Opinion Magazine
Number of visits: 9965978
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મને એણે અકલ્પ્ય સંબલ આપ્યું હતું

સતીષચંદ્ર જોશી|Opinion - User Feedback|17 July 2020

પત્રકારિતા એ સંપાદક, કટારલેખક અને વાચક એનો સમુચિત સમાહાર છે. એક પ્રસંગ કહું.

૨૦૧૦ની સાલમાં મારા અંગત જીવનની ઘણી ક્રાઈસિસ ભોગવતો હતો. ત્યારે મેં “ઓપિનિયન”નો ડિજિટલ અંક જોયો. ગુજરાતી લૅક્સિકન માટે મેં ઇ.મેલ દ્વારા પૂછાવેલું એ પરથી એમને મારો પત્તો લાગ્યો હશે.

મને એ અંક બહુ ગમ્યો. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહમાં આ નામના પત્રનો ઐતિહાસિક ફાળો, વિપુલભાઈની એ જ ભૌગોલિક (સૌરાષ્ટ્ર, પૂર્વ આફ્રિકા, મુંબઈ, ઇન્ગલૅન્ડ) ચેઇન, એ જ આદર્શો, એ જ ઍમ્પથી, સર્વસમાવેશિતા અને સમસંવેદન, આ બધાથી હું તરત અભિભૂત થઈ ગયો. 
પછી તો બે ત્રણ અંકો જોયા. એકમાં ઉમાશંકર અને બીજામાં ‘હિન્દ સ્વરાજ’નો વિદ્વત્તાભર્યા લેખો દ્વારા અભ્યાસ થયો હતો.

મારા ઉમાશંકર સાથેના રોમાંચક, સ્વપ્નવત, લિરિકલ, કુમારાવસ્થ નાટકીય પ્રસંગોત્થ અનુભવ અને ‘હિન્દ સ્વરાજ’ સાથે મારી વૈચારિક ભાવનિક એકતા મને ઢંઢોળી ગયાં.

ગુજરાતી લિપિ કંપ્યૂટર પર આવડતી નહોતી, એટલે મારા પ્રવાહી (અને ફૉલ્ટી) અંગ્રેજીમાં મારા ઉદ્ગાર વિપુલભાઈને મોકલાવ્યા. માત્ર એક પ્રતિભાવ તરીકે. ઋણસ્વીકાર તરીકે, કારણ મારી એ વખતની પીડા ભરી સ્થિતિમાં મને એણે અકલ્પ્ય સંબલ આપ્યું હતું. મને એ લખ્યા પછી સારુ, હળવું લાગ્યું અને હું મારા કામે, ચિન્તાઓના વ્યવસાયની સ્તો, લાગ્યો.

પણ, વિપુલભાઇ જેનું નામ. હું તો એમને ઓળખતો પણ નહોતો. છતાં એમનો સરસ મેઇલ આવ્યો. ઔપચારિક આભાર ઉપરાંત એમને ઉમાશંકર વિષે લખેલો પ્રસંગ ગમ્યો હશે, તો એ “ઓપિનિયન”માં મૂકવા માટે મારા ઢંગધડા વગરના અંગ્રેજી ફકરાનું સરસ ગુજરાતી ભાષાન્તર કરીને મને બતાવ્યું. મેં તો છાપવાને ઈરાદે લખ્યુ જ નહોતું. એથી એમના અનુવાદમાં ફેરફારો સૂચવ્યા. એમણે એટલી મહેનત લીધી. મારો કોઈ જ લેખનનો અનુભવ નહિ, આથી મારા લખાણને printable કરવામાં બહુ મહેનત લાગી એ મને જણાયું.

આમ ત્રણ ચાર ઈ.મેઈલ ગયા આવ્યા અને ત્યાર બાદ આ મજકૂર એમણે “ઓપિનિયન”માં છાપ્યો. કૉલેજ મેગેઝિન બહાર મારો પહેલો છાપેલો લેખ!

પછી તો ‘હિન્દ સ્વરાજ’વાળો મારો લેખ છાપ્યો (અંગ્રેજીથી અનુવાદ કર્યો એમણે જ), અને જે વિદ્વાનનો પ્રતિભાવ મેં આપ્યો હતો (ડૉ ઉષાબહેન મહેતા, મણિભવનનાં ડિરેક્ટર) એમને પણ એ ફોર્વર્ડ કર્યો.

પછી તો મને ગુજરાતી ન આવડવાની શરમ આવી, અને એમની સલાહથી, ‘ગુજરાતી લેક્સિકોન’વાળા મૈત્રીબહેનની મદદથી થોડું ગુજરાતી ટાઈપ કરતાં શીખ્યો; એ એમને જ આભારી.

આટલી બધી કમિટમૅન્ટ અને ઍમ્પથી એક નવા નિશાળિયા માટે. પત્રકારત્વમાં અંગત રાગદ્વેષથી પ્રેરાઈ કેટલા ય લોકો કેવું કેવું કરતા હોય છે, ત્યારે આ ઉદાહરણ પણ જોવા મળે.

“ઑપિનિયન” એટલે મારો જ નહિ, બીજા કોઇનો પણ, એ એમનો credo છે.

ગાંધીના પત્રકારિત્વના વારસ નિ:સંદેહ વિપુલભાઈ જ છે.

સલામ.

https://www.facebook.com/satishchandra.joshi.54?epa=SEARCH_BOX  

Loading

આપણને એક મોતની પીડા થાય છે, પણ એક કરોડ મોતની કેમ થતી નથી?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|17 July 2020

લંડનથી પ્રગટ થતા પ્રતિષ્ઠિત ‘ધ ઇકોનોમિસ્ટ’ સામયિકના તાજા અંકમાં ડરામણી ભવિષ્યવાણી છે, “દુનિયામાં કોરોના વાઈરસની બીજી લહેર તો આવી જ નથી, કારણ કે હજુ પહેલી પૂરી નથી થઇ. અંદાજે એક કરોડ લોકો સંક્રમિત થઇ ગયા છે, અને તમે હવે મહામારીમાંથી રસ ગુમાવી દીધો છે, પણ યાદ રાખજો, કોરોનાએ તમારામાંથી રસ નથી ગુમાવ્યો.” છ મહિનામાં આપણે કોરોનાના કેદખાનાથી એટલા ત્રસ્ત થઇ ગયા છીએ કે હવે ‘નોર્મલ’ થવા લાગ્યા છીએ. ક્યાં સુધી ખોફમાં, તનાવમાં, ચિંતામાં, ડરમાં રહેવું? એની પણ એક સીમા હોય છે. માણસનું મગજ નિરંતર ખોફમાં રહેવા સર્જાયું નથી. તેણે ખોફ સાથે નોર્મલ થવું જ પડે.

તમને યાદ છે જ્યારે ભારતમાં કોરોનાના કારણે પહેલું મોત થયું હતું, પછી બીજું મોત થયું હતું અને પછી ત્રીજા-ચોથા-પાંચમાં મોતના સમાચાર આવ્યા હતા, ત્યારે તમારી પ્રતિક્રિયા કેવી હતી? તમને અરેરાટી થઇ હતી, દુઃખ થયું હતું, તમે ચિંતામાં એની વાતો કરતા હતા, સાવધ થવા મહામારીની વિગતો વાંચતા હતા, અને આજે, જુલાઈ મહિનામાં ભારતમાં ૨૦,૦૦૦ લોકોના મોત થઇ ચૂક્યાં છે, અને આપણે હવે એની વાત કરવાનું બંધ કરી દીધું છે. પૂરી દુનિયામાં ૫,૫૦,૦૦૦ લોકોનાં મોત થયાં છે. અત્યારની કે પાછળની એક પણ પેઢીએ છ મહિનામાં આટલા બધા લોકોના મૃત્યુ જોયાં નથી, અને છતાં હવે આપણે દિન-પ્રતિદિન ‘નોર્મલ’ થતા જઈએ છીએ.

આમાં માનવીય માનસિકતાની એક અજીબો-ગરીબ સચ્ચાઈ છે : એક વ્યક્તિના મોતનો આપણી લાગણીઓ પર તગડો પ્રભાવ પડે છે, પણ જેમ જેમ મોતની સંખ્યા વધતી જાય છે, તેમ તેમ આપણી દરકાર ઘટતી જાય છે. જે લોકોને પંજાબમાં ત્રાસવાદ જ્યારે ચરમસીમાએ હતો, ત્યારનો સમય જો યાદ હોય, તો સમાચારપત્રોમાં રોજ તેના રાઉન્ડ-અપ રિપોર્ટ આવતા હતા : “છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના અલગ-અલગ ક્ષેત્રોમાં ત્રાસવાદી હુમલાની બનેલી છૂટક ઘટનાઓમાં ૨૫ લોકો માર્યા ગયા હતા અને ૧૦૦થી વધુ ઘાયલ થયા હતા.” આ એટલું રૂટીન થઇ ગયું કે સમાચારપત્રોમાં એક નાનકડી જગ્યામાં ૨૫ લોકોનાં મોતના સમાચારની નોંધ લેવાતી હતી. આવું કેમ થતું હશે?

રશિયન સરમુખત્યાર જોસેફ સ્ટાલિન જ્યારે કમિસાર ઓફ મ્યુનિશન્સ (શસ્ત્રસરંજામનો કમિશનર) હતો, ત્યારે યુક્રેનમાં પડેલા દુષ્કાળની ચર્ચા કરવા માટે તેણે ઉચ્ચ અધિકારીઓની એક બેઠક બોલાવી હતી. તેમાં એક અધિકારીએ ઊભા થઈને યુક્રેનમાં માણસોની કેવી દયનીય સ્થિતિ છે અને લાખો લોકો ભૂખથી કેવી રીતે મરી રહ્યા છે, તેનું ભાષણ આપ્યું. તેણે ભાષણની શરૂઆત મોતના આંકડાથી કરી, પણ સ્ટાલિને તેને વચ્ચે જ અટકાવીને કહ્યું, “ભૂખથી એક માણસ મરે તો ટ્રેજેડી કહેવાય, પણ લાખો મરે તો સ્ટેટિસ્ટિક્સ કહેવાય.”

એ એક માનવીય વિચિત્રતા જ છે કે આપણે એક મોતની જેટલી તીવ્ર પીડા અનુભવીએ છીએ, એટલી વિશાળ સંખ્યામાં નથી અનુભવતા. પછી તે આપણા માટે સંખ્યા જ બની જાય છે. મનોવૈજ્ઞાનિક તેને સાઇકિક નમ્બિંગ કહે છે, સાઇકિક એટલે માનસિક અને નમ્બિંગ એટલે સુન્નતા અથવા ક્ષુબ્ધતા. આપણે તેને શાહમૃગ વૃત્તિ કહી શકીએ. તબાહી એટલી વિશાળ હોય કે મન સુન્ન થઇ જાય, જડ થઇ જાય અને અહેસાસ ગુમાવી દે. સાઇકિક નમ્બિંગ માણસની હમદર્દીની સીમા નક્કી કરે છે. દુનિયામાં કોરોનાના ૧૧,૭૬૯,૩૧૯ કેસ છે અને મોત ૫,૫૦,૦૦૦ છે. આપણે આપણા પડોશમાં કે ઘરમાં સંક્રમણનો એક કેસ જોઈએ, તો તેમાં આશા જોઈ શકીએ અને પીડા અનુભવી શકીએ, પણ ૧ કરોડ જીવનો સવાલ હોય તો? અસંભવ છે. આપણું મન આટલી બધી જિંદગીઓ અંગે વિચારી શકતું નથી, એટલે એ ખાલી સ્ટેટિસ્ટિક્સ બની જાય છે.

અમેરિકાની યુનિવર્સિટી ઓફ ઓરેગોનમાં મનોવૈજ્ઞાનિક પોલ સ્લાવિકે આ સાઇકિક નમ્બિંગ અંગે ઘણું કામ કર્યું છે. તેમને હંમેશાં એ સવાલ થતો રહ્યો છે કે દુનિયા કેમ સામૂહિક અત્યાચારો અને વિશાળ પ્રમાણમાં લોકોના કષ્ટ પ્રત્યે બેપરવા થઇ જાય છે? સ્લાવિકે તેના એક દાયકાના અભ્યાસમાં તારણ કાઢ્યું હતું કે મનુષ્યનું મન લાખો કે કરોડોની સંખ્યામાં લોકો વિશે વિચાર કરવામાં કે હમદર્દી અનુભવવામાં સક્ષમ નથી. એટલા માટે દિલ્હીના તોફાનોમાં માર્યા ગયેલા લોકો વિશે કે દિલ્હીમાંથી પગપાળા પલાયન થયેલા શ્રમિકો વિશે મોટા ભાગના લોકો એક હદ પછી હમદર્દી અનુભવતા બંધ થઇ ગયા હતા. દુનિયામાં રાજકારણીઓ કોઈ એક વર્ગ પર અત્યાચાર સામે આંખ આડા કાન કરી શકે છે, તેનું કારણ આ જ છે.

આમાં એક આર્થિક થિયરી કામ કરે છે, જેને વેલ્યુ ફંક્શન કહે છે. એમાં જેમ જેમ પૈસાની રકમ વધતી જાય, તેમ તેમ તેમ તેની વેલ્યુ બદલાતી જાય. દાખલા તરીકે મારી પાસે એક પણ રૂપિયો ના હોય અને ૧૦૦ રૂપિયા મળે અને મારી પાસે ૧૦૦ રૂપિયા હોય અને ૨૦૦ રૂપિયા મળે, તો હું બંનેની વેલ્યુ જુદી મહેસૂસ કરીશ. નાના સ્તરે નાનકડો ફેરફાર પણ મોટો પ્રભાવ ઊભો કરે, પણ મોટા સ્તરે પ્રભાવ ઊભો કરવા માટે મોટા ફેરફારની જરૂર પડે. આ જ થિયરી માણસોની જિંદગીઓને પણ લાગુ પડે છે. સીરિયામાં ૨૦૧૧થી ગૃહયુદ્ધ ચાલે છે અને એમાં જાનહાનિનો આંકડો સતત વધતો હતો. એ એટલું ‘નોર્મલ’ થઇ ગયું હતું કે દુનિયાને નોંધ લેવાનું બંધ કરી દીધું હતું, પરંતુ ૨૦૧૫માં, અલન કુર્દી નામના ત્રણ વર્ષના સીરિયન છોકરાનો મૃતદેહ ભૂમધ્ય મહાસાગરમાંથી તણાઈને બીચ પર આવ્યો, ત્યારે આખી દુનિયામાં સીરિયાના નિરાશ્રિતોની કટોકટી પર ધ્યાન ખેંચાયું.

આપણે જો એમ માનતા હોઈએ કે દરેક મનુષ્યનાં જીવનનું મૂલ્ય એકસમાન છે, તો પછી જેમ જેમ મનુષ્યોનું જીવન ખતરામાં પડે, તેમ તેમ તે જીવનને બચાવવાનું મૂલ્ય પણ સીધી લીટીમાં વધવું જોઈએ. સરવાળાનું આ સાદું ગણિત છે. કોરોના મહામારી જેવી સામૂહિક આપદાઓમાં માણસો જેમ જેમ મરવા લાગે, તેમ તેમ હયાત જીવનને બચાવવાની આપણી ભાવના સીધી લીટીમાં ઉપર જવી જોઈએ. પણ થાય છે ઊંધું; શરૂઆતના પ્રથમ ૧૦૦ લોકોના મૃત્યુ વખતે આપણી જે ચિંતા અને દરકાર હતી, તે જુલાઈ મહિનામાં ૨૦,૦૦૦ લોકોના મોત પર આવીને ગાયબ થઇ ગઈ છે. સરકારે કહ્યું હતું કે આપણે કોરોના સાથે જીવવાનું શીખવું પડશે. આપણે રોજના સરેરાશ ૪૫૦ લોકોના મોત સાથે જીવવાનું શીખી ગયા છીએ!

આપણી નૈતિકતાનું વર્તુળ ઘણું નાનું હોય છે. અમુક વર્ગો માણસોની રક્ષા કરે, પણ પ્રાણીઓની નથી કરતા. એક ધર્મના લોકો બીજા ધર્મના લોકોનો સંહાર કરતાં અચકાતા નથી. આતંકવાદીઓ મોટી કત્લેઆમથી ‘ખુશ’ થાય છે. મનોરોગી માણસ સમાજના લોકોને રહેંસી નાખીને પણ કશું મહેસૂસ ના કરે. માનવ ઇતિહાસમાં મોટા પ્રમાણમાં યુદ્ધો, અત્યાચારો અને કત્લેઆમ થઇ છે, તેનું કારણ આ સીમિત વર્તુળ છે.

આપણે નિષ્ઠુર છીએ એવું નથી, પણ આપણે આટલા મોટા પ્રમાણમાં જીવનની તબાહીને લાગણીના સ્તરે પ્રોસેસ કરી નથી શકતા. એ જ કારણે ૧૦ લાખથી વધુ યહૂદીઓને મારી નાખનાર હિટલર અને તેના નાઝી અધિકારીઓ જર્મન પ્રજામાં ‘લોકપ્રિય’ હતા. આપણે જેમ ૩૦ મીણબત્તીઓ અને ૩૧ મીણબત્તીઓ વચ્ચેનો ફર્ક સમજી શકતા નથી, તેવી રીતે આપણી લાગણી ૩૦ મોત અને ૩૧ મોત વચ્ચેનો ફર્ક જોતી નથી.

એટલા માટે જ આપણે ઇતિહાસને સતત ભણતા રહેવું જોઈએ. ઇતિહાસ આપણને સતત એ યાદ કરાવતો રહે છે કે સમાજને બહેતર બનાવવો હોય, તો દરેક વ્યક્તિએ તેની આસપાસની દરેક વ્યક્તિની દરકાર કરતાં રહેવું પડશે અને તો જ મોટી સંખ્યામાં લોકોની દરકાર લેવાશે. મધર ટેરેસાએ એટલા માટે જ કહ્યું હતું કે, “હું જો ટોળાં તરફ જોઉં, તો કશું કરી જ ના શકું, પણ એક માણસ તરફ જોઉં, તો કરુણા કરી શકું.”

સૌજન્ય : લેખકની ફેઇસબૂક દિવાલેથી સાભાર −

https://www.facebook.com/permalink.php?story_fbid=2640315252963184&id=1379939932334062&__tn__=K-R

Loading

ઢાઈ અખ્ખર પ્રેમકા પઢે સો પંડિત હોય : બાબુભાઈ પટેલને ભાવાંજલિ

આરાધના ભટ્ટ|Diaspora - Features|16 July 2020

એમની ઉપસ્થિતિમાં વટવૃક્ષની છાંય તળે હોવાનો એહસાસ થાય એવું શાંત, શીતળ, સૌમ્ય અને સરળ એમનું વ્યક્તિત્વ! મૃદુભાષી અને મિતભાષી, એમની આંખમાંથી સ્નેહ સતત ઝરે. જેને જુવે એને પોતાના કરી લે. કોઈ વ્યક્તિ સાથે એ અજાણ્યા તરીકે ન વર્તે, સૌ એમને માટે ચિરપરિચિત અને સૌ માટે સરખો સ્નેહ. ન કોઈ ગુરુ, ન કોઈ અધ્યાત્મની ભારેખમ વાતો, ન કોઈ વાંચન-મનનનો ભાર, છતાં એમને જીવનનો સાર સહજપણે સમજાઈ ગયો છે એવી પ્રતીતિ એમને મળનારને તરત જ થાય. બાબુભાઇ પટેલ – એ નામના વ્યક્તિઓ તો દુનિયામાં હજારો હશે, પણ એ હજારોમાં એક હતા. ૧૦મી જુલાઈ, ૨૦૨૦ની સવારે, ૮૯ વર્ષની વયે લંડનના એમના નિવાસસ્થાને એમની આંખો સદા માટે મીંચાઈ તે પૂર્વે એ લાંબી માંદગીમાંથી પસાર થયા. મૃત્યુ સન્મુખ હતું એવા સમયમાં પણ કેમ જીવવું એ એમને જોઈને શીખવા મળે, એવું એ જીવ્યા. કહે છે કે જેને મૃત્યુ સમજાઈ ગયું હોય છે એણે જીવનનો મર્મ પામી લીધો છે. એ વાતની પ્રતીતિ બાબુભાઈને એમની બિમારી દરમ્યાન મળનાર સૌ કોઈને થઇ જ હશે.

જન્મ મોમ્બાસામાં અને પછી ઉછેર ગુજરાતના નવસારી તાલુકાના દાંડી પંથકમાં.  ત્યાંથી ફરી ૧૮ વર્ષની વયે કેન્યાના નૈરોબી જઈને સ્થાયી થયા પછી પારિવારિક જીવન શરૂ કર્યું. 'ગવર્નર્સ કેમ્પ' માં મેનેજર તરીકેનો કાર્યકાળ એ એમના જીવનનો સુવર્ણકાળ રહ્યો. ભર્યોભર્યો પરિવાર અને વિસ્તૃત કુટુંબીઓ-મિત્રો સાથેનું એમનું ત્યાં એમનું જીવન ભરપૂર આનંદ અને સંતોષમય રહ્યું. બે દીકરીઓ (સ્મિતા અને અનિતા) અને એક પુત્ર(ચેતન)ને યુનાઇટેડ કિંગ્ડમમાં અભ્યાસ માટે મોકલી ઉચ્ચ ડિગ્રીઓ મેળવી સક્ષમ અને સંવેદનશીલ નાગરિકો તરીકે ઉછેરવામાં બાબુભાઈનાં પત્ની સરસ્વતિબહેનનો ખૂબ મોટો ફાળો. હંમેશાં સહજ બનીને સૌને હસ્તે મોઢે આવકાર આપવો, જેને માટે જે શક્ય હોય એ કરી છૂટવું એટલું જ નહીં, કોઈને માટે કશું કર્યું એવો ભાર ન તો પોતે રાખવો અને સામેની વ્યક્તિને એનો ભાર લાગવા ન દેવો! આ દરિયાદિલી બાબુભાઇ-સરસ્વતિબહેને એમનાં સંતાનોમાં પણ સિંચી છે. સરસ્વતિબહેનની વિદાય બાબુભાઈ માટે મોટો આઘાત હતો. એમના અવસાનના દસેક વર્ષ પછી યુનાઇટેડ કિંગ્ડમમાં સ્થિર થયેલાં સંતાનો એમને આગ્રહપૂર્વક કેન્યાથી લંડન લઇ આવ્યા, જ્યા બાબુભાઇએ છેલ્લાં લગભગ ૧૫ વર્ષ પ્રવૃત્તિમય બનીને ગાળ્યાં.

સામાજિક પ્રવૃત્તિઓ કે એના દેખાડાથી દૂર, છતાં માણસોથી એ ક્યારે ય વિખૂટા નહોતા રહ્યા, માનવતાના ગ્રાસ-રૂટ્સમાં જીવતું જીવન એ જીવ્યા. નૈરોબીમાં કામ કરતા ત્યારે પણ જીવન સુખી હતું, છતાં માલદાર કહેવાય એવી આર્થિક સ્થતિ નહોતી. તે દરમ્યાન એમને ઘેર જઈને રોકાવાનું થયું. પહેલા દિવસે ગજવામાં શિલિંગ નહોતા, પૈસા વટાવવા ટ્રાવેલર્સ ચેક લઈને ક્યાં જવું એવું એમને પૂછ્યું. એ પ્રશ્નના જવાબમાં કબાટમાંથી કાઢીને શિલિંગની નોટોની થોકડી, ગણ્યા વિના, એમણે ધરી દીધી હતી! ગવર્નર્સ કેમ્પમાં એમની કર્તવ્ય પરાયણતાથી એમની સારી વગ, જેનો લાભ એમના મહેમાનને મળતો, એ નાતે ત્યાં વાઈલ્ડલાઈફ જોવા જનારની પણ વી.આઈ.પી. જેવી તહેનાત થતી.

કેન્યા-પ્રવાસની યાદગાર છબિ. ડાબેથી, બાબુભાઈ પટેલ, પુત્ર ચેતનભાઈ, પુત્રી સ્મિતાબહેન અને અનિતાબહેન તેમ જ પત્ની સરસ્વતિબહેન.

એ લંડન નિવાસી થયા તે ગાળો એવો હતો જ્યારે થોડાં વર્ષ અમારો એમની સાથેનો સંપર્કનો તંતુ તૂટ્યો. પણ વાત થાય કે મળવાનું થાય તો જ મિત્રતા ટકે એવા મિત્ર એ નહોતા. વર્ષો પછી જ્યારે ફરી એ તંતુ સજીવન થયો ત્યારે જાણે ગઈકાલે જ મળ્યાં હોઈએ એવી હૂંફ અને નિકટતાથી અમે એમની સાથે ફરીથી સંકળાઈ ગયાં.

અમે સિડની સ્થાઈ થયાં પછી બે વખત બાબુભાઈએ સિડનીની મુલાકાત પણ લીધી, ત્યારે એમની સાથે ફરીથી થોડા દિવસ ગાળવાની તક મળી. સિડનીની એમની પહેલી મુલાકાત દરમ્યાન અમે એમને લઈને અહીંની રાજધાની કેનબેરા ફરવા ગયેલાં. કારમાં લગભગ ૩૦૦ કિલોમીટરનું અંતર કાપી અમે ત્યાં પહોંચીને હોટેલમાં ચેક-ઇન કર્યું. લાંબી ડ્રાઈવ પછી અમે સૌ થોડો સમય આરામ કરવાના મૂડમાં હતાં એટલે અમે હોટેલની રૂમમાં લંબાવ્યું. બાબુભાઈની નજર હોટેલના તરણકુંડ પર હતી. મુસાફરી પછી આરામ કરવાને બદલે સિત્તેર વર્ષના આ યુવાન સીધા ઉપડ્યા તરવા! અને એક કલાક તરીને સાંજના ફરવા જવા માટે એટલી જ સ્ફૂર્તિથી પાછા એ તૈયાર પણ થઇ ગયા!  એમનો ટેનિસ પ્રેમ પણ એટલો જ જાણીતો. એમની બિમારી છતાં એ સ્કોટિશ હાઈલેન્ડ જઈને ત્યાં હાઈકિંગ પણ કરતા. વ્યાયામ અને સ્વાસ્થ્ય વિશેની એમની સજાગતા, રમતગમત માટેનો એમનો પ્રેમ એમણે છેક છેલ્લે સુધી જાળવી રાખ્યો. લંડનમાં એમના ટેનિસ ખેલાડી વર્તુળમાં ૮૭ વર્ષે તેઓ સૌથી યુવાન ખેલાડી હતા. મારો દીકરો લંડન અભ્યાસાર્થે ગયો, ત્યારે એમના ટેનિસ પ્રેમે એ બંનેની મૈત્રી વધુ સઘન કરી આપી. ‘ચાલ આપણે આ વર્ષે વિમ્બલડન જોવા જઈએ’ એવો પ્રસ્તાવ ‘નાનાજી’ એને કરતા. (બાબુભાઈનાં પૌત્ર-પૌત્રી સાથે મારો દીકરો વિવેક પણ એમને નાનાજી કહેતો થયો.)

માણસ માત્રમાં બાબુભાઈને રસ, બધાને યાદ રાખે. મારા માતા-પિતાને નહોતા મળ્યા. પણ મારે ઘેર સિડની આવીને મારા મોઢે મારા પરિવારની વાતો સાંભળી, પછીના વર્ષે એમને થોડા દિવસ માટે નવસારી જવાનું થયું ત્યારે સમય કાઢીને એ મારા નવસારી સ્થિત પરિવારને મળી આવ્યા અને લંડન પહોંચીને ફોન કરી મને મારાં માતા-પિતાના ખબર આપ્યા! એમનો વતનપ્રેમ છેક સુધી એમને ત્યાં ખેંચતો રહ્યો. મારી એમની સાથેની છેલ્લી મુલાકાત ૨૦૧૭માં નવસારી ખાતે થયેલી. અનાયાસ હું અને બાબુભાઈ એક જ સમયે ત્યાં હતાં. એ સીધા મને મળવા દોડી આવ્યા. એમની શારીરિક તકલીફો છતાં દર વર્ષે ગામમાં એમણે વસાવેલું ઘર ખોલીને રહેવાની એમની ઈચ્છા પૂરી કરવા એમનાં સંતાનો પૈકી કોઈક એમની સાથે ભારત જતું.

લંડનમાં એમના નિવાસે મળવાનું પણ બન્યું. અને અવારનવાર ફોન સંપર્ક થતો. એમની બિમારી સામે લડવાને બદલે એનો સહજ સ્વીકાર, શક્ય ત્યાં સુધી કોઈને પોતે તકલીફ ન આપવી કે ભારરૂપ ન થવું એની કાળજી, અને સૌ માટેનો નિર્વ્યાજ પ્રેમ એમની વાતોમાં સાંભળવા મળતો એનાથી ક્યારેક આંખો ભીંજાઈ જતી.

ઇંગ્લૅન્ડના પ્રવાસે લેખિકા હતાં તે વેળા બાબુભાઈ જોડેની છબિ. ડાબેથી, બાબુભાઈ પટેલ, દીકરી સ્મિતાબહેન, વિપુલ કલ્યાણી તેમ જ આરાધનાબહેન ભટ્ટ

દાયકાઓ પહેલાં દેશ છોડીને સમુદ્રપાર વસનાર એન.આર.આઈ. વિશે ઘણીવાર કહેવાય છે કે જે જમાનામાં આપણે દેશ છોડ્યો હશે તે જમાનાની રીતભાત-રહેણીકરણી અને વિચારોમાં આપણે થીજી જઈએ છીએ, ક્યારેક આપણને ‘જૂનવાણી’નું તહોમત પણ લગાવાય છે. આવેલાને આવકાર આપવો, ઉદારચિત્તે સૌને સ્નેહ કરવો, પોતાનાં મૂળને ન ભૂલવાં, માતૃભાષાને પ્રેમ કરવો, કુટુંબભાવના હોવી, વ્યસનમુક્ત સાદગીભર્યું જીવન જીવવું – આ બધું જો જૂનવાણી હોય તો બાબુભાઈ સાવ ‘જૂનવાણી’ હતા. પણ એમણે અન્ય ધર્મો, જાતિ અને જ્ઞાતિના સભ્યોને પોતાના પરિવારમાં ખુલ્લા દિલે આવકાર્યા અને એમની સાથે સુમેળભર્યું જીવન જીવ્યા એટલા એ ઉદારમતના અને ‘આધુનિક’ પણ ખરા.

આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યારે સોશિયલ મિડિયા અને અન્ય પરિબળોએ મૈત્રીને કેટલાક બાહ્ય આચારોને આધીન અને સાવ તકલાદી બનાવી દીધી છે. આવા સમયમાં પૃથ્વીના બીજા છેડે વસતા કોઈક સંબંધનું ચાર દાયકા જેટલું સાતત્ય અને ઘનિષ્ટતા એમના અપેક્ષારહિત અને વ્યવહારિકતાથી પર એવા સ્નેહનું પરિણામ છે એમ સમજુ છું. એમનો પ્રથમ પરિચય સાવ અનાયાસ થયેલો, વલસાડમાં વસતા એમના કોઈક સગાં મારફત, અને પછી એ સંબંધ ચાળીસ વર્ષને પાર કરી ગયો. દાંડીના દરિયાની નજીક વસેલી જાતિઓ વિશે કહેવાય છે કે એમણે દરિયાની દરિયાદિલી આત્મસાત કરી છે, એ વાત બાબુભાઈ અને એમનો પરિવાર જોતાં યથાર્થ લાગે. જયારે જ્યારે એમને મળવાનું બને ત્યારે કબીરસાહેબનો દોહો ‘પોથી પઢ પઢ જગ મુવા, હુવા ન પંડિત કોય, ઢાઈ અખ્ખર પ્રેમકા પઢે સો પંડિત હોય’ જીવાતો જોવા મળ્યો એવું લાગે! બાબુભાઈને આપણા સૌના આખરી સલામ !

e.mail : aradhanabhatt@yahoo.com.au

Loading

...102030...2,3792,3802,3812,382...2,3902,4002,410...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved