Opinion Magazine
Number of visits: 9576537
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતનાં બંધારણના ઘડવૈયા ન ગાંધીવાદી હતા, ન નહેરુવાદી

રમેશ ઓઝા|Opinion - Opinion|19 December 2019

કોઈ પણ લોકશાહી દેશમાં રાજકીય નિર્ણયની ત્રણ બાજુ હોય છે. એક નૈતિક, બીજી બંધારણીય અને ત્રીજી વ્યવહારુ. વર્તમાન સરકારે નાગરિક ધારામાં જે સુધારો કર્યો છે તેની નૈતિક બાજુ જવા દઈએ. જો કે ગાંધીજીએ તો કહ્યું હતું કે ગમે એટલું ઉદ્દાત સાધ્ય હોય પણ જો સાધન અશુદ્ધ હોય તો જે તે દહાડે તે અશુદ્ધ સાધનની પણ કિમંત ચૂકવવી પડતી હોય છે. આમ છતાં અત્યારે એ નૈતિક બાજુને કોરે મૂકીએ.

વાચકને એટલી જાણ તો હશે જ કે બંધારણ પણ જે તે દેશની વાસ્તવિકતા ધ્યાનમાં રાખીને વ્યવહારુ ધોરણે ઘડવામાં આવે છે. એટલે તો અલગ અલગ લોકશાહી દેશોમાં તે લોકશાહી દેશ હોવા છતાં પણ બંધારણ અલગ અલગ છે. દરેક દેશની પોતાની સામાજિક-ભૌગોલિક વાસ્તવિકતા હોય છે અને તેને અનુરૂપ જરૂરિયાત હોય છે. ભારતનું બંધારણ ઘડનારાઓએ ભારતની વાસ્તવિકતા અને જરૂરિયાત ધ્યાનમાં રાખી હતી.

અહીં એક વાત નોંધી લેવી જોઈએ. ભારતનું બંધારણ ઘડનારાઓમાંથી ચુસ્ત ગાંધીવાદી અને નેહરુવાદી તો દસ ટકા પણ નહોતા. અહીં એક પ્રસંગ ટાંકવો ઉચિત રહેશે. પ્રો. શ્રીમન્ન નારાયણ અગ્રવાલે બંધારણસભાની રચના થઈ ત્યારે આગ્રહ રાખ્યો હતો કે બંધારણ ઘડનારાઓએ ગાંધીજીના દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને બંધારણ ઘડવું જોઈએ. ટૂંકમાં ભારતનું બંધારણ ગાંધીપ્રણિત હોવું જોઈએ. બંધારણ સભાએ ડૉ. અગ્રવાલને ગાંધીજીને અભિપ્રેત હોય એવો બંધારણનો મુસદ્દો રજૂ કરવા કહ્યું હતું. શ્રીમન્ન નારાયણે એવો મુસદ્દો તૈયાર કરીને ગાંધીજીને આપ્યો હતો. ગાંધીજીએ એ વાંચીને શ્રીમન્ન નારાયણને પાછો આપ્યો હતો. નહોતી તેના પર સહી કરી, નહોતી તેને માન્યતા આપી કે નહોતું તેમાં કોઈ પરિવર્તન સૂચવ્યું. તેમણે શ્રીમન્ન નારાયણને કહ્યું હતું કે મારે આ વિષે કાંઈ કહેવાનું નથી. મારા વિચારો લોકો જાણે છે.

ગાંધીજીએ આવું વલણ અપનાવ્યું એની પાછળનું કારણ એ હતું કે ગાંધીજી તાજા આઝાદ થયેલા દેશના સ્વરૂપ-ઘડતરમાં દખલગીરી કરવા નહોતા માગતા. ગાંધીજીની કલ્પનાનો સમાજ એ લાંબા ગાળાની યોજના છે અને તાજા આઝાદ થયેલા દેશની કેટલીક તાત્કાલિક જરૂરિયાતો છે એ ગાંધીજી સમજતા હતા. આ બાજુ શ્રીમન્ન નારાયણે તેમની દ્રષ્ટિએ ગાંધીજીને અભિપ્રેત મનાતા બંધારણના મુસદ્દાને બંધારણસભામાં રજૂ કર્યો હતો. તમને ખબર છે એ મુસદ્દાનું શું થયું હતું? તેના પર બંધારણસભામાં દસ મિનિટ પણ ચર્ચા નહોતી થઈ. નેહરુએ પણ તેના પર લક્ષ નહોતું આપ્યું અને ગાંધીજીને અભિપ્રેત બંધારણના મુસદ્દાને કચરાટોપલીમાં નાખી દેવામાં આવ્યો હતો. ગાંધીજીને બંધારણસભાના સભ્યો પર ભરોસો હતો કે તેઓ દેશનું લાંબા ગાળાનું હિત ધ્યાનમાં રાખીને દેશની જરૂરિયાત મુજબનું બંધારણ ઘડશે અને બંધારણસભાના સભ્યોને ખાતરી હતી કે ગાંધીજી દેશની વ્યવહારુ જરૂરિયાતો ધ્યાનમાં રાખીને બંધારણ ઘડવા દેશે અને તેમાં વચ્ચે નહીં આવે.

આનો અર્થ એ થયો કે ભારતના બંધારણ પર ગાંધીજીનો કોઈ સીધો પ્રભાવ કે છાપ નથી. જે પ્રભાવ છે એ આડકતરો છે. ભારતનું બંધારણ ગાંધીજીથી સ્વતંત્ર દેશની જરૂરિયાત પર આધારિત કૃતિ છે.

તો શું બંધારણ પર નેહરુનો પ્રભાવ છે? જરા પણ નહીં. બંધારણસભામાં જેટલા સભ્યો હતા એમાં નેહરુવાદીઓ તો બહુ ઓછા હતા. બંધારણનો મુસદ્દો ઘડનારી કમિટીના અધ્યક્ષ ડૉ. આંબેડકર હતા જે ગાંધી-નેહરુ વિરોધી હતા. કનૈયાલાલ મુનશી હતા જે હળવા હિંદુવાદી હતા અને નેહરુની ગુડબુકમાં નહોતા. એન. ગોપાલસ્વામી આયંગર અને અલ્લાદી કૃષ્ણ સ્વામી ઐય્યર, સર. બી.એલ. મિત્તર હતા જે કોઈ અર્થમાં ગાંધીવાદી કે નેહરુવાદી નહોતા. તેમણે આઝાદીની લડતમાં ભાગ પણ નહોતો લીધો એટલે ગાંધીજીના પ્રભાવમાં હોવાનો તો સવાલ જ નહોતો. આ ઉપરાંત સરદાર પટેલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જેવા સોએક જેટલા હિંદુ પક્ષપાત ધરાવનારા હળવા હિંદુવાદીઓ તેમાં હતા. ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેવા આકરા હિન્દુત્વવાદી પણ તેમાં હતા. સમાજવાદીઓ હતા અને રજવાડાઓના પ્રજાના પ્રતિનિધિઓ હતા. જો તમારે ખાતરી કરવી હોય તો ભારત સરકારની વેબસાઈટ પર જાઓ. બંધારણસભાના એકેએક સભ્યની પૃષ્ઠભૂમિ તપાસો. નિષ્ઠાવાન ગાંધીવાદી અને નેહરુવાદી કહી શકાય એવા વીસ સભ્યો પણ નહીં જડે.

આટલી વાસ્તવિકતા સમજી લીધા પછી સવાલ એ ઉપસ્થિત થાય એ છે કે ગાંધી-નેહરુના વિરોધીઓ (ડૉ. આંબેડકર – ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી), હળવા હિંદુવાદીઓ (જે બહુમતીમાં હતા) અને ગાંધીજીના આદર્શવાદથી દૂર ભાગનારા કહેવાતા વહેવારવાદીઓએ મળીને સર્વસંમતિ સાથે (પ્લીઝ નોટ, સર્વસંમતિ સાથે) એવું બંધારણ કેમ ઘડ્યું જે આજના શાસકોને અને સંઘપરિવારને સ્વીકાર્ય નથી? ગાંધી-નેહરુવાળાઓ સંઘપરિવારની કલ્પનાના ભારતની વિરુદ્ધનું બંધારણ ઘડે એ તો સમજી શકાય, પણ અહીં તો એવા લોકોએ સંઘની કલ્પનાના ભારતની વિરુદ્ધનું બંધારણ ઘડ્યું હતું જેઓ ગાંધી-નેહરુના પરિઘની બહાર અને અને એ પણ પાછું સર્વસમંતિ સાથે.

શા માટે તેમણે હિન્દુત્વવાદીઓની કલ્પનાના ભારતને આકાર આપનારું બંધારણ ન ઘડ્યું અને એવું બંધારણ ઘડ્યું જે હિન્દુત્વવાદીઓને સ્વીકાર્ય નથી અને એ પણ આગળ કહ્યું એમ સર્વસંમતિ સાથે. શા માટે? ભક્તો આના બે જ ખૂલાસા આપી શકે. કાં તો તેમનામાં સંઘપરિવારના નેતાઓ જેટલી અક્કલ નહીં હોય અથવા તેઓ સંઘપરિવારના નેતાઓ જેટલા દેશભક્ત નહીં હોય. મને ખાતરી છે કે થોડા ભડવીર ભક્ત એવા મળી આવશે જે બંધારણસભાના શુક્રતારક સમા તેજસ્વી સભ્યોને તેમના અને તેમના નેતાઓ કરતાં ઓછી અક્કલવાળા અને ઓછા દેશપ્રેમી ગણાવશે. આટલી જીગર તેઓ ધરાવે છે તેની કબૂલાત કરવી જ રહી.

અને જો તમે ઓછા સાહસિક હો અને વિચારતા આવડતું હોય તો વિચારવું જોઈએ કે શા માટે તેમણે એ બધી જોગવાઈ બંધારણમાં નહીં કરી જે સંઘપરિવાર ઈચ્છે છે. તેઓ આ પ્રશ્નોથી અજાણ હતા એવું નથી. બંધારણના ઘડતરની કાર્યવાહીનાં ૧૨ વોલ્યુમ્સ અને બંધારણ સભાની પેટા-સમિતિઓમાં થયેલી ચર્ચાને નીરુપતા બી. શિવા રાવના છ વોલ્યુમ્સ તપાસી જશો તો ખાતરી થશે કે તેમણે નાગરિકત્વ સહિત દરેક પ્રશ્ને સાંગોપાંગ ચર્ચા કરી હતી. તેમણે ખૂબ વિચાર વિમર્શ કરીને, કહો ચાહી કરીને એવું બંધારણ ઘડ્યું હતું જેની સામે હિન્દુત્વવાદીઓને વાંધો છે. શા માટે? અત્યારના દેશભક્ત રાષ્ટ્રવાદી શાસકો કરતાં તેઓ ઓછા બુદ્ધિશાળી નહોતા અને ઓછા દેશભક્ત નહોતા એમ જો તમે માનતા હોય તો તમારે આ પ્રશ્નનો ઉત્તર શોધવો જોઈએ.

આનો ઉત્તર એ છે કે તેમણે તેમની મધુર કલ્પનાના ભારત કરતાં વાસ્તવિક ભારતનો સ્વીકાર કર્યો હતો. એ સમયે દરેક વિચારધારાઓના નેતાઓની ભારત વિશેની પોતપોતાની મધુર કલ્પનાઓ હતી. દલિતો મધુર કલ્પના ધરાવતા હતા કે ભારતમાં બ્રાહ્મણો હાંસિયામાં હોય. પરંપરારક્ષકો ઈચ્છતા હતા કે આધુનિકતાના પ્રવાહમાં તેમને મન જાળવવા જેવી મહાન પરંપરા તણાઈ ન જાય. આદિવાસીઓની કલ્પનાના ભારતમાં જંગલમાં સ્વાયત્તતા હતી. દ્રવિડોની કલ્પનાના ભારતમાં આર્યાવર્તના પ્રભાવથી મુક્તિ હતી. પણ બીજી બાજુ તેમને એની પણ જાણ હતી કે પચરંગી ભારતમાં આપણી કલ્પનાનું ભારત સ્થપાવું મુશ્કેલ છે. જ્યાં આટલી પચરંગી પ્રજા સાથે વસ્તી હોય અને તેમના હિતસંબંધો અથડાતા હોય ત્યાં આપણી કલ્પનાના દેશ માટે આગ્રહ રાખવાનો ન હોય. ભારત એક બૃહદ્દ પરિવાર છે જેમાં સંપ જાળવી રાખવો હોય તો જતું કરતા આવડવું જોઈએ.

કેટલાક કહેશે, શા માટે આગ્રહ ન રાખે? જે પ્રજા બહુમતીમાં હોય તેને આગ્રહ રાખવાનો અધિકાર છે. શું લઘુમતી દેશના હિતમાં બહુમતીનો દ્રષ્ટિકોણ ન અપનાવી શકે? આટલો પણ ત્યાગ ન કરે? આપણે ક્યાં તેમને દેશમાંથી ચાલ્યા જવાનું કહીએ છીએ. આપણે તો માત્ર એટલું જ કહીએ છીએ કે બહુમતી દ્રષ્ટિકોણની તરફેણમાં તમે તમારો વૈચારિક આગ્રહ જતો કરો. માત્ર વૈચારિક આગ્રહો જતા કરવાની વાત છે, કોઈ તમારી મિલકત માગતું નથી. આ જ દલીલ છે તમારી કે બીજી કોઈ? કેટલી ‘વ્યવહારુ’ અને ‘સોજ્જી’ દલીલ છે નહીં!

પણ આ દલીલ જેટલી સોજ્જી દેખાય છે એટલી નથી. વ્યવહારુ તો એ બિલકુલ નથી. જો એ સોજ્જી હોત તો ભિન્ન દ્રષ્ટિકોણ કે સંસ્કૃતિ ધરાવનારા લોકો સાથે સંવાદ સાધ્યો હોત. તેમની સાથે હળીમળીને તેમનો પ્રેમ જીત્યો હોત. જો તેમનો દેશપ્રેમ સાચો હોત તો જે પ્રજા હિંદુ સાંસ્કૃતિક ગર્ભગૃહની બહાર છે તેને અંદર લેવાનો પ્રયાસ કર્યો હોત. ખ્રિસ્તી મિશનરીઓ કઈ રીતે કામ કરે છે તે જુઓ છોને! છેક યુરોપથી ભારત આવે. ભારતની પ્રતિકુળ આબોહવામાં જીવતાં શીખે, સ્થાનિક ભાષા શીખે, લોકોની સેવા કરીને તેમનો પ્રેમ સંપાદન કરે, વિશ્વાસ સંપાદન કરે અને પછી તેમને ખ્રિસ્તી બનાવે. આટલી જહેમત તેઓ એટલા માટે ઊઠાવે છે કે તેઓ ઈશુના ધર્મને પ્રેમ કરે છે. તેમનો પ્રેમ સાચો છે. જો સાચો પ્રેમ હોય તો પરાયાને પોતાનાં કરીને તમે જે ચીજ સ્વીકૃત બનાવવા માગતા હો તે કરાવી શકો છો.  

હિન્દુત્વવાદીઓએ કદાપિ આવો પ્રયાસ કર્યો છે? એક પણ પ્રસંગ બતાવો. જેણે આવો પ્રયાસ કર્યો હતો તેનું (મોહનદાસ કરમચંદ ગાંધી) ઊલટું તેમણે ખૂન કર્યું હતું. શા માટે આવો પ્રયાસ કરે જ્યારે હિંદુઓ બહુમતીમાં છે. બહુમતીએ તો શરતો લાદવાની હોય. વધુમાં વધુ સૌમ્ય ભાષામાં શરતો મુકવાની. ન માને તો ઈશારાની ભાષા વાપરવાની અને એ પછી પણ ન સાંભળે તો કાન આમળવાનો. બહુમતી લઘુમતીના લાડ શા માટે લડાવે? આમ ઉપર કહી એ દલીલ સોજ્જી તો નથી, વ્યવહારુ પણ નથી. સંયુક્ત પરિવાર શરતો લાદીને ટકી ન શકે એટલું સમજવા જેટલું વ્યવહારજ્ઞાન બંધારણ ઘડનારાઓમાં હતું અને ભારત એક સંયુક્ત પરિવાર છે એ તેની અફર નિયતિ છે.

આને કારણે બંધારણસભાની બહાર જે આંબેડકર હતા એ બંધારણસભાની અંદર જુદા હતા. તેમને એટલી જાણ હતી કે એક સંયુક્ત પરિવારના સહઅસ્તિત્વનું બંધારણ ઘડવાનું છે, માત્ર દલિતો માટેનું નહીં. સરદાર પટેલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, કનૈયાલાલ મુનશી જેવા હિંદુવાદીઓ આ વાત જાણતા હતા કે સંયુક્ત પરિવાર ભારતની નિયતિ છે એટલે બંધારણ એવું હોવું જોઈએ જેમાં સંયુક્ત પરિવાર સંયુક્ત રીતે જીવી શકે અને ધીરે ધીરે રાષ્ટ્રીય ભાવના વિકસે. બંધારણ સભામાં જે બીજા વિચાર અને વલણના લોકો હતા એ પણ ભારતની વાસ્તવિકતા જાણતા હતા એટલે તેમણે સંયુક્ત પરિવાર ટકી શકે એવું બંધારણ ઘડવામાં સાથ આપ્યો હતો. બંધારણ સર્વસંમતિ સાથે ઘડાયું અને એક અવાજે માન્ય રખાયું એનું રહસ્ય આ છે.

બંધારણ ઘડનારાઓ લોંઠકા હિન્દુત્વવાદીઓ કરતાં વધારે બુદ્ધિમાન હતા અને વ્યવહારુ હતા. તેમને જાણ હતી કે શરતો મૂકવાથી રાષ્ટ્રની રચના ન થાય એટલે સ્વતંત્ર ભારતની કલ્પના અને રચના વિષે રાષ્ટ્રીય સર્વસંમતિ બની હતી. દરેક સભ્યે તેનો ભિન્ન મત રાષ્ટ્રીય સર્વસંમતિના યજ્ઞમાં હોમી દીધો હતો. બાકી શરતો મૂકતા તો તેમને પણ આવડતું હતું. તેઓ ઊલટા વધારે અધિકારથી શરતો મૂકી શક્યા હોત, કારણ કે તેમનામાંના મોટા ભાગનાઓએ દેશની આઝાદી માટે ભોગ આપ્યો હતો, ખાલી ખિસ્સાવાળા ડરપોક ઠણઠણપાલ નહોતા. આમ છતાં તેમણે સંયમ દાખવ્યો હતો, કારણ કે તેઓ બુદ્ધિમાન હતા, સાચા દેશપ્રેમી હતા અને વ્યવહારુ હતા. 

તેમણે તેમનો અંગત ભિન્ન મત રાષ્ટ્રીય સર્વસંમતિના યજ્ઞમાં હોમી દીધો એનું બીજું કારણ એ હતું કે ભારતમાં કોઈ બહુમતીમાં છે જ નહીં. શું ઉત્તર ભારતીય હિંદુ દક્ષિણ ભારતમાં હિંદુ હોવા છતાં અને દક્ષિણ ભારતમાં હિંદુઓની બહુમતી હોવા છતાં બહુમતીમાં છે? શું ઉત્તર ભારતીય હિંદુ, મુંબઈમાં હિંદુ હોવા છતાં અને મુંબઈમાં હિંદુઓ બહુમતીમાં હોવા છતાં તે પોતે બહુમતીમાં છે? તમે જોયેલા કોઈ પણ એક ગામની કલ્પના કરો. એ ગામમાં જે જાતિ બહુમતીમાં હશે તે બાજુના ગામમાં લઘુમતીમાં હશે. ઉત્તરથી દક્ષિણમાં કે ઉત્તર ભારતથી નીકળીને મુંબઈમાં કે પછી એક ગામથી નીકળી બાજુના ગામમાં પગ મૂકતાની સાથે પ્રતીતિ થશે કે તે લઘુમતીમાં છે. પાછા પ્રતીતિ કરાવનારા શરત-બહાદુરો દરેક જગ્યાએ અસ્તિત્વ ધરાવે છે. આમ ભારતમાં હિંદુઓ સહિત કોઈ પ્રજા બહુમતીમાં નથી એ જોતાં બહુમતીવાદ ચાલી ન શકે. આને કારણે તેમણે તેમનો ભિન્ન મત રાષ્ટ્રીય સર્વસંમતિના યજ્ઞમાં હોમી દીધો. આટલી દીર્ઘદ્રષ્ટિ, દેશપ્રેમ, અક્કલ અને વ્યવહારુતા તેઓ ધરાવતા હતા.

બંધારણ ઘડનારાઓએ તેમનો ભિન્ન મત રાષ્ટ્રીય સર્વસંમતિના યજ્ઞમાં હોમી દીધો એનું ત્રીજું કારણ એ હતું કે આજે તમને નકશામાં જે ભારત ભળાય એવું ભારત અંગ્રેજોનાં શાસન પહેલાં ઇતિહાસમાં ક્યારે ય નહોતું. ક્યારે ય એટલે ક્યારે ય નહોતું. કોઈ યુગમાં નહીં, અશોક અને અકબરના યુગમાં પણ નહીં. એ તો અંગ્રેજોએ શોષણ કરવાના ઈરાદે દેશના પ્રદેશોને જોડ્યા હતા અને અખિલ ભારતીય વહીવટી માળખું વિકસાવ્યું હતું. નકશામાં જે ભળાય છે તે ભારત અને વહીવટીતંત્ર આપણને વારસામાં મળ્યા છે. એ શારીરિક ભારતની અંદર ભારત નામનો આત્મા રેડવો હોય અને “ભારત સરકાર” નામની ચીજને “આપણી” સરકાર તરીકે સ્વીકૃત કરાવવી હોય તો શરતો અને દાદાગીરી ન ચાલે. છેવટે જે ભારતને ભારતના ઇતિહાસે કદાપિ જોયું જ નથી તેને સ્થિર થવા માટે સમય આપવો જોઈએ. કારણ કે બંધારણ ઘડનારાઓ વધારે બુદ્ધિમાન હતા, વધારે દેશપ્રેમી અને વ્યવહારુ હતા એટલે તેમણે આગ્રહો અને શરતો નહોતી રાખી. બાવડાબાજ બેવકૂફ નહોતા.

અને છેલ્લી વાત. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ધ્વજમાં જે ભારત (શ્રી લંકા સહિત અફઘાનિસ્તાનથી બર્મા સુધીનું) દેખાય છે એ તેમની મીઠી કલ્પનાનું ભારત છે. આવું ભારત વાસ્તવમાં ક્યારે ય નહોતું. મીઠી કલ્પના કરવામાં કાંઈ જ ખોટું નથી, પરંતુ એ સાકાર કેવી રીતે થાય અને સાકાર થયા પછી તે ટકે કેવી રીતે એ વિષે પણ તેમણે વિચારવું જોઈએ. તેમણે બ્રિટિશ સામ્રાજ્યનો ઇતિહાસ વાંચવો જોઈએ. જેનો સૂરજ આથમતો નહોતો એ અંગ્રેજો પણ વખત આવ્યે ભાઈબાપા કરતા હતા અને સમાધાનો કરતા હતા. સંસ્થાનવાદી યુગમાં અંગ્રેજ સામ્રાજ્ય સૌથી વધુ ફેલાયું અને સૌથી વધુ ટક્યું એનું કારણ બાંધછોડ કરવાની તેમની આવડત હતી. જોઈ જુઓ ભારતની આઝાદીનો ઇતિહાસ. ભાગ ભલે ન લીધો હોય, અભ્યાસ તો કરી જ શકાય છે. રાણા પ્રતાપનું શૌર્ય જોઇને ગદગદ થઈ જવાની જગ્યાએ સભ્યતાઓ અને રાષ્ટ્રો કેમ બને છે અને કેમ નાશ પામે છે તેનો અભ્યાસ કરવો જોઈએ.

પણ વાંચે કોણ? વાંચવા-વિચારવાની મનાઈ છે. ઘેટું જો વાંચે અને વિચારે તો નાસી જાય.

આ આખો લેખ વાંચ્યા પછી પણ જો કાંઈ પલ્લે ન પડ્યું હોય તો બોલો ભારત માતા કી જય.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 19 ડિસેમ્બર 2019

Loading

Swami Nithyanand: Founding of a Hindu Rashtra

Ram Puniyani|English Bazaar Patrika - OPED|17 December 2019

Religion is probably the most complex human phenomenon. From Centuries philosophers have tried to understand and define it. Different commentators have emphasized on its many facets. Probably one of its most comprehensive understanding of this phenomenon has been put forward by Karl Marx, when he writes “Man makes Religion…This state, this society produce religion, a reversed World consciousness, because they are a reversed World…Religion is the reversed theory of the World, its encyclopedic compendium, its logic in a popular form…religion is the sigh of oppressed creature, the heart of heartless World, just as it is the spirit of spiritless situation. It is opium of the people.”

From its last sentence phrase, ‘opium of the people’ has become very popular, but it does not give the total picture. The richness of this formulation has remained untapped particularly its ‘sigh of oppressed creature’ has not been explored much. All this comes to one’s mind when one is witnessing the intervention of religion in an aggressive form in most spheres of life. On one hand we see that the politics to control oil resources comes up in the name of ‘Islamic terrorism’, nationalism has been mixed up with religion, there is intensification of blind faith and at yet another level we have proliferation of Godmen, a phenomenon just a few decades old, becoming stronger in last three decades in particular.

While religion did have multiple roles all through, the major one had been that of the clergy on one hand and Saints on the other. Clergy was with those in power (King-Pope, Raja-Rajguru and Nawab-Shahi Imam) and saints like the Bhakti and Sufi in India stood with the average people talking-practicing humanism and opposing the social inequality. The present phenomenon of Godmen is unique in more ways than one. In the changed political scenario their role is not exactly of the clergy of previous centuries. They have support base in rich and not so rich both. While they talk of moral and spiritual language most of them do have an underbelly where lot of suspicious activities can be discerned very clearly.

Taking the process of trying to dodge law for their illegal activities has been the norm with many of them. We see a new process in Swami Nityanand. He was born A. Raja Sekharan and adorned the saffron robes to become Nityanad. Has large following within and outside India. He was involved in rape and murder cases like many other of his ilk. Unlike others who first tried to avoid the arms of law, he chose another path, founding a new country. Nityanand bought an Island, near Trinidad and Tobago, from Equador, on the West Coast of South America and declared it to be ‘Hindu Nation’ and named it Kailassa, a place where persecuted Hindus can buy citizenship with heavy fees and will be able to practice the Hindu religion.

It already has made its national flag, national languages and other symbols with web site in toe. It has named its Prime Minster and a Cabinet which will take the decisions about the affairs of this Hindu nation. One is not much aware of Godmen like tendencies in Islam or Christianity barring the likes of Benny Hinn while politics in the name of Islam, Islamic Fundamentalism, and Christian Fundamentalism and Buddhist fundamentalism are flourishing particularly in the World, more so in West and South Asia.

Prior to Nityanand we had seen how first Asaram Bapu and then Gurmeet Ram Rahim Insaan were arrested with great difficulty. Hundreds died when Ram Rahim was arrested. One journalist of courage, Chatrapti Ramchandra was murdered as he was bringing out the happenings of Dera Sacha Sauda, the empire of Ram Rahim Singh Insaan. Gurmeet was given lakhs in donation by Haryana BJP Government, and the whole Cabinet of the previous ministry visited Dera to seek his blessings. In Asaram’s Ashram also there was a beeline of political heavy weights including our present Prime Minster.

Swami Nityanand has the backing of powerful money bags, many from Gujarat. Apart from the affluent followers the average people also follow these paddlers of faith. Those who died while protesting against the arrest of their Guru were average people. Recently while on way to Panipat, from the road my escort told me that just a small distance from the road, is the jail where Gurmeet is lodged. His devotees while travelling; stop on the spot near the jail; pay their respect before proceeding to their further journey. More than other things what shook me was the brutal murder of brave journalist Ramchandra, who despite threats to his life carried on with what a journalist should do, reveal the truth about Gurmeet.

Sexual escapades of these Godmen can fill volumes and their victims, have painful tales to tell. There are others in this groups who specialize in different tricks. We had Satya sai baba, sitting over and empire of hundreds of crores, we have seen the Yoga Guru Ramdev making a transition from Yoga to Patanjali enterprise and being counted among the rich entrepreneurs of the country. The Godwomen are few but they are very much there, Maa Amritanand Mayee, Radhe Maa being two such, who have made headlines on occasions.

Surely social scientists do need to burn the midnight oil to tell us what this new phenomenon means for the society. While those named here are the leading biggies, surely there are hundreds of them flourishing in their business right under the patronage of the state and the affluent of the society, which is mostly looking away. The political parties ignore their violations with an eye on the vote bank. All this is happening in the name of faith, religion. Critiquing them does not gel well with the powers that be or the large sections of society, which are in the awe of the powers apparently spiritual, but more then that the social powers, which insulate them despite their illegal and immoral deeds.        

Loading

‘ઇરોસ’થી ‘અગાપે’ની પ્રેમયાત્રા

રૂપાલી બર્ક|Opinion - Literature|17 December 2019

'૨૮ પ્રેમકાવ્યો' વિશે રૂપાલી બર્કનો 'પરબ'માં 'અભ્યાસ'-લેખ

યુવા કવિ ઉમેશ સોલંકી નવલકથાકાર અને કવિ છે. આ અવલોકન લખાઈ રહ્યું છે ત્યારે રેખાચિત્રોનું એમનું પુસ્તક ‘માટી’ પ્રકાશિત થઈ ચૂક્યું છે. ‘ફેરફાર’ નવલકથા બાદ ‘૨૮ પ્રેમકાવ્યો’ એમનું બીજું પુસ્તક છે. પારંપરિક રીતે લખાતાં આવતાં અને એવા નામાભિધાનથી અપેક્ષિત પ્રેમકાવ્યોનો છેદ ઊડાડી દઈને શીર્ષક જેટલું ચોંકાવનારું પુરવાર થાય છે એટલાં જ કાવ્યો ચોંકાવનારાં પુરવાર થાય છે. નથી અહીં પ્રેમની સુંવાળપનું સ્થૂળ આલેખન કે એને વર્ણવતી પુષ્પિતા વાણી. કાવ્યોમાં કવિએ ’ઑબજૅક્ટિવ કૉરીલેટિવ’નો જાણતા-અજાણતા વધતા-ઓછા પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. સઘળું કહી દેવાને બદલે ઇંગિત કરે છે અને ભાવકો પર છોડી દે છે. ક્યારેક, એથી ‘કોઠી’ જેવું કાવ્ય કોયડો બની રહે છે.

પ્રેમ ‘વરસાદનું પહેલું ટીપું’ હોઈ શકે તો ‘ગટરનું ઢાંકણું’ કેમ નહીં? (‘અને તું?’, પૃ. ૭૧) પ્રેમના રૂપક થકી લોકોને વિભાજિત કરતી સમાજમાં પ્રવર્તતા ભેદભાવની દીવાલો પર સવાલ ઉઠાવનારાં અહીં સમાવિષ્ટ કાવ્યો ઉર્મિકાવ્યો નહીં (‘ટીલડીઓ’ અને ‘પતંગ અને ઝંડા’ કાવ્યોને બાદ કરતાં) બલકે વિચારશીલ અને એથી ય આગળ પ્રગતિશીલ કાવ્યો છે. પ્રેમના રૂપકને અંગત સંદર્ભથી ઉપર જઈ સામાજિક સંદર્ભે પ્રયોજવામાં આવ્યું છે માટે આ સંગ્રહમાં સમાવિષ્ટ કાવ્યોને સામાન્ય પ્રેમકાવ્ય કરતાં અલગ દ્રષ્ટિકોણથી સમજવા પડે.

સદીઓથી સમાજ પ્રેમનો વેરી રહ્યો છે. સાંપ્રત સમયમાં આંતરધર્મ પ્રેમ કે લગ્ન બાબતે ‘લવ જિહાદ’ના નામે નૈતિક પોલીસગીરીના માધ્યમથી રાજકારણ રમાય છે એ વાસ્તવથી આપણે ક્યાં પરિચિત નથી. પ્રેમને મળેલા નવા આયામ વિશેનાં કાવ્યો પણ લખશે નવી પેઢીનો કોઈ કવિ. એ દિવસ દૂર નથી. એવું જ સમલૈંગિક પ્રેમનું છે. અત્યાર સુધી અપરાધ ગણાતા આ પ્રેમને હવે કાનૂની માન્યતા મળી છે પણ સમાજ એને સ્વીકારતો નથી તેથી આવા પ્રેમીઓને ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે. સમલૈંગિક પ્રેમના અધિકાર માટે સંઘર્ષ કરનારાનું ‘ક્વિયર લીટરેચર’ જોરશોરથી લખાવા માંડ્યું છે. પ્રેમ એકાધિકાર (monolithic) નથી, તે સ્થળ, કાળ, સંજોગને આધીન હોય છે. ડુંગળીનાં અનેકો પડ જેવાં પડ ધરાવે છે. વળી સમયની સાથે પ્રેમની પરિભાષા કેવી બદલાતી રહે છે !

કાવ્યસંગ્રહ અર્પણ કરાયો છે : ‘આંતરજાતીય, આંતરપેટાજાતીય લગ્ન માટે વિચારરત, સંઘર્ષરત પ્રેમીઓ અને આંતરજાતીય, આંતરપેટાજાતીય પ્રેમલગ્ન કરનારાં દંપતીઓને’. સામાન્ય રીતે આપણે ‘જ્ઞાતિ’ અને જ્ઞાતિ હેઠળ ‘જાતિ’ એમ સમજીએ છીએ. અહીં ‘જાતિ’ અને ‘પેટાજાતિ’ એમ વર્ગીકરણ કરવામાં આવ્યું છે એ નોંધવાનું છે. અર્પણ જાણે કાવ્યસંગ્રહનો ઢંઢેરો ના હોય ! અર્પણ વાંચી કાવ્યસંગ્રહના શીર્ષકથી થતો ભ્રમ તૂટી જાય છે.

સૌપ્રથમ તો ફળીભૂત થતા અટકી જતાં પ્રેમના મૂળમાં વર્ણભેદ બતાવી દલિત કવિઓની આગલી પેઢી કરતાં સાવ નોખો અને નવો ચીલો ચાતર્યો છે ઉમેશ સોલંકીએ. આ અગાઉ લખાયેલી દલિત કવિતામાં અને ગદ્યમાં ભારતીય સમાજની જ્ઞાતિપ્રથાના પરિણામે ઉદ્ભવતા બિનદલિત સમાજ દ્વારા થતાં દમન અને શોષણ, તિરસ્કાર અને આભડછેટને જેટલા વણી લેવાયાં છે એટલી હદે દલિત સમુદાયમાં પ્રવર્તતા જાતિભેદને આલેખવામાં આવ્યો નથી. દલિત ગદ્યમાં જ્ઞાતિપ્રથાના પરિણામે દલિત મહિલા પર આચરવામાં આવતાં યૌન શોષણનું પણ આલેખન થયેલું છે પરંતુ આંતરજાતીય અને આંતરપેટાજાતીય પ્રેમ કે લગ્નના મુદ્દાને સ્પર્ષવામાં આવ્યો નથી.

દલિત સાહિત્ય સમાજ અને સામાજિક વ્યવસ્થા સાથે ગાઢ નિસ્બત ધરાવે છે. અશ્વેત સાહિત્યની માફક દલિત સાહિત્યને એટલે જ સાંસ્કૃતિક ચળવળ કહેવામાં આવે છે. ભેદભાવથી ખદબદતો સમાજ બીમાર હોય છે. બીમાર સમાજની નાડી તપાસી, નિદાન કરી, સામાજિક વ્યાધિઓનો ઉપચાર કરવા માટે, એટલે કે સમાજમાં પ્રવર્તતા જ્ઞાતિ-જાતિ (જાતિ-પેટાજાતિ) આધારિત ભેદભાવને નેસ્તનાબૂદ કરવાનો દલિત યુવા કવિનો નિર્ધાર આ કાવ્યસંગ્રહમાં પ્રબળ રીતે વ્યક્ત કરવામાં આવ્યો છે એ ખૂબ આવકારદાયક છે. કવિ ઉમેશને આ બદલ અભિનંદન!

પ્રથમ કાવ્યનું શીર્ષક છે ‘વૉંઘું’. નોંધમાં સમજાવ્યું છે એમ — ‘વહેળો, કોતેડી કે વોકળો . . જેને સાબરકાંઠાની લોકબોલીમાં વૉંઘું કહે છે. વૉંઘું નાનાંમોટાં ગામના વંચિત સમુદાયો માટે કુદરતી હાજતે જવા માટેનું સ્થળ પણ છે; ઘણીવાર જાતીય સમાગમ માટે વૉંઘાનો છેક અંદરનો ભાગ કામમાં આવતો હોય છે.’ આ કાવ્યમાં વર્ણાવેલું વૉંઘું ખૂબ સૂચક છે. સમાજને માન્ય ન હોય એવો પ્રેમસંબધ બાંધવો હોય તો સમાજની આંખોથી દૂર ‘થોર’, ‘કાંટા’ અને ‘બાવળ’ વચ્ચે પ્રેમ ખીલવવો પડે. ખોલકાને (ગધેડાના બચ્ચા) વાગેલા રોડાથી પ્રેમિકા ‘બોલનાર’ (સ્પીકર)*ને,

‘આછું સ્મિત વેદનામાં ભેળવી
વ્હાલ ભરેલા શબ્દો બોલી :
‘ખોલકા જેવો તુંય રૂડો’.

કાવ્યની અંતિમ પંક્તિઓ છે :

‘ખોલકું હજુ ત્યાં જ ઊભું છે
વૉંઘું રોડાંનું પર્યાય બન્યું છે’.

સમાજના ભેદભાવોને લીધે ફળીભૂત નહીં થઈ શકતા પ્રેમની વ્યથા આ કાવ્યમાં છલકાય છે. આમ, પ્રથમ કાવ્ય આ સંગ્રહના મોટાભાગના ‘unrequited love’ના, અધૂરા રહી જતા પ્રેમને વાચા આપતાં કાવ્યો માટે ભાવકને તૈયાર કરે છે. ‘મોહણિયું’ કાવ્યમાં વૉંઘુ જેટલું જ સુલભ છે પ્રેમીજનોને પ્રેમક્રીડા માટે. બન્ને સ્થળે,

‘લિસોટીમાં લુછાઈ જાય
ભેદોના ડાઘ.'

મારા વિદ્યાર્થીઓને અનેકવાર સમજાવું છું એમ ‘પ્રેમથી પેટ ભરી શકાતું નથી’ એ કહેવતની યાદ અપાવે છે ‘અનાજનો પહેલો દાણો’ કાવ્ય.

પ્રસિદ્ધ મનોવિશ્ર્લેષક અને સામાજિક ત્તત્વચિંતક ઍરિક ફ્રોમ એમના જાણીતા પુસ્તક The Art of Lovingમાં નોંધે છે : “બે અજાણી વ્યક્તિઓ નજીક આવે છે પછી એમની વચ્ચે કોઈ અવરોધો રહેતા નથી. નજદીકી પ્રાથમિક ધોરણે જાતીય સંબંધ દ્વારા સ્થપાય છે. શારીરિક જુદાપણું શારીરિક સમાગમથી દૂર થાય છે.” ભારતના સંદર્ભમાં સામાજિક જુદાપણાનો વાસ્તવ પણ પ્રેમીઓની આડે આવે છે. પશ્ચિમના દેશોમાં આપણા દેશમાં હયાત એવી જાતિપ્રથા કે એટલી હદે ધર્મ આધારિત ભેદભાવ નથી. રંગભેદ હતો પણ સમય જતા એ ક્ષીણ થયો છે. શ્વેત-અશ્વેત વ્યક્તિઓ મુક્તપણે પ્રેમ કે લગ્ન કરી શકે છે. આપણા દેશમાં પ્રેમના માર્ગે ચાલવા ઈચ્છતી બે વ્યક્તિઓ માટે સમાજ અવરોધ બને છે એટલો પશ્ચિમના દેશોમાં નથી બનતો. સંગ્રહના અગિયારમા કાવ્ય ‘માંડ દેખાતી દોરી’માં સામાજિક દીવાલોથી ઉદ્ભવતી, ખાસ કરીને આભડછેટની ‘જુગો જુની વેદના’નો ઉલ્લેખ છે. ‘મગરાની વાતો’માં સમજણના ભાર વિહોણા નટખટ કિશોરપણાના વીતી ગયેલા જીવનકાળની મીઠી સ્મૃતિઓને બોલનાર વાગોળે છે. પણ એટલે અટકતો નથી. જાગૃતિ વિકસે એમ સમજાય છે કે સમાનતા મેળવવા જુગોથી ચાલ્યા આવતા રિવાજને તોડવા પડશે. ‘નિયમની છાતી પર’ — આ કાવ્યમાં માણસને ઝુલાવતો બળવાન સમય છે જેને નિયમથી (નોંધ : અહીં નિયમ એટલે માણસ રચિત નિયમ) પકડી શકાતો નથી.

‘નિયમ જો હોત નહીં
ઝૂલવું પણ હોત નહીં.
ઝૂલી ઝૂલીને ઝૂલવું હવે ડગલું વધ્યું છે
નિયમની છાતી પર એનું પગલું પડ્યું છે.’

(પૃ. ૬૧)

સદીઓથી ચાલતી આવી સમાજની અન્યાયી હકુમતને પડકારવાની વૈશ્વિકીકરણના યુગની પેઢીને તાલાવેલી હોય એ સ્વાભાવિક છે,

‘સમયને નિયમથી પકડી શકાતો નથી.’ (પૃ. ૬૧).

‘લત’ કાવ્યમાં સત્તર વર્ષના યુવક-યુવતીને એ ઉંમરે થતા ‘પપી લવ’ —વિજાતીય આકર્ષણનો અનુભવ વર્ણાવેલો છે. કાચી ઉંમર હંમેશાં અપરિપક્વ હોતી નથી. સુયોજનરૂપે સમાજના ડરથી સંકોચાવાને બદલે વિસ્તરવાનો નિર્ણય લેવાય છે :

'શું કરવું?
વિસ્તરવું
કે સંકોચાવું
સંકોચાવામાં હિત નથી
વિસ્તરવામાં મળવાની પ્રીત નથી
સ્થિરતાને વળી કોહવાટ વહાલો
કોહવાટ એ સત્તરની રીત નથી.
. . . .
સાથે લાગી
કોહવાટ ન ભાળવાની
કીકીને પણ લત નિરાળી.'
(પૃ.૫૫-૬)

‘ખેંચાણ’ કાવ્યમાં આવા જ બીજા દ્વંદ્વનો સામનો કરે છે. પ્રેમના જાદુમાં રંગાયેલો છતાં ય ખખડી ગયેલી ઝૂંપડી પ્રત્યે પ્રબળ ખેંચાણ અનુભવતો અને છેવટે ‘ઠંડુ પડી ગયેલું શરીર’ બની જતા પ્રેમીની લાચારી દર્શાવવામાં આવી છે. ‘ફૂદું’ કાવ્યમાં કિશોરથી મોટી ઉંમરની ‘લાલ-લીલી બંગડી’ પહેરેલી સ્ત્રી પ્રત્યેનું આકર્ષણ જેને ‘કાફ લવ’ કહેવાય છે અને મનોવિશ્લેષણની દૃષ્ટિએ જેને ‘ઇડીપલ કૉમ્લેક્સ’ કહે છે — એ વિશેનું આલેખન છે.

‘ઊખેડી ફેંક્યું’ કાવ્યમાં એક ડગલું આગળ જઈ આંતરજાતીય કે આંતરપેટાજાતીય પ્રેમ ખાતર કરવા પડતા સંઘર્ષની વરવી વાસ્તવિકતાનું આલેખન છે. સંઘર્ષ સહેલો નથી પણ તેથી હતાશાનો શિકાર બનવાને બદલે પ્રેમીઓ બાહોશ બની સામનો કરે છે. નીચેની પંક્તિઓ પરથી ઉપર ટાંકેલું ફ્રોમનું આ વિધાન પુરવાર થાય છે.

'તું મળે મને
અને ખબર પડે
ગામ આખું ચોમેરથી ચોંટી પડે.
ન ઊખેડીએ ગામને,°°°
તો ગામ આખું લોહી ચૂસે, દૂબળાં કરે
ઊખેડીએ ગામને
તો ગામ સાથે ચરચર ચામડી ઊતડે.
ઊતડેલી ચામડી
કાલે આવશે નવી
ધારી વિચારી
આંગળીઓમાં તારી
મારી આંગળીઓ નાખી
હથેળી પર મારી
તારી તે હથેળી દાબી
ગામને ઘમઘમ ઊખેડી ફેંક્યું
લોહીની બેચાર સેરો છૂટી
થોડી ઘડી પછી ટાઢક વળી
હૃદયમાં તોય ઝીણી કંપારી રહી.'
(પૃ. ૪૨-૪૩)

(°°°પુસ્તકમાં 'ન' છે, પણ 'પરબ'માં 'ને' છપાયું છે.)

પ્રેમસંબંધમાં નાયક-નાયિકાને નડતો ખલનાયક સમાજ છે. લોહી ચૂસતા, દૂબળા કરતાં સમાજનું સજીવારોપણ કરી એનાથી ઊભો થતો ખતરો બતાવેલો છે. ફ્રોમ લખે છે એમ, “કોઈને પ્રેમ કરવો ફક્ત પ્રબળ લાગણી નથી. એ નિર્ણય છે, ચુકાદો છે, વચન છે. જો માત્ર લાગણી હોત તો હંમેશ માટે પ્રેમ કરવાના વચનનો આધાર ન હોત.” એટલે તો ગામને ઊખેડી ફેંકવામાં સફળ થવાય છે. ‘બુઠ્ઠી થઈ’ કાવ્યમાં પણ પ્રેમી યુગલ સમાજની ટક્કર મક્કમતાથી ઝીલે છે. પૂરેપૂરી રીતે સમાજની કનડગતથી છૂટકારો નથી એ ‘માંડ દેખાતી દોરી’માં બોલનાર કબૂલે છે :

‘પણ ધારેલું સઘળું
નથી થતું’.

‘ઊખેડી ફેંક્યું’ કાવ્યના અંતે એથી જ હૃદયમાં ઝીણી કંપારી રહે છે ને. સમયની માફક સમાજ બળવાન છે એ અહેસાસ બાદ કોઈ ભ્રમ ટકે નહીં એ સ્વાભાવિક છે :

જુગો જૂની વેદનામાં
આખ્ખેઆખ્ખો ડૂબી ગયો :
તારા હૃદયને બાંધેલી
માંડ દેખાતી દોરીને
જોઈને હું તો રડી ગયો
રડાય એટલું રડી લઈને
દોરી કાપવા ધસી ગયો.
(પૃ. ૨૮)

સમાજમાં અદૃશ્ય દીવાલો છે એ વાસ્તવને સ્વીકારી લીધા બાદ સંબંધ કાપી નાખ્યો, પણ પ્રેમીને આશા છે કે ઈચ્છીએ તો સમાજને પહોંચી વળવું શક્ય છે. પ્રેમિકાને એ સવાલ કરે છે કાવ્ય ‘સરહદ’માં :

'કહેવાય છે
સરહદ કોઈ નડતી નથી પ્રેમને
તો કઈ સરહદ રોકી રહી તને?
. . . . .
નાહકની અટવાઈ ગઈ તું
. . . . .
સરહદ તને જે નડી રહી છે
રાજા-રાણીમાંથી ખડી થઈ છે
એક ડગલું તું આગળ આવ !
સરહદ આપણે તોડી નાખીએ' . . . .
(પૃ. ૩૦)

છૂટાં પડી ગયા બાદ અગાઉ નોંધ્યું છે તેમ, નિરાશા, ગુસ્સો, આત્મઘાતી વિચારો કે વેર-વૈમનસ્યની ભાવનાને સ્થાને સુયોજન(rationalization)થી કામ પાર પાડવામાં આવે છે. ખૂબ અઘરું છે પ્રિયપાત્રથી વિખૂટા પડવું પણ લાગણીના મામલા સાથે બાથ ભીડવા બુદ્ધિથી કામ લેવાય છે. જે થયું તે કેમ થયું ?

‘સદીઓની સદીઓ
ચક્કર માર્યા કરતી આમ તો
આજુબાજુ તારી ને મારી.
ચક્કર મારતી સદીઓને
સતત આપણે ખલેલમાં નાંખી
ઠેલી ઠેલીને પછી
ગમતી ક્ષણને બાહુપાશમાં રાખી
પણ
ક્ષણ ગમતી
સદીઓની ઘેલી બની
વેગથી અચાનક આવી કને
વેગથી એમ ખેંચી ગઈ તને
કે
એક ક્ષણ, તું ના છોડી શકી મારી કને’

(પૃ. ૪૭-૮).

સુયોજનના પરિણામે પ્રેમી પરિસ્થિતિ સાથે જબરજસ્ત સમાધાન કરી શકે છે.

'અડધું કશું હોતું નથી
મથી મથીને તોય અડધામાં જિવાય છે.’

આ તેને લાધેલું જ્ઞાન છે. ‘વાપસી’ એવા સૂચક શીર્ષકવાળા કાવ્યમાં પ્રેમી વિયોગના દુ:ખમાં ગરકાવ છે પણ વિચારશીલ હોવાને કારણે એને આવેલો વિચાર સાચવે છે અને સકારાત્મક ભવિષ્ય ભણી આગળ વધે છે :

'જીવવાના રસ્તા ખોલી આપ્યા
ઓળખ આપી, ઓળખમાં બળ આપ્યું
કેટકેટલું આપ્યું તેં મને
આમ ભલે કહેવાયો નબળો
ને મેં
શું ફેંદી બેચાર ચોપડી
કે તને હું ભૂલી ગયો' . . . .
(પૃ. ૭૦)

પ્રેમમાં નિરાશા પામતા પ્રેમીઓ માટે જીરવવા અને જીવવાની ચાવી છે આ પંક્તિઓમાં. એ જ સૂરમાં કાવ્ય ‘મારા રસ્તે’ કાવ્યમાં એક રાહ પર ડગ માંડેલા અને બાદમાં છૂટાં પડી ગયેલાં પ્રેમી-પ્રેમિકા અચાનક ભટકાઈ પડે છે ત્યારે એકબીજા પ્રત્યેનો અપરિચિતો વચ્ચે હોય એવો વ્યવહારનું આલેખન છે :

'હળવે ચાલ્યાં, અમે એક રસ્તે
હવે, એ એના રસ્તે હું મારા રસ્તે.
ટેરવાંને ટેરવાંની માયા છૂટી
. . . . .
અને, એ એના રસ્તે હું મારા રસ્તે
. . . . .
એણે જોયું ન જોયું કર્યું
નજરને મેં સ્વસ્થ કરી
‘જોયું ન જોયું’ ની કદર કરી
. . . . .
એ એના રસ્તે હું મારા રસ્તે
એ એના રસ્તે હું મારા રસ્તે.'

ઉપર ટાંકેલા કાવ્યાંશમાં બેવડાવેલી અંતિમ પંક્તિઓ નિસ્પૃહતાભરી વ્યવહારિક્તા વ્યક્ત કરે છે. પ્રેમી સ્વસ્થતાથી વાસ્તવ સ્વીકારી લે છે. ‘નામ છોડ્યું’ કાવ્યમાં પ્રેમિકાના અચાનક લીધેલા વળાંક બાદ પ્રેમી,

‘લાચાર આંખનાં આંસુઓને લૂછવા લાગ્યો
લૂછતાં લૂછતાં નામ જાણ્યું
નામ જાણી નામ છોડ્યું.’
(પૃ. ૫૩)

સંઘર્ષના અંતે સફળતા ના મળે તો સમાધાન શોધવું પડે છે. પણ ‘ચીકાશ’ કાવ્યમાં દર્શાવ્યું છે એમ ક્યારેક પ્રેમિકાને વરસો પછી જુએ છે,

‘અને લાગણી પાછી
એના સ્વભાવમાં આવી ગઈ'.
(પૃ. ૩૯)

ફ્રોમ નોંધે છે કે “જાતીય આકર્ષણ અમુક ક્ષણો માટે મિલનનો આભાસ કરાવે છે. પ્રેમ વિના આ મિલન બે વ્યક્તિઓને પહેલા જેવા જ અજાણ્યા બનાવી દે છે. પરિણામે એકબીજાની શરમ આવે અથવા ઘૃણા પણ અનુભવાય. મિલનનો આભાસ ગયા પછી જુદાપણું વધુ ગહન રીતે સામે આવે.” આંતરજાતીય/આંતરપેટાજાતીય પ્રેમ હોય તો સાંસ્કૃતિક જુદાપણું પણ નડતર બનતું હોય છે. ‘તો ચાલ !’ કાવ્યમાં પ્રેમીઓની વચ્ચે સંસ્કૃતિ ખડી છે અને હોઠને હોઠ સુધી પહોંચવા દેતી નથી. સહેજે હલતી નથી કે ઝોંકુ ખાતી નથી. આવા સંજોગમાં શું કરી શકાય? આગવું ખેતર બનાવી ને મકાઈ ઊગાડી શકાય.

‘પછી
ઊંચીઊંચી મકાઈની વચ્ચે
તારા હોઠને હોઠ મારા બનાવીએ
મારા હોઠને હોઠ તારા બનાવીએ
‘તો ચાલ!’
(પૃ. ૬૪)

‘આંખની અંદર’ કાવ્યમાં રંગનો ભાર રહી જાય છે બહાર

'અને આંખની અંદર
બસ સુંદર સુંદર’.
(પૃ ૬૬)

શીર્ષક ‘પ્રિયે’ પણ વાત અપ્રિય બનાવે એવી. શહેરમાં રોડ વચ્ચે શિસ્તબદ્ધ છોડ, સૈનિકની કતારો જેવી ઇમારતો, બગીચા, વગેરે જોઈ પ્રેમી આશ્ર્ચર્યમાં ગરકાવ થઈ પોકારી ઊઠે છે :

‘નાનકડું એક્કેય ઝૂપડું નથી
અંદરથી છેક હું તો ડરી ગયો છું.
ક્યાં લઈને આવી, પ્રિયે, તું મને?
આ તો મારો દેશ નથી
આ તો મારો દેશ નથી.’ (
પૃ. ૧૮)

‘પ્રેમ’ કાવ્યનો પ્રથમ હિસ્સો પ્રેમી અને પ્રેમિકાની જીવનશૈલીનો આભજમીન જેટલો ફેર દર્શાવે છે. પ્રેમી કહે છે પ્રેમીકાને,

“મને કહેજે
જ્યારે તને એવું લાગે
કે આવું તો મને મારી દુનિયામાં પહેલીવાર લાગે.”

(પૃ. ૧૫-૬)

આ સંગ્રહની કવિતામાં પ્રેમને સાર્થક બનાવવા સંઘર્ષ છે પણ એ ઘાતક પગલા દ્વારા નહીં, રચનાત્મક રસ્તે ચાલીને, ‘સમાજના સજન’ થઈને વ્યક્તિગત પ્રેમની અસફળતાને સમાજ પ્રત્યે અનુકંપા દાખવી ઉત્તર વાળવાની મહેચ્છા છે. જે સમાજ નડતરરૂપ છે એના જ સજન બની એનું કલ્યાણ કરવું છે. સંગ્રહમાં સતત આવો ‘ડાયલૅકટિક’ રચતો વિચાર વ્યક્ત થતો રહે છે.

ફ્રોમ લખે છે, “સમાજની રચના એવી રીતે થવી જોઈએ કે માણસની સામાજિક, પ્રેમાળ પ્રકૃતિ એના સામાજિક અસ્તિત્વથી વિખૂટું નહીં બલકે એમાં લીન હોવું જોઈએ. જે લોકો ગંભીરતાથી પ્રેમને માનવઅસ્તિત્વની સમસ્યાના એકમાત્ર તાર્કિક જવાબ તરીકે જુએ છે, એમને એવા તારણ પર આવવું પડશે કે જો પ્રેમને અત્યંત વ્યક્તિપ્રધાન, હાંસિયાકૃત બનવા ના દઈ, એક સામાજિક ઘટના બનાવવી હોય તો આપણા સામાજિક માળખામાં મહત્ત્વના અને આમૂલ પરિવર્તન જરૂરી છે. ‘શોધમાં’ પ્રેમ જોખમમાં છે તેવી ઘડીએ ફરિયાદના સ્થાને અત્યંત પરિપક્વતા દાખવી પ્રેમી કહે છે :

‘તારામાં ભળવાથી
ભળી હતી ઊર્જા મારામાં
મારામાં રહેલી
તારીમારી ઊર્જા સઘળી
થઈ રહી છે વિસર્જન.
વિચારું છું
જે ઊર્જાથી
ઇતિહાસને વાળવાનો હતો
મૂકવાનો હતો
ભાઠા પડેલા અગણિત હાથમાં . . . .
(પૃ. ૨૫)

પ્રેમને ‘ઇરૉસ’ (eros) — જાતીય પ્રેમના સામાન્ય સ્તરથી ઉપર ઉઠાવીને ‘અગાપે’ (agape) — સાર્વત્રિક પ્રેમના ઉચ્ચ સ્તરે લઈ જવાની કવાયત પ્રેમીને છેવટે ‘ઍલ્ટ્રુઇસમ’ (altruism) બીજાની સુખાકારી સુધી લઈ જાય છે. ઈરોસ અને અગાપેના બિંદુઓ સ્પષ્ટ કરતાં બે કાવ્યો છે — ‘પ્રેમ એટલે’ અને ‘પ્રેમ’. એકમાં,

‘પ્રેમ એટલે
હળવાનું મળવાનું હસવાનું
જીવવાનું પળ-પળનું.’ (પૃ. ૧૪)
બીજામાં,
‘સાથે મળીને
પીડાને
આપણી કને રાખીને
વગર વાંકે પિડાતાને પ્રેમ આપીએ . . . .’
(પૃ. ૧૬)

એ જ રીતે ‘પતંગદોર’ કાવ્યને અંતે પ્રેમીકાને ખોયા બાદ પ્રેમી હકારાત્મક વલણ અપનાવે છે :

'જંગલ વચ્ચે દરવાજાનો ટેકો લઈ
જતાં-આવતાં એકલદોકલને જોવા લાગ્યો
હાથ થોડો ઊંચો થઈ
ડાબેજમણે જમણેડાબે સ્હેજ હલી
સૌ ખંતીલા હાથને મળવા લાગ્યો' . . .
(પૃ. ૩૭)

કાવ્ય ‘સરહદ’ની અંતિમ પંક્તિઓ પ્રેમનો વ્યાપ વિસતારીને સુંદર આયામ અર્પે છે :

'વેરવિખેર થયા છે લોકો
વેરવિખેરને પણ જોડી નાખીએ.
(પૃ. ૩૦)

માનવઇતિહાસમાં જગતને સતત સતાવતી હિંસાખોરી, અશાંતિ, અરાજકતા, અસહિષ્ણુતા, વગેરેનો એકમાત્ર ઉકેલ છે અગાપે. આવો પ્રેમ જગતના સર્વમાં પ્રગટો એવી અભ્યર્થના.

—–

* પશ્ચિમમાં કવિ અને બોલનાર વચ્ચેનો સ્પષ્ટ ભેદ કરવામાં આવે છે.

[ઉમેશ સોલંકી, ૨૮ પ્રેમકાવ્યો (કાવ્ય સંગ્રહ). નિર્ધાર પ્રતિબદ્ધ સાહિત્ય મંચ મુદ્રક, ૨૦૧૮. પૃષ્ઠ ૭૧, મુલ્ય : રૂ ૭૦/-]

સૌજન્ય : પરબ, ડિસેમ્બર ૨૦૧૯, પૃષ્ઠ – ૩૯ થી ૪૫, વર્ષ : ૧૪, અંક : ૬, તંત્રી : યોગેશ જોષી, પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ

Loading

...102030...2,5942,5952,5962,597...2,6002,6102,620...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved