ – ઈજીપ્ત સુધીની. ભૌગોલિક અંતરની જેમ જ સમયનો પણ એક લાંબો પટ નવલિકામાં દર્શાવાયો છે.
ખ્રિસ્તી ધર્મનાં મૂળ મૂલ્યો પ્રેમ, દયા, કરુણા, મદદની ભાવનાના સિદ્ધાંત પર આ નવલિકા રચાઈ છે. નવલિકાની કથાવસ્તુ પર નજર કરીએ તો આજથી ૨,૦૦૦ વર્ષ પૂર્વે ઇઝરાયેલ અને જગતમાં રોમન સામ્રાજ્યનો સૂર્ય તપતો હતો. ત્યારે બેથલેહેમમાં થયેલ ઇસુજન્મનો સમય અહીં આલેખાયો છે. ઈસુના જન્મ સમયે દેખાયેલા તેજસ્વી તારાને જોઈ પૂર્વના ત્રણ માગી (સુજ્ઞ પુરુષો) નવા જન્મેલા રાજાની સેવા કરવા કિંમતી ભેટ સોગાદો સાથે આવે છે. પરમેશ્વર રાજાની સેવા અને અર્પણો દ્વારા પૂણ્ય કમાવાની ઈચ્છા દરેક સામાન્ય માણસમાં હોય છે. પરંતુ આ વાર્તાનો નાયક તો Other Wise man છે. એની શોધ માનવ્યની છે. એનો માર્ગ 'હરિનો માર્ગ છે.' જે માર્ગે જવું એ કાચા પોચાનું કામ નથી કેમ કે – 'હરિનો મારગ છે શૂરાનો નહિ કાયરનું કામ જો’. નવલિકાનો નાયક આર્તબાન સર્વસ્વ ત્યાગીને એ માર્ગે નીકળી પડે છે. આર્તબાન ઈરાનના પહાડી પ્રદેશમાં આવેલ એક્બાતાના નગરીનો ધનવાન પંડિત છે. પ્રકૃતિપ્રેમી આર્તબાન જરથોસ્તી પુરોહિત હતો .જે 'માગી' નામે ઓળખાતા. નમ્ર અને ભલા આર્તબાનનું લેખકે આલેખેલું શબ્દચિત્ર જોઈએ તો – 'ચાળીસેક વર્ષની એની ઉંમર, ઊંચો ને શ્યામવર્ણો એનો દેહ, ભ્રમરો નીચે ચમકદાર આંખો, સોહામણો પાતળા હોઠ, હોઠ ફરતે અંકાયેલી દ્રઢતાની રેખાઓ, લલાટ એક સ્વપ્ન દ્રષ્ટાનું ને મુખ એક યોદ્ધાનું. આર્તબાન સંવેદનશીલ છતાં દ્રઢ મનોબળ ધરાવતો પુરુષ હતો ,' ( પૃ. ૧૨૩ ) જરથોસ્તી પુરોહિત 'માગી' તરીકેની એની વેશભૂષા – શુદ્ધ શ્વેત ઊનનો જામો, ઉપર રેશમી ઉપરણો, લાંબા કાળા વાળ પર એક સફેદ ઊંચી અણિયારી ટોપી. એ અગ્નિપૂજક રાજવંશી પુરોહિત હતો. નવલિકાને પ્રારંભે આર્તબાન સહપૂજારીઓ સાથે પોતાની ભવ્ય હવેલીમાં મુલાકાત યોજે છે. યજ્ઞવેદી પાસે અગ્નિમાં હવિ વૃક્ષની ડાળીઓ અર્પતાં પરમાત્મા અહૂર મઝદનું સ્તોત્ર ગાન કરે છે. યજ્ઞના પ્રકાશથી ઝળહળી ઊઠેલા ખંડનું વાતાવરણ આધ્યાત્મિક બની જાય છે તે જ સમયે અગ્નિપૂજક આર્તબાન પિતાને ઉદ્દેશીને એક વાત પૂછે છે. – 'આપણે અગ્નિની પૂજા કરતા નથી પણ જેણે અગ્નિને પોતાના પ્રતીક તરીકે પસંદ કર્યો છે તે એક માત્ર વિશુદ્ધત્તમ છે તેની અર્ચના કરીએ છીએ. સાક્ષાત્ પ્રકાશરૂપ હુતાશન જે પરમ સત્ય છે. તેનું હું આપણી આગળ નિવેદન કરું છું.' એના પિતા આગ્બારુસ જવાબમાં એને કહે છે. – 'પ્રબુદ્ધો કદાપિ મૂર્તિપૂજકો હોતા નથી. તેઓ તો એના સ્થૂળરૂપ પરથી જવનિકા હઠાવે છે.' ને જે સત્યરૂપ છે એના દર્શન કરે છે.
ગ્રહો, તારા અને નક્ષત્રોનું અદ્દભુત જ્ઞાન ધરાવતા આ પંડિતો, ખગોળશાસ્ત્રના જ્ઞાનને ઉત્તમ ગણાવે છે અને અંધકાર તથા પ્રકાશના સાયુજ્ય સંઘર્ષને સ્વીકારે છે કે એનો અંત આવવાનો નથી. પરંતુ આર્તબાન આ વાતને નકારતાં કહે છે કે – 'જો પ્રતીક્ષા અંત વિનાની ને વણબુઝાય એવી હોય તો પછી ખોજ કરવી ને રાહ જોવી મિથ્યા છે' જરથોસ્તી ધર્મગ્રંથોને ટાંકતા તે કહે છે કે – 'મનુષ્ય મહાપ્રકાશની ઉજ્જવળતા સગી આંખે નિહાળવા પામશે' એના પિતા પણ એની વાતનું સમર્થન કરતાં કહે છે – 'કયામતને દહાડે વિજયવંત ભક્ત નબીઓમાંથી બેઠો થશે, એની ચોમેર મહાપ્રભા ઝળહળી ઊઠશે. એનું પોતાનું જીવન સનાતન, નિર્લેપ અને અવિનશ્વર બની જશે અને મરેલાં પાછા સજીવન થશે’. (૧૨૬ ) આ સાંભળી આર્તબાન ખુશ થઇ ગયો અને આ આગાહીને તે પોતાના દિલમાં સંઘરી બેઠો – 'દિવ્ય આશાવિહોણો ધર્મ એટલે અગ્નિવિહોણો યજ્ઞકુંડ' આર્તબાન પ્રાચીન લખાણોનો સંદર્ભ આપી મહાન જ્યોતિર્વિદ બલામને ટાંકે છે. – 'યાકોબના વંશમાંથી એક સિતારો ઊગશે, ઈસ્ત્રાએલમાં એક શાસ્ત્રનો ઉદય થશે'. આ ઉપરાંત તે દાનિયેલ પ્રબોધકની ભવિષ્યવાણીનો પણ ઉકેલ મેળવી લીધો હોવાની વાત કરતાં કહે છે કે તારા – નક્ષત્રોની ગણતરી પ્રમાણે એ ગેબી વર્ષ આ વર્ષે જ આવે છે. એની શોધ માટે આર્તબાન પોતાના મિત્રો અને સહપ્રવાસીઓ કાસ્પર, મેલ્કિયોર અને બાલ્થાઝર સાથે તૈયાર થાય છે. તેના મિત્રો બોરસિપ્પાના સપ્તર્ષિ મંદિર પાસે આકાશમાં નજર માંડી બેઠા છે. તારો દેખાય એટલે નવા રાજાના દર્શન અર્થે યેરુશાલેમ તરફ પ્રયાણની તૈયારી છે.
આર્તબાન તો તૈયારી રૂપે પોતાની ભવ્ય હવેલી અને સઘળી માલમત્તા વેચીને બાળરાજાને ચરણે ધરવા અતિ મૂલ્યવાન નીલમ, માણેક અને મોતી જેવા રત્નો ખરીદી લે છે, એટલું જ નહિ સૌ માગીઓને પોતાની સાથે યાત્રામાં જોડાવા કહે છે. પણ આ પ્રસ્તાવથી આશ્ચર્ય પામેલા સહપૂજારીઓ તેને કહેવા લાગ્યા કે – 'આ તો એક મિથ્યા સ્વપ્ન છે, તારાઓ જોઈ જોઈ ને તારું ભમી ગયું છે.' દરેકે તેના આ સાહસને મિથ્યા અને દુ:સાહસ ગણાવ્યું, પરંતુ તેના પિતાએ તેને પ્રેરણા પૂરી પાડી, તેમણે આકાશમાં દેખાયેલા તારાને સત્યના પ્રકાશની નિશાની ગણાવી, કદાચ તે માત્ર પ્રકાશની છાયા નીકળે તો પણ બેસી રહેવા કરતાં એની પાછળ નીકળી પડવું હજાર દરજ્જે બહેતર છે. મિથ્યા થતું હોય તો પણ ઉપડવું ઉત્તમ છે. અજાયબ ચીજો ઢુંઢનારા તો ઘણીવાર એકલા જ નીકળી પડે … પિતાની મંજૂરી અને આશીર્વાદ મળ્યાં. મોડી રાત્રે આકાશ દર્શન કરતાં આર્તબાનને એક તેજસ્વી તારો નજરે પડે છે. આર્તબાન ખુશીથી પોતાનું શિર નમાવી કહે છે. – 'આ જ છે એ નિશાની બાળરાજા અવતરી રહ્યા છે. એના દર્શને હું જઈશ.' હરિનો મારગ સહેલ નથી આર્તબાને સહપૂજારીઓની મજાક સહેવી પડી, સર્વસ્વનો ત્યાગ કરવો પડ્યો, એશોઆરામ છોડી આકરી મુસાફરી આદરવી પડી !
'બાબિલ ભણી પ્રયાણ' શીર્ષકથી કહેવાયેલ બીજા ખંડમાં આર્તબાનની તૈયારીનું વર્ણન મળે છે. વાસદા એની પ્રિય ઘોડી છે. ઠરાવેલ સમયે મિત્રોને મળવા એણે ૧૫૦ કોશ લાંબી મજલ કાપવાની છે. પ્રકૃતિનું રમ્ય – રૌદ્ર રૂપ, દુર્ગમ પહાડો, યુફ્રેતિસ -તિગ્રીસ નદીનાં વહેળા – વમળો અને કોતરો વટાવતો તે આખરે પ્રાચીન બાબિલ નગરીના બિસ્માર કોટ પાસે આવીને થંભ્યો. આરામની ઈચ્છા હોવા છતાં નિર્ધારિત સમયે રાહ જોતા મિત્રો પાસે સપ્તર્ષિ મંદિરે પહોંચવાનું હતું. હજુ પણ ત્રણ કલાકની મજલ બાકી હતી. મક્કમપણે તેને મુસાફરી જારી રાખી. ખજૂરીના વન પાસે પહોંચતાં જ આર્તબાનની શોધનો પહેલો પડકાર આવ્યો. ખજૂરીની છાયા હેઠળ પડેલો હજારો ગુલામ યહૂદીઓમાંનો એક ગુલામ યહૂદી. પીળી પડી ગયેલી સૂકી ચામડી, ભૂખના દુઃખે દુઃખી લાચાર અને મોતના મુખમાં પડેલ યહૂદી પ્રત્યે એને દયાભાવ જાગ્યો તો ખરો પરંતુ એને હડસેલી એ આગળ વધવા ગયો પણ … પેલા લાચાર ગુલામે આર્તબાનના જામાની ચાળ ખેંચી, એક અણધારી માગણીથી એ ગભરાયો એની સેવાવૃત્તિ સામે આ પડકાર હતો. હવે એ બોરસિપ્પા પહોંચી રહ્યો ! સમયે ન પહોંચાયું તો પેલા સાથીઓ નીકળી જશે … ભારે મનોમંથન અનુભવતો આર્તબાન વિચારે છે કે – 'તારાની પાછળ જવું પડતું મેલવું ? પોતાની શ્રદ્ધાને મળેલી મહાન બક્ષિસ ઠુકરાવવી ? ને તે પણ એક ગરીબ ડચકાં ખાતાં ગુલામ યહૂદી માટે ? આર્તબાને ઈશ્વરને પ્રાર્થના કરી – 'હે સત્યસ્વરૂપ, પરમ વિશુદ્ધ પરમાત્મા ! …. શાણપણનો માર્ગ કેવળ તું જ જાણે છે. મને તારા પાવન પંથે પ્રેર' (૧૩૪) આર્તબાન એને ખજૂરી હેઠળ લઈ ગયો. પાણી વડે એનાં મોં અને કપાળ ભીના કર્યા. આર્તબાન સારો હકીમ પણ હતો તેના કમરબંધમાંના ઓસડિયાં કાઢી એને ભેળવી એક ઘૂંટડો એના ફિક્કા હોઠો વચ્ચે રેડયો. કલાકોની જહેમત પછી પેલા યહૂદીમાં કૌવત પાછું આવ્યું. તેણે આર્તબાનને પૂછ્યું તમે કોણ છો ? આર્તબાને કહ્યું કે – 'હું આર્તબાન છું ….. ને યરુશાલેમ જઈ રહ્યો છું … ત્યાં સર્વ મનુષ્યોનો તારણહાર જન્મ લેવાનો છે. હું એની શોધ કરી રહ્યો છું.' સમય ન હોવાની કારણે એને માટે દવા દારૂ અને ખોરાક મૂકી, સ્વસ્થ થયે પોતાની વસાહતમાં પાછા જવા સૂચન કરી જવા નીકળે છે. ગુલામ યહૂદીએ એની સુખદ સફર માટે પ્રાર્થના કરી અને એક સૂચન કર્યું કે મસીહા યરુશાલેમ નહિ પણ બેથલેહેમમાં જન્મનાર છે એવી દેવવાણી છે. તરોતાજા થયેલી વાસદા પર સવાર થઇ આર્તબાન સપ્તર્ષિ મંદિર પહોંચે છે પણ …. મોડું થઇ ચુક્યું હતું. કોઈ દેખાતું ન હતું. જર્જરિત મકાનની અગાસી પર ચઢી જુએ છે પણ વણઝારનો કોઈ અણસાર દેખાતો નથી. અગાસીમાં ઈંટના ટુકડા નીચે દબાવેલ ચર્મપત્ર લખાયેલું લખાણ મળ્યું. – 'અમે તાબડતોડ ઉપડીએ છીએ, તું રણમાં અમારી પાછળ હાલ્યો આવ'. નિરાશ, હતાશ આર્તબાન ચિંતાતુર થયો એણે રત્ન વેચી ઊંટો ખરીદી સફરની તજવીજ કરી. એને ચિંતા થઇ આવી કે દયા દાખવવામાં બાળરાજાના દર્શન ચૂકી તો નહિ જવાય ને ?
નાના બાળકને ખાતર – આ ખંડમાં લેખક સ્વપ્ન દ્રશ્ય આલેખતા હોય એમ કથક બનીને આર્તબાનની યાત્રાનું વર્ણન ભાવકો સમક્ષ કરે છે. મોતના મુલક સમું અફાટ રણ, ઉજ્જડ અને ખડકાળ પ્રદેશ, અસહ્ય તાપની વચ્ચે ઊંટ પર બેસી કપટી ઢુવા અને રાતની કાતિલ ઠંડીની પરવા કર્યા વિના આર્તબાન આગળ વધતો રહે છે. દમસ્કસ નગરની સુંદર પ્રકૃતિ, હોર્મોન પર્વતની ગિરિમાળા, યર્દનની ખીણ અને ગાલીલ સમુદ્રના નીલવર્ણા જળને જોતાં જોતાં એ બેથલેહેમ પહોંચે છે. શરીર થાક્યું છે પણ અંતરમાં ઉત્સાહ છે બાળરાજાના દર્શનનો. માણેક અને મોતી એના ચરણોમાં ધરવા એ અધીરો બન્યો છે.
બેથલેહેમની નિર્જન જણાતી ગલીઓમાં આર્તબાન એક નાનકડી કુટીર પાસે આવે છે. અંદરથી આવતા કોઈ સ્ત્રીનાં ગીતનો અવાજ સાંભળી તે અંદર ગયો તો ત્યાં એક જુવાન માતા પોતાના બાળકને હાલરડું ગાઈ ઢબૂરી રહી છે. આર્તબાનની પૂછ પરછમાં તેણે ત્રણ દહાડા અગાઉ દૂર પૂર્વથી એક તારાના તેજે તેજે અહિ આવેલા ત્રણ અજાણ્યા પુરુષોની વાત કરી એટલું જ નહિ પણ … નાઝરેથથી આવેલા યુસૂફ – મરિયમે ધાવણા બાળક સાથે અહીં ઊતારો કર્યાનું અને પેલા અજાણ્યા પુરુષોએ એ બાળકને ચરણે સોનું, બોળ અને લોબાનનું નજરાણું ધરી પૂજા કરી હોવાની વાત કરી. પેલા ત્રણ પુરુષો પછી તરત તાબડતોડ પરત ચાલ્યા ગયા અને નાઝરેથનું નવા જન્મેલા બાળકવાળું કુટુંબ તે જ રાતે ગુપ્તરીતે મિસર ચાલ્યું ગયું. ત્યાર પછીથી કઈંક અમંગળના એંધાણ વર્તાઈ રહ્યા છે. યરુશલેમથી આવેલા રોમન સૈનિકોના ડરથી લોકો ભાગી રહ્યા છે.
આર્તબાને બાઈના બાળકને વહાલ કર્યું તેને લાગ્યું કે કદાચ 'આ બાળકતો નહિ હોય ને!' સ્ત્રીએ આર્તબાનને જમવા બેસાડ્યો તે જ સમયે બેથલેહેમની ગલીઓમાં અંધાધૂંધી મચી ગઈ, ઠેર ઠેર સ્ત્રીઓની રોકકળ અને રાડારાડ થઇ …. રાજા હેરોદના સૈનિકો બે વર્ષથી નાના યહૂદી બાળકોની કતલ કરી રહ્યા હતા. પેલી સ્ત્રી ગભરાઈ ગઈ પોતાના બાળકને ઓઢણાં હેઠળ સંતાડી રહી હતી. આર્તબાન ઊઠીને બારણે હાથ પહોળા કરીને ઊભો રહ્યો. આર્તબાનના રજવાડી દેખાવને જોઈ લોહિયાળ હાથવાળો સિપાહી પાછો હઠી ગયો તો એનો નાયક આર્તબાનને હટાવવા આવ્યો. આર્તબાને એને કિંમતી માણેક આપી ખરીદી લીધો એટલે તેણે 'અહીં કોઈ બાળક નથી' કહી સિપાહીને આગળ વધવા હુકમ કર્યો. આર્તબાને માસૂમ બાળકને બચાવવાનું પુણ્ય કર્મ તો કર્યું પરંતુ … પોતે જેને માટે નીકળ્યો હતો તેનું શું ? તેણે મનોમન પ્રાર્થના કરી – 'હે સત્યસ્વરૂપ પરમાત્મા ! મારો અપરાધ માફ કરો. મેં આણેલી બે ભેટો તો ગઈ. જે ઈશ્વરનું હતું તે મેં મનુષ્યો પાછળ ખર્ચી કાઢ્યું, હું રાજાનું મુખ નિહાળવાપાત્ર રહીશ કે કેમ ?'
પીડાનો માર્ગ – ત્રીજો ખંડ પણ સ્વપ્નલોકના મૌન સાથે શરૂ થાય છે. આર્તબાનના જીવનનાં વર્ષો ઝડપથી પસાર થઇ રહ્યાં છે. મિસરની ગલીઓમાં નવા જન્મેલા રાજાની (બેથલેહેમથી આવેલા પરિવારની) શોધ કરતો રઝળે છે. કથક નોંધે છે તેમ એલેક્ઝાન્દ્રિયાના એક અંધારિયા ઘરમાં યહૂદી ધર્મગુરુ જોડે આર્તબાનને ગોષ્ઠી કરતો જુએ છે – તેણે આર્તબાનને મસીહાને વેઠવા પડનાર જાકારો, તિરસ્કાર અને વેદનાની વાત કરી. તેમ જ તે કોઈ મહેલમાં નહિ પણ દરિદ્રોની વચ્ચે મળશે. એ નૂતન પ્રકાશ હશે. માટે જેઓ તેને શોધી રહ્યા છે તેમણે તેને રંકજનો, ગરીબો, દુઃખી અને શોષિત પીડિત લોકોની વચ્ચે જ શોધવો પડશે. માટે આર્તબાન મિસરના ગરીબ, નિરાશ્રિતોની વસતીમાં ભટકે છે. રોટલા માટે ટળવળતા દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં, જીવતા દોઝખ જેવા મહામારીના વિસ્તારોમાં ભટકી તે ગરીબ, ભૂખ્યા, માંદા, બીમાર, લોકોની સેવા કરતો રહે છે. માનવસેવાના આ કાર્યમાં જાણે એ પોતાનું ધ્યેય વીસરી ગયો ન હોય.
નવલખું મોતી – આર્તબાનની રઝળપાટમાં જિંદગીનાં તેત્રીસ વર્ષો વીતી ગયાં, એના કાળા વાળ હિમ જેવા સફેદ બની ગયા હતા, આંખોનું તેજ ઘટવા લાગ્યું હતું, શરીર જીર્ણ થયું હતું છતાં યાત્રાપથ પર આગળ વધતો છેલ્લી વારકો યરુશાલેમ આવ્યો. યરુશાલેમની ગલીએ ગલીએ, ગીચ વસ્તીમાં ફર્યો પણ કોઈ પત્તો ન લાગ્યો. યરુશાલેમમાં યહૂદીઓના પર્વ 'પાસ્ખા'નો સમય હતો. દુનિયાભરમાંથી લોકો પાસ્ખા ઉજવવા આવતા હતા. આખા નગરમાં ઉત્તેજના હતી દમસ્કસના કોટ ભણી જઈ રહેલી મેદનીમાં આર્તબાન પોતાની માતૃભૂમિ ઈરાનના યહૂદીઓનું એક જૂથ જુએ છે. એમની પાસેથી એને ઘટનાની માહિતી મળી કે આજે ગલગથા(ખોપરીની જગા)એ બે લૂંટારાઓ અને નાઝરેથના ઈસુને ક્રુસ પર ચઢાવવાનો છે. ઈસુએ અદ્દભુત કાર્યો કર્યા છે પણ યહૂદી પુરોહિતો એને મારી નાંખવા માંગે છે. કારણ કે એણે પોતાને 'ઈશ્વરપુત્ર' જાહેર કર્યો છે, માટે રોમન સૂબાએ તેને 'યહૂદીઓનો રાજા' એમ કહીને મૃત્યુદંડ ફટકાર્યો છે. આર્તબાનને આ શબ્દો 'યહૂદીઓનો રાજા' ભારે અસર કરી ગયા. જે માણસની શોધમાં પોતે નીકળ્યો હતો 'તે આ જ માણસ તો નહિ હોય ને !' તેનામાં અજબ ઉત્તેજના વ્યાપી ગઈ, 'આખરે મને રાજાનો ભેટો થશે ખરો' ભલે અત્યારે એ દુશ્મનોના હાથમાં હોય, પરંતુ હું મારા આ કિંમતી મોતીની ખંડણી ચૂકવી એને છોડાવીશ. આશાના સંચાર સાથે વૃદ્ધ આર્તબાન એ માનવમહેરામણમાં સામેલ થઇ ગયો. રસ્તામાં પોલીસચોકી આવી ત્યાં મક્દોનિયાના સૈનિકો કોઈ ફાટેલાં કપડાંવાળી જુવાન છોકરીને ઘસડી લાવતા હતા. ત્યાં ઊભેલા આર્તબાનને જોઈ છોકરી દોડીને એના ઘૂંટણને બાઝી ચીસ પાડી ઊઠી – 'પરમ પવિત્ર પરમાત્માને ખાતર મને બચાવી લો'. બાપનું દેવું વસૂલ કરવા યુવાન છોકરીને પકડી લાવી એને ગુલામ તરીકે વેચી દેવાની હોવાથી છોકરી ચિત્કારી રહી હતી. આર્તબાનના દિલ દિમાગમાં ભારે સંઘર્ષ પેદા થયો. તે ધ્રુજી ઊઠ્યો – 'એક બાજુ એની શ્રદ્ધાની માગણી બીજી બાજુ પ્રેમનો સંવેગ. જે ભેટ એણે ધર્મ માટે રાખી હતી, માનવ સેવાને અર્થે બબ્બે વાર બાબિલના ખજૂરીના દ્વીપકલ્પમાં અને બેથલેહેમના છાપરામાં તેના હાથમાંથી લઈ લેવામાં આવી હતી. હવે આ ત્રીજું પારખું હતું. આ એક મહાન મોકો હતો કે અંતિમ પ્રલોભન ? એ કશું કરી શકે એમ નહોતો. એણે નક્કી કર્યું કે – 'આ નિરાધાર છોકરીની વહારે ધાવું, પ્રેમની એ જ હતી સાચી કરણી' (પૃ.૧૪૬) એણે મન મક્કમ કર્યું આ જ છે તારી મુક્તિનું ચુકવણું 'બાળરાજાની અર્ચના માટે રાખી મુકેલી આ છેલ્લી દોલત તેણે ગુલામ છોકરીના હાથમાં મૂકી. ઇશદર્શનની ક્ષણ નજીક આવે છે ત્યાં જ એની આકરી પરીક્ષા થાય છે. એ બોલતો હતો તે દરમ્યાન જ ચારે તરફ અંધકાર વ્યાપી ગયો, જમીન ખળભળી ઊઠી, મકાનની દીવાલો તૂટી પડી, પથ્થરો ગબડ્યા, પ્રચંડ આંધીમાં સિપાહીઓ લથડિયાં ખાઈ ગયા અને ભયના માર્યા ભાગ્યા. આર્તબાન અને આઝાદ કરાવેલી છોકરી પિલાત(રોમન સૂબા)ના મહેલની દીવાલ પાસે બેસી પડ્યાં.
આર્તબાનની નવા રાજાની શોધ પર પાણી ફરી વળ્યું હતું, પોતાની પ્યાસ અબૂઝ રહી ગઈ હતી. હવે એ તરસનો અંત આવી ગયો હતો. તેમ છતાં એક ગજબની શાંતિ એનામાં વ્યાપી વળી હતી. એ જાણતો હતો કે એણે પીછેહઠ નહોતી કરી, જાણે બધું જ પાર પડી ગયું હતું ! ઉત્તમ રીતે પાર પડ્યું જે પ્રકાશ પોતાને લાધ્યો હતો તેને પોતે વફાદાર રહ્યો હતો. જે થવા કાળ હતું તે જ થયું છે. જો ફરી વાર પણ પોતાને જિંદગી જીવવાની મળે તો આનાથી ઊલટું કશું જ ન બનવું જોઈએ. એમ વિચારતો ત્યાં બેઠો હતો એટલામાં ફરી ધરતી ધણધણી મહેલની છતમાંથી એક નળિયું પડ્યું અને વૃદ્ધ આર્તબાનના કપાળમાં વાગ્યું, તેણે છોકરીના ખભે માથું ઢાળી દીધું ઘામાંથી લોહી વહી રહ્યું હતું. આર્તબાનના મૃત્યુની બીકે તે ડરી ગઈ હતી. દૂર દૂરથી સંગીતના સૂરોનો અવાજ આવતો હતો. અર્થ તો પકડાતો ન હતો. પણ વૃદ્ધ આર્તબાનના હોઠ ફફડ્યા ઈરાની ભાષામાં તે બોલ્યો …'એવું નહોતું, મારા પ્રભુ ! મેં તમને ક્યારે ભૂખ્યા જોયાને રોટલો ખવડાવ્યો ? અથવા તરસ્યા જોયા ને પાણી પાયું ? તમને ક્યારે માંદા જોયા, કારાવાસમાં જોયા અને મેં તમારી ખબર કાઢી ? તમને શોધવા તેત્રીસ તેત્રીસ વર્ષો લગી અથડાતો કૂટાતો રહ્યો પણ મેં કદી તમારા મુખના દર્શન કર્યા નહિ . હે મારા રાજા, મારાથી તમારી પૂજા પણ ના થઇ'. અહીં ફરી લેખક માત્થીના પુસ્તકની કલમ ૨૫:૪૦નો સંદર્ભ આપે છે – 'આ મારા ભાઈઓમાંના બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું .' ફરી દૂર દૂરથી, ખૂબ મંદ અને મધુર અવાજ આવ્યો – 'હું સાચું કહું છે કે મારા ભાઈઓમાંના અદનામાં અદના માટે તેં જે કાંઈ કર્યું છે તે મારા માટે જ કર્યું છે.' (૧૪૮) આર્તબાનનું ફિક્કું મુખ આનંદ અને આશ્ચર્યની શાંત પ્રભાથી ઝળહળી ઊઠયું. અનંત વિશ્રાંતિનો એક દીર્ઘ અને આખરી શ્વાસ એના મુખમાંથી સરી પડ્યો . – 'એનું નજરાણું સ્વીકારી લેવાયું હતું ….. આ સુજ્ઞ પુરુષને રાજાની ભાળ લાગી હતી.
ખ્રિસ્તીધર્મના કેન્દ્રમાં માનવસેવા છે. દેવસેવા માટે જોડાયેલા બે હાથ કરતાં મદદ માટે લંબાવેલો એક હાથ વિશેષ મૂલ્ય ધરાવે છે. દેવપુત્ર હોવા છતાં ઇસુ એક સામાન્ય માણસ તરીકે આ પૃથ્વી પર રહ્યા અને સૌ દીન દુઃખી, દલિત, પીડિત શોષિતની સેવા માટે કાર્ય કર્યું અને પોતાના જીવનનું બલિદાન પણ આપ્યું. માનવધર્મની મહત્તા સ્થાપિત કરનાર મસીહાના જન્મ નિમિત્તે લેખક નીતિ નિયમો અને કર્મકાંડોમાં બંધાયેલ ધર્મની સામે સાચા ધર્મને મૂકી લેખક માનવ્યનો સનાતન સંદેશ આપે છે. માનવપ્રેમથી ઊભરાતું હૃદયમંદિર એ જ ખરું તીર્થધામ છે.
સંદર્ભગ્રંથ :
૧. દસ પાશ્ચાત્ય નવલિકાઓ – અનુવાદ : રેમંડ પરમાર
૨. બાઈબલ
૩. નવો કરાર
૪. હરીન્દ્ર દવે
૫. Henry van Dyke – wikipedia
સી.યુ. શાહ આર્ટસ કોલેજ, Mirzapur Rd, Opp Lucky Restaurant, Old City, Gheekanta, Lal Darwaja, Ahmedabad, Gujarat 380 001