Opinion Magazine
Number of visits: 9456517
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નકરી રસમઅદાયગીથી ઉફરાટે ચંદ અલ્ફાઝ, શાહીનબાગની સાખે અને બીજી ચંદ અંજલિઓ

પ્રકાશ ન. શાહ, પ્રકાશ ન. શાહ - સુમન શાહ - મનીષી જાની - તુષાર દવે|Opinion - Literature|27 February 2025

અલવિદા અનિલ

જન્મ : 28 જુલાઈ 1940 − અવસાન : 26 ફેબ્રુઆરી 2025

“રે લોલ‘ની વંડી ઠેકી ગયેલા કવિએ ચોમેરચોફેર અનવસ્થા સામે અવાજ ઉઠાવવામાં ધર્મ જોયો …

છવ્વીસમી ફેબ્રુઆરીએ સવારે કવિ અનિલ જોશી ગયા, બરાબર ચોરાસીમે – કહો કે કવિ લખચોરાસીમાંથી છૂટ્યા કે પછી લખચોરાસીએ કરીને તરી ગયા. અજેય અને બેચેન જીવ એ અલબત્ત હતા. થોડાં વરસ પર એક મુલાકાતમાં એમણે બરકત વિરાણીને ટાંકેલા કે મેં એ વિચારથી શ્વાસ લેવા બંધ કરી દીધા છે કે આ દુનિયાની હવા સ્વર્ગમાં નથી લઈ જવી.

અનિલ જોશીનું નામ લીધું કે વાંસોવાંસ રમેશ પારેખની યાદ દડી આવી. જેમ ઉમાશંકર-સુંદરમ્‌ કે રાજેન્દ્ર-નિરંજન તેમ અનિલને રમેશ એ પણ એક તબક્કે સહજક્રમે સાથે લઈ શકાય એવાં નામ તરીકે ઉભર્યા હતા. ધોરણસરનો ઇતિહાસ અને એનું જે અનુશાસન, એ તો પોતાની રીતે કહેવા જેવું કહેશે પણ જાહેર છાપ ને જાડી સમજને હિસાબે બેઉ ગોંડલભેરુઓને ખાસ કરીને આપણી ગીતકવિતાના નવોન્મેષ સંદર્ભે એક સાથે જ સંભારવા રહે છે. 

અનિલ જોશીએ આત્મકથામાં સંભાર્યું છે કે ક્યારેક રમેશે એમને પૂછ્યું હતું કે આ વનલતા સેન કોણ છે. જીવનાનંદ દાસની નાયિકા તરીકે એની ઓળખ થયા પછી રમેશ પારેખનીયે નાયિકા માટેની સિસૃક્ષા સોનલ રૂપે વ્યક્ત થઈ. આ સોનલ, મોરારિબાપુના મતે કંઈક ભાળી ગયેલ રમેશની સરજત હતી. સોનલ એટલે, રમેશ કહેતા, જીવનની ગમતી પરિસ્થિતિ અને પ્રફુલ્લ ચેતના બધો વખત એ હાથવગી નયે હોય. 

અનિલની જિકર કરતે કરતે હું રમેશની વાતે ચાલી ગયો છું એનો મને ખયાલ છે. પણ એમાં એક ઔચિત્ય પણ છે. મુદ્દે, સોનલની સંજીવની હૂંફ છૂટી જાય એવો એક ગાળો આવ્યો હતો જે રમેશ પારેખને લાંબા સમય લગી ડિપ્રેશનમાં રાખવામાં એક નિમિત્તે બનેલો. ગોધરા-અનુગોધરા ઘટનાક્રમે કવિને ‘લવારો’ કરતો કરી મેલ્યા હતા. આ જ શીર્ષકની એમની લાંબી રચનાની થોડીક પંક્તિઓ :  

“આ ભાષા મારી, પણ નરસિંહ મેંતાએ મને આપેલી વારસામાં 

નર્મદે જય જય ગરવી ગુજરાત એમ કહી સોંપેલી મને

ગુજરાત મોરી મોરી – કહી મારી જીભે મૂકેલી મારા બાપ ઉમાશંકરે

તે ભાષા-સગર્ભા, નાગી, નિઃસહાય

પડી કબા ગાંધીના ડેલા પાસેના ચોકમાં

મારી બાયફોકલ આંખોની સામે.”

બે ગોંડલભેરુઓ પૈકી સોનલ ખ્યાત રમેશની પેઠે અનિલ પણ જુદા જ ઉદ્રેકથી ગદ્ય ને પદ્યમાં પ્રગટ થયા હતા. સાધારણપણે એમને આપણે ‘અમે બરફનાં પંખી’થી કે પછી ઘરનું ફળિયું લઈને ચાલેલા કેસરિયા સાફાથી સવિશેષ ઓળખીએ છીએ. પણ જેમ ‘લવારો’ એ એક નિસબતી ઉદ્ગાર છે. તેમ અનિલે, અમે 2020માં સ્વાયત્તતા સંમેલન યોજ્યું ત્યારે ખરી દૂંટીએથી નીકળેલો સંદેશો મોકલ્યો હતો કે “કવિતા આત્માની કળા છે. આત્માનો ઓક્સિજન ‘સ્વાયત્તતા’ છે. ગુજરાત સાહિત્ય અકાદમીના બંધારણને કચરાટોપલીમાં ફેંકીને સરકાર કોઈ પોતાના માણસની અધ્યક્ષપદે નિમણૂક કરી દે એમાં લોકશાહી બિલકુલ નથી, પણ આત્માની પોર્નોગ્રાફી છે.”

એમનાં અંતિમ વર્ષોમાં અનિલ જોશી અક્ષરજીવન અને જાહેરજીવનની સંગમભૂમિએ ઊભી યથાપ્રસંગ ‘આત્માની પોર્નોગ્રાફી’ સામે અવાજ ઉઠાવતા રહ્યા. એવોર્ડ વાપસી અને દક્ષિણાયન જેવા જે પડકાર અવસરો આ વર્ષોમાં આવી મળ્યા ત્યારે ગુજરાતની વ્યાપક સર્જક બિરાદરીની આબરૂ બચાવી શકે એવા જૂજ અવાજો પૈકી એક એ બની રહ્યા. 

અનિલની આત્મકથામાંથી પસાર થતાં ‘મા’ એક જીવંત હાજરી બની રહે છે. ગોડંલમાં હોવું અને મકરંદ દવેને ‘ભાઈ’ કહેતાં ‘નાથાભાઈ’ના વત્સલ આભામંડળમાં ન હોવું એ તો બને જ કેમ. છેલ્લાં વર્ષોમાં આપણે બહુ વરવી રીતે જોયું છે કે કથિત ધર્મખેંચાણ કેવાં વરવાં વમળ સરજે છે. એને સાઈ મકરંદનું સત ને અનિલની સમજ જ કહેવી જોઈશે કે ‘મા’ની વ્યાખ્યા સાંકડી વંડી ઠેકી વિશ્વવત્સલ બની રહી. શાહીનબાગના દિવસોમાં કવિએ કહ્યું :

“શાહીન બાગના ગરબામાં

દીવો પ્રગટી ગયો

બાગ હવે ચાચરનો ચોક બની ગયો

મા ખુદ ગરબે રમવા આવી છે.”

અલવિદા, અનિલ!

પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 27 ફેબ્રુઆરી 2025

•••

અનિલ જોશી એક અનોખું કાવ્યવિશ્વ લઈને પ્રવેશેલા

અનિલ જોશીના અવસાનથી એક જિગરી દોસ્તની મને ખોટ પડી. હું ૧૯૬૪-માં રાજકોટની ધર્મેન્દ્ર કૉલેજમાં એમ.એ.માં ભણાવતો હતો, ત્યારે અનિલ વિદ્યાર્થી હતો. અમે જ્યારે મળીએ એ મને ‘સાહેબ સુમનભાઈ’ કહે, હું એને કહેતો – સાહેબ વિદ્યાર્થીથી વયમાં મોટા હોય. હું ના પાડું પણ માને તો નહીં પણ કહે જ કહે કે – ના તમે મારાથી વયમાં અને બધી જ વાતે મોટા છો.

એ સમય હતો જ્યારે રમેશ પારેખ અને અનિલ જોશી એક અનોખું કાવ્યવિશ્વ લઈને પ્રવેશેલા. પરમ્પરાગત ગીતના કલેવરમાં બન્નેએ પોતાની જાણ બહાર આધુનિક સંવેદનાને ઇન્જેક્ટ કરેલી એ ઘટના ગુજરાતી કાવ્યસૃષ્ટિમાં અપૂર્વ હતી. આધુનિક યુગની વિવેચનાને પણ ખોરાક મળી ગયેલો. 

અમે ફોન પર મળતા કે વ્હૉટસઍપ પર મૅસેજિન્ગ કરતા ત્યારે પ્રવર્તમાન ગુજરાતી સાહિત્યવિષયક બળાપાનો વિનિમય કરતા. એ એક જ વાક્ય બોલ્યા કરે – કોઈ વાંચતું જ નથી સુમનભાઈ, શું કરવાનું! હું એના એ વાક્યને સુધારીને કહેતો – તને વાંચનારે તો તારા શબ્દને જાણ્યો છે અને ભરપૂર માણ્યો પણ છે, છોડ ને છાલ. 

મને લાગે છે કે આપણે એક એવા વળાંકે વળી ગયા છીએ કે જેથી સમજુઓની ટોળી ઘણે દૂર પાછળ રહી ગઈ છે. એવો એક સમજુ કાયમ માટે દૂરાતિદૂર ચાલી ગયો. જરા ડોકિયું કરીશું કે આપણા માટે એ શું મૂકી ગયો છે…

— સુમન શાહ

•••

વિરોધનો મક્કમ અને મુખર અવાજ

પ્રિય વડીલમિત્ર જેમને હું વહાલથી રૂબરૂ કે ફોન પર કવિરાજ કહેતો. ‘કહું છું’ ને બદલે ‘કહેતો’ એવું લખતા ઘણી પીડા અનુભવું છું. કટ્ટર હિન્દુત્વવાદીઓ સામે કે કોમી રમખાણો કે સ્ત્રીઓ, બાળકીઓ, આદિવાસીઓ કે દલિતો પરના દમન, હત્યાકાંડો વખતે જ્યારે મોટા ભાગના ગુજરાતી સાહિત્યકારો ચૂપ રહેતા અને આનંદક્રિડામાં મગન રહેતા જોવા મળે છે, એવા આ અંધકારભર્યા દિવસોમાં હંમેશાં લખાણ કે વીડિયો દ્વારા પોતાના વિરોધનો મક્કમ અને મુખર અવાજ વ્યક્ત કરનારા મૂર્ધન્ય કવિ અનિલભાઈની આપણી વચ્ચેથી વિદાય જાણે કે આપણા માથેથી એક હૂંફાળા હાથની ગેરહાજરી સમાન બની રહેશે. 

કન્નડ સાહિત્યકાર કલબુર્ગીની ધાર્મિક કટ્ટરવાદીઓએ હત્યા કરી ત્યારે કેન્દ્રીય સાહિત્ય અકાદમીના સત્તાધીશોની ચૂપકીદી સામે જ્યારે દેશભરના એવોર્ડ વિજેતા સાહિત્યકારોએ એવોર્ડ વાપસીથી પોતાનો વિરોધ દર્શાવ્યો, ત્યારે એક માત્ર ગુજરાતી સાહિત્યકાર અનિલ જોશીએ પોતાનો સાહિત્ય અકાદમીનો એવોર્ડ પરત કર્યો હતો એ એક ઐતિહાસિક ઘટના હતી.

અમારી એચ.કે. આર્ટ્સ કોલેજના મારાથી ઘણા સિનિયર વિદ્યાર્થી અનિલભાઈ. કોલેજમાં હું ભણતો ત્યારે પ્રા. અબ્દુલ કરીમ શેખ સાહેબને મળવા આવે ત્યારની અમારી મિત્રતા.

જ્યારે કટ્ટર હિન્દુત્વવાદીઓએ પુનાના રેશનાલીસ્ટ ડો. દાભોલકર, કોલ્હાપુરના કોમરેડ પાનસરેજી અને ધારવાડમાં રહેતા કન્નડ વિદ્વાન કલબુર્ગીની હત્યાઓનો સીલસીલો ઊભો કર્યો ત્યારે ડો. ગણેશ દેવીની આગેવાનીમાં કેટલાક મિત્રો ગુજરાતથી પુના, કોલ્હાપુર અને ધારવાડની મુલાકાતે ગયાં, શહીદોના ઘરે ગયાં … આઠેક સભાઓ યોજી. આ આખા કાર્યક્રમમાં લગભગ અઠવાડિયા સુધી અનિલભાઈની સાથે રહેવાનું થયું …. દોસ્તી પાક્કી બની … એ પછી તો દેશભરના સાહિત્યકારોની સામેલગીરી સાથેનાં દક્ષિણાયન આંદોલનમાં દાંડી અને ગોવાના સંમેલનોમાં સાથે કામ કરવાનું બન્યું … આ દિવસોમાં અનુભવ્યું કે અનિલભાઈ હિન્દીભાષામાં ખૂબ સારા ને શ્રોતાઓને હચમચાવી દે એવા તાકાતવાન વક્તા પણ છે.

2002ના ગુજરાતના કોમી નરસંહારથી અનિલભાઈ ખૂબ વ્યથિત હતા. વર્ષોથી તેમની આક્રોશપૂર્ણ એ ફરિયાદ રહી કે એ સમયે તેમણે અને રમેશ પારેખે એ ભયંકર બનાવને વખોડતું નિવેદન તૈયાર કર્યું હતું. તેના પર સહી કરવાની એકેય નામાંકિત ગુજરાતી સાહિત્યકારે તૈયારી બતાવી ન હતી!

મારા કાવ્યસંગ્રહ ‘મને અંધારાં બોલાવે’નું વીડિયો લોકાર્પણ તેમનાં હસ્તે થયું હતું તે મારા જીવનની મહત્ત્વની ઘટના … 

રંગભેદ વિશેની તેમની કવિતાની કેટલીક પંક્તિઓ સાથે કવિરાજ અનિલ જોશી ને આખરી સલામ! —

કાળો વરસાદ મારા દેશમાં નથી

કે નથી પીળો વરસાદ તારા દેશમાં

આપણે તો નોંધારા ભટકી રહ્યા છીએ ચામડીના ખોટા ગણવેશમાં !

— મનીષી જાની

•••

દેશની હવામાં ભળી ગયેલું ઝેર એમના જેવા વિદ્વાનોએ સૂંઘી લીધેલું

ભારતમાં ‘એવોર્ડ વાપસી’ ચાલી રહી હતી અને અસહિષ્ણુતા શબ્દની ચર્ચા રાષ્ટ્રીય સ્તરે પૂર જોશમાં હતી, ત્યારે એમનો મત-ઇન્ટરવ્યૂ લેવા એમને કોલ કરેલો. એ સમયે અમારે ઠીકઠાક નિયમિત વાતો થતી. એ સમયે તેમને જે દેખાતું હતું અને તેઓ જે બોલી રહ્યા હતા, એ મેં લખેલું તો ખરું, પણ સમજાતું નહોતું અથવા એની સાથે સહમત થઈ શકાતું નહોતું. 

આજે એમની વિદાયના સમાચાર આવી રહ્યા છે, ત્યારે તેઓ એ સમયે જે બોલી રહ્યા હતા એ સ્પષ્ટ સમજાઈ રહ્યું છે. સંદર્ભો સાથે સમજાઈ રહ્યું છે. થાય છે કે મને આજે જે દેખાય-સમજાય છે એ તેમણે એ સમયે જ જોઈ લીધેલું. દેશની હવામાં ભળી ગયેલું ઝેર એમના જેવા વિદ્વાનોએ ત્યારે જ સૂંઘી લીધેલું, જ્યારે એ લોકોને ‘એવોર્ડવાપસી ગેંગ’ કહીને અવગણી નાખવાનો કે ઉતારી પાડવાનો ટ્રેન્ડ નવો નવો શરૂ થયેલો. કથિત રાષ્ટ્રીય પત્રકારોએ પોતાની જીભ અને કરોડરજ્જુ નવી નવી જ પેકેજમાં ભાડે ચડાવવાની શરૂ કરેલી. 

ઘણીવાર એમ થાય કે પત્રકાર તરીકે અનાયાસે કેટલી ઐતિહાસિક ક્ષણોના સાક્ષી બનવાનું સદ્દભાગ્ય સાંપડ્યું છે, અને ત્યારે ખબર પણ નહોતી કે આ જે લખાઈ રહી છે એ ક્ષણો ઐતિહાસિક છે. અમસ્તા નથી કહેવાતું કે પત્રકારત્વ એ બીજું કંઈ નહિ, પણ ઉતાવળે લખાતો ઇતિહાસ છે.

ખેર, બાત નિકલેગી તો દૂર તલક જાયેગી … અલવિદા  

*

આરંભ તો કરો, પછી અંતની કથા કહો.

દહીંમાં ને દૂધમાં નૈ રાખો બે પગ 

સોય ઝાટકીને બોલો લાચારી 

ધાનના મારેલાં જેમ નીચું જુવે એમ 

નીચી નજર છે કેમ તમારી ?

તૂટેલા પાંદડાને તરવું ગમે એવા સમથળ કોઈ વહેણમાં વહો 

આરંભ તો કરો પછી અંતની કથા કહો

આંતરડી ઠારે એવા જડતા ના બોલ 

રોજ જુઠ્ઠાણાં જણતાં કઈ ભૂંડ 

નરસિંહ મહેતા જેવું પાણી ડૂબી ગયું 

પછી તરી ગયા દામોદર કુંડ

ગુલમહોરના ઝાડમાં જેમ છાયડો રહે એમ સંતાઈ જઈને રહો 

આરંભ તો કરો પછી અંતની કથા કહો

દાઢીની સાવરણી હાથવગી હોય છતાં 

ઘરની સંજવારી હજી બાકી 

શેઠની શિખામણ તો ઝાપા સુધી 

પછી ઝાંપાની બહાર બીડી ખાખી

હજી મળ્યું જ નથી ઈ બધું ખોવાઈ જાય એવું કોઈ ના નસીબમાં ન હો 

આરંભ તો કરો પછી અંતની કથા કહો

                                                                                − અનિલ જોશી

— તુષાર દવે

•••

ફેઇસબૂકની દીવાલેથી સાદર

Loading

Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Ram Puniyani|English Bazaar Patrika - OPED|27 February 2025

Ram Puniyani

The economic plight of minorities, particularly Muslims has been a very disturbing factor for all those who would like the society to strive for equality and justice. If we see the origin of Muslim community in India apart from the spread of Islam through Arab traders from 7th Century AD in Malabar Coast, the majority conversions have been mainly from the victims of caste oppression who were also economically deprived sections of society. During what is called the Mughal period, the Muslim King ruled from Delhi-Agra. During this the structure of society where landlords were Hindus in great numbers the economic plight of large sections of Muslims remained similar to poor Hindus.

After the 1857 uprising the backlash from the British was directed more against Muslims as Bahadur Shah Zafar was the one who was leader of this rebellion. The Muslim community had to face the bigger brunt of the British wrath. Post Independence the biases and myths against Muslims were highlighted and gradually they became major targets of the communal forces. As other communities were coming forward and lifting themselves through education and jobs, Muslims lagged behind due to multiple reasons, including the prevalent propaganda against them and the inheritance of their economic backwardness.

Our Constitution recognized the social and economic backwardness of dalits and Adivasis giving them the reservation which held the communities in some way. While at National level of OBC’s got 27% reservations in 1990, some states on their own had brought this earlier also. By and large these OBC reservations were strongly opposed by Organizations like “Youth for Equality”.

Even the reservations for Dalits other sections started getting opposed at large level like the anti Dalit and anti caste violence of 1980s and then in mid 1985 in Gujarat. Meanwhile as the Constitution did not recognize the reservations on the basis of religion, the minorities kept languishing in economic backwardness. Some states did try to incorporate Muslims in OBC quota but any move to uplift this community through quotas was strictly opposed by the Hindu Nationalist forces. The economic status for this community was a terrible mix of insecurity due to violence and economic deprivations due to lack of jobs and ghettoization, which was the direct outcome of violence. Every time some talk of reservation for Muslims came up it was strongly countered by the Hindutva politics and they cried hoarse about ‘appeasement of Muslims’. This also put some brakes on the intentions of the state to undertake the implementation of recommendations of the committees.

One recalls that after the Sachar Committee came out with the report in 2006, Dr. Manmohan Singh, the then Prime Minister of the country, stated its intention to undertake the reforms to improve the lot of this hapless community. “The component plans for Scheduled Castes and Scheduled Tribes will need to be revitalized. We will have to devise innovative plans to ensure that minorities, particularly the Muslim minority, are empowered to share equitably in the fruits of development. They must have the first claim on resources. The Centre has a myriad other responsibilities whose demands will have to be fitted within the over-all resource availability.”

State did try to understand the economic plight of Muslims through the Gopal Singh Committee, Ranganath Mishra Commission and finally through Sachar Committee. Most of these reports pointed out that the economic condition of Muslims is pathetic and has worsened over a period of last many decades.

This was propagated by BJP company as “This is what the Congress manifesto says,” he (Narendra Modi) claimed, “They will take stock of the gold that (our) mothers and sisters have, they will count and assess it, and then they will distribute that wealth, and they will give it to those people that Dr Manmohan Singh’s government had said – that Muslims have the first right to the nation’s wealth.”

It is in this light that one welcomes a new report from US-India Policy Institute and Centre for Development Policy and Practice, ‘Rethinking Affirmative Action for Muslims in Contemporary India’. The report has been prepared by Hilal Ahmad, Mohammad Sanjeer Alam and Nazeema Parveen. This report takes an approach away from the quota for Muslims. They recognize that Muslim community has different economic layers. While few of them are prosperous who don’t have to be considered for reservations. For the majority of sections of Muslims they suggest a religion neutral approach, focusing more on caste. Here caste-occupation is what should be looked at.

Already an increase in the ceiling is being campaigned by many to increase. With that apart from other things more Muslims categories can also be accommodated in OBC and dalit quotas. The report uses CSDS-Lokniti data. The authors of the report also consider the perceptions of Muslim communities. As reservations for Muslim is like a ‘red rag to the bull’ for the BJP and its ilk, the report talks more of accommodating these sections related to occupation based OBC. The Pasmanda Muslims, (Low caste ones’) the most deprived among Muslims, do fall in the category of Dalits. Many a Christian communities also fall in this category, which also need state support for a decent livelihood.

The report also considers the changing nature of the state and calls it ‘Charitable state’ which uses the word Labharthi for those who benefit from the state schemes. As per Hilal Ahmad, one of the authors of the report as far as state is concerned there is a shift from “…’group centric approach’ to ‘space centric’ welfarism.

They recommend a rational, secular sub categorisation of OBCs. Existing schemes and programs need to be jacked up. Affirmative action is the need of the hour. Here given all other qualifications-experience being equal; preference is given to the marginalized (Caste, Gender) for the selection for a job. There are many artisans in these communities; up-scaling their technology should help them.

The report is comprehensive and keeps the limitations of the present situation where the ruling politics treats minorities close to second class citizens. The million rupee question is, will the current dispensation following sectarian nationalism implement such a report with sincerity, overcoming their political biases’?

Loading

સવેતનિક પાદરી અને નનની આવક આવકવેરાને પાત્ર છે!

ચંદુ મહેરિયા|Opinion - Opinion|27 February 2025

ચંદુ મહેરિયા

વરસ ૨૦૨૫-૨૬ના કેન્દ્રીય અંદાજપત્રમાં આવકવેરાની મુક્તિ મર્યાદા વધારીને વાર્ષિક રૂ. બાર લાખ કરવામાં આવી છે. એટલે કે હવે વરસે બાર લાખ રૂપિયા કમાતી વ્યક્તિને કોઈ આવકવેરો ભરવો પડશે નહીં. સરકારના આ નિર્ણયને વ્યાપક આવકાર મળી રહ્યો છે. પરંતુ પંચ્યાસી વરસ પૂર્વેની એક બીજી આવકવેરાની મુક્તિ પરત લેવામાં આવી છે અને તેને દેશની સર્વોચ્ચ અદાલતની પણ મહોર લાગી છે તેની ખાસ ચર્ચા થતી નથી. 

છેક અંગ્રેજોના જમાનામાં, ૧૯૪૪માં, સવેતન કામ કરતાં ખ્રિસ્તી પાદરીઓ અને સાધ્વીઓએ કોઈ આવકવેરો ભરવો નહીં, તેવો આદેશ કરવામાં આવ્યો હતો. કારણ કે તેઓ તેમનું વેતન ધર્મસંસ્થાને અર્પણ કરી દે છે. આઝાદી બાદની સરકારોએ પણ આ નિર્ણય બરકરાર રાખ્યો હતો. સિત્તેર વરસ પછી ૨૦૧૪માં આવકવેરા વિભાગે આદેશ કર્યો કે જે પાદરી અને નન સરકારી તિજોરીમાંથી પગાર મેળવે છે, તેમના ટી.ડી.એસ.ની પણ કપાત કરવાની રહેશે. આ નિર્ણયનો વિરોધ થયો અને તેને અદાલતમાં પડકારવામાં આવ્યો. 

આકરી તાવણી પછી ખ્રિસ્તી ધર્મમાં નન કે પ્રિસ્ટનું પદ મળે છે. ખ્રિસ્તી સાધુ-સાધ્વીએ નિર્ધનતા, આજ્ઞાકારિતા અને શુદ્ધતા એ ત્રણ પ્રતિજ્ઞાઓ લેવાની હોય છે. તેમણે ઘર-પરિવારનો ત્યાગ કરી એકલા અને અલગ રહેવાનું હોય છે. તેઓ લગ્ન કરી શકતા નથી. તપસ્વીનું જીવન જીવવાનું હોય છે. નન અને પાદરી ધનહીનતાના શપથ ગ્રહણ કરે છે. એટલે તેમણે કોઈ ધન સ્વીકારવાનું હોતું નથી કે સંપત્તિ ભેગી કરી શકતા નથી. મિલકત વસાવી શકતા નથી. પોતાના જૂના પરિવારમાં આકસ્મિક સંજોગો સર્જાય અને કોઈ ઉત્તરાધિકારી ન હોય ત્યારે પણ તે કુટુંબનો વારસો પ્રાપ્ત કરી શકતા નથી.

તેમણે સમાજના ભલાનું, કલ્યાણનું કામ કરવાનું હોય છે. કેટલાંક સાધુ-સાધ્વી શાળા-કોલેજોમાં અધ્યાપક હોય છે તો કેટલાક આરોગ્ય ક્ષેત્રે કામ કરે છે. ગવર્નમેન્ટ ગ્રાન્ટ મેળવતી શાળા-કોલેજ અને હોસ્પિટલમાં કામ કરતાં ફાધર કે નનના કિસ્સામાં તેઓને સરકારી તિજોરીમાંથી પગાર મળે છે. જો કે તેઓ તેમનું સંપૂર્ણ વેતન ચર્ચને દાનમાં આપી દે છે. જેનાથી લોકોનાં કલ્યાણનાં કામો થાય છે. અર્થાત તેઓ વેતન લે છે ખરા પરંતુ તેનો અંગત ઉપયોગ કરતા નથી, પરંતુ લોકહિતાર્થે તે નાણાંનું દાન કરી દે છે. સમાજ કલ્યાણના ઉમદા હેતુથી કામ કરતાં સાધુ-સાધ્વીને તેમની આવક પર કોઈ ઈન્કમટેક્ષ ભરવો પડતો નથી તેવું છેક આઝાદી પૂર્વે ચાળીસના દસકથી નક્કી થયું હતું.  

પરંતુ ૨૦૧૪માં જ્યારે આવકવેરા વિભાગે ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થામાં કાર્યરત ફાધર-નન પણ આવકવેરાને પાત્ર છે અને તેમના ટી.ડી.એસ.ની કપાત કરવી અનિવાર્ય છે તેવી સૂચના આપી અને અમલ થયો ત્યારે તેનો ભારે વિરોધ થયો હતો. ખ્રિસ્તી મિશનરી સંસ્થાઓએ આ નિર્ણયને અન્યાયકર્તા ગણાવી અદાલતમાં ધા નાંખી હતી. મદ્રાસ હાઈકોર્ટની એકલ પીઠે મિશનરીઓની અપીલની તરફેણમાં ચુકાદો આપ્યો, પરંતુ સરકારે તે સામે અપીલ કરતા એકથી વધુ જજોની બેન્ચે અગાઉનો ચુકાદો ઉલટાવ્યો અને સરકારના નિર્ણયને માન્ય રાખ્યો. કેરળે હાઈકોર્ટે પણ નન અને પાદરીની આવક આવકવેરાને પાત્ર છે તેવો ચુકાદો આપ્યો હતો.

રાજ્યોની વડી અદાલતોના વિરુદ્ધના ચુકાદા સામે ૯૩ જેટલી પિટિશનો સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવી હતી. મિશનરીઓની દલીલ હતી કે જ્યારે કેથોલિક નન અને પાદરી સ્વૈચ્છિક ગરીબી, નિર્ધનતા કે ધનહીનતા (vow of poverty) અર્થાત  કોઈ ધન ધારણ નહીં કરવાના શપથ લે છે ત્યારે તેમની સ્થિતિ નાગરિક મૃત્યુ(સિવિલ ડેથ)ની હોય છે. એટલે તેમણે કોઈ કરવેરા ચુકવવાના હોતા નથી.

નવેમ્બર ૨૦૨૪માં તત્કાલીન ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા વાય.વી. ચંદ્રચૂડની આગેવાનીમાં ત્રણ જજોની બેન્ચે મિશનરીઓની તમામ અરજીઓ ફગાવી દીધી હતી. અદાલતનો ચુકાદો હતો કે આવક ધારણ કરતા દેશના તમામ નાગરિકો એ ધર્મના બાધ વિના સમાન રીતે કરવેરા ભરવાના હોય છે. આવકવેરા કે કરવેરાના કાયદા તમામ નાગરિકો માટે એક સમાન છે અને તેમાં કોઈ સાધુ-સાધ્વીને મુક્તિ મળી શકે નહીં. જો નન અને પાદરી સરકારી અનુદાનમાંથી વેતન મેળવતા હોય તો તેમણે પણ આવકવેરો ભરવો પડે. બંધારણના અનુચ્છેદ ૨૫ મુજબ તેમાં કોઈના ધર્મ સ્વાતંત્ર્યના અધિકારનો ભંગ થતો નથી. કોઈ ધાર્મિક પ્રથાઓની પરવા કર્યા વિના નન અને ફાધરનો ટી.ડી.એસ. કાપવાનો સરકારી નિર્ણય સર્વથા ઉચિત છે. ધર્મને વચ્ચે લાવ્યા વિના કાયદાનો સમાન ધોરણે અમલ થવો જોઈએ. આજે ખ્રિસ્તી પાદરી તેમનું વેતન ચેરીટેબલ ટ્રસ્ટમાં જમા કરાવે છે એટલે આવકવેરો લાગુ ના પડે તેવી દલીલ કરે તો કાલે બીજા ધર્મોના સાધુ-સંતો પણ આવી માંગણી કે દલીલ કરી શકે છે. એટલે સરકાર કે અદાલત ધર્મના ધોરણે કોઈ છૂટ આપી શકે નહીં તેમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે મિશનરીઓના વકીલની પાદરી કે નનની સિવિલ ડેથની સ્થિતિનો પણ સ્વીકાર કર્યો નથી. કોઈ વ્યક્તિની એવી કાયદાકીય સ્થિતિ કે જેમાં તે શારીરિક દૃષ્ટિએ જીવિત છે પરંતુ નાગરિક કે સામાજિક સભ્યના રૂપમાં કોઈ અધિકારો કે વિશેષાધિકારોથી વંચિત હોય તેને સિવિલ ડેથ કે નાગરિક મૃત્યુ કહેવાય છે. અદાલતની દલીલ હતી કે જો સિવિલ ડેથની સ્થિતિ હોય તો તે સવેતન નોકરી જેવી નિયમિત ગતિવિધિ પણ કરી શકે નહીં. વળી તેમનું વેતન સરકાર ચર્ચમાં જમા કરાવતી નથી. પરંતુ વેતનધારક ખુદ તેના ધાર્મિક નિયમો અનુસાર જમા કરાવે છે. એટલે પગારધારક પગાર પોતાના અંગત ઉપયોગ માટે રાખતો નથી અને દાન કરી દે છે એટલા માત્રથી તેને આવકવેરામાંથી મુક્તિ મળી શકે નહીં. નન અને પાદરીના ધર્મસંસ્થાને ચેરિટી માટે દાનથી તેમની કરદેયતા મટી જતી નથી. લોકોના કરવેરાથી એકત્ર થયેલાં નાણાં જેને પણ વેતનરૂપે ચુકવાય તેણે કાયદેસરનો ટી.ડી.એસ. કપાવવો જ પડે. 

ધાર્મિક લઘુમતી એવા ખ્રિસ્તી સાધુ-સાધ્વીઓને આવકવેરો લાગુ પડે છે તેવો નિર્ણય કદાચ વહીવટી હોઈ શકે છે. પરંતુ ૨૦૧૪માં કેન્દ્રમાં રાજકીય સત્તાપલટા પછીનો આ નિર્ણય છે. એટલે તેમાં લઘુમતી તરફની રાજકીય કુદૃષ્ટિનો સવાલ ઊઠી શકે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સામયિક‘પાંચજન્યએ આવકવેરાની આ છૂટને“ધર્મનિરપેક્ષ દેશમાં ધર્મના આધારે વિશેષાધિકાર મેળવવાનું દુ:સાહસ“ગણાવ્યું છે ત્યારે લઘુમતીના તુષ્ટિકરણ અને લઘુમતીની રંજાડની દલીલો પણ સામસામી થઈ શકે છે.

સમાજ કલ્યાણ માટે કામ કરતી ધાર્મિક સંસ્થાઓ સહિતના ચેરિટેબલ ટ્રસ્ટોને અપાતા દાનને આવકવેરાની ચોક્કસ કલમ હેઠળ આવકવેરામાંથી મુક્તિ આપવાનો નિયમ છે અને તેનો ભરપૂર લાભ લઈને આવકવેરાથી બચનારો એક વર્ગ પણ દેશમાં મોજુદ છે. એ સંજોગોમાં પોતાની સંપૂર્ણ આવક લોકકલ્યાણ માટે દાન કરી દેનાર ખ્રિસ્તી સાધુ-સાધ્વીની આવક કાયદેસર આવકવેરાને પાત્ર હોઈ શકે છે, પરંતુ તે ચેરિટેબલ ટ્રસ્ટને મળેલી આવકવેરાની મુક્તિ મર્યાદા હેઠળ કદાચ મુક્તિને પાત્ર હોવાનું પ્રમાણપત્ર પણ તે મેળવી શકે છે. એટલે આ બાબતમાં એક હાથે આપવાનું અને બીજા હાથે લઈ લેવાનું પણ બની શકે તેમ છે. તેનાથી કોઈ ચોક્કસ રાજકીય વિચારધારા સંતોષાય અને વહીવટી કામ વધે તેમ પણ બનવા જોગ છે. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...236237238239...250260270...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved