Opinion Magazine
Number of visits: 9664490
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હે કૃષ્ણ ! કોણ છે તું?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion, Poetry|9 June 2025

હે કૃષ્ણ !
મારા ભાગ્યમાં ન હતો તું
પણ મારું ભાગ્ય તો તું જ હતો
મોટી હતી તારાથી
પણ કેટલી નાની રહી તારે માટે !
ગોકુળની ગલીઓમાં વહેતી રહી તારી સાથે
જળધારાની જેમ
તો ય મને તો એમ જ કે
તું મારો સખા છે
ને હું છું તારી સખી !
મને મૂર્ખને તો એ પણ ભાન નથી પડતું કે
કાલીયદમન તું કરે છે
ને હું તો તને કા’નો જ માનું છું
નથી સમજાતું કે આંગળીને ઈશારે મને
બોલાવતો તું
ટચલી આંગળીએ કેવી રીતે
ગોવર્ધન તોળી રહ્યો છે
ને તારી આંગળી નીચે
ઇન્દ્રવર્ષાથી ભયભીત પ્રજા
થરથરતી ઊભી છે …
યમુનાને કાંઠે તારી સાથે રાસ રમી ત્યારે પણ
મને તો એમ જ કે તું મારો છે
તારામાં એટલી તન્મય કે
મને એ તો દેખાતું જ નથી
કે તું અનેક ગોપીઓનો પણ છે
તારી વાંસળીના સૂરે હું જ તલ્લીન નથી થઈ
સકળ સૃષ્ટિ લીન થઈ છે
તેં મને નાદાન ને નિર્દોષ જ રાખી
કોઈ પરિચય જ ન હોય એમ
તું ઓદ્ધવની સાથે
નીકળી ગયો મથુરા
રથમાં
આટલી અજાણી કરી મને?
જતી વખતે જરા જોયું હોત
તો એ દૃષ્ટિને આધાર બનાવી જીવી ગઈ હોત
પણ તારે તો મને મૃત્યુ જીવવા છોડવી હતી
તે છોડી …
આ સૂનું વૃંદાવન
અંધારી યમુના
કોરી કદંબ ડાળ
મારે એકલીએ જ ઉછેરવાનાં હતાં
તે ઉછેર્યાં
હજી રહી ગયો છે ક્યાંક
મારામાં
એટલે સ્થિર જળમાં પણ હું
મને જોઈ શકતી નથી
મને જોવા જાઉં છું
ને તું  દેખાય છે
ઘણું રડી છું
હવે તો આંસુ ય બનતાં નથી
વલોવાતાં રહે છે હૈયે
પણ પાંપણે આવતાં નથી
બહુ દિવસ થયા
હવે તો આવ
ક્યાં સુધી આમ પ્રતીક્ષા બનીને ઊભી રહીશ?
તું મને કદમ્બ તો નથી માની બેઠો ને !
હું કદમ્બ નથી
કદમ ડગમગે છે મારા
હું વૃક્ષ નથી
કે ખોડાઈ રહું એક જ સ્થળે
ક્યારેક તો આવીશ એ આશામાં
રોજ નિરાશ થાઉં છું
મોડે મોડે એટલું જાણી ચૂકી છું કે
એક વાર નીકળી ગયા પછી
તું કદી પાછો ફરતો નથી
મારું જવા દે
હું તો છું જ વિરહ!
પણ નંદ-જશોદાનું ય મન નથી થતું તને?
મેં તો માની લીધું છે કે
અનંત પ્રતીક્ષાના દોરમાં મારે
આંસુઓ પરોવતાં રહેવાનું છે
તે પરોવું છું
જાણું છું કે હું પૂરી થઈ જઈશ
પણ પ્રતીક્ષા પૂરી નહીં થાય …
પહેલાં તને જોઈને અટકળો કરતી હતી
હવે અટકળો કરીને તને જોઉૈ છું
કોઇકે કહ્યું કે તું દ્વારિકાધીશ થઇ ગયો છે
પણ મારું તો હૃદયરાજ્ય જ તું !
તારી બહાર મારી કોઈ સીમા જ નહીં
તો બીજું મને ખપે પણ શું?
જો કે, તું સામે નથી એટલે કોઈ કહે
તે પરથી ઉછરે છે મારામાં
ને એમ તને કુરુક્ષેત્રમાં જોઉં છું
કુટિલ તો હતો જ તું
ને ચતુર પણ !
પોતે શસ્ત્ર ધારણ ન કર્યાં
ને અર્જુનનું ગાંડીવ છૂટ્યું તો
તેને ગીતા ઉપદેશીને
શસ્ત્ર ઉઠાવવા કટિબદ્ધ કર્યો
વિશ્વરૂપ દર્શન કરાવીને
અનેકમાં એક અને એકમાં અનેક
સિદ્ધ થયો
પણ મારો એકમેવ તો તું જ !
મારું વિશ્વ જ તું !
વિશ્વરૂપ તું ન હોય
તો કોણ હોય?
તને ખબર છે કે તારી અનેકોમાં એક
અને એકમેવ હું જ છું?
કદાચ તારો સ્નેહ હું નથી
પણ મારો વ્રેહ તો તું જ છે
મારી જેમ જ છોડી દીધેલી વાંસળી
હવે તો વૃદ્ધ થવા આવી છે
એ ઝંખે છે તારો સ્પર્શ
પણ એને કેમ સમજાવું કે
સુદર્શન ધારણ કરનારી આંગળી
હવે વાંસ પર ઠરે એમ નથી
હવે વાંસળી વગાડવાનો નહીં
વાંસ પર સૂવાનો સમય છે
તને જોવાની ઈચ્છા છે
આવ
પણ એ માટે તારે મારાં
સ્વપ્નમાંથી બહાર આવવું પડશે
સ્વપ્નમાં તો બહુ ઉછેરી
હવે બે હાથોમાં ઉછેર
બહુ વાર નહીં લાગે
બાળકને ઉછેરવામાં વાર લાગે
પણ વૃદ્ધને ઉછેરવાનું સહેલું છે
તું પણ તો થાક્યો છે ને !
કારાવાસથી લઈને કુરુક્ષેત્ર સુધીમાં
કેટલું બધું કર્યું
પણ કશું પણ
તેં
તારે માટે ન કર્યું
ને તો ય ગાંધારીનો શાપ કમાયો તું
ને રહ્યો નિસ્પૃહી
અનાસક્તિનું મૂર્તિમંતરૂપ જ તું છે !
પણ
તું હોય કે ન હોય
કોઈ પણ કાળમાં યાદવાસ્થળી હશે
શ્રમિત, વ્યથિત આવ્યો છે
અશ્વત્થની નીચે
વિશ્રામ કરવા
પણ દેહ વિશ્રામ કેમ કરશે?
આ તો દેહોત્સર્ગની ઘડી છે
તું તો ન આવ્યો
પણ હું આવી છું
દર્શન દેવા
તારી દૃષ્ટિમાં એટલી સમાવી લે કે તારી બહાર ક્યાં ય રહું જ નહીં !
તું હું થઈ જા
ને હું તું થઈ જાઉં
એટલાં એક કે મૃત્યુ તને કે મને
અલગ
તારવી ન શકે
કોઈ
બેને એક મૃત્યુ મળે એવી
ઘટનાને
સાકાર થવા દઈએ …
આપણે કદાચ હવે
મંદિરોમાં જ સાથે થવાનું થશે
તો ભલે તેમ …

000
e.mail : ravindra21111946@gmail.com

Loading

ઈશુનું ગિરિ-પ્રવચન અને ગાંધીજી

વિશ્વનાથ ટંડન (અનુવાદ: નરોત્તમભાઈ શિ. પટેલ)|Gandhiana|9 June 2025

ગાંધીજીની આત્મકથામાંથી એ બાબત જાણવા મળે છે કે તેમને બાઇબલનો જૂનો કરાર મહત્ત્વનો લાગ્યો ન હતો, પરંતુ નવા કરારનો પ્રભાવ તેમના પર વિશેષ પડ્યો હતો. ખાસ કરીને તેમના પર મહાત્મા ઈશુના ગિરિ-પ્રવચનની ઊંડી છાપ પડી હતી. તેમના જ શબ્દોમાં, “જ્યારે ‘નવો કરાર’ વાચ્યો ત્યારે જુદી જ અસર થઈ. ઈશુના ગિરિ-પ્રવચનની ખૂબ જ સારી અસર થઈ. તે હૃદયમાં સોંસરું ઊતરી ગયું. બુદ્ધિએ ગીતા સાથે તેની સરખામણી કરી.” 

ડો. ગોપીનાથ ધવને ગાંધીજીના રાજકીય દર્શન પર લખેલા પુસ્તક “સર્વોદય તત્ત્વ-દર્શન’માં લખ્યું છે : “ઈશુ ખ્રિસ્ત અને તેમના ઉપદેશો ગાંધીજીના સત્યાગ્રહ દર્શનનો એક મહત્ત્વનો સ્રોત છે.’ ગાંધીજીએ એક વાર પોતાના મિત્ર રેવરન્ડ જે.જે. ડોકને કહ્યું હતું કે નવો કરાર અને ખાસ કરીને ગિરિ-પ્રવચને તો ખરેખર જ તેમના હ્રદયને સત્યાગ્રહની ઉપયોગિતા અને તેના મૂલ્ય પ્રત્યે જાગ્રત કર્યું હતું. ગીતાથી આ છાપ વધારે દઢ થઈ હતી, અને ટોલ્સ્ટોયના ‘વૈકુંઠ તારા હૃદયમાં છે’ (The Kingdom of God is Within You) એ ગ્રંથથી તે કાયમી બની હતી.

આમાં આશ્ચર્ય જેવું કંઈ નથી. ગાંધીજી નૈતિક જીવન પર ખૂબ ભાર મૂકતા હતા. સત્ય તેમના જીવનનું ધ્યેય હતું. એની પ્રાપ્તિ અર્થે અહિંસાને તે એટલી હદે અનિવાર્ય ગણતા હતા કે તેને ‘સત્યની બરોબર’નું સ્થાન આપ્યું હતું. અહિંસાની તેમની વ્યાખ્યા ખૂબ વ્યાપક હતી. ગિરિ-પ્રવચનમાં પ્રભુ ઈશુના નીતિ સિદ્ધાંતોનું સરલ, રહસ્યમય અને પ્રભાવી ભાષામાં વર્ણન છે. એક હિંદુ લેખકે જણાવ્યું છે કે આ ઉપદેશની જેટલી શુભ અસર હિંદુઓ પર થાય છે તેટલી ખ્રિસ્તીઓ પર થતી નથી, એમ કહેવામાં ખાસ અતિશયોક્તિ નહિ થાય. રાજા રામમોહનરાય અને વિશેષ કરીને કેશવચંદ્ર સેન પર તેની ઊંડી છાપ પડી હતી. પ્રતાપચંદ્ર મજુમદારે તો “પૂર્વના ઈશુ” નામના પોતાના પુસ્તકમાં તેમને પૂર્વના પરિવેશમાં રજૂ કર્યા હતા. આમ, ગાંધીજીની પહેલાં પણ, બીજા હિન્દુઓને પ્રભુ ઈશુનો ઉપદેશ વિદેશી કે હિન્દુ ધર્મથી વિરુદ્ધ લાગ્યો ન હતો.

ઈશુએ આ ઉપદેશમાં એવી પણ શીખ આપી છે કે સારાં સાધનોનું પરિણામ સારું અને ખરાબ સાધનોનું પરિણામ ખરાબ આવી શકે છે. તેમના પોતાના શબ્દોમાં : “સારું વૃક્ષ ખરાબ ફળ આપી ન શકે, નકામું ઝાડ સારું ફળ આપી ન શકે.”

ઈશુને માટે સિદ્ધાંતો માત્ર કોરા સિદ્ધાંતો ન હતા. તેમનું પોતાનું જીવન એ સિદ્ધાંતો પર નિર્ભર હતું. અહિંસા, સેવા, દયા તથા ક્ષમાશીલતાની એ પોતે સાક્ષાત્ મૂર્તિ હતા.

ગાંધીજીના વિચારોથી જાણકાર વ્યક્તિને એ વાત તરત સમજાશે કે તેમના વિચાર ઈશુના વિચારોને ખૂબ મળતા આવે છે. તેમણે પણ સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, સાધનશુદ્ધિ, સેવા વગેરે પર કોઈ રીતે ઓછો ભાર નથી મૂકયો. તે સિદ્ધાંતોને પોતાના જીવનમાં ઉતારવાનો તેમણે ભરચક પ્રયત્ન કર્યો હતો. સંત પોલે ભાવનાને ખૂબ મહત્ત્વ આપ્યું હતું. તેમણે એમ કહ્યું છે કે શબ્દોને અક્ષરશઃ લેવાથી વિચારનો આત્મા હણાય છે. ગાંધીજી પણ એવું જ માનતા હતા. માટે જ તેમના વિચારોમાં ક્યાંક ઉપરછલ્લી રીતે જોતાં વિરોધાભાસ દેખાય છે, જો કે ખરેખર એવું નથી. ઈશુની જેમ તેઓ પણ ભાવનાની શુદ્ધિને ખૂબ મહત્ત્વ આપતા હતા. તેની સાથે જ, ગાંધીજીએ નીતિના આ સનાતન સિદ્ધાંતોનો અર્થ જમાનાને અનુરૂપ કર્યો અને તે મુજબ સમાજનો વિકાસ થાય તે માટે ‘સત્યાગ્રહ’ની પદ્ધતિનું નિર્માણ કર્યું.

આ જ કારણથી, પશ્ચિમના ઘણા ધાર્મિક ખ્રિસ્તીઓને તેમના જીવન, વિચાર અને કાર્યોમાં પ્રભુ ઈશુના સિદ્ધાંતો સજીવન થતા લાગે છે. અહીં ફક્ત બે જ દાખલા આપવા પૂરતા થશે. રેવરન્ડ સી.એફ. એન્ડ્રુઝે પોતાના પુસ્તક ‘ધ સરમન ઓન ધ માઉન્ટ’-માં યુદ્ધ, શોષણ, જૂઠ વગેરે સામાજિક અનિષ્ટો તરફ અંગુલિનિર્દેશ કરીને લખ્યું છે : “આધુનિક યુગની સૌથી અજબ ઘટનાઓમાં એક એ પણ છે કે અનિષ્ટના આ સામાજિક પાસા તરફ ધ્યાન ખેંચનારા ચુસ્ત ખ્રિસ્તી નથી, પણ તે કાર્લ માકર્સ જેવા ધર્મત્યાગી, ટોલ્સ્ટોય જેવા ધર્મબહિષ્કૃત કે ગાંધીજી જેવા અન્ય ધર્મી હતા. કદાચ, સૌથી વિશિષ્ટ બાબત એ છે કે એક હિન્દુ મહાત્મા ગાંધીએ આ સમસ્યાના એક ખ્રિસ્તી ઉકેલ તરફ આપણું ધ્યાન ખેંચ્યું છે અને તેને એવું અમલી સ્વરૂપ આપ્યું છે કે કેટલાક ખ્રિસ્તીઓને તે બિલકુલ વ્યવહારુ લાગે છે.’

બીજું દૃષ્ટાંત પ્રખ્યાત ખ્રિસ્તી ધર્મપ્રચારક સ્ટેન્લી જેન્સનું છે. તેમણે ગાંધીજી વિષે કહ્યું છે કે : “આ એક એવા પુરુષ છે કે જેમણે, આપણા ખ્રિસ્તીઓને શૂળીમાં (ક્રોસમાં) જે સત્યનું દર્શન થાય છે તે જ સત્યને રાષ્ટ્રીય સ્તરે ક્રિયાન્વિત કરી બતાવ્યું.” ખ્રિસ્તીઓ સાથે મહાત્મા ગાંધીની સરખામણી કરીને તેઓ લખે છે : “ફેર એટલો જ છે કે ગાંધીજી કરતાં આપણને, ખ્રિસ્તી હોવાને નાતે, શૂળીમાં અધિક દર્શન થાય છે ત્યારે તેમણે તેને વ્યવહાર-ક્ષમ રૂપ આપ્યું છે. આપણે તેને કોરો સિદ્ધાંત ગણીને છોડી દીધું હતું, ગાંધીજીએ તેને વ્યવહારમાં આચરી બતાવ્યું.” અહીં એ પણ સ્પષ્ટ કરી દેવું જોઈએ કે ઈશુનું શૂળી આરોહણ તે ગિરિ-પ્રવચનનું જ અમલી સ્વરૂપ હતું.

09 જૂન 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 338

Loading

ઝરીના વહાબે કેવી રીતે તેનાં લગ્નના બધા છેડા અકબંધ રાખ્યાં?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|9 June 2025

રાજ ગોસ્વામી

ચિત્તચોર, સાવન કો આને દો અને ઘરોંદા જેવી ફિલ્મોથી લોકપ્રિય થયેલી અભિનેત્રી ઝરીના વહાબને એક વાતનું શ્રેય આપવું પડે; તે તેના કાછડી છૂટા પતિ આદિત્ય પંચોલી સાથેનાં ખરાબે ચડેલાં લગ્ન ની વાત કરતાં શરમાતી નથી. 

ભારતીય સ્ત્રીઓ સામાન્ય રીતે પોતાનાં લગ્ન કે પતિ અંગેની અપ્રિય વાતોનો જાહેરમાં એકરાર કરતી નથી. તેનાં બે કારણો છે : એક તો ઘરની ઈજ્જતનો સઘળો ભાર સ્ત્રીના માથે હોય છે, એટલે તે સહન કરે છે પણ હરફ ઉચ્ચારતી નથી. બીજું કારણ એ છે કે સ્ત્રીઓની વ્યક્તિગત ઓળખ અને માન-સન્માન લગ્ન અને પતિ સાથે જોયેલું હોય છે. એટલે તેમાં કોઈ ખરાબી હોય તો સ્ત્રી તેને પોતાની અંગત નિષ્ફળતા માને છે.

ફિલ્મો જેવા ગ્લેમરસ અને લોકપ્રિય વ્યવસાય સાથે જોડાયેલી સ્ત્રીઓ માટે તો આ વધુ મુશ્કેલ છે કારણ કે સામાન્ય સ્ત્રી વિશે તો કદાચ ગલી-મહોલ્લા કે તેના સમાજના લોકો કાનાફૂસી કરશે, પણ બોલીવુડની પત્નીઓ અને પતિઓ તો આખા દેશની નજરમાં હોય છે અને તેમનું ‘પાપ’ છાપરે (અને છાપે) ચઢીને બોલે છે. 

બોલીવુડમાં તો આમ પણ એવો શિરસ્તો છે કે હસતા મોઢે ઘરના કંકાસ છુપાવી રાખવાના. બોલીવુડમાં વ્યભિચાર તો ઘર-ઘરનો વિષય છે, પણ તેનો ઇનકાર કરતા રહેવાનું પણ એટલું જ જબરદસ્ત ચલણ છે. અહીં, ઘરનો અને (ઘર બહારનો) કચરો કાર્પેટ નીચે સંતાડી રાખવો અપવાદ નહીં, નિયમ છે.

આવી દંભી અને બે મોઢાવાળી દુનિયામાં, ઝરીના વહાબ જેવી સ્ત્રીઓ જ્યારે બેબાક રીતે તેના પતિનાં કરતૂતોનો એકરાર કરે એટલું જ નહીં, તેને ચલાવી લેવાનાં પોતાનાં કારણો આપે ત્યારે, તેના સાહસ અને આત્મવિશ્વાસને સલામ કરવી પડે. 

ઝરીનાની નિર્ણયકતા તો ત્યારે જ નજર આવી ગઈ હતી જ્યારે તેણે તેનાથી પાંચ વર્ષ નાના આદિત્ય પંચોલીને, એક ફિલ્મ સેટ્સ પર મળ્યાના 15 દિવસમાં જ જીવનસાથી તરીકે સ્વીકારવાનો ફેંસલો લઇ લીધો હતો. તે જ ઝરીનાએ હવે લગ્નનાં 38 વર્ષ પછી તેના પતિના અનેક વ્યભિચારનો એકરાર કર્યો છે એટલું જ નહીં, તે તેનાથી વિચલિત પણ નથી.

તાજેતરમાં, એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું, ‘અમે મળ્યાના 15-20 દિવસમાં લગ્ન કરી લીધાં હતાં. તે બહુ દેખાવડો હતો. એક ફિલ્મ સીનમાં તેને રડવાનું હતું. તેણે રડવાનું શરૂ કર્યું પછી અટક્યો જ નહીં. મેં કારમાં તેનો હાથ પકડીને કહ્યું હતું – ‘રડીશ નહીં.’ તે વખતે તેણે મારો હાથ મજબૂતાઈથી પકડી લીધો હતો. 15 દિવસમાં તો અમારાં લગ્ન થઇ ગયાં. ત્યારે લોકોએ કહ્યું હતું કે આ એટલો દેખાવડો છે કે એક અઠવાડિયામાં તને છોડી દેશે. પણ જુઓ, 38 વર્ષ થઇ ગયાં.’

લગ્ન પછી આદિત્યના બીજી અભિનેત્રીઓ સાથેના સંબંધો છાપે ચડ્યા હતા, પણ ઝરીનાને ફર્ક પડ્યો નહોતો અને ઉપરથી તે એના માટે તૈયાર હતી. તેણે કહ્યું હતું, ‘લોકોને એવું લાગે છે કે હું બહુ સ્ટ્રેસમાં છું. તેમને લાગતું હશે કે હું રોદણાં રડતી હોઈશ, પણ પરણિત પુરુષને આરોપી બનાવવો અને તેની સાથે સંબંધમાં હોય તે છોકરીને કશું ન કહેવું તે બરાબર નથી. પણ આવું થતું રહે. હું તેને ગંભીરતાથી લેતી નથી. મને ખબર છે કે તે મને પ્રેમ કરે છે અને કોઈની સાથે સંબંધમાં ગંભીર નહીં થાય.’

‘એ ઘર બહાર શું કરે છે તેની મને કોઈ પડી નથી,’ એવું કહેતાં ઝરીના ઉમેરે છે કે, ‘એ ઘરમાં આવ્યા પછી બહુ સરસ પિતા અને પતિ તરીકે વર્તે છે. મારા માટે એટલું જ મહત્ત્વનું છે. એ તેના અફેરને ઘરમાં લાવતો હોત તો મને ખરાબ લાગ્યું હોત. ઘણા પુરુષો અફેરની સાથે પરિવારને પણ ચલાવે છે. હું જો આવી બાબતોને મન પર લઈને ઝઘડા કરું તો મારે જ સહન કરવાનું આવે. મારે દુઃખી નથી થવું, હું મારી જાતને પ્રેમ કરું છું.’

ઝરીના જેવું વિચારવું અને વર્તવું સામાન્ય સ્ત્રીઓ માટે અઘરું છે. કદાચ એક સ્ત્રી તરીકે ઝરીના માટે પણ તેના પતિનાં કારનામાં ચલાવી લેવાનું સરળ તો નહીં જ હોય, અને તેણે આટલાં બધાં વર્ષો સાથે રહ્યા પછી ‘નિસ્પૃહ’ રહેવાનું શીખી લીધું હશે.

ઘણી સ્ત્રીઓ સામાજિક સ્ટેટ્સ, લાઈફ સ્ટાઈલ અને બાળકોની સલામતી માટે પંચોલી જેવા પતિઓને સહન કરી લેતી હોય છે. લગ્નનો એક સમયગાળો થઇ જાય પછી તેને તોડવાનો વિકલ્પ ઉચિત નથી લાગતો. એવું શક્ય છે કે ઝરીના અને પંચોલી વચ્ચે એવી સમજૂતી થઇ હોય કે તે તેના સંબંધોથી લગ્ન કે પરિવારને પ્રભાવિત થવા નહીં દે અને તેને ઘરની બહાર જ રાખશે. 

13 વર્ષ પહેલાં પણ એક ઇન્ટરવ્યૂમાં ઝરીનાએ પતિના ઉગ્ર સ્વભાવ અંગે કહ્યું હતું, ‘હું તેનો દોષ નથી કાઢતી. મને લાગે છે કે તે ઉંમરનું કારણ છે. તમે યુવાન અને લોકપ્રિય હોવ તો બગડી જવાની સંભાવના હોય છે. આદિત્ય આખાબોલો છે, જે આ ફિલ્મી જગતમાં ડખા ઊભા કરે છે. મારી દીકરી પણ એવી જ છે!’

કેવી રીતે સાથે રહેવું એ તો અંતત: પતિ-પત્ની વચ્ચેનો મામલો છે, એમાં બીજા લોકો કે સમાજ કશું કરી ન શકે. પણ એ ઝરીનાની તાકાત જ કહેવાય કે તેણે તડતડિયા અને લફરાંબાજ પંચોલીને વર્ષો પહેલાં જ ઓળખી લીધો હતો અને ‘સાચવી’ લીધો હતો. એટલું જ નહીં, તેણે બિચારી સ્ત્રી બનીને રહેવાનું પણ પસંદ નથી કર્યું. એટલા માટે જ તે બેબાક રીતે પોતાની વાત કરી શકે છે. ઝરીનાએ આદિત્ય સાથે કેવી રીતે પનારો પાડવો તેનો આગવો રસ્તો શોધી કાઢ્યો છે.

તે વખતે પણ ઝરીનાએ કહ્યું હતું કે આપણે સૌ જીવનમાં મુશ્કેલીઓમાંથી પસાર થઈએ છીએ, પણ આપણે તેનો સામનો કેવી રીતે કરીએ છીએ તે મહત્ત્વનું છે. ‘મારું જીવન કાયમી ખુલ્લી કિતાબ જેવું છે. બધાને ખબર છે કે શું ચાલી રહ્યું છે. બીજા લોકો ઘરની બહાર સુખી હોવાનો ઢોંગ કરે છે પણ ઘરમાં જુદું જ હોય છે. મારું એવું નથી. આદિત્ય હંમેશાં મારી સાથે પ્રમાણિક રહ્યો છે. તે મારી પાસે પહેલાં એકરાર કરે છે. મેં એને ક્યારે ય સવાલ નથી કર્યો.’

અને ઝરીના તેની ક્યારે ય ઊલટતપાસ લીધી નથી એટલે પતિ પર વધુ દબાવ રહે છે. ‘એવું જ કરવું જોઈએ,’ ઝરીનાએ કહ્યું હતું, ‘પુરુષની જ્યારે ભૂલ હોય, ત્યારે તેને દોષનો અહેસાસ થવો જોઈએ. હું ભૂતકાળમાં ચોંટી રહેતી નથી. એની કોઈ ડિમાન્ડ નથી હોતી. જે બનાવું તે હસતા મોઢે ખાઈ લે છે. મને કંટાળો આવે કે થાકી જાઉં મને ખુશ કરવા માટે બધું કરી છૂટે છે.”

ઝરીના એક મજબૂત સ્ત્રીનું ઉદાહરણ છે, માનસિક રીતે અને ભાવનાત્મક રીતે. તેણે તેના લગ્નને એક ચાન્સ આપ્યો છે, એટલે જ તે 38 વર્ષ ટકી રહ્યાં છે. એવું નહોતું તેને અસર થઇ નહોતી, પરંતુ તેણે ધીરજ જાળવી રાખી હતી. કોઈ રસ્તો બચ્યો ન હોત તો હું જરૂર તેને છોડી ગઈ હોત તેમ તે કહે છે.

એક બાબતમાં ઝરીના સ્પષ્ટ છે કે તે મજબૂરીની મારી આદિત્યની સાથે નથી, પોતાની પસંદગીથી છે. તે કહે છે, ‘હું તેને પ્રેમ કરું છું એટલે તેની સાથે છું, નિર્ભરતાના કારણે નહીં. હું બહુ આઝાદ મિજાજી છું. મારે એકલા રહેવું હોય તો મારી પાસે પૂરતા પૈસા અને મારા નામે સંપત્તિ છે, પરંતુ હકીકત એ છે કે મને તેને છોડી દેવાનો વિચાર ક્યારે ય નથી આવ્યો. અમે આવી વાત ક્યારે ય કરતા નથી.’ બ્રેવો, ઝરીના!

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 08 જૂન 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...254255256257...260270280...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved