ઇતિહાસ પામતો રહે છે પુનરાવર્તન
પણ કશું જ શીખતો નથી માણસ.
ન શીખ્યો પહેલા વિશ્વયુદ્ધમાંથી કશું જ
બીજામાંથી કશું જ,
કે શસ્ત્રહોડ આજે ય ચાલુ છે.
ધરતીની કૂખ બની ગઈ છે
ઊંડાં ઊંડાં ઊંડાં કોતરો જેવી,
મોટી મોટી હિમનદીઓ રહી છે ઓગળી,
સ્કાયસ્કૅપરો કાતરી કાતરીને ખાઈ રહ્યાં
લીલાં કુંજાર વનોને,
વિમાનો ને રોકેટોએ પાડી દીધાં
નીલા આસમાનમાં કાણાં,
પારજાંબલી કિરણો પણ આવે છે
ગળાયા વિના,
બની રહી છે ધરતી ગરમ અને ગરમ.
પ્લેગ આવ્યો અને ગયો,
ફલૂ આવ્યો અને ગયો,
બસ એમ જ કોરોના પણ આવ્યો છે ને જશે,
પણ તમે જોજો, નહીં સુધરે માનવી
ધર્મ હોય કે વિજ્ઞાન
દુરુપયોગ કરવાનું
એને કોઠે પડી ગયું છે.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 01 મે 2020
![]()


નવતર કોરોના વિષાણુએ ૨૦૨૦ના જાન્યુઆરી મહિનાના અંતિમ દિવસે ભારતમાં દેખા દીધી હતી. ૨૨મી માર્ચની સરકાર ઘોષિત સ્વંયસંચારબંધી અને ૨૪મી માર્ચથી શરૂ થયેલી દેશવ્યાપી ચાળીસ દિવસની ઘરબંધીના અંતિમ ચરણમાં, કોરોનાકાળની ભારતના દલિતોની દુનિયા વિશે વિચારતાં થતી લાગણી પીડા, દુ:ખ અને શરમની છે. શાં રૂઠ્યાં અમ ભાગ્ય કે ભારતમાં અમે જનમ લીધો—એવો પ્રશ્ન સતત પીડે છે.
તા. ૧૮મી એપ્રિલે મારી નાની બહેન હેમાંગિનીનો રાત્રે ફોન આવ્યો. એનો નિકટનો મિત્ર અક્રમ એમ. આર. તરીકે કામ કરે છે. તે કોરોનાનાં લક્ષણ ધરાવતો હતો, એવી જાણ થઈ. અક્રમ ૧૮મી એપ્રિલની સાંજથી ૧૦૪ નંબર પર સતત ફોન કરી રહ્યો હતો કે કૉર્પોરેશનની ટીમ આવીને તેને હૉસ્પિટલ સુધી પહોંચાડે. ઘણા ફોન છતાં કોઈ ન આવ્યું, એટલે તે જાતે સવારે અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં દાખલ થયો. ૧૯મીની રાત્રે એક વાગ્યે તેનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો. મારે તેની સાથે ૨૦મી એપ્રિલે સવારે વાત થઈ. એ દિવસે સવારના અગિયાર વાગ્યા સુધી કોઈ દરદીને ચા-નાસ્તો કંઈ જ અપાયું ન હતું. દરદીઓ વચ્ચે પાણીનો એક જ જગ, એક જ ટોઇલેટ અને ગંદકીથી ભરેલો વૉર્ડ. ૧૯મીની સવારે દાખલ થયેલા અક્રમે ૨૨મી એપ્રિલ સુધી એક પણ ડૉક્ટર કે મૅડિકલ સ્ટાફને એક પણ વાર જોયાં નહીં. એક માત્ર રિસેપ્શનિસ્ટથી કામ ચાલતું હતું. સિવિલની ૧,૨૦૦ પથારીવાળી અલાયદી હૉસ્પિટલની ગુનાઇત બેદરકારી વિશે છાપાં, ન્યૂઝ ચેનલોમાં ભરપૂર આવ્યું. એટલે એની વિગતોમાં નથી જતી. દરરોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય, રાજ્યના આરોગ્ય સચિવ અને શહેરના મ્યુનિસિપલ કમિશનરની વીડિયો કોન્ફરન્સના અહેવાલથી લોકો સમક્ષ આપણા તંત્રની સજ્જતાનું જે ફૂલગુલાબી ચિત્ર ઊભું થયું હતું, તે તાજેતરના અહેવાલોથી સાવ ભાંગી પડ્યું.