Opinion Magazine
Number of visits: 9575675
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિન્દી સિનેમામાં પ્રવાસી શ્રમિકોની સમસ્યા ‘દો બીઘા જમીન’થી આવી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|27 June 2020

ચાર કલાકની નોટિસ આપીને દેશભરમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનમાં બેઘર અને બેકાર થઇ ગયેલા હજારો શ્રમિકોની હૃદયદ્રાવક વાતો અને તસ્વીરો તમે જોઈ હશે. ભૂખ્યા-તરસ્યા અને હાથે-પગે ચાલતા શ્રમિકોનું શહેરોમાંથી તેમનાં ગામો તરફનું પલાયન, ૧૯૪૭ના વિભાજન વખતના પલાયનની યાદ આપાવે તેવું હતું. એમાં ઇન્દોર જિલ્લામાંથી પસાર થતા આગ્રા-મુંબઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી આવેલો એક વીડિઓ (લેખ સાથે તેની તસ્વીર છે) તમે કદાચ જોયો હશે. તેમાં રાહુલ નામનો ૪૦ વર્ષનો એક માણસ, ગાડામાં એક મહિલા અને છોકરાને લાદીને, ખુદ બળદ સાથે જોતરાયો હતો. તેમાં એ બોલતો હતો, "બસો નથી ચાલતી, નહીં તો અમે બસમાં ગયા હોત. મારા પિતા, ભાઈ અને બહેન આગળ ચાલતાં ગયા છે, શું કરીએ? મારી પાસે બે બળદ હતા, પણ ઘરમાં લોટ અને બીજો સમાન ખતમ થઇ ગયો, એટલે ૧૫,૦૦૦ના બળદને ૫,૦૦૦માં વેચી દીધો."

આઈરીશ કવિ અને નાટ્યકાર ઓસ્કાર વાઈલ્ડે ૧૮૮૯માં તેના એક લેખમાં લખ્યું હતું કે, “કળા જીવનની નકલ નથી કરતું, કળાની નકલ જીવન કરે છે.” પશ્ચિમની કળાની તો આપણને ખબર નથી, પણ ભારતીય હિન્દી સિનેમામાં તો એવું બને છે કે જીવનની વાસ્તવિકતાની પડદા પર પ્રતિબિંબિત કરવામાં આવે છે. એવું ના હોત, તો કેવી રીતે શક્ય છે કે ૧૯૫૩માં બિમલ રોયે તેમની ફિલ્મ ‘દો બીઘા જમીન’માં ઘોડાગાડીમાં ઘોડાની જગ્યાએ બલરાજ સહાનીને જોતર્યા હતા!

એ સાચું કે તત્કાલીન કલકત્તામાં કછોટો મારેલા એક્વલડી માણસો ખેંચતા હોય તેવી હાથ-રિક્ષાઓ ૧૩૦ વર્ષથી પ્રચલિત હતી. ૧૮૭૦ના દાયકામાં જાપાનમાં આવી રિક્ષાઓની શરૂઆત થઇ હતી, કલકત્તામાં તેનો પ્રવેશ થયો તે પહેલાં, બંગાળી શેઠો અને જમીનદારો પાલખીમાં ફરતા હતા. પાલખી તેમનું સામાજિક સ્ટેટ્સ હતું. અંગ્રેજો તેમનું વર્ચસ્વ અને સ્ટેટસ સાબિત કરવા હાથ-રિક્ષાઓ લઇ આવ્યા, અને તેના કારણે એક એવો મજદૂર વર્ગ પેદા થયો, જેનો વ્યવસાય જ હાથ-રિક્ષાઓમાં ગોરા સાહેબો અને પછી તો બંગાળી શેઠોને પણ લાવવા-લઇ જવા માટેનો હતો. ૧૯૭૧માં બાંગ્લાદેશ યુદ્ધ થયું, ત્યારે અનેક વિસ્થાપિત બાંગ્લાવાસીઓ અને ગરીબ ભારતીયો આ વ્યવસાયમાં જોતરાયા હતા.

૨૦૦૫માં તત્કાલિન ડાબેરી સરકારે આને માનવીય શોષણ અને ગરિમાનું અપમાન ગણાવીને હાથ-રિક્ષાઓ પર પ્રતિબંધ મૂકી દીધો હતો, પણ એમાં રિક્ષા-ચાલકો બેરોજગાર થઇ જશે, તેવા તર્ક સાથે કોલકત્તા હાઈ કોર્ટે આ પ્રતિબંધ ફગાવી દીધો હતો. કોલકત્તામાં આજે પણ ૧૮,૦૦૦ રિક્ષા ખેંચનારા છે. હવે તેનાં નવાં લાયસન્સ આપવાનાં બંધ થઇ ગયાં છે અને મમતા બેનરજીની સરકાર આ રિક્ષાઓમાં બેટરી બેસાડી રહી છે.

‘દો બીઘા જમીન’માં બલરાજ સહાનીની યાતનાના પગલે દેશના પ્રવાસી શ્રમિકોની કરુણ વાસ્તવિકતાને હિન્દી સિનેમામાં સ્થાન મળ્યું. લોકડાઉનના પગલે દિલ્હીમાંથી શ્રમિકોનું પલાયન શરૂ થયું, ત્યારે શાસક પક્ષના એક નેતાએ સવાલ કર્યો હતો, “આ લોકો ઘેર કેમ જાય છે? જ્યાં છે, ત્યાં કેમ નથી રહેતા?” હિન્દી સિનેમામાં દેશના પ્રવાસી શ્રમિકોની કહાનીઓ આવી, તેમાં એ સવાલનો જવાબ હતો: મજબૂરી ના હોય, તો કોઈ ઘર ના છોડે. એક સમય હતો, જયારે હિન્દી સિનેમામાં ‘મજદૂર’ અને ‘કિસાન’ હિરો હતા, અને તે ભારતીય જીવનની અસલિયતને પેશ કરતા હતા.

એમાં ‘દો બીઘા જમીન’ બેંચમાર્ક છે. બિમલ રોયે (પરિણીતા, બિરાજ બહુ, સુજાતા મધુમતી, બંદિની) રવીન્દ્રનાથ ટાગોરની બંગાળી કવિતા ‘દુઈ બીઘા જોમી’ પરથી આ ફિલ્મ બનાવી હતી. ૧૯૫૨માં બિમલ રોયે મુંબઈમાં યોજાયેલા પ્રથમ અંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલમાં ‘બાઈસિકલ થીફ’ (સાઇકલ ચોર) નામની ઇટાલિયન ફિલ્મ જોઈ હતી, જેમાં દ્વિતીય મહાયુદ્ધ પછીના રોમમાં એક ગરીબ પિતા તેની ચોરાઈ ગયેલી સાઈકલ શોધે છે, જે ના મળે તો તેની નોકરી જોખમમાં છે. આ ફિલ્મને પરદેશી ભાષાની શ્રેષ્ઠ ફિલ્મનો ઓસ્કાર મળ્યો હતો અને તે ઇટાલીના ગરીબ અને કામદાર વર્ગ પરની સૌથી મહાન ફિલ્મ ગણાય છે. તેના પરથી બિમલ રોયને અસલી લોકેશન પર શૂટ થઇ હોય અને શહેરની વાસ્તવિકતા રજૂ કરતી હોય, તેવી હિન્દી ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો હતો.

તે વખતે સંગીતકાર સલિલ ચૌધરી બંગાળી ફિલ્મો જ કામ કરતા હતા. તેમણે ટાગોરની કવિતા પરથી ‘રિક્ષાવાલા’ નામની વાર્તા લખી હતી, જેમાં એક બંગાળી ખેડૂત તેની જમીનને બચાવવા કોલકત્તાની સડકો પર પગ ઘસે છે. સલિલ’દા મૃણાલ સેન અને ઋત્વિક ઘટક સાથે મળીને તેના પરથી ફિલ્મ બનાવવાના હતા, પણ ઘટકના મિત્ર બિમલ રોયે આ વાર્તા વાંચી હતી અને તેમણે સલિલ’દા પર એ જ દિવસે ટેલીગ્રામ કરીને આ વાર્તા માગી લીધી હતી, જે દિવસે સલિલ’દાનાં લગ્ન થવાનાં હતાં. સલિલ’દા એ એક શરતે હા પાડી; ફિલ્મનું સંગીત એ કમ્પોઝ કરશે! સલિલ ચૌધરીનો હિન્દી ફિલ્મોમાં પ્રવેશ અ રીતે થયો હતો. (એક આડ વાત : મીના કુમારીની પણ આ પહેલી ફિલ્મ છે. ‘આ રી આ, નિન્દીયા તું આ’ લોરી ગાવા પૂરતી તે એમાં આવે છે.)

ફિલ્મમાં શંભુ (બલરાજ સહાની) બે વીઘા જમીન પર ગર્ભવતી પત્ની પાર્વતી (નિરૂપા રોય), પુત્ર કનૈયા અને બાપ મંગુનું પાલનપોષણ કરે છે. ગામમાં જમીનદાર હરનામ સિંહ (મુરાદ) તેની વિશાળ જમીન પર મિલ લાવે છે. તેમાં વચ્ચે શંભુની જમીન આવે છે. એ જમીન પડાવી લેવા, ઠાકુર શંભુ પર દેવું ચુકવવા દબાણ કરે છે. શંભુ ઘરનો સમાન વેચીને પણ દેવું ચૂકતે કરી શકતો નથી, કારણ કે ઠાકુરના મુંશીએ નકલી કાગળો બનાવીને દેવાની રકમ ૩૫થી વધારીને ૨૩૫ કરી નાખી હોય છે.

મામલો કોર્ટમાં જાય છે અને કોર્ટ પણ ફેસલો આપે છે કે શંભુએ ૩ મહિનામાં રકમ ચૂકવવી પડશે, નહીં તો જમીન વેચીને વસૂલ કરવામાં આવશે. વખનો માર્યો શંભુ તેના દીકરા સાથે કલકત્તા જઈને રિક્ષા ખેંચવાનું કામ શરૂ કરે છે, પણ એમાં ય એની પનોતી બેસે છે. રિક્ષા ચલાવવામાં એ જખ્મી થઇ જાય છે, તેની સગર્ભા પત્ની તેને મળવા શહેર આવે છે અને અકસ્માતનો ભોગ બને છે. તેનો પુત્ર ગરીબીથી ત્રાસીને ચોરી કરે છે. શંભુની કમાણી પત્નીની સારવારમાં જ ખતમ થઇ જાય છે. થાકી-હારીને પરિવાર પાછો ગામ જાય છે, તો જમીન વેચાઈ ગઈ હોય છે અને મિલ બની રહી હોય છે. તેનો બાપ પાગલ થઇને રખડતો હોય છે. છેલ્લે શંભુ તેની જમીનની માટી મુઠ્ઠીમાં ભરે છે, તો ત્યાં બેઠેલો ગાર્ડ એ માટી પણ લઇ લે છે.

બલરાજ સહાનીનો એક્ટર પુત્ર પરીક્ષિત સહાની પિતાના જીવનચરિત્રમાં લખે છે, “રિક્ષા ખેંચનાર શ્રમિકની ભૂમિકા માટે પિતાએ ખૂબ અભ્યાસ કર્યો હતો. એ જોગેશ્વરીમાં દૂધવાળા ભૈયાની વસ્તીમાં ગયા હતા, જ્યાં તેમનું કામ તો જોવા મળે જ, સાથે તેમનો જુસ્સો પણ સમજવા મળે. એ ખેતરમાં જઈને ખેડૂતો સાથે રહ્યા હતા, ઘરે જઈને સાથે જમ્યા હતા. કોલકત્તામાં ફિલ્મનું શુટિંગ થતું હતું, ત્યારે પિતા એક સ્થાનિક રિક્ષા-ચાલકને મળ્યા હતા, જેની વાર્તા પણ શંભુ જેવી જ હતી. બાકી હોય તેમ, રિક્ષા કેવી રીતે ખેંચાય, તે શીખવા માટે તે શહેરના આસ્ફાલ્ટના રોડ પર ખુલ્લા પગે દોડ્યા હતા. એમાં પગમાં ફોલ્લા પડી ગયા હતા.”

તેમની આત્મકથામાં બલરાજ સાહની લખે છે, “જોગેશ્વરીમાં બિહાર અને ઉત્તરપ્રદેશના ભય્યાઓ રહેતા હતા અને દૂધનો ધંધો કરતા હતા. બિમલ રોય સાથે મારી મુલાકાત થઇ, તે પછી હું તબેલાઓમાં જવા લાગ્યો. હું ધ્યાનથી જોતો કે તેઓ કેવી રીતે કામ કરે છે, કેવી રીતે ચાલે છે, કેવી રીતે ખાવા બેસે છે, કેવી બોલી બોલે છે અને કેવાં કપડાં પહેરે છે. હું બધું મગજમાં નોંધાતો હતો અને મારી જાતને તેમના સ્થાને કલ્પના કરતો હતો. ‘દો બીઘા જમીન’ની ભૂમિકામાં જે પણ સફળતા મેં મેળવી છે, તે આ ભૈય્યાઓના અભ્યાસને આભારી છે.”

‘દો બીઘા જમીન’ ડીરેક્ટર બિમલ રોયને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી ગઈ અને બલરાજ સહાનીને એક દમદાર અભિનેતા તરીકે સાબિત કરી ગઈ. ફિલ્મફેરમાં જે બેસ્ટ ફિલ્મની કેટેગરી છે, તે જીતનારી આ પહેલી ફિલ્મ છે. બલરાજ સહાની સામ્યવાદી હતા અને કાર્લ માર્ક્સને ‘ગુરુ’ માનતા હતા. રોજી-રોટી માટે એ ફિલ્મોમાં આવેલા, પણ તેમાં ય તેમણે તેમનો માનવતાવાદી અભિગમ જાળવી રાખ્યો હતો. ફિલ્મોમાં અને ફિલ્મો બહાર તે એક આદર્શ જીવન જીવતા હતા અને ગરીબોના અન્યાય સામે અવાજ ઉઠાવતા હતા.

તે આમ લોકો વચ્ચે જીવતા હતા. તે જવાહરલાલ નહેરુ અને અન્ય અનેક નેતાઓના અંગત મિત્ર હતા અને તેમની સાથે પ્રજાની મુશ્કેલીઓ અંગે ચર્ચા કરતા રહેતા હતા. વિભાજનમાં તે રાવલપિંડીથી કોલકત્તા આવ્યા હતા અને રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનમાં શિક્ષક તરીકે જોડાયા હતા. ત્યાં તે અંગ્રેજી ભણાવતા હતા અને તેમની પત્ની હિન્દી ભણાવતી હતી. થોડો વખત તેમણે ગાંધીજી સાથે પણ કામ કરેલું પણ પછી સામ્યવાદી બની ગયા. ૧૯૪૭માં તેમની પત્નીના અવસાન પછી તો તેમણે સમાજ સેવામાં જ ઝંપલાવી દીધું હતું.

એ સમયે બંગાળમાં ભયાનક દુકાળ પડ્યો હતો અને સાહની સાધારણ લોકોની વિપદાને સિનેમાના માધ્યમથી બતાવવા માંગતા હતા. ‘દો બીઘા જમીન’ (અને ‘ધરતી કે લાલ’) જેવી ફિલ્મો કરવા પાછળનું આ મુખ્ય કારણ હતું. તે માનવધિકાર માટે અંદોલનો કરતા હતા અને સરકારની ટીકા પણ કરતા હતા.

૧૯૭૨માં દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહ મુખ્ય મહેમાન તરીકે બલરાજ સાહનીએ એક અવિસ્મરણીય પ્રવચન આપ્યું હતું. તેમાં એમણે કહ્યું હતું, “જવાહરલાલ નહેરુએ તેમની આત્મકથામાં સ્વીકાર કર્યો છે કે દેશની આઝાદીની લડાઈમાં શરૂઆતથી જ મૂડીવાદી વર્ગનું વર્ચસ્વ રહ્યું છે. એટલે સ્વાભાવિક જ હતું કે આઝાદી પછી આ વર્ગનું શાસન અને સમાજ પર વર્ચસ્વ હોય. આજે કોઈ એ વાતનો ઇનકાર ના કરી શકે કે પાછલા ૨૫ વર્ષથી મૂડીવાદી વર્ગ દિન-પ્રતિદિન વધુ ધનવાન અને શક્તિશાળી બન્યો છે, જ્યારે શ્રમિક-ખેડૂત વર્ગ વધુ લાચાર અને પરેશાન.

“પંડિત નહેરુ આ સ્થિતિને બદલવા માંગતા હતા, પણ ના બદલી શક્યા. સંજોગોથી એ મજબૂર હતા. આજે ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં સરકાર આ સ્થિતિને બદલવાની વાતો કરે છે. એ કેટલી સફળ થશે, તે કહી ના શકાય. ન તો મારે એ ચર્ચામાં પડવું છે. રાજકારણ મારો વિષય નથી. માત્ર એટલું જ કહેવું ઘણું છે કે જે રીતે હિન્દુસ્તાનમાં અંગ્રેજોની હુકુમત પર અંગ્રેજી મૂડીવાદીઓનો દબદબો હતો, એવી જ રીતે આજે દેશની હુકુમત પર મૂડીવાદીઓનો પ્રભાવ છે.”

કદાચ આ જ કારણ છે કે ઇન્દોર-આગ્રા હાઈવે પર રાહુલે બળદગાળામાં બળદની જેમ જોતરાવું પડ્યું હતું.

પ્રગટ : ‘બ્લોકબસ્ટર’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાતી મિડ-ડે”, 20 જૂન 2020

Loading

તાપી : મારે રૂંવે રૂંવે છે વ્યાપી

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 June 2020

તાપીના જન્મદિવસ નિમિત્તે

એક સંસ્કૃત શ્લોકમાં કહેવાયું છે કે ગંગાનું પુણ્ય તેમાં સ્નાન કરવાથી ને યમુનાનું પુણ્ય તેનું પાન કરવાથી મળે છે અને મઝાની વાત એ છે કે એટલું જ પુણ્ય નર્મદાનાં દર્શન માત્રથી મળે છે, પણ તાપીનો મહિમા અધિક છે, એનાં તો સ્મરણ માત્રથી પુણ્ય પ્રાપ્ત થાય છે.

આમ પણ સંસ્કૃતિઓ નદીકાંઠે વિકસી છે. નદી, સંસ્કૃતિની સદી છે. સદી જ નહીં, સદીઓ. તેમાં તાપી એટલે તો સંજીવની. આખી તાપ્તી રેલવે લાઈન નદીના ખીણ પ્રદેશને સૂચવે છે. સૂરત, સોનાની મૂરત તાપીને કારણે છે. નર્મદ, નંદશંકર, નવલરામ – ત્રણે તાપીનું વરદાન. અર્વાચીનોમાં આદ્ય નર્મદ તો હોડીમાં બેસીને સામે પાર ભણાવવા પણ જતો. તાપી કાંઠે જ બળેવનો ત્રણ દિવસનો મેળો ભરાતો. પછી એ તહેવાર બે દિવસનો થયો કારણ ૧૯૩૮માં હોડી ઊંધી વળી ગયેલી ને ઘણાનાં મરણ થયેલાં. નાનપરા બાગના કાંઠેથી હોડી હજી તો થોડે દૂર જ ગઈ હતી ને ૮૦ જીવોએ જળસમાધિ લઇ લીધી હતી. એ ગોઝારી ઘટના પછી ઉજવણી એક દિવસ ઘટી … પછી તો બે દિવસની ઉજવણી પણ ગઈ ને આજે તો એ ટ્રાફિકથી ધમધમતો ચોકનો વિસ્તાર છે, ગમ્મતમાં એમ પણ કહેવાય કે અહીંની ચહેલપહેલ બારે માસ ઉજવાતા તહેવાર જેવી હોય છે. સૂરતમાં તો તહેવાર એ જ વહેવાર છે.

એક કાળે અહીં ચોર્યાસી બંદરના વાવટા ફરકતા. હજ યાત્રીઓ અહીંના મકાઈ પુલથી હજ પઢવા જતા ને એને જ કાંઠે ખુદાવંદ ખાને  કિલ્લો ૧૫૪૦-૪૧માં બનાવ્યો. કિલ્લાની ફરતે ૬૦ ફૂટ પહોળી ખાઈ હતી. બાંધકામ એવું મજબૂત કે ફિરંગીઓ પણ તેને ભેદી ન શક્યા. એમાં જે પથ્થરો હતા તેને લોખંડના પાટાથી જડેલા હતા ને તેની સાંધમાં સીસું પૂરેલું હતું. ને હવે નવા રૂપે રંગે તાપી કાંઠે એ જ કિલ્લો ફરી અડીખમ ઊભો છે.

તાપીનો જન્મદિવસ અષાઢ સુદ સાતમ છે. આખું નગર તે દિવસે તાપીને ચૂંદડી ઓઢાડીને તેનું નારીત્વ પૂજે છે. તાપીનું મૂળ નામ તપતી છે. તે સૂર્યની પુત્રી છે. આ સૂર્યપુત્રી સૂર્યદેહા, પયોષ્ણા, સત્યા, શ્યામા, કપિલા, સાવિત્રી, અમૃતસ્યન્દીની, તિગ્મા જેવા બાવીસ નામે ઓળખાય છે. સૂર્યને બે પત્ની હતી, સંજ્ઞા અને છાયા. સંજ્ઞાના સંતાનો તે યમ અને યમુના, તો છાયાના સંતાનો તે સાવર્ણીમનુ, શનિશ્વર અને તપતી.

યમુના ને તપતી વચ્ચે એક વખત વિવાદ થયો ને બંને એ એકબીજાને પૃથ્વી પર પડવાનો શાપ દીધો બસ! ત્યારથી બંને ધરતી પર વહે છે. તાપીનું લગ્ન સંવરણ રાજા સાથે થયું, તે વારિતાપ્યમાં. ના સમજાયું? અરે ભઈ, આજનું વરિયાવ તે જ વારિતાપ્ય! કહેવાય છે કે તાપીના લગ્ન થયાં તે ચોરી પણ હજી છે. સંવરણનું મંદિર પણ છે, સંવરણના સમયનું સૂર્યપૂર તે સૂરત. સંજ્ઞાનું નામ રાંદલ પણ છે ને રન્નાદે પણ. આ રન્નાદે પરથી રાંદેર થયું. અણબનાવ પતિ પત્ની વચ્ચે ન થાય તો એ પતિ-પત્ની જ નહીં! સૂર્ય અને રન્નાદે વચ્ચે પણ અણબનાવ થયો. વાત એમ હતી કે રન્નાદેથી પતિનો તાપ જીરવાતો ન હતો. કઈ પત્નીથી જીરવાયો છે? જ્યારે આ તો સૂર્ય! જીરવાય? રન્નાએ પોતાને બદલે પોતાની પ્રતિકૃતિ મૂકી ને પછી પિયર ચાલી ગઈ. પણ છલના અલ્પજીવી હોય છે. સૂર્યનારાયણ તો પ્રચંડ પ્રકાશ! છળ પકડાઈ ગયું. રન્નાદેએ ક્ષમા માંગી. પણ સૂર્યને જ છાયા નથી, ત્યાં ‘છાયા’ ટકે તો પણ કેટલુંક? સૂર્યે શાપ દીધો – તારો જન્મ પશુ યોનિમાં થાવ! શાપ દેતા તો દેવાઈ ગયો, પછી સૂર્યને પસ્તાવો થયો. પણ રન્નાદે જન્મી ઘોડી તરીકે ને સૂર્યે પણ પ્રાયશ્ચિતરૂપે અશ્વ બનવાનું સ્વીકાર્યું. એના પુત્રો તે અશ્વિનીકુમારો. અશ્વિનીકુમાર તે આજનું તાપી તટનું પવિત્ર તીર્થ.

પુરાણમાં ડોકિયું કરીએ તો એમ કહેવાય છે કે તાપી હિમાલયના આક્રમણ કાળે પ્રગટી. એ સાચું હોય તો તાપી જન્મી તેના યુગો પછી ગંગા, સરસ્વતી પ્રગટ થઇ. એ હિસાબે તો તાપી ગંગા નર્મદા પહેલાંની નદી ગણાય. એ વાત સ્વીકારીએ કે ના સ્વીકારીએ, પણ માલપ્રદેશની વાત સ્વીકારવી પડે એમ છે. મધ્યપ્રાન્તનાં બૈતલ પરગણામાં મુલતઈ એ તાપીનું ઉદ્ભવ સ્થાન છે. ત્યાં એ ઝરણા રૂપે ઊછળે છે. મધ્યપ્રાંત ૧૫૦ માઈલનો છે. એમાં થઈને તાપી વહે છે. એની એક બાજુએ વરાડ છે ને બીજી બાજુએ છે બુરહાનપુર. ત્યાંથી નીચે એ પાન દેશમાં પ્રવેશે છે અહીં એને વાઘર ને બીજી નદી મળે છે. ત્યાંથી લગભગ ૨૩૦ માઈલ ડુંગરોમાંથી વહીને તાપી ગુજરાતમાં પ્રવેશે છે. તાપીની વિશેષતા એ છે કે તેના મૂળ પ્રદેશમાં નહીં, પણ મુખ પ્રદેશમાં સંસ્કૃતિ વિકસી છે. એનું કારણ પણ છે. મૂળ પ્રદેશમાં એટલી પર્વતમાળાઓ ને અરણ્યો છે કે ત્યાં માનવ વસવાટ મુશ્કેલ હતો. જો પ્રાગૈતિહાસિક કાળની વાત કરીએ તો મૂલતઈની ઉત્તરે ખાંડવવન હતું. એમાં હૈહેયનામની આક્રમક જાતિ હતી. હવે એનો સામનો કરવો ને અરણ્ય ને પર્વતો વચ્ચે વસવું સહેલું ન જ હોય … બન્યું એવું કે તાપીના મુખપ્રદેશમાં બંદરો વિકસ્યાંને બહારની આક્રમક જાતિએ અધિકાર જમાવવા આદિવાસી જાતિઓને મૂળ તરફ ધકેલી. હવે સમજાય છે કે આદિવાસીઓ અરણ્યોમાં જ કેમ વિકસ્યા?

તાપીના મૂળપ્રદેશમાં સૌથી આદિ સંસ્કૃતિ દસ્યુઓની હતી. આર્યો તો તે પછી આવ્યા. મૂળપ્રદેશમાં નાગપૂજા, લિંગપૂજા અને શક્તિપૂજા થતી રહી. ભૈરવ, કામાપુરી, માંડવી, બહુધન અને તથમ્બુર જેવાં ૧૦૮ જેટલાં તીર્થસ્થાનો તાપી ધરાવે છે. કામાપુરી એટલે કામરેજ ને તથમ્બુર એટલે આજનું બગુમરા.

તાપી ડુમસના દરિયામાં મળે છે. જો કે દરિયો તો ડુમસમાં ગ્લોબલ વોર્મિંગને કારણે ઊંચો આવતો જાય છે. થોડાં વર્ષો પર દરિયો ઘરોમાં ને કબ્રસ્તાનમાંયે ઘૂસી આવેલો. એક સમય હતો કે ભરતી દરિયાથી ૩૨ માઈલ દૂર વાઘેચા સુધી જતી. ને ડુમસની તો વાત જ જવા દો, જૂના કાળમાં તો નદી વરિયાવમાં જ સમુદ્રને મળતી હતી. વરિયાવના પાણી તે વખતે ખારાં જ રહ્યાં હશે. વરિયાવ આગળ બહુ તાણ ન હોય તો લોકો પગે ચાલીને પણ તાપી પાર જતાં. પણ તાપી બંને કાંઠે વહી છે તે યાદ રાખવું ઘટે. એટલે તો હોપપુલ બંધાયો. એ ‘હોપ’નું પરિણામ છે. એની લંબાઈ ૧,૭૦૦ ફૂટ હતી ને એને જનતા માટે ૧૮૭૭માં ખુલ્લો મુકાયો ને આજે ય ‘ખુલ્લો’મૂકાયા જેવું જ છે.

તાપીની વાત કરીએ તો કંતારેશ્વર મહાદેવને ન ભૂલાય. એ બહુ પ્રાચીન મંદિર છે. ૧૯૭૬માં એનો જીર્ણોદ્ધાર થયો. એમાં સાત અશ્વોવાળા રથ પર પદ્માસનમાં આરૂઢ સૂર્યનું શિલ્પ પણ છે. પૌરાણિક કાળમાં આ સ્થળ ભાનુક્ષેત્ર તરીકે ઓળખાતું. અહીં કપિલમુનિએ આકરું તપ કરીને સૂર્યને પ્રસન્ન કર્યા ને તેમની પાસેથી વરદાન માંગ્યું : આપ સહકુટુંબ આવી અહીં વસવાટ કરો. એને પરિણામે સૂર્ય ને તાપી અહીં છે. એમ કહેવાય છે કે તાપીનો પ્રવાહ એક કાળે મંદિરની બંને બાજુએથી વહેતો હતો. તાપીની ખાસિયત એ રહી છે કે તે કાંઠા બદલતી રહી છે. રાંદેર તરફની જમીન ડુબાણમાં ગઈ કારણ તેનો પશ્ચિમ તરફનો ઘસારો વધ્યો. એ જ કારણ છે કે ઉમરકાંઠાનું રામનાથ ઘેલાનું મંદિર પણ માંડ બચ્યું છે.

સૂરતની તવારીખ ૧૨મી સદીના ઉત્તરાર્ધથી. વિસ્તાર ત્યારે ૨૫ ચોરસ કિલોમીટર. એ તો કિલ્લો બંધાયો ને સૂરત વિકસ્યું. ૧૮૫૨માં સુધરાઈની સ્થાપના થઇ. રેલવે આવી તે પહેલાં મુંબઈ માટે જળમાર્ગ જ હતો. એ જમાનાના  સૂરતના ભાવ જાણવા છે? ૧૮૩૧માં ઘી ૧૬ રૂપિયે મણ હતું. આજે કોઈ ઘી બતાવવાના ૧૬ રૂપિયા લે તો નવાઈ નહીં. સૂરત રેલ, આગ ને લૂંટને કારણે પાયમાલ થયું. સૂરત સોનાની મૂરત મટીને રોતી સૂરત થયું. પણ એ લહેરી તો આજે ય છે. આજે તો સૂરત મિની ભારતની ગરજ સારે છે. સૂરત મોજીલું છે ને કોઈ પણ પ્રજાને આવકારતું આવ્યું છે. તે સિલ્કસિટી, ડાયમંડસિટી અને ટેક્સટાઈલસિટી તરીકે વિશ્વમાં જાણીતું છે. ૧ ઓક્ટોબર, ૧૯૬૬થી નગરપાલિકા, મહાનગરપાલિકા થઇ છે. તેને ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ મળ્યું છે. આજે તેની હદ ૧૫૦ ચો.કિ.મી.થી વધી છે. જમણ તો સૂરતનું જ – એ વાત આજે ય જૂની નથી થઇ. આજે તો એટલા ઓવરબ્રિજ છે કે તે ઓવરબ્રિજનું મહાનગર પણ કહેવાય છે. વિયર કમ કોઝ વે, બંધ ને નહેરના લાભો સૂરતને મળ્યા છે, તો ગુનાખોરી પણ વધી છે. તાપીનું જળ પ્રદૂષિત થયું છે. કારખાનાઓનું ને ઉદ્યોગોનું ગંદુ પાણી તાપી પીએ છે ને આપણે ઈચ્છીએ છીએ કે તે આપણને શુદ્ધ પાણી આપે. છે ને કમાલ! તે અણુકચરા ને સાયનાઈડનું જોખમ વહોરીને જીવે છે. વિકાસને નામે વિનાશની દિશા પણ આપણે પકડી છે. ૨૦૦૬ની મહાવિનાશક રેલે સૂરતને ખતમ કરી નાખ્યું હતું. પણ સૂરતીઓ રાખમાંથી પાંખ બનાવીને ઉડવાનો મિજાજ ધરાવે છે.

તાપીને રેલની નવાઈ નથી. ૧૮૮૩, ૨૦૦૬ને એવી તો ઘણી સાલ તાપીએ સૂરતીઓને આંગણે આવીને ધમકાવ્યા છે. ૧૯૩૮માં હોડી ડૂબાડી શકે એટલું પાણી હતું ને આજે હોડી ફરી શકે એટલું પાણી ય જડતું નથી. આપણે સૂરતને શાંઘાઈ ને સિંગાપોર ને વર્લ્ડ ક્લાસ સિટી કરવા જઈ રહ્યા છીએ, બીજી તરફ તાપીના પટમાંથી રેતી ઉલેચવાનું બંધ થતું નથી. વિચારીએ કે તાપી વગરનું સૂરત ચાલવાનું છે?સાબરમતી કોરી હતી તેને છલકાતી કરી ને તાપી છલકાતી હતી તે કોરી થઇ રહી છે એની ચિંતા નથી. આ બરાબર નથી. આપણે યાદ રાખવું જોઈએ કે પ્રકૃતિ મનુષ્ય માટે છે, મનુષ્ય પ્રકૃતિ માટે નથી. પ્રકૃતિનો દુરુપયોગ થશે તો મનુષ્યનો સદુપયોગ નહીં થાય. એટલું ધ્યાન રાખીએ કે પર્વતો પાસે એટલો બરફ તો છે જ કે … વિનાશ માટે અણુબોમ્બ સુધી જવાની ય જરૂર નહીં રહે. સુનામીને તેડીશું તો નનામીઓ જ વધશે. જળ જીવન છે, તો જળ મૃત્યુ પણ છે. તાપીને રૂંવે રૂંવેથી તોડવાં કરતાં તાપીને રૂંવે રૂંવે આત્મસાત કરીએ. અસ્તુ.   

e.mail : ravindra21111946@gmail.com

Loading

જિંદગી એક બાર ફિર મિલના, ઇસ દફા તુજ કો પ્યાર કર ના સકે તેરા દામન ખુશી સે ભર ના સકે, તુજ કો કહ ભી ના સકે હમ અપના

રાજ ગોસ્વામી|Opinion - Opinion|27 June 2020

કેટલાંક ગીતો ફિલ્મોનું અવિભાજ્ય અંગ હોય છે. એને ફિલ્મમાંથી દૂર કરો, તો ખૂન નીકળી આવે! કલ્પના કરો કે ઋષિકેશ મુખર્જીએ બનાવેલી રાજેશ ખન્નાની 'આનંદ' (૧૯૭૧) ફિલ્મમાંથી 'કહી દૂર જબ દિન ઢલ જાયે, સાંજ કી દુલ્હન બદન ચુરાયે …' કાઢી નાખીએ તો? કલ્પના અઘરી છે. આ ગીત 'આનંદ' ફિલ્મ અને રાજેશ ખન્નાના પાત્ર બંનેનો આત્મા છે. લીમ્ફોસરકોમા ઓફ ઇન્ટેસ્ટિનથી પીડાતા અને દર એક દિવસે મૃત્યુની નજક જતા નટખટ અને નખરાળા આનંદની હસતાં-હસતાં મરવાની જે દુવિધા છે, તે આ ગીતમાં ઝીલાઈ છે. કેન્સર જેવા ગંભીર અને હતાશ વિષય પર બનેલી 'આનંદ' સ્નેહ અને ઉમ્મીદની ફિલ્મ હતી, અને ગયા સપ્તાહે જેમનું ૭૭ વર્ષે અવસાન થયું, તે ગીતકાર યોગેશે બખૂબી એ ભાવને આ ગીતમાં ઢાળ્યો હતો. રાજેશ ખન્નાને એકવાર તેના ગમતાં ગીત વિષે પૂછવામાં આવેલું, ત્યારે તેણે મુકેશે સ્વરબદ્ધ કરેલા આ ગીતને યાદ કર્યું હતું.

ફિલ્મમાં આમ ખુશમિજાજી આનંદ અંદરથી ભયભીત છે અને અધૂરી ઉમ્મીદોથી નાસીપાસ છે, તે આ ગીતમાં પ્રગટ થાય છે. ફિલ્મમાં જેમ ડો. ભાસ્કર બેનર્જી(અમિતાભ બચ્ચન)ને આનંદની સકારાત્મકતા પર ચીડ ચઢે છે, તેમ દર્શકોને પણ સતત એવું લાગે છે કે આનંદ સુખી હોવાનો ઢોંગ કરી રહ્યો છે, અને તે નકલી ભાવ એટલો કઠે છે કે આનંદ જ્યારે 'કહી દૂર જબ દિન ઢલ જાયે …' ગાય છે, ત્યારે દર્શક તરીકે આપણને પણ એક પરિચિત દુઃખને અનુભવીને 'હાશકારો' થાય છે.

યોગેશ ગૌડ ૧૬ વર્ષની ઉંમરે લખનૌથી મુંબઈ નસીબ અજમાવવા આવેલા. તેમના પિતા ધાન સિંહ ગૌડ એન્જીનિયર હતા. યોગેશ કોલેજમાં હતા, ત્યારે જ પિતાનું અવસાન થઇ ગયું, અને ઘર ચલાવાની જવાબદારી યોગેશ પર આવી ગઈ. તેમનો એક કાકા-ભાઈ બજેન્દ્ર ગૌડ મુંબઈમાં પટકથા લેખક હતો, તેની તેમણે મદદ માગી, પણ એમાં ઉપેક્ષા થઇ એટલે યોગેશે જાતે જ કામ શોધવાનું ચાલુ કર્યું. તેમને કવિતાઓ લખવાનો શોખ હતો, અને એમાં તેમની મુલાકાત સંગીત નિર્દેશક રોબિન બેનર્જી સાથે થઇ, અને એક વર્ષ આંટાફેરા માર્યા પછી, ૧૯૬૨માં રોબિનજીની એક ફિલ્મ 'સખી રોબિન'માં તેમણે છ ગીતો લખ્યાં. તેનું એક ગીત 'તુમ જો આઓ તો પ્યાર આ જાયે' મન્નાડેના અવાજમાં લોકપ્રિય થયું. આ ફિલ્મમાં એક ગીતના ૨૫ રૂપિયા લેખે તેમને ૨૫૦ રૂપિયા મળ્યા હતા.

એ પછી છ-સાત વર્ષ સુધી યોગેશ નાની-નાની ફિલ્મોમાં ગીતો લખતા રહ્યા, પણ એમાં ખાસ ગજ ના વાગ્યો. તેમના ભાગ્યનું પાંદડું ફર્યું 'આનંદ' ફિલ્મથી. તેઓ ગાયક કલાકાર સવિતા બેનર્જી મારફતે સુપ્રસિદ્ધ સંગીતકાર સલિલ ચૌધરીના સંપર્કમાં આવ્યા (પાછળથી સવિતા અને સલિલ'દા પતિ-પત્ની બન્યાં હતાં). કવિ શૈલેન્દ્રનું અવસાન થયું હતું એટલે સલિલ ચૌધરી નવા ગીતકારની તલાશમાં હતા. તેમણે યોગેશ પાસે ગીતો લખાવ્યાં અને તેમને તે પસંદ આવ્યાં.

સલિલ'દાએ તે વખતે બાસુ ભટ્ટાચાર્યની એક ફિલ્મ માટે યોગેશ પાસે ત્રણ ગીતો લખાવ્યાં હતાં અને મુકેશના સ્વરમાં રેકોર્ડ કર્યા હતાં. બદનસીબે એ ફિલ્મ ના બની અને એલ.બી. લક્ષ્મણ નામના ફિલ્મ નિર્દેશકે (અનાડી, અસલી-નકલી, બુઢ્ઢા મિલ ગયા) એ ત્રણે ગીતો ખરીદી લીધાં. યોગેશે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, “દાદા(સલિલ ચૌધરી)એ મને એમના ઘરે બોલાવીને એક ધૂન આપી, અને કહ્યું કે ગીત બનાવ, અને પોતે ચાલવા જતા રહ્યા. એમાં હું ધૂન ભૂલી ગયો. હવે લખું કેવી રીતે? ડરનો માર્યો હું ત્યાંથી ભાગી છૂટ્યો અને બસ પકડવા જતો હતો કે મને ધૂન યાદ આવી. હું પાછો દાદાના ઘરે આવ્યો અને ગીત લખ્યું. દાદાને એ ગમી ગયું.”

ઋષિકેશ મુખર્જી ત્યારે 'આનંદ' ફિલ્મ બનાવી રહ્યા હતા અને તેમણે જ્યારે આ ગીતો સાંભળ્યા તે બે ગીતોથી બહુ પ્રભાવિત થયા. તેમને લાગ્યું કે આ ગીતોના બોલ, મુકેશનો અવાજ તેમના 'આનંદ' માટે એકદમ બંધબેસતો છે. તેમણે એલ.બી. લક્ષ્મણને કહ્યું કે મને આ બે ગીતો આપી દો. લક્ષ્મણે કહ્યું કે બે ના મળે! કોઈ એક પસંદ કરો. ઋષિકેશે એમાંથી જે ગીત પસંદ કર્યું તે 'કહી દૂર જબ દિન ઢલ જાયે …' બીજું ગીત લક્ષ્મણે જયા ભાદુરી-અનિલ ધવનની ફિલ્મ 'અન્નદાતા' (૧૯૭૨) લીધું; નૈના હમારે સાંજ સકારે, દેખેં લાખો સપને … સચ યે કહીં હોગે યા નહીં, કોઈ જાને ના યહાં

'કહી દૂર જબ દિન ઢલ જાયે …' ગીત યોગેશ માટે હુકમનો એક્કો સાબિત થયું. આમ બહુ સાધારણ ગીત હતું, પરંતુ 'આનંદ'ની અસાધારણ કહાનીના કારણે એમાં ચાર ચાંદ લાગી ગયા. પૂરા ગીતમાં હિરો આનંદ માત્ર એટલો જ ભાવ વ્યક્ત કરે છે કે તે કોઈકને ખૂબ જ યાદ કરી રહ્યો છે. કોને? ખબર નથી. છતાં વિરહનો એ ભાવ આ ગીતમાં સુંદર રીતે વ્યક્ત થાય છે; 'તભી મચલ કે, પ્યાર કે ચલ કે, છુએ કોઈ મુજે પર નજર ના આયે' અને 'કહીં તો યે, દિલ કભી, મિલ નહીં પાતે, કહીં સે નિકલ આયે, જનમો કે નાતે.'

મજાની વાત એ છે કે આ ફિલ્મ હિરોઈન વગરની છે. રાજેશ ખન્ના, જે સૌથી મોટો રોમેન્ટિક સુપરસ્ટાર હતો, તેની જે સળંગ ૧૭ હીટ ફિલ્મો આવી હતી, તેમાં 'આનંદ' તદ્દન બિન-રોમેન્ટિક હતી, અને છતાં તે બેસ્ટ ફિલ્મનો નેશનલ એવોર્ડ તેમ જ બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એકટર, બેસ્ટ સપોર્ટીંગ એકટર, બેસ્ટ ડાયલોગ, બેસ્ટ એડિટીંગ અને બેસ્ટ સ્ટોરીનો ફિલ્મફેર એવોર્ડ જીતી ગઈ હતી. રાજેશ ખન્ના તોતિંગ સ્ટાર તો હતો જ, પણ એક્ટરે ય ઉત્તમ હતો. એ ઋષિ'દા જેવા મધ્યમ-કક્ષાની, પણ અત્યંત સંવેદનશીલ ફિલ્મોના સર્જકો સાથે તેનું સ્ટારડમ પડતું મૂકીને ફિલ્મો કરતો હતો. ‘આનંદ’ ફિલ્મ તેણે માત્ર ૭ લાખમાં કરી હતી, જ્યારે તેની ફી પચીસેક લાખની આસપાસ હતી. એ જ કારણ હતું કે તેનો પસંદીદા ગાયક કિશોર કુમાર હતો, પણ ઋષિ'દાના કહેવાથી જ તેણે મુકેશનું આ ગીત ફિલ્મમાં લેવા દીધું હતું. આ એક ગીતમાં આનંદની વ્યથાની સાથે બાકીના પાત્રોના ભાવનાત્મક સંબંધનું ઊંડાણ છતું થઇ ગયું.

“જો દેખતા થા, જો જીતા થા, વોહી લિખા હૈ,” યોગેશે બે વર્ષ પહેલાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું. ‘કહીં દૂર જબ દિન ઢલ જાયે …’ વ્યથાનું ગીત હતું અને યોગેશ તેમના ઘરની બાલ્કનીમાં બેસીને સૂર્યાસ્ત જોતા હતા, તેના અનુભવમાંથી તે આવ્યું હતું. એમણે કહ્યું હતું, “હું હંમેશાં મારી આજુબાજુના લોકો પર ગીતો લખતો હતો. એમનાથી દૂર જઈને કેવી રીતે લખું?” ‘આનંદ’માં તેમનું બીજું એક ગીત પણ મશહૂર થયું હતું, જે અત્યંત સરળ રીતે લખાયું હતું : જિંદગી કૈસી હૈં પહેલી, હાય .. કભી તો હંસાએ, કભી યે રુલાયે.

આ ગીત ફિલ્મની કહાનીનો હિસ્સો ન હતું. ઋષિ’દા તેને ફિલ્મના ટાઈટલ પડે, ત્યારે થીમ-સોંગ તરીકે બેકગ્રાઉન્ડમાં રાખવા માંગતા હતા. રાજેશ ખન્નાએ તે સાંભળ્યું, તો તેને એ બહુ ગમી ગયું અને તેણે ઋષિકેશ મુખર્જીને વિનંતી કરી કે આ ગીત માટે કહાનીમાં કોઈક પ્રસંગ ઊભો કરો, એટલા સરસ ગીતને આવી રીતે વેડફી ના દેવાય. તે વખતે ફિલ્મનો હિસ્સો ના હોય, તેવાં ગીતો રેડીઓ પર વાગતાં ન હતાં, એટલે રાજેશના હૈયામાં ફિલ્મની લોકપ્રિયતાની હિત પણ વસેલું હતું. એ સૂચનના આધારે ઋષિ’દાએ પ્રસંગ રચ્યો, જેમાં આનંદ દરિયા કિનારે મસ્તફકીરની જેમ ચાલે છે, આકાશમાં બલૂન ઊડે છે અને પાછળ આ ગીત વાગે છે : જિન્હોને સજાયે યહાં મેલે, સુખ-દુઃખ સંગ ઝેલે … વો હી ચુનકર ખામોશી, યું ચલ ગયે અકેલે, કહાં? ફિલ્મનો જે ભાવ હતો, તે આ ગીતમાં પણ ઝીલાયો હતો. ફિલ્મમાં જોની વોકરનું પાત્ર મુરારી લાલ ઉર્ફે ઈસાભાઈ સુરતવાલા કહે છે, “મરતે મરતે ચેલા ગુરુ કો જીના સીખા ગયા. દુઃખ અપને લિયે રખ, આનંદ સબ કે લિયે.”

ઋષિકેશ મુખર્જીએ એક જાપાનીસ ફિલ્મ જોઈ હતી અને તેમને તેની વિષયવસ્તુ એટલી પસંદ આવી કે તેમણે તેના આધારે ‘આનંદ’ જ નહીં, જયા ભાદુરીને કેન્દ્રમાં રાખીને ૧૯૭૫માં ‘મિલી’ બનાવી હતી. ‘મિલી’માં પણ યોગેશ સર્વકાલીન મધુર ગીત લઈને આવ્યા, જેમાં હીરો શેખર દયાલ(અમિતાભ બચ્ચન)ની એકલતા અને ખુદનું જ અજાણ્યાપણું છલોછલ બહાર આવ્યું હતું : બડી સુની સુની હૈ, જિંદગી યેહ જિંદગી, મેં ખુદ સે યહાં, અજનબી અજનબી. તેને યોગાનુયોગ કહેવાય કે શું કહેવાય તે ખબર નથી, પણ બંને ફિલ્મોમાં ભાવનાત્મક રીતે ચકનાચૂર થઇ ગયેલા અમિતાભને આનંદ અને મિલી ઠંડક પહોંચાડે છે. અમિતાભની એ અતિસંવેદનશીલતા જ તેને સુપરસ્ટારડમ તરફ લઇ ગઈ.

યોગેશનાં શ્રેષ્ઠ દસ ગીતોની યાદી બને, તો ઉપર જે વાતો કરી, તે ત્રણ ગીતો પહેલા ત્રણ નંબરે આવે. બાકીનાં સાત આ પ્રમાણે છે :

૪. રિમ ઝિમ ગીરે સાવન, સુલગ સુલગ જાયે મન … ભીગે આજ ઇસ મૌસમ મેં, લાગી કૈસી એ અગન (મંઝિલ)

૫. રજનીગંધા ફૂલ તુમ્હારે, મહેકે યુહી જીવન મેં … જૈસે મહેકે પ્રિત પિયા કી, મેરે અનુરાગી મન મેં (રજનીગંધા)

૬. જાનેમન જાનેમન તેરે દો નયન, ચોરી ચોરી લેકે ગયે દેખો મેરા મન (છોટી સી બાત)

૭. ન બોલે તુમ, ન મૈને કુછ કહા, મગર ન જાને એસા કયું લગા (બાતો બાતો મેં)

૮. મૈને કહા ફૂલો સે, હંસો તો વો ખિલ ખિલા કે હંસ દિયે (મિલી)

૯. ઊઠે સબ કે કદમ, તરા રમ-પમ-પમ, અજી એસે ગીત ગાયા કરો (બાતો બાતો મેં)

૧૦. કોઈ રોકો ના, દીવાને કો, મન મચલ રહ, કુછ ગાને કો (પ્રિયતમા)

… અને છેલ્લે યોગેશના એક બિન–ફિલ્મી ગીતના શબ્દો, જે કદાચ તેમની સંઘર્ષપૂર્ણ ફિલ્મ કારકિર્દીનું પ્રતિક છે :

જિંદગી એક બાર ફિર મિલના, ઇસ દફા તુજ કો પ્યાર કર ના સકે

તેરા દામન ખુશી સે ભર ના સકે, તુજ કો કહ ભી ના સકે હમ અપના

પ્રગટ : ‘બ્લોકબસ્ટર’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાતી મિડ-ડે”, 06 જૂન 2020

Loading

...102030...2,2932,2942,2952,296...2,3002,3102,320...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved