Opinion Magazine
Number of visits: 9556353
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

સોનલ પરીખ|Gandhiana, Opinion - Opinion|19 November 2025

સરદાર વલ્લભભાઈ પટેલને ન મળેલા વડા પ્રધાનપદ અને તેમને બહુ મોડા મળેલા ‘ભારતરત્ન’ વિશેના વિવાદો પર ઊછળવાને બદલે આપણે એ શિલ્પીના ઘડેલા ભારતને ચાહીએ અને સાચા અર્થમાં અખંડ રાખીએ તો એમને યોગ્ય અંજલિ આપી ગણાશે. 

સરદાર પટેલ તેમના પુત્રી મણિબહેન, સચિવ વી. શંકર અને જોધપુરના મહારાજાને જયપુર લઈ જઈ રહેલું એ વિમાન દિલ્હીના પાલમ ઍરપોર્ટ પરથી સાંજે 5 વાગ્યાને 32 મિનિટે ઊડ્યું. લગભગ 158 કિલોમીટરનું અંતર કાપવા માટે એક કલાકથી વધુ સમય થવાનો ન હતો. વલ્લભભાઈ પટેલના હૃદયની હાલતને ધ્યાનમાં લઈને વિમાન 3,000 ફૂટથી ઉપર નહીં ઉડાડવાની સૂચના પાઇલટ ફ્લાઇટ લેફટેનેન્ટ ભીમ રાવને આપવામાં આવી હતી. ફ્લાઇંગ લાયસન્સ ધરાવતા જોધપુરના મહારાજાએ સાંજે છએક વાગ્યે સરદાર પટેલને જણાવ્યું હતું કે વિમાનનું એક ઍન્જિન કામ કરતું બંધ થઈ ગયું છે. એ સમયે વિમાનનો રેડિયો પણ બંધ થઈ ગયો હતો અને વિમાન બહુ ઝડપથી નીચે આવવા લાગ્યું હતું. ઑલ ઇન્ડિયા રેડિયોએ તેના 29 માર્ચ, 1949ના રાતના 9 વાગ્યાના બુલેટિનમાં સમાચાર આપ્યા કે સરદાર પટેલને દિલ્હીથી જયપુર લઈ જઈ રહેલા વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો છે અને શ્રોતાઓનાં હૃદય ધબકારા ચૂકી ગયાં …

દરમિયાન પાઇલટે જયપુરથી ઉત્તરમાં 30 માઈલ દૂર વિમાનનું ક્રૅશ લૅન્ડિંગ કરવાનો નિર્ણય કર્યો. ક્રૅશ લૅન્ડિંગ વખતે વિમાનના દરવાજા સજ્જડ રીતે બંધ જ રહે એવી શક્યતા હોય છે એથી પ્રવાસીઓને સૂચના આપવામાં આવી કે વિમાનની છત પરની ઇમર્જન્સી ઍક્ઝિટમાંથી ઝડપથી બહાર નીકળી જવું કેમ કે ક્રૅશ લૅન્ડિંગ વખતે વિમાનના ઍન્જિનમાં આગ લાગવાની સંભાવના ઘણી હોય છે. પાંચ મિનિટ પછી પાઇલટે વિમાનને સફળતાપૂર્વક જમીન પર ઊતારી દીધું. 

સરદાર પટેલના સચિવ તરીકે ફરજ બજાવી ચૂકેલા વી. શંકરે તેમની આત્મકથા ‘રેમિનિસન્સ’માં લખ્યું છેઃ  ‘પટેલના હૃદય પર શું વીતી રહ્યું હશે એ તો હું ન કહી શકું, પણ તેમના પર કોઈ અસર થઈ હોય એવું બહારથી જણાતું ન હતું. તેઓ, જાણે કે કંઈ બન્યું જ ન હોય તેમ, શાંતિથી બેઠા હતા.’ આ હતી લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર પટેલના હૃદયની મજબૂતી.

વિમાનના ઉતરાણની થોડી મિનિટોમાં જ ગામલોકો ત્યાં પહોંચી ગયા હતા. વિમાનમાં સરદાર પટેલ છે એવી ખબર પડતાં જ ગામલોકોએ તેમના માટે પાણી અને દૂધ મંગાવ્યાં ખાટલા બિછાવ્યા. ઘટનાસ્થળની સૌથી વધુ નજીક ક્યો માર્ગ છે એ શોધવા જોધપુરના મહારાજા અને વિમાનના રેડિયો ઑફિસર નીકળી પડ્યા. અંધારું થઈ ચૂક્યું હતું. ઘટનાસ્થળે સૌથી પહેલાં પહોંચેલા કે.બી. લાલ નામના અધિકારીએ પછીથી લખ્યું હતું : ‘હું ત્યાં પહોંચ્યો ને જોયું તો સરદાર વિમાનની ડિસમેન્ટલ થઈ ગયેલા ખુરશી પર બેઠા હતા. મેં તેમને કારમાં બેસવા કહ્યું ત્યારે તેમણે કહ્યું, ‘પહેલાં મારી ટીમના લોકો અને જોધપુરના મહારાજાને કારમાં બેસાડો.’ આ હતું સરદારનું સંવેદનશીલ, જવાબદાર નેતૃત્વ. 

મહાત્મા ગાંધીના પૌત્ર રાજમોહન ગાંધીએ ગાંધીજી, પંડિત નહેરુ અને સરદાર પટેલ આ ત્રણેની જીવનકથા લખી છે. એમનું કહેવું છે કે ‘જે ભારત જે કંઈ પણ છે તેમાં સરદાર પટેલનું બહુ મોટું યોગદાન છે, તેમ છતાં આપણે તેમની ઉપેક્ષા કરી છે. આઝાદ ભારતના શાસનતંત્રને કાયદેસરતા પ્રદાન કરવામાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલની ત્રિમૂર્તિએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ભારતીય ઇતિહાસ ગાંધી અને નહેરુના યોગદાનને તો સ્વીકારે છે, પણ સરદાર પટેલને વખાણવામાં કંજૂસાઈ કરે છે.’ 

બ્રિજના ઉત્તમ ખેલાડી એવા સરદારમાં ખેડૂત જેવી જીદ, બરછટપણું અને દરિયાદિલી હતાં. નહેરુ અને પટેલે લગભગ એક જ સમયે પરદેશમાં વકીલાતનો અભ્યાસ કર્યો હતો. એ દરમિયાન તેમની મુલાકાત થઈ હતી કે કેમ એ જાણવા મળતું નથી. સરદાર પટેલને તેમના લંડનવાસ દરમિયાન પશ્ચિમી વસ્ત્રો ગમી ગયા હતાં પણ પછી ગાંધીજીના સ્વદેશી આંદોલનથી પ્રભાવિત થઈ તેમણે ભારતીય વસ્ત્રો પહેરવાનું શરૂ કરી દીધું. ખાદીની સાથે સાદગી એવી અપનાવી લીધી કે તેઓ દીકરી મણિબહેને કાંતેલી ખાદીનાં કપડાં જ પહેરતા. પિતા એકલા ન પડી જાય તે માટે મણિબહેન પરણ્યાં નહીં અને એમણે પણ જીવનભર હાથે કાંતેલી સફેદ ખાદીની સાડી પહેરી. સરદાર ગૃહ પ્રધાન થયા પછી પણ સાંધેલી સાડી પહેરવામાં મણિબહેનને કે ચશ્માંની તૂટેલી દાંડીમાં દોરી બાંધવામાં સરદાર પટેલને કોઈ સંકોચ ન હતો. 

ભારતના પ્રથમ કમાન્ડર ઈન ચીફ જનરલ કરિઅપ્પા અને સરદાર પટેલની એક મુલાકાત વિશે જાણવા જેવું છે. 1947ની વાત. જનરલ કરિઅપ્પાને સંદેશો મળ્યો કે સરદાર પટેલ તેમને તાત્કાલિક મળવા માગે છે. કરિઅપ્પા ત્યારે કાશ્મીરમાં હતા. તેઓ તરત દિલ્હી આવ્યા અને પાલમ એરપોર્ટથી સીધા ઔરંગઝેબ રોડ પર આવેલા સરદાર પટેલના ઘરે પહોંચ્યા. કરિઅપ્પા અંદર ગયા, પાંચ જ મિનિટમાં બહાર આવ્યા. સરદાર પટેલે તેમને એક જ સવાલ પૂછ્યો હતો કે ‘હૈદરાબાદ ઑપરેશન દરમિયાન પાકિસ્તાન તરફથી કોઈ પ્રતિક્રિયા આવશે તો વધારાની કોઈ મદદ વિના તમે તેનો સામનો કરી શકશો?’ તેનો જવાબ કરિઅપ્પાએ એક જ શબ્દ ‘હા’માં આપ્યો હતો અને બેઠક પૂરી થઈ ગઈ હતી. એ સમયના ભારતીય સૈન્યના વડા જનરલ બૂચર કાશ્મીરની પરિસ્થિતિને જોતાં હૈદરાબાદમાં કોઈ કાર્યવાહી કરવાના પક્ષમાં ન હતા. બીજી તરફ ઝીણા ઘમકી આપતા હતા કે ભારત હૈદરાબાદમાં હસ્તક્ષેપ કરશે તો બધા મુસ્લિમ દેશો ભારતને ‘જોઈ લેશે’. કરિઅપ્પા સાથેની બેઠક પછી તરત જ સરદારે હૈદરાબાદમાં ઑપરેશન હાથ ધરવાનો આદેશ આપ્યો અને બીજા અઠવાડિયે હૈદરાબાદ ભારતમાં જોડાઈ ગયું.  

રાજમોહન ગાંધી લખે છે, ‘1947માં પટેલ ઉંમરમાં 10 કે 20 વર્ષ નાના હોત તો કદાચ બહુ સારા અને સંભવતઃ નહેરુથી બહેતર વડા પ્રધાન સાબિત થયા હોત, પરંતુ 1947માં સરદાર નહેરુથી ઉંમરમાં 14 વર્ષ મોટા હતા અને વડા પ્રધાનપદને ન્યાય આપી શકે એટલા સ્વસ્થ પણ ન હતા.’ સરદારના સચિવ વી. શંકરે તેમની આત્મકથા ‘રેમિનિસન્સ’માં લખ્યું છે કે 1948ના અંત સુધીમાં સરદાર બધું ભૂલવા લાગ્યા હતા અને મણિબહેને નોંધ્યું હતું કે સરદારને બહેરાશ આવી ગઈ હતી અને થોડીવારમાં થાકી જતા હતા. બગડતી તબિયત સાથે પણ નવા સ્વતંત્ર થયેલા રાષ્ટ્રનું ઘડતર ચાલતું રહ્યું. તેમને અંદાજ આવતો હતો કે અંત નજીક છે અને તેઓ તેમની પ્રિય પંક્તિઓ ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ ગણગણતા રહેતા. 

સરદાર પટેલ કહેતા, ‘ક્યારેક પોતાનું અપમાન સહી લેવું પડે છે. એ માટે શક્તિ અને સાહસ જોઈએ.’ ‘વધુ પડતી ભલાઈ વિઘ્નરૂપ છે. આંખોને લાલ થવા દો અને અન્યાયનો મજબૂત હાથોથી સામનો કરો.’ ‘મુશ્કેલ સમયમાં કાયરો બહાનાં શોધે છે અને બહાદુરો રસ્તા.’ ‘અહિંસક એને કહેવાય જે તલવારબાજીમાં નિપુણ હોવા છતાં તલવારને મ્યાનમાં રાખી શકે.’ ‘લોઢું ગમે તેટલું ગરમ હોય, હથોડો ઠંડો રહીને પ્રહાર કરે તો જ કામ થાય.’ 

સરદારની મહાનતા તો એટલી ઊંચી કક્ષાની હતી કે અત્યારની આપણી સીમિત અને સંકુચિત સમજમાં પૂરી ઊતરે પણ નહીં, પણ છેલ્લાં થોડાં વર્ષોમાં સરદારની મહાનતા અને સરદારને થયેલો અન્યાય વગેરે વિષે જરા ઝનૂની ઊછાળા સાથે વાતો થાય છે એથી એમની ધવલ, શુચિ-શુભ્ર સ્વચ્છ પ્રતિભા એમના ‘ભક્તો’ના હાથે જ જરા ઝાંખી પડી રહી હોય એવું દૃશ્ય ઊભું થાય છે. ભારતનો ઇતિહાસ વર્ણવતાં પુસ્તકોમાં સરદારનો ઉલ્લેખ કેટલી વાર થયો ને કેટલી વાર નહીં એવી ગણતરીઓ, તેમને ન મળેલા વડા પ્રધાનપદ અને તેમને બહુ મોડા મળેલા ‘ભારતરત્ન’ વિશેના વિવાદોને એમની જગ્યાએ છોડી આપણે એ શિલ્પીના ઘડેલા ભારતને ચાહીએ અને સાચા અર્થમાં અખંડ રાખીએ તો એમને યોગ્ય અંજલિ આપી ગણાશે. 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 26 ઑક્ટોબર  2025

Loading

મારી દુનિયાનાં તમામ બાળકો

અદનાન કફિલ દરવેશ [હિન્દી પરથી અનુવાદ : રૂપાલી બર્ક]|Poetry|19 November 2025

એ એકઠાં થશે એક દિવસ અને ભેગાં મળીને રમશે
એ સાફ સુથરી દીવાલો પર પેન્સિલની અણી ઘસશે
એ કૂતરાં સાથે,
બકરીઓ સાથે,
લીલા ટીનસા સાથે,
અને કીડીઓ સાથે પણ વાતો કરશે …

એ બે-લગામ દોડશે
પવન અને તડકાની સતત દેખરેખ હેઠળ
અને ધરતી ધીરે ધીરે ફેલાતી જશે
એમના પગની આસપાસ

જો જો
એ તમારી બખ્તર ગાડીઓમાં રેતી ભરી દેશે
અને તમારી બંદૂકો માટીમાં ઊંડે દાટી દેશે
એ રસ્તાઓ પર ખાડા ખોદશે અને એમાં પાણીથી ભરી દેશે
અને પાણીમાં થઈ છપા-છપ કરતાં પાછાં ફરશે …

એક દિવસ એ એમને પ્રેમ કરશે
જેમને તમે નફરત કરવાનું શિખવ્યું છે
એ તમારી દીવાલોમાં
કાણું પાડી દેશે એક દિવસ
અને આરપાર જોવાનો પ્રયત્ન કરશે
ઓચિંતી ચીસ પાડી ઊઠશે!
અને કહેશે —
“જુઓ! પેલે પાર પણ મોસમ આપણે ત્યાં છે એવી જ છે”
એ પવન અને તડકાનો અનુભવ
એમના ગાલ પર લેવા ચાહશે
અને એ દિવસે તમે એમને નહીં રોકી શકો!

એક દિવસ તમારાં સુરક્ષિત ઘરોમાંથી બાળકો બહાર ચાલ્યાં આવશે
અને વૃક્ષો પર માળા બનાવશે
એમને ખિસકોલીઓ ખૂબ પસંદ છે
એમની સાથે એ મોટાં થવા ચાહશે …

એ દરેક ચીજને વધુ સુંદર બનાવવા
ઊંધી-ચત્તી કરશે એ તમે જોશો …

એક દિવસ મારી દુનિયાનાં બધાં બાળકો
કીડી, જીવજંતુ,
નદી, પહાડ, સમુદ્ર
અને તમામ વનસ્પતિની સાથે મળીને હલ્લો બોલાવશે
અને તમારી બનાવેલી દરેક વસ્તુને
રમકડું બનાવી દેશે ….

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

સાર્ધ શતાબ્દીનો કળશ : ‘વંદે માતરમ્’ની સ્વીકૃતિ અને રાજકારણ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|19 November 2025

‘વંદે માતરમ્‘ની ઉજવણીમાં પક્ષીય વિચારધારાના પ્રવેશથી, શું આપણે રાષ્ટ્રીય ગીતના ઇતિહાસ અને તેની સ્વીકૃત સર્વસંમતિનો અનાદર કરી રહ્યા છીએ?

પ્રકાશ ન. શાહ

રાષ્ટ્રીય ગાન તરીકે સત્તાવાર અલંકૃત અને રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ની બરોબરીનું વિધિવત સન્માનપ્રાપ્ત ‘વંદે માતરમ્’ હવે સાર્ધ શતાબ્દીએ પહોંચ્યું છે ત્યારે ભારત સરકાર વરસ આખું એના ઓચ્છવની રીતે મનાવે, એથી કોણ રાજી ન થાય?

છતાં આ રાજીપો, કંઈક કુંડાળામાં પડી ગયેલો કે પડું પડું વરતાય છે એવું કેમ. વડા પ્રધાને ‘મન કી બાત’માં અને પછી સાતમી નવેમ્બરે સાર્ધ શતાબ્દીના શ્રીગણેશ માંડતા જે વાતો કરી એમાંથી કેમ જાણે એક રાષ્ટ્રીય નેતૃત્વ કરતાં વચ્ચે વચ્ચે પક્ષપરિવારી વિચારધારા સોડાતી હતી.

રહો, જરા વિગતે વાત કરીએ. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ‘આનંદમઠ’ નવલકથામાં લઈ આવ્યા અને એ જાણીતું થયું તે જરૂર સાચું છે. ‘આનંદમઠ’માં એનો ઉપયોગ સંઘર્ષગાન રૂપ માતૃવંદના રૂપે થયો છે. એક એવું આકલન પણ કાલજયી ‘વંદે માતરમ્’ અને યુગપ્રવર્તક ‘આનંદમઠ’ને અનુલક્ષીને થયું છે કે સર્જકે સ્વરાજ સંદેશ સારુ લીધેલું ઓઠું ચોક્કસ સમજથી અંગ્રેજ શાસકોને ટાળીને હિંદુ-મુસ્લિમ તરેહનું લીધું છે. તેમ છતાં, સંતાનધર્મની અપીલ અને ‘વંદે માતરમ્’ની મોહનીનો એક સાક્ષાત્કારક અનુભવ 1905ના બંગબંગ દિવસોમાં એની અસલ અપીલ(‘આનંદમઠ’ પૂર્વે હોઈ શકતી અપીલ)નો હતો એ પણ ઇતિહાસવસ્તુ છે. એની તરજ બાંધી રાખીબંધનના ભાવપૂર્વક કોલકાતાની સડકો પર ફરી વળતા યુવા રવીન્દ્રનાથનું સ્મરણ એટલું જ રોમાંચક છે જેટલું આકર્ષક બંકિમબાબુનું સ્મરણ પણ છે.

પણ, ઇતિહાસ જેનું નામ એને તમે ને હું બધો વખત બન્યો ન બન્યો તો નયે કરી શકીએ. ‘વંદે માતરમ્’ના ઉત્તર ભાગમાં આવતો દુર્ગાનો ઉલ્લેખ, આમ તો કવિની દૃષ્ટિએ માતૃમૂર્તિનો ઉલ્લેખ, કાળક્રમે કોઈ મુસ્લિમ ફિરકાને ભારતસમસ્તને બદલે પક્ષિલ લાગ્યો એ પણ ઇતિહાસવસ્તુ છે. કોલકાતામાં એક તબક્કે હિંદુ-મુસ્લિમ તનાવ વખતે એક પક્ષે ‘વંદે માતરમ્’નો ઉપયોગ ‘વૉર ક્રાય’ તરીકે થયો તે કમનસીબ બીના પણ ઇતિહાસદર્જ છે.

સંઘ તો સ્વરાજ લડતમાં સીધો નહોતો પણ લડતમાં પડેલાઓ વચ્ચે લાંબી ચર્ચા આ સંદર્ભે થઈ છે અને રાષ્ટ્રીય લડતને હિંદુ મહાસભા તેમ મુસ્લિમ લીગ વચ્ચેના તનાવમાંથી બહાર કાઢવાનો હેતુ એની પાછળ રહ્યો છે. 1937માં મૌલાના આઝાદ, સુભાષબાબુ, જવાહરલાલ, રવીન્દ્રનાથ અને નરેન્દ્રદેવે એને વિશે સઘન વિચારણા કરી એમાંથી એનું વર્તમાન સ્વીકૃત સ્વરૂપ બહાર આવ્યું છે. સ્વરાજની પહેલી કેબિનેટે તે મે 1948માં બહાલ રાખ્યું ત્યારે શ્યામાપ્રસાદ મુખર્જી પણ એમાં સંમત અને સહભાગી હતા.

એક તબક્કે સુભાષબાબુએ પૂર્ણ ‘વંદે માતરમ્’ કોઈ હિંદુ રચના નથી તેમ કહ્યું પણ હતું. પણ રવીન્દ્રનાથ સાથેની ચર્ચા પછી એમણે એના અનર્થઘટનની શક્યતા સ્વીકારી. રવીન્દ્ર-રચના જન ગણ મન (જેનો પણ આરંભનો અંશ જ રાષ્ટ્રગીત તરીકે સ્વીકારાયો છે) પહેલી વાર મોટે પાયે પ્રયોજાઈ તે દેશ બહાર સુભાષબાબુએ રચેલ આઝાદ હિંદ સરકારના વારામાં – એમાં પણ સંસ્કૃતનો વિનિયોગ સુભાષબાબુએ સ્વીકૃત સ્વરૂપમાં ઘટાડ્યો હતો અને સામાન્યપણે જેને હિંદુસ્તાની કહી શકીએ એવી બાનીમાં એ મૂક્યું હતું.

જે મુદ્દો આપણા ખયાલમાં નથી આવતો તે એ છે કે જેમ જેમ સામસામી ઓળખોનું રાજકારણ વિકસે તેમ વ્યાપકપણે વસવા જોઈતા મુદ્દા સામસામા સાંકડા અર્થોમાં મુકાઈ જાય છે. પોંડિચેરીવાસમાંથી, મુંજે અને હેડગેવારના આગ્રહ છતાં, અરવિંદે કાઁગ્રેસ નેતૃત્વ માટે (તિલકની ખોટ પૂરવા) બહાર આવવાની ના પાડી ત્યારે જેમ એમણે શરૂ કરેલ સાધનાનું કારણ હતું તેમ પોતે ‘વંદે માતરમ્’થી માંડી ‘ધર્મ’ સુદ્ધાંની સાંકડી ઓળખની બહાર ચાલી ગયા છે એ સ્પષ્ટતા પણ કામ કરી ગઈ જણાય છે. છૂટપૂટ ઉલ્લેખો નહીં પણ ‘સમગ્ર અરવિંદ’માંથી પસાર થતાં એ સમજાય છે.

જરા જુદી રીતે, ‘વંદે માતરમ્’ સંદર્ભે નહીં પણ એમાં ઉપયોગી એક વિગત હું જનસંઘના આદ્ય સ્થાપકો પૈકી બલરાજ મધોકને સંભારીને કરવા ઇચ્છું છું. મધોક સંઘમાં જોડાયા ત્યારે પ્રાર્થનામાં અલબત્ત જોડાતા. પણ આરંભકાળની એ પ્રાર્થના ‘રામદૂત હનુમાન’ને અનુલક્ષીને રચાઈ હતી. મધોકે આત્મકથામાં સંભાર્યું છે કે એમના આર્યસમાજી ઉછેરની કારણે એમને એમાંથી મૂર્તિપૂજાની બૂ આવતી ને તે કઠતી. પછી ‘નમસ્તે સદાવત્સલે’ એ પ્રાર્થના આવી ત્યારે એમના દિલને કરાર વળ્યો ય ‘વંદે માતરમ્’ પર જ્યારે ચર્ચા ચાલી ત્યારે રવીન્દ્રનાથે પણ સંભાર્યું છે એમાં આવતો પ્રતિમાપૂજા જેવો અંશ એમના બ્રાહ્મો ઉછેરને કઠતો હતો.

અરવિંદનું એક બીજું અવલોકન સંભારું? એમણે કહ્યું છે કે 1916માં જે લખનૌ પેક્ટ થયો, તિલકે જેમાં આગળ પડતો ભાગ લીધો અને હિંદુ-મુસ્લિમ બેઠક વહેંચણીથી સમાધાન સાધ્યું, એને પરિણામે ભલે અણધાર્યું પણ એવું થયું કે બે જુદી ઓળખોને ધાર અને આધાર સાંપડ્યો, સ્વીકૃતિ મળવામાં સગવડ થઈ. આ પ્રક્રિયામાં પોતપોતાનો અલગાવવાદી એજન્ડા ઉછાળતા મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાને સ્વાભાવિક જ મોકા પર મોકા મળી રહ્યા.

સ્વરાજ સંગ્રામ અને સ્વરાજ નિર્માણની સમગ્રતા ‘વંદે માતરમ્’ની ઘટનાને જોવા-સમજવા તેમ તપાસવા અને બિરદાવવાના ઉપક્રમને કાઁગ્રેસે (જ્યારે તે પક્ષ કમ અને રાષ્ટ્રીય ચળવળ વધુ હતી ત્યારે) ‘વંદે માતરમ્’ના ટુકડા કર્યા ને દેશના ભાગલા પાડ્યા એવા સપાટબયાનીનો મામલો આ નથી. સરકારી કચેરીઓમાં સંપૂર્ણ ‘વંદે માતરમ્’ ગવાયાના હેવાલોમાંથી ઊઠતી છાપ કોઈ રાષ્ટ્રીય ઉજવણી કરતાં વધુ તો કાઁગ્રેસ વિરોધી રાજકારણની ઊઠે છે, અને બંધારણ સભામાં સ્વીકૃત સમજનો એમાં અનાદર છે તે વધારામાં.

‘વંદેમાતરમ્’ વિવાદને અંતે સર્જાયેલ એકંદરમતી સમજવામાં મદદ મળશે એ આશા અપેક્ષાએ સાર્ધ શતાબ્દી ઉજવણાંનું સ્વાગત.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 19 નવેમ્બર  2025

Loading

...1020...24252627...304050...

Search by

Opinion

  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા
  • ‘વંદે માતરમ્’નું વરવું રાજકારણઃ કોમી ધ્રુવીકરણનું અનર્થકારણ
  • યા દિલ કી સુનો દુનિયાવાલો, યા મુઝકો અભી ચૂપ રહને દો

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved