Opinion Magazine
Number of visits: 9456559
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શ્યામ બેનેગલનું અદ્દભુત સર્જન ‘ભારત એક ખોજ’ 

સોનલ પરીખ|Opinion - Opinion|10 February 2025

શ્યામ બેનેગલ

સ્વયં કર્મ બની જાઓ, તો કર્મ દીપે. સર્જકમાં ભરપૂર વસ્તુનિષ્ઠા અને ભરપૂર સંવેદનશીલતા બંને જોઈએ. વસ્તુનિષ્ઠ ન રહે તે સર્જક વિષયને પોતાની માન્યતાઓ અને દૃષ્ટિથી રંગી નાખે અને જો સંવેદનશીલ ન હોય તો વિષય સાથે એકરૂપ થઈ ન શકે.  

— શ્યામ બેનેગલ 

શ્યામ બેનેગલે આપણને ઘણું આપ્યું અને જે આપ્યું, અદ્દભુત આપ્યું. પદ્મભૂષણ, દાદાસાહેબ ફાળકે અને અઢાર નેશનલ પુરસ્કારો સહિત અઢળક સન્માનો, એ સન્માનો સન્માનિત થાય એ રીતે મેળવ્યાં. એમના વિષે જેટલું લખીએ, ઓછું પડે. વાત કરીએ શ્યામ બેનેગલ દિગ્દર્શિત ધારાવાહિક ‘ભારત એક ખોજ’ની.

‘સૃષ્ટિ સે પહલે સત નહીં થા, અસત ભી નહીં  

અંતરીક્ષ ભી નહીં, આકાશ ભી નહીં થા

છિપા થા ક્યા, કહાં, કિસસે ઢકા થા

ઉસ પલ તો અગમ અતલ જલ ભી કહાં થા’ 

આ પંક્તિઓ આમ તો ઋગ્વેદના એક શ્લોકનો અનુવાદ છે, પણ એક આખી પેઢી એને દૂરદર્શન ધારાવાહિક ‘ભારત એક ખોજ’ના પ્રારંભગીત તરીકે ઓળખે છે. ‘ભારત એક ખોજ’ એટલે પંડિત જવાહરલાલ નહેરુના પુસ્તક ‘ધ ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’ પરથી બનેલું ધારાવાહિક, જેને ટેલિવિઝન ઇતિહાસના આજ સુધીના શ્રેષ્ઠ રૂપાંતર તરીકે ઓળખવામાં આવે છે. તેનું દિગ્દર્શન શ્યામ બેનેગલે કર્યું હતું. ‘ભારત એક ખોજ’ ભારતનો ઇતિહાસ શીખવવા માટેનું ઉત્તમ માધ્યમ મનાતી અને શિક્ષકો વિદ્યાર્થીઓને એ જોવાની ભલામણ કરતા. 14 નવેમ્બરે આવતા પંડિત નહેરુના જન્મદિન ‘બાલદિન’ નિમિત્તે યાદ કરીએ પંડિત નહેરુ, શ્યામ બેનેગલ અને દૂરદર્શનને.  

1942થી 45 દરમ્યાન બ્રિટિશ સરકારે પંડિત નહેરુને મહારાષ્ટ્રની અહમદનગર ફૉર્ટ જેલમાં કેદ રાખ્યા હતા ત્યારે એમણે ‘ધ ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’ પુસ્તક લખ્યું હતું. 1946માં એની પહેલી આવૃત્તિ બહાર પડી. લગભગ 600 પાનાં અને 10 પ્રકરણના આ પુસ્તકની શરૂઆત પ્રાચીન ભારતથી થાય છે અને બ્રિટિશ સામ્રાજ્ય સાથે એનો અંત આવે છે. ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ અને દર્શનનું એક વ્યાપક ચિત્ર એમાં જોવા મળે છે. તેઓ કહે છે, ‘ભારતમાતા કી જય’ એવું બોલીએ છીએ, પણ ભારતમાતા એટલે કોણ અને એની જય શા માટે થવી જોઈએ એ સમજીએ છીએ ખરા? ભારત એક પુરાતન સંસ્કૃતિ ધરાવતો દેશ છે અને તેને સ્વતંત્રતા અને સાર્વભૌમત્વનો અધિકાર છે, એની વિશ્વને જાણ થવા દો.’ 

એક જમાનો હતો જ્યારે ભારત સરકાર દૂરદર્શન દ્વારા ‘આખા દેશના લોકો આ જુએ છે’ એવી જવાબદારી સાથે સ્વચ્છ અને સંસ્કારી મનોરંજન પીરસતી. વર્ષો સુધી દૂરદર્શનની એક જ ચેનલ હતી. એ સમયે બનતા ધારાવાહિકો માત્ર દૂરદર્શન માટે નહીં, સમગ્ર ભારત માટે માઈલસ્ટોન સમાં હતાં. 1984-85માં ધારાવાહિક ‘હમ લોગ’ આવ્યું અને 1986માં ‘બુનિયાદ’. 1987માં ‘રામાયણ’ અને 1988માં ‘મહાભારત’ પ્રસારિત થવા લાગ્યા. જે રીતે આ શ્રેણીઓએ ઘર-ઘરમાં પોતાનું સ્થાન જમાવ્યું એ જોઈ સરકારે એવી સિરિયલ પ્રસારિત કરવાનું નક્કી કર્યું જેમાં આપણા વિશાળ દેશનો ઇતિહાસ હોય. ઘર ઘરમાં દરેક નાગરિક સુધી આ પુરાતન વારસો પહોંચવો જોઈએ. 

પણ આ વિરાટ વિષય પર સિરિયલ બનાવશે કોણ? પસંદગીનો કળશ સમાંતર સિનેમાના અગ્રણી શ્યામ બેનેગલ પર ઢોળાયો. શ્યામ બેનેગલને ‘મહાભારત’ બનાવવામાં રસ હતો, પણ એ કામ બી.આર. ચોપરાને સોંપાઈ ચૂક્યું હતું. તેમણે ભારતના ઇતિહાસ પરથી સિરિયલ બનાવવાની ઑફર સ્વીકારી અને આધાર બન્યું ‘ધ ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’ પુસ્તક. 

અને શ્યામ બેનેગલ કામે લાગ્યા. જબરદસ્ત હતી એમની ટીમ. એમાં 15 ઇતિહાસકારો હતા જે દરેક એપિસોડમાં માર્ગદર્શન આપતા. તેની પટકથા, સ્ક્રીપ્ટ રાઈટર અને કૉસ્ચ્યુમ ડિઝાઈનર શમા જૈદી અને લેખક-અભિનેતા અતુલ તિવારીએ તૈયાર કરી હતી. આ બન્નેના હાથ નીચે 25 લેખકો કામ કરતા હતા. 5,000 વર્ષના ઇતિહાસને સમાવવાનો હતો એટલે દરેક કાળના વિશેષજ્ઞોની સલાહ લેવાતી. આવા 40 વિશેષજ્ઞો પણ શ્યામ બેનેગલની ટીમનો હિસ્સો હતા. આ આખી ટીમ 10,000 પુસ્તકો વચ્ચે બેઠી અને કામ શરૂ કર્યું. ત્રણ વર્ષ પછી 1988ના નવેમ્બરની 14 તારીખે, પંડિત નહેરુના જન્મદિને પહેલો એપિસોડ પ્રસારિત થયો. દર રવિવારે 11 વાગ્યે આ સિરિયલ પ્રસારિત થતી. દરેક એપિસોડ 60થી 70 મિનિટનો રહેતો. 

સિરિયલમાં ઓમ પુરી, આલોક નાથ, પિયુષ મિશ્રા, પલ્લવી જોશી, શબાના આઝમી, અમરિષ પુરી, નાસિરુદ્દીન શાહ જેવા કલાકારો હતાં. અનેક કલાકારોની કારકિર્દીની શરૂઆત ‘ભારત એક ખોજ’થી થઈ હતી. એક અંદાજ મુજબ 350 જેટલા કલાકારોએ આ સિરિયલથી પોતાની કારકિર્દી શરૂ કરેલી. મોટા ભાગના કલાકારો નેશનલ સ્કૂલ ઑફ ડ્રામાના હતા. સૂત્રધાર તરીકે સ્વયં નહેરુને બતાવવામાં આવ્યા, એમનું પાત્ર રોશન શેઠે કર્યું હતું. અમુક એપિસોડના સૂત્રધાર ઓમ પુરી હતા. 140થી વધુ સેટ બનાવાયા હતા. શૂટિંગમાં લોકસંગીત, લોકનૃત્ય, શાસ્ત્રીય નૃત્યપરંપરા જેવા વિવિધ માધ્યમોનો સર્જનાત્મક ઉપયોગ થયો હતો. આખો શો ડૉક્યુમેન્ટરી સ્ટાઈલનો હતો પણ અનેક સ્થળે નાટ્ય-પ્રભાવ હતો. 

‘ધ ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’ અહમદનગરની જેલમાં લખાઈ હતી. ભારત છોડો આંદોલન પછી બ્રિટિશ સરકારે લગભગ બધા આગેવાનોને કેદ કર્યા હતા. અહમદનગર જેલમાં પંડિત નહેરુ સાથે મૌલાના અબુલ કલામ આઝાદ, ગોવિંદ વલ્લભ પંત, નરેન્દ્ર દેવ અને અસફ અલી હતા. આ સૌ ભારતના ઇતિહાસ અને વર્તમાન વિષે ઊંડું જ્ઞાન ધરાવતા. તેઓ પંડિતજીના લખાણનું પ્રુફ વાચન કરી આપતા અને સર્જનાત્મક સૂચનો પણ કરતા. પુસ્તકની પ્રથમ આવૃત્તિ 1946માં પ્રગટ થઈ હતી. 

જેલમાં લખાયેલાં પુસ્તકોની સંખ્યા નાની નથી. અલાબામાની બર્મિંગહામ જેલમાંથી માર્ટિલ લ્યૂથર કિંગ જૂનિયરે લખેલા પુસ્તકનું નામ છે, ‘લેટર ફ્રોમ બર્મિંગહામ સિટી જેલ’. એમનું વિધાન ‘ઈનજસ્ટિસ એનીવ્હેર ઈઝ અ થ્રેટ ટુ જસ્ટિસ એવરીવ્હેર’ આ પુસ્તકનો ભાગ છે. યુરોપની પહેલી આધુનિક નવલકથા ગણાતી ‘ડૉન કિહોટે’નું બીજ જેલમાં રોપાયેલું. અમેરિકન કવિ એઝરા પાઉંડનું 120 ખંડમાં વહેંચાયેલું દીર્ઘ કાવ્ય ‘પિસન કૅન્ટોન’, નેલ્સન માંડેલાનું ‘ધ કન્વર્ઝેશન ટુ માયસેલ્ફ’, ઓસ્કાર વાઈલ્ડનું ‘દ પ્રોફાઉન્ડિસ’ જેલમાં લખાયાં હતાં. મહાત્મા ગાંધીએ ‘આરોગ્યની ચાવી’ અને ‘મંગળ પ્રભાત’ જેલમાં લખ્યાં હતાં. વિનોબાજીનાં ગીતા પ્રવચનો જેલમાં અપાયાં હતાં. હિટલરની આત્મકથા પણ જેલમાં લખાઈ હતી.

2014માં શ્યામ બેનેગલે ‘સંવિધાન: ધ મેકિંગ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા’ રૂપે ફરી એક ઐતિહાસિક પ્રદાન આપ્યું, શ્યામ બેનેગલ દિગ્દર્શિત દસ-ભાગની આ ટેલિવિઝન મીની-સિરીઝના લેખકો પણ શમા ઝૈદી અને અતુલ તિવારી છે. પટકથા તૈયાર કરતા પહેલા મહિનાઓ સુધી તેમણે સંવિધાનસમિતિની  બેઠકો, ચર્ચાઓ, ભાષણો અને જીવનચરિત્રોનો અભ્યાસ કર્યો હતો. ભારતના સ્વાતંત્ર્યસેનાનીઓનાં ઘણા પ્રખ્યાત ભાષણો શ્રેણીમાં સમાવાયા છે. શ્રેણી જેટલી માહિતીપૂર્ણ હતી તેટલી જ રસપ્રદ પણ હતી. એની વિગતે વાત ફરી ક્યારેક કરીશું. ભારતના દરેક નાગરિકે આ બંને શ્રેણીઓ જોવી જ જોઈએ.

શ્યામ બેનેગલ ઘણી વાર ગીતાની ‘યોગસ્થ કુરુ કર્માણી’ પંક્તિ ટાંકતા. એમાંથી એમણે જીવનમંત્ર મળ્યો હતો, ‘સ્વયં કર્મ બની જાઓ.’ ‘સર્જકે બને તેટલા વસ્તુનિષ્ઠ અને સંવેદનશીલ રહેવાનું હોય છે. વસ્તુનિષ્ઠ ન રહે તે સર્જક વિષયને પોતાની માન્યતાઓ અને દૃષ્ટિથી રંગી નાખે છે અને સંવેદનશીલ ન હોય તો વિષય સાથે એકરૂપ થઈ શકતો નથી.’ 

‘ભારત એક ખોજ’ના અંતિમ એપિસોડના અંતે પંડિતજી કહે છે, ‘આપણે શું છીએ અને દેશને કેવો બનાવવા માગીએ છીએ તેના પર આપણા ભવિષ્યનો આધાર છે.’ અને ગુરુદેવ ટાગોરની પંક્તિઓનો સુંદર હિંદી અનુવાદ ભારતભૂમિનાં ભવ્ય સૌંદર્ય સાથે ટી.વી.ના પડદા સાથે દર્શકોના મનમાં ગુંજી રહે છે, 

‘જહાં ચિત્ત ભયહીન, જહાં પર ઊંચા રહતા માથા હો

જહાં ન ધરતી કો ટુકડો મેં દીવારોં ને બાંટા હો

જહાં મુક્ત હો જ્ઞાન, સત્ય સે વારિ આલોકિત હો

ઉસી લોક મેં દેશ હમારા ભારત ચિરજાગ્રત હો …’

આ ભાવના, આ પ્રાર્થના શ્યામ બેનેગલના ચિત્તમાં પણ રમતી હતી. આપણાં અને આપણી નવી પેઢીનાં ચિત્તને પણ એ અજવાળતી રહે, નવા વર્ષના આ પહેલા લેખમાં એ જ શુભકામના વ્યક્ત કરું છું.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 05 જાન્યુઆરી  2025

Loading

‘લેખકે કરસનદાસ મૂળજીની યાદ અપાવે તેવું કામ કર્યું છે !’

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|10 February 2025

રમેશ સવાણી

સ્વામિનારાયણ પંથ દ્વારા વર્ષોથી ચલાવવામાં આવી રહેલી છેતરપીંડી અને તેના અનેક પ્રકારના દુરાચારોને આધાર-પુરાવા સાથે ખુલ્લા પાડતા પુસ્તક ‘છળકપટ’નો પ્રકાશન સમારંભ 9 ફેબ્રુઆરી 2025ના રોજ નવજીવન સંકુલના જિતેન્દ્ર દેસાઈ સભાગૃહમાં યોજાયો હતો.

આ પુસ્તક, લેખકને આપણા સમયના કરસનદાસ મૂળજી ગણવા પ્રેરે છે. ઓગણીસમી સદીના નિર્ભિક પત્રકાર કરસનદાસે તેમના સમાચાર પત્ર ‘સત્યપ્રકાશ’માં વૈષ્ણવ સંપ્રદાયના દુરાચારોને ખુલ્લા પાડ્યા હતા. કરસદાસ પછી જવલ્લે જ કોઈ લેખક / પત્રકારે આવું કામ કર્યું હશે (મારી ટૂંકી માહિતી મુજબ), તે આટલાં વર્ષે રમેશ સવાણીએ કર્યું છે.

‘છળકપટ’ પુસ્તકના 79 તેજાબી પ્રકરણોમાંથી કેટલાંકના મથાળા પરથી પણ પુસ્તકની તાકાતનો નિર્દેશ મળી શકે : સ્વામિનારાયણ ધર્મ કહે છે અમે હિન્દુ ધર્મનો ભાગ નથી ! (પ્રકરણ 27). સહજાનનંદજીએ શિવને, કૃષ્ણને, રામને નીચા દેખાડવાનો પ્રયત્ન શા માટે કર્યો હશે?(પ્રકરણ 18). જો સહજાનંદજી ‘સર્વોચ્ચ ભગવાન’ હોય અને BAPS સ્વામી ‘પ્રગટ બ્રહ્મસ્વરૂપ’ હોય તો બોરસદની સામાન્ય કોર્ટનો આશરો લેવો પડે? (પ્રકરણ 4). સ્વામિનારાયણ સંપ્રદાયને આઝાદીની લડત કે માનવીના ગૌરવની લડતમાં સહેજ પણ રુચિ ન હતી! 

કોર્ટે જેમને તડીપાર જાહેર કરેલા તે યજ્ઞપુરુષદાસ પ્રગટ બ્રહ્મસ્વરૂપ બની ગયા ! (પ્રકરણ-9). સ્વામિનારાયણના પાંચ સ્વામીઓને ફાંસીની સજા કેમ થઈ હતી (પ્રકરણ 70). સરદાર પટેલ બોલ્યા : ‘ખટપટ કરે, અદાલતે ચડે તેવા સાધુઓ આ લોકમાં કે પરલોકમાં આપણું ભલું કરી શકે નહીં!’ (પ્રકરણ 14). સાધુઓના સેક્સકાંડ સર્વોપરી ભગવાન કેમ અટકાવી શકતા નથી?(પ્રકરણ 61). ન્યુજર્સીના સ્વામિનારાયણ મંદિર પર એફ.બી.આઇ.એ રેઈડ કેમ પાડી? (પ્રકરણ 63). પ્રમુખસ્વામી પાસે ટેક્નોક્રૅટ અને વિજ્ઞાનીએ જ્ઞાન ગ્રહણ કર્યું હતું, તમને નથી દેખાતું ? (પ્રકરણ 24) સ્વામિનારાયણ સંપ્રદાય શા માટે દલિતોના ઉદ્ધારનાં જૂઠાણાં ફેલાવતો હશે? (પ્રકરણ 36). બે સ્વામીઓ અક્ષરધામને પામવા માટે ઝગડે છે કે સત્તાપ્રાપ્તિ અને ધનપ્રાપ્તિ માટે? (પ્રકરણ 55), ધર્મગુરુઓ આપણને વર્ષ 1517માં ધકેલી રહ્યા છે? (પ્રકરણ 79).

પુસ્તકનું સત્ય બધી રીતે બળવાન પંથના સત્તાધીશો અને અનુયાયીઓને ફટકારનારું, તેમને હાડોહાડ લાગી આવે તેવું છે. લગભગ બધાં પ્રકરણો લેખક ગયાં બેએક વર્ષ દરમિયાન પુષ્કળ ફેલાવો ધરાવનાર ફેસબુક માધ્યમ પર લખી ચૂક્યા છે, તે હજ્જારો લોકો સુધી પહોંચ્યા છે. છતાં ય અત્યારે બધી રીતે શક્તિમાન એવા તેમાંથી કોઈ પણ બાબતને જાહેર રદિયો આપ્યો હોવાનું કે કાનૂની રાહે પડકારી હોવાનું જાણમાં નથી. તેનું કારણ મહદઅંશે એવું છે કે ગઢડા તાલુકામાં જન્મેલા લેખકે તેમના મુદ્દાઓને સંખ્યાબંધ આધારો દ્વારા પડકારને પર બનાવી દીધા જણાય છે. તેમણે આપેલા આધારોમાં શિક્ષાપત્રી અને સંપ્રદાયના પરચાસાહિત્ય ઉપરાંત તેના અનુયાયીઓએ જ લખેલાં પુસ્તકો, ચોકસાઈભરી ઐતિહાસિક વિગતો, કાનૂની દસ્તાવેજો, સમાચારો તેમ જ વેબસાઈટનો ઉપયોગ કર્યો છે. પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્દુલ કલામ, સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયાધીશો શરદ બોબડે અને એમ.આર. શાહ, સાહિત્યકાર ક.મા. મુનશી, ચિંતક કિશોરલાલ મશરૂવાળા, યશવંત શુક્લ અને ઇતિહાસકાર મકરંદ મહેતા જેવી વ્યક્તિઓએ આ પંથનું કરેલું ગફલતી ગૌરવ પણ લેખક ધ્યાન પર લાવ્યા છે. 

સંપ્રદાય અને આનુષાંગિક વિષયો ઉપરાંત કાનૂની અભ્યાસ પુસ્તકને સંગીન બનાવે છે. અચૂક ક્રિટિકલ અભિગમથી પુસ્તકને ધાર આપે છે. મોટા ભાગના પ્રકરણોમાં લેખકે સર્વાર્થે જન સામાન્યને લગતા, રૅશનલ, વ્યવહારુ અને સોંસરા સવાલો પૂછ્યા છે. તેના લોકહિતાર્થી અને તાર્કિક જવાબો સંપ્રદાય તરફથી મળ્યા નથી તે હકીકત પ્રશ્નોની નક્કરતા અને પંથની પોકળતા બતાવે છે.

લેખકની માંડણી સ્પષ્ટ છે; શૈલી બિલકુલ સીધીસટ છે, શબ્દોની પસંદગી ચોકસાઈવાળી અને અભિવ્યક્તિ સાફસૂથરી છે. તેઓ ક્યાં ય વિવેક ચૂકતા નથી કે અભિનિવેશ બતાવતા નથી. પ્રકાશન કાર્યક્રમમાં રમેશભાઈએ અનેક મુદ્દા અને દાખલા દ્વારા એ મતલબની કેફિયત આપી કે “સ્વામિનારાયણ સંપ્રાદાય પોતાનો વાડો મોટો કરવા માટે તેમનાં પુસ્તકો અને મંદિરોમાં સનાતન કે હિંદુ ધર્મના દેવદેવીઓને સહજાનંદ સ્વામી કરતાં ઊતરતાં બતાવે છે. આ ધર્મના પાત્રો સાથે ગંદી રમત છે, આ છળકપટ ‘જે મારે લોકોને આ પુસ્તક દ્વારા બતાવવું છે … ચાળીસેક વર્ષ પૂર્વે ‘અર્થાત’ સામયિકમાં ઇતિહાસકાર મકરંદ મહેતા અને અચ્યુત યાજ્ઞિકે સહજાનંદ સમાજસુધારક હતા, પણ સંત ન હતા એમ વિશદ કરતો લેખ લખ્યો, તેની સામે મુકદ્દમો મંડાયો. મકરંદભાઈએ હથિયાર હેઠા મૂકી દીધા, મારે એમનું કામ આગળ ધપાવવું છે. BAPS હિંદુ ધર્મના દેવોને ઊતરતા બતાવે છે, એનું અપમાન કરે છે અને છતાં સનાતન ધર્મના, હિંદુ સંસ્કૃતિના પ્રચારનો દાવો કરે છે, તે પણ દર્શાવવાનો આ પુસ્તકનો હેતુ છે.”

વિમોચન પ્રસંગે પ્રકાશ ન. શાહ, ઉત્તમભાઈ પરમાર, જગદીશભાઈ બારોટ, કિરણ ત્રિવેદી અને હેમન્તકુમાર શાહે વક્તવ્યો આપ્યાં. તેમને સહુએ બાવા-સંપ્રદાયોએ ચલાવેલી પ્રતિગામી સાંપ્રદાયિકતા પર પ્રસંગો અને અનુભવોને આધારે કોરડા વીંઝ્યાં તેમ જ રેશનલ સમાજની તેમની વિભાવના વર્ણવી. કાર્યક્રમનું સંચાલન હોનહાર, નીડર યુવા રૅશનાલિસ્ટ પ્રગતિશીલ યુ-ટ્યૂબર જ્યોત્સ્ના આહિરે કર્યું. તેમના સંચાલનમાં સાહજિકતા, જીવંતતા અને રૅશનાલિસ્ટ મુદ્દાઓની વારંવાર જિકર હતી. નોંધપાત્ર હાજરી ધરાવનારા આ કાર્યક્રમમાં અમદાવાદ ઉપરાંત ભાવનગર, ગોંડલ, સૂરત, ગાંધીનગર અને કૅલિફૉર્નિયા / મેરીલેન્ડ / કેનેડા / UKથી પણ લોકો આવ્યા હતા.

ધર્મસત્તા અને રાજ્યસત્તાના છળકપટોનો પર્દાફાશ કરનાર વધુ સાહિત્ય લખાતું-વંચાતું રહે તેના માટેનો જુઝારુ દિશાનિર્દેશ રમેશ સવાણીના પુસ્તકમાંથી મળે છે. એટલા માટે પણ આ પુસ્તકનો ઘણો ફેલાવો થાય તે જરૂરી છે.  

[10 ફેબ્રુઆરી 2025]

Loading

પાબ્લો નેરુદાનાં કાવ્યોના ભાવાનુવાદો, નવેસરથી (૪ અને ૫) 

સુમન શાહ|Poetry|10 February 2025

Question-Poems – પ્રશ્નકાવ્યો

૧૪

હું હતો જે બાળક તે ક્યાં છે?

હજી યે મારામાં? કે ગૂમ?

૧૫

જો મારો આત્મા જ ચાલી ગયો છે દૂર,

તો પછી આ હાડપિંજર શું લેવા મારો પીછો કરે છે?

૧૬

મેઘધનુષ્ય ક્યાં આથમે છે,

તારા આત્મામાં કે ક્ષિતિજ પર?

૧૭

તું ઊંઘતો’તો ત્યારે તારા સ્વપ્નમાં 

તને ભોગવી ગયું એ કોણ હતું?

૧૮

ક્યાં જતી રહે છે સ્વપ્નમાં આવેલી ચીજો, 

શું એ બીજાના સ્વપ્નમાં સરકી જાય છે? 

૧૯

તારા સ્વપ્નમાં જીવન્ત પિતા 

તું જાગે પછી શું ફરીથી મરી જાય છે?

૨૦

કોણ ભલા સમજાવી શકે સાગરને

માપમાં રહેવાનું?

૨૧

મોજાંઓ મને એ-ના-એ સવાલો 

કેમ કર્યા કરે છે, જે મેં એમને કરેલા?

૨૨

જે ચુમ્બનો ખીલીને કદી મ્હૉરવાનાં નથી,

એ બતાવીને શું વસન્ત છેતરતી નથી? 

૨૩

હું ક્યારેક જ દુષ્ટ કે પછી

હમેશાં સજ્જન? 

૨૪

એવું નહીં કે દુરિતનાં ગુલાબ શ્વેત

અને શુભનાં પુષ્પ શ્યામ?

૨૫

પ્રેમ પેલાનો પ્રેમ પેલીનો બધું પ્રેમ પ્રેમ

છતાં જો એ લોકો ચાલી ગયાં, તો ક્યાં ચાલી ગયાં?

૨૬

ગઈ કાલે મેં મારી આંખોને પૂછ્યું 

આપણે એકમેકને ક્યારે નીરખીશું? 

= = =

(Sep2001 – 03Feb25USA)

•••••••

૨૭

અને, હું ઊંઘતો હતો કે બીમાર હતો, 

ત્યારે મારા વતી જીવવા કોણ નીકળી પડેલું? 

૨૮

આટલા બધા વ્યર્થ આવેશથી

મોજાં શાને પછડાય છે ખડક જોડે?

૨૯

ઝૂમખામાં દ્રાક્ષ છે બાર

એવું તેઓ કયા અધિકારથી કહે છે, ભલા?

૩૦

ડિસેમ્બર અને જાન્યુઆરી વચ્ચે પણ હોય છે

એક મહિનો, એનું તમે શું નામ પાડશો?

૩૧

બધી નદીઓ જો છે મીઠી, 

તો સાગર પોતાની ખારાશ લાવે છે ક્યાંથી? 

૩૨

મકાઈનાં ખેતરોનું સોનું,

તેઓએ તોલ્યું હોય છે ખરું?

૩૩

ધાતુનું ટીપું શું મારા કોઈ

ગીતની શ્રુતિ સમું ચમકી શકે છે? 

૩૪

તારા હૃદયમાં સરકી ગયું એ નામ 

નારંગી જેવું ન્હૉતું?

૩૫

સૂસવતા ચક્રવાત-પવનો ઊભા રહી જાય

ત્યારે એને શું ક્હૅશો?

૩૫

જોડણીકોશ કશી કબર છે 

કે પછી સીલ કરેલો મધપૂડો?

૩૬

મારી કરુણગાન કવિતા કદી મારી નજરે 

કશું જોશે ખરી? 

૩૭

મારા રક્તનો કદી કશો જેમને સ્પર્શ નથી, 

એ લોકો મારી કવિતા વિશે શું ક્હૅવાના? 

૩૮

શું એ સાચું છે કે આપણી ઇચ્છાઓને 

આપણે ઝાકળ પાઈને ઊછેરવી જોઈએ?

૩૯

આ ચાંદરણાંની જાળમાં છે 

એ પંખીઓ છે કે માછલાં? 

૪૦

છેવટે હું મને મળ્યો, શું એ એ જ જગ્યા છે 

જ્યાં એ લોકોએ ગુમાવ્યો’તો મને? 

૪૧

પાબ્લો નેરુદા તરીકે ઓળખાવા જેવું 

જીવનમાં કશું ય મૂરખામીભર્યું ખરું? 

= = =

(From William O’Daly’s English translation of Pablo Neruda’s “Book of Questions”. It was first published in 1991)
(09Feb25USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...254255256257...260270280...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved