Opinion Magazine
Number of visits: 9664427
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—292

દીપક મહેતા|Opinion - Opinion|8 June 2025

બાવલા ખૂન કેસને કારણે ઇન્દોર નરેશે છેવટે રાજગાદી છોડવી પડી      

રાજકારભારનું કામ પૂરું થઈ જાય પછી દીવાનને રોકીને ઇન્દોર નરેશ તુકોજીરાવ હોલકર (ત્રીજા) ઘણી વાર તેમને પૂછતા : આપને શું લાગે છે? હવે શું થશે? જવાબ મળતો : મહારાજ! આપ નાહકની ચિંતા કરો છો. એ ખટલો તો પૂરો થઈ ગયો છે. અને આપ નામદારનો વાળ પણ વાંકો કરવાની મગદૂર કોની છે? એક-બે વાર તો રાજ જ્યોતિષને પણ બોલાવીને પૂછ્યું હતું. તેણે તો તરત રેકર્ડ વગાડવી શરૂ કરી હતી : ‘નામદાર! યાવત્ ચંદ્રદીવાકરૌ, આસમુદ્ર પર્યન્તમ્ …’ ‘બસ કરો. હવે આપ સિધાવી શકો છો.’ ક્યારેક તો રણવાસમાં પણ મોટી અને નાની રાણી સાથે પણ વાત છેડતા. પણ એ બંને તો તરત બાધા-આખડી-માનતા માનવાની વાતો કરતી. 

ઈન્દોરની રાજમુદ્રા

દીવાનજી, રાજ-જ્યોતિષી, રાણીઓની વાત છેક ઉપર ભગવાન સુધી પહોંચી કે નહિ એની તો ખબર નહિ, પણ દિલ્હી સુધી તો ન જ પહોંચી. ૨૬ જાન્યુઆરી ૧૯૨૬ની સવારે સેન્ટ્રલ ઇન્ડિયા પોલિટિકલ એજન્સીના એજન્ટ સર રેજીનાલ્ડ ગ્લેન્સીનો સંદેશો મળ્યો તુકોજીરાવને. ‘વહેલામાં વહેલી તકે આપની મુલાકાત માટે સમય નક્કી કરી જણાવો. આ મુલાકાત વખતે આપણા બે સિવાય બીજું કોઈ હાજર નહિ રહે. હા, આપને દુભાષિયાની જરૂર હોય તો તેને હાજર રાખી શકો છો.’ અલબત્ત, ગ્લેન્સી જાણતા હતા કે તુકોજીરાવ ઇન્દોરની ડેલી કોલેજમાં અને દેહરાદૂનની કોલેજમાં ભણ્યા હતા. એટલે અંગ્રેજી સારું જાણતા હતા. ૧૯૧૧માં રાજા પંચમ જ્યોર્જના રાજ્યાભિષેક સમારંભમાં હાજર રહ્યા હતા, એટલે બ્રિટિશ રીતરસમથી સારી રીતે પરિચિત હતા. છતાં કાનૂની દૃષ્ટિએ દુભાષિયાને તેઓ હાજર રાખી શકે, એટલે એ તક આપવી જોઈએ. દીવાનજી સાથે મસલત કરીને તુકોજીરાવે જવાબ પાઠવ્યો : ‘આવતી કાલે આપને અનુકૂળ સમયે જરૂર પધારો.’

પોલિટિકલ એજન્ટ સર રેજીનાલ્ડ રોબર્ટ ગ્લાન્સી

તુકોજીરાવ અને પોલિટિકલ એજન્ટ વચ્ચેની મુલાકાત થાય એ પહેલાં થોડી વાત સેન્ટ્રલ ઇન્ડિયા એજન્સી વિષે. ૧૮૫૭ પહેલાં જ કંપની સરકારે જુદાં જુદાં દેશી રાજ્યો સાથેના સંબંધ માટે ૧૮૫૪માં જુદી જુદી પોલિટિકલ એજનસીની સ્થાપના કરી હતી. બીજી કેટલીક એજન્સીઓ તે બરોડા એજન્સી, કાઠિયાવાડ એજન્સી, કચ્છ એજન્સી, મહીકાંઠા એજન્સી, વગેરે. દરેક એજન્સીનો વડો તે પોલિટિકલ એજન્ટ. તેનો સીધો સંબંધ વાઈસરોય અને ગવર્નર જનરલ સાથે. તેમની ‘સૂચનાઓ’ રાજાઓ સુધી પહોંચાડવાનું કામ પોલિટિકલ એજન્ટનું. રાજાઓને પણ કોઈ વાત દિલ્હી દરબાર સુધી પહોંચાડાવી હોય તો પોલિટિકલ એજન્ટ મારફત જ પહોંચાડાય. 

માણેકબાગ પેલેસ

૨૭ જાન્યુઆરી ૧૯૨૬. સવારના અગિયાર વાગે પોલિટિકલ એજન્ટ સર રેજીનાલ્ડ રોબર્ટ ગ્લેન્સીની પધરામણી રાજ મહેલમાં થઈ. પહેલાં તો પરંપરાગત રીતે ફૂલના ગુચ્છા અને શાલ વડે તેમની આગતાસ્વાગતા થઈ. દીવાનજી સાથે થોડી આડીઅવળી વાતો થઈ. પછી તુકોજી મહારાજ અને સર ગ્લેન્સી ખાનગી મંત્રણા ખંડમાં ગયા. એ લોકો ગયા પછી દિવાનજીએ બે હાથ જોડી મનોમન પ્રાર્થના કરી : ‘હે ભગવાન! સૌ સારાં વાનાં કરજે!’ લગભગ એ જ વખતે બંધ બારણાં પાછળ સર સાહેબ તુકોજી મહારાજને કહી રહ્યા હતા : ‘નામદાર વાઈસરોયસાહેબે આપને બે દરખાસ્ત મોકલી છે. આપે બેમાંથી એકની પસંદગી કરવાની છે.’ 

‘દરખાસ્ત શી છે એ તો કહો.’ 

‘પહેલી દરખાસ્ત એ કે આપના વારસદારોમાંથી આપની પસંદગીના કોઈ એકને રાજગાદી સોંપીને આપ રાજ્યત્યાગ કરો.’ 

‘અને જો એમ ન કરું તો?’

‘તો ન્યાય અને વ્યવસ્થામાં માનતી બ્રિટિશ સલ્તનતના વફાદાર પ્રતિનિધિ તરીકે નામદાર વાઈસરોયે  આપની વિરુદ્ધ તપાસ કરવા એક ખાસ કમિશન નીમવાનું નક્કી કરવું પડશે.’  

‘કયા ગુના સબબ?’

‘બ્રિટિશ સલ્તનતની રૈયત અબ્દુલ કાદર બાવલાના ખૂનના ગુના સબબ.’

‘એ કેસ અંગેનો બોમ્બે હાઈ કોર્ટનો ચુકાદો તો આવી ગયો છે. હવે એમાં મારું નામ વચમાં કેવી રીતે આવે?’

‘બોમ્બે હાઈ કોર્ટમાં કેસ ચાલ્યો ત્યારે મુંબઈના પોલીસ કમિશનર મિસ્ટર કેલીએ તેમની પાસેના બધા પુરાવા અદાલતમાં રજૂ નહોતા કર્યા. પણ મને તે મોકલ્યા હતા અને મેં નામદાર વાઈસ રોયને મોકલ્યા હતા.’ 

‘કયા પુરાવા અને કઈ વાત? એ બનાવ બન્યો ત્યારે હું તો મુંબઈમાં નહિ, મારા ઇન્દોરમાં હતો. એટલે મારા પર આરોપ શો મૂકી શકશો?’

હા જી. અમે જાણીએ છીએ કે એ દિવસે આપ મુંબઈમાં નહિ, ઇન્દોરમાં હતા. પણ મિસ્ટર અબ્દુલ કાદર બાવલાનું ખૂન કરવાનું ષડયંત્ર ઘડવાનો આરોપ, એને પાર પાડવા માટે આપના રાજ્યના નોકરો અને અધિકારીઓમાંથી કેટલાકની પસંદગી કરવાનો આરોપ, આપની યોજના પાર પાડવા માટે જરૂરી નાણાં પૂરાં પાડવાનો અને બંદૂકો, બીજાં હથિયાર, રેડ મેક્સવેલ મોટર વગેરે પૂરાં પાડવાનો આરોપ, મિસ્ટર બાવલાનું ખૂન મુંબઈમાં થયું તે રાતે જ ભાગીને ઇન્દોર આવેલા ગુનેગારોને આશ્રય આપવાનો આરોપ, બોમ્બે પોલીસના અધિકારીઓ તપાસ માટે ઇન્દોર આવ્યા ત્યારે તેમના કામમાં અવરોધો ઊભા કરવાનો આરોપ, બ્રિટિશ સરકારના ગુનેગારોને આશ્રય આપવાનો આરોપ. In short, aiding and abetting of murder.’

‘બસ, બસ. અને હું રાજગાદીનો ત્યાગ કરું તો?’

‘તો ઇન્ક્વાયરી કમિશન નીમવાનું માંડી વાળશે એવું વચન છે વાઈસ રોય સાહેબનું.’

‘મને વિચાર કરવા માટે સમય આપો.’

‘ભલે, પંદર દિવસમાં આપનો નિર્ણય જણાવવા વિનંતી. હું એ જવાબ નામદાર વાઈસ રોયને પહોંચાડીશ.’ 

પોલિટિકલ એજન્ટ ગયા પછી ઇન્દોર નરેશે તરત દીવાનજીને બોલાવ્યા અને બધી વાત તેમને કહી. દીવાનજી કહે કે આપણી પાસે પંદર દિવસ છે એટલે કોઈ ને કોઈ રસ્તો નીકળી આવશે. તુકોજીની દશા તો સૂડી વચ્ચે સોપારી જેવી થઈ હતી. હજી તો માંડ ૩૬ વરસની ઉંમર. આ ઉમર તો રાજગાદીનાં સુખચેન ભોગવવાની હોય. એ ઉંમરે ગાદી છોડી દેવાની? અને એ પણ એક મામૂલી જુવાનના મોતને કારણે? પણ ગાદી ન છોડું તો રાજ્યમાં, દેશમાં, અને દુનિયામાં ભારોભાર બદનામી. કદાચ સજા પણ ભોગવવી પડે! કારાવાસ … પણ આ ધોળીઆઓ ગાજ્યા મેહ વરસે નહિ, એવા નથી. એ તો ગાજશે ય ખરા અને વરસશે ય ખરા! 

તુકોજી મહારાજે રાજ્ય બહારના જાણકારોની સલાહ લેવાનું નક્કી કર્યું. સર તેજબહાદુર સપ્રુ, સર શિવાસ્વામી અય્યર, અને મેજર ગ્રેહામ પોલને સલાહ લેવા બોલાવ્યા. તેમની સાથે ચર્ચા-વિચારણા કરીને મહારાજાએ પોલિટિકલ એજન્ટને સંદેશો મોકલ્યો : ‘આપણે વચલો રસ્તો કાઢીએ. બે વરસ માટે હું ગ્રેટ બ્રિટન ચાલ્યો જાઉં. મારી ગેરહાજરીમાં રાજ્યનો વહીવટ ચલાવવા માટે આપ નામદાર એક કમિશનની નિમણૂક કરો. તેના રાજ્યવહિવટમાં હું કે મારા કોઈ કુટુંબીજનો દખલ નહિ કરીએ એની બાંહેધરી હું આપું છું.

પણ વાઇસરોયને આ દરખાસ્ત મંજૂર નથી એવો સંદેશો પોલિટિકલ એજન્ટ તરફથી તરત મળ્યો. હવે? પંદર દિવસની મુદ્દતના છેલ્લા દિવસો આવી લાગ્યા. દિવાનની સલાહથી મહારાજાએ પોલિટિકલ એજન્ટને સંદેશો મોકલ્યો : વિચાર કરવા માટે મને વધુ સમય આપો. જવાબ : ભલે, ફેબ્રુઆરીના છેલ્લા દિવસ સુધીમાં તમારો નિર્ણય જણાવો. અને જો નહિ જણાવો તો નામદાર વાઈસરોયે નછૂટકે કમિશનની નિમણૂંક્ની જાહેરાત કરવી પડશે. પોતાનાં બધાં હથિયાર હેઠાં પડ્યાં છે એની ખાતરી તુકોજીરાવને થઈ ગઈ. પોલિટિકલ એજન્ટે આપેલી મુદ્દત ૨૮મી ફેબૃઆરીએ પૂરી થતી હતી. ૨૬મી ફેબ્રુઆરીએ ઇન્દોરના મહારાજ તુકોજીરાવ ત્રીજાએ પોલિટિકલ એજન્ટને સંદેશો મોકલ્યો : ‘મારા પુત્ર યશવંતરાવ હોલકર બીજાની તરફેણમાં હું રાજગાદી છોડવા તૈયાર છું. પણ જો મને વાઈસરોય તરફથી વચન મળે કે મારી સામે કોઈ પણ જાતનાં પગલાં લેવામાં નહિ આવે તો, અને તો જ.’ નામદાર વાઈસરોયે મહારાજાનો આભાર માનીને તેમની માગણી સ્વીકારી. પછી ચાલી લેવડ-દેવડની વાત. બ્રિટિશ સરકાર તરફથી દર વરસે તુકોજીરાવને પાંચ લાખ રૂપિયાનું પેન્શન, મોટાં રાણીને ૧,૬૪,૯૦૦ રૂપિયાનું વર્ષાસન, નાનાં રાણીને ૮૬,૫૦૦ રૂપિયાનું વર્ષાસન. 

ઇન્દોર નરેશ યશવંતરાવ હોલકર બીજા

૧૧ માર્ચ, ૧૯૨૬. સવારે સાત વાગે યશવંતરાવ હોલકર, બીજાની સવારી માણેક બાગથી નીકળીને જૂના રાજવાડા પહોંચી. પિતા તુકોજીરાવે હાર પહેરાવી તેમનું સ્વાગત કર્યું. પરંપરાગત રીતે ધાર્મિક વિધિઓ થઈ. બરાબર ૧૧ વાગ્યે એકવીસ તોપોની સલામી સાથે તુકોજીરાવના દીકરા યશવંતરાવ હોલકર બીજા રાજગાદી પર બેઠા. તુકોજીરાવે પોતે તેમને રાજતિલક કર્યું. અને પછી, નવા રાજાને માન આપવા પાછે પગલે ચાલીને સામે પહેલી હરોળમાં આસન પર બેઠા. 

અને તેમની નજર સામે ભૂતકાળ ખડો થઈ ગયો. ૩૧ જાન્યુઆરી ૧૯૦૩નો એ દિવસ. બાર વરસની ઉંમરે પોતે રાજગાદીએ બેઠા હતા એ દિવસે. પિતા શિવાજીરાવ હોલકર લગભગ કાયમના માંદા. અગાઉ પણ બે-ત્રણ વખત રાજગાદી છોડવાની વાત છેડેલી. પણ દીવાન અને બીજાઓએ રોકેલા. પણ છેવટે વાઈસ રોય લોર્ડ કર્ઝને મંજૂરી આપી અને પિતાએ રાજગાદી છોડી. આજે પોતે રાજગાદી છોડી. પણ પોતાની ઈચ્છાથી નહિ. સમય સમય બળવાન હૈ, નહિ પુરુષ બળવાન! 

નવા રાજા પર સોના-ચાંદીનાં પુષ્પોની વર્ષા થઈ. શરણાઈના સૂર હવામાં લહેરાયા. આખા ઇન્દોર શહેરમાં મીઠાઈ વહેંચાઈ. ગરીબોને અન્ન-વસ્ત્ર વહેચાયાં. રાજ્યાભિષેક વખતે પોલિટિકલ એજન્ટ સર ગ્લેન્સી ખાસ હાજર રહ્યા હતા. પહેલી હરોળમાં બેઠા હતા. દીકરાને રાજતિલક કર્યા પછી તુકોજીરાવ બેઠા ત્યારે ગ્લેન્સી તેમને ભેટીને રડ્યા, અને પછી જવાની મંજૂરી માગી. બહાર નીકળીને જોયું તો તુકોજીરાવના મહેલ પર હજી ઇન્દોર રાજ્યનો ઝંડો ફરકતો હતો. હાજર રહેલા એ.ડી.સી.ને તેમણે હુકમ કર્યો : ‘અત્તર ઘડી તુકોજીરાવના મહેલ પરથી ઇન્દોર રાજ્યનો ઝંડો ઉતરાવી દો. હવે તેમને આ ઝંડો ફરકાવવાનો હક્ક નથી. અને બે-ચાર મિનિટમાં જ તુકોજીરાવના મહેલ પરથી ઇન્દોર રાજ્યનો ઝંડો ઊતરી ગયો.

પ્રિય વાચક! પણ હજી અહીં વાત પૂરી થતી નથી. આગે આગે દેખિયે હોતા હૈ ક્યા. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 07 જૂન 2025 

Loading

પરાક્રમની જે ખ્યાતિ ઈઝરાયેલ ધરાવે છે એ યુક્રેને કરી બતાવ્યું

રમેશ ઓઝા|Opinion - Opinion|8 June 2025

રમેશ ઓઝા

કમાલ કરી. કમાલ પણ પાછી એવા દેશે કરી જે આવી કમાલ કરી શકે એની કોઈએ કલ્પના નહોતી કરી. એ દેશ વિશ્વગુરુ નથી અને હજુ હમણાં જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એ દેશના પ્રમુખ વ્લાદિમીર ઝેલેન્સકીને વ્હાઈટ હાઉસમાં બોલાવીને ઉપ પ્રમુખ સાથે મળીને લતાડ્યા હતા. કોઈ મહેમાન મુલાકાતી નેતાનું પત્રકારો અને કેમેરાની સામે આવું અપમાન કરવામાં આવ્યું હોય એવું જગતના ઇતિહાસમાં પહેલીવાર બન્યું. ટ્રમ્પે કહી દીધું હતું કે તું (ઝેલેન્સી) આક્રમણકારી છે, માથાફરેલો છે, રશિયન પ્રમુખ પુતિનની વાત સાંભળતો નથી એટલે હવે અમેરિકા તને મદદ નહીં કરે. ઝેલેન્સકીએ દબાયા વિના અને ડર્યા વિના અમેરિકન પમુખ અને ઉપ પ્રમુખનો મુકાબલો કર્યો હતો. અમેરિકાને ખનીજ સંપત્તિ આપવાની ના પાડી દીધી હતી. એ પછી એમ લાગતું હતું કે અમેરિકાની મદદ વિના રશિયા સામે યુક્રેન ટકી શકે એ શક્ય જ નથી એટલે દુનિયાભરના રાજકીય નિરીક્ષકોએ એમ માની લીધું હતું કે યુક્રેન યુદ્ધ હારી ગયું છે. હવે માત્ર આબરૂ રાખવા યુદ્ધવિરામની જાહેરાત બાકી છે અને તેને માટેની વાટાઘાટો તુર્કીમાં ઈસ્તંબુલમાં શરૂ થઈ ગઈ હતી. 

અને એની વચ્ચે કમાલ કરી! જગતને લશ્કરી કમાલ બતાવવાનો અત્યાર સુધીનો ઇતિહાસ ઇઝરાયેલનો છે. મુસ્લિમ દેશોની વચ્ચે ઘેરાયેલું ઇઝરાયેલ ટકી રહેવા માટે જે જદ્દોજહદ કરે છે એ જોઇને હિંદુરાષ્ટ્રવાદીઓ ઇઝરાયેલના ઓવારણા લેતા થાકતા નથી. તેમને એ સમજાતું નથી કે ઇઝરાયેલની તાકતનું રહસ્ય શું છે? એ વિજ્ઞાનવિરોધી નથી. એ શિક્ષણ અને શિક્ષિતોથી દૂર ભાગતું નથી. એ ઇતિહાસમાં જીવતું નથી. ઇતિહાસપુરુષોના ખોટા કે સાચા પરાક્રમોને ભૂંજીને ગુજારો કરતું નથી. તેના નેતા બહાદુરીના ખોખલા દાવા કરતા નથી. તે માત્ર અને માત્ર વર્તમાનમાં જીવે છે, કારણ કે ટકી રહેવાનો પડકાર વર્તમાનનો છે. માત્ર ટકી રહેવાનો જ નહીં, બનાવેલી જગ્યા પકડી રાખવાનો, હજુ વધારે જગ્યા બનાવવાનો પડકાર પણ વર્તમાનનો છે. આમાં ગમે એટલો ગૌરવશાળી ઇતિહાસ હોય, કામમાં નથી આવવાનો. વર્તમાન, વર્તમાન અને વર્તમાન. હિન્દુત્વવાદીઓ વર્તમાનથી ડરે છે અને દૂર ભાગે છે. 

ખેર, પરાક્રમની જે ખ્યાતિ ઇઝરાયેલ ધરાવે છે એ યુક્રેને કરી બતાવ્યું અને એ પણ જગતના યુદ્ધના ઇતિહાસમાં નવું પ્રકરણ ઉમેરીને. પશ્ચિમમાં નોર્વેની સરહદથી લઈને પૂર્વે સાઈબિરિયા સુધી ફેકાયેલા રશિયાના પાંચ પ્રદેશ, ચાર ટાઈમઝોન, છથી સાત પાકિસ્તાન સમાઈ શકે એટલો ભૂભાગ અને યુક્રેનથી ચાર હજાર કિલોમીટર અંદર સુધી ઘૂસીને યુક્રેને હુમલા કર્યા. એ હુમલા વિમાન દ્વારા નહોતા કરવામાં આવ્યા. મિઝાઈલ દ્વારા કરવામાં નહોતા આવ્યા. નાનાં વિમાનમાં ગોઠવેલા માનવરહિત ડ્રોન મિઝાઈલ દ્વારા નહોતા કરવામાં આવ્યા, પણ ફોટોગ્રાફી માટે વપરાતાં ડ્રોન દ્વારા કરવામાં આવ્યા હતા અને તેનું રીમોટ દ્વારા સંચાલન યુક્રેનથી કરવામાં આવ્યું હતું. દિલધડક હકીકત એ હતી કે એ ડ્રોન ટ્રક દ્વારા ટાર્ગેટ સુધી મોકલવામાં આવ્યા હતા, ટ્રક પણ રશિયન હતી અને છેક ટાર્ગેટના દરવાજે પહોંચીને ટ્રકમાંથી હજારોની સંખ્યામાં ડ્રોન નીકળ્યાં હતાં અને રશિયન એરબેઝનો ખાત્મો બોલાવ્યો હતો. રશિયાની ત્રીજા ભાગની લશ્કરી તાકાત નષ્ટ કરી હોવાનો યુક્રેન દાવો કરે છે. 

આનો અર્થ એવો નથી કે રશિયા ખતમ થઈ જશે કે હારી જશે. ઘણું કરીને રશિયા યુક્રેનને જડબાતોડ જવાબ આપશે. પણ જેમ શિયાળ સિંહને લાફો મારે અને સિંહનો ચેહરો મોળો પડી જાય એવું તો બન્યું જ છે. ડ્રોન હુમલા પછી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન પ્રમુખ પુતિનને ચક્રમ તરીકે ઓળખાવ્યા છે. ઈસ્તંબુલની વાટાઘાટોમાં રશિયા યુદ્ધવિરામ માટેની શરત વધારતું જ જતું હતું અને યુક્રેને વાટાઘાટોની વચ્ચે હુમલા કરીને ટેબલની દિશા બદલી નાખી. પુતિનને ચક્રમ તરીકે ઓળખાવવાનું કારણ આ છે. અસંસ્કારી નાદાન કી દોસ્તી. ભારતને પણ આનો એકથી વધુ વખત પરિચય થઈ ગયો છે અને ઓપરેશન સિંદુર વખતે અમેરિકાએ યુદ્ધવિરામની ઘોષણા કરીને નરેન્દ્ર મોદીને ભોંઠા પાડવામાં કાંઈ બાકી નથી રાખ્યું. કમ સે કમ વડા પ્રધાન એટલું તો બોલે કે અમેરિકાએ તેની મર્યાદામાં રહેવું જોઈએ અને આંતરરાષ્ટ્રીય ધારાધોરણનું પાલન કરવું જોઈએ. સભ્ય ભાષામાં પણ આ કહી શકાય છે. ઝેલેન્સકી બનવું તો બહુ દૂરની વાત છે. 

ગયા વર્ષે મેં પ્રવીણ સાહનીનું ‘ધ લાસ્ટ વૉર : હાઉ એ.આઈ. વિલ શેપ ઇન્ડિયાઝ ફાયનલ શોડાઉન વિથ ચાઈના’ વાંચ્યું હતું અને એ વાંચ્યા પછી અક્ષરસ: શરીરમાંથી લખલખું પસાર થયું હતું. મેં મારી કોલમમાં એ પુસ્તક વિષે લખ્યું પણ હતું. પ્રવીણ સાહનીએ જે પ્રકારનાં યુદ્ધનું વર્ણન એ પુસ્તકમાં કર્યું છે લગભગ એવું જ યુદ્ધ યુક્રેને લડ્યું. એક પણ સૈનિકને રશિયા મોકલ્યા વિના. એક ટ્રકમાં હજારોની સંખ્યામાં ડ્રોન મોકલી શકાય એટલાં નાનાં ડ્રોન. પ્રવીણ સાહની તો કહે છે કે ચીન પાસે એનાંથી નાનાં ડ્રોન છે અને તમે એ જાણીને ચોંકી જશો કે મધમાખી જેવડાં ડ્રોન અને એ પણ લાખોની સંખ્યામાં. યુક્રેન દાવો કરે છે કે ગયા વરસે તેણે બાવીસ લાખ ડ્રોન બનાવ્યા હતાં અને આ વરસે ૪૫ લાખ ડ્રોન બનાવવાનો ઈરાદો છે. એટલે પ્રવીણ સાહનીએ કહ્યું છે કે જો ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થશે તો એ લાસ્ટ વૉર હશે. તમને એક પણ ચીનો સરહદે નજરે નહીં પડે. સંરક્ષણ નિષ્ણાતો કહે છે કે ડ્રોનના મોરચે ચીન જગતના કોઈ પણ દેશ કરતાં એક દશક આગળ છે. એટલે કે ભારત જો અત્યારે ચીનની બરાબરી કરવા કમર કસે તો ચીનના આજના સ્તરે પહોંચતા દસ વરસ લાગે. ત્યાં સુધીમાં ચીન ક્યાં પહોંચ્યું હોય એ કલ્પનાનો વિષય છે. પ્રવીણ સાહની કહે છે કે ચીને પોતાનો ડ્રોન પ્રોજેક્ટ છૂપાવ્યો પણ નહોતો. ભારત પણ આ જાણે છે, પરંતુ ભારતના અત્યારના શાસકોને ચીન કરતાં ઔરંગઝેબની ચિંતા વધારે છે. એનો ડર વધારે છે. લડાખ ભલે હાથથી જાય, પણ ઔરંગઝેબને ભૂ પીવડાવી દેવું જોઈએ. 

ઓપરેશન સિંદૂર વખતે પહેલાં બે દિવસ તો અમેરિકાએ કોઈ રસ નહોતો લીધો. પણ ત્રીજા દિવસે જ્યારે ખબર પડી કે ચીનની આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ યુક્ત લશ્કરી સહાય પાકિસ્તાનને મળી રહી છે અને એ પણ સક્રિય પણે ત્યારે અમેરિકાએ ભારત પર દબાણ કરીને બારોબાર યુદ્ધવિરામની જાહેરાત કરી દીધી હતી. ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરતા પહેલાં ચીનના એન્ગલનો વિચાર નહોતો કર્યો. 

અહીં એક યાદ અપાવવી જરૂરી છે. સોવિયેત રશિયાનું વિઘટન થયું અને યુક્રેન સ્વતંત્ર દેશ બન્યો ત્યાર પછી ૧૯૯૪માં યુક્રેન, રશિયા, અમેરિકા અને બ્રિટન વચ્ચે એક લેખિત સમજૂતી થઈ હતી કે યુક્રેન તેની પાસેનાં અણુશ્સ્ત્રોનો અંત લાવશે અને સામે જો કોઈ દેશ યુક્રેન પર ચડાઈ કરશે તો આ ચાર દેશ યુક્રેનની પડખે ઊભા રહેશે. ફ્રાન્સે એ સમજૂતીને ટેકો આપ્યો હતો યુક્રેનની મદદમાં ઊભા રહેવાની ગેરંટી આપી હતી. એ એક છેતરપિંડી હતી એમ યુક્રેન માને છે. સત્તાવાર રીતે યુક્રેન પાસે અણુશસ્ત્રો નથી એટલે લશ્કરી સંતુલનનો લાભ યુક્રેનને મળતો નથી અને એના અભાવમાં યુક્રેને ડ્રોનનો માર્ગ અપનાવીને જડબેસલાક તમાચો મારી દીધો. અણુશસ્ત્રો ધરાવતા દેશ પર અણુશસ્ત્રો નહીં ધરાવતા દેશે વ્યાપક હુમલા કર્યા. પાંચ પ્રદેશ, ચાર ટાઈમઝોન અને ચાર હજાર કિલોમીટર અંદર સુધી. આને કહેવાય ખમીર. 

ગોપનીયતા કમાલની હતી. યુક્રેનની જાસૂસી એજન્સી સિક્યુરિટી સર્વિસ ઓફ યુક્રેન દોઢ વરસથી ડ્રોન હુમલાની તૈયારી કરતી હતી. બાવીસ લાખ ડ્રોન બનાવ્યાં અને એટલી બારીક ચોકસાઈ સાથે ઓપરેશન કર્યું અને જગતમાં કોઈને જાણ પણ ન થઈ. ચેલાઓએ ગુરુને તમાચો માર્યો. જ્યારે સોવિયેત રશિયા અખંડ હતું ત્યારે રશિયન ગુપ્તચર સંસ્થા કે.જી.બી.નું નેતૃત્વ અત્યારના રશિયન પ્રમુખ પુતિન કરતા હતા. સિક્યુરિટી સર્વિસ ઓફ યુક્રેનના સીનિયર અધિકારીઓ પુતિનના હાથ નીચે તૈયાર થયા છે. 

માઈક્રો ડ્રોન યુદ્ધ ભારત માટે અને દુનિયાના દેશો માટે ગંભીર ચિંતાનો વિષય છે. માત્ર પચાસ હજારની કિંમતમાં બનતું ડ્રોન ત્રાસવાદીઓના હાથમાં જઈ શકે છે. ઓછી ઘાતક ક્ષમતાવાળા (લો ઇન્ટેન્સીટી) અનેક હુમલા એક સાથે નાગરિકો પર થઇ શકે છે. ઓછા ખર્ચે અને વગર માનવીએ મોટી ખુવારી શક્ય છે. જો ગંભીરતા સમજાતી હોય અને ભવિષ્યની ચિંતા હોય તો સત્તા માટે હિંદુ મુસ્લિમ કરવાની જગ્યાએ વર્તમાનમાં ઝડપથી બદલાતી વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ. આંખ ઉઘાડનારા ટીકાકરોને ગાળો દો અને ઉઘાડી વાસ્તવિકતાથી મોઢું ફેરવી લો તો એનાથી નથી વાસ્તવિકતા બદલવાની કે નથી તેનો અંત આવવાનો. તમે તક ગુમાવી દેશો એ નક્કી વાત છે.  

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 જૂન 2025

Loading

એક પગલું સ્રી-શક્તિ તણું

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|7 June 2025

હોલ તાળીઓથી ગુંજી રહ્યો હતો. અનિતાબાનો જયજયકાર થઈ રહ્યો હતો. અનિતાબા સ્થિતપ્રજ્ઞ થઈને ખુરશી પર બેઠાં હતાં. અનિતાબા એટલે નારી સુરક્ષા કેન્દ્રનાં સર્વેસર્વા હતાં. તેમનો પડ્યો બોલ ઝીલવા સહુ કોઈ તૈયાર રહેતા. આમ તો અનિતાબા તેનો જન્મદિવસ ક્યારે ય ન ઉજવતાં. છેલ્લે ક્યારે ઉજવ્યો હતો, એ પણ તેમને યાદ નહોતું. પણ નારી સુરક્ષા કેન્દ્રનાં ટ્રસ્ટીઓ અને નારી સુરક્ષા કેન્દ્રમાં રહેતાં લોકોનો ખૂબ આગ્રહ હતો. એટલે હા કહી હતી. અનિતાબા કંઈક વિચારમગ્ન થઈને અતિતની સફરે નીકળી ગયાં હતાં. અનિતાબા એ અનિતામાંથી અનિતાબા બનવા માટે બહુ લાંબી અને વિકટ પરિસ્થિતિ પસાર કરી હતી.

અનિતાબહેનનાં માતા-પિતા નાનપણમાં જ મરણ પામ્યાં હતાં. કાકા-કાકી અને મામા-મામી સાથે જેમતેમ સમય પસાર કરીને સ્કૂલનો અભ્યાસ પૂરો કરી, આગળના અભ્યાસ માટે વુમન્સ હોસ્ટેલમાં રહેતાં હતાં. અત્યાર સુધી કાકા-કાકી અને મામા-મામી પર બોજ હતો, પણ અનિતાબહેને વિચાર્યું કે જિંદગી લાંબી છે. બીજાના સહારે થોડો સમય જાય,આખી જિંદગી ન જાય. તેમણે પગભર થવા ઘરે-ઘરે ટ્યુશન ભણાવવાનું શરૂ કર્યું. પણ, બધે ઘરનો માહોલ એક સરખો નહોતો; ક્યારેક જાત સંભાળવી અઘરી થઈ જતી હતી. અનિતાબહેન મજબૂત મનોબળ અને હિંમતવાન હતાં એટલે પરિસ્થિતિનો સામનો કરી, સુરક્ષિત નીકળી જતાં હતાં. કોલેજનો અભ્યાસ પૂરો કરી, સારી નોકરીની શોધ ચાલુ કરી. દરેક જગ્યાએ ઇન્ટરવ્યૂ સારો જતો, પણ એપોઇન્ટમેન્ટ લેટર આવતો નહોતો. અંતે અનિતાબહેનને એક સારી કંપનીમાં નોકરી મળી ગઈ. એકલા જ હતાં એટલે વિમેન્સ પેઇંગ ગેસ્ટ હાઉસમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેવાનું શરૂ કરી દીધું.

એક દિવસ ઓફિસેથી નીકળતા મોડું થઈ ગયું. અનિતાબહેન તેના સ્કૂટર પર ગેસ્ટ હાઉસ જઈ રહ્યાં હતાં. તેણે જોયું કે બે બાઈક સવાર તેનો પીછો કરી રહ્યા છે. રાત્રીનો નવ વાગ્યા જેવો સમય હતો. રસ્તો પરથી એકલ દોકલ વાહન નીકળતા હતા. બે બાઇક સવાર તેનો જ પીછો કરે છે કે તેને મનમાં શંકા છે, એ જાણવા અનિતાબહેન ફોન કરવાના બહાને એક જગ્યાએ ઊભા રહ્યાં, એટલે બંને બાઇકચાલક પણ ઊભા રહી ગયા. અનિતાબહેનને સમજાઈ ગયું કે એ લોકો તેનો જ પીછો કરી રહ્યા છે. અનિતાબહેને હિંમત હાર્યા વગર સ્કુટરની સ્પીડ વધારી, એક સૂમસામ લાગતી જગ્યાએ બંને બાઇકસ્વારે  અનિતાબહેનને ઘેરી લીધા. અનિતાબહેને જોયું તો સામે નારી સુરક્ષા કેન્દ્ર હતું એટલે થોડી હિંમત વધી કે આ લોકો સાથે હું મારામારી કરીશ એટલે દેકારો થશે; એ સાંભળીને ત્યાંથી મારી મદદે  કોઈક તો બહાર આવશે.

બંને બાઇકવાળા અનિતાબહેન પાસે આવ્યા. થોડી હાથા પાઈ થઈ ત્યાં ન જાણે ક્યાંથી એક લાકડી અનિતાબહેનના પગ પાસે આવીને પડી. અનિતાબહેને એ ઉઠાવીને પોતે શીખેલ લાઠી દાવથી બંનેને મારીને મારીને અધમૂઆ કરી નાખ્યા. બંને મોત ભાળી જતા ભાગી ગયા. ઝપાઝપીમાં અનિતાબહેનને વાગ્યું હતું અને લોહી નીકળી રહ્યું હતું. થાકી ગયાં હતાં એટલે એક ઓટલે બેસી ગયાં.

પાંચ મિનિટ પછી અનિતાબહેને જોયું તો એક વયસ્ક મહિલા નારી સુરક્ષા કેન્દ્રમાંથી તેની તરફ આવી રહ્યાં હતાં. પાસે આવીને કહ્યું, “દીકરી, તને બહુ વાગ્યું છે. લોહી પણ નીકળે છે. ચાલ તને ડ્રેસિંગ કરી દવા આપું. હું, આ નારી સુરક્ષા કેન્દ્રની કેરટેકર છું.” અનિતાબહેનને પણ સારવારની જરૂર હતી.

અનિતાબહેને વયસ્ક મહિલાને પૂછ્યું, “તમને જ્યારે ખબર હતી કે હું એકલી આ બે મવાલી સામે લડી રહી છું, ત્યારે મારી મદદે કેમ ન આવ્યાં. આવું બને ત્યારે લોકો મદદ કરવાને બદલે વીડિયો ઉતારવામાં વ્યસ્ત હોય છે; એમ તમે તમાશો જોતા હતાં? તો, પછી આ નારી સુરક્ષા કેન્દ્રનાં નામનો શું અર્થ છે?”

“દીકરી, તારો પ્રશ્ન ખૂબ વ્યાજબી છે. અમે તમાશો નહોતાં જોતાં, આ લાઠી પણ મેં જ તારી પાસે ફેંકી હતી. મારે જોવું હતું કે સ્રી શશક્તિકરણની વાતો કરીએ છીએ, તો શું ખરેખર સ્રી શક્તિમાન બની છે ખરી? બીજું તારી હિંમત અને નીડરતા જોતાં મને ખાતરી થઈ ગઈ હતી કે તારે મદદ નહીં, પણ હથિયારની જરૂર છે. દીકરી, આ લાઠી દાવ તું ક્યાંથી શીખી?”

“તમે તમારું નામ નથી કહ્યું પણ હું તમને બા કહીશ. બા, લોકો ગામડાંને ખોટા વગોવે છે કે ગામડામાં શિક્ષણનું સ્તર નીચું હોય છે. પણ, બા, અમારી સ્કૂલમાં અમને બધાને શિક્ષણ સાથે ફરજિયાત સ્વરક્ષણ માટેની બધા પ્રકારની તાલીમ આપવામાં આવી હતી. મારી પાસે અહીંયા લાઠી નહોતી, જેની કમી તમે પૂરી કરી દીધી એટલે એ બે વ્યક્તિ હોવા છતાં હું તેને પહોંચી વળી.”

“શાબાશ, દીકરી, તું ક્યાં રહે છે? મારી ઈચ્છા છે કે તું અહીંયાંની સ્રીઓને સ્વ-સુરક્ષા માટેની બધાં પ્રકારની તાલીમ આપ. જેથી અહીંયાની સ્રીઓ તારી જેમ બહાદુર અને નીડર બને.”

“બા, હું તો એકલી છું. અત્યારે વિમેન્સ પેઈંગ ગેસ્ટહાઉસમાં પેઇંગગેસ્ટ તરીકે રહું છું.”

“તો, તું, અહીંયા અમારી સાથે રહેવા આવી શકે? મારે તારી જેવી દીકરીની જરૂર છે.”

અનિતાબહેન નારી સુરક્ષા કેન્દ્રમાં રહેવાં આવી ગયાં અને નારી સુરક્ષા કેન્દ્રનું એક અંગ બની ગયાં. નારી સુરક્ષા કેન્દ્રમાં અનેક પ્રકારના પ્રશ્નનોને લીધે સ્રીઓએ આશરો લીધો હતો. તેમાં એવી પણ સ્રીઓ હતી કે જેણે પોતાના કુટુંબને હેરાન કરવા માટે ખોટા આરોપ મૂકીને આવી હતી. આવા જુદાજુદા પ્રકારના પ્રશ્નનોનું અનિતાબહેને સ્રી સન્માન જળવાય એ રીતે સમાધાન કાઢી, નારી સુરક્ષા કેન્દ્રમાં પોતાનું આભા વર્તુળ ઊભું કરી દીધું હતું. અનિતાબહેન જેને બા કહેતાં હતાં એ પણ બધું અનિતાબહેનને સોંપીને ચિંતામુક્ત થઈ ગયાં હતાં.

અનિતાબહેને, નારી સુરક્ષા કેન્દ્રની સ્રી સાથે બીજી સ્રીઓને, દીકરીઓને પ્રશિક્ષણ આપવાનું શરૂ કર્યું. કેન્દ્રમાં જુદા જુદા વિષયનાં તજ્જ્ઞોને આમંત્રિત કરી, એ વિષયોનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું. અનિતાબહેન માનતાં સ્રીઓએ, દીકરીઓએ એક જ દિશા નારીશશક્તિકરણની જ નહીં પણ દરેક ક્ષેત્રમાં સશક્ત બનવું પડે. અનિતાબહેન, નારી સુરક્ષા કેન્દ્રના પર્યાય બની ગયાં હતાં.

“અરે! બા ક્યાં ખોવાઈ ગયાં? ચાલો દીપ પ્રાગટ્ય કરો.”

“મોટાબા ક્યાં છે? દીપ પ્રાગટ્ય તો મોટાબાના હાથે થશે.”

“સારું, પછી તમે સંબોધન કરશો ને? બધાં તમને સાંભળવા તલપાપડ છે.”

“હા. હું જરૂરી વાત કરીશ.”

“આજે મારે અહીંયા હાજર દરેક દીકરી અને સ્રીને કહેવું છે કે તમારી લડાઈ તમારે જ લડવાની છે. ગીતામાં શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું હતું, `પાર્થ, હું તારા રથનો સારથિ છું, પણ આ યુદ્ધ તારું છે અને એ તારે જ લડવાનું છે.` એમ આપણે જ આપણી સુરક્ષા કરવાની છે. તમારામાં બેઠેલો અબળાનો ભય કાઢી નાંખો એટલે સબળા તેનું કામ કરશે જ. તે, દિવસે જો હું ડરી ગઈ હોત, તો આજે અહીંયા ન હોત. મને લાઠી બાએ આપી હતી, પણ તેનો ઉપયોગ તો મારે જ કરવાનો હતો. ટૂંકમાં મારે એટલું જ કહેવું છે કે દરેક સ્રી, રાણી લક્ષ્મીબાઈ ,ઝાંસી કી રાણી અને ચાંદ બીબી છે. બસ, આપણી માનસિકતા બદવાની જરૂર છે. પુરાણોમાં પણ સ્રી શક્તિના અનેક ઉદાહરણ મળે છે. એ આપ સૌ જાણો છો. મેં જેમ એક પગલું અંધકારમાંથી સ્વ-પ્રકાશમાં મૂક્યું એમ તમે સૌ પણ તમારા સ્વ-પ્રકાશ તરફ આગળ વધો …….

હોલ તાળીઓ અને અનિતાબાની જય અને હેપી બર્થડેના નારાથી ગુંજી ઉઠ્યો.

ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848@gmail.com

Loading

...102030...256257258259...270280290...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved