Opinion Magazine
Number of visits: 9681131
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આદિવાસી કરે સવાલ : આત્મનિર્ભર બનવા ખેતી કે પ્રવાસન?

સ્વાતિ|Opinion - Opinion|28 May 2020

વિશ્વમાં, ખાસ કરીને ત્રીજા વિશ્વમાં, વિકાસનું સ્વરૂપ અને માળખું એવું જોવા મળે છે કે નિષ્ણાત ડિઝાઇન-નકશો બનાવે, સરકાર તેનો અમલ કરે, વહીવટી તંત્ર તેનું વ્યવસ્થાપન કરે, બળુકા તેનો લાભ લે અને ગરીબ, મહેનત કરનાર તેની કિંમત ચૂકવે. આ હકીકત ગયા સિત્તેર અથવા કહો કે બસો વર્ષની વાસ્તવિકતા રહી છે — પછી તે ખાણ હોય, કારખાનાં હોય કે નદી પર બાંધવામાં આવેલ બંધ હોય. ‘વિકાસ’ એ નિષ્ણાત-રાજકારણી-અધિકારી-સ્થાપિત હિતવાળાનું ફરજંદ હોવાથી, જાણે વિમાનમાંથી – પેરાશૂટમાંથી નીચે ઊતરતો હોય તેવો સંસ્થાનવાદી અભિગમ જોવા મળે છે. આ અભિગમનાં લક્ષણ નીચે મુજબનાં હોય છે :

(૧) વિકાસના પ્રોજેક્ટ માટે વધુ પડતી જમીન લોકો પાસેથી બળજબરીપૂર્વક લેવી.

(૨) જાહેર હિતની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા કરવી નહીં.

(૩) લાભ-ખર્ચનું કોઈ પારદર્શી મૂલ્યાંકન નહીં.

(૪) પર્યાવરણ પર થનારી અસરનું વિશ્લેષણ નહીં.

(૫) સામાજિક અસરનો વિચાર નહીં.

(૬) અસર પામનારા લોકો સાથે કોઈ સંવાદ નહીં અને જૂજ રોકડ વળતર.

પરિણામ સ્વરૂપે આદિવાસી, ખેડૂત, શ્રમિક, ગ્રામીણ વ્યક્તિએ શહેર તરફનો રસ્તો પકડવો પડે, રસ્તાની પડખે ભૂરા પ્લાસ્ટિકના છાપરા નીચે અથવા ઝૂંપડપટ્ટીમાં રહેવું પડે અને પછી કહેવાતો ભણેલો વર્ગ એમને ગુનેગાર કે શહેર પરનો બોજ ગણે. આ અંગે સવાલ પૂછનારને ‘વિકાસવિરોધી’, ‘દેશવિરોધી’, ‘નક્સલ’નો બટ્ટો લગાડી દેવાય, ત્યાર પછી જવાબ આપવાની જરૂર રહેતી નથી. હકીકત એ છે કે જવાબ થોડા સમય માટે ટાળી શકાય, હંમેશ માટે નહીં. ‘ઉપદ્રવી’ના સવાલ, સ્વસ્થ મૂલ્યાંકન, તટસ્થ વ્યક્તિઓની સલાહ વહેલાં-મોડાં ગણકારવાં તો પડે જ છે.

આવા પ્રયત્નોના પરિણામ સ્વરૂપે જ આપણને દેશમાં માહિતી અધિકારનો કાયદો, રોજગાર બાંહેધરીનો કાયદો, આદિવાસીઓ માટે જમીન અધિકારનો કાયદો, જમીન સંપાદનનો ૨૦૧૩નો નવો કાયદો, અન્ન સુરક્ષાનો કાયદો વગેરે હાલનાં વર્ષોમાં પસાર કરવાની ફરજ પડી છે. પરંતુ કાયદાઓનો યોગ્ય અમલ થાય તે માટે જુદી લડત, ફરીથી લડત, સતત લડત લડવી પડે તે આપણી લોકશાહીની વિડંબના છે. કાયદાનો અમલ ન કરવો પડે, માત્ર દેખાડવાથી ચાલી જાય તેવો પ્રયત્ન સ્થાપિત હિતોનો હોય જ. પરંતુ કાયદો કાગળ પર આવે એટલે સિદ્ધાંત સ્વીકારવો પડે એ સ્પષ્ટ છે.

સરદાર સરોવર, નર્મદા બંધને 1980ના દાયકામાં ગુજરાતની જીવાદોરી તરીકે આગળ કરવામાં આવ્યો. કારણ કે નપાણિયા વિસ્તારને પીવાનું પાણી, દુકાળગ્રસ્ત વિસ્તારને પિયતના વાયદા જોરશોરથી કરવામાં આવ્યા હતા. નર્મદા બંધ બંધાતાં ગુજરાતના બધા પ્રશ્નો હલ થઈ જશે તેવું સ્વપ્ન રજૂ કરવામાં આવ્યું હતું. હવે બંધ, પાણી-પિયતને કોઈ યાદ નથી કરતું. આજે આ વિસ્તારમાં હવે પર્યટન, સી-પ્લેન, બોટિંગ, રીવર રાફ્ટિંગ, શૉપિંગ મૉલ, પ્રાણી સંગ્રહાલયની ઝાકમઝાળ છે. શહેરોમાં મૉલ ઓછા હોય તેમ નદી, પહાડ, જંગલની વચ્ચે મૉલ બનાવવાનો શો મતલબ છે? કે પછી પહાડ નીચે ને નદીકિનારે શૉપિંગનો નશો કંઈ જુદો હોય છે?

વાગડિયા, કેવડિયા, કોઠી, નવાગામ, લીમડી અને ગોરા — આ છ ગામની જમીન નર્મદા બંધ અને નહેર માટે 1962-63માં લેવાઈ. તેનું વળતર અપાયું પ્રતિ એકર રૂ. 50થી 250. પછી બંધનું સ્થાન બદલાયું, બંધ બંધાયો વડગામની ભૂમિમાં. પણ લીધેલી જમીન ખેડૂતોને પાછી શું કામ આપવી?  એવો સરકારનો અભિગમ રહ્યો છે.

વાસ્તવિકતા એ છે કે વધુ પડતી જમીનનું સંપાદન થયું હતું. મોટા ભાગની સંપાદિત જમીન કોઈ દિવસ વપરાઈ નહીં. જે હેતુ માટે સંપાદન થયું હતું તે માટે વપરાઈ નથી, હેતુફેર કરવામાં આવ્યો. જમીનનો કબજો તેમની પાસે જ રહ્યો. જમીન સંપાદન કાયદો, 2013, મુજબ જો પાંચ વર્ષ માટે આ જમીન, જે હેતુથી સંપાદન કરી હોય તે માટે વપરાય નહીં તો તે સંપાદન ફોક થવું જોઈએ, જમીન તેના મૂળ માલિકને પરત થવી જોઈએ. પણ કોઈ કાયદાનો સામાન્ય લોકોને લાભ મળતો હોય તો તે કાયદો કેવી રીતે રહેવા દેવાય? દેશમાં ઠેકઠેકાણે ખેડૂતો-આદિવાસીઓ આ કાયદાનો સહારો લઈને પોતાની જમીન પાછી મેળવવાનો પ્રયત્ન કરવા મંડ્યા. વાત સુપ્રીમ કોર્ટમાં ગઈ.

કોર્ટે કાયદાનું અર્થઘટન કરવાને બદલે અર્થ જ જાણે બદલી નાખ્યો. તેને પરિણામે ખેડૂત અને રાજ્ય અથવા ઉદ્યોગગૃહ વચ્ચેના જમીનને લગતા વિવાદમાં લાભ બળુકા પક્ષ એટલે કે રાજ્ય અને ઉદ્યોગગૃહોને મળશે તેવો ચુકાદો આપ્યો. છ ગામની ગુજરાત હાઈકોર્ટની લડતમાં પણ લોકોની હાર થઈ. આજે હવે સરકાર કોરોના લૉક ડાઉન છતાં, ખરેખર તો લૉક ડાઉનનો લાભ લઈને લોકોની જમીનનો કબજો લેવા આ છ ગામમાં પોલીસ ઉતારી રહી છે. આ બધું શેના માટે? લૉક ડાઉન પૂરું થાય ત્યારે પર્યટક  સી-પ્લેન, બોટિંગ,  રીવેર રાફ્ટિંગ, શોપિંગ મોલ, પ્રાણી સંગ્રહાલય માટે આવશે ને?

આશ્ચર્ય એ વાતનું છે કે બીજાં અનેક મહત્ત્વનાં કામો બાજુ પર મૂકીને આ કોરોનાકાળમાં સરકારને પ્રવાસન માટેના પ્રોજેક્ટ માટે આદિવાસીઓની જમીન કબજે કરવાનું સૂઝે છે. આ બધું ‘જરૂરી સેવાઓ’ની નીચે આવે છે?

દરેક બાબતમાં બનતું હોય છે તેમ બધા નિયમો, કાયદાઓ ગરીબોને લાગુ પડે છે. બળુકા વર્ગ કે શાસનને જે કરવું હોય તેમાં કશું આડે આવતું નથી. કાયદો પણ તેમના હાથમાં છે અને સ્થળ પર પોલીસ દ્વારા જોહુકમી પણ તે ચલાવી શકે છે. આટલા વિપરીત સંજોગોમાં પણ લોકો લડી રહ્યા છે. કારણ કે જમીનો જ તેમની જીવાદોરી છે. અને તેમને ખાતરી છે કે ખેતી જ ‘આત્મનિર્ભરતા’ તરફ જવાનો સાચો માર્ગ છે, નહીં કે પ્રવાસન. વળી, કોરોનાએ પણ આ સુપેરે સમજાવી દીધું છે.

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 28 મે 2020

Loading

મલયાલમ ફિલ્મ ‘વાઇરસ’ : નિપાહના અનુભવની કથા

રાજ ગોસ્વામી|Opinion - Opinion|28 May 2020

હોલીવુડમાં ભાતભાતની ફિલ્મો બને છે. તેમાં એક પ્રકાર મૅડિકલ થ્રિલરનો પણ છે. મૅડિકલ જગતમાં એવી ઘટનાઓ બનતી હોય છે અને મનુષ્યના જીવન સાથે તેનો એવો અસરકારક સંબંધ હોય છે કે હોલીવુડના ફિલ્મ-નિર્માતાઓ તેના પર એકેએકથી ચઢિયાતી ફિલ્મો બનાવે છે. આપણે ત્યાં હિન્દી સિનેમામાં વિષયનું આ વૈવિધ્ય હજુ આવ્યું નથી અને બહુધા તે રોમેન્ટિક વિષયની આસપાસ જ રહે છે. દક્ષિણ ભારતની સિનેમામાં હોલીવુડની જેમ ટૅક્નોલોજી-પ્રધાન ફિલ્મોના પ્રયોગો થયા છે.

ગયા વર્ષે જ મલયાલમ ભાષામાં 'વાઇરસ' નામની એક ફિલ્મ આવી હતી અને ઘણી સફળ રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહામારી સામે આગલા મોરચે લડી રહેલા ડૉક્ટરો, નર્સો અને સફાઈ કર્મચારીઓ જેવા લોકોની બહાદુરીને બિરદાવવા માટે થાળી વગાડવાની અપીલ કરી હતી. 'વાઇરસ' ફિલ્મમાં પણ કૈંક એવી જ રીતે મહામારીને પરાજય આપવા માટે જીવના જોખમે લડી રહેલા મોટા ડૉક્ટરથી લઈને સાધારણ લોકોની હીરોગીરીને નોંધવામાં આવી હતી.

આ ફિલ્મને એક જ શેડ્યુલમાં, મતલબ કે કોઝીકોડની ગવર્નમેન્ટ મૅડિકલ કોલેજમાં, સ્ટાર્ટ-ટુ-ફિનીશ શૂટ કરવામાં આવી હતી. તેને આશિક અબૂ નામના એક્ટર-પ્રોડ્યુસર-ડિરેક્ટરે બનાવી હતી. 'વાઇરસ' તેમની પાંચમી જ ફિલ્મ હતી. એમાં મલયાલમ સ્ટાર કુન્ચાકો બોબન અને પાર્વથી થીરુવોથુ મુખ્ય ભૂમિકામાં હતાં અને તેમની સાથે એક્ટર-એક્ટ્રેસની મોટી ફોજ હતી. જાણીતી એક્ટ્રેસ રેવથીએ તેમાં આરોગ્યમંત્રીની ભૂમિકા કરી હતી.

'વાઇરસ'ની કહાની અસલી ઘટના પર આધારિત હતી. ૨૦૧૮માં કેરળમાં નિપાહ વાઇરસની મહામારી ફેલાઈ હતી, જેમાં ૧૮ લોકોનાં મોત થયાં હતાં. તમે કલ્પના કરો કે ચીનના વુહાન શહેરની મૅડિકલ કોલેજમાં ડિસેમ્બર મહિનામાં પહેલી વાર કોરોના વાઇરસના દરદી આવ્યા હશે, ત્યારે ત્યાંનો મૅડિકલ સમુદાય આ અજાણ્યા યમરાજથી કેવો બઘવાઈ ગયો હશે ! આવું જ કોઝીકોડની મૅડિકલ કોલેજમાં થયેલું. મે ૨૦૧૮માં ત્યાં અચાનક તાવના માર્યા દરદીઓ આવવા લાગેલા. ડૉક્ટરો અને નર્સોએ રૂટિનમાં જ તેમનું ચેક-અપ કરીને ફ્લુની દવાઓ કરી હતી. તેમને મોઢા પર માસ્ક પહેરવા જેવી સાવધાની રાખવાની જરૂરિયાત પણ સમજાઈ ન હતી, એવી સાધારણ શરૂઆત હતી. હોસ્પિટલે ફ્લુની અનેક સિઝન જોયેલી, એટલે તેમને આમાં કંઈ નવું લાગ્યું ન હતું. અચાનક તેમના દરદીઓ મરવા લાગ્યા અને ત્યારે તેમના કાન ઊંચા થયા.

લૅબોરેટરીઓમાં ચોકસાઈથી ટેસ્ટ કરવામાં આવ્યા તો ડૉક્ટરો અને વાઇરોલોજીસ્ટ ઘા ખાઈ ગયા: તે ઘાતકી નિપાહ વાઇરસ હતો, જેને રોકવાનો કોઈ ઉપચાર પણ ન હતો. નિપાહનો પહેલો દરદી કોઝીકોડ જિલ્લાની પેરમ્બ્રા હૉસ્પિટલનો મોહમ્મદ સબિથ હતો, જેને વધુ સારવાર માટે કોઝીકોડની સરકારી હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું હતું. તે પછી તેના ભાઈને કોઝીકોડની બેબી મેમોરિયલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને તેના પરના ટેસ્ટમાં નિપાહની ભાળ મળી. મોહમ્મદ સબિથે તેના ભાઈ સહિત ૧૭ લોકોને સરકારી મૅડિકલ કોલેજમાં આ વાઇરસનો ચેપ લગાડ્યો હતો. ત્યાં બે જ સપ્તાહમાં એક નર્સ સહિત ૧૦ લોકોનાં મોત થઈ ગયાં હતાં. આ ચેપ કોઝીકોડમાંથી શરૂ થયો અને નજીકના માલાપુરમમાં ફેલાયો. કોઝીકોડમાં અને માલાપુરમ જિલ્લામાં ૨,૦૦૦ લોકોને અલાયદા કરવામાં આવ્યા હતા.

નિપાહની શરૂઆત ૧૯૯૮માં મલેશિયાના સુન્ગાઈ નિપાહ નામના ગામમાં ડુક્કર અને ડુક્કરને પાળતા લોકોમાંથી થઈ હતી. ૧૯૯૯માં મલેશિયામાં ૧૦૫ લોકોનાં મોત થયાં અને સિંગાપોરમાં શ્વાસની તકલીફના ૧૧ કેસ અને એક મોત નોધાયું. ૨૦૦૧માં બાંગલાદેશના મહેરપુર જિલ્લામાં અને ભારતમાં સિલીગુડી જિલ્લામાં નિપાહનો રોગ દેખાયો. તે પછી ૨૦૦૩, ૨૦૦૪ અને ૨૦૦૫માં બાંગલાદેશના પાંચ અલગ-અલગ જિલ્લામાં પણ નિપાહ દેખાયો.

કેરળમાં એ પહેલી વાર દેખાયો હતો અને લૅબોરેટરીઓમાં જેમ જેમ તેના વિશે જાણકારી મળતી ગઈ તેમ તેમ તેનો પરાજય કરવા માટે મોરચો રચાતો ગયો. એમાં જિલ્લાથી લઈને છેક સરકાર, કેન્દ્ર સરકાર અને વિશ્વ આરોગ્ય સંસ્થા સુધી સહકાર સાધવામાં આવ્યો. ઓસ્ટ્રેલિયામાં ત્યારે નિપાહ માટે ક્લિનિકલ ટ્રાયલ ચાલતી હતી, તે દવાને મંગાવવામાં આવી. એમાં કેરળના તત્કાલીન આરોગ્ય સચિવ ડૉ. રાજીવ સદાનંદને બહુ સક્રિય ભૂમિકા ભજવી હતી અને કેરળ હાઈકોર્ટ તેમ જ બાલ્ટીમોરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન વાઈરોલોજીએ તેમનો ખભો થાબડ્યો હતો. ડૉ. રાજીવ સદાનંદને લોકો ‘નિપાહ રાજીવ’ તરીકે આજે પણ યાદ કરે છે. ૧૦ જૂન ૨૦૧૮ના રોજ સત્તાવાર રીતે નિપાહને નાબૂદ કરાયાની જાહેરાત કરવામાં આવેલી.

નિપાહને નાથવા માટે કેરળમાં ધમાચકડી ચાલતી હતી, ત્યારે મુહસીન પરારી નામના ફિલ્મલેખકને લોકો જે રીતે પરેશાન થતા હતા તેનાથી બહુ દુઃખ થયેલું. તેમનો ખુદનો એક સંબંધી હૉસ્પિટલમાં કામ કરતો હતો અને તેમણે દર્દનો, દરદીઓનો તથા દવાનો ચિતાર આપ્યો હતો. મુહસીન ડિરેક્ટર આશિક અબુને મળ્યો અને તેમાંથી ‘વાઇરસ’ ફિલ્મનો વિચાર પેદા થયો. આશિક કહે છે, “અમે નિપાહ રોગ પર કાબૂ મેળવવાના માણસના સફળ પ્રયાસને બિરદાવવા માગતા હતા.” તેના માટે મુહસીન અને તેના બીજા બે સહલેખકો શર્ફું અને સુહાસ નિપાહનો છેડો પકડીને ઠેઠ એ ગામ સુધી ગયા, જ્યાંથી તેની શરૂઆત થઈ હતી. ત્યારે એ ગામ હિજરત કરી ગયું હતું. ‘વાઇરસ’ ફિલ્મ નિપાહને ઝપટમાં આવેલા તમામ લોકોના અનુભવની કહાની હતી. આશિક અબુ સમજાવે છે, “આ થ્રિલર ફિલ્મ છે. એમાં લોકોના એક એવા જૂથની કહાની હતી, જે મોતથી બચવા ભાગી છૂટે છે. અમે જ્યારે વાઇરસના ફેલાવાનો આખો રસ્તો માપ્યો, તો અમે સ્તબ્ધ થઇ ગયા હતા. લોકો અમને પૂછતા હતા કે એટલા બધા કલાકારોને લઈને શું કામ આવ્યા છો? અમે જ્યારે વાર્તા લખતા હતા, ત્યારે એક વાત સમજમાં આવી કે એમાં પ્રત્યેક માણસ હીરો હતો, કારણ કે તેની કોઈને કોઈ સાહસિક કહાની હતી.”

આશિક અને તેમની ટીમ એવા એવા લોકોને મળી જે દરદીઓનાં કપડાં ધોતા હતા, મૃતકોને દફ્નાવતા હતા અને દરદીઓની સંભાળ રાખતા હતા. આશિક કહે છે, “આ એવા લોકો હતા, જેને આપણે નીચલા વર્ગના કહીએ છીએ, પણ તેઓ પ્રેમ, કરુણા અને સદ્ભાવ બતાવીને મહાનતાની સીડી ચઢ્યા હતા. જે લોકો હોસ્પિટલોમાંથી કે દેશમાંથી નાસી છૂટવા સક્ષમ હતા, તે લોકો વાઇરસનો ખોફ ભૂલીને દરદીઓને સંભાળવા રહી ગયા હતા. એટલે અમને થયું કે આવા લોકોની કહાનીને પડદા પર લાવવી જોઈએ.”

‘વાઇરસ’માં જે ઘટનાઓ બતાવવામાં આવી છે, તે કાલ્પનિક નથી. તેનો સ્ક્રીન પ્લે લખનાર ત્રણ લેખકોએ બધે ફરી ફરીને મહામારીની વિગતો એકઠી કરી હતી. ડિરેક્ટર પણ ઘણા દિવસો માટે લેખકો સાથે જોડાયેલા. એ કહે છે, “લોકો ભયાનક અનુભવોમાંથી પસાર થયા હતા. હૉસ્પિટલ સ્ટાફના પરિવારો ઘરે પ્રાર્થના કરતા હતા. અડોશપડોશના લોકોએ તેમને આઇસોલેશનમાં મૂકી દીધા હતા. અમે એક ડૉક્ટરને મળેલા, જે ઘરે વસિયતનામું લખીને ફરજ બજાવવા આવ્યો હતો. પરિવાર માટે તો એ વસિયત ડેથ-વોરંટ જેવું હતું.”

કોરોના વાઇરસ  સામે દેશ આજે સંઘર્ષ કરે છે, ત્યારે લોકો ‘વાઇરસ’ ફિલ્મને ફરીથી યાદ કરી રહ્યા છે. આશિક અબુ કહે છે, “નિપાહ વાઇરસ કોવિડ-૧૯ કરતાં વધુ ઘાતકી હતો. તેનો મૃત્યુદર ૭૦થી ૮૦ ટકા હતો, જ્યારે નોવેલ કોરોના વાઇરસનો દર ૨ થી ૩ ટકા છે. અમુક દરદીઓ તો સાજા પણ થયા છે. નિપાહ ફેલાયો, ત્યારે આરોગ્ય અધિકારીઓ રીતસર ઝઝુમતા હતા. હું એ દિવસોને ક્યારે ય ભૂલી નહીં શકું.”

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 28 મે 2020

Loading

કોરોના-કટોકટી અને સર્વોચ્ચ અદાલતની નિષ્ફળતા

યોગેશ પ્રતાપ સિંહ લોકેન્દ્ર મલિક|Opinion - Opinion|28 May 2020

ન્યાયની પ્રક્રિયા અને કાયદાની પ્રણાલી પ્રત્યે લોકોને અને તેની સાથે સંકળાયેલા વ્યાવસાયિકોને કાયમ અસંતોષ રહે છે. એ પણ ખરું કે સંકટ સમયે જ બંધારણીય સંસ્થાઓની વિશ્વસનીયતાની કસોટી થાય છે. જીવન અને સ્વતંત્રતાની બંધારણીય ખાતરીને અભરાઈએ ચડાવતી ૧૯૭૫ની કટોકટીના કાળે સર્વોચ્ચ અદાલતની વિશ્વસનીયતાની કસોટી થઈ હતી. હેબિયર્સ કોપર્સ (કેદીને સદેહે અદાલત સમક્ષ હાજર કરવાની જોગવાઈ) નકારીને તે સમયની સર્વોચ્ચ અદાલતે પોતાની નિષ્ફળતા દર્શાવી હતી. સુપ્રીમ કોર્ટની આ નિષ્ફળતાને કારણે તે સમયની સરકારે હજારો લોકોને ગેરકાયદે જેલમાં ગોંધી રાખ્યા. ‘ન્યૂ યોર્ક ટાઈમ્સે’ આ ઘટનાને ભારતની બેફામ બનેલી સરકાર સમક્ષ સર્વોચ્ચ અદાલતનું સંપૂર્ણ સમર્પણ ગણાવ્યું હતું.

તેમ છતાં લોકતંત્ર બચી ગયું અને તે સમયના ન્યાયાધીશોએ પછીથી માફી પણ માગી હતી. જસ્ટિસ પી.એન. ભગવતીએ ૩૫ વરસ પછી કહ્યું હતું, “એ સમયે હું ખોટો હતો. બહુમતીએ લેવાયેલો નિર્ણય જ સાચો નિર્ણય નથી હોતો. જો હું ફરી વાર ચુકાદો આપી શકતો હોત તો હું જસ્ટિસ એચ.આર. ખન્નાના નિર્ણય સાથે સહમત થયો હોત. મને એ ચુકાદા માટે ખેદ છે.” આ કલંક મિટાવવા માટે સુપ્રીમ કોર્ટે ન્યાયિક સક્રિયતાના નવા ચરણનો આરંભ કરીને અભણ, નબળા અને વંચિતોના લાભાર્થે અવિશ્વસનીય કામ કર્યું. સર્વોચ્ચ અદાલતે બંધારણીય સંસ્થા પરનો લોકોનો ભરોસો કાયમ કર્યો, એટલું જ નહીં તેને જનઅદાલત બનાવી ! સર્વોચ્ચ અદાલતે સામાન્ય માનવીના હિતમાં અને તેની  ગરિમા સ્થાપિત કરતા ઘણા ઉમદા ચુકાદા આપ્યા.

પરંતુ ફરી એક વાર સંકટનો સમય આવી ગયો છે. આજની સ્થિતિ કટોકટીથી જરા ય ઓછી નથી. પરંતુ સુપ્રીમ કોર્ટ એક વખત ફરી તેનું કર્તવ્ય નિભાવવામાં નિષ્ફળ નીવડી છે. તેણે અઘોષિત કટોકટીના નામે સરકારને મૂળભૂત અધિકારોના ઉલ્લંઘનની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટે રામમંદિર, રાફેલ કેસ,  જજ લોયાનું મૃત્યુ જેવા ઘણા ચુકાદા દ્વારા સરકારની મદદ કરી હોવાની સામાન્ય માન્યતા ઊભી થઈ છે. જમ્મુ-કશ્મીરની બંધારણીય સ્થિતિ બદલી નાખતી ૩૭૦મી કલમના કેટલાક હિસ્સાની નાબૂદી અંગેના સરકારના નિર્ણયની બંધારણીય અને કાયદાકીય સમીક્ષા કરવાથી પણ સુપ્રીમ કોર્ટ દૂર રહી છે. આઘાતજનક બાબત તો એ પણ છે કે જમ્મુ-કશ્મીરના લોકોનાં જીવન અને સ્વતંત્રતા ખતરામાં હોવા સંબંધી હેબિયર્સ કોપર્સ અરજીઓ તરફ પણ કોર્ટે ધ્યાન આપ્યું નથી અને આ કેસોને ગંભીર ત્રુટિઓ ધરાવતા તથા નિરર્થક ગણાવીને પરત કરી દીધા છે. એટલું જ નહીં, જ્યારે સરકારે જમ્મુ-કશ્મીરમાં લદાયેલા પ્રતિબંધો જલદીમાં જલદી ઘટાડી દેવામાં આવશે એમ કહ્યું, ત્યારે કોર્ટે સરકારને પરિસ્થિતિની સમીક્ષા માટે વધારે સમય આપવાનો આદેશ કર્યો હતો. નાગરિકની સ્વતંત્રતાના મામલે સુપ્રીમ કોર્ટનું આ વલણ યોગ્ય નહોતું.

જો કે હજુ એનાથી પણ કપરો કાળ આવવાનો બાકી છે. ‘કોર્ટ સરકારને આદેશ આપે કે તમામ જિલ્લા કલેકટરો પરપ્રાંતીય સ્થળાંતરિત મજૂરોની ઓળખ કરીને તેમને ભોજન, અને આશ્રય આપે તથા તેમને તેમના રાજ્યમાં સરકારના ખર્ચે પહોંચાડે’ — તેવી માગ કરતી રિટ જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ, જસ્ટિસ કૌલ અને જસ્ટિસ ગવઈની બેન્ચે ફગાવી દીધી હતી. આ ચુકાદો ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં બે જુદી જુદી દુર્ઘટનાઓમાં ૧૪ પરપ્રાંતીય કામદારોનાં મોત અને ૬૦ કરતાં વધુના ઘાયલ થયાના એક દિવસ પછી આવ્યો હતો.

કેન્દ્ર સરકારે કોરોના વાઇરસનો મુકાબલો કરવા ચાર કલાકની ટૂંકી નોટિસ પર અભૂતપૂર્વ લૉક ડાઉન લાગુ પાડ્યું હતું. આ નિર્ણય કરીને સરકારે લાખો લોકોના જીવ જોખમમાં મૂકી દીધા. લોકો ખાસ કટોકટીની સ્થિતિ સિવાય જ્યાં છે ત્યાં જ રહે, તેવી ન તો સલાહ આપવામાં આવી કે ન એ લોકો માટે કોઈ વ્યવસ્થા ગોઠવવામાં આવી. સરકારોએ સ્થળાંતરિત મજૂરોના રહેવા-ખાવાની વ્યવસ્થાનાં વચનો તો આપ્યાં, પણ વાસ્તવમાં તેનો અમલ ન કર્યો. કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે પરપ્રાંતીય શ્રમિકોના મુદ્દે તાલમેળ નહોતો. આખરે, લોકોએ ભૂખથી છૂટકારો મેળવવા માટેના પ્રયાસ આદર્યા. લૉક ડાઉન એક સરકારી કાર્યવાહી હતી, જેણે આમ આદમીની રોજીને સીધી અસર કરી. સુપ્રીમ કોર્ટની રોજગારના અધિકાર સંબંધી અનુચ્છેદ ૨૧ અંગેની સૌથી ચર્ચિત વ્યાખ્યા એ છે કે જીવનના અધિકારમાં કેવળ શારીરિક અસ્તિત્વનો અધિકાર જ સામેલ નથી, આત્મસન્માન સાથે જીવવાનો અધિકાર પણ સામેલ છે. માનવ ગરિમાના ન્યાયશાસ્ત્રમાં રોજી, રહેઠાણ અને સ્વસ્થ વાતાવરણનો અધિકાર પણ સામેલ છે. એટલે કોઈ વ્યક્તિને આજીવિકાના અધિકારથી વંચિત કરવાનો મતલબ તેને જીવનના અધિકારથી વંચિત કરવાનો છે. (ઓલ્ગા ટેનિસ વિરુદ્ધ બૉમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન, ૧૯૮૫ અને ડી.ટી.સી વિરુદ્ધ મજદૂર કૉન્ગ્રેસ) સુપ્રીમ કોર્ટે એ વાત પણ સ્પષ્ટ કરી હતી કે ન્યાયતંત્ર રાજ્ય સરકારના કામની તપાસ કરવા અને તેને બંધારણીય જોગવાઈઓ મુજબ રાખવા બંધાયેલું છે.

ન્યાયમૂર્તિ એલ. નાગેશ્વર રાવના નેતૃત્વ હેઠળની ખંડપીઠે કહ્યું હતું કે કામદારોને રેલવેના પાટા પર સૂતા કોઈ કઈ રીતે અટકાવી શકે? લોકો રસ્તે જઈ રહ્યા છે અને જવાનું અટકતું નથી. તેને કઈ રીતે રોકી શકાય? ત્યાર પહેલાં, સરકાર પરપ્રાંતીય સ્થળાંતરિત શ્રમિકોને લઘુતમ વેતન ચુકવે તેવી માગણી કરતી એક જાહેર હિતની અરજી પર ૧લી એપ્રિલ ૨૦૨૦ના રોજ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, “સરકાર ખાવાનું આપી રહી છે, તો પછી મજૂરી આપવાની જરૂર શી છે?” “રસ્તા પર કોણ ચાલી રહ્યું છે અને કોણ નહીં, એની તપાસ કરવાનું અદાલત માટે શક્ય નથી.” સુપ્રીમ કોર્ટનો અસહાય સ્થળાંતરિત શ્રમિકો પ્રત્યેનો દષ્ટિકોણ નિરાશાજનક અને સ્થાપિત ન્યાયશાસ્ત્રની વિરુદ્ધ છે.

આ બાબતે ઇન્દિરા ગાંધીની નિરંકુશ કટોકટીની પીડાને તાજી કરી દીધી છે. ૩.૩ કરોડ કેસોના બૅકલોગ સાથે વધતા પડતર કેસો, સરકાર કે વહીવટી તંત્રના દબાણ હેઠળ થતી ન્યાયતંત્રની નિમણૂકો, સુપ્રીમ કોર્ટમાં ભ્રષ્ટાચારના આરોપ, નિમણૂકો સહિતના મામલાઓમાં વરિષ્ઠ ન્યાયાધીશો વચ્ચેના મતભેદ, (તત્કાલીન) ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા વિરુદ્ધ કહેવાતા જાતીય શોષણના આરોપ, સરકારની પ્રશંસા કરનારા ન્યાયાધીશો અને સુપ્રીમ કોર્ટનું સતત સરકાર સાથે હોવાનું વલણ હવે સામાન્ય બની રહ્યું હતું. તે પરપ્રાંતીય શ્રમિકો પ્રત્યેના વલણ પછી ખતરનાક સ્તરે પહોંચ્યું છે. જનતાની અદાલત તરીકેની સુપ્રીમ કોર્ટની પ્રતિષ્ઠા ભાંગીને ભૂક્કો થઈ ગઈ છે. એવી આશંકા જન્મે છે કે હાલની ન્યાય તંત્રની પડતી વધારે ગહન અને દીર્ઘ હોઈ શકે છે. એટલું જ નહીં સ્થિતિ સામાન્ય થવાની શક્યતા બહુ ઓછી છે.     

[સૌજન્ય લાઈવ લૉ, અનુવાદઃ ચંદુ મહેરિયા]

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 28 મે 2020

Loading

...102030...2,3792,3802,3812,382...2,3902,4002,410...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved