Opinion Magazine
Number of visits: 9664091
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાનું વસિયતનામું

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|24 June 2025

ઉમેશભાઈ આમ તો રોજ સવારે છ વાગે ઊઠી જતા, અને નિત્યક્રમ પતાવીને ઓફિસે જતા; પણ આજનો દિવસ તેમને માટે ખાસ દિવસ હતો. આજે ઉમેશભાઈ સવારે ચાર વાગે ઊઠીને નિત્યક્રમ પતાવી, છ વાગે નીચે ડ્રોઈંગરૂમમાં આવ્યા. આજે ઓફિસે નહીં પણ બહારગામ, વારાણસી જવાનો પ્રોગ્રામ હતો. આજનો દિવસ તેમણે વારાણસી જવા માટે રિઝર્વ રાખ્યો હતો. આજના દિવસે આ સિવાય કોઈ કામ કરવાના નહોતા.

વિમળાબહેનને ખબર હતી કે આજે ઉમેશભાઈ વારાણસી જવા માટે છ વાગે તૈયાર થઈને ડ્રોઈંગ રૂમમાં આવશે.

ઉમેશભાઈએ વિમળાબહેન સામે જોઇને પૂછ્યું, “કેમ, વિમળા, શું સમસ્યા છે? તારો ચહેરો કહી રહ્યો છે કે તારે કંઈક પૂછવું છે?”

“તમારું અનુમાન સાચું છે. મને તમારી ઉપર પૂરતો ભરોસો અને વિશ્વાસ છે પણ આજે જિજ્ઞાસાવસ એક સવાલ પૂછવાનું મન થાય છે. તમે નારાજ ન થાવ તો પૂછું?”

“અરે! એમાં નારાજ થવાની શું વાત છે. મને ખબર હતી કે તું એક દિવસ મારી આજના દિવસે વારાણસી જવા વિશે જરૂર પૂછીશ. હું, તું સામેથી એ વાત પૂછે તેની રાહ જોતો હતો. તારા પ્રશ્નના જવાબ માટે તારે મારી સાથે વારાણસી આવવું પડશે. તું જલદીથી તૈયાર થઈ જા. આપણે વારાણસી દશ વાગ્યા પહેલાં પહોંચવું પડશે.”

વિમળાબહેન જાણતાં હતાં કે એવી કોઈ વાત જરૂર હશે; જે વાત ઉમેશ મને બતાવીને સમજાવવા માંગતો હશે. વિમળાબહેન ફટાફટ તૈયાર થઈ ગયાં અને ઉમેશભાઈ સાથે કારમાં વારાણસી જવા માટે નીકળી ગયાં.

સાડા નવ વાગે ઉમેશભાઈની કાર વારાણસીમાં એક સોસાયટી વિસ્તારમાં એક નાના એવા ટેનામેન્ટ પાસે જઈને ઊભી રહી. ટેનામેન્ટ વન બેડરૂમ, હોલ અને કિચનવાળું હતી. ટેનામેન્ટ બહાર નેમપ્લેટ હતી, જેમાં ફક્ત ‘જમનાબા વિલા’ લખેલું હતું. ટેનામેન્ટને ફરતી કમ્પાઉન્ડ વોલ હતી અને આંગણામાં નાનો એવો બગીચો હતો. વિમળાબહેન નામ વાંચીને આશ્ચર્ય પામી ગયાં. આ નામ ક્યારે ય તેમણે ઉમેશભાઈના મોઢેથી સાંભળ્યું નહોતું કે તે વિશે કોઈની સાથે ચર્ચા કરતા કે વાત કરતા સાંભળ્યા નહોતા. પણ ત્યારે વિમળાબહેને કંઈ પૂછ્યું નહીં એમ માનીને કે જે હકીકત હશે એ ઉમેશ કહેશે.

વિમળાબહેન ઉમેશભાઈ સાથે ડ્રોઈંગરૂમમાં દાખલ થયાં. ડ્રોઈંગરૂમમાં એક મંદિર હતું અને મંદિરમાં ફૂલ સાઇઝનો એક જાજરમાન વ્યક્તિત્વ ધરાવતી સ્રીનો ફોટો હતો. થાળમાં મોંઘો ગુલાબનો હાર હતો. બાજુમાં મોટી દિવીમાં દિવો હતો. ડ્રોઈંગરૂમમાં થોડાક માણસો સફેદ વસ્ત્ર પહેરીને બેઠા હતા. સામાન્ય રીતે ઉમેશભાઈ સફેદ વસ્ત્ર નહોતા પહેરતા. તેમને સફેદ વસ્ત્રો પહેરવા બહુ ગમતા નહીં, પણ આજે એકદમ સાદા સફેદ વસ્ત્રો પહેર્યા હતા. વિમળાબહેનને સવારે નવાઈ તો લાગી હતી ત્યારે પણ તેમણે ઉમેશભાઈને કંઈ પૂછ્યું નહોતું.

ઉમેશભાઈએ વિમળાબહેનને કહ્યું, “અત્યારે દશ વાગ્યા છે આપણે જમના બાની પૂજા કરી લઈએ પછી તારે જે જાણવું હોય તે વિશે વાત કરશું.” બંને જમનાબાનાં ફોટા પાસે ગયા; જમનાબાને ફૂલસાઇઝનો અસલી ગુલાબનો હાર પહેરાવ્યો, પૂજા કરી વંદન કર્યાં. ત્યાં હાજર લોકોને પ્રસાદ પીરસવાની સૂચના આપી દીધી.

બધું કામકાજ પૂર્ણ કરી. બાનો પ્રસાદ લઈને ઉમેશભાઈ અને વિમળાબહેન ડ્રોઈંગરૂમમાં જમનાબાના ફોટા સામે બેઠા.

“વિમળા, તને સવાલ છે ને? આ જમનાબા કોણ છે? હું આજના દિવસે અહીંયા વારાણસી આવીને તેમની પૂજા શું કામ કરું છું? તો, સાંભળ…….”

“હું જ્યારે પાંચ વરસનો હતો ત્યારે મમ્મીપપ્પા સાથે વારાણસી ભોલેનાથના દર્શન કરવા ગયો હતો. વારાણસીમાં ઘણાં મંદિરો છે, એટલે પપ્પાની ઈચ્છા એવી હતી કે મુખ્ય મુખ્ય મંદિરે દર્શન કરીએ; પણ મમ્મી તો જે મંદિર રસ્તામાં આવે તેમાં દર્શન કરવા પહોંચી જતી હતી. એક મોટા મંદિરમાં હું આમથી તેમ આંટા મારતો હતો અને રસ્તો ભૂલી મંદિરમાં અટવાઈ ગયો. મને કોઈ રસ્તો જડતો નહોતો કે કંઈ સૂઝ પડતી નહોતી. મમ્મીપપ્પા તો મને બહાર શોધતાં હતાં. હું રડતો રડતો મંદિરના એક ખૂણામાં ઊભો હતો, ત્યાં ગુંડા જેવી બે વ્યક્તિ આવીને મને ઢસડીને લઈ જતી હતી. મેં બૂમાબૂમ કરી મૂકી એટલે જમનાબા દોડીને આવ્યાં. એ પણ દર્શન કરવા આવ્યાં હતાં.”

“જમનાબાએ કહ્યું, `છોડી દ્યો એ છોકરાને, શું કામ તેને પકડ્યો છે?` એટલે એ ગુંડાએ કહ્યું, `તમે તમારું કામ કરોને, શું કામ બીજાના ઝમેલામાં પડો છો. આ છોકરો અમારા સંબંધીનો છોકરો છે. તેને પાછો તેના ઘરે લઈ જવા માટે પકડ્યો છે.` મેં હિંમત કરી કહ્યું, `આ લોકોને હું ઓળખતો નથી. મારું અપહરણ કરવાની દાનતથી મને પકડી જાય છે.`

ગુસ્સા સાથે જમનાબા અમારી પાસે આવ્યાં અને બંને ગુંડાને મારીને ભગાડી દીધા. પછી મને પૂછ્યું, `કે બેટા, તારા મમ્મીપપ્પા ક્યાં છે? તું કેમ તેમનાથી વિખૂટો પડી ગયો? ક્યાંનો રહેવાસી છો?` વગેરે વગેરે પ્રશ્ન પૂછ્યાં. પછી મમ્મીપપ્પાની રાહ જોતા મંદિર બંધ થાય ત્યાં સુધી મારી પાસે મંદિરે બેઠાં. પણ મમ્મીપપ્પા તો મને બહાર શોધતાં હતાં એ ફરી મંદિરમાં શોધવા ન આવ્યાં.

જમનાબાએ વિચાર્યું કે જો અત્યારે મને પોલીસ સ્ટેશને જઈને પોલીસને સોંપશે તો એ ગુંડાઓ જો બહાર ધ્યાન રાખતા હશે તો ફરીથી મને પોલીસ સ્ટેશનેથી પોલીસને અષ્ટમ પષ્ટમ સમજાવી કે બીજા કોઈ રસ્તા લઈને કે પોલીસ સાથે વાટાઘાટ કરી ઉપાડી જશે એટલે મને તેમના ઘરે લઈ ગયાં.

હું ખૂબ ડરી ગયો હતો. બીકથી ધ્રૂજતો હતો. મને ખૂબ જ તાવ ચડી ગયો. જમનાબા માથે ભીનાં પોતાં મૂકીને મારી પાસે આખી રાત બેસી રહ્યાં. બીજે દિવસે સવારે મને પોલીસ સ્ટેશને લઈ ગયાં. ત્યાં પપ્પાએ મારા ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી એટલે મમ્મીપપ્પાને પોલીસ સ્ટેશને બોલાવી મને સોંપી દીધો.

મમ્મીપપ્પાએ જમનાબાનો ખૂબ ખૂબ આભાર માન્યો અને અમે દિલ્હી પાછા આવતા રહ્યાં. હું મારા અભ્યાસમાં વ્યસ્ત થઈ ગયો. સમય પસાર થતો ગયો. મેં પપ્પાનો બિઝનેસ સંભાળી લીધો. વચ્ચે વચ્ચે સમય મળે હું જમનાબાને વારાણસી મળવા જતો રહેતો. સરકારી નોકરીમાંથી નિવૃત્તિ પછી મેં જમનાબાને મારી સાથે રહેવા માટે ખૂબ આગ્રહ કર્યો, પણ ન માન્યાં. જમનાબા પ્રાથમિક શાળામાં શિક્ષિકા હતાં. લગ્ન નહોતા કર્યાં. કુટુંબ જેવું કંઈ હતું નહીં પણ એકલા સ્વમાનથી જીવતા હતાં. તેમને સ્વમાનથી જીવવું ગમતું હતું એટલે જિંદગીભર એકલા જ જીવ્યાં.

છેલ્લે જમનાબાનો એક દિવસ ફોન આવ્યો કે તું તાત્કાલિક મળવા આવી જા. હું તુરત જ વારાણસી આવ્યો; જાણે જમના મારી જ રાહ જોતા હોય એમ મને એક કવર આપીને મારા ખોળામાં અંતિમ શ્વાસ લીધાં. મેં અગ્નિ સંસ્કાર સાથે બધી જ ધાર્મિક વિધિ કરી અને જમનાબાએ આપેલ કવર ખોલ્યું તો તેમાંથી એક કાગળ નીકળ્યો, જેમાં લખ્યું હતું.

“બેટા, ઉમેશ.

“માતાપિતા સંતાનો માટે મિલ્કત છોડી જાય છે પણ હું આ વસિયતથી તને એક જવાબદારી સોંપતી જાવ છું. આ મકાન તારું જ છે. તું અહીંયા નહીં રહી શકે જ્યારે હું તો અહીંયા જ રહેવાની છું એટલે દરરોજ મકાનની સાફસૂફી થાય તેની અને મારી પુણ્યતિથિને દિવસે તારે આવીને મને હાર ચડાવીને દિવો કરવાનો; આખો દિવસ મારી સાથે પસાર કરવાનો. મને ખાતરી છે કે બેટા, તું આટલું જરૂર કરીશ.”

“જમનાબાના…આશીર્વાદ.”

જમનાબાના વસિયતનામાને આશીર્વાદ સમજી હું છેલ્લા પાંચ વરસથી નિયમિત અહીંયા આવું છું. સોસાયટીના લોકો સાથે પ્રસાદ લઈને આખો દિવસ જમનાબાના ફોટા પાસે બેસું છું અને જમનાબાની હાજરીની અનુભૂતિ કરું છું.

“તને એમ થશે કે આવી સામાન્ય વાત મેં તને કેમ ન કરી. તો હું તને વાત કરવા યોગ્ય સમયની રાહ જોતો હતો. મેં જો આ વાત તને પહેલાં કરી હોત; તું એ વાતને તું સામાન્ય વાત સમજત. મને ખબર હતી કે એક દિવસ તું મને મારા ચોક્કસ દિવસે વારાણસી આવવા માટેનું કારણ જરૂર પૂછીશ. આજે એ દિવસ આવીને ઊભો રહ્યો.”

“હા ઉમેશ, તમારી વાત સાચી છે. આજે મને જમનાબાનું વ્યક્તિત્વ સમજાયું તેમ જ તમારા જીવનમાં જમનાબાનું સ્થાન શું છે એ સમજાઈ ગયું.”

વિમળાબહેન ઊભા થયાં. જમનાબાના ફોટાને પગે લાગીને કહ્યું, “બા, તમારા વસિયતનામામાં સહભાગી થવા હું પણ આપની પુણ્યતિથિ પર ઉમેશ સાથે આવીશ. તમારી સાથે રહીને તમારી હાજરીની અનુભૂતિ કરીશ.”

ઉમેશભાઈને જમનાબાના ફોટામાં જમનાબાના મુખ પર આનંદની રેખા અંકિત થતી દેખાઈ. જાણે કહેતા હોય, હા દીકરા, મેં તો એક રાતનો ઉજાગરો કર્યો હતો પણ તેં તો મારા વસિયતનામાને સંપૂર્ણ પણે સ્વીકારી લીધું. 

ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848gmail.com 

Loading

ફ્રેડરિક ફોસાઇથ : કેવી રીતે એક દેવાદાર યુવક બેસ્ટસેલર જાસૂસી લેખક બન્યો!

રાજ ગોસ્વામી|Opinion - Opinion|24 June 2025

રાજ ગોસ્વામી

મશહૂર જાસૂસી નવલકથા લેખક ફ્રેડરિક ફોસાઇથનું 10મી જૂને અવસાન થઇ ગયું. તેઓ 86 વર્ષના હતા અને ઇંગ્લેન્ડના બકિંગહામશાયરમાં રહેતા હતા. ભારતમાં બીજી ભાષાના વાચકોમાં તેમનું નામ એટલું જાણીતું નહોતું (કારણ એ તેમની વાર્તાઓના એવા અનુવાદ થયા નથી), પરંતુ તેઓ અંગ્રેજી ભાષી વાચકોમાં દુનિયાભરમાં જાણીતા હતા. તેમની નવલકથાઓ થ્રિલર હતી અને અમુકમાં તો રાજકીય થ્રિલર હતી કારણ કે ફોસાઇથ ખુદ જાસૂસ રહી ચુક્યા હતા. તેમની નવલકથાઓની વિશ્વભરમાં 75 મિલિયનથી વધુ નકલો વેચાઈ છે. 

ઈંગ્લેંડના કેંટ પરગણામાં એશફોર્ડ નામના નગરમાં 1938માં જન્મેલા ફોસાઇથે મોટા થઈને હવાઈ દળના પાયલોટની નોકરી કરી હતી. તે પછી પત્રકાર તરીકે રોયટર્સ નામની સમાચાર સંસ્થા અને બી.બી.સી.માં પણ કામ કર્યું છે. તેમણે ફ્રાન્સના તત્કાલીન રાષ્ટ્રપતિ ચાર્લ્સ ડી ગોલની હત્યાની ઘટનાનું રિપોર્ટીંગ કર્યું હતું. તેની બહુ સરાહના કરવામાં આવી હતી. આ અનુભવ તેમને એક લોકપ્રિય અને સફળ નવલકથાકાર બનવા તરફ લઇ જવાનો હતો.

ફોસાઇથે 1971માં The Day of the Jackal નામની પહેલી નવલકથા લખી હતી. આ નવલકથા આજે પણ તેમની સર્વશ્રેષ્ઠ કૃતિ ગણાય છે. ફોસાઇથ મજબૂરીના માર્યા મહાત્મા, એટલે કે લેખક બન્યા હતા. તેઓ દુનિયાને જોવા માટે થઈને પાયલોટમાંથી પત્રકાર બન્યા હતા, પણ પત્રકારની નોકરી એટલી સલામત નહોતી. 

આ પુસ્તક આવ્યું તે પહેલાં, ત્રણ વર્ષ માટે તેઓ વેસ્ટ આફ્રિકામાં યુદ્ધનું રિપોર્ટીંગ કરવા રહ્યા હતા. પાછા આવ્યા પછી, તેમણે તે યુદ્ધના અનુભવ પરથી, ધ બિયાફ્રા સ્ટોરી : ધ મેકિંગ ઓફ એન આફ્રિકન લીજેન્ડ નામનું પુસ્તક લખ્યું હતું. આ પુસ્તક ન વેચાયું એ તો કમનસીબી હતી જ, છોગાંમાં નોકરી પણ નહોતી રહી. 

31 વર્ષનો ફ્રીલાન્સ પત્રકાર, આંતરરાષ્ટ્રીય સાહસિક અને સૌથી યુવા વયનો ફાઈટર પાયલોટ આંખોમાં સપનાં સાથે બેકાર અને બેરોજગાર હતો. “મારી પાસે ત્યારે કાણિયો પૈસો પણ નહોતો. કાર નહોતી, ફ્લેટ નહોતો, કશું જ નહીં અને હું રોજ વિચારતો હતો કે આમાંથી બહાર કેવી રીતે નીકળું?,’ એવું તેમણે એકવાર કહ્યું હતું. 

ગજવામાં બે પૈસા આવે અને દેવું ચૂકતે થાય તે માટે ફોસાઇથે પોલિટિકલ થ્રિલર પુસ્તક લખવાનો નિર્ણય કર્યો. તેમને લેખક બનવું નહોતું. તેમણે તો પૈસાની સમસ્યાનું તાત્કાલિક સમાધાન નીકળે તે માટે એક જ પુસ્તક લખવાનું વિચાર્યું હતું. એ નિર્ણય તેમણે 20થી વધુ પુસ્તકો અને દોમદોમ સાહ્યબી તરફ લઇ જવાનો હતો. 

1962-63માં ફોસાઇથ પેરિસમાં રોઈટર સમાચાર સંસ્થા વતીથી કામ કરતા હતા, ત્યારે એક વાર્તા લખવાનું શરૂ કર્યું હતું. તેઓ ત્યાં આવ્યા ત્યારે, ફ્રેંચ રાષ્ટ્રપતિ ચાર્લ્સ ડી ગોલે આઠ વર્ષનું યુદ્ધ સમાપ્ત કરીને અલ્જીરિયાને આઝાદ કર્યું હતું. તેનાથી અમુક લોકોમાં બહુ નારાજગી હતી. એવા એક અર્ધલશ્કરી સંગઠને તેમની હત્યા કરવાની કસમ ખાઈ લીધી હતી. કહેવાય છે કે ડી ગોલને મારવા માટે 30 વખત પ્રયાસ થયા હતા.

ફોસાઇથે, પત્રકારની હેસિયતથી, રાષ્ટ્રપતિના અંગરક્ષકો સાથે દોસ્તી કરી લીધી હતી, અને 1962ના ઓગસ્ટ મહિનામાં તેમની હત્યાના એક પ્રયાસનું રિપોર્ટીંગ કર્યું હતું. ફોસાઇથ પાસે તે ષડ્યંત્રની ઝીણામાં ઝીણી વિગતો હતી. એટલે તેમણે જ્યારે વાર્તા લખવા માટે પહેલીવાર પેન ચલાવી, ત્યારે તેમણે આ આખા પ્રસંગને તેમાં સમાવી લીધો હતો. એમાં ફ્રાન્સની રાજનીતિ, તેના પ્રતિસ્પર્ધીઓ, ટાંટિયા ખેંચ, ઈર્ષ્યા, અહંકાર, ભ્રષ્ટાચાર, જાસૂસી, ષડ્યંત્રો વગેરે વાર્તા પણ હતી. તેમાંથી જે વાર્તા બની તેનું નામ ધ ડે ઓફ ધ જેકાલ. 

તેમણે માત્ર 35 દિવસમાં આ નવલકથા લખી હતી. પરંતુ તે દોઢ વર્ષ સુધી અપ્રકાશિત રહી હતી. ચાર પ્રકાશકોએ એવું કહીને આ નવલકથા છાપવાની ના પાડી દીધી હતી કારણ કે જે રાષ્ટ્રપતિ હજુ જીવતા હોય તેની હત્યાના કાવતરામાં લોકોને શું રસ પડે? અને બીજું, તેમને મારવા માટે એક બ્રિટિશ એજન્ટને ભાડે રાખવામાં આવે તે પણ લોકોએ પસંદ નહીં આવે. આ બધી વાતો લોકોને સમાચારો મારફતે ખબર જ હતી, અને એમાં કોઈ રોમાંચ કે રહસ્ય નહોતું.

તે પછી, ફોસાઇથે નવલકથાનો એક ટૂંક સાર તૈયાર કર્યો અને એ સમજાવ્યું કે નવલકથામાં હત્યાની સંભાવના પર ફોકસ નથી, પરંતુ તેના ષડ્યંત્રની ટેકનીકલ વિગતો અને હત્યારાને પકડવા માટેની કવાયત કેન્દ્રમાં છે. તે વાંચ્યા પછી, લંડનના એક ઓછા જાણીતા પ્રકાશન હચિશન એન્ડ કંપનીએ આઠ હજાર નકલો છાપવા તૈયારી બતાવી. 

થોડા જ સમયમાં જ તેને વાંચવાવાળા વધી ગયા અને વધારાની નકલો પણ છાપવી પડી. તેની ચર્ચા સાંભળીને વાઈકિંગ પ્રેસ નામના જાણીતા પ્રકાશકે તેના અમેરિકન રાઈટ્સ ખરીદ્યા. જે લેખક પાસે રહેવાનું ઘર નહોતું તેના હાથમાં હવે 3,65,000 ડોલરનો કોન્ટ્રાક્ટ હતો. પાછળથી ફોસાઇથે કહ્યું હતું, ‘મેં આટલા બધા પૈસા પહેલાં ક્યારે ય જોયા નહોતા.’

ત્રણ મહિનામાં તે ‘ટાઈમ્સ’ સમાચારપત્રને બેસ્ટ સેલર લિસ્ટમાં પહેલા નંબરે હતી. પાંચ વર્ષ પછી, દુનિયાભરમાં તેની અઢી કરોડ નકલો વેચાઈ ગઈ હતી. આજે ચાલીસ વર્ષો પછી પણ ધ ડે ઓફ ધ જેકાલની નકલોનું પ્રિન્ટીંગ થાય છે. તેના 30 ભાષામાં અનુવાદો થયા છે. તેના પરથી ફિલ્મ બની છે, ટી.વી. સિરીઝ બની છે અને ઓડિયો આવૃત્તિ પણ બહાર પડી છે. તે પછી, અંગ્રેજીમાં કહે છે તે પ્રમાણે, તેમણે પાછુ વાળીને જોયું નહોતું.

તેમના અવસાન સમયે, ફ્રેડરિક ફોસાઇથના નામે 7 કરોડ ડોલરની સંપત્તિ હતી. તે મરતાં સુધી સાદગીથી જીવ્યા હતા. જે લોકોએ ગરીબી જોઈ હોય, તે લોકો ધનવાન થયા પછી પણ તેમનો ભૂતકાળ ભૂલતા નથી અને સફળતામાં છકી જતા નથી. 

ફોસાઇથ માનતા હતા કે નસીબે કાયમ તેમને સાથ આપ્યો છે. નાઇજીરિયામાં ગૃહયુદ્ધ દરમિયાન તેઓ એક બંધૂકની ગોળીથી વીંધાઈ જતાં બચી ગયા હતા. તેમણે એક વર્ષ પહેલાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘પૂરી જિંદગીમાં મારું નસીબ બહુ ચમકતું રહ્યું છે. મને યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ, યોગ્ય માણસો અને યોગ્ય કામ મળતું રહ્યું છે – અને પેલી ગોળી મારી સામે આવી ત્યારે પણ મેં યોગ્ય સમયે માથું ફેરવી દીધું હતું.’

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાતમેઈલ”; 22 જૂન 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’

અભિનય મહેતા|Diaspora - Culture|23 June 2025

‘The Black Essence’ ચાર મુખ્ય પાત્રોના જીવનની આસપાસ ગુંથાયેલી એક ઉત્કૃષ્ટ ફિલ્મ છે. દરેક પાત્ર પોતાનાં અનોખાં દુઃખો અને સંઘર્ષો સાથે જીવી રહ્યું છે. એક પિતા છે, જે પસ્તાવા અને આંતરિક ટકરાવનો સંઘર્ષ કરી રહ્યા છે. પુત્ર છે, જે સંપૂર્ણપણે પેરાલાઇઝ્ડ છે અને બીજા પર આધાર રાખે છે. પિતાનો નિકટનો મિત્ર છે, જેણે બાળપણથી પુત્રને સાચવ્યો છે ને પૂરી જવાબદારી લીધી છે, છતાં પોતાની વ્યથાઓ છુપાવીને જીવી રહ્યો છે. અને છે માયા – પિતાની પ્રેમિકા, જે પ્રેમમાં એટલી ઊંડે ઉતરી ને બંધાઈ છે કે છૂટવાનો રસ્તો દેખાતો નથી.

ફિલ્મમાં એક Fish Tankમાં કેદ માછલીની કલ્પના દ્વારા આ બધાં પાત્રોનાં અંદરના બંધન, મુક્તિની ઈચ્છા અને લાગણીઓનું પ્રતિકાત્મક પ્રતિનિધિત્વ થાય છે.

આ કથા જીવનના અર્થ વિશે એક નવો દૃષિટકોણ audienceને આપે છે – ખાસ કરીને પિતા અને પુત્ર વચ્ચેના સંઘર્ષ દ્વારા બન્નેના મનમાં ઉભા થતા તદ્દન વિપરીત વિચારો અને એમાંથી ઊભી થતી એક જીવનની ફિલસુફી દાદ માંગી લે એવી છે.

ફિલ્મનું લેખન અને દિગ્દર્શન સહિલભાઈ કંદોઈએ કર્યું છે, જે ઓસ્ટ્રેલિયામાં નિવાસ કરે છે. સંગીત ગૌરવ સાખ્યાએ આપ્યું છે, જેમણે “Mirzapur” માટે પણ કામ કર્યું છે. ફિલ્મના સહાયક દિગ્દર્શક તરીકે અભિનય મહેતા જોડાયા છે.

આ ફિલ્મ આગામી ૨૭ જુલાઈના રોજ સિડનીમાં પ્રીમિયર થશે અને ઓસ્ટ્રેલિયાના વિભિન્ન ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવશે.

 The Black Essence એક એવી ફિલ્મ છે કે જે આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછે છે – અને કદાચ, જવાબ શોધવા પ્રેરણા આપે છે.

આ ફિલ્મ mystry અને thrillના કમાન પાર મૂકી ફિલસૂફીના હૃદય સ્પર્શી તીર ચલાવે છે.

e.mail : mehta.abhinay@gmail.com

Loading

...102030...235236237238...250260270...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved