Opinion Magazine
Number of visits: 9663926
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાળકોના બાપુ

મનુબહેન ગાંધી|Gandhiana|26 June 2025

મનુબહેન ગાંધી અને ગાંધીજી

પોતાનો ત્રણ વર્ષનો પૌત્ર ગોપુ આવે તો બાપુજી તેની સાથે તેમના જેવડા બની જતા. ક્યારેક તેને ખાવાનું આપે, ક્યારેક બાપુજી દાંત વગર ચાવે તો ગોપુ તેમના ચાળા પાડે. અરે! આ દાદા અને પૌત્ર બંને જણા ફરે ત્યારે સાતતાળીનો દાવ પણ રમી લે. બાપુજી ગોપુને પકડવા જાય, ગોપુ બાપુને પકડવા આવે. ગોપુને ખુશ કરવા બાપુજી જલદી જલદી પકડાઈ જાય, અને બાપુજી ઉપર દાવ આવે ત્યારે બાપુજી એવી રીતે ગોપુને પકડે કે જાણે માંડમાંડ પકડી શકે. ગોપુને તો શું પણ જોનારને પણ એમ થયા વગર ન રહે કે અહીં ત્રણ વર્ષનાં બે બાળકો છે !

કોઈ પણ બાળક હોય, તેમની પાસે કદી ય ભેદ-ભાવ હતો જ નહિ. પોતાનું હોય કે પારકું, દેશનું હોય કે પરદેશનું હોય, બાળક હોય એટલે બસ. ગોપુ (તેમના નાના દીકરા દેવદાસભાઈને સૌથી નાનો પુત્ર અને બાપુજીનો સૌથી નાનો પૌત્ર) સાથે જેટલો વહાલો અને જેવો મીઠો વર્તાવ કરે તેટલો જ મીઠો વર્તાવ પરદેશી સાથે કરતા પણ જોવા મળે.

1947ના એપ્રિલ મહિનામાં બાપુજી દિલ્હી હતા. વાઇસરોય લોર્ડ માઉન્ટબેટને તેમને દેશની નવેસરથી વિચારણા કરવા માટે બોલાવ્યા હતા. તે જ અરસામાં વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ એશિયાટિક કોન્ફરન્સ બોલાવી હતી, અને એશિયાના જુદા જુદા વિભાગોમાંથી અનેક મોટાં માણસો સ્ત્રીઓ અને બાળકો સહિત આવેલાં. આ સંમેલન દિલ્હીના ઐતિહાસિક પુરાણા કિલ્લામાં ભરાયું હતું. બાપુજીને જોવાની તો કોણ ઈચ્છા ન કરે? બાપુજીએ નામરજી તો બતાવી હતી, પણ સહુના આગ્રહને લીધે તેઓએ બે દહાડા સુધી આ સંમેલનમાં થોડો થોડો વખત હાજરી આપી હતી. શ્રીમતી સરોજિની નાયડુએ પોતાના બુલબુલ-નાદે માઈક પર ગજાવ્યું કે ‘હવે અમારા રાષ્ટ્રપિતા પધાર્યા’, ત્યારે નાનાં નાનાં પરદેશી બાળકો આતુરતાથી જોવા ઊભાં થઈ ગયાં. પણ આ બાળકોને આટલેથી સંતોષ નહોતો વળ્યો. બાળકોએ બાપુજીને અંગત રીતે મળવાની ઇચ્છા દર્શાવી. એટલે 1947ની ત્રીજી એપ્રિલે સવારના 9 વાગ્યા પછી આ બાળકો મળવા આવ્યાં. ગરમીના દિવસોમાં બાપુજી પોતાનું ભોજન વહેલું જ લઈ લેતા, એથી હું તે સમયે બાપુજીની જમવાની થાળી લાવી. બાપુજી ભોજનમાં તો પાતળા 3-4 ખાખરા, બાફેલું શાક (મીઠા વગરનું), બકરીનું દૂધ અને જો સંતરાં કે એવું કંઈ ફળ હોય તો તે લેતા.

આ પરદેશી બાળકો ખૂબ વિવેક જાળવીને પણ આતુરતાથી બાપુજી શું જમે છે તે જાણવા ઈચ્છા દર્શાવી રહ્યા હાય તેમ તેઓના ભાવ પરથી સ્પષ્ટ જણાઈ આવતું હતું. બાપુજીએ થાળીમાંના ચારે ય ખાખરા બાળકોને વહેંચી આપ્યા, અને થોડાક જો બીજા ખાખરા હોય તો જે બાળકો રહી ગયાં હતાં તેમને માટે લાવવા કહ્યું.

બાળકો તો જુદા જુદા દેશનાં હતાં, એટલે બાપુજી અને આ પરદેશી બાળકો વચ્ચે વાતો કરાવનાર દુભાષિયા હતા. પરંતુ બાપુજી અને બાળકો વચ્ચે તો મનથી મૂંગી ભાષામાં વાતો થતી હતી. એટલું ભાવવાળું અને પ્રેમાળ એ દૃશ્ય હતું કે જાણે કેટલાયે યુગોથી બાપુજી અને આ બાળકો વચ્ચેની દોસ્તી ન હોય! એટલું બધું ઐકયનું વાતાવરણ ઘડીભરમાં સરજાયું હતું અને પળે પળે નિખાલસ હાસ્યથી ઓરડો ગાજી ઊઠતો હતો.

એક બાળકે પોતાના ખિસ્સામાંથી ચોકલેટ કાઢી, અને બાપુજીને આપી. બાપુજી જોરથી હસી પડયા અને એ ચોકલેટ પોતાના હાથમાં લીધી. પછી મને બતાવી બધાંને કહે, ‘જુઓ, આ મારી છોકરી છે. છે તો તમારા બધાંથી મોટી—18 વર્ષની, પણ હજુ બાળક જેવી જ છે. ચોકલેટ તો એક જ છે. વળી તમને સહુને તો ભાગ આપ્યો છે; આ છોકરી એક જ બાકી છે, એને આપી દઉં ?’

બધાં બાળકોએ આ સાંભળી એકીઅવાજે હા પાડી. એક 13 વર્ષની બાળાને પોતાની તરફથી કાંઈક કાયમી યાદગીરી તરીકે આપવાની ઈચ્છા થઈ. આ જાપાની છોકરીની પાસે એક હાથરૂમાલ હતો. એ છોકરીએ ત્યાં ને ત્યાં બેસીને એક પર્સ (પૈસા રાખવાની થેલી) તૈયાર કરી ઉપર આકર્ષક ભરતકામ કર્યું, અને બાપુજીને એ આપવા ગઈ.

બાપુજી તો વાણિયા ખરા ને ? પોતાનાં હરિજનો માટે કે દરિદ્રનારાયણ માટેની ચિંતા તો તેઓ અચૂક રાખતા જ, એટલે બાપુજીએ પેલી બાળાને કહ્યું, ‘મારી પાસે તો આમાં રાખવા એક રાતી પાઈ પણ નથી.’

પેલી બાળાએ મહેનત કરી હતી તેથી જરા હતાશ થઈ. પરંતુ તુરત જ કોઈક પાસેથી 100 રૂપિયા મેળવી અંદર નાખીને બાપુજીને ધર્યા. બાપુજીએ ખડખડાટ હાસ્ય સાથે કહ્યું, ‘દોસ્ત, આ પૈસા અમારા દેશની તારા જેવડી નાની નાની ગરીબ છોકરીઓના ભલા માટે વાપરીશ. ઠીક ને ? ’ પેલી બાલિકા ખુશ ખુશ થઈ ગઈ.

26 જૂન 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 345

Loading

આપણાથી રમાય?

નારાયણ દેસાઈ|Gandhiana|26 June 2025

બાપુ સાથે મહાદેવભાઈ અને નારાયણભાઈ

બાપુની લડાઈ કરવાની રીતનો મને નાનપણમાં જ જાતઅનુભવ થઈ ગયો. પ્રસંગ આવો હતો:

મુંબઈથી એક વાર શેઠ શાંતિકુમાર નરોત્તમ મોરારજીએ મારે માટે કોઈની સાથે થોડાં રમકડાં મોકલાવ્યાં. કાકા જ્યાં જતા ત્યાં એમને મિત્રો થઈ જ જતા. પણ એ પૈકી કેટલાકની મૈત્રી ઘનિષ્ઠ થતી. જેમની સાથે કાકાને ઘનિષ્ઠ મૈત્રી હોય તે બધા સાથે અમારે પણ ઘર જેવો સંબંધ થઈ જાય.

શાંતિકુમારભાઈને બાપુની જેમ કાકા જોડે પણ ઘનિષ્ઠ સંબંધ હતો. તેથી તેમણે આ રમકડાં મારે સારુ મોકલાવ્યાં.

સાબરમતી આશ્રમમાં રમવાનું તો પુષ્કળ મળી રહેતું, પણ રમકડાં હંમેશાં મળતાં નહોતાં. અમારે કમનસીબે શાંતિકુમારભાઈનાં મોકલાવેલાં રમકડાં વિદેશી હતાં, તેથી તે અમારા હાથમાં પહોંચે તે પહેલાં જ બાપુએ એનો કબજો લઈ લીધો. પોતાના ઓરડામાં એક અભરાઈ ઉપર તેમણે તે મુકાવી દીધાં. અમારી ‘છૂપી પોલીસ’ એ ખબર લાવી કે બાબલા માટે મુંબઈથી રમકડાં આવ્યાં છે અને બાપુએ એને સંતાડી રાખ્યાં છે. અમારી તરફે આ હડહડતા અન્યાયનો સામનો કરવા સારુ યુદ્ધની તૈયારીઓ શરૂ થઈ ગઈ! કાઁગ્રેસયુગના પહેલા તબક્કાની માફક લડાઈની શરૂઆત પ્રતિનિધિ મોકલીને કરવાનું ઠરાવ્યું. રમકડાં મારે નામે આવ્યાં હતાં, એટલે અમારા બાળપ્રતિનિધિમંડળે મને જ પોતાનો પ્રવક્તા નીમ્યો.

તે વખતે બાપુ મગનકુટીમાં રહેતા હતા. મારા પિતાશ્રી એમના નિયમ મુજબ, પડખે બેસીને કશુંક લખતા હતા. બીજા પણ કેટલાક અંતેવાસીઓ બાપુની અડખેપડખે હતા. મોટીબા (કસ્તૂરબા) પણ ત્યાં જ હતાં. આ અમારું પ્રતિનિધિમંડળ એ ઠેકાણે જઈ પહોંચ્યું.

પહેલો વાર મેં જ કર્યો : ‘મારે સારુ મુંબઈથી રમકડાં આવ્યાં છે. એ વાત સાચી?’

યુદ્ધના આરંભ પહેલાં જ પ્રતિપક્ષી પાસે સત્યની કબૂલાત કરાવી લેવી ઉપયોગી હોય છે !

બાપુ પણ તે વખતે કાંઈક લખવામાં મશગૂલ હતા. પણ એમણે લખવામાંથી મોં ઊંચું કરીને કહ્યું, ‘કોણ, બાબલો ? હા, રમકડાં વિશે તેં જે સાંભળ્યું છે તે હકીકત સાચી છે.’

‘મારાં એ રમકડાં ક્યાં છે ?’ બીજા વારમાં મુદ્દામાલની તપાસ હતી ! અમારી પાસે માહિતી હતી કે બાપુએ રમકડાં ક્યાંક છુપાવી રાખ્યાં હતાં.

‘એ રહ્યાં રમકડાં, ઉપર અભરાઈએ.’ બાપુએ આંગળી ચીંધી કહ્યું. મુદ્દામાલ કોઈ છૂપો રાખવામાં આવ્યો નહોતો. ખારસો કરંડિયો ભરાય એટલાં રમકડાં હતાં, જોઈને મોંમાં પાણી આવી જાય તેવાં !

‘એ રમકડાં અમને સોંપી દો.’

જ્યાં ન્યાય સાથે હોય ત્યાં આડીઅવળી વાત કરવાની જરૂર શી ? સીધી ન્યાયની માગણી જ શા સારુ ન કરવી ?

ઠેઠ ત્યારે બાપુએ પોતાનો મુદ્દો સામે ધર્યો: ‘તને ખબર તો છે ને, કે એ રમકડાં વિદેશી છે ?’

સ્વદેશી આંદોલનની પીઠ સમા આશ્રમમાં બાળકો વિદેશી રમકડાં શી રીતે રમે ? બાપુનો એ મુદ્દો હતો. પણ એ મુદ્દો સમજવા અમે તૈયાર હોઈએ તો ને!

‘વિદેશી—સ્વદેશીની વાત હું કાંઈ ન જાણું. મને એટલી ખબર છે કે એ રમકડાં મારાં છે, મારે સારુ એ આવ્યાં છે, એટલે એ મને મળવાં જોઈએ.’

મેં મારો અધિકાર સામો ધર્યો. મને ખાતરી હતી કે મારા અધિકારનો બાપુ ઇન્કાર કરી શકશે નહિ.

પણ ત્યાં તો બાપુએ વાતને એવો વળાંક આપ્યો કે જેની મેં કલ્પના સુધ્ધાં પણ નહોતી કરી.

‘વિદેશી રમકડાં વડે કંઈ આપણાથી રમાય?’

‘આપણે’ શબ્દ ગુજરાતીનો આગવો જ છે. હિન્દીનાં ‘હમ’માં હુંનું બહુવચન પણ આવે અને ‘તું અને હું’ પણ આવી જાય પણ ગુજરાતીના ‘આપણે’ શબ્દમાં માત્ર હું ને તું જુગલજોડી સાથે સાથે જ આવે. ‘હું’ના બહુવચન સારુ તો ‘અમે’ શબ્દ નોખો પડ્યો જ છે.

અને આ ‘આપણે’ શબ્દમાં જાણે બાપુનું બ્રહ્માસ્ત્ર હતું. એક જ વાક્યમાં એમણે એમની જાતને અને મને એક પક્ષમાં મૂકી દીધાં. ક્યાં ગઈ અમારી કમ્મરબંધી? ક્યાં ગયું અમારું પ્રતિનિધિમંડળ? ક્યાં ગઈ અમારી સામસામી વાગ્યુદ્ધ ખેલવાની તૈયારી? જ્યાં દુશ્મન પોતે જ મિત્રના પક્ષમાં ભળી જાય, ત્યાં યુદ્ધની તુલા જ ડગમગી જાય તો નવાઈ શી?

રમવાનો અધિકાર જેમ હું ગુમાવતો હતો, તેમ એ જ રમકડાં વડે રમવાનો હક બાપુ પણ ગુમાવતા હતા ને ? તેથીસ્તો એ કહેતા હતા કે ‘આપણાથી કાંઈ રમાય ?

અને એક વાર અધિકાર માત્ર પોતાનો જ નહિ પણ પ્રતિપક્ષીનો પણ છે, એ હકીકત સમજાઈ એટલે તરત અધિકારને ઠેકાણે કર્તવ્યનો ઉદય થાય છે.

‘વિદેશી ચીજો સામે તો આપણું આંદોલન ચાલે છે અને આપણે જ જો ઘરે વિદેશી રમકડાંથી રમીએ…’

બાપુને આગળ દલીલ કરવાની કે સમજાવવાની જરૂર જ નહોતી. પ્રતિનિધિમંડળના પ્રવક્તાને જ ઢીલો પડેલો જોઈને બાકીના સભ્યોએ ત્યાંથી સરવા માંડયું હતું!

[‘સંત સેવતાં સુકૃત વાધે’]
25 જૂન 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 344

Loading

કટોકટીનાં પચાસ વરસનો શોર : બેઉ છેડે આત્મખોજનો અવસર

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|26 June 2025

વિશેષ

નાગરિકો સત્તાધિશોની ચેતનાને જગાડે

વિશ્વવિજેતાના દર્પે ખદબદ અલેકઝાંડરે ગર્વિષ્ઠ વિવેકથી પૂછ્યું કે તમારી શું સેવા કરી શકું. જવાબમાં ફિલસૂફ ડાયોજીનસે તબિયતથી કહ્યુંઃ રાજા, આઘો હટ – ને તડકો આવવા દે.

પ્રકાશ ન. શાહ

1975ની 25મી જૂન વિશે 26મીના અંક માટે લખી રહ્યો છું, બરાબર પચાસ વરસના અંતરે, ત્યારે થઈ આવતું પહેલું સ્મરણ સ્વાતંત્ર્યસૈનિક શબ્દસેવી ઉમાશંકર જોશીની એ કવિપૃચ્છાનું છે કે ‘કાલે હતો તે તડકો ક્યાં છે?’ આ લખું છું ત્યારે ગ્રીક ફિલસૂફ ડાયોજીનસનું સ્મરણ થાય છે. વિશ્વવિજેતાના દર્પે ખદબદ અલેકઝાંડરે ગર્વિષ્ઠ વિવેકથી પૂછ્યું કે, તમારી શું સેવા કરી શકું. આપણા ફિલસૂફે તબિયતથી કીધુંઃ ‘રાજા, આઘો હટ – ને તડકો આપવા દે.’

પચાસ વરસને અંતરે સરકાર ગાજાવાજા સાથે શોર મચાવી રહી છે ત્યારે એને કોણ કહેશે કે, તડકો આવવા દે? ઇંદિરાઈ તો એક રીતે નસીબવંતી હતી કે એને લમણે જમણા છેડેથી જયપ્રકાશ લખાયા હતા. શું સરસ કહ્યું‘તું ત્યારે ધર્મવીર ભારતીએ કે, એક બહત્તર સાલકા બુઢા સચ બોલતે નિકલ પડા હૈ. આજે તો, ભાઈ, સાદો હિસાબ ચાલે છે કે ચોક્કસ મુદ્દે જબાનબંધના ધોરણે કટોકટીના પ્રતિકારનો મહિમા કરો અને વાણીસ્વાતંત્ર્યનું ગૌરવગાન કરો. 

ભાઈ, પ્રજાસત્તાક સ્વરાજમાં કટોકટીની કાલરાત્રિ વિશે આટલે વરસે વાત કરીએ ત્યારે તે લાદનાર નેતૃત્વ ને પરિબળોની ટીકા તો ચોક્કસ જ કરીએ. પણ તે નેતૃત્વને એક પ્રજા તરીકે આપણે પરાસ્ત કરી શક્યા એ ઇતિહાસન્યાય પછીના દાયકાઓમાં આપણે દોષદુરસ્તી કેટલી કીધી ન કીધી એની તપાસ કરીએ. પછી, જેમને સુવાંગ સત્તા આવી મળી તેમણે કેવો વ્યવહાર દાખવ્યો ન દાખવ્યો એને અંગે ય તપાસ કરીએ. સત્તાધીશોને આ અવસર લાયક આત્મખોજનો ખયાલ સ્વમેળે ન આવતો હોય તો નાગરિકોએ નાનાવિધ ઉપાયે તેમની ચેતનાને સંકોરવામાં સહાયરૂપ થવું એ ધર્મ બની રહે છે. 

સરકારી જાહેરાત ને સરકારી સંસાધનોની રાહે જે ચાલે છે. એમાંથી ઊલટાની ‘કાઁગ્રેસમુક્ત ભારત અને કાઁગ્રેસયુક્ત ભા.જ.પ.’ની ધંધાદારી રાજનીતિની બૂ ઉઠે છે. ભાઈ, આ પ્રશ્ન ક્યારેક કાઁગ્રેસ સત્તા પર હતી અને જનસંઘ સહિત બાકીના સામી પાટલીએ હતા એટલો સીધોસાદો નથી. હર પલટાતી રાજવટ સબબ જાગ્રત જનમત એ જનતંત્ર માત્રની સ્થાયી પ્રકૃતિ ને પ્રવૃત્તિ હોવી ઘટે છે. મામલો હર જમાને સત્તા વિ. જનતાનો છે. 

કટોકટી જાહેર થઈ ત્યારે બુઝુર્ગ રાજપુરુષ કે. સંથનમે બાંધી મુદ્દતનાં અનશન કીધાં હતાં. પોતે બંધારણ સભાના સભ્ય હતા અને વિભાજનની વિભીષિકા વચ્ચે આવી આકરી જોગવાઈની જરૂરત જેમ બીજા ઘણાને તેમ તેમને પણ અનુભવાઈ હતી. આ જોગવાઈનો આમ ગેરઉપયોગ થઈ શકે તે ત્યારે કેમ સૂઝ્યું નહોતું એ ખયાલે એમણે અનશનનો રાહ લીધો હતો. 

ખેર. કટોકટીરાજ ગયું પણ ખરું અને એના કરવૈયાઓને 1977ની ચૂંટણીમાં શિકસ્ત પણ મળી. બંધારણ સાથે ઇંદિરા ગાંધીએ જે કંઈ તોડમરોડ કરી હતી તેને નવી સંસદે બંધારણીય સુધારા સાથે સમીનમી પણ કીધી. ટૂંકજીવી જનતા શાસન પછી કાઁગ્રેસના પુનઃ પ્રવેશ અને સત્તા પરની નાનીમોટી આવનજાવન વચ્ચે માનવઅધિકાર પંચથી માંડીને માહિતી અધિકાર, શિક્ષણ અધિકાર આદિની પ્રતિષ્ઠા શક્ય પણ બની. પણ ઉત્તરોત્તર કથળતું કાયદાનું શાસન અને માહિતી અધિકારનું સંકોચન કે પછી નવા જુલમી કાયદા તરેહનું વલણ, આ બધાને કેવી રીતે ઘટાવશું ? સરકાર અને કોર્પોરેટ સંધાનની આબાદ જુગલબંધી દેશમાં સ્વતંત્ર અવાજનાં સ્થાનકો વગર સેન્સરશિપે સંકોચાતાં જાય છે. અલબત્ત, સત્તા કદાચ એમ માનીને ચાલે છે કે જનતા કને આંખકાન હોવાં જરૂરી નથી. થોડાં વરસ પર અડવાણીએ કહ્યું હતું કે, સંભારવા જોગ છે કે કટોકટી બાબતે બંધારણીય સુધારાથી અમે (મોરારજી પ્રધાનમંડળે) દુરસ્તી કરી છે એ સાચું, પણ તેથી કટોકટી પ્રકારના અનુભવો બીજી રીતે નહીં થાય તેમ હું કહી શકતો નથી. 

એથી 25મી જૂનની ખરી ઉજવણી ભૂતકાળની બેધડક ટીકા કરવા હાલના હુકમરાનો પોતાના અમલ બાબતે કરે તેમાં છે – નહીં કે ‘હત્યા દિવસ’ના ઝનૂનમાં.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 25 જૂન 2025

Loading

...102030...233234235236...240250260...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved