Opinion Magazine
Number of visits: 9575534
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરોનાનો માનવજાતને પત્ર

રજૂઆતઃ પાર્થ|Opinion - Opinion|26 May 2020

પ્રિય માનવજાત,

મારા માટે ખાસ યજમાન (સુપરહોસ્ટ) બનવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મેં કદી સ્વપ્નેય વિચાર્યું ન હતું કે મને તમારી જેવી જાતિમાં કૂદી જવાની, રહેવાની, વિકસવાની અને ફેલાવાની તક મળશે.

મોટાભાગના વાઇરસ ફક્ત તેમના મૂળ યજમાન પ્રાણીને જ જાણતા હોય છે. અમે સામાન્ય રીતે પૃથ્વીના ઘણાં છેવાડાના એવા વરસાદી જંગલોના ભેજવાળા વિસ્તારોમાં-વૈવિધ્યસભર અને વિપુલ પ્રમાણમાં વન્યપ્રાણી-સૃષ્ટિવાળા વાતાવરણમાં રહીએ છીએ. એ વાતાવરણ અમને સૌને તંદુરસ્તી પૂરી પાડનારું છે. પરંતુ જ્યારે તમે જંગલોનો નાશ કરો છો. જ્યારે તમે માંસ અને ખોટા પ્રયોગો માટે તેમ જ અતિશય લાલચને પોષવા સેંકડો પ્રાણીઓને પકડો છો અથવા મારી નાખો છો, ત્યારે તમે અમારા જેવા વાઇરસને તેના કુદરતી ઘરમાંથી બેઘર બનાવો છો. પછી અમે ઘરની શોધમાં ભટકવાનું શરૂ કરીએ છીએ.

એ શોધમાં અમારો તમારા જેવા નવા યજમાનો સાથે ભેટો થઈ જાય છે. આઠ અબજ વ્યક્તિઓ હવે મારા નવા યજમાન (સુપરહોસ્ટ) બનવા તૈયાર છે, જે સતત ચાલી રહ્યા છે, ઊડી રહ્યા છે અને પાણીમા તરી રહ્યાં છે. માનવમાંસના જથ્થાની બજાર આધારે ગણતરી કરો તો તમારું વજન પૃથ્વી પરનાં તમામ સસ્તન પ્રાણીઓના વજનના ત્રીજા ભાગ જેટલું છે. અને તમે પોતાના ખોરાક માટે જે પ્રાણીઓનો ઉછેર કરો છો, તે આ ગ્રહ પરનાં બધાં જંગલી પ્રાણીઓ અને પક્ષીઓ કરતાં વધુ છે. તમે અમારા કુદરતી યજમાન પ્રાણીઓને વિલુપ્ત કરવામાં લાગી જાઓ છો, તેનાથી ક્યારેક અમારો નાશ થાય છે. તો ક્યારેક અમને ફેલાવવા માટે મોકળું મેદાન મળે છે.

હવે તમે અમારા યજમાન થયા, અમને આશરો આપ્યો અને હું માનું છું કે મારા યજમાનોનો નાશ કરવો એ મારા હિતમાં નથી. કારણ કે હું જાણું છું કે જીવનને ખિલવવા માટે આપણને એકબીજાની જરૂર છે. આપણા સંબધો જ પૃથ્વીને સુંદર અને રહેવા યોગ્ય બનાવે છે. મારા કારણે તમારા શરીરમાં બીમારી થાય છે. પણ જો તમારી આ માંદગી તમારી આંખો ખોલે, તો તે આપણા સૌના ફાયદા માટે હશે. કારણ કે આ પૃથ્વી આપણી સહિયારી છે. આપણી કાયમી યજમાન અને આપણા સૌનું વહાલું ઘર.

પરંતુ મને મૂંઝવતો પ્રશ્ન તમને પૂછું છું : તમારી આંખો ખોલવા માટે જંગલોના ભયંકર દાવાનળ પૂરતા નથી, દુનિયાભરના ગ્લેશિયરનું ગાયબ થઈ જવું પૂરતું નથી, મહાવિનાશક વાવાઝોડુ પૂરતું નથી, તો શું હું આટલો સુક્ષ્મ જીવ પૂરતો છું? અને તમારા તથા તમારા પ્રિયજનોના જીવનમાં મૃત્યુની છાયારૂપી મારું આગમન થયું છે, તેનાથી તમને વિચાર કરવાની પ્રેરણા મળશે ખરી? હું જે વ્યાપક બીમારીની વાત કરું છું તેનો ઈલાજ માત્ર માનવજાત પાસે જ છે. એટલે માત્ર તમે જ આપણને સૌને ઉગારી શકો તેમ છો. કારણ કે આ બીમારીનાં મૂળમાં ઘણે અંશે તમારી પ્રવૃતિઓ જવાબદાર છે. માત્ર અને માત્ર તમે જ વર્ષો જૂના મહાસાગરો, જંગલો અને ઘાસનાં મેદાન ફરી સમૃદ્ધ બને તેવું કરી શકો છો. એ તમારું અને સૌ જીવોનું પોષણ કરે છે. તમે જો તેને સમૃદ્ધ ન બનાવી શકો તો કમ સે કમ તેને નુકસાન પહોચાડવાનું બંધ કરો. બાકીનું કામ કુદરત પોતાની મેળે કરવા સક્ષમ છે. તમારી દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓની પસંદગી એવી રીતે કરો કે પ્રકૃતિને ઓછામાં ઓછી હાનિ પહોંચે. લાંબા ગાળે તમારી જીવનશૈલી એ રીતે વિકસાવો કે કુદરતનું અને તેના અદ્ભૂત સ્વરૂપોનું જતન થાય. સાથે પૃથ્વી આવનારી પેઢી માટે વધુ રહેવા યોગ્ય બને. જો આટલું કરશો તો મારું વહાલું ઘર, વર્ષા જંગલ આપોઆપ સમૃદ્ધ બનશે. કહો, પછી મારે બહાર નીકળવાની જરૂર ખરી? પૃથ્વી પોતાના અંતિમ શ્વાસ લે તે પહેલાં સામૂહિક રીતે આપણે શાંતિથી વિચારવાની આ તક છે. ખાસ તો તમારે મનુષ્યોએ. ભૂલો સુધારીને સહિયારા ભવિષ્યના નિર્માણ માટેનો મારગ પસંદ કરવાનો આ સોનેરી મોકો છે. તો તમે ભવિષ્ય માટે કયો રસ્તો પસંદ કરશો?

લિ.

તમારા શરીરનો નવો મહેમાન કોરોના

(એક યુટ્યુબ વીડિયોના આધારે)

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 26 મે 2020

Loading

કોરોનાકાળમાં અમ્ફન સંકટ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|26 May 2020

દેશ કોરોના મહામારીમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે જ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ત્રાટકેલા સમુદ્રી વાવાઝોડા અમ્ફનનું સંકટ, ગરીબો માટે પડ્યા પર પાટુ કે દુકાળમાં અધિક માસનો અહેસાસ કરાવે છે. ૧૮૦ થી ૨૦૦ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલો પવન, સમુદ્રમાં ઊંચે ઉછળતાં મોજાં અને ધોધમાર વરસાદ સાથેના છએક કલાકના આ તોફાનથી પશ્ચિમ બંગાળમાં દોઢ કરોડ અને ઓડિશામાં પચાસ લાખ લોકોને અસર થઈ છે. વાવાઝોડા પછીના ત્રીજા-ચોથા દિવસે પણ મહાનગર કોલકાતામાં પાણી અને વીજળી મળી શકતાં નથી. રાજ્ય સરકારે મદદ માટે સેનાને બોલાવવી પડી છે. મુખ્યમંત્રી અને સરકાર સામેનો અસંતોષ એટલો તીવ્ર છે કે મમતા બેનરજીએ લોકોને તેમનું માથું વધેરી નાંખવાનું કે ધીરજ રાખવાનું કહેવું પડ્યું છે. બીજા અસરગ્રસ્ત રાજ્ય ઓડિશામાં સ્થિતિ સામાન્ય થઈ છે, તે રાહતની વાત છે.

અમ્ફન સંકટ જેવી કુદરતી આફતની હવે આગોતરી સૂચના મળી જાય છે. તેથી મરણઆંક ઘટાડી શકાય છે. જો કે પશ્ચિમ બંગાળના ૧૪ જિલ્લાઓ પ્રભાવિત છે, ૮૬ લોકોનાં મોત થયાં છે અને લાખો લોકો બેઘર થયાં છે. એકલા કોલકાતામાં જ ૩૦થી ૪૦ હજાર કાચાં મકાનો પડી ગયાં છે, હજારો વૃક્ષો અને વીજળીના થાંભલા જમીનદોસ્ત થઈ ગયાં છે. મોટા ભાગનાં અવસાન ઝાડ, વીજળીના થાંભલા કે વીજળીના તાર પડવાને કારણે થયાં છે. કોરોના મહામારીને કારણે લોકોને સલામત જગ્યાએ ખસેડવાનું કામ વાવાઝોડાની પૂર્વસૂચના છતાં આ વખતે અઘરું હતું. કોરોના સંક્રમણથી લોકોને બચાવવા, શારીરિક અંતર જાળવવું અને રાહતશિબિરોમાં રહેવા-ખાવાની વ્યવસ્થા કરવી તે ભારે વિકટ કામ હતું. પશ્ચિમ બંગાળમાંથી ૫ લાખ અને ઓડિશામાંથી ૨ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવા પડ્યા છે. શહેરો અને ગામડાંમાં જાહેર અને ખાનગી મિલકતોને મોટા પાયે નુકસાન થયું છે. સમુદ્રનાં પાણી ખેતરોમાં ઘુસી ગયાં છે, ફળદ્રુપ જમીનોનો નાશ કરી દીધો છે. માળખાકીય સગવડોને નુકસાન થયું છે. રાજ્યના અસરગ્રસ્ત જિલ્લાઓમાં પાણી, વીજળી, રસ્તા તથા અન્ય સવલતો પૂર્વવત્ કરતાં ઘણો સમય લાગશે.

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની રચના પછી કુદરતી આફતોની અસરો ઘટાડી શકાઈ છે. વિજ્ઞાન અને ટૅક્નોલોજીનો સારો ઉપયોગ થઈ શક્યો છે. પરંતુ જો તંત્ર જ બાદલું હોય તો આ કશું કામ લાગતું નથી. અમ્ફન સંકટ વખતે કોરોનાની તૈયારીમાં થયેલી ચૂક જોવા મળતી નથી. પરંતુ રાજ્યને થયેલું નુકસાન ભરપાઈ થતાં વરસો નીકળી જશે. મુખ્યમંત્રીની વિનંતી પછી વડાપ્રધાને બંને રાજ્યોની મુલાકાત લીધી અને તાત્કાલિક આર્થિક મદદ જાહેર કરી તે સારું જ થયું છે. જો કે સંકટ પૂર્વેના સલામત સ્થળાંતર પછી હવે રાહત અને પુનર્નિમાણનું ખરું કામ હાથ ધરવાનું છે. તાળાબંધીને કારણે રોજી બંધ છે ત્યારે લાંબા સમય સુધી રાહતશિબિરો ચલાવવાનું ભારે પડકારનું કામ છે. કાચાં ઝૂંપડાંનાં સ્થાને રહેવા યોગ્ય વ્યવસ્થા પ્રાથમિક જરૂરિયાત છે અને તે માટે રાજ્ય સરકારનાં સાધનો ટાંચાં છે. આ પ્રકારની કુદરતી આપદાઓને નિયતિ માની લેવી કે તેનો કોઈ કાયમી ઉકેલ શોધવો તે પણ સવાલ છે. જળવાયુ પરિવર્તનની અસર આવા ચક્રવાતી વાવાઝોડાના વધતા પ્રમાણ અંગે શું ભાગ ભજવે છે તે અંગે અભ્યાસ અને સંશોધનોની જરૂર છે. સમુદ્રનું પાણી એક ડિગ્રી સેલ્સિયસ ગરમ થાય તો તેના પર ચાલનારી હવામાં ૫ થી ૧૦ ડિગ્રીનો વધારો થાય છે, તેનાથી સમુદ્રી તોફાનો આવે છે તે બાબત ચકાસવી પડશે. જેમ કેટલીક કુદરતી આફતોની પૂર્વ માહિતી સંકટને હળવું કરે છે, તેમ આ પ્રકારના સંકટો સામે ટકી શકે તેવાં મકાનોનું નિર્માણ જાહેર અને ખાનગી મકાનોને થયેલા નુકસાનને ઓછું કરી શકે કે કેમ તે દિશામાં વિચારવું રહે. કોરોનાકાળમાં આવેલા અમ્ફન સંકટમાંથી આપણે અનેક સબક શીખવાના છે.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 26 મે 2020

Loading

કોરોના લૉક ડાઉન અને ભારતમાં મંદી

આત્મન શાહ|Opinion - Opinion|26 May 2020

સામાન્ય રીતે કોઈ પણ ઘટનાને કારણે આર્થિક, સામાજિક, રાજકીય અને પર્યાવરણીય અસરો ઊભી થતી હોય છે. કોરોના વાઇરસ અને તેના કારણે થયેલા લૉક ડાઉનમાં લગભગ તમામ દેશોમાં આર્થિક પ્રવૃત્તિઓમાં મોટા પાયે ઘટાડો થયો છે. માત્ર જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન અને વહેંચણી ચાલુ છે. ભારત પણ તેમાં અપવાદ નથી. જ્યારે આર્થિક પ્રવૃત્તિઓ બંધ થાય ત્યારે સ્વાભાવિક રીતે તેની અસર દેશના અર્થતંત્ર પર પડે છે. તે ઉપરાંત, તમામ દેશો આંતરરાષ્ટ્રીય વેપારના કારણે એકબીજા સાથે સંકળાયેલા છે તેથી એક દેશમાં આવેલી મંદી બીજા દેશના આર્થિક વૃદ્ધિ દરને નોંધપાત્ર રીતે અસર પહોંચાડે છે. અર્થશાસ્ત્રમાં કાયમ વિનિમય(trade off)ની વાત કરવામાં આવે છે. કોરોના વાઇરસના ફેલાવાના કારણે સમગ્ર દેશમાં લૉક ડાઉન કરવામાં આવ્યું, તેમાં પણ આ બાબત લાગુ પડે છે. ઘણાં અર્થશાસ્ત્રીઓ અને બિનસરકારી સંસ્થાઓમાં કામ કરતા નિષ્ણાતો જણાવે છે કે જો રાજ્ય દ્વારા યોગ્ય નાણાકીય મદદ જરૂરિયાતમંદ લોકો સુધી નહીં પહોંચે, તો કોરોના કરતાં વધારે મૃત્યુ ભૂખમરાને કારણે થશે. કેમ કે લોકો પાસે લૉક ડાઉન દરમિયાન આવક નથી અને બચતો વપરાઇ રહી છે. ગુજરાતનાં સુરત શહેરમાં બનેલી ઘટના પણ દર્શાવે છે કે જો લોકો સુધી નાણાકીય સહાય નહીં પહોંચે તો દેશમાં અંધાધૂંધી ફેલાઈ શકે છે.

શા માટે પ્રતિકૂળ આર્થિક અસર ઊભી થશે?

ભારતીય અર્થતંત્ર આમ પણ છેલ્લાં 2 વર્ષથી મંદ ગતિએ આગળ વધી રહ્યું હતું અને હવે લૉક ડાઉનના કારણે તેની ઉપર વધારે પ્રતિકૂળ અસર ઊભી થશે જ. અર્થતંત્રમાં તેને પરિણામે મંદી આવશે અથવા તો દેશની કુલ આવક ઘટશે તે નિશ્ચિત છે. સામાન્ય રીતે કોઈ પણ અર્થતંત્રમાં મંદી આવવાનાં બે કારણો હોઈ શકે છે. પહેલું કારણ છે બજારની કુલ માંગ ઉપર નકારાત્મક અસર અને બીજું કારણ છે બજારના વસ્તુઓ અને સેવાઓના પુરવઠા ઉપરની નકારાત્મક અસર.

વર્તમાન સમયમાં કારખાનાં, લારી-ગલ્લા, બાંધકામ, હોટલો, થિયેટર્સ, મોલ્સ વગેરે જેવી આર્થિક ઉત્પાદનની અને સેવાઓની પ્રવૃત્તિઓ લાંબા સમય સુધી બંધ રહી. તેથી પ્રથમ તબક્કામાં વસ્તુઓ અને સેવાઓના પુરવઠા ઉપર નકારાત્મક અસર ઊભી થાય. પુરવઠા ઉપર નકારાત્મક અસર ઊભી થવાને કારણે ઉત્પાદન ઓછું થાય અને દેશની આવક એટલે કે જી.ડી.પી. ઘટશે. ઉત્પાદન ઘટવાને કારણે આ ક્ષેત્રોમાં કામ કરતા લોકોની આવક ઘટે અને કદાચ કેટલાક લોકોને કામમાંથી છૂટા પણ કરવામાં આવે. તેથી બીજા તબક્કામાં તેની માગ ઉપર નકારાત્મક અસર ઊભી થાય.

લૉક ડાઉન ખૂલ્યા બાદ થોડા સમય સુધી દેશનાં બજારોમાં વસ્તુઓ અને સેવાઓનાં માગ અને પુરવઠા વચ્ચે મોટો તફાવત ઊભો થવાની સંભાવના છે કે જેથી ફુગાવો થશે, એટલે કે વસ્તુના ભાવમાં વધારો થશે. લૉક ડાઉન ખૂલ્યા બાદ તરત જ તમામ વસ્તુઓ અને સેવાઓની માંગ નહીં વધે. કારણ કે આરોગ્યની ચિંતાને કારણે સાવચેતીના હેતુ માટે લોકો બચતો વધારશે અને અમુક સેવાઓ કે જ્યાં ભીડ હોય છે જેમ કે હોટેલ, ખાણીપીણીનાં બજારો, થિયેટર, પર્યટનનાં સ્થળો વગેરે જગ્યાઓએ જતાં લોકો ડરશે. આથી તેના ઉત્પાદનમાં કે તેમાં કામ કરતા લોકોની આવકમાં તરત જ વધારો થવો શક્ય લાગતો નથી.

ભારતના આંતરરાષ્ટ્રીય વેપારમાં ચીન અને અમેરિકા બંને મહત્ત્વનો હિસ્સો ધરાવે છે. હાલમાં બંને દેશોમાં આર્થિક પ્રવૃતિઓ લગભગ બંધ છે. દેશની કુલ આયાતમાં ચીનનો ફાળો 14.63 ટકા છે, જ્યારે નિકાસમાં તેનો ફાળો 5.08 ટકા છે. ચીનમાં લૉક ડાઉન હોવાને કારણે તેની પ્રતિકૂળ અસર ભારતના ઉદ્યોગો ઉપર પડી છે અને સમય જતાં વધુ અસર પડશે. ચીનમાં ઉદ્યોગ ક્ષેત્રનો વૃદ્ધિ દર ઘટવાને કારણે તેની અસરો જે 15 દેશો ઉપર સૌથી વધુ પડશે તે યાદીમાં ભારત પણ છે. એક અંદાજ મુજબ ચીનમાં થયેલા લૉક ડાઉનના કારણે તેનું ઉત્પાદન 2 ટકા આસપાસ ઘટશે. આથી તેની પ્રતિકૂળ અસરો બીજા દેશો ઉપર પણ જોવા મળશે.

આમ, વિદેશ વેપાર ઓછો થવાને કારણે તેની પ્રતિકૂળ અસર દેશની કુલ આવક અને રોજગારી પર જોવા મળશે. વર્લ્ડ ઇકોનૉમિક ફૉરમના અંદાજ પ્રમાણે આંતરરાષ્ટ્રીય વેપાર બંધ અથવા તો ઓછો થવાને કારણે ભારતને 34.8 કરોડ ડોલરનું નુકસાન થશે. તેમાં કોઈ જ બેમત નથી કે લૉક ડાઉનના કારણે પ્રતિકૂળ સામાજિક અસરો પણ ઊભી થશે. જેમ કે ઘરેલુ હિંસા, બાળશોષણ વગેરેના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થયો છે અને તેને નાણામાં માપવાનું અશક્ય છે. બીજી તરફ એવી પણ એક દલીલ છે કે વિશ્વમાં પ્રદૂષણ ઓછું થઈ રહ્યું છે અથવા તો પર્યાવરણમાં સુધારો થઈ રહ્યો છે. આપણે એ બાબત સ્પષ્ટપણે સમજી લેવી જોઈએ કે આ માત્ર લૉક ડાઉન પૂરતું સીમિત છે. 

લૉક ડાઉન અને જી.ડી.પી.

જી.ડી.પી. એટલે દેશની અંદર રહેતાં લોકો દ્વારા જે ઉત્પાદન થાય છે તેનું નાણાકીય મૂલ્ય. સામાન્ય રીતે જી.ડી.પી. એ દેશની આર્થિક પરિસ્થિતિનું ચિત્ર રજૂ કરે છે. વિશ્વ બેંક દ્વારા કરવામાં આવેલા અંદાજ મુજબ સમગ્ર વિશ્વની આવકમાં 2 ટકાનો ઘટાડો, વિકાસશીલ દેશોની જી.ડી.પી.માં 2.5 ટકાનો ઘટાડો અને વિકસિત દેશોની જી.ડી.પી.માં 1.8 ટકા જેટલો ઘટાડો નોંધાશે.

લૉક ડાઉન ખૂલ્યા બાદ તરત જ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન પણ વધશે નહીં. કારણ કે બજારમાં હજુ પણ જૂનું ઉત્પાદન મોજૂદ છે. અર્થતંત્ર રાબેતા મુજબ ચાલુ થશે એટલે સૌ પ્રથમ જે ઉત્પાદન થઈ ચૂક્યું છે તે બજારમાં આવશે અને તેના થોડા સમય બાદ નવું ઉત્પાદન શરૂ થશે. જો મે મહિના સુધીમાં આર્થિક પરિસ્થિતિ થાળે પડી જાય તો 2020-21ના એપ્રિલ-જૂનના ત્રણ માસ દરમ્યાન જી.ડી.પી.નો વૃદ્ધિ દર લગભગ એક ટકાની આસપાસ રહેવાનો અંદાજ હતો અને ત્યાર બાદ ઉત્પાદનની પ્રવૃત્તિઓ તેમની કાર્યક્ષમતા મુજબ ચાલુ થાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ હતી. એ સંજોગોમાં જુલાઈ-સપ્ટેમ્બરના ત્રણ માસ દરમ્યાન જી.ડી.પી.નો વૃદ્ધિ દર 3.5 ટકાની આસપાસ રહેવાનો અંદાજ હતો.

‘સંયુક્ત રાષ્ટ્રો’ના એક અહેવાલ મુજબ 2020-21માં ભારતનો જી.ડી.પી.નો વૃદ્ધિ દર 4.8 ટકા રહેવાનો અંદાજ છે. રેટિંગ એજન્સી મૂડીઝના અંદાજ પ્રમાણે, લૉક ડાઉન પહેલાં જી.ડી.પી.નો વૃદ્ધિ દર ચાલુ વર્ષે 5.3 ટકા રહેવાનો અંદાજ હતો અને હવે તે 2.5 ટકા અંદાજવામાં આવ્યો છે. જ્યારે ક્રિસિલ એજન્સી દ્વારા જી.ડી.પી.નો વૃદ્ધિ દર 5.2 ટકા અંદાજવામાં આવ્યો છે. આ બાબત સ્પષ્ટપણે એમ દર્શાવે છે કે ચાલુ વર્ષે દેશની આવકના વૃદ્ધિ દરમાં ચોક્કસપણે મોટો ઘટાડો થશે.

લૉક ડાઉન અને રોજગારી

કોરોના મહામારીની આવક ઉપર જેમ વિપરીત અસર થશે, તેમ રોજગારી ઉપર પણ ખૂબ જ ગંભીર અસરો પડશે. ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રોમાં દૈનિક પગાર ઉપર કામ કરતા લોકોનું પ્રમાણ ખૂબ વધારે છે. તદુપરાંત, તેમની પાસે કોઈ લેખિત કરારો હોતા નથી. સરકારના સામયિક શ્રમ દળ અહેવાલ (PLFS) 2017-18 મુજબ દેશમાં ગ્રામીણ વિસ્તારોમાં 25 ટકા અને શહેરી વિસ્તારમાં 11.8 ટકા લોકો છૂટક કામ કરનારા છે એટલે કે તેમની પાસે કોઈ નિશ્ચિત કે કાયમી કામ નથી.

જે લોકો બિન-ખેતી ક્ષેત્રમાં નિયમિત પગાર ઉપર કામ કરે છે, તેમાંથી 71.1 ટકા લોકો પાસે કોઈ પણ લેખિત કરાર નથી, જ્યારે 49.9 ટકા લોકો સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સામાજિક સલામતીનો લાભ લેવા માટે પાત્ર નથી. દેશમાં આશરે 14 કરોડ લોકો એવા છે કે જેમની પાસે કોઈ પણ લેખિત કરારો નથી. લૉક ડાઉનના કારણે તેમણે તેમની રોજગારી ટૂંકા ગાળા માટે ગુમાવવી પડે તેવી સંભાવના છે અથવા તો તેમણે આખો કે તેથી ઓછો પગાર ગુમાવવો પડશે. જો સરકાર યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય સમયે તેમને નાણાકીય મદદ નહીં કરે તો બેરોજગારી ખૂબ જ વધી જશે.

CIIના અંદાજ મુજબ કોરોના મહામારીને કારણે માત્ર ઉદ્યોગ ક્ષેત્રમાં 2 કરોડ લોકોની રોજગારી છીનવાઈ જશે. અહીં પ્રશ્ન માત્ર નોકરી છીનવાશે તેટલા પૂરતો સીમિત નહિ રહે. રોજગારી ન છીનવાય તે તો મહત્ત્વનું છે જ. સાથે સાથે બજારમાં નવી રોજગારીનું સર્જન થાય તે પણ તેટલું જ આવશ્યક છે. કેમ કે દર વર્ષે દેશના શ્રમ દળમાં નવા યુવાનો ઉમેરાતા જાય છે. લૉક ડાઉન બાદ તરત જ નવી રોજગારીનું સર્જન થાય તે શક્ય નથી પરંતુ વર્તમાન રોજગારીનો દર જળવાઈ રહે તેવી પણ કોઈ શક્યતા દેખાતી નથી એટલે કે દેશમાં ટૂંકા ગાળામાં બેકારીનું પ્રમાણ વધશે અને તેની પણ પ્રતિકૂળ અસર જી.ડી.પી. ઉપર પડશે.

આમ, કોરોના મહામારીના કિસ્સામાં બે બાબતો સ્પષ્ટ થાય છે. પહેલી એ કે દેશની આવક ઘટશે એટલે કે મંદી આવશે અને બીજું બેકારી વધશે. પરંતુ આ અસર સમયના ટૂંકા ગાળા માટે જ રહેશે એમ લાગે છે. જેમ જેમ અર્થતંત્ર પાટે ચડતું જશે તેમ તેમ બજારમાં રોજગારી વધશે અને આવક પણ વધશે પરંતુ તેનો ચોક્કસ સમય કહેવો અત્યારે ખરેખર જ કઠિન છે. અહીં એ બાબત સમજવી ખૂબ જ મહત્ત્વની છે કે વર્તમાન સ્થિતિમાં આર્થિક વૃદ્ધિ કરતાં લોકોનું જીવન વધુ અગત્યનું છે.

e.mail : atman.shah@sxca.edu.in

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 26 મે 2020

Loading

...102030...2,3472,3482,3492,350...2,3602,3702,380...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved