Opinion Magazine
Number of visits: 9456394
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—276

દીપક મહેતા|Opinion - Opinion|15 February 2025

બાંધ ગઠરિયાં મૈ તો ચલી : ગાંધીરંગે રંગાયેલાં મીઠુબહેન પિતિત         

એક હતી છોકરી. હોશિયાર, ચાલાક, મીઠડી. અરે! એનું નામ જ હતું મીઠુ. ઘરમાં પૈસાની રેલમછેલ. મીઠુ અને ઘરનાં બીજાં બાળકો જે માગે તે તેમને મળે. અઠવાડિયામાં બે-ચાર વાર બે ઘોડાની, પડદાવાળી બગીમાં બેસીને મીઠુ ખરીદી કરવા બજાર જાય. જે જણસ નજરમાં વસે, તે ખરીદી લેવાની. ના, પોતાને માટે નહિ. સ્કૂલમાં સાથે ભણતાં છોકરા-છોકરીઓ માટે. કોઈની પાસે નોટ બૂક નથી, કોઈને પેન્સિલની જરૂર છે. કોઈનાં કપડાં અભોટાં થઈ ગયાં છે. કોઈ ફાટેલાં તૂટેલાં પગરખાં પહેરીને આવે છે – આવી એકેએક વાત મીઠુના મનમાં નોંધાઈ ગઈ હોય. અને પછીની ખેપમાં એ બધું ખરીદી લે, અને જરૂરતમંદને પહોંચાડી દે. અલબત્ત, પોતે તો કાયમ વિલાયતી કપડાંમાં ફૂલફટાક થઈને જ ફરે. 

માતા પીરોજબાઈ અને પિતા હોરમસજી સાથે બાળક મીઠુ

પછી ઊગ્યો ૧૯૧૫ના જાન્યુઆરીની ૧૪મી તારીખનો દિવસ. મકર સંક્રાંતિનો દિવસ. તે દિવસે હવાની રૂખ બદલાય. જહાંગીર પિતિતના વિશાલ બંગલામાં સવારથી તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. સાંજે મોટી ગાર્ડન પાર્ટી હતી. નામદારો અને આમદારો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓ, નેતાઓ અને નામાંકિત નાગરિકો – કંઈ કેટલા ય લોકોને આગમ ચ નોતરાં મોકલાઈ ગયાં હતાં : ‘દક્ષિણ આફ્રિકાથી આવેલાં મિસ્ટર અને મિસિસ ગાંધીને મળવા અમારે બંગલે ગાર્ડન પાર્ટી રાખી છે. જરૂરથી આવજો જ.’ 

સાંજ પડી. એક પછી એક મહેમાનો આવવા લાગે છે. અને આવી પહોંચે છે મિસ્ટર અને મિસિસ ગાંધી. થોડે દૂર ઊભેલી પેલી મીઠુ બંનેને તાકી તાકીને જોઈ રહે છે. બંનેનો પહેરવેશ સાવ સાદો, સફેદ. પુરુષને માથે સફેદ કાઠિયાવાડી ફેંટો. સફેદ અંગરખા પર સફેદ ખેસ. સફેદ ધોતિયું. તેની પત્નીએ પહેર્યાં છે બંધ ગળાનું, લાંબી બાયનું સફેદ બ્લાઉઝ અને આછા બુટ્ટાવાળી સફેદ સાદી. હાથમાં બંગડીઓ. મીઠુનું મન વિચારે ચડે છે : આવા, સાવ સાદા વર-વહુને મળવા કેટલા અને કેવા કેવા લોકો આવ્યા છે! માણસની સાચી ઓળખ એનાં કપડાં કે ઘરેણાં નહિ, એની સાદાઈ અને સારપ છે. મન તો થાય છે પાસે જઈને વાત કરવાનું. પણ એમ કાંઈ જવાય? કેવા કેવા મોટા માણસો આ બે મહેમાનો સાથે બેઠા છે! સર ફિરોજશાહ મહેતા, મહંમદ અલી ઝીણા, કનૈયાલાલ મુનશી, અરે! નામ ગણતાં પણ થાકી જવાય!

 

જહાંગીર પિતિતનો વિશાળ બંગલો

બાવા અને મમ્મા પૂરેપૂરાં અંગ્રેજ-ભક્ત. પણ કુટુંબના બીજા કેટલાક ધીમે ધીમે અલગ પડીને આ દક્ષિણ આફ્રિકાથી આવેલા પતિ-પત્ની સાથે હળવા-ભળવા લાગ્યા. તેમને મદદ કરવા લાગ્યા. મીઠુ પણ પોતાનાથી બને તેટલી મદદ કરવા લાગી. અને એક દિવસ એ વાત બાવા હોરમસજીને કાને પડી. હોરમસજી પૂરેપૂરા તાજના રાજના ભક્ત. નોકરોને હુકમ છૂટ્યો : અત્તર ઘરી મીઠુને હાજર કરો. મીઠુ આવી. 

‘આય બધું સુ ચાલે છે? પેલા આફ્રિકાથી આવેલા મોહનદાસને અને તેના અંગ્રેજવિરોધી સાગરિતોને ટુ મદદ કરે છે? પૈસા આપે છે?’ 

પહેલાં કોઈ દિવસ કર્યું નહોતું તે આજે દીકરી મીઠુએ કર્યું : ડેડીની આંખમાં આંખ મેળવીને ધીમે પણ મક્કમ અવાજે બોલી. 

‘તમારું કામ સરકારની સાથે ઊભા રહેવાનું છે. મારું કામ લોકોની સાથે ઊભા રહેવાનું છે. તમે તમારું કામ કરો, મને મારું કામ કરવા દો.’ 

‘હું મારું કામ કરસ ને, તે દહારે તારી આંખે ધોળે દિવસે તારા દેખાશે, તારા.’ 

‘મને મારો તારક મળી ગયો છે, મોહનદાસ કરમચંદ ગાંધી. હવે તમારી જાહોજલાલી તો મારે મન તણખા જેવી છે. આજે હોય, કાલે ન હોય.’ 

બીજે જ દિવસે હોરમસજી શેઠે વકીલને ઘરે બોલાવ્યા. સહી સિક્કા કરેલા ખતપત્ર તૈયાર કરાવ્યા. “હું, હોરમસજી પિતિત, શુદ્ધ બુદ્ધિથી અને સ્વસ્થ મનથી લખી જણાવું છ કે મારી પછી, મારી સ્થાવર-જંગમ મિલકતમાં મારી દીકરી મીઠુનો એક કાની કોડીનો બી ભાગ રહેશે નહિ.” બે દિવસ પછી પિતિત શેઠનાં ધણિયાણી પીરોજબાઈએ પોતાના વકીલને બોલાવી કાગળપત્ર તૈયાર કરાવ્યા : “મારી પછી, મારાં સોના, રૂપાનાં તથા બીજાં બધ્દ્ધાં જ ઘરેણાં મારી દીકરી મીઠુને ભાગે જશે. બીજા કોઈનો તેમાં ભાગ રહેશે નહિ.” 

પણ મીઠુના મનની સ્થિતિ તો ત્યારે કૈક આવી હતી :

બાંધ ગઠરિયાં મૈં તો ચલી

સુન્ના ન લીયા, રૂપા ન લીયા,

ન લીયા સંગ જવાહર રી,

ખાખ ભભૂતકી છોટી સરિખી

બાંધ ગઠરિયાં મૈં તો ચલી

માયજીએ ભલે પોતાનાં બધ્ધાં ઘરેણાં આપી દીધાં, પણ મીઠુએ તો ઘરેણાં પહેરવાનું જ છોડ્યું. આજ સુધી તેના અંગ પર મોંઘા દાટ પરદેશી પોષાક શોભતા હતા તે છોડ્યા. તેની જગ્યા લીધી સાદી સફેદ સાડીએ. ગાંધીજીની પ્રેરણાથી સરોજિની નાયડુ અને પેરીન નવરોજીએ રાષ્ટ્રીય સ્ત્રી સભાની સ્થાપના કરી હતી. આ સંસ્થાની બહેનો ઘરે ઘરે ફરીને ખાદી વેચવાનું કામ કરતી. પહેલાં તો બહાર જતી વખતે મીઠુના હાથમાં રૂમાલ મૂકવા માટે બે-ત્રણ નોકરો ખડે પગે ઊભા રહેતા. પણ હવે એ જ મીઠુ ખાદીનાં પોટલાં ખભા પર મૂકીને રોજ કેટલાયે મકાનના દાદરા ચડ-ઊતર કરતી થઈ ગઈ! પણ હા! હજી પેલાં વિલાયતી કપડાં ઘરને કોક ખૂણે સાચવી રાખેલાં ખરાં!

પણ પછી … પરદેશી રાજ સામેની લડતના ભાગ રૂપે ગાંધીજીએ લોકોને વિલાયતી કાપડનો બહિષ્કાર કરવાની હાકલ કરી અને વિલાયતી કાપડની જાહેરમાં હોળી કરવાનું આવાહન કર્યું. એની શરૂઆત મુંબઈથી કરવાનું ઠરાવ્યું. તારીખ ૩૧ જુલાઈ ૧૯૨૧. સ્થળ પરળમાં આવેલી એલ્ફિન્સ્ટન મિલ સામેનું કંપાઉંડ. સહેજ કંપતા હાથે મીઠુએ પોતાનાં વિલાયતી કપડાં ભેગાં કર્યા. ખાદીની ચાદરમાં બાંધ્યાં. અને પછી … પરળ જઈને એ પોટલું અગ્નયે સ્વાહા!

પછી ખેડા જિલ્લામાં ભયંકર પૂર આવ્યું ત્યારે મીઠુબહેન ત્યાં ઉપડ્યાં. વિઠ્ઠલભાઈ પટેલની આગેવાની નીચે આખો જિલ્લો ખૂંદી વળ્યાં. ગરીબી એટલે શું, એ વાતનો હવે ખરો ખ્યાલ આવ્યો. વલ્લભભાઈ પટેલ અને ઠક્કરબાપાનો પરિચય થયો. બારડોલીની લડત વખતે ઘરે ઘરે ફરીને ‘આ લડત શા માટે’ એ સ્ત્રીઓને સમજાવ્યું મીઠુંબહેને. ૧૯૨૯માં દારૂનાં પીઠાંનો બહિષ્કાર કરવાની હાકલ ગાંધીજીએ કરી. ત્યારે મીઠુબહેન તેમાં જોડાયાં અને ધરપકડ થઈ. એ તેમની પહેલી ધરપકડ. જેલમાંથી છૂટ્યા પછી આદિવાસીઓ અને ગામડાના લોકો માટે સતત કામ કરતાં રહ્યાં. સરદાર પટેલ તેમના આ કામથી એટલા તો પ્રભાવિત થયા કે મીઠુબહેનને ‘દીનભગિની’નું બિરુદ આપ્યું. તો ગામડાના લોકો તેમને ‘માઈજી’ તરીકે ઓળખતા થયા. અને મીઠુબહેને નક્કી કર્યું : બાકીની બધી જિંદગી ગામડામાં. મુંબઈના મહેલ જેવા ઘરને હવે રામ, રામ. અને પછી જીવનભર મીઠુબહેને મુંબઈના ઘરમાં પગ ન મૂક્યો!

દાંડી યાત્રામાં મીઠું ઉપાડતા ગાંધીજીની બાજુમાં ઊભેલાં મીઠુબહેન

૧૯૩૦, માર્ચ મહિનો. આઝાદીની લડતના ભાગ રૂપે ગાંધીજીએ નમકનો કાનૂન તોડવા માટે ‘દાંડી યાત્રા’નું આયોજન કર્યું. આ યાત્રા માટે તેમણે જે ૭૮ સાથીઓની પસંદગી કરી તેમાં એક પણ સ્ત્રીનો સમાવેશ કર્યો નહોતો. પણ એટલે કોઈ સ્ત્રી તેમાં ભાગ ન લે એવું બને? ગાંધીજી જે દિવસે કાનૂનભંગ કરે તે જ દિવસે મોટર દ્વારા દાંડી પહોંચવાનું સરોજિની નાયડુએ નક્કી કર્યું. તેમના સાથી હતાં મીઠુબહેન. ગાંધીજી વાંકા વળીને મીઠું ઉપાડે છે એ ક્ષણનો ફોટો આજે પણ ખૂબ જાણીતો છે. એ ફોટામાં સફેદ સાડી પહેરેલી જે સ્ત્રી ગાંધીજીની બાજુમાં ઊભી છે તે જ મીઠુબહેન. 

પાકટ વયે મીઠુબહેન 

બીજે વરસે ગાંધીજી અને સરદાર પટેલની પ્રેરણાથી મીઠુબહેને ગામડાના લોકો અને આદિવાસીઓની સેવા કરવાના ઈરાદે ગુજરાતમાં મરોલી ખાતે કસ્તૂરબા સેવાશ્રમની સ્થાપના કરી. ૧૯૩૧ના જૂનની ૧૨મી તારીખે ગાંધીજીને હાથે તેનું ખાતમૂરત મીઠુબહેને કરાવ્યું. એ વખતે ગાંધીજીએ પૂછ્યું : “મીઠુબહેન! મારે હાથે પાયો નખાવો છો એની જવાબદારી સમજો છો?” તરત જવાબ મળ્યો : “હા બાપુ! હું અહીં જ દટાવાની છું.” અને પછી ખરેખર, એ આશ્રમ છોડીને બીજે ક્યાં ય ગયાં નહિ. આઝાદી પછી ભારત અરકારે ૧૯૬૧મા મીઠુબહેનને ‘પદ્મશ્રી’ના સન્માનથી નવાજ્યાં. ૧૯૭૩ના જુલાઈની ૧૬મી તારીખે મીઠુબહેનનો દેહાંત થયો. તેમના અંતિમ સંસ્કાર પણ આશ્રમમાં જ થયા. 

પિતિત ખાનદાનની બે દીકરીઓ. એક હતી રતન. પરધર્મી પ્રેમી ખાતર ઘરબાર, માબાપ, કુટુંબ, ધનદોલત, બધું છોડ્યું. બીજી હતી મીઠુ. તેણે પણ એ બધું જ છોડ્યું, પોતાના દેશને ખાતર. મહાત્માને ખાતર. બંનેના મૂળમાં હતો પ્રેમ. એકમાં વ્યક્તિ માટેનો. બીજીના મનમાં દેશ માટેનો. બંનેના મનમાં છેવટે તો કદાચ આ પંક્તિ ગુંજતી હશે :

છોડ મુસાફિર માયાનગર,

અબ પ્રેમનગર કો જાના હૈ. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 15 ફેબ્રુઆરી 2025

Loading

છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|14 February 2025

રવીન્દ્ર પારેખ

દુનિયામાં સારું હજી છે ને એ જ મોટું આશ્વાસન છે, પણ જે રીતે દેખાડાનું, છીછરાપણાનું સામ્રાજ્ય વકરતું આવે છે તે સામાજિક આરોગ્ય કથળ્યું છે તેની ચાડી ખાય છે. દેશમાં દેખાડાનો, બીભત્સતાનો, છેતરપિંડીનો, ધર્માંધતાનો, હરામખોરીનો, નિર્લજ્જતાનો આડો આંક વળ્યો છે ને તેનો કોઈને જ સંકોચ ન હોય તેવી સ્થિતિ છે. કોમેડીને નામે છીછરી નગ્નતાનો-વલ્ગારિટીનો પુરસ્કાર થતો હોય તેમ સૌ તેને જાણે-માણે છે. અનિષ્ટ જ ઇષ્ટ હોય તેવું વાતાવરણ છે. વિરોધ હોય તો પણ તેનો કોઈને ખાસ વાંધો નથી. પ્રશ્નો જ એટલા છે કે બાર સાંધો ને તેર તૂટે તેવી હાલત છે ને પ્રજાને આમાંનું કૈં નડતું ન હોય તેમ શાંત છે ને દુ:ખ પણ સુખની જેમ માણે છે. આકાશ-પાતાળ એક થઈ જાય કે ધરતી રસાતળ જાય તો પણ કોઈને કૈં ફરક પડતો નથી. ક્યાંક થોડો ઘણો ગણગણાટ થતો હશે, પણ નવી કોઈ વાત સામે આવે છે કે આગલી વાત પર પડદો પડી જાય છે. 

11 ફેબ્રુઆરી, 2025ને રોજ યુ ટ્યૂબ પર ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ નામક સ્ટેન્ડ અપ કોમેડી શોમાં પેનલ ગેસ્ટ તરીકે આવેલા, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાએ એક સ્પર્ધકને એમ પૂછ્યું કે તમે તમારાં માબાપને અંગત પળોમાં રોજ જોવા ઈચ્છશો કે એક વાર એમાં સામેલ થઈને તેને રોકશો? આ એવી ભદ્દી રીતે પુછાયું કે રણવીરને પોતાને માબાપ હશે કે કેમ એવી શંકા પડે. કોઈ પણ દીકરો માબાપ વિષે ન પૂછે એવું સ્પર્ધકને રણવીરે પૂરી નિર્લજ્જતાથી પૂછ્યું ને શો સંચાલક સમય રૈના, મહિલા યુ ટ્યૂબર અપૂર્વ મખીજા સહિત સૌ તાળીઓ પાડીને તેને એન્જોય કરતાં હતાં. મખીજા તો છડેચોક વલ્ગર શબ્દો બોલતી હતી. આખું કલ્ચર જ એવું હતું જે કૈં પણ એન્જોય કરવા પેદા થયું હોય ! આ ત્રણે સામે મુંબઈ પોલીસે FIR દાખલ કરી છે. તેની સામે ગુવાહાટી પોલીસે પણ FIR નોંધી છે. એ ઉપરાંત હ્યુમન રાઇટ્સ કમિશન અને મહિલા આયોગ પણ વિરોધમાં જોડાયું છે. મહારાષ્ટ્ર સરકારે પણ અશ્લીલ કોમેન્ટ બાબતે કાર્યવાહી કરવાનું જણાવ્યું છે. સોશિયલ મીડિયા પર યુઝર્સે એવી કોમેન્ટ પણ કરી છે કે રણવીર અને મખીજાએ ડાર્ક કોમેડીને નામે અશ્લીલ વાતો જ રજૂ કરી છે. આ મામલે હોબાળો વધતાં રણવીર અલ્હાબાદિયાએ વીડિયો જાહેર કરીને માફી માંગતા કહ્યું છે કે કોમેડી મારી ખાસિયત નથી ને હું માફી માંગવા આવ્યો છું. 

દેશમાં સારું પણ ચાલતું જ હશે, પણ યંગ કહી શકાય એવા લોકપ્રિય ચહેરાઓ એટલા છીછરા છે કે તે ગમે ત્યારે ફાટીને ધુમાડે જઈ શકે એમ છે. ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શોના સંચાલક સમય રૈના એક ઓડિયો ક્લિપમાં એવું કહે છે કે કોઈ પોર્ન વીડિયો શૂટ કરવા ઈચ્છે તો તેને અમારા શોમાં મોકલો … પૂરા ઈન્ટરનેટ ફટ જાયેગા. તે એમ પણ કહે છે કે કોમેડી કરનારની કોઈ જવાબદારી નથી. તે કૈં નૈતિક્તાના પાઠ ભણાવવા નથી આવતો. એક તરફ  જવાબદારી વગરની આ છીછરી અભિવ્યક્તિ છે, જેને રોકવા જેવી છે ને બીજી તરફ સાંસદ ઈમરાન પ્રતાપગઢીની કવિતાને રોકવાની ન હતી, તેને રોકવામાં આવી. જામનગરમાં મુસ્લિમ સમાજમાં 51 નિકાહના પ્રસંગે સાંસદ ઈમરાન પહોંચે છે એવો વીડિયો ટ્વિટ થયો. એના બેકગ્રાઉન્ડમાં એક કવિતા બોલાય છે – એ ખૂન કે પ્યાસો બાત સુનો – આ વીડિયોને વાઇરલ કરીને તેને ઉશ્કેરણીજનક ગણાવતા જામનગર પોલીસે ફરિયાદ નોંધી. મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો ત્યારે ઇમરાને અરજી કરીને જણાવ્યું કે એ કવિતા પ્રેમ અને અહિંસાનો સંદેશ આપે છે ને તેનો ઇરાદો સાંપ્રદાયિક લાગણીઓને ઉશ્કેરવાનો નથી, પણ હાઇકોર્ટે વાત ન સ્વીકારતાં કહ્યું કે કવિતા ‘ગાદી’ અને ‘સત્તા’ વિષે વાત કરે છે ને આવેલી પ્રતિક્રિયાઓ સાંપ્રદાયિક સૌહાર્દને હાનિ પહોંચાડે એવી છે. મામલો સુપ્રીમમાં પહોંચ્યો ત્યારે સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે ગુજરાત હાઇકોર્ટે ઈમરાન પ્રતાપગઢીની FIR રદ્દ કરવાની અરજી એટલે ફગાવી કે તે કવિતાના અર્થને સમજી નથી. આ કવિતા પરોક્ષ રીતે કહે છે કે કોઈ હિંસામાં સામેલ થાય તો પણ આપણે તેમાં સામેલ થવું નહીં. 

કોણ જાણે કેમ પણ આપણને દેખાડાની એવી લત લાગી છે કે ઉઘાડા પડવાનું જોખમ વહોરીને પણ જાહેર થવાની લાલચ રોકી રોકાતી નથી. એમાં ગંભીરતાને બદલે બતાવી દેવાનું ઝનૂન કદાચ વધારે કામ કરે છે. સુરતના ઓલપાડ તાલુકાનાં કુંકણી ગામની ફાઉન્ટન હેડ સ્કૂલનાં ધોરણ 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ હતો. આ વિદાય શાંતિપૂર્ણ અને હૃદયસ્પર્શી બનવાને બદલે પાવર શો બની. વિદ્યાર્થીઓએ કોઈને પણ જાણ કર્યા વગર કે કોઇની પણ મંજૂરી લીધા વગર 30થી વધુ લકઝરી કાર સાથે સ્કૂલ સુધી રેલી કાઢી. રેલી સ્કૂલ સુધી પહોંચે ત્યાં સુધીમાં વિદ્યાર્થીઓએ સનરૂફમાંથી માથું કાઢીને ફોટા પાડ્યા, વીડિયો ઉતાર્યા, ટ્રાફિક નિયમોની ઐસી તૈસી કરી, ગાડીઓમાં બેફામ મ્યુઝિક વગાડ્યું, હવામાં પિસ્તોલ લહેરાવી. 

આ ઘટનાના સૂચિતાર્થો ગંભીર છે. પોલીસે સોમવારે 12 અને મંગળવારે 7 લકઝરી કાર ડિટેન કરી છે. CBSEની 12ની પરીક્ષા પતે પછી તમામ સામે પગલાં ભરાશે. ત્રીસ જેટલી કારનો કાફલો નીકળે ને વાલીઓ તેનાથી અજાણ હોય એ શક્ય નથી. મતલબ કે વાલીઓની જાણમાં આ થયું છે. પોલીસનું કહેવું છે કે આ અંગેની મંજૂરી લેવાઈ નથી. સ્કૂલનું કહેવું છે કે અમે દરેક વાલીને મેઈલ કરીને વિદ્યાર્થીઓને ખાસ સ્કૂલ બસમાં મોકલવા સૂચના આપી હતી, પણ વાલીઓએ સ્કૂલની જાણ બહાર વિદ્યાર્થીઓને લકઝરી કારમાં મોકલ્યા. આમાં કોઈ જવાબદારી લે કે ન લે, પણ સ્કૂલને આંગણે આ ભવાડો થયો એનો ઇન્કાર થઈ શકે એમ નથી. આ શરમજનક છે, પણ તે તો જેમને શરમ હોય તેમને, બાકીનાને તો ક્યાં કૈં લાગે વળગે છે?

એક તરફ ફાઉન્ટન હેડ જેવામાં બેફામ દેખાડાની વાતો છે, તો બીજી તરફ સ્કૂલોને મંજૂરી આપવામાં કડક ધોરણો અપનાવાય છે. સુરતમાં નવી શાળાઓ શરૂ કરવા 28 અરજીઓ આવી, પણ તે મેદાન ન હોવાને લીધે કે બાંધકામ અધૂરાં હોવાને કારણે કે અન્ય કારણોસર, શિક્ષણ વિભાગે 27 અરજીઓ નામંજૂર કરી અને બારડોલીની એક જ અરજી મંજૂર કરવામાં આવી. શિક્ષણ વિભાગ મંજૂરી આપવા અંગે આટલી કાળજી લે તેનો આનંદ જ હોય, પણ સ્કૂલો તો ઠીક, ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર અને કર્મચારીઓની 60 ટકા જગ્યાઓ ખાલી પડી છે એ અંગે તે ચૂપ છે. તાજેતરમાં જ નેકની તપાસમાં ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફની ભારે અછતની વાત બહાર આવી હતી. આ ઉપરાંત લેબોરેટરીનું અપગ્રેડેશન થતું નથી કે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચર-બિલ્ડિંગનો પૂરતો વપરાશ નથી ને તેની પૂરતી જાળવણી પણ નથી કે નવી શિક્ષણ નીતિ મુજબ પી.જી. પ્રોગ્રામ્સના સિલેબસ અપડેટ થયા નથી – જેવી નેકની ટિપ્પણીનો પણ યુનિવર્સિટીએ સામનો કરવાનો આવ્યો છે. આમાં યુનિવર્સિટીની જવાબદારી તો ખરી જ, પણ સરકારની ઉદાસીનતા પણ ઓછી જવાબદાર નથી. 

સરકાર અને સરકારી પરીક્ષાઓ પણ આજકાલ ચર્ચામાં છે. 12 ફેબ્રુઆરીના સમાચારમાં નર્સની ભરતી અંગેના પ્રશ્નપત્રમાં ગેરરીતિ થઈ હોવાની આશંકા એ રીતે પ્રબળ થઈ છે કે એક ક્લાસવાળાએ એવી ડંફાસ મારતો મેસેજ વાઇરલ કર્યો કે પેપર ‘આપડે’ જ કાઢ્યું છે …’ આવી ગયુંને આખું પેપર ! પરીક્ષા પછી જાહેર કરાયેલી આન્સર કીની પેટર્ન એ.બી.સી.ડી., એ.બી.સી.ડી…  પ્રકારની ક્રમબદ્ધતા પણ શંકા ઉપજાવનારી છે. આ અગાઉ પણ મહેસૂલી તલાટીથી લઈને અનેક સરકારી પરીક્ષાઓ વગોવાઈ ચૂકી છે, પણ પરિસ્થિતિમાં ફરક પડતો નથી તે દુ:ખદ છે. 

ફાઉન્ટન હેડ જેવી સ્કૂલમાં વાલી – વિદ્યાર્થીઓ તો દેખાડો કરે, પણ યુનિવર્સિટીના કુલપતિ પણ તેમાંથી બાકાત ન હોય તે વધારે શરમજનક છે. આમ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને કુલપતિને વિવાદ જોડે અણબનાવ નથી, ત્યારે નવા કુલપતિ ડો. ઉત્પલ જોશીએ નિમણૂકના મહિનામાં જ પોત પ્રકાશ્યું છે. તેમણે કોઈ મંત્રીની જેમ કાર પર સાઇરન લગાડીને વિવાદને આમંત્રણ આપ્યું છે. હકીકત એ છે કે ગુજરાત વેહિકલ્સ એક્ટ મુજબ સાઇરન ઇમરજન્સી વેહિકલ્સ અને ડિઝાસ્ટર વિભાગ સાથે સંકળાયેલા અધિકારીના વાહન પર જ લાગે છે, પણ એવી કોઈ ઇમરજન્સી ન હોવા છતાં, માત્ર ટ્રાફિકમાંથી રસ્તો કાઢવા કુલપતિએ સાઇરનનો પ્રયોગ કર્યો છે. સાચું તો એ છે કે સાહેબ કોઈ ઇમરજન્સી સેવા સાથે સંકળાયેલા નથી એટલે સાઇરન લગાવી ન શકે. કુલપતિ કક્ષાની વ્યક્તિ સ્વસ્થ હોય ને શિક્ષણ શાસ્ત્રી  પણ હોય એ વાત હવે ભૂતકાળની થઈ લાગે છે.

જગતમાં સારું પણ છે જ, છતાં એમ લાગે છે કે બાળકો, યુવાનો ને પરિપક્વ વ્યક્તિઓમાં દેખાડો, છીછરાપણું, આક્રમકતા … રાજરોગની હદે વકર્યાં છે … 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 ફેબ્રુઆરી 2025

Loading

વ્યક્તિમાત્રનું ગૌરવ થતું હોય તેવા સમાજ માટે શું કરવું જોઈએ?

રમેશ સવાણી|Opinion - Opinion|13 February 2025

જયંતીલાલ કે પટેલ

જ્યાં સુધી વ્યક્તિએ સેક્યુલર વલણ આત્મસાત્ કર્યું ન હોય, સમાજની પ્રથાઓ સેક્યુલર ન હોય; તો રાજ્ય ક્યાં સુધી, કેટલાં અંશે અને કેવી રીતે સેક્યુલર રહી શકે? હકીકતમાં જ્યાં સુધી સમાજમાં તથા એકંદર માનવીના વૈયક્તિક જીવનમાં ધર્મ ગૌણ ન બન્યો હોય, તેના પ્રત્યેની પ્રતિબદ્ધતા પાતળી પડી ન હોય, ધર્મ સમાજજીવનમાં માર્જિનલાઈઝ્ડ બન્યો ન હોય અથવા સમાજના મુખ્ય પ્રવાહ પરથી તેનો પ્રભાવ દૂર થયો ન હોય ત્યાં સુધી સેક્યુલર રાજ્ય પણ સંભવિત નથી. યુરોપીય દેશોમાં બધી વ્યક્તિઓએ ધર્મ ત્યજ્યો છે તેવું નથી, પણ ધર્મ તથા ધાર્મિક માન્યતાઓ, મુખ્ય પ્રવાહના અંગરૂપ નથી, ધાર્મિક રિવાજો પણ ઔપચારિક ઉજવણી – તે પણ વર્ષમાં માંડ બે–એક પ્રસંગે જોવા મળે. ધર્મ તથા ધર્મની વાતોને ગંભીરતાથી લેનારી વ્યક્તિઓ ત્યાં પણ છે, પરન્તુ તેમની સંખ્યા જૂજ છે અને તેઓ ભાગ્યે જ ધાર્મિક આદેશો અનુસાર કાયદા ઘડવા જોઈએ તેવો આગ્રહ કરી શકે છે. ટૂંકમાં, ત્યાં ધાર્મિક વ્યક્તિઓ અને ધર્મ માર્જિનલાઈઝ્ડ થઈ ગયાં છે. 

અહીં, પ્રથમ એ સવાલ થાય કે ધર્મને આવી રીતે દેશનિકાલ કરવાની શી જરૂર પડી? ધર્મની વાતોમાં એવું શું છે કે સ્વસ્થ અને પ્રગતિશીલ સમાજ રચવા માટે તેને બાજુએ રાખવાનું મુનાસીબ ગણવામાં આવ્યું? ધર્મના કારણે એવી તો કેવી પરિસ્થિતિ પેદા થઈ કે તેને કોરાણે મૂકવાનું આવશ્યક બન્યું? અને સેક્યુલર વ્યવસ્થાની હિમાયત કરવાની જરૂર કેમ પડી? માનવજાતના ઇતિહાસ પર નજર કરતાં આ પ્રશ્નોના ઉત્તર સરળતાથી મળી રહે છે; ઉપરાંત, ધર્મના કારણે વૈચારિક ક્ષેત્રે તેમ જ, જ્ઞાનપ્રાપ્તિના ક્ષેત્રો જે બંધિયાર તથા અવરોધક સ્થિતિ સર્જાઈ હતી, તેમાં આ ધાર્મિક વર્ચસ્વ સામેના વિદ્રોહનો પાયો જોઈ શકાય છે. ધાર્મિક વાડાઓને કારણે માનવસમૂહોમાં ફાલેલી જૂથબંધી, વેર–ઝેર, દમન અને અન્યાય (વર્ણવ્યવસ્થા, સ્ત્રી–પુરુષ સમાનતા) તથા માનવએકતા, અરે, એક રાષ્ટ્રનિર્માણના કાર્યમાં પણ જે મુસીબતો પડતી હતી તેને કારણે ધર્મને જાકારો આપવો જરૂરી બન્યું હતું. અલબત્ત, ધર્મે બધું ખોટું જ કર્યું છે એમ ના કહી શકાય. એક સમયે તેણે માનવસમાજને આવશ્યક સ્થિરતા, નિયમપાલન વગેરેમાં ફાળો આપ્યો હતો, પરન્તુ ધીરે ધીરે તેણે જે સ્વરૂપ અખત્યાર કર્યું તથા તેની કામગીરી વધુ કાર્યક્ષમ રીતે ઉપાડી લે તેવાં તંત્ર રચાતાં તેની ઉપયોગિતા ઘટી અને હાનિકારક પાસું જ તેમની પાસે રહ્યું. 

પ્રથમ તો આપણે કેવો સમાજ નિર્માણ કરવા માગીએ છીએ તેની સ્પષ્ટ કલ્પના હોવી જોઈએ. આ સમાજનાં લક્ષ્યો, આદર્શો અને સંબંધો તથા વ્યવહારો વિશેનું સ્પષ્ટ ચિત્ર હોવું જોઈએ. ત્યારબાદ તે કેટલે અંશે સેક્યુલર વ્યવસ્થા અને સંસ્કારો સાથે સુસંગત છે તે જોવું જોઈએ. તદુપરાંત, આવા સમાજ માટે માનવીમાં કેવાં સંસ્કારો અને વલણ દૃઢ કરવાં જોઈએ તે સમજી લેવું જોઈએ; કારણ કે, છેવટે વ્યક્તિનાં વલણો અને સંસ્કારો તેના વર્તન અને વ્યવહારને ઘડે છે. વ્યક્તિના વર્તન દ્વારા સમાજનાં વ્યવહારો, તંત્ર અને પ્રથાઓ સંચાલિત થાય છે. એટલે કે, વ્યક્તિમાં આપણે એવાં સંસ્કાર અને વલણ સિંચવાં જોઈએ, પ્રેરવાં જોઈએ, જે આપણી કલ્પના અનુસારના સમાજને સમર્થક હોય. જો આપણે એવા સમાજની કલ્પના કરતાં હોઈએ કે જેમાં વ્યક્તિમાત્રની શક્તિઓને મુખરીત થવાની મોકળાશ હોય; વ્યક્તિમાત્રનું ગૌરવ થતું હોય; સૌ સમાન હોય; દરેક વૈચારિક મુક્તિ ધરાવતો હોય; કોઈનું શોષણ કે દમન ન થતું હોય; દરેક વ્યક્તિને પોતાની આવશ્યકતાઓ સંતોષવા માટે માર્ગો સુલભ હોય; ધર્મ, જ્ઞાતિ, જાતિ, લિંગ, પ્રદેશ, રાષ્ટ્ર જેવાં જન્મજાત બંધનોથી ઊભા થતા સંકીર્ણ વાડાઓમાં માનવીનું વિભાગીકરણ થયું ન હોય; વ્યક્તિનું મૂલ્યાંકન જન્મજાત લક્ષણોથી નહીં, પરન્તુ તેણે પ્રાપ્ત કરેલા ગુણો દ્વારા થતું હોય. જૂથવાદના પૂર્વગ્રહો કે વેરઝેર ન હોય. માનવી પરસ્પર સહયોગ અને ભાઈચારાથી જીવતો હોય. મતભેદ હોય પણ મનભેદ ન હોય. માનવી માનવી વચ્ચે, તેના હાથ બહારનાં કે જન્મગત લક્ષણોને કારણે વેરો–આંતરો ન હોય. આ એક વિશ્વસમાજનું કલ્પન છે, વિશ્વમાનવનું કલ્પન છે. આ કલ્પનમાં સેક્યુલર સમાજ વ્યવસ્થાના, સેક્યુલર વલણ ધરાવતાં માનવીનાં, લક્ષણો સૂચિત છે. સેક્યુલર રચનાનું આપણું કલ્પન આ ચિત્ર સાથે સુસંગત હોય તો આપણે એવી તંત્રરચનાઓ (સ્ટ્રક્ટર્સ), પ્રથાઓ (ઈન્સ્ટિટ્યૂશન્સ) અને વલણ તથા સંસ્કારોને (કલ્ચર) દૃઢ કરવાં જોઈએ, પ્રેરવા જોઈએ, જે આ ચિત્રને યથાર્થ બનાવે. સમાજની તંત્રત્રરચના અને પ્રથાઓ તથા વ્યક્તિનાં વલણ અને સંસ્કારો એકબીજાને પ્રભાવિત કરતાં હોય છે. આ ત્રણેની ગુંથણીમાંથી સમાજનું પોત રચાય છે, સામાજિક સ્થિરતા સર્જાય છે; પરન્તુ આ ગુંથણીથી રચાતી વ્યવસ્થા માનવપ્રગતિ માટે આવશ્યક પાયાનાં મૂલ્યો સાથે સુસંગત ન હોય ત્યારે વ્યક્તિ વિદ્રોહ કરી નવાં મૂલ્યો અને તેને અનુરૂપ તંત્ર અને પ્રથાઓ સ્થાપવા સંઘર્ષ કરે છે. તેમ જ બાહ્ય પરિબળો કે નવી અપેક્ષાઓ તથા ઉપરથી આવતા તંત્રગત પરિવર્તનને કારણે પણ પરિવર્તનનાં ચક્રો ગતિશીલ બને છે. ક્યારેક આ બન્ને એક સાથે પણ આવે છે, પરન્તુ છેવટે સમાજની રચના કે પ્રથાઓ પાછળનાં મૂલ્યો અને વ્યક્તિનાં વલણ તથા સંસ્કારો માનવ પ્રગતિને પ્રેરક હોય; સ્વતંત્રત્રતા, સમાનતા અને બંધુત્વને સમર્થક હોય તો જ સ્થિર અને ન્યાયી સમાજ રચી શકાય. સેક્યુલર સમાજ કે માનવીને આકાર આપવા માગતી વ્યક્તિઓએ એવાં તંત્ર કે પ્રથાઓનું સમર્થન કે નિર્માણ કરવું જોઈએ, જે સેક્યુલર મૂલ્યોની નિકટ હોય; વ્યક્તિમાં એવાં વલણો કે સંસ્કારોનું સમર્થન નિર્માણ કરવું જોઈએ, જે સેક્યુલર હોય, તેમ જ સેક્યુલર લક્ષ્યથી વિરોધી કે તેને અવરોધક પરિબળોને નાબૂદ કરવા મથવું જોઈએ. તંત્રની રચના અને તેનું સંચાલન કરતી પ્રથાઓ માનવ નિર્મિત છે. વ્યક્તિનાં વલણો અને સંસ્કારો પણ માનવી દ્વારા ઘડાય છે, આમ બન્નેમાં કેન્દ્રસ્થાને માનવી છે. આથી, વ્યક્તિનાં વલણો અને સંસ્કારોમાં પરિવર્તન લાવવામાં આવે તો ક્રાંતિકારી પરિવર્તન માટેનાં દ્વાર ખૂલી જાય છે. તંત્ર અને પ્રથાઓ મહત્ત્વનાં છે, તેમની શક્તિ ઓછી આંકવી જોઈએ નહીં.  

[પ્રાધ્યાપક જયંતી પટેલ]

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...249250251252...260270280...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved