Opinion Magazine
Number of visits: 9456391
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વર્ડઝવર્થનું ‘ડેફોડિલ્સ’ એટલે પ્રકૃતિ અને જીવનના અનુબંધનો ઉઘાડ

સોનલ પરીખ|Opinion - Opinion|5 March 2025

અંકુરિત થવું, ખીલવું અને ખરી જવું : ઉત્પત્તિ અને લય બંનેનું રહસ્ય સમજાવી જાય છે ફૂલો અને ફૂલોની ઋતુ – અંતરની આંખો ઉઘડે અને એકાંતના ભવ્ય વરદાનને માણતાં શીખી શકાય તો સમજાય કે પ્રકૃતિ આપણા માટે આશ્રય છે, આશ્વાસન પણ, આરામ પણ અને વિરામ પણ; કારણ કે આપણે પ્રકૃતિનાં જ સંતાન છીએ    

દ્રુમા: સપુષ્પા: સલિલં સપદ્મં, સ્ત્રિય: સકામા: પવન: સુગંધિ: । 

સુખા: પ્રદોષા દિવસાશ્ચ રમ્યા:, સર્વં પ્રિયે ચારુતરં વસંતે ।। 

(હે પ્રિયે, સર્વનું પ્રિય કરનાર વસંતનાં આગમનથી વૃક્ષો પુષ્પોવાળા બન્યાં છે, સરોવર કમળોવાળા બન્યાં છે, સ્ત્રીઓ કામનાવાળી બની છે, પવન સુગંધવાળો બન્યો છે, દિવસ રમ્ય બન્યો છે અને સાંજ સુખમય બની છે) 

આ સુંદર પંક્તિ કાલિદાસના પ્રારંભના સર્જન ઋતુસંહારની છે. સંહાર એટલે સમૂહ. ગીતિકાવ્ય ‘ઋતુસંહાર’ ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત, શિશિર અને વસંત એમ છ ઋતુઓનું અનુપમ વર્ણન કરતી એક સુંદર કૃતિ છે. 

વસંત એટલે શિયાળા અને ઉનાળા વચ્ચે આવતી ઋતુ. ઉત્તર ગોળાર્ધમાં માર્ચ, એપ્રિલ, મે અને જૂનના પ્રારંભિક દિવસોમાં અને દક્ષિણ ગોળાર્ધમાં સપ્ટેમ્બરના અંતભાગથી શરૂ થઈને ડિસેમ્બરની શરૂઆત સુધી વસંત ઋતુ હોય છે. ભારતમાં મહા-ફાગણ (ફેબ્રુઆરી-માર્ચ) માસમાં વસંતઋતુ હોય છે. દિવસના પ્રકાશના વધતા કલાકો, ખુશનુમા આબોહવા, મહોરી ઊઠતી કુદરત, ખીલતાં ફૂલોની શોભા અને સ્ફૂર્તિમય બનતું માનવમન. આવી વસંતઋતુનો ઉત્સવ કેમ ન ઉજવાય? ભારતમાં વસંતપંચમી સૌથી શુભ દિવસોમાંનો એક ગણાય છે. ‘લલિત લવંગ લતા પરિશીલન કોમલ મલયસમીરે’ જેવી મધુર પંક્તિઓ આપનાર ‘વસંત વિલાસ’ અને અન્ય મધ્યકાલીન ફાગુકાવ્યો વસંતવર્ણન નિમિત્તે જીવનનો ઉલ્લાસ અને શૃંગારરસની નિષ્પત્તિ સાધે છે.

ભારતમાં પણ વસંતનો આટલો મહિમા છે તો યુરોપમાં કાતિલ શિયાળા પછી આવતી હૂંફાળી વસંતઋતુનું અને મહિનાઓ સુધી પથરાયેલી બરફની ચાદરો પીગળ્યાં પછી ખીલતાં ફૂલોનું કેટલું મહત્ત્વ હશે! આ સંદર્ભે પ્રશિષ્ટ કવિ વિલિયમ વર્ડઝવર્થનું કાવ્ય ‘ડેફોડિલ્સ’ યાદ કરવાનું ગમે. 

વિલિયમ વર્ડઝ્વર્થ

વર્ડઝવર્થ અને કોલરિજ રોમેન્ટિક કવિતાના જનક ગણાય છે. તેમનાં ‘લિરિકલ બૅલડ્ઝ’ (1798) દ્વારા ઇંગ્લૅન્ડમાં કવિતામાં રોમૅન્ટિક આંદોલનની શરૂઆત થઈ. વિલિયમને ત્રણ ભાઈ અને એક બહેન હતાં. પિતા બહાર ફરતા રહેતા. માતા દ્વારા બાળકોને વાંચનની ટેવ કેળવાઈ. વિલિયમ આઠ વર્ષના હતા ત્યારે માતાનું અને ત્યાર પછી પાંચ વર્ષે પિતાનું અવસાન થયેલું. માતાના મૃત્યુ પછી એકની એક બહેન ડોરોથીથી જુદા રહેવાનું થયું. જે પ્રેમ અને હૂંફ તેઓ ઝંખતા હતા તે તેમને પ્રકૃતિએ ભરપેટ પૂરાં પાડ્યાં. એકાંત જ તેમનું કુટુંબ બન્યું, મિત્ર બન્યું. 

વર્ડઝવર્થને ‘વૉકિંગ ટૂર’ લઇ સુંદર પ્રાકૃતિક સ્થાનો પર જવાનું ગમતું. 1790માં આ રીતે એક મિત્ર સાથે ફ્રાન્સ, ઇટાલી, સ્વિટ્ઝર્લૅન્ડ અને જર્મનીનો પગપાળા પ્રવાસ કર્યો. લગભગ ત્રણ વર્ષ સુધી વર્ડ્ઝવર્થને ન હતું પોતાનું ઘર કે ન હતી કોઈ સ્થાયી આમદાની. રિવોલ્યુશનરી ફ્રાન્સના તેઓ ચાહક હતા, પણ એમનો એ ભ્રમ પણ ભાંગી ચૂક્યો હતો. જીવનમાં ઘોર નિરાશા વ્યાપી હતી. આ સમયે વિલિયમ ગૉડવિનના ‘પૉલિટિકલ જસ્ટિસ’ નામના પુસ્તકના વિચારોએ તેમના મનને ઘેરી લીધું. 

વર્ડ્ઝવર્થ, કૉલરિજ અને રૉબર્ટ સધે ‘લેક પોએટ્સ’ તરીકે જાણીતા છે. 1799ના ડિસેમ્બરમાં ડોરોથી અને વર્ડ્ઝવર્થ લેક ડિસ્ટ્રિક્ટમાં આવ્યાં અને ગ્રાસમિયરના ‘ડવ કૉટેજ’માં સ્થાયી થયાં. વિલિયમે ડોરોથીની પ્રિય સખી મેરી હચિન્સસન સાથે લગ્ન કર્યું. ‘ડવ કૉટેજ’માં વર્ડ્ઝવર્થનાં ત્રણ બાળકોનો જન્મ થયો હતો. આજે આ કોટેજમાં વર્ડઝવર્થ મ્યુઝિયમ છે. 

કવિનો ઉત્તમ સર્જનકાળનો દશકો 1796થી 1806નો હતો. ‘ડેફોડિલ્સ’ કાવ્ય 1802માં રચાયેલું. છ પંક્તિનો એક એવા ચાર અંતરામાં લખાયેલું આ કાવ્ય કલ્પનાની નહીં, ‘એક્ચુઅલ વિઝ્યુલઆઇઝેશન’ની નીપજ છે. તે વખતે તેઓ બહેન ડોરોથી સાથે લેક ડિસ્ટ્રિક્ટના ઉલ્સવોટરમાં ફરી રહ્યા હતા. સામે દૂર દૂર સુધી કુદરતની શાંત શોભા વિસ્તરેલી હતી. જલાશયના શાંત પાણીમાં પહાડોનાં શિખર ડોકાઈ રહ્યાં હતાં. કિનારા પર લાંબે સુધી ફેલાયેલો ડેફોડિલ્સ ફૂલોનો પહોળો પટ્ટો હતો. સુંદર પીળા રંગનાં, સૂર્યનાં કિરણોમાં ચમકતાં અને પવનની લહેરોમાં નૃત્ય કરતાં હજારો ડેફોડિલ્સ ખૂબ આકર્ષક દૃશ્ય સર્જતાં હતાં. 

ડેફોડિલને ટ્રમ્પેટ નાર્સીસસ પણ કહેવામાં આવે છે. આ ફૂલો ઉત્તર યુરોપના વતની છે અને ત્યાં તેમ જ ઉત્તર અમેરિકામાં વ્યાપકપણે ઉગાડવામાં આવે છે. જો કે આ ફૂલોનો ઉલ્લેખ અમુક ઈરાનિયન કાવ્યોમાં પણ અને ઈ.સ. પૂર્વેની રચનાઓમાં પણ મળે છે. ખૂલેલી છ પાંખડી અને વચ્ચે ઘંટડીના આકારની ઝીણી ઝાલરવાળી ગોળ પાંખડી ધરાવતાં મૂળ પીળા રંગના આ ફૂલો હવે સફેદ, ગુલાબી અથવા નારંગી રંગના પણ જોવા મળે છે. 14થી 16 ઈંચના સુંદર છોડની ટોચે આ ફૂલો ખીલે છે. 

કવિ કહે છે, ‘વેલ્સની ટેકરીઓ ઉપર તરતા વાદળની જેમ હું એક્લવાયો ફરતો હતો ત્યાં અચાનક દેખાયાં આનંદભર્યાં, મારું સ્વાગત કરતાં હોય એવાં હજારો સોનેરી ડેફોડિલ્સ પુષ્પો. જલાશયની બાજુમાં વૃક્ષોની ઘટાની નીચે ઝૂમતાં, પ્રસન્ન નર્તન કરતાં ડેફોડિલ્સની એ દીર્ઘ પહોળી પંક્તિ એવી લાગતી હતી જાણે આકાશગંગાના તેજસ્વી તારાઓ. દસેક હજારને હું માંડ મારી આંખોમાં સમાવી શક્યો છું, પણ એ સુદીર્ઘ પુષ્પપંથનો કોઈ અંત નથી. બાજુના જલાશયની ચમકતી લહેરોનું તેજ પણ ડેફોડિલ્સને કારણે જાણે વધી ગયું છે. હું કવિ – શું કરી શકું, આ ધન્ય મૈત્રીપૂર્ણ દૃશ્યથી ચકિત થાઉં છું, આનંદિત થાઉં છું અને જોયા કરું છું – બસ, જોયા જ કરું છું. ખરેખર શું પામ્યો તે કહી શકતો નથી. પણ ઘણીવાર, જ્યારે હું ઉદાસ હોઉં છું, એક ખાલીપણું મને ઘેરી વળ્યું હોય છે એવાં સમયે મારી અંદરની આંખો સામે એક ઝબકારની જેમ એ સુંદર દૃશ્ય ચમકી જાય છે. મસ્તીમાં ડોલતાં એ ડેફોડિલ્સ જોતાં મારું એકાંત વરદાન જેવું બની જાય છે ને મારું હૃદય હળવું અને પ્રસન્ન થઈ ડેફોડિલ્સની સાથે નાચી ઊઠે છે.’ 

વર્ડઝવર્થની સૌથી વધુ વિવેચન-પ્રશંસા પામેલી કૃતિ એ તેમનું દીર્ઘકાવ્ય ‘ધ પ્રિલ્યુડ’ છે. આ કાવ્ય પર તેમણે તેમના સમગ્ર જીવન દરમિયાન કામ કર્યું હતું અને તે મરણોત્તર પ્રકાશિત થયું હતું. પણ વર્ડઝવર્થની સૌથી જાણીતી અને સૌથી વધુ વંચાયેલી કૃતિ એ તેમનું 24 પંક્તિનું સાદું કાવ્ય ‘ડેફોડિલ્સ’ છે. સૌંદર્યની એક ક્ષણ કેવી રીતે શાશ્વત બની જાય છે તેની અનુભૂતિ આ કાવ્ય આપે છે. જીવન પણ આવું જ નથી? ભંગુરતા અને અમરત્વ, ક્ષણ અને શાશ્વત એમાં સાથે સાથે નથી વસતાં? રોબર્ટ હેરિક નામના કવિએ એક કાવ્ય લખ્યું છે જેમાં તે ડેફોડિલ્સને સંબોધીને કહે છે કે તમે આટલાં ઉતાવળાં કેમ છો? હજી તો બપોર પણ નથી પડી અને કરમાવા કેમ લાગ્યાં છો? કમ સે કમ સાંજ પડે ત્યાં સુધી તો રોકાવું હતું તો સાંધ્યપ્રાર્થના કરીને અમે પણ તમારી સાથે જ આવત … દેખીતું છે કે આ જીવનના મધ્યાહન અને સાંજની વાત છે. પન્ના નાયક કહે છે, ‘વાસંતી સવારે પ્રફુલ્લિત ડેફોડિલ્સ લહેરાતાં હોય ત્યારે બારીમાંથી પ્રવેશી કુમળો તડકો આંખ બંધ કરી દે એમ જ નીરવ પગલે આવે મૃત્યુ’ અને મકરંદ દવે કહે છે, ‘એક ખૂણે આ આયખું નાનું, કેવું વીતી જાય મજાનું, કોઇનું નહીં ફરિયાદી ને કોઇનું નહીં કાજી, ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.’ જીવન અને મરણ બંનેનું રહસ્ય સમજાવી જાય છે ફૂલો અને ફૂલોની ઋતુ – વસંત પર લખાયેલાં અનેક કાવ્યો એની સાક્ષી પૂરે છે. 

‘ડેફોડિલ્સ’ની પંક્તિથી જ વિરમીએ : ‘ધે ફ્લેશ ઓન ધેટ ઇનવર્ડ આઈ વિચ ઈઝ ધ બ્લિસ ઑફ સોલિટ્યૂડ’ અંતરની આંખો ઉઘડે અને એકાંતના ભવ્ય વરદાનને માણતાં શીખી શકાય તો સમજાય કે પ્રકૃતિ આપણા માટે આશ્રય છે, આશ્વાસન પણ, આરામ પણ અને વિરામ પણ; કારણ કે આપણે પ્રકૃતિનાં જ સંતાન છીએ.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 02 ફેબ્રુઆરી  2025

Loading

મારો ન્યાય, સરળ અને સમજાય તેવી મારી ભાષામાં

ચંદુ મહેરિયા|Opinion - Opinion|4 March 2025

ચંદુ મહેરિયા

આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન રસ્મ-અદાયગી નિભાવતો આવ્યો અને ગયો.  આ વરસ તેની સિલ્વર જ્યુબિલી કહેતાં પા સદીનું છે. માતૃભાષા દિવસની પહેલી પચીસીના રજત વરસની થીમ વૈશ્વિક સ્તરે અધિક સમાવેશી અને ટકાઉ વિશ્વના નિર્માણ માટે ભાષાની વિવિધતા પર પ્રગતિમાં ગતિ આણવાની આવશ્યકતા છે. મૂળે તો વિભાજન પૂર્વેના પાકિસ્તાનના બંગભાષીઓએ બંગાળી ભાષાના અસ્તિત્વને ટકાવવા કરેલા દીર્ઘ ભાષા આંદોલનની સ્મૃતિનો આ દિવસ છે. ૨૧મી ફેબ્રુઆરી ૧૯૫૨ના રોજ ઢાકા યુનિવર્સિટીના છાત્રો અને લોકોએ માતૃભાષા બંગાળીના રક્ષણ માટે આદરેલી લડત સામેના સરકારી દમનમાં ૧૬ લોકો શહીદ થયા હતા. તેની સ્મૃતિમાં ૨૦૦૦ના વરસથી આખી દુનિયામાં એકવીસમી ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે મનાવાય છે. રાષ્ટ્રીય અવકાશનો ઓણનો માતૃભાષા દિવસ બાંગ્લાદેશે તેની ભાષાકીય ઓળખને બદલે ધાર્મિક ઓળખને પ્રાધાન્ય આપતા બદલાયેલા રાજકીય માહોલમાં કઈ રીતે ઉજવ્યો હશે? ન જાને. 

૨૦૨૨થી ૨૦૩૨નો દાયકો સ્વદેશી ભાષાઓના દાયકા તરીકે મનાવવાની નેમ ધરાવતા સંયુક્ત રાષ્ટ્રસંઘને એ વાતે ચિંતા છે કે વિશ્વમાં દર બે અઠવાડિયે એક ભાષા વિલુપ્ત થઈ જાય છે. તેથી વિશ્વ એક સાંસ્કૃતિક અને બૌદ્ધિક વારસો ગુમાવે છે. શિક્ષણના માર્ગમાં ભાષા અવરોધક ન બનવી જોઈએ. પણ ખરેખર એવું છે ખરું? ‘યુનેસ્કો’નું કહેવું છે કે દુનિયાની બાળવસ્તીના ચાળીસ ટકા બાળકોને તેઓ જે ભાષા બોલે છે તે ભાષામાં શિક્ષણ પ્રાપ્ત કરવાની સુવિધા મળતી નથી. એટલે માતૃભાષામાં શિક્ષણ એટલે ખરેખર કઈ માતૃભાષા અને કોની માતૃભાષા તે પણ લાખેણો સવાલ છે. ઓડિશાની કેવળ છ જ જનજાતિ ભાષાઓને લિપિ છે. આવું ઘણી આદિવાસી ભાષાઓમાં છે. એટલે તે વર્ગ સાહિત્ય અને શિક્ષણની સામગ્રીની પહોંચથી વંચિત રહે છે. 

૨૦૨૨માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્ય મંત્રીઓ અને વડી અદાલતોના ન્યાયાધીશોની પરિષદમાં વડી અદાલતોને તેના વિવિધ કામો સ્થાનિક ભાષામાં કરવા અપીલ કરી હતી. ન્યાયનો આધાર જો સુરાજ હોય તો ન્યાય જનતાની ભાષા સાથે જોડાયેલો હોવો જોઈએ તેવી વડા પ્રધાનની વાત સાથે કોણ અસંમત થશે, ભલા? આ સંમેલનમાં તત્કાલીન સી.જે.આઈ. એન.વી. રમન્નાએ પણ અદાલતોનું કામકાજ સ્થાનિક ભાષામાં કરવાનું જરૂરી તો માન્યું જ હતું પણ આગળ વધીને તેમણે ન્યાય પ્રણાલીનું દેશીકરણ કે ભારતીયકરણ થાય તેવી ઈચ્છા જાહેર કરી હતી. ન્યાયપાલિકા અને વિધાયિકા બંને રાજ્યોની વડી અદાલતોની ન્યાયિક પ્રક્રિયા રાજ્યોની રાજભાષામાં થવી જોઈએ તેમ સ્વીકારતી હોય તો પછી મારો ન્યાય, મારી ભાષામાં એવા અભિયાનોની જરૂર શું છે? 

આપણા દેશની તાલુકા અને જિલ્લા અદાલતોની કામગીરી તો સ્થાનિક ભાષામાં ચાલે છે પરંતુ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની કામગીરી અંગ્રેજીમાં અને માત્ર અંગ્રેજીમાં જ ચાલે છે. અદાલતોની કામગીરી અને ચુકાદાની મોટી સામાજિક, રાજકીય, આર્થિક  અસરો હોય છે. જો તે લોકોની ભાષામાં ન હોય તો દેશની બહુમતી જનતા તે સમજી શકતી નથી. કાયદાની અને અદાલતોના ચુકાદાની ભાષા પોતે કરીને જ આમ આદમીની સમજની બહારની વસ્તુ હોય ત્યારે જો તે અંગ્રેજીમાં જ હોય તો તે કાળા અક્ષર ભેંસ બરાબર જ બની રહે છે. જો લોકોને કાયદાની  કે અદાલતના ચુકાદાની ભાષા જ ન ઉકેલાય તો તેના અમલની આશા કેમ રાખી શકાય ? 

કેન્દ્ર સરકારે કાયદાઓને સરળ કરવા ઉપરાંત તેને લોકોપયોગી બનાવવા કાયદાકીય પારિભાષિક અને ટેકનિકલ શબ્દો બાદ કરીને જનતાને સમજાય તેવી સરળ અને સહજ ભાષાની આવૃત્તિઓ બનાવવા પ્રયાસો શરૂ કર્યા છે. પરંતુ અદાલતો તે બાબતમાં હજુ પ્રગતિ સાધી શકી નથી. હવે એ.આઈ.(આર્ટિફીસિયલ ઈન્ટેલિજન્સ)ની મદદથી ચુકાદાના અનુવાદનું કાર્ય હાથ ધરાયું છે. પરંતુ મૂળ ચુકાદા તો અંગ્રેજીમાં જ રહેશે.

પોલીસ એફ.આઈ.આર. એટલે ગુનાનો પ્રથમ દર્શનીય અહેવાલ સ્થાનિક ભાષામાં લખે છે. પોલીસ તપાસ પણ સ્થાનિક ભાષામાં થાય છે. સુનાવણી દરમિયાન આરોપી, ફરિયાદી અને સાક્ષીની જુબાની સ્થાનિક ભાષામાં લેવાય છે, પરંતુ વકીલોની દલીલો અંગ્રેજીમાં થાય છે. પિટિશનથી માંડીને કેસ સાથેના આધારો,  પુરાવા, દસ્તાવેજો જો સ્થાનિક ભાષામાં હોય તો તેનો અંગ્રેજી અનુવાદ કરાવવો પડે છે. વળી ન્યાયિક કાર્યવાહી અને ચુકાદા અંગ્રેજીમાં હોય સામાન્ય માણસને કશી ખબર પડતી નથી. તેને અંગ્રેજી જાણતા વ્યક્તિ કે વકીલ જેટલું સમજાવે તેટલું તે સમજે છે. ખરેખર આ અરજદાર અને આરોપી બંને સાથે અન્યાય છે.

વડી અદાલતોની ન્યાયિક કાર્યવાહી અંગ્રેજીમાં હોય છે તે તો સવાલ છે જ એથી પણ વધુ મોટો સવાલ કાયદાની અને ચુકાદાની ભાષાનો છે. ખુદ અદાલતની ભાષા જ ન્યાયના કઠેડામાં ઊભી હોય તેવી સ્થિતિ છે. થોડા સમય પૂર્વે જ સર્વોચ્ચ અદાલતના બે ન્યાયાધીશોની પીઠે એક રાજ્યની વડી અદાલતનો ચુકાદો માથું દુખાડનારો ગણાવ્યો હતો. ચુકાદાની ભાષા એટલી તો ક્લિષ્ટ હતી કે જજસાહેબે કહેવું પડ્યું કે આ જજમેન્ટ વાંચ્યા પછી મારે બામ ઘસવી પડી હતી. સુપ્રીમે આ ચુકાદા સંદર્ભે એવી લિખિત ટિપ્પણી કરી હતી કે આ ચુકાદામાં સાચી અને સહજ ભાષાનો પ્રયોગ ન થવાથી ન્યાયનો હેતુ  જ માર્યો ગયો છે. ચુકાદાએ ન્યાયના ઉદ્દેશને જ ક્ષતિ પહોંચાડી છે.  એટલે મારો ન્યાય મારી ભાષામાં તો ખરો જ પરંતુ મને સમજાય તેવી સરળ અને સહજ ભાષામાં પણ હોવો જોઈએ. 

ભારતીય બંધારણના ચેપ્ટર ૩(લેંગ્વેજ ઓફ ધ સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટસ)ના આર્ટિકલ ૩૪૮માં સંસદ કાયદા દ્વારા ફેરફાર ના કરે ત્યાં સુધી સર્વોચ્ચ અદાલત, વડી અદાલતોની કાર્યવાહી અંગ્રેજીમાં થશે તેવી જોગવાઈ છે. આ જોગવાઈ પંદર વરસ સુધી જ હતી. પરંતુ હજુ તેમાં ફેરફાર થતો નથી. ૨૦૨૨માં વડા પ્રધાન અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બંને સ્થાનિક ભાષામાં અદાલતી કાર્યવાહીની આવશ્યકતા સ્વીકારે છે. પરંતુ અમલની દિશામાં કોઈ આગળ વધતું નથી. કહે છે કે ૧૯૬૫માં સુપ્રીમ કોર્ટે ફેરફાર માટે સી.જે.આઈ.ની મંજૂરી અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટે એકાધિક વખત અનુચ્છેદ ૩૪૮(૨) હેઠળ હાઈકોર્ટની કામગીરી ગુજરાતીમાં થાય તેવી માંગણી કરતી જાહેર હિતની અરજીઓ ફગાવી દીધી છે. એટલે દડો કેન્દ્ર સરકારના દરબારમાં છે. 

સુપ્રીમ કોર્ટના શાહબાનુ ચુકાદાને કે તાજેતરમાં ઈલેકશન કમિશનરોની નિમણૂક માટેની સમિતિના સભ્યો અંગેના ચુકાદાને સરકારોએ ઘડીમાં પલટ્યા છે. તો સ્થાનિક ભાષામાં અદાલતી કાર્યવાહી પંદર વરસ પછી કાયદા દ્વારા સ્થાપિત કરી શકાય છે તે બાબતે તેનું વલણ કેમ આવું છે? 

દેશના ચાર રાજ્યોની હાઈકોર્ટસમાં અંગ્રેજી ઉપરાંત હિંદીનો ઉપયોગ થઈ રહ્યો છે. તમામ નહીં તો મહત્ત્વના ચુકાદાના સ્થાનિક ભાષામાં અનુવાદો ઉપલબ્ધ કરાવાય છે. આંરભે દેશની રાજભાષા હિંદી વડી અદાલતો અપનાવે અને ધીરે ધીરે રાજ્યોની રાજભાષા તરફ વળે તો મારી ભાષામાં મારો ન્યાય વિલંબથી ય શક્ય બનશે, પણ આંટીઘૂંટીભરી અને ક્લિષ્ટને બદલે સહજ, સરળ અને સમજાય તેવી ભાષામાં ન્યાય ઉપલબ્ધ થાય તે તેથી પણ વધુ કે તેના બરાબર જરૂરી છે. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

સોક્રેટિસ ઉવાચ-૫ : પ્રખર હિંદુત્વવાદી અને સોક્રેટિસ વચ્ચેનો એક કાલ્પનિક સંવાદ

પ્રવીણ જ. પટેલ|Opinion - Opinion|4 March 2025

પ્રવીણભાઈ જે. પટેલ

અહીં રજૂ કરેલ કાલ્પનિક સંવાદમાં, એક હિંદુત્વવાદી સોક્રેટિસ સાથે ચર્ચા કરે છે, જેમાં તે દલીલ કરે છે કે મુસ્લિમ શાસકોએ ભારત પર આક્રમણ કરીને તથા હિંદુ મંદિરોનો વિનાશ કરીને અમારા ઉપર જુલમ કર્યો હતો. વધુમાં તે જણાવે છે કે બ્રિટિશ સંસ્થાનવાદીઓએ તેમની ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિથી બંને કોમો વચ્ચેનું અંતર વધાર્યું હતું, જેનાથી હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે કાયમી તિરાડ ઊભી થઈ હતી અને ભારતના ભાગલા પડ્યા હતા. વળી તે કહે છે કે, આઝાદી પછી પણ ભારત સાંપ્રદાયિક હિંસાથી ત્રસ્ત છે. હિંદુત્વવાદીની વાત શાંતિથી અને સહાનુભૂતિપૂર્વક સાંભળીને સોક્રેટિસ એક સત્ય શોધક તરીકેની તેમની હંમેશની આદત મુજબ તેના આ બધા દાવાઓને તર્કબદ્ધ પ્રશ્નોત્તરી દ્વારા તપાસે છે. અને તેની માન્યતાઓની ઝીણવટથી સમીક્ષા કરવા તેને પ્રેરે છે.

•••••

પાર્શ્વ ભૂમિ : સ્વર્ગનો શાંત બગીચો. એથેન્સના ફિલસૂફ સોક્રેટિસ આરસની બેન્ચ પર બેઠા છે. અને, તાજેતરમાં જ સ્વર્ગે સિધાવેલ એક પ્રખર હિંદુત્વવાદી ત્યાં આવી ચડે છે.

સોક્રેટિસ : આવો, મારા મિત્ર. જ્યારે મૃત્યુલોકનો માનવી સ્વર્ગમાં આવે છે ત્યારે તે સામાન્ય રીતે નિશ્ચિંત હોય છે. પણ તમારી ઉપર કોઈ બોજો હોય એવું લાગે છે.

હિંદુત્વવાદી : (ગૌરવ સાથે) બોજો? બિલકુલ નહીં, સોક્રેટિસ! મારા લોકો, મારો ધર્મ, અને મારી સંસ્કૃતિને વિધર્મીઓથી બચાવવા માટે હું જીવ્યો છું એટલે મને સંતોષ છે.

સોક્રેટિસ : (હળવાશથી હસતાં) પોતાના લોકો, પોતાનો ધર્મ, અને પોતાની સંસ્કૃતિનો બચાવ એ તો ખરેખર એક ઉમદા કામ છે. પણ કોના તરફથી તમારી સંસ્કૃતિ ઉપર ખતરો હતો?

હિંદુત્વવાદી : (એકી શ્વાસે, પણ મક્કમતાથી) મુસ્લિમો, સોક્રેટીસ! મુસ્લિમો! સદીઓથી તેઓએ અમારા પર જુલમ કર્યો છે. તેઓએ અમારા ઉપર આક્રમણો અને હુમલા કર્યાં છે. મુસ્લિમ શાસકોએ તેમના શાસનકાળ દરમિયાન અમારા પર ત્રાસ ગુજાર્યો છે. અમારાં મંદિરોને તોડ્યાં છે અને અમારા દેવતાઓનું અપમાન કર્યું છે. વળી અંગ્રેજોની ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિએ તો અમારું સત્યાનાશ કરી નાખ્યું. અંગ્રેજોની મદદથી મુસલમાનોએ અમારા રાષ્ટ્રને વિભાજિત કર્યું છે. અમારી આઝાદી પછી પણ સતત ચાલતાં આવતાં કોમી રમખાણોને કારણે અમારો ઇતિહાસ લોહિયાળ રહ્યો છે.

સોક્રેટિસ : (ભ્રમર ઊંચી કરીને) ઓહો…હો…હો!  આટલા બધા આરોપો!  ચાલો આપણે તે દરેક આરોપ વિષે વિગતે વાત કરીએ. મારા મિત્ર, તમે સૌપ્રથમ ભારતમાં મુસ્લિમ શાસન દરમિયાન તમારા લોકો ઉપર થયેલ જુલમનો ઉલ્લેખ કર્યો. ચાલો પહેલાં એની ચર્ચા કરીએ. આ મુસ્લિમ શાસનમાં તમારી ઉપર કેવા જુલમ થયા હતા?

હિંદુત્વવાદી : સોક્રેટિસ, સાવ સીધી વાત છે. તેઓ આક્રમણખોરો તરીકે આવ્યા, અમારાં મંદિરોનો નાશ કર્યો, અમારી સંપત્તિ લૂંટી, અને તેમના ધર્મને અમારા દેશમાં ફેલાવ્યો. આવા અત્યાચારો પોતાની સંસ્કૃતિને ચાહનાર કોઈ પણ વ્યક્તિ કેવી રીતે સહન કરી શકે?

સોક્રેટિસ : હું સમજી શકું છું. આવી યાદો પીડાદાયક હોય છે. પણ તમે મને કહો, શું તમે ખરેખર માનો છો કે દરેક મુસ્લિમ શાસકે એકમાત્ર ધાર્મિક ઇરાદાથી જ કામ કર્યું હતું? અને શું તેઓ બધા એકસરખા દમનકારી હતા?

હિંદુત્વવાદી : અલબત્ત! અમારો ઇતિહાસ તેમની ક્રૂરતાનાં ઉદાહરણોથી ભરેલો છે. ગઝનીના મહેમૂદનો વિચાર કરો. તેણે અમારાં મંદિરોને લૂંટ્યાં હતાં. પેલા ક્રૂર ઔરંગઝેબે અમારાં અસંખ્ય મંદિરોનો નાશ કર્યો હતો અને કેટલાંક મંદિરો તોડીને તેણે ઉપર મસ્જિદો  બાંધી હતી. વધુમાં, તેણે હિંદુઓ પર જીજિયા વેરો પણ નાખ્યો હતો.

સોક્રેટિસ : આ બધાં ઉદાહરણો ખરેખર દુ:ખદ છે. પરંતુ, શું આવા શાસકો સંપૂર્ણપણે ધર્માંધ હતા, કે પછી રાજકીય મહત્ત્વાકાંક્ષા અને આર્થિક લાભ જેવાં અન્ય પરિબળો પણ તેમનાં આવાં કૃત્યો માટે જવાબદાર હતાં?

હિંદુત્વવાદી : હું માનું છું કે કદાચ તેમને સંપત્તિ અને સત્તામાં પણ રસ હતો.

સોક્રેટિસ :  આ એક રસપ્રદ મુદ્દો છે. પરંતુ, શું એકલા મુસ્લિમ શાસકો જ યુદ્ધો, આક્રમણ, વિજય, અને લૂંટ કરતા હતા? કે પછી, આપણે ઘણાં સામ્રાજ્યો અને સંસ્કૃતિઓમાં આવું બનેલું જોઈએ છીએ? શું હિંદુ શાસકોએ પણ લડાઈઓ નથી કરી? શું તેમણે પણ લૂંટ-ફાટ નહોતી કરી? અને તેઓએ પણ હારેલા લોકો પાસેથી ખંડણી વસૂલી નહોતી?

હિંદુત્વવાદી :  (ખચકાતાં) તે સાચું છે, પરંતુ તેમણે ધાર્મિક કારણોસર મંદિરોનો નાશ કર્યો નથી. તેઓ અમારા દેવતાઓને માન આપતા.

સોક્રેટિસ : તમારી વાત બરાબર છે. પરંતુ, ચાલો આ અંગે વધુ વિચારીએ. શું બધા મુસ્લિમ શાસકો એકસરખા ક્રૂર હતા? શું તે બધા જ હિંદુ મંદિરો અને પરંપરાઓનો સમાન રીતે અનાદર કરતા હતા? દાખલા તરીકે, મુગલ સમ્રાટ અકબરે જીજિયા વેરો નાબૂદ કર્યો હતો અને હિંદુઓ તથા હિંદુ પ્રથાઓને માન આપ્યું હતું. શું અકબર એવો મુસ્લિમ શાસક નહોતો જેણે હિંદુ-મુસ્લિમ વચ્ચે એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ગંભીર પ્રયત્નો કર્યા હતા?

હિંદુત્વવાદી : અકબર કદાચ અલગ હશે. પરંતુ, તે એક અપવાદ હતો. મોટાભાગના ઔરંગઝેબ જેવા હતા. તેઓ તેમની માન્યતાઓ અમારા પર લાદવા માંગતા હતા.

સોક્રેટિસ : તમે કહો છો કે અકબર એક અપવાદ હતો. પરંતુ અકબર ઉપરાંત જહાંગીર અને શાહજહાઁએ પણ સહિષ્ણુતાને ઉત્તેજન નહોતું આપ્યું? વળી, દારા શિકોહે તો તમારા ધર્મગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો. અને બહાદુરશાહ ઝફર તો ઈ.સ. ૧૮૫૭માં હિંદુ-મુસ્લિમ એકતાનો પ્રતીક નહોતો? હિંદુ રાજાઓએ પણ તેને પોતાના નેતા તરીકે સ્વીકાર્યો હતો.

હિંદુત્વવાદી : તમારી વાત સાચી છે. બધા મુસ્લિમ શાસકો ઔરંગઝેબ જેવા હતા એમ કહેવું કદાચ વધારે પડતું કહેવાય.

સોક્રેટિસ : તો શું આપણે ક્યારેક ઉતાવળમાં ધારણાઓ બાંધવાની કે ચુકાદા આપવાની ભૂલ નથી કરતા? અને છૂટાછવાયા કિસ્સાઓ પરથી વધારે પડતા સામાન્યીકરણ (વ્યાપ્તિ) ઉપર કૂદી નથી પડતા? શું આપણે એમ ન માની શકીએ કે કેટલાક શાસકોનાં બૂરાં કાર્યો પાછળ કેટલાક વિશેષ સંજોગો પણ જવાબદાર રહ્યા હશે?

હિંદુત્વવાદી : કદાચ. પરંતુ મંદિરોનો વિનાશ અને તેમની ઉપર બાંધેલી કેટલીક મસ્જિદો આજે પણ તેમની કિન્નાખોરીના પુરાવા તરીકે મોજૂદ છે.

સોક્રેટિસ : બેશક, કેટલાક મુસ્લિમ શાસકોએ હિંદુ મંદિરો તોડ્યાં હતાં. પરંતુ, મને કહો, મારા મિત્ર, શું આવાં કૃત્યો પાછળ હંમેશાં ધર્મ જ એકમાત્ર કારણભૂત પરિબળ હતું? કે પછી તેની પાછળ ધન-દોલત લૂંટવાનો કે જીતેલા લોકો પર તેમની ધાક જમાવવાનો ઇરાદો પણ હતો? શું એવું ન બની શકે કે તેઓ જીતેલા લોકોનાં ધાર્મિક કે સાંસ્કૃતિક પ્રતીકોને નિશાન બનાવીને તેમને ડરાવવા માંગતા હતા? શું તમારા દેશમાં બુદ્ધો અને જૈનો પણ ફરિયાદ નથી કરતા કે હિંદુઓએ તેમનાં ધાર્મિક સ્થાનોનો નાશ કર્યો હતો?

હિંદુત્વવાદી : (થોભો) મેં આ રીતે વિચાર્યું ન હતું. તમારો મતલબ છે કે મુસલમાનોએ હિંદુ મંદિરોનો નાશ માત્ર ધર્મના કારણે નહીં પરંતુ તેમના વિરોધીઓમાં ધાક જમાવવા માટે કર્યો હતો?

સોક્રેટિસ : ચોક્કસ. ઘણા કિસ્સાઓમાં, મંદિરો માત્ર પૂજાસ્થાનો જ નહીં પરંતુ સંપત્તિ અને રાજકીય સત્તાનાં કેન્દ્રો પણ હોય છે. વિજેતા શાસકો, પછી ભલે તે હિંદુ હોય કે મુસ્લિમ, ઘણી વાર આવાં પ્રતીકોને નિશાન બનાવીને તેમના પ્રતિસ્પર્ધીઓને ડરાવવાની કોશિશ કરતા હોય છે. શું આ રીતે પણ વિચારવાથી તમે આવાં કૃત્યોનું જુદી રીતે અર્થઘટન ન કરી શકો?

હિંદુત્વવાદી : (વિચારપૂર્વક) હું ધારું છું કે કદાચ તેવી રીતે પણ વિચારી શકાય. પરંતુ, બળજબરીથી કરેલા ધર્માંતરણનું શું? એ તો એમની ધર્માંધતા બતાવે છે.

સોક્રેટિસ : આ એક મહત્ત્વપૂર્ણ સવાલ છે. પણ, શું બધાં  ધર્માંતરણો ફરજિયાત હતાં? કે કેટલાંક આવાં ધર્માંતરણો સ્વૈચ્છિક પણ હતાં? શું કેટલાક હિંદુઓએ કઠોર જાતિપ્રથામાંથી બચવા અથવા મુસ્લિમ શાસનમાં કૃપાપાત્ર થવા માટે અથવા સામાજિક કે આર્થિક કારણોસર ધર્માંતરણ કર્યું હોય તેવું ન બની શકે?

હિંદુત્વવાદી : (અનિચ્છાએ) કેટલાક કિસ્સાઓમાં આવું બન્યું હોય તે શક્ય છે. પરંતુ તેથી કરીને બળજબરીથી થયેલાં ધર્માંતરણો માફ કરી શકાય નહીં.

સોક્રેટિસ : ખરેખર, બળજબરીથી થયેલ ધર્માંતરણને માફ ન કરી શકાય. પરંતુ ચાલો આપણે આપણી જાતને પૂછીએ : શું આવાં કૃત્યો ઇસ્લામના ઉપદેશોને અનુરૂપ છે, કે અમુક શાસકોની મહત્ત્વાકાંક્ષાઓને કારણે આમ થયું હશે? શું અમુક પથભ્રષ્ટ લોકોના બહેકાવાથી થયેલ કાર્યો માટે સમગ્ર ધર્મને જવાબદાર ઠેરવવું અન્યાયી નથી?

હિંદુત્વવાદી : (નિસાસો નાખતાં) આ અંગે મેં જે વિચાર્યું હતું તેના કરતાં આ સમસ્યા થોડી જટિલ લાગે છે. મેં તેમને બધાને હંમેશાં ધર્માંધ આક્રમણકારો તરીકે જોયા હતા. પરંતુ, કદાચ કેટલાક મુસ્લિમ શાસકોનાં  કુકર્મો માટે અન્ય પરિબળો પણ જવાબદાર હોઈ શકે છે.

સોક્રેટિસ : મારા મિત્ર, જટિલતા એ ઇતિહાસનો પદાર્થ પાઠ છે. અનેક ઘટનાઓ પાછળ વિવિધ હેતુઓ જવાબદાર હોય છે. શું  આવી જટિલતાને સમજવાની કોશિશ કરીને, આપણે ભૂતકાળના ઘા છંછેડવાને બદલે તેને ઠીક કરવાનો માર્ગ ન  શોધી શકીએ?

હિંદુત્વવાદી : (શાંતિથી) કદાચ. મારે આ વિશે વધુ વિચારવાની જરૂર પડશે.

સોક્રેટિસ : મારા મિત્ર, ઘણી વખત જે ઉપર ઉપરથી દેખાય છે તે સાચું નથી હોતું.

હિંદુત્વવાદી : તમે શું કહેવા માંગો છો?

સોક્રેટિસ : કેમ વળી, આપણે રોજ જોઈએ છીએ કે સૂર્ય પૂર્વમાં ઊગે છે અને પશ્ચિમમાં આથમે છે. બરાબર? પણ, વાસ્તવિકતા તો અલગ છે. સૂર્ય સ્થિર છે અને પૃથ્વી તેની આજુ બાજુ ફરે છે. ઘણી વાર બહારનો દેખાવ અને વાસ્તવિક સત્ય અલગ હોઈ શકે છે. તેથી મારા મિત્ર, ઊંડાણપૂર્વક વિચારવું અને આપણી માની લીધેલી ધારણાઓ પર પ્રશ્ન કરવો એ શાણપણનો માર્ગ છે. શું આપણે સાથે મળીને આવું અન્વેષણ કરવાનું ચાલુ રાખીએ? અંગ્રેજોના શાસન કાળમાં તમારા લોકોએ જુલમનો સામનો કર્યો હતો તે વિશે તમે વાત કરતા હતા. તો તે સમયે તમને કઈ તકલીફ પડી હતી?

હિંદુત્વવાદી : સોક્રેટિસ, અંગ્રેજોએ અમારી એકતાને તોડી. તેઓએ હિંદુઓ અને મુસ્લિમોને વિભાજિત કર્યા, અમને એકબીજાની સાથે લડાવ્યા, અને નફરતનો વારસો છોડીને ગયા, જે હજી પણ અમે ભોગવીએ છીએ.

સોક્રેટિસ : ચાલો, આપણે એના વિષે વિચારીએ. જ્યારે તમે કહો છો કે અંગ્રેજોએ “અમને વિભાજિત કર્યા,” ત્યારે આ વિભાજન તેમણે કેવી રીતે કર્યું?  શું તમે લોકો અંગ્રેજોના આગમન પહેલાં સંપૂર્ણ રીતે સંગઠિત હતા?

હિંદુત્વવાદી : કદાચ અમે સંપૂર્ણપણે સંગઠિત ન હતા. પરંતુ, અમારી વચ્ચે થોડા-ઘણા પ્રમાણમાં સુમેળ તો હતો. અમે સદીઓથી પ્રમાણમાં શાંતિથી એકબીજા સાથે રહેતા હતા. પણ અંગ્રેજોએ ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ અપનાવીને ફાચર મારી. અને અમારામાં  જે થોડા-ઘણા મતભેદો હતા તેનો ફાયદો ઉઠાવ્યો.

સોક્રેટિસ : હઁ, તો અંગ્રેજોના આવતાં પહેલાં પણ તમારા લોકોમાં ભેદભાવ હતો. અને અંગ્રેજોએ તેનો ફાયદો ઉઠાવ્યો. તમે કયા પ્રકારના ફરક વિશે વાત કરો છો–ધાર્મિક, સાંસ્કૃતિક કે આર્થિક?

હિંદુત્વવાદી : બધે બધા! અંગ્રેજોએ ભારતના હિંદુ-મુસલમાનને લઈને બે બિલાડી અને એક વાંદરાની વાર્તા પ્રમાણે વહાલાં-દવલાંની નીતિઓ અમલમાં મૂકી. અમારામાં જે તફાવતો હતા તેને લઈને અમારા લોકોમાં દુશ્મનાવટ પેદા કરી. અને અમને એકબીજા પ્રતિ શંકાશીલ બનાવ્યા.

સોક્રેટિસ : હું સમજી શકું છું. પરંતુ મને કહો, શું અંગ્રેજોએ આ તફાવતો ઊભા કર્યા હતા? કે તેઓએ તમારા લોકોમાં પહેલેથી ચાલતા આવતા તફાવતોને ફક્ત વધાર્યા હતા? શું અંગ્રેજોના શાસન પહેલાં હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે ક્યારેક ક્યારેક તણાવ ઊભો થતો ન હતો?

હિંદુત્વવાદી : (અનિચ્છાએ) હા, ક્યારેક ક્યારેક તણાવ થતો હતો. પરંતુ અંગ્રેજોએ અમારામાં કાયમી વિભાજન કરી નાખ્યું. ઉદાહરણ તરીકે, તેઓએ અલગ મતદાર મંડળો ઊભાં કર્યાં, અને સાંપ્રદાયિક ઓળખને પ્રોત્સાહન આપ્યું.

સોક્રેટિસ : સાચી વાત છે. એંગ્રેજોએ હિંદુ અને મુસલમાનોના અલગ મતદાર મંડળો બનાવીને તમારા લોકોમાં વિભાજન કાયમી બનાવ્યું. પરંતુ ચાલો વિચાર કરીએ : આવી નીતિઓ કેમ સફળ થઈ? જો હિંદુઓ અને મુસ્લિમો ખરેખર પોતાને એક જ પ્રજા તરીકે જોતા હોત, તો શું અંગ્રેજોની આવી નીતિઓ સફળ થઈ શકી હોત?

હિંદુત્વવાદી : (ખચકાતાં) હું માનું છું કે અંગ્રેજોની સફળતા માટે કદાચ અમારા લોકોમાં પહેલેથી જ જે ફાટ-ફૂટ હતી તે કેટલેક અંશે જવાબદાર હતી. પણ અંગ્રેજોએ અમને વેરવિખેર કરી નાખ્યા !

સોક્રેટિસ : કબૂલ. તેઓએ તમારા મતભેદોને વધુ વકરાવ્યા હશે. પરંતુ આપણે આપણી પોતાની જવાબદારીમાંથી ન છટકી શકીએ. શું તમે, એક સમાજ તરીકે, આ વિભાજનનો સંગઠિત પ્રતિકાર કર્યો હતો? કે પછી તમે ક્યારેક પોતપોતાના વ્યક્તિગત અથવા સામૂહિક લાભ માટે આવા ભાગલાને સ્વીકાર્યા હતા?

હિંદુત્વવાદી : (નિસાસો નાખે છે) હું માનું છું કે અમારા કેટલાક નેતાઓ અને જૂથોએ પણ અમારી ફાટ-ફૂટમાં પોતાનો ફાયદો જોયો હતો. પરંતુ તેથી બ્રિટિશરો દોષમુક્ત નથી થતા. તેમણે અમારા લોકોમાં નફરતનાં બીજ રોપ્યાં હતાં.

સોક્રેટિસ : પણ તમે મને કહો, જો કોઈ ખેડૂત ફળદ્રુપ જમીન પર બીજ વાવે, અને તે ફળેફૂલે તો તેની જવાબદારી કોની – ખેડૂતની, જમીનની, કે બંનેની?

હિંદુત્વવાદી : કદાચ બંનેની. પરંતુ, તમે શું કહેવા માગો છો?

સોક્રેટિસ : હું એ સૂચવું છું કે અંગ્રેજોએ તો માત્ર ખેડૂતની ભૂમિકા ભજવી હતી. પણ, તમે લોકોએ તમારામાં રહેલા ભેદભાવને કારણે તેમણે રોપેલાં બીજને ફળદ્રુપ જમીન આપી.

હિંદુત્વવાદી : (વિચારીને) તમારો મતલબ છે કે માત્ર અંગ્રેજો પર દોષનો ટોપલો નાખવાને બદલે અમારે અમારા પોતાના સમાજની કમીઓને પણ જોવાની જરૂર હતી.

સોક્રેટિસ : ચોક્કસ. શાણપણ સમજણમાં રહેલું છે. હિંદુઓ અને મુસ્લિમો શા માટે અંગ્રેજોની સામ્રાજ્યશાહી સામે એક થયા નહીં? શું આપણે આપણા પોતાના પૂર્વગ્રહો, ભય, શંકા-કુશંકા વગેરે વિષે જાગૃત બનીને કંઈક શીખી શકીએ નહીં?

હિંદુત્વવાદી : (ધીમેથી માથું હલાવતાં) વાત તો સાચી છે. પરંતુ આઝાદી પછી પણ અમારું વિભાજન ઘટ્યું નથી. અમે એક-બીજા સાથે લડતા રહીએ છીએ ! શું આ અંગ્રેજોની નીતિઓનું પરિણામ નથી?

સોક્રેટિસ : આ એક વિચાર કરવા જેવો પ્રશ્ન છે. કદાચ એવું ન બની શકે કે તમારા લોકોના ભાગલા તમારા પોતાના સમાજમાંના કેટલાકના હિતમાં કામ કરતા હોય? આખરે, સત્તા મેળવવા કે ટકાવી રાખવા ઘણી વાર ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ ઘણા સત્તા- લોલુપ લોકો ઉપયોગી માનતા હોય છે. શું તમારી આઝાદી પછી હિંદુ અને મુસ્લિમ બંને કોમના નેતાઓને તમારા મતભેદો પર ભાર મૂકીને પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાનું મુનાસિબ લાગ્યું હશે?

હિંદુત્વવાદી : (નિસાસો નાખતાં) મને લાગે છે કે તેઓએ આમ જ કર્યું છે. પરંતુ હવે અમે તેના વિશે શું કરી શકીએ? નુકસાન તો થઈ ગયું છે.

સોક્રેટિસ : સાચું, ભૂતકાળ બદલી શકાતો નથી. પરંતુ તમે મને કહો, જો પડોશીઓ વચ્ચે દીવાલ બનાવવામાં આવી હોય, તો શું દીવાલ તેના બિલ્ડરને કારણે ટકી રહે છે, કે પછી પડોશીઓ તેને તોડવાનું પસંદ જ નથી કરતા તેથી તે ટકી રહે છે?

હિંદુત્વવાદી : (શાંતિથી) પડોશીઓ તેને તોડવા માંગતા નથી માટે તે ટકી રહે છે.

સોક્રેટિસ : તો, મારા મિત્ર, શું હવે સમય નથી આવી ગયો કે ફક્ત બિલ્ડરને દોષ દેવાનું બંધ કરીને એ દીવાલ તમે જાતે જ તોડી નાખવાનું શરૂ કરો? આજે તમે લોકો તમારા વિવિધ સમુદાયો વચ્ચે વિશ્વાસ અને સમજણ વધારવા માટે શું પગલાં લઈ શકો?

હિંદુત્વવાદી : (લાંબા નિસાસા પછી) કદાચ અમારે એકબીજા પર દોષારોપણ કરવાનું બંધ કરવું જોઈએ અને પરસ્પર વાતચીત કરવાનું શરૂ કરવું જોઈએ. અમને જે પરિબળો જુદા પાડે છે તેની ઉપર ધ્યાન આપવાને બદલે અમને કયાં પરિબળો એક કરે છે તે અંગે અમારે સૌએ વિચારવું જોઈએ.

સોક્રેટિસ : મારા મિત્ર, આ એક સમજદારીની શરૂઆત છે. ચાલો આપણે બીજા મુદ્દા પર આવીએ. તમે ભારતના ભાગલા વિશે વાત કરી હતી. હું જાણું છું કે તમારા માટે ઇતિહાસની તે એક એવી કમનસીબ ઘડી હતી જેને કારણે લાખો લોકોને હિજરત કરવી પડી હતી અને અનેકોની કતલ પણ થઈ હતી. પણ, તમે આ વિભાજનનું કારણ શું માનો છો?

હિંદુત્વવાદી : સોક્રેટિસ, મુસ્લિમોની તેમના માટે અલગ રાષ્ટ્રની જીદ જ અમારા દેશના વિભાજનનું કારણ હતું. તેઓ અમારી સાથે શાંતિથી ન રહી શક્યા અને પાકિસ્તાનની માગણી કરીને અમારી સાથે દગો કર્યો.

સોક્રેટિસ : દગો એ એક કઠોર શબ્દ છે, મારા મિત્ર. ચાલો આપણે તેના વિષે વિચારીએ. તમારી દૃષ્ટિએ મુસ્લિમોએ કયાં કારણોસર અલગ રાષ્ટ્રની માંગ કરી હતી?

હિંદુત્વવાદી :  તેઓએ એવો દાવો કર્યો હતો કે તેઓ અમારી ઉપર, એટલે કે હિંદુઓ પર, વિશ્વાસ કરી શકતા નથી. અને અમારા ધર્મો અને સંસ્કૃતિ ખૂબ જ અલગ હોવાથી અમારી સાથે તેમનું સહઅસ્તિત્વ શક્ય નથી. એકતાને સ્વીકારવાનો ઇન્‌કાર એ તેમનો શુદ્ધ સ્વાર્થ હતો.

સોક્રેટિસ : હઁ. તમે કહો છો કે એકતા સ્વીકારવાનો ઇન્‌કાર. પરંતુ, વિચાર કરો, શું તમારો દેશ તે સમયે ભેદભાવથી મુક્ત હતો? શું હિંદુઓની જાતિપ્રથા આજે પણ લાખો લોકોને સામાજિક ભાગીદારીમાંથી બાકાત રાખતી નથી? જો હિંદુ સમાજમાં જ આવાં વિભાજન અસ્તિત્વમાં હોય, તો શું તે શક્ય નથી કે મુસલમાનોને પણ હિંદુ બહુમતી ધરાવતા રાષ્ટ્રમાં હાંસિયામાં ધકેલાઈ જવાનો ડર હોય?

હિંદુત્વવાદી : (અનિચ્છાએ) કદાચ તેઓ તેનાથી ડરતા હતા. પરંતુ તેઓ શા માટે અમારા પર વિશ્વાસ ન કરી શક્યા? તેઓ અમારી સાથે એક અવિભક્ત રાષ્ટ્રના નિર્માણ માટે કામ કરી શક્યા હોત.

સોક્રેટિસ : આ એક વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે. પણ મને કહો, મારા મિત્ર, શું બંને બાજુના બધા જ નેતાઓ – હિંદુ અને મુસ્લિમ – ખરેખર પરસ્પર વિશ્વાસ બનાવવાનું કામ કરતા હતા કે પછી કેટલાક નેતાઓ પોતાના સ્વાર્થ માટે બંને કોમો વચ્ચે અવિશ્વાસ વધારવાનું કામ કરતા હતા?

હિંદુત્વવાદી : કેમ, અમારા ગાંધીજીએ તો હિંદુ-મુસ્લિમ એકતા માટે તેમના પ્રાણની આહુતિ આપી હતી. પરંતુ, જિન્નાહ અને મુસ્લિમ લીગે શું કર્યું? શું તેઓ પોતાના સ્વાર્થ માટે અમારા દેશને વિભાજિત કરવાનું રાજકારણ નહોતા રમ્યા?

સોક્રેટિસ : હા, ઝીણા! ભારતના ભાગલાની વિભીષિકાનું તે એક મુખ્ય પાત્ર હતું તેમાં કોઈ શંકા નથી. પરંતુ ચાલો આપણે એક જ માણસનો દોષ જોવા કરતાં એમ વિચારીએ કે તેમની પાકિસ્તાનની માંગને મુસ્લિમોમાં આટલું જબરદસ્ત સમર્થન કેમ મળ્યું? શું આટલા મોટા સમુદાયને ફક્ત એક નેતાની મહત્ત્વાકાંક્ષાઓ દ્વારા ઉશ્કેરી શકાય?

હિંદુત્વવાદી : કદાચ તેમને લાગ્યું હશે કે હિંદુ બહુમતી રાષ્ટ્રમાં તેઓ તેમની ઓળખ ગુમાવશે. પરંતુ, તેઓ એ કેમ ન જોઈ શક્યા કે અમારો કેટલો બધો ઇતિહાસ સહિયારો છે, અને અમારી સંસ્કૃતિમાં પણ કેટલી બધી સમાનતા છે?

સોક્રેટિસ : સમાન ઇતિહાસ અને સંસ્કૃતિ – ખરેખર, એકબીજાને બાંધે છે. પરંતુ મને કહો, શું કેટલાક ઐતિહાસિક ઘા એવા ન હતા જેણે વિભાજનને અનિવાર્ય બનાવવામાં કોઈ ભૂમિકા ભજવી હશે? શું બંને પક્ષના પરસ્પર ડર અને અવિશ્વાસ માટે પરસ્પર સંવાદની નિષ્ફળતા જવાબદાર ન હતી?

હિંદુત્વવાદી : (વિચારપૂર્વક) હું માનું છું કે બંને બાજુએ નિષ્ફળતાઓ હતી. પરંતુ વિભાજનથી લાખો પરિવારો નિરાશ્રિત થયા. તેમણે અપાર યાતનાઓ ભોગવી તે કેવી રીતે ન્યાયી ઠેરવી શકાય?

સોક્રેટિસ : ના, મારા મિત્ર, આવી અમાનવીય વેદનાઓ કદાપિ વાજબી ઠેરવી ન શકાય. પરંતુ શું હિંદુ અને મુસ્લિમ બંને પક્ષો લાંબા સમયથી ચાલતા આવતા તણાવને ઉકેલી ન શક્યા તેનું પરિણામ વિભાજન ન હતું? શું એવું ન બની શકે કે વિભાજન વખતે તમે જે હિંસા અને નફરત જોઈ તે આવી વણઉકેલાયેલી તંગદિલીમાંથી ઊભો થયેલો વિસ્ફોટ હતો?

હિંદુત્વવાદી : (નિસાસો નાખીને) કદાચ એમ પણ હોય. પરંતુ શું વિભાજનથી તે તણાવ દૂર થવાનો હતો? ઊલટાનું તેના બદલે, અમારી દુશ્મનાવટ વધી. આજે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે ખૂબ જ નફરત છે.

સોક્રેટિસ : તો પછી મારા મિત્ર, આગળનો રસ્તો શું છે? શું તમારે એકબીજા પર દોષારોપણ કરવાનું ચાલુ રાખવું જોઈએ કે ભયને બાજુ પર મૂકીને નવી આશાઓ સાથે નવી શરૂઆત કરવી જોઈએ? શું પરસ્પર સહાનુભૂતિ અને સમજણ આજે પણ, આ ઘા માટેનું મલમ ન બની શકે?

હિંદુત્વવાદી : (શાંતિથી) જ્યારે પીડાની યાદો અસહ્ય હોય ત્યારે સહાનુભૂતિ મુશ્કેલ છે, સોક્રેટિસ.

સોક્રેટિસ : ખરેખર તે અઘરું છે, પણ અશક્ય નથી. મને કહો, મારા મિત્ર, જો આપણે એકબીજાની પીડા સમજવાની કોશિશ નહીં કરીએ તો કોણ કરશે? શું તમારી પીડાનો ઇલાજ એકબીજાનો દોષ જોવાને બદલે બંને બાજુએ માનવીય દૃષ્ટિકોણ અપનાવવાથી ન મળી શકે?

હિંદુત્વવાદી : (લાંબા વિરામ પછી) કદાચ. પરંતુ તે માટે ઘણો સમય લાગશે. ઘા બહુ ઊંડા છે. ભારત અને પાકિસ્તાનના ભાગલા પછી પણ ભારતમાં વારે તહેવારે હુલ્લડો થતાં રહે છે. અમારા દેશમાં સાંપ્રદાયિક હિંસાનો લાંબો ઇતિહાસ છે.

સોક્રેટિસ : મારા મિત્ર, તમે તમારા વતનમાં થતી સાંપ્રદાયિક હિંસાથી આટલા બધા પરેશાન કેમ છો?

હિંદુત્વવાદી : સોક્રેટિસ, આ રમખાણો એ બતાવે છે કે મુસ્લિમો હંમેશાં અમારા માટે જોખમી રહ્યા છે. તેઓ અમને ઉશ્કેરે છે, અમારા સમુદાયોને નુકસાન પહોંચાડે છે, અને પછી જાણે પોતે પીડિત હોય તેવું નાટક કરે છે. છેલ્લા અનેક દશકાઓથી આવું જ થતું રહ્યું છે.

સોક્રેટિસ : આ તો એક ગંભીર બાબત કહેવાય. પરંતુ તમે શું માનો છો કે આ રમખાણોનું કારણ શું છે?

હિંદુત્વવાદી : કારણ? સોક્રેટિસ, કારણ તો સ્પષ્ટ છે! તેઓ અમારી સંસ્કૃતિમાં ભળી જવાનો ઇન્‌કાર કરે છે.

સોક્રેટિસ : તમારી વેદના સમજી શકું છું. પરંતુ ચાલો આ અંગે વિગતે વિચારીએ. શું બધાં રમખાણો મુસ્લિમો જ શરૂ કરે છે કે પછી એવા પણ કિસ્સાઓ છે કે જેમાં હિંદુઓએ પણ દિવાસળી ચાંપી હોય ?

હિંદુત્વવાદી : (ખચકાતાં) કદાચ તેમાં અપવાદો છે, પણ તે બહુ ઓછા છે. મોટે ભાગે તો તે અમને ઉશ્કેરે છે.

સોક્રેટિસ :  શું તમે આ રમખાણોનો ઇતિહાસ બારીકાઈથી તપાસ્યો છે? શું કોમી હિંસા હંમેશાં ધાર્મિક મતભેદોમાંથી જ પેદા થાય છે, કે પછી ક્યારેક કોઈક ગેરસમજ, આર્થિક તણાવ, ધંધાકીય હરીફાઈ અથવા તો ભાગલા પાડવા માંગતા રાજકીય નેતાઓની ઇરાદાપૂર્વકની ચાલબાજી પણ તેને માટે જવાબદાર હોઈ શકે છે? જેમ કે, ક્યારેક ચૂંટણી જીતવા માટે કેટલાક રાજકારણીઓ ધાર્મિક ધ્રુવીકરણ કરતા હોય છે. તો કયારેક કેટલાક લાલચુ બિલ્ડરોની નજર કોઈક ખાસ પ્રોપર્ટી પર હોય અને તેઓ જાણી જોઈને કોમી ઉશ્કેરણી દ્વારા દંગા ફેલાવતા હોય. ક્યારેક કેટલાક ધાર્મિક નેતાઓનો પણ અંગત સ્વાર્થ આવા ઝગડાઓથી સધાતો હોય છે. તો વળી ક્યારેક બન્ને કોમના લોકોની ધંધાકીય હરીફાઈ પણ આ માટે જવાબદાર હોય છે. અને કેટલાંક અસામાજિક તત્ત્વો તો આવા દંગા-ફસાદનો લાભ લેવા હંમેશાં તૈયાર જ હોય છે.

હિંદુત્વવાદી : (અનિચ્છાએ) મેં સાંભળ્યું છે કે રાજકારણીઓ અને ધંધાદારીઓ આવા તણાવનો ઉપયોગ કરે છે. કદાચ કોઈક ધાર્મિક નેતાઓ પણ ક્યારેક તેમના સ્વાર્થ માટે ગ્યાસતેલ છાંટતા હશે. પરંતુ, મુસલમાનો અમારી સાથે ભળી જવા માંગતા નથી. અમારી સંસ્કૃતિને માન આપવાનો તેઓ ઇન્‌કાર કરે છે.

સોક્રેટિસ : આ એક ગંભીર મુદ્દો છે. સંવાદિતા માટે આદર ખરેખર જરૂરી છે. પરંતુ મને કહો, જો બંને સમુદાયો એકબીજાનો અનાદર કરે તો હિંસાનું આ ચક્ર કેવી રીતે તૂટી શકે?

હિંદુત્વવાદી : (વિચારીને) મને ખબર નથી. જ્યારે તેમની વસ્તી અને પ્રભાવ વધતો રહે ત્યારે તે અશક્ય લાગે છે. તેઓ અમારા ભવિષ્યને માટે હાનિકારક છે.

સોક્રેટિસ : શું તમને ડર છે કે આ રમખાણો માત્ર વર્તમાનમાં જ નહીં પણ ભવિષ્યમાં પણ હિંદુ ધર્મ માટે મોટા ખતરાની નિશાની છે?

હિંદુત્વવાદી : બરાબર, સોક્રેટિસ હવે તમે સમજ્યા! દરેક હુલ્લડ અમને યાદ કરાવે છે કે તેમના પર વિશ્વાસ કરવા જેવો નથી. તેઓ આવાં તોફાનોનો ઉપયોગ અમને નબળા પાડવા માટે કરે છે. અને કેટલાક ઇતિહાસકારો પણ આ હકીકતનું સમર્થન કરે છે.

સોક્રેટિસ : આ તો એક પરેશાન કરનાર ભય છે. પણ, શું આવો અવિશ્વાસ ફક્ત હિંસક કૃત્યોથી જ વધે છે, કે તે તમારા ઇતિહાસના અર્થઘટનને કારણે પણ વધે છે? શું તમે વિચાર્યું છે કે ઇતિહાસકારો પણ ક્યારેક એકબીજા પ્રત્યેની ધારણાઓને ઘડવામાં મોટો ફાળો આપે છે?

હિંદુત્વવાદી : તમારો મતલબ શું છે?

સોક્રેટિસ : શું ઇતિહાસનાં પુસ્તકો અને વાર્તાઓ હંમેશાં  ઘટનાઓને નિષ્પક્ષ રીતે રજૂ કરે છે? કે પછી તેઓ ક્યારેક તેમને મન ગમતી એક બાજુની તરફેણ કરવા માટે કેટલીક વિગતોને તોડી મચેડીને રજૂ કરતા હોય, કે કેટલીક વિગતોને અવગણીને અને બીજી કેટલીક બાબતોની અતિશયોક્તિ કરીને બતાવતા હોય તેવું ના બની શકે ?

હિંદુત્વવાદી : (થોભો) હું માનું છું કે ઇતિહાસ પક્ષપાતી હોઈ શકે છે, પરંતુ હિંસા વાસ્તવિક છે. તમે તેને કેવી રીતે નકારી શકો?

સોક્રેટિસ : મારા મિત્ર, હું હિંસાનો ઇન્‌કાર કરતો નથી. પરંતુ મને કહો, જો આપણે ફક્ત ભૂતકાળના જખમો પર જ ધ્યાન આપીએ, તો શું તે આપણને એક થવામાં મદદ કરશે કે તે વિભાજનને વધુ ઊંડું કરે છે? શું એ શક્ય છે કે આ રમખાણોમાં હિંદુ અને મુસલમાન બંને ભોગ બનતા હોય? અને તેમને કોઈ પોતાના ફાયદા માટે બે બિલાડીઓની માફક  લડાવી રહ્યું હોય?

હિંદુત્વવાદી : (નિસાસો નાખીને) કદાચ બંને સહન કરે છે. પણ મુસલમાનો પોતાનાં કૃત્યોની જવાબદારી કેમ લેતા નથી?

સોક્રેટિસ : જવાબદારી લેવી એ તો એક ઉમદા ગુણ છે. પરંતુ જો દરેક પક્ષ સામાવાળા પહેલું પગલું ભરે તેની રાહ જુએ તો શું સમાધાન ક્યારે ય શક્ય બને? શું સાચી જવાબદારી દોષના વિષચક્રને તોડવામાં અને સમજણ કેળવવામાં નથી રહેલી ?

હિંદુત્વવાદી : (ખચકાતાં) તે આદર્શ લાગે છે, પરંતુ કોમી રમખાણોના ભોગ બનેલા અમારા લોકોને ન્યાય ના મળવો જોઈએ?

સોક્રેટિસ : ન્યાય જરૂરી છે, મારા મિત્ર. પણ મને કહો, શું ન્યાય અને બદલામાં ફરક નથી? અને શું આપણે દોષિતોનાં કૃત્યો માટે નિર્દોષોને સજા આપીને ન્યાય મેળવી શકીએ? શાંતિ પ્રાપ્ત કરી શકીએ? શું અવિશ્વાસથી કે બીજાને દોષ દેવાથી ન્યાય કે શાંતિ મળશે કે પછી બંને સમુદાયો વચ્ચે સમજણનો સેતુ બાંધવાથી?

હિંદુત્વવાદી : (ધીમેથી માથું હલાવતા) ના, નિર્દોષને સજા કરવાથી તો પરિસ્થિતિ બગડે છે. પરંતુ જ્યારે તેઓ વારંવાર અમને નુકસાન પહોંચાડે છે ત્યારે અમે તેમના પર કેવી રીતે વિશ્વાસ કરી શકીએ ?

સોક્રેટિસ : શું વિશ્વાસ કેળવવા એકબીજાને સાંભળવાની જરૂર નથી? ભૂતકાળમાંથી શીખવાની જરૂર નથી? શું તમારા સહિયારા ભવિષ્યને ઉજ્જવળ બનવવા પર ધ્યાન આપવાની જરૂર નથી?

હિંદુત્વવાદી : (વિચારપૂર્વક) તે જરૂરી છે. પરંતુ, કેટલાક ઘા ખૂબ ઊંડા હોય છે. તેમને ઝડપથી રૂઝવવા મુશ્કેલ હોય છે.

સોક્રેટિસ : ખરેખર, ઊંડા ઘા જલદીથી રૂઝાતા નથી. પરંતુ તમે મને કહો, જ્યારે તમે આવો ખૂની ખેલ સતત ખેલતા રહો તો તે ઘા કેવી રીતે ઝડપથી રૂઝાય? જ્યારે આપણે સહાનુભૂતિનો મલમ લગાવીએ અને વધુ નુકસાન અટકાવવા માટે કામ કરીએ ત્યારે શું ઘા ઝડપથી ન રૂઝાય?

હિંદુત્વવાદી : (થોડા વિરામ પછી) હું તમારી વાત સમજું છું. પરંતુ, સોક્રેટિસ, એક હાથે તાળી ન પડે. બંને બાજુએ ઘણો ડર અને ગુસ્સો છે.

સોક્રેટિસ : સાચું, ભય અને ગુસ્સો તો બહુ નુકસાનકારક છે. પણ શું આવા ભય અને ગુસ્સાને કારણે આપણે આપણામાં ભાગલા પાડવા માંગતા લોકોના હાથા બની જતા નથી? શું ભય અને ગુસ્સા જેવી બૂરી લાગણીઓ પર કાબૂ મેળવવો જરૂરી નથી? અને શું આપણને આપસમાં લડાવીને અને આપણા ભાગલામાંથી ફાયદો ઉઠાવનારાઓ સામે સાચી સમજ પ્રતિકારનું સૌથી મોટું સાધન ન બની શકે?

હિંદુત્વવાદી : (નિસાસો નાખીને) કદાચ. પરંતુ લોકોની વિચારસરણી બદલવામાં ઘણો સમય લાગશે.

સોક્રેટિસ : ખરેખર, મારા મિત્ર, પરિવર્તન ક્યારે ય ઝડપી નથી હોતું. પણ મને કહો, શું તમારી ભાવિ પેઢીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આવાં મૂર્ખામીભર્યાં તોફાનોને ડામી દેવાના પ્રયત્ન કરવા યોગ્ય નથી કે શક્ય નથી? શું ભારતના હિંદુઓ અને મુસ્લિમો એટલા પણ સમજદાર નથી કે તેઓ એકબીજાને ધમકી તરીકે નહીં, પરંતુ ન્યાયી અને સુમેળભર્યા રાષ્ટ્રના નિર્માણના સહિયારા કાર્યમાં ભાગીદાર તરીકે જુએ?

હિંદુત્વવાદી : (માથું હલાવતાં) હા, આ એક અનુસરવા જેવું સપનું છે. પરંતુ, રસ્તો ખૂબ મુશ્કેલ લાગે છે.

સોક્રેટિસ : હા, અઘરું જરૂર છે. પણ શું દરેક મહાન યાત્રા પહેલા પગલાથી શરૂ થતી નથી? શું તમે સૌ સાથે મળીને, તમારા ડરને દૂર કરીને, તમારી માની લીધેલ ધારણાઓની સત્યતા તપાસીને, તે પહેલું પગલું ન ભરી શકો? સમય અને પ્રયત્ન, બંને જરૂરી છે, મારા મિત્ર. જ્યાં સુધી આપણે ભૂતકાળને હથિયાર તરીકે વળગી રહીએ છીએ ત્યાં સુધી આપણે તેનો શિક્ષક તરીકે ઉપયોગ કરી શકતા નથી. શું ભારતના હિંદુ અને મુસલમાન બંને સાથે મળીને ભૂતકાળમાંથી શીખવાનું શરૂ ન કરી શકે?

હિંદુત્વવાદી : (ઊંડો વિચાર કરીને) સોક્રેટિસ, તમે મહાન ફિલસૂફ છો એવું મેં પૃથ્વીલોકમાં  સાંભળ્યું હતું. પણ આજે તમને રૂબરૂ મળીને હું અનુભવું છું કે તમે ખરેખર મહાન વિચારક છો. તેમ છતાં, હજુ પણ મારા મનમાં કેટલીક ગૂંચવણો છે. કદાચ આપણે ફરી મળીએ ત્યારે તેની ચર્ચા કરીશું.

સોક્રેટિસ : જરૂર, મારા મિત્ર. આપણે ફરીથી મળીએ. ચર્ચા તો નિરંતર ચાલતી જ રહેવી જોઈએ. સંવાદથી જ સમજણ મળે છે. સતત મથામણ કરવાથી જ ક્યારેક સત્યનું ઝાંખું ઝાંખું દર્શન થઈ શકે છે.

આમ એકબીજાને ફરી મળવાનું કહીને હિંદુત્વવાદી અને સોક્રેટિસ બંને છૂટા પડે છે.

૦૦૧, પવનવીર, પ્રતાપગંજ, વડોદરા-390 002  
ઈ-મેલ:pravin1943@gmail.com
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 ફેબ્રુઆરી 2025; પૃ. 04-07 તેમ જ 22-23

Loading

...102030...228229230231...240250260...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved