Opinion Magazine
Number of visits: 9663876
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીમાર્ગ કઠિન છે?

મનસુખ સલ્લા|Gandhiana|22 June 2025

મનસુખભાઈ સલ્લા

દેશના ભ્રષ્ટ વ્યવહારો અને કથળેલી સ્થિતિ જોતાં એવી શંકા જાગે કે શું આ દેશમાં ગાંધીજી થયા હતા? આ દેશે અહિંસક માર્ગે સ્વરાજ મેળવ્યું હતું? સ્વરાજપ્રાપ્તિ માટે હજારો લોકોએ સ્વેચ્છાએ કષ્ટો વેઠયાં હતાં? ફક્ત 70 વર્ષના ટૂંકા ગાળામાં જાણે કે પ્રજા આ ભૂલીને વર્તી રહી હોય તેવું લાગે છે. સાથે જ એ પણ સમજવા જેવું છે કે સ્વરાજપ્રાપ્તિ વખતે દેશની વસ્તી 35 કરોડ આસપાસ હતી. 80 કરોડ જેટલી નવી વસ્તીને સ્વરાજનાં મૂલ્યો કે દેશપ્રીતિ માટે સ્વાર્પણ અને ત્યાગનો પ્રત્યક્ષ અનુભવ જ નથી. બીજી બાજુ આપમતલબી અને ટૂંકનજરિયા રાજકીય આગેવાનોએ પ્રજાને વચનો આપીને અપેક્ષાઓ જગાડવાનું જ કામ કર્યું છે. એમનાં જીવન ગાંધીજીનાં મૂલ્યોથી વિપરીત થતાં ગયાં અને ભ્રષ્ટાચારના કળણમાં ખૂંપતાં થયાં છે. એટલે પ્રજા ગાંધીજી કે સ્વરાજની લડતની વાત સાંભળે છે ત્યારે વર્તમાન સ્થિતિ સાથે સરખામણી કરીને નિરાશ થાય છે. બીજી બાજુ, અપેક્ષાના જ્વાળામુખીમાં ફસાયેલો મધ્યમવર્ગ ચાલુ પ્રવાહમાં ફાવી જવા માટે મૂલ્યો, આદર્શો અને સંસ્કારોને બાજુએ મૂકીને “કોઈ પણ રીતે ફાવી જવા” આંધળુકિયાં કરી રહ્યો છે.

… તો આનો ઉપાય છે ખરો? હા, ઉપાય છે અને હાથવગો છે. ફરી ગાંધીનો રસ્તો ગ્રહણ કરવો તે ઉપાય છે. ગાંધીજીની વેષભૂષાનું અનુકરણ તે ગાંધીમાર્ગ નથી, તેમણે આપેલાં જીવનમૂલ્યોનું અનુસરણ એ ગાંધીમાર્ગે ચાલવાનો પ્રારંભ છે.

શું ગાંધીમાર્ગે ચાલવું અતિ કઠિન છે? ‘ના’ અને ‘હા’ બંને જવાબ હોઈ શકે છે. કેવળ સ્વહિત બુદ્ધિથી અને સંકુચિત રીતે વિચારનાર—વર્તનાર માટે ગાંધીમાર્ગ કઠિન છે; પરંતુ પોતાની જેમ અન્યનો વિચાર કરનાર, વિશાળ દૃષ્ટિથી જોનાર અને માનવતાનાં મૂલ્યોની ખેવનાવાળા માટે ગાંધીમાર્ગ અઘરો નથી. એ માર્ગની ખૂબી એ છે કે સ્ત્રી હોય કે પુરુષ, ભણેલા હોય કે અભણ, તવંગર હોય કે ગરીબ, ઉચ્ચ સ્થાને બેઠેલા હોય કે સામાન્યજન— સૌ માટે ગાંધીમાર્ગ શક્ય છે.

(૧) ગાંધીમાર્ગે ચાલવાની સૌથી પહેલી શરત છે—એ આચરણનો ધર્મ છે, કેવળ વાતોનો નહિ. 

એક ડગલું એ માર્ગે ચાલતાં પછીનાં ડગલાં મંડાય છે. એટલે બીજા કોઈક પ્રારંભ કરે, હું પાછળ ચાલીશ એ ભાવ છોડીને દરેકે પોતાનાથી પ્રારંભ કરવાનો છે. જેને જેટલું સમજાય તેટલાથી પ્રારંભ કરી દે. એવો પ્રારંભ વસ્તુવપરાશ વિશે હોય, પ્રકૃતિને ઘસારો પહોંચાડવા બાબત હોય, પસંદગીઓ અંગેનો હોય કે સંબંધો અંગેનો હોય. હું બિનજરૂરી સેવાઓ ન વાપરું, કોઈ પણ વસ્તુ વેડફું નહિ, બીજાને અન્યાય ન કરું, કોઈને ય મારાથી ઊતરતા ન ગણું, (અભણ—ગરીબ—અરક્ષિત—સ્ત્રીઓને હું સમાન માનવીય અધિકારનાં હક્કદાર ગણું) – તો મેં ગાંધીમાર્ગે ચાલવાનો પ્રારંભ કર્યો ગણાય. તમામ મનુષ્યો આ કરી જ શકે તેમ છે.

(૨) ગાંધીજીની મહાન દેણ છે અહિંસાની. કેટલાક લોકો કોઈની હત્યા ન કરવી એવો અહિંસાનો સાંકડો અર્થ કરે છે, એ પૂરતું નથી. હિંસા સૂક્ષ્મ પણ હોય છે; અને એ વધારે જોખમી હોય છે. કોઈને પણ હલકા—ઊતરતા—તુચ્છ ગણીને તેને અન્યાય કરવો, તેને અભાવમાં રાખવા, તેમનું ગૌરવ ખંડિત કરવું એ હિંસા છે. એમાં ડ્રાઈવર. માળી ચોકીદાર, મજૂર, ઘરમાં કામ કરનારાં, હાથ નીચે કામ કરનારાં, પડોશીઓ સાથીદારો વગેરે તમામનો સમાવેશ થાય છે. આ સૌ સાથેનો અહિંસક વ્યવહાર એટલે તેમના માનવીય ગૌરવનો હૃદયપૂર્વકનો સ્વીકાર અને તે મુજબનો વ્યવહાર.

ગાંધીજીએ કહ્યું તે પહેલાં સ્વામી વિવેકાનંદે પણ દરિદ્રનારાયણની સેવાની વાત કરી હતી. આજના કેટલાક વિચારકોએ એનો અવળો અર્થ કર્યો છે કે દરિદ્રને દરિદ્ર રાખીને તેને નારાયણ ગણીને સેવા કરવી કે દરિદ્રતાનો મહિમા કરવો. સ્વામી વિવેકાનંદ અને ગાંધીજીને સાચી રીતે સમજનાર કદી આવું તારણ કાઢી ન શકે. એ બંને તો માનવીય ગૌરવના ઉપાસક હતા.

સમજવા જેવું એ છે કે મનુષ્યનું દારિદ્ર કેવળ આર્થિક નથી હોતું. સાક્ષરતાનું, આરોગ્યનું, તકનું, સમાન વ્યવહારનું, જ્ઞાનનું અને સમજણનું પણ દારિદ્ર હોય છે. એ તમામ પ્રકારનું દારિદ્ર દૂર કરવું એ નારાયણ સેવા છે. જેમને આમાંનું કશુંક પણ વિશેષપણે પ્રાપ્ત થયું છે તેમણે સૌએ આ દર્શન સાથે રાખીને પાછળ રહેલા માટે મથવાનું છે.

માટે ગાંધીજીએ કહ્યું કે, “તમને જ્યારે આ કાર્ય કરવા જેવું છે કે નહિ એવો પ્રશ્ન થાય ત્યારે તમને હું એક તાવીજ આપું છું કે, તમારા કાર્યથી છેલ્લામાં છેલ્લા (unto this last) માણસને લાભ થતો હોય તો એ કાર્ય કરવું અને એને હાનિ પહોંચતી હોય તો ન કરવું. 

આ જાગૃતિ અને ખેવના આપણા દેશના આયોજનમાં, અમલમાં, પસંદગીમાં નથી રહી એટલે દેશની માત્ર વસ્તી નથી વધતી, પણ બધાં પ્રકારનાં દારિદ્રો પણ વધતાં જાય છે. સમસ્યા માત્ર આર્થિક નથી, સામાજિક, કૌટુંબિક, બૌદ્ધિક અને ભાવાત્મક પણ છે. કરોડોને થતો આ અન્યાય એ સૂક્ષ્મ હિંસા જ છે. જે અભાવગ્રસ્ત છે તેમને આ તમામ પ્રકારની દરિદ્રતામાંથી મુક્ત કરાવવાના છે. એ જ સાચા અર્થમાં નારાયણની સેવા છે.

આ સ્વરૂપમાં આપણાં વિચારો, નિર્ણયો, પસંદગીઓ અને વ્યવહારો અંગે વિચારીએ અને વર્તીએ તો આપણે ગાંધીમાર્ગના પ્રવાસી છીએ. એવી વ્યક્તિ એક હોય કે હજાર, પણ એમનાથી ન્યાયયુક્ત, સમાનતાલક્ષી, બંધુતાપૂર્ણ, અહિંસક સમાજની દિશામાં આપણે જરૂર આગળ વધશું.

[‘ગાંધીની નજરે દુનિયા’]
21 જૂન 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 340

Loading

પશ્ચિમનો યુગ પૂરો થઈ ગયો છે

રમેશ ઓઝા|Opinion - Opinion|22 June 2025

રમેશ ઓઝા

૨૦મી જાન્યુઆરીએ બીજી વાર અમેરિકન પ્રમુખ તરીકે સોગંદ લીધા પછી ડોનાલ્ડ ટ્રમ્પે તરત જ ૨૭મી જાન્યુઆરીએ એક્ઝીક્યુટીવ ઓર્ડર કાઢ્યો હતો કે સંરક્ષણ વિભાગ ઇઝરાયેલ જેવો અમેરિકા માટે આયર્ન ડૉમ વિકસાવે અને તેને તેમણે ગોલ્ડન ડૉમ નામ આપ્યું હતું. આવો એક પ્રયાસ ૧૯૮૦ના દાયકામાં રોનાલ્ડ રેગને કર્યો હતો અને તેને સ્ટારવૉર નામ આપ્યું હતું, પરંતુ એ પછી સોવિયેત સંઘનું પતન થયું અને અમેરિકાએ માની લીધું કે અમેરિકાનો અંતિમ વિજય થઈ ચુક્યો છે અને હવે પછી અમેરિકા માનવજાતની નિયતિ નક્કી કરશે અને વિશ્વનું સંચાલન કરશે. પણ આવું કોઈ માનસિક સુખ ઇઝરાયેલ માટે નહોતું. આજુબાજુના મુસ્લિમ દેશોનું પતન થવાનું હજી બાકી હતું એટલે તેણે કોઈ મિઝાઈલ કે બીજા કોઈ પણ પ્રકારના લશ્કરી હુમલાઓને ટાળવા માટે આયર્ન ડૉમ વિકસાવ્યો અને દાવો કરવામાં આવ્યો હતો કે જગતની કોઈ તાકાત આ ડૉમ એટલે કે લશ્કરી છત તોડીને ઇઝરાયેલ પર હુમલો ન કરી શકે. જગતભરના નગેન્દ્ર વિજયો ઇઝરાયેલના ઓવારણ લેતા થાકતા નહોતા. 

પણ ઈરાને ડૉમ તોડીને ઇઝરાયેલ પર હુમલા કર્યા અને એ પણ સફળતાપૂર્વક. ઇઝરાયેલનું પેન્ટેગોન કહેવાય એવા લશ્કરી મથક પર હુમલા કર્યા, હોસ્પિટલ પર હુમલા કર્યા અને હવે વિજ્ઞાનસંશોધન કેન્દ્ર પર હુમલા કર્યા. એમ કહેવાય છે કે ઈરાની હુમલાઓમાં ૨૪ ઇઝરયેલીઓના મોત થયાં છે અને બીજા ૭૦-૮૦ જણ ઘાયલ થયા છે. અમેરિકન પ્રમુખે તોરમાં આવીને ઈરાનને સલાહ (સલાહ નહીં આદેશ) આપી હતી કે ઈરાનીઓ તેહરાન ખાલી કરે અને ઈરાન વિના શરત શરણે આવે. જો એમ નહીં કરે તો અમેરિકાએ યુદ્ધમાં ઉતરવું પડશે અને એ ઈરાન માટે આખરી ક્ષણ હશે. ઈરાને કહી દીધું કે ઈરાન અમેરિકા સાથે પણ યુદ્ધ કરવા તૈયાર છે. ઈરાન કેસરિયાં કરશે પણ પાછળ નહીં હટે. ઈરાનના શાસક અલી ખુમેનીએ અત્યંત નમ્રતાપૂર્વક અમેરિકાને સલાહ આપી હતી કે તે યુદ્ધવિરામ માટે પ્રયાસ કરે અને ઈરાનના અણુકાર્યક્રમ અંગે ચાલી રહેલી વાટાઘાટો પાછી શરૂ કરાવે. 

યુદ્ધ કેવું સ્વરૂપ પકડશે અને શું પરિણામ આવશે એ અત્યારે કહેવું મુશ્કેલ છે. ઇઝરાયેલની તાકાત સામે ઈરાનની તાકાતને ગણતરીમાં જ નહોતી લેવાતી. પણ એમ તો રશિયાની તાકાત સામે યુક્રેનની તાકાત પણ ક્યાં ગણતરીમાં લેવામાં આવતી હતી! એવું બને કે ઇઝરાયેલ ઈરાનનો કચ્ચરઘાણ વાળે. એવું બને કે ઇઝરાયેલ ઈરાનના શાસક અલી ખૌમેનીની હત્યા કરે અથવા શાસનમાંથી હટવા મજબૂર કરે. એવું પણ બને કે અમરિકાને યુદ્ધમાં ઉતરવું પડે અને એવું પણ બને કે રશિયા અને ચીન ઈરાનના પડખે ઊભાં રહે. જગતમાં ચારેય બાજુ અસંસ્કારી અને જંગલી ગાંડા શાસકો શાસન કરી રહ્યા છે એટલે ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ કોઈ પણ દિશામાં જઈ શકે છે. અત્યારે તો અમેરિકાએ કહી દીધું છે કે તે બે અઠવાડિયા યુદ્ધમાં નહીં ઉતરે. ગણતરી નાક ન કપાય એ પણ જોઈ શકે છે અને અમેરિકાને પોતાના ખિસ્સામાં સમજીને વર્તન કરનારા ઇઝરાયેલના વડા પ્રધાન નેતાન્યાહુને પાઠ ભણાવવાની પણ હોઈ શકે છે. અમેરિકાને યુદ્ધમાં ઉતારવાની ઇઝરાયેલની રમત હતી એમ પણ કહેવામાં આવે છે. દરમ્યાન બ્રિટને યુદ્ધ રોકીને અણુ વાટાઘાટો પાછી શરૂ કરવાના પ્રયાસ શરૂ કર્યા છે. આ પ્રયાસ પણ જાન છોડાવવા અમેરિકાને ઇશારે થતા હોય તો નવાઈ નહીં. તેહરાન ખાલી કરો અને શરણે આવો એવો આદેશ આપ્યા પછી ટ્રમ્પ શાંતિની વાત કયા મોઢે કરે! 

શું થશે એ અત્યારે કહેવું મુશ્કેલ છે, પણ એટલું ખાતરીપૂર્વક કહી શકાય કે આ જગતમાં કોઈ અજેય નથી. ગણતરીપૂર્વક નિશાન લગાવીને અને તાકાત એકઠી કરીને એક લાફો તો કોઈને ય પણ મારી શકાય. બીજું, ફૂલપ્રૂફ ડીફેન્સ સીસ્ટમ જેવી કોઈ ચીજ હોતી નથી. યુદ્ધ જીતી શકાતાં હતાં એ યુગ જ પૂરો થઈ ગયો છે. ત્રીજું, અમેરિકાની અને ઇઝરાયેલની નાગાઈ અને ઢોંગ ઊઘાડો પડી ગયો છે. ૧૫,૦૦૦ બાળકો સહિત ૫૫,૦૦૦ પેલેસ્ટેનિયોને રહેંસી નાખ્યા ત્યારે માનવતાની યાદ ન આવી અને ૨૪ ઇઝરાયલીઓનાં મોત થયાં ત્યારે માણસાઈની યાદ અપાવવામાં આવે છે! ચોથું, દુનિયાના અમુક દેશો મોટી સંખ્યામાં અણુશસ્સ્ત્રો સુદ્ધાં ધરાવી શકે અને અમુક દેશો અણુકાર્યક્રમ પણ હાથ ધરી ન શકે એ ક્યાંનો ન્યાય? અમુક દેશ જવાબદાર અને અમુક દેશ બેજવાબદાર એવું વર્ગીકરણ કરવાનો ઠેકો અમેરિકાને, પશ્ચિમના દેશોને અને ઇઝરાયેલને કોણે આપ્યો? અમેરિકાએ રક્ષણ કરવાની ગેરંટી આપીને અને એ રીતે યુક્રેન સાથે છેતરપિંડી કરીને ૧૯૯૫માં યુક્રેન પાસે તેનાં અણુશસ્ત્રોનું વિસર્જન કરાવ્યું હતું અને આજે હવે ટ્રમ્પ યુક્રેનના ઝેલેન્સકીને દબડાવે છે. આ ઢોંગ ઊઘાડો પડી ગયો છે અને હું તો એમ કહીશ કે પશ્ચિમનો યુગ પૂરો થઈ ગયો છે. ઇઝરાયેલ ભલે પશ્ચિમ એશિયામાં છે, પણ તેની સ્થાપના પશ્ચિમમાં જઈ વસેલા અને પશ્ચિમી માનસિકતા ધરાવતા યહૂદીઓએ કરી હતી. 

પાચમી વાસ્તવિકતા અને ભારતનાં મુસલમાનોએ ગાંઠે બાંધી લેવાની જરૂર છે કે મુસ્લિમ એકતા જેવી કોઈ ચીજ ક્યારે ય હતી નહીં અને હોઈ શકે નહીં. ઉમ્માહ એક ઇસ્લામિક મીથ છે જે વાગોળવું ગમે, પણ વાસ્તવિકતા સાથે તેને સ્નાનસૂતકનો સંબંધ નથી. એટલે બીજા દેશોના મુસલમાનોની પીડાનો અનુભવ કરીને જ્યાં રહેતા હોય ત્યાં પોતાના માટે પીડા પેદા કરવાની બેવકૂફી નહીં કરવી જોઈએ. હિંદુઓએ આર.એસ.એસ.વાળાઓને અને મુસલમાનોએ તબલીઘીઓને દૂરથી નમસ્કાર કરતાં શીખી જવું જોઈએ. આ લોકો પેટ ચોળીને પીડા પેદા કરવાનું કામ કરે છે. ઇઝરાયેલની સ્થાપના થઈ ત્યારે ઈરાન ઇઝરાયેલનું મુસ્લિમ મિત્ર હતું. ઈરાન શિયા દેશ છે અને ઇઝરાયેલ જો પશ્ચિમ એશિયાના સુન્ની દેશોને નુકસાન પહોંચાડતું હોય તો એમાં ઈરાન રાજીપો અનુભવતું હતું. આ ઉપરાંત ઈરાનનો શાહ અમેરિકાનો આંગળિયાત હતો. ૧૯૮૦ સુધી અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાનની ધરી હતી અને ઈરાન ઇઝરાયેલને તેલ પૂરું પાડતું હતું. મુસ્લિમ દેશો મળીને ઇઝરાયેલનો વાળ પણ વાંકો કરી શકતા નથી. એકતા જ નથી અને એ હોવાની પણ નથી. જો મુસ્લિમ એકતા હોત અને ઇસ્લામ ફર્સ્ટ અને મુસ્લિમ ફર્સ્ટ જેવી કોઈ ભાવના પ્રબળ હોત તો ઇઝરાયેલની સ્થાપના જ ન થઈ હોત. 

તો હવે પછી શું બને છે એ જોતા રહો. ગાંડાઓની દુનિયા છે એટલે કાંઈ પણ બની શકે છે. પણ ત્રણ ચીજ હમણાં કહ્યું એમ ગાંઠે બાંધી લો. એક પશ્ચિમનો યુગ પૂરો થઈ ગયો છે. બે, ઇસ્લામિક એકતા જેવી કોઈ ચીજ નથી અને ત્રણ, વિજય અપાવનારાં નિર્ણાયક યુદ્ધના દિવસો પણ પૂરા થઈ ગયા છે. જગત જ્વાળામુખીના મોં પર બેઠું છે.  

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 જૂન 2025

Loading

ચલ મન મુંબઈ નગરી—294

દીપક મહેતા|Opinion - Opinion|21 June 2025

નેવલ કમાન્ડર નાણાવટીએ વેપારી આહુજાના ફ્લેટમાં જઈને બબ્બે ગોળી કેમ છોડી?      

એપ્રિલ ૨૭, ૧૯૫૯. 

એપ્રિલ-મે એટલે મુંબઈકરો માટે તાવણીનો ટેમ. ઉપરથી કાળઝાળ ગરમી વરસે, નીચે પાણીનાં ફાફાં. હવામાં ભેજ ભારોભાર, એટલે પરસેવાનો નહિ પાર. છતાં શહેર દિવસ-રાત ધમધમતું રહે. એટલે જ તો એને બિરુદ મળ્યું : A City that never sleeps. આ સદા જાગતા શહેરની સંભાળ રાખવાનું કામ બોમ્બે પોલીસનું. ક્રાફર્ડ માર્કેટથી થોડે દૂર બોમ્બેના પોલીસ કમિશનરની ઓફિસનું મકાન. ૧૮૯૪ના નવેમ્બરની ૧૭મી તારીખે બે માળના આ મકાનનું બાંધકામ શરૂ થયું અને ૧૮૯૬ના ડિસેમ્બરની ૨૪મીએ પૂરું થયું. રોયલ યોટ કલબના મકાનની ડિઝાઈન બનાવનાર જોન આડમ્સે ડિઝાઈન તૈયાર કરી હતી અને બાંધકામ કર્યું હતું જગન્નાથ કોનટ્રેકટર્સની કંપનીએ. આ નવા મકાનનું ઉદ્ઘાટન ૧૮૯૭ના જાન્યુઆરીની પહેલી તારીખે થયું. મુંબઈના ત્રીજા પોલીસ કમિશનર આર.એચ. વિનસેન્ટ ભાયખળાનું સાસૂન બિલ્ડિંગ છોડીને આ નવા મકાનમાં આવ્યા. 

ડેપ્યુટી પોલિસ કમિશનર લોબો

બોમ્બે પોલીસના ડેપ્યુટી કમિશનર જોન લોબો પોતાની ઓફિસમાં દાખલ થયા. તે વખતે એવો નિયમ કે રોજ સાંજે લોબોસાહેબ પોલીસ કમિશનર પ્રવીણ સિંહજીની ઓફિસમાં જાય. કમિશનર સાહેબનો ઓર્ડરલી જર્મન સિલ્વરની ચકચકતી ટ્રેમાં ચાનો સાધન સરંજામ લઈ આવે. બંને અફસરો ચાની ચુસ્કી લેતા જાય, અને ડેપ્યુટી કમિશનર આખા દિવસનો અહેવાલ કમિશનર સાહેબને આપતા જાય. જરૂર લાગે ત્યાં સાહેબ સૂચનો કરે તે લોબો સાહેબ પોતાની ખિસ્સા ડાયરીમાં નોંધતા જાય. 

આજે કમિશનર સાહેબ સાથેની મિટિંગ થોડી વહેલી પૂરી થઈ. લોબો સાહેબ પોતાની ઓફિસમાં પાછા આવ્યા અને ખુરસી પર બેઠા. ઉપર જોઈને ખાતરી કરી લીધી કે પંખો ચાલે છે. આજે લોબો સાહેબ થોડા ખુશમિજાજ લાગે છે, તેમના ઓર્ડર્લીએ વિચાર્યું. અને કેમ ન હોય? સાહેબને વાત કરી તો તેમણે તરત પંદર દિવસની રજા મંજૂર કરી દીધી. લોબોએ તેમને કહ્યું કે આ ગરમીથી તો હું ત્રાસી ગયો છું, સાહેબ. એટલે બે અઠવાડિયાં નીલગિરી જવાનો પ્લાન ઘડ્યો છે. મનમાં બીક હતી કે સાહેબ ‘ના’ નહિ પાડે તો ય રજાના દિવસ તો ઓછા કરી નાખશે. પણ ના. સાહેબે તો તરત રજા મંજૂર કરી દિધી.

લોબો સાહેબ ઘરે જવા નીકળવાની તૈયારી કરતા હતા એ જ વખતે બહારથી કોઈનો અવાજ કાને પડ્યો : ‘લોબો સાહબ કા ઓફિસ કહાં હૈ?’ અને ઓર્ડરલી એક સુદૃઢ બાંધાવાળા, ગોરા પારસી યુવાનને લઈને દાખલ થયો. શેક હેન્ડ માટે હાથ લંબાવતાં તેણે કહ્યું : ‘આઈ એમ કમાન્ડર કાવસ નાણાવટી ફ્રોમ ધ ઇન્ડિયન નેવી.’ ઊભા થઈને શેક હેન્ડ કરતાં લોબો એકદમ સતર્ક થઈ ગયા. તેમનામાં રહેલી ગૂના શોધનની સૂઝ કહેતી હતી કે હમણાં ગામદેવી પોલીસ સ્ટેશનથી જે ફોન આવેલો તેને અને આ નાણાવટીને કોઈક સંબંધ હોવો જોઈએ. 

એ જ વખતે નાણાવટીએ એકી શ્વાસે બોલવાનું શરૂ કર્યું : “મારે એક આદમી સાથે ઝગડો થયો. તેણે મારી પર હુમલો કરી મારા હાથમાંની બ્રાઉન પેપરની થેલી ઝૂંટવી લીધી. હું એ થેલી લેવા જતો હતો ત્યાં થેલીમાં રહેલી મારી સર્વિસ રિવોલ્વરમાંથી અકસ્માત બે ગોળી છૂટી અને પેલા માણસને વાગી. એનું નામ પ્રેમ આહુજા.” લોબોસાહેબ બહુ જ શાંતિપૂર્વક બોલ્યા : “હા. અને હમણાં જ ગામદેવી પોલીસ સ્ટેશનનો ફોન હતો. એ માણસનું મોત થયું છે.”

પછી જાણે કશું જ ન થયું હોય તેમ શાંતિથી પૂછ્યું : “કમાન્ડર, તમે ચા લેશો કે કોફી?’ “કંઈ નહિ. પણ જો એક ગ્લાસ પાણી મળી શકે તો …” અને ઓર્ડરલી લઈ આવ્યો તે આખો ગ્લાસ પાણી નાણાવટી એકી ઘૂંટડે પી ગયા. પછી ઓર્ડરલીને બોલાવીને લોબોએ કહ્યું : “સાહેબને બાજુના કમરામાં બેસાડો.” પછી ઇન્ડિયન નેવીના ચીફ લો એન્ફોર્સમેન્ટ ઓફિસરને ફોન લગાડી વાત કરી. એ ઓફિસરે કહ્યું કે નાણાવટી ઇન્ડિયન નેવીમાં બહુ ઊંચા સ્થાને છે. આજ સુધીનો તેનો રેકર્ડ ચોખ્ખો ચણાક છે. બનાવ બન્યા પછી તે સામે ચાલીને તમારી પાસે આવ્યો છે અને આત્મસમર્પણ કર્યું છે. આ બધું જોતાં તેને પોલીસ લોક-અપમાં ન મોકલો તો સારું એવી મારી વિનંતી છે.

લોબોએ પોતાની ઓફિસની બાજુના એક કમરામાં નાણાવટી માટે રાત રહેવાની સગવડ ઊભી કરાવી લીધી. ઓરડાની બહાર કડક ચોકીપહેરો ગોઠવી દીધો. અને પછી નાણાવટીને કહ્યું : “આજની રાત તમારે અ ઓરડામાં ગાળવી પડશે. પછી શું કરવું એનો નિર્ણય રક્ષા મંત્રાલય કાલે લેશે.” 

કાવસને રાતે ઊંઘ તો ક્યાંથી આવે? નજર સામે ચિત્રો તરવર્યાં કરે. આખું નામ કાવસ માણેકશા નાણાવટી. જન્મ ૧૯૨૫. માણેકશા અને મેહરા નાણાવટીનો મોટો દીકરો. નાનો ભાઈ હોશંગ. પાક્કી છ ફીટની ઊંચાઈ. વજન લગભગ ૬૫ કિલો. આંખ અને વાળ, બંને કાળા. અમેરિકાના ડાર્ટમોથમાં આવેલી રોયલ નેવી કોલેજમાં પ્રશિક્ષણ. 

વિદેશી પત્નીનું લગ્ન પહેલાંનું નામ સિલ્વિયા કિંગ. ગ્રેટ બ્રિટનના પોર્ટસમાઉથમાં જન્મ ૧૯૩૧. મૂળ કેનેડાની વતની. ઊંચાઈ ૫ ફીટ ૫ ઇંચ, વજન ૬૦ કિલો. વાળનો રંગ આછો કથ્થાઈ (લાઈટ બ્રાઉન) આંખો માંજરી.  

કમાન્ડર કાવસ નાણાવટી

કાવસ નાણાવટી પરદેશમાં હતા ત્યારે બંને મળ્યાં, પ્રેમમાં પડ્યાં અને ૧૯૪૯ના જુલાઈ મહિનામાં અદારાઈ ગયાં. ત્યારે સિલ્વિયાની ઉંમર માત્ર અઢાર વરસની. નેવીનું પ્રશિક્ષણ પૂરું થયા પછી કાવસ અને સિલ્વિયા હિન્દુસ્તાન પાછાં આવ્યાં અને કાવસ ઇન્ડિયન નેવીમાં જોડાયા. હોશિયાર, ચાલાક, ચબરાક, મહેનતુ, એટલે બઢતી થતી ગઈ. રાજકારણીઓ સાથે સંબંધો બંધાતા ગયા. ઇન્ડિયન નેવીમાં પાંચમાં પૂછાતા થયા. કફ પરેડ વિસ્તારમાં નેવીએ આપેલા વિશાળ ફ્લેટમાં બધાં સાધન સગવડ. પણ અગવડ એક જ — નેવીની નોકરીમાં મુંબઈ, પત્ની, અને ત્રણ બાળકોથી અવારનવાર દૂર રહેવું પડે, મહિનાઓ સુધી. જો આમ દૂર રહેવું પડતું ન હોત તો કદાચ આજનો આ દિવસ જોવાનો વારો આવ્યો ન હોત. 

આવા આવા વિચારોમાં સવાર ક્યારે પડી ગઈ એની ખબરે ન પડી. ઓર્ડરલી એલ્યુમિનિયમની કિટલીમાં ચા લઈને આવ્યો. સાથે જાડા કાચનાં સફેદકપ-રકાબી, નાની પેપર ડિશમાં થોડાં બિસ્કીટ. બધું ટેબલ પર મૂકીને એ ગયો. કાવસ આ ‘બેડ ટી’ સામે તાકી રહ્યો. રોજ તો જર્મન સિલ્વરની ટ્રેમાં ફાઈન ચાઈનાનો ટી સેટ હોય. કેટલ પર રંગબેરંગી ભરતકામવાળી ટી-કોઝી હોય. ચાર પાંચ પ્લેટમાં જાતજાતનો નાસ્તો હોય. સિલ્વિયા બે કપ ચા બનાવે. અલકમલકની વાતો કરતાં બંને ચા પીતાં જાય અને તાજાં અખબારો પર નજર ફેરવતાં જાય. 

પણ આજે આ ચા પીવાની? નાસ્તામાં ફક્ત બે-ચાર બિસ્કિટ! અરે, પણ સિલ્વિયાએ ચા પીધી હશે કે નહિ? તેના હાથમાં છાપું હશે? હશે જ. અને પહેલે પાને છપાયેલા સમાચાર એ વાંચતી હશે : ‘મોટરના જાણીતા શો-રૂમના માલિક અને ધનાઢ્ય વેપારી પ્રેમ આહુજાનું તેમના જ ઘરમાં ખૂન! ઇન્ડિયન નેવીના કમાન્ડર નાણાવટીની ધરપકડ.’ ન છૂટકે કાવસે ચા પી લીધી અને બિસ્કિટ ખાઈ લીધાં. મનમાં વિચાર્યું : ‘હવે તો આવી ઘણી બાબતોથી ટેવાવું પડશે.’ એ જ વખતે ડેપ્યુટી પોલીસ કમિશનર લોબો આવી પહોંચ્યા. બોલ્યા : “કમાન્ડર નાણાવટી! તૈયાર થઈ જાવ. તમને અહીંથી લઈ જઈને નેવલ કસ્ટડીમાં સોંપવાના છે.” આ સાંભળીને આવા કપરા સંજોગોમાં પણ કમાન્ડર નાણાવટીને થોડો હાશકારો થયો. સાથોસાથ વિચાર આવ્યો : ‘પણ આ બન્યું કઈ રીતે?’ 

પ્રેમ આહુજાનો મૃતદેહ

એ બન્યું આ રીતે : અડધી રાત સુધી ઇન્ડિયન નેવીના અધિકારીઓ, મુંબઈ અને દિલ્હી સરકારના મંત્રીઓ, મુંબઈના પોલીસ કમિશનર, વગેરે વચ્ચે ફોન પર ચર્ચા થઈ. કાયદા પ્રમાણે તો ખૂનના ગુનામાં સંડોવાયેલા ઇસમને ખટલો શરૂ થતાં સુધી પોલીસ કસ્ટડીમાં જ રાખવો જોઈએ. પણ આ તો નેવીના આલા દરજ્જાના કમાન્ડર. મુંબઈના રાજભવન અને દિલ્હીના તીન મૂર્તિ ભવન સાથે મીઠા સંબંધ. ચર્ચાવિચારણા પછી દિલ્હીથી હુકમ છૂટ્યો : ‘કમાન્ડર નાણાવટીને પોલીસ કસ્ટડીમાં નહિ, નેવલ કસ્ટડીમાં મોકલો.’    

જીવન જ્યોત, નેપિયન્સી રોડ

કમાન્ડર નાણાવટી ડેપ્યુટી પોલીસ કમિશનર લોબોને મળવા ગયા તે પહેલાં જ ગામદેવી પોલીસ સ્ટેશનના અધિકારીઓ, ક્રાઈમ બ્રાંચના ઓફિસરો, અને હવાલદારો નેપિયન્સી રોડ પર આવેલા જીવન જ્યોત બિલ્ડિંગમાં પહોંચી ગયા હતા. આ નેપિયન્સી રોડનું આજનું સત્તાવાર નામ સેતલવડ લેન. પોલીસ ફ્લેટ પાસે પહોંચી ત્યારે બારણું ખુલ્લું હતું. ૯ X ૬ ફૂટના બાથરૂમમાં બધે તૂટેલા કાચના ટુકડા વેરાયેલા હતા. બાથરૂમના બારણાના હેન્ડલ પર, બાથરૂમની દીવાલો પર, ઠેર ઠેર લોહીના ડાઘ હતા. બાથ રૂમની ફર્શ પર પીળા રંગનું એક મોટું એન્વલપ પડ્યું હતું. તેના પર નામ લખ્યું હતું : ‘લેફ્ટનન્ટ કમાન્ડર કે. એમ. નાણાવટી’. હાથમાં સફેદ ગ્લોવ્ઝ પહેરેલા ક્રાઈમ બ્રાંચના અધિકારીએ વાંકા વળીને, બહુ જ સાવચેતીપૂર્વક એ એન્વલપ ઉપાડી લીધું. ફ્લેટના માલિકનો મૃતદેહ બાથરૂમની ફર્શ પર પડ્યો હતો. તેણે ફક્ત કમ્મરે ટુવાલ વીંટાળેલો હતો. એ પણ લોહીથી ખરડાયેલો હતો. પંચનામું કરીને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની વિધિ શરૂ કરી. એ મૃતદેહ હતો ફ્લેટના માલિક પ્રેમ ભગવાનદાસ આહુજાનો. મુંબઈના એક જાણીતા મોટરના શો રૂમના માલિક. બીજા પણ ઘણા ધંધા. ખાણીપીણી, મદિરા અને મદિરાક્ષીના શોખીન. 

પણ નેવલ કમાન્ડર કાવસ નાણાવટી અને વેપારી પ્રેમ આહુજા વચ્ચે એવું તે શું થયું હશે કે નાણાવટીએ તેના ઘરમાં જઈને, તેના પર બબ્બે ગોળી છોડી?

એની વાત આવતા શનિવારે.    

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 21 જૂન 2025 

Loading

...102030...238239240241...250260270...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved