Opinion Magazine
Number of visits: 9575537
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આજના આ સંકટ સમયે ગાંધીજી હોત તો શું કરત

અભય બંગ|Opinion - Opinion|30 June 2020

વર્તમાન વૈશ્વિક સંકટ એ બહુસ્તરીય છે. રાજકીય અને નૈતિક નેતૃત્વના શૂન્યાવકાશના લીધે કોવીડ-૧૯ રોગચાળો, આર્થિક મંદી અને જળવાયુ પરિવર્તનનું સંયોજન થયું છે. આજના સંકટના સમયે ગાંધીજી હોત તો શું કરત?

તેઓના ઉકેલોમાં થોડાંક સર્વસામાન્ય લક્ષણો હોત. પ્રથમ તો, તેઓ કેવળ ઉપદેશ ન આપત, પણ તેઓ પોતે કહ્યું કરત અને મહાવરો પણ કરત. આથી જ તેઓ પેલું નીડર વિધાન બોલી શકેલા : “મારું જીવન એ જ મારો સંદેશ છે.” આપણે આવું ના બોલી શકીએ. બીજી વાત, તેઓ જે પણ કામ કરત તેની શરૂઆત સ્થાનિક કક્ષાએ કરત, દુનિયાને બદલવા તેની પાછળ ન દોડત. તેઓ પૃથ્વીને સ્વર્ગના અંશની જેમ જોવાની ક્ષમતા હોવાવાળી વ્યક્તિ તરીકે જાણીતા હતા. ત્રીજું, તેઓ એવાં કાર્યોથી શરૂઆત કરત કે જે પ્રથમદર્શી રીતે ખૂબ નાનાં અને મૂર્ખામીભર્યા લાગે. ઉદાહરણ તરીકે, હાથમાં ચપટી મીઠું લેવું કે જેણે છેવટે ઇતિહાસ બદલી નાખ્યો.

આ વૈચારિક પ્રયોગ કે ‘ગાંધી શું કરત’માંથી ૯ મુદ્દાનો કાર્યક્રમ મળે છે.

ભયમાંથી મુક્તિ : આપણે કરોના વાઇરસ કરતાં વધુ તો ભયના વાઇરસની પકડમાં છીએ અને આ ભય-રોગચાળાએ સમગ્ર વિશ્વને પાંગળું કરી નાખ્યું છે. ગાંધીજીએ સૌપ્રથમ તો આપણને આ ભય ખંખેરવાનું કહ્યું હોત, જેવી રીતે તેઓએ ભારતીયોને અંગ્રેજોનો ભય વાસ્તવિક હોવાના લીધે ઓગળવા લાગેલો.

બીમારની કાળજી : એ તેઓની સહજવૃત્તિ હતી કે કે અગણિત પ્રસંગો જેવા કે બોઅર યુદ્ધ, પ્રથમ વિશ્વયુદ્ધ અને ભારતમાં થયેલા રોગચાળાઓથી માનિસ છેક આશ્રમોમાં રહેતા બીમારની સુશ્રુષા કે જેમાં પરચુરે શાસ્ત્રી કે જે એક રક્તપિત્તના દરદી હતા, તેઓની સેવા દરમિયાન વ્યક્ત થયેલી. કોવિડ-૧૯ના કારણે બીમાર થયેલ હજારો લોકોને શારીરિક કાળજી, પરિચર્યા અને તબીબી સારવારની જરૂર છે. ગાંધીજીએ ભય વિના આવાં બધાંની વ્યક્તિગત પોતે જ પરિચર્યા કરી હોત. સ્વચ્છતા, સફાઈ, હાથ સાફ કરવા અને માસ્કના ઉપયોગ બાબતે તેઓ ચોખલિયા રહ્યા હોત. હાલ આમ પણ તબીબીવિજ્ઞાન પાસે કોવિડ-૧૯ની એક પણ સાબિત થયેલી અસરકારક સારવાર તો છે જ નહિ, તો ગાંધીજીના કહેવાતા કુદરતી ઉપચારોનો ઉપયોગ જ કે જે કુદરતની સાજા કરનાર તાકાતથી શરીરને રોગમુક્ત કરે છે તે જ મોટા ભાગના કેસોમાં કામમાં આવ્યો હોત.

ઘણા બધા અન્ય બીમારીઓવાળા દરદીઓ કે જેઓને પણ તબીબી સંભાળની જરૂર છે, તેઓને લક્ષમાં નથી લેવાયા, કારણ કે કોવિડ-૧૯ના ધસારાને લીધે તેઓ બહાર ફેંકાઈ ગયા છે. આરોગ્યસંભાળને લગતો તબીબી-ઉદ્યોગના પુરવઠો અપૂરતો સાબિત થયો છે. તંદુરસ્ત જીવનશૈલી, સ્વકાળજી માટે સશક્તિકરણ અને સમુદાયની કાળજી આ બધાં પરનો ગાંધીજીનો આગ્રહ સંપૂર્ણપણે પ્રસ્તુત જણાય છે.

નવી દાંડીકૂચ : તમે ગમે ત્યારે સૌથી વધુ અસહાય અને દુ:ખી માણસને જુઓ તો મદદ કરવી – આપણી આ ફરજ પ્રત્યે આપણને માર્ગદર્શન આપવા માટેનું તેઓનું તાવીજ અદ્દભુત છે. તે ઝડપી અને સાહજિક છે. તે તમને જ ચોક્કસ લાગુ પડે છે. તે એક માણસ, સમગ્ર માનવતાનું પ્રતીક, એ જ તમારી ફરજ છે. આજે ગાંધીજીનું તાવીજ કોણ છે?

વિસ્થાપિત શહેરી શ્રમજીવીઓ, ભૂખ્યા અને અપમાનિત કે જેઓ પોતાનાં ગામડાંઓ તરફ ચાલતા શહેરોથી નીકળતા અને રસ્તામાં જ મરતા. નિઃશંકપણે ગાંધીજીના તાવીજ બનશે. ભારતના ભાગલાના શિકાર બનેલા લાખો વિસ્થાપિતોની વચ્ચે ગાળેલા પોતાના આખરી દિવસો થકી ગાંધીજી આ શ્રમજીવીઓની પીડા સુપેરે જાણે છે. કેવી રીતે આપણે આવી જ સમાન કરુણાંતિકાઓનું નિર્માણ કરી શકીએ? દિલ્હીની પ્રસિદ્ધિથી દૂર રહીને ગાંધીજી તેઓની પાસે દોડ્યા હોત. તેમણે તેઓના માટે ખોરાક, આશ્રય અને દવાઓની વ્યવસ્થા કરી હોત, પરંતુ સૌથી અગત્યનું એ કે તેમને તેઓની ગરિમા અને આશાને જાળવવા મદદ કરી હોત. અંતે, તેઓની સાથે એકતાના પ્રતીક તરીકે તેમણે વિસ્થાપિત શ્રમજીવીઓની ચાલતી ટોળીઓમાં જોડાઈને સરકારની ઉદાસીનતા અને બેજવાબદારી બદલ વિરોધ કર્યો હોત. આ હોત તેમની નવી દાંડીકૂચ.

આંતરવિશ્વાસ અને સામાજિક એકતા : ગાંધીજીના જીવનનું આ સૌથી આખરી પણ અધૂરું કાર્ય હતું. જેવી રીતે હિંદુઓ અને મુસ્લિમો નફરત અને હિંસાથી એકબીજાની વિરુદ્ધ થઈ ગયેલા કે જેના થકી ભારતના ભાગલા થયા, તેનાથી તેઓ ખૂબ ગંભીરપણે ઘાયલ થયેલા. જ્યારે સિવિયર અક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કોરોના વાઇરસ ૨ (સાર્સ – કોવ -) (શ્વસનતંત્રમાં તીવ્ર તકલીફ ઊભી કરતો વાઇરસ) ભારતદેશના દરવાજા ખખડાવી રહ્યો હતો, ત્યારે અમુક નેતાઓ કોમી નફરત ઉશ્કેરી રહ્યા હતા. પછી તેઓએ એક ધાર્મિક પંથને આ ચેપના ફેલાવા માટેનો આરોપ મૂક્યો. આ કોમી વિભાજનને રોકવું એ ગાંધીજી માટે મોખરાનું કાર્ય હતું. ગાંધીજીએ હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, અસ્પૃશ્યો અને આદિવાસીઓ સાથે તેઓની વસાહતોમાં રહીને, તેઓમાં જે બીમાર હોય, તેઓની સેવા કરીને, તેઓને એકબીજાના વિસ્તારોમાં સ્વયંસેવકો તરીકે મોકલીને આ બધાને એક કરવાનો પ્રયત્ન કર્યો હોત, પછી ભલે આવા એક કરવાના પ્રયત્નો થકી તેમની બીજી હત્યા થાય તો પણ.

મારો પાડોશ એ મારી જવાબદારી છે : સાર્સ-કોવ-ર ના ભય અને કડક લૉકડાઉન એ લોકોને પોતાના ઘરનાં બારણાંઓ બંધ કરવા અને પોતાના પડોશીઓ સાથેના સંપર્કો તોડવા દબાણ કર્યું છે. ગાંધીજીએ આ મંજૂર ન હોત. તે કહેત “હું મારા પડોશીઓ માટે જવાબદાર છું. તે મારો સ્વધર્મ છે, તેઓને પ્રેમ કરવો અને ખાસ કરીને આવી ઘડીએ તેઓની સેવા કરવી એ મારી ફરજ છે. સંપર્ક વિનાનો પડોશ અને પડોશ વિનાનો સમુદાય કેવી રીતે હોઈ શકે?”

મને તો શંકા છે કે ગાંધીજી એ હદ સુધી જતા કે તેઓ લૉકડાઉનના કારણે નિર્માણ પામેલા આ ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારોને પડકારવા માટે તેઓએ તો સત્યાગ્રહ કે નાગરિક-અસહકાર આરંભ કર્યો હોત. આવું નૈતિક પગલું ભરવા એક ગાંધીની જરૂર પડે.

હિમાલય જેવડી ભૂલ : તેઓ સાચાબોલા હોઇ પોતાની ભૂલો સ્વીકારવા તૈયાર જ હોય. તેમનામાં એ હિંમત હતી કે એ સ્વીકારવાની કે ભારત અહિંસા પાળવા માટે તૈયાર હતો, તેવું વિચારીને ૧૯૨૦માં અંગ્રેજો સામે રાષ્ટ્રીય ચળવળ આરંભ કરવી તે તેમની હિમાલય જેવડી ભૂલ હતી. ભારતદેશ તૈયાર નહોતો. તેમણે કહ્યું, તે સંપૂર્ણપણે તેમના નિર્ણયની ભૂલ હતી. તેમણે તેની જવાબદારી સ્વીકારી અને રાષ્ટ્રીય ચળવળને પાછી ખેંચી લીધી જો કે આવું કરવાનો મતલબ હતો કે આખી દુનિયા તેમનાથી મોં ફેરવી જ લેશે.

કોવિડ-૧૯ રોગચાળાના ભયના સમયે, વૈશ્વિક અને રાષ્ટ્રીય નેતૃત્વ એ અનેક ગંભીર ભૂલો કરી છે અને વારંવાર નહીંવત્‌ ચેપથી પ્રતિબંધ, પ્રતિબંધથી બેવડો થવાનો સમયમાં વધારો કરવો અને ત્યાંથી વર્તમાન સુધી સાર્સ-કોવ-૨ સાથે જીવવાનું શીખી લેવા સુધી ગોલપોસ્ટ બદલ્યા કર્યા છે. એક નવા રોગ વિશે જ્ઞાન ન હોવાથી, નિર્ણય લેવામાં ભૂલો થાય એ સહજ છે, પરંતુ પસંદ કરેલી રણનીતિમાં મળેલ નિષ્ફળતાની પ્રામાણિક કબૂલાત ક્યાં છે ? આજના સમયે, તે કબૂલાત દેખાતી નથી. ગાંધીજીએ આવી કબૂલાત કરી હોત અને આશ્ચર્યજનક રીતે, આવા કાર્યએ લોકોને તેમના પર વધુ વિશ્વાસ મૂકવા પ્રેર્યા હોત.

ગ્રામ સ્વરાજ, નાના પાયાનું અર્થતંત્ર : વીતેલાં ૧૨ વર્ષોમાં, ૨૦૦૮ના વર્ષની મંદીથી લઈને ૨૦૨૦ની આર્થિક કટોકટી સુધી, આપણે જોયું છે કે વૈશ્વિક અર્થતંત્ર ખૂબ જ નાજુક છે. અમેરિકામાં થયેલ જમીનનું કૌભાંડ અથવા વુહાનમાં થયેલ નવા વાઇરસના ઉદ્‌ભવની જેમ સ્થાનિક સ્તર પર અનુભવતા ધ્રુજારીના ઝટકાના સ્વરૂપમાં તેના ધીમે – ધીમે કકડા થઈ જાય છે. ગાંધીજીએ આપણને માનવતા, સ્થાનિક ઉત્પાદનની સ્થિરતા, સ્થાનિક વપરાશ અને સંબંધોના સ્થાનિક સમુદાય આ બધું યાદ કરાવ્યું હોત. તેઓ તેને ગ્રામસ્વરાજ કહેતા હતા. નિરપવાદ રૂપે, અર્થતંત્રમાં આવો બદલાવ રાજકીય સત્તાના વિકેન્દ્રીકરણની સાથે જ થયો હોત. વૈશ્વિકીકરણે સર્વત્ર સરમુખત્યાર રાજકીય નેતાઓ જ પેદા કર્યા છે. ગાંધીજી માટે તો સાચી લોકશાહી, જવાબદારી અને સંબંધનો સારો મહાવરો તો સ્થાનિક સ્તર પર જ થઈ શકે.

આ પૃથ્વી પર બધું પર્યાપ્ત છે : આપણી જરૂરિયાતોનું શું ? આવું વિશાળકાય વૈશ્વિક ઉત્પાદનતંત્રના કેટલાક આધુનિક ગ્રાહકો પૂછશે, ત્યારે ગાંધીજીએ સમજાવ્યું હોત કે ઉપભોગ કરવાની આ અમર્યાદિત ઇચ્છા, ૨૪ કલાકની ગલીપચી અને ઇન્દ્રિયગમ્ય સુખો માટેની લાલચુ માગણી આ બધું જરૂરિયાત નથી, પણ મનમાં રોપાયેલી એક કૃત્રિમ, અકુદરતી આદત છે. આ પૈકીની કેટલી ખરી જરૂરિયાતો છે? ગાંધીજી કહેત કે દરેકની જરૂરિયાત પૂરતું આ પૃથ્વી પર પર્યાપ્ત છે, પણ લોભ માટે પૂરતું નથી. જરૂરિયાત અને લોભ વચ્ચે ભેદ સમજવાની શક્તિ, દરેકની જરૂરિયાત પૂરી પાડવા માટેની શક્તિ, પરંતુ તેની સાથે સાથે સ્વ-નિયંત્રણ અને લોભલાલચ ઓછી કરવા માટેની સામાજિક – આર્થિક યોજના – આ બધા તરફ ગાંધીજીએ આપણને દોર્યા હોત. જો આપણે આપણા લોભ, અતિશય ઉત્પાદન, બિનજરૂરી વપરાશ, સુખોપભોગવાદી પ્રવાસ અને ઘેલા પરિવહનને મર્યાદિત રાખીએ, તો ધુમાડો અને ધૂળ ઓછા થવાં માંડશે. જીવન સ્વસ્થ અને શાંતિવાળું થઈ જશે. આકાશ અને નદીઓ ચોખ્ખાં અને વાદળી થઈ જશે. આપણને પ્રતીતિ થશે કે આધુનિક સમાજની અનેક વધારાની ચીજવસ્તુઓ વિના આપણે સુખેથી જીવી શકીએ છીએ. આપણે આની એક ઝલક ગત બે માસમાં જોઈ છે, જ્યારે વિશ્વ એક જગ્યાએ સ્થિર થઈ ગયેલું.

અને જુઓ તમે પછી … જળવાયુ પરિવર્તન પીછેહઠ કરવા લાગશે!

પ્રાર્થના : આખરી કામ કે જે તેઓ આપણને કરવા કહેતા તે છે પ્રાર્થના. દરેક દિવસના અંતે, આપણે કરેલ શ્રેષ્ઠ પ્રયાસો અને આપણા વિકલ્પો અને શક્તિ પૂર્ણ થઈ ગયા પછી, શાંતિથી બેસો, ચિંતન કરો અને તમારી જાતને શરણે થઈ જાઓ. પણ કોના શરણે કરવાની છે, જાતને? તે તમારી પસંદગી છે. ભગવાન, જીવન, પ્રકૃતિ, સત્ય, ઇતિહાસ, જે તમને યોગ્ય લાગે તેને શરણે થઈ જાઓ. શરણે થઈ જાઓ અને સમર્પિત થઈ જાઓ. તમે જે કરી શકતા હતા, તે બધું જ તમે કર્યું. હવે બધો ભાર તમારી પીઠ લઈને ચાલ્યા ન કરો. એવું કરવાથી તમે મૂરખ માનવી થઈ જશો. આ અનંત બ્રહ્માંડમાં તમારા પ્રયાસોના નાનકડા કદની પ્રતીતિ કરો. હવે તેના પર (પ્રભુ) છોડી દો. તમારું કામ થઈ જશે. ઇન્શાઅલ્લાહ. ‘હે રામ’ – જ્યારે બંદૂકની ગોળીઓ તેમના શરીરને સ્પર્શી, ત્યારના તેમના આ આખરી શબ્દો હતા.

આપણે ગાંધીજી માટે રાહ ન જોવી જોઈએ. આપણે એ કરવું જોઈએ, જે તેઓએ કર્યું હોત.

હું જાહેર કરું છું કે મારાં કોઈ આર્થિક કે વ્યક્તિગત હિતો નથી.

૧૮ જૂન, ૨૦૨૦ના રોજ ઑનલાઇન પ્રકાશિત લેખનો અનુવાદ

[અનુવાદક : અલ્પેશ બારોટ, લોક-સહયોગ ટ્રસ્ટ]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2020; પૃ. 08-09

Loading

ગાંધીજી અને આકાશદર્શન

બકુલા ઘાસવાલા|Gandhiana|30 June 2020

પુસ્તક વિશે

‘હું અત્યારે તો આકાશદર્શનના ઘૂંટડા પી રહ્યો છું. ઘડપણે જાગ્યો, આકાશદર્શનમાંથી આત્મદર્શનની ઝાંખી થાય, તો છેલ્લે શ્વાસ લેતી વખતે જાગવામાં શી હરકત હોય? : — ગાંધીજી. (૧૮/૬/૧૯૩૨ના રોજ મથુરદાસ ત્રિકમજીને લખેલ પત્ર)

‘મને આકાશનો અભ્યાસ કરવાની પ્રેરણા થઈ. મને અચાનક એમ લાગ્યું કે એ મારે માટે પરમાત્માનું દર્શન કરવાનું સાધન બની ગયું છે, ત્યારે હું એકદમ એ તરફ વળ્યો. કાકા ( કાકાસાહેબ કાલેલકર) મારી સાથે હતા. એમણે મને ઘણી પ્રેરણા આપી પણ મારું ચિત્ત ચોંટ્યું નહીં. બીજા કામમાંથી ફુરસદ મળશે, ત્યારે હું એ કરીશ એ ભાવ હતો. કેસોપિયા (શર્મિષ્ઠા) જોવા માટે મને ઘણી વાર પ્રેરણા થઈ. સહેજ જોઈ હું બીજા કામમાં લાગી ગયો. અહીં એકાએક એમ થઈ આવ્યું કે આકાશદર્શન એ તો એક ભારે સત્સંગ છે. તારા પણ આપણી સાથે મૂંગી વાત કર્યા કરે છે. હું આ વિચારો પર ધ્યાન દોરવા માંગતો નથી. ટૂંકમાં, હું કહેવા માંગું છું કે એ બધું જ જ્યારે મારા માટે ધર્મનો ભાગ બની ગયું છે, ત્યારે જ હું અંદર ડૂબકી મારું છું; અને હવે હું એમાંથી બહાર આવી શકતો નથી. (૧/૭/૧૯૩૨, કિશોરલાલ મશરુવાળાને પત્ર) અહીં એટલું ઉમેરી દેવું જોઈએ કે કાકાના કારણે ગાંધીજીને પૂરતો રસ જાગૃત થયા બાદ સારું એવું માર્ગદર્શન તો મળ્યું જ હતું.

ઉપરનાં અવતરણો ભાઈ વિકાસ ઉપાધ્યાયે પોતાના પુસ્તક ‘ગાંધીજી અને આકાશદર્શન’ નામના પુસ્તકમાં નોંધ્યાં છે. ગાંધીવિચાર સાહિત્યમાં વિવિધ વિષયો પર જિજ્ઞાસુ સંશોધકોને જ્ઞાનપ્રચુર, રસપ્રદ, જીવન વિષયક માર્ગદર્શક મબલક માહિતી મળે છે તે રીતે આ લેખકને પણ ગાંધીજીના જીવનના આ એક લગભગ વણસ્પર્શ્યા પાસા પર ખાસ્સી માહિતી અને વિચારપ્રેરક સામગ્રી જડે છે. બત્રીસ પાનાંની નાનકડી પુસ્તિકામાં ફક્ત વિષયસંલગ્ન અને સાબિતી- પુરાવાઓમાં તારીખો સાથે માહિતી આપવાનો પુરુષાર્થ વિકાસે કર્યો છે. પોતે ખાસ્સો સંયમ જાળવી ક્યાં ય પણ વિષયાંતર કર્યું નથી. બાપુએ ઢળતી ઉંમરે આકાશદર્શનનો શોખ કેળવેલો અને એમને એ તક યરવડા જેલનિવાસ દરમિયાન મળેલી. આ દરમિયાન એમણે સમય આપીને અધિકૃત જાણકારી સંબંધિત વિષયે પુસ્તકવાંચન, ટેલિસ્કોપિક આકાશદર્શનના અનુભવો અને નરી આંખે અધ્યયન થકી મેળવી જે જ્ઞાન, સમજ અને દૃષ્ટિ કેળવી તે વિશે બે લેખો લખ્યા. આ બે લેખો દીવાદાંડી જેવા સાબિત થયા. અહીં આકાશમાં ગ્રહ-તારા-નક્ષત્રોની સ્થિતિ, સત્યદર્શનની અનુભૂતિ, પિંડ અને બ્રહ્માંડનું તાદાત્મ્ય, વૈજ્ઞાનિક વલણ સાથે પોતાનાં સ્વજનો, મિત્રો અને આશ્રમવાસીઓને એની માહિતી આપવાની વાતો સમાવિષ્ટ છે. ગાંધીજીનું આ દર્શન ફક્ત શોખની વ્યાખ્યામાં બાંધવું ન જોઈએ, કારણ કે એમાં જે અનંત સાથેનું અનુસંધાન છે, તે એમના લખાણમાં સતત અનુભવાય છે. જે સમયમાં બાપુ આ પ્રવૃત્તિ સાથે જોડાયેલ હોય છે, ત્યારે પણ એમનો  સત્યાગ્રહ, હરિજનસેવા, પ્રવૃત્તિનું ચિંતન, ઉપવાસો અને અન્ય કાર્યો થતાં જ રહે છે. વાચક તરીકે યાદ રાખવું જરૂરી છે કે આ સઘળું જેલવાસ દરમિયાન બનતું રહે છે. અહીં જે તેઓ ખગોળશાસ્ત્રને લગતાં નોંધપાત્ર પુસ્તકોનું વાંચન કરતા રહે છે, એની યાદી આ પુસ્તિકામાંથી બનાવી શકાય એમ છે. એમણે કોને પત્રો લખ્યા, શું લખ્યું, કેવું ચિંતન કર્યું, તેનો ચિતાર પણ આ પુસ્તિકામાં છે જ. જો કે એ જાણવા-સમજવા માટે પુસ્તિકામાંથી પસાર થવું જરૂરી છે.

વલ્લભભાઈ પાસે પોતાના લેખની નકલ કરાવવી, નારણદાસ ગાંધીને લેખો મોકલવા અને જરૂરી સૂચનો કરવાં જેવી ઘટનાઓ પણ નોંધનીય બને છે.  જેમાં અગત્યની વાત એ હતી કે જેમને રસ હોય તે વાંચે એ આગ્રહ તો બરાબર, સાથે હસ્તલિખિત અને જાતે બનાવેલ નકશા દ્વારા જે-તે વ્યક્તિ આકાશદર્શનનું મહત્ત્વ સમજે એના પર પણ એમણે ભાર મૂક્યો છે, જેમાં યંત્રો દ્વારા વધારે કૉપી ન કાઢવાનું કારણ તો સમજી જ શકાય. પરંતુ મને તો એ પણ સમજાયું કે જાત વગરની જાત્રા ન કરવી! ગુજરાતીમાં આકાશદર્શનનું પુસ્તક કેવું હોવું જોઈએ, તે વિશે પણ તેઓ સ્પષ્ટ છે. પોતે આ વિષયે નિષ્ણાત નથી, પરંતુ સામાન્ય વ્યક્તિ તરીકે જિજ્ઞાસા સાથે વ્યવહાર જોડી પોતે શું સમજ્યા છે, તે વિશે તો તેઓ સ્પષ્ટ છે. ગાંધીજી વિદ્વાનોને માનસન્માનથી જુએ છે, પરંતુ એમના હૃદયે હરહંમેશ એક સામાન્ય વ્યક્તિનું મહત્ત્વ છે, એટલે એને સમજાય તેવું રસદર્શન કરાવવાનું એમનું વલણ તો ઊપસ્યા જ કરે છે. તે સાથે એમણે પોતાના કામની જે પ્રાથમિકતા નક્કી કરી છે, તેમાં બાંધછોડ ન કરવી અને તે કાર્યોનું મહત્ત્વ સમજાવવાનું પણ તેઓ ચૂકતા નથી. આ વાત એમણે મહાદેવભાઈ જ્યારે કોઈ ગંભીર ચર્ચા સમયે પોતાનું કામ અહીં નથી, એવું સમજી આકાશદર્શન માટે બહાર જાય છે, ત્યારે બાપુએ એમને કરેલી ટકોર પરથી સ્પષ્ટ થાય છે. ( પાનું : ૨૬)

વિકાસે સંદર્ભપુસ્તકો અને વ્યક્તિઓનો ઉલ્લેખ કર્યો છે, તે સાથે એમની પ્રતિક્રિયાને પણ ધ્યાનમાં લીધી છે, જેમ કે જે.જે. રાવળસાહેબ, પંકજ જોષીજીનાં મંતવ્યો દ્વારા સિદ્ધ કર્યું છે કે ગાંધીજી આ બાબતે કેટલા ગંભીર હતા, એમનું વલણ વૈજ્ઞાનિક હતું અને ધર્મનો અર્થ બાપુ માટે ક્યારે ય સંકુચિત ન હતો. તો અમરેલીના પ્રતાપભાઈ ગિરધરલાલ મહેતાએ ‘હંસપુચ્છ તારાને ગાંધીતારાનું નામાભિધાન’ માટે આઈ.એ.યુ.ને (ઇન્ટરનેશનલ ઍસ્ટ્રોનૉમિકલ યુનિયન) કરેલી અપીલ, એની યથાર્થતા વિશે અને આપણે હજી એ આગ્રહ રાખી હંસપુચ્છને ગાંધીતારા તરીકે ઓળખી જ શકીએ, એવી પોતાની લાગણીને સમાપનમાં સુપેરે વ્યક્ત કરી ગાંધીજીના જીવનના આ મહત્ત્વના પાસાની ન્યાયોચિત રજૂઆત કરી જ છે.

ડૉ. રાવલનું આ વિધાન તેની પુષ્ટિ કરે છે. ‘ગાંધીજીની મહાનતાને નહીં જાણનાર, તેમના બ્રહ્માંડ જેટલા વિસ્તૃત પરિમાણને નહીં જાણનાર, તેમને વિજ્ઞાનીઓના પણ વિજ્ઞાની હતા કે નહીં જાણનાર ઇન્ટરનેશનલ ઍસ્ટ્રોનૉમિકલ યુનિયનના એ ખગોળવિજ્ઞાનીઓને કોણ સમજાવે? પ્રતાપભાઈએ હંસપુચ્છ તારાને ગાંધીજીનું નામ સૂચવ્યું, ત્યારે તેઓએ ગાંધીજી વિશે વાંચવું જોઈતું હતું અને તેમનાં જીવનકાર્યોને તેમણે જાણવા જોઈતાં હતાં. ગાંધીજીના સત્યના પ્રયોગો શું દર્શાવે છે ? તે દર્શાવે છે કે તેઓ વિજ્ઞાની હતા ને વિજ્ઞાનીઓની જેમ માનતા હતા કે થિયરીને પ્રયોગાત્મક, નિરીક્ષણાત્મક ટેકો હોય તો જ થિયરી સાચી ગણાય. આ તેમનું વિજ્ઞાનદર્શન હતું. ગાંધીજીની નિત્ય વિકાસશીલતા, વિજ્ઞાનની કુદરતની નિત્ય વિકાસશીલતા જેવી જ હતી.’ વિકાસ ઉમેરે છે કે ડૉ. રાવલ માને છે કે જો આપણે ઝુંબેશ ઉપાડીએ તો આઈ.એ.યુ. કદાચ હવે માને પણ ખરું. જો કે હું તો માનું છું કે બાપુ કયાં આવી વાતોના મોહતાજ હતા?

આ પુસ્તિકાને પ્રકાશિત કરવામાં સૌજન્ય ચંદ્રકાંતભાઈ, ચિત્રાબહેન, ગૌતમ દેસાઈ પરિવાર, વલસાડ પારડી, વલસાડનું છે, તેની નોંધ લેવી જોઈએ. લેખક ‘દમણગંગા ટાઇમ્સ’ના નિવાસી તંત્રી છે અને વૈજ્ઞાનિક વલણ માટે લેખનકર્તા તરીકે જાણીતા છે.     

E-mail : bakula.ghaswala@gmail.com

ગાંધીજી અને આકાશદર્શન : વિકાસ ઉપાધ્યાય, શીતલ પબ્લિકેશન, આશાધળી સ્કૂલ પાછળ, નેશનલ હાઈવે નંબર ૮, વાપી – ૩૯૬ ૧૯૫

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2020; પૃ. 16 તેમ જ 12

Loading

મુશ્કેલ સમયમાં (28)

સુમન શાહ|Opinion - Opinion|30 June 2020

= = = = સાહિત્ય અઘરું લાગે, ન સમજાય, પણ આનન્દ આપે એવું હોય છે. અને સાહિત્ય સહેલું લાગે, સમજાય, પણ આનન્દ ન આપે એવું પણ હોય છે. અને સાહિત્ય સમજાય અને આનન્દ પણ આપે એવું પણ હોય છે. તેમ છતાં, અઘરું જ લાગે તો એક સહેલો ઉપાય છે – એવા સાહિત્યકારને હમ્મેશને માટે તિલાંજલિ આપી દેવી, એના ભણી કદી ફરકવું નહીં. = = = =

= = = = સાહિત્યકલાના મહેલમાં પ્રવેશાય અથવા તો દૂરથી એને રામ રામ કરી દેવાય … = = = =

આ લેખમાળાનું શીર્ષક છે, આ મુશ્કેલ સમયમાં; પણ તમને કહું, કેટલાક લોકોને આ સમય મુશ્કેલ નથી લાગતો. કોરોના વૉરિયર્સ તો ખુલ્લેઆમ દિવસ-રાત જે દિશામાં એમના જીવડાને હખ પડે ત્યાં નીકળી પડતા હોય છે. મેં હમણાં જ જાણ્યું કે કેટલાયે અમરિકનોને બીચ પર ગયા વિના ચાલતું જ નથી. મૉલમાં ન જવાય એ દિવસે એમને પેટમાં દુખે છે. Six Flags પર જઈને રોલર કોઅસ્ટર અને થ્રિલ્લ રાઇડ્સની મજા લૂંટવી જ હોય છે – કોરોનાની ઍસીતૅસી !

મેં હમણાં મારા મિત્રની પત્નીને કહ્યું : આમ સવાર-સાંજ ખાવાનું બનાવવાનું મને ગમે છે ખરું પણ બહુ અઘરું પડે છે. તો કહે, અઘરું છે પણ ગમે છે ને, તો સમજી જાવ, ધીમે ધીમે રાગે પડી જવાશે – અમને સ્ત્રીઓને તો અઘરું જે કંઈ છે એ બધું જ કોઠે પડી ગયું હોય છે. મને કહે, આ કોરોનાને સમજવાની ને રસી શોધવાની બધી ભાંજગડ નક્કામી મગજમારી છે. સમજો તો કોરોનામાં ય એક જાતની મજા છે, અલબત્ત, એક જાતની. ઘરમાં ચૉવીસે કલાક બધાં સાથે ને સાથે. તમારા ભાઈબંધ તો મારી હારે ને હારે જ હોય છે પણ દીકરાઓ, દીકરા-વહુઓ ને પોતરાં, એ ય તમારે જલસો, બહુ લ્હૅર પડે છે. અઘરું કશું હોતું જ નથી સુમનભાઈ, તમારા લેખો ય કેટલા સરળ હોય છે, બને તો, મથાળું બદલીને ‘આ સરળ સમયમાં’ કરી દો … હું હસી પડ્યો …

તે વખતે મારી નજર બારી બ્હાર હતી. રસ્તાઓ સૂમસામ હતા, વાહનોનું ચીંચીંપીપી તો, આમ લખું ત્યારે જ યાદ આવે છે. મને એ શાન્ત માહોલ ગમવા લાગેલો … થયેલું કે આવું ને આવું રહે તો કેવું સારું … દુષ્ટ વિચાર, આમ તો …

પણ સુથારનું મન બાવળિયે હોય એમ હું ‘સાહિત્યમાં અઘરું ને સ્હૅલું’ પર જઈ બેઠો. મારા લેખો મિત્ર-પત્નીને તેમ બીજાં ઘણાંને સરળ લાગે છે, પણ કેટલાકોને નથી લાગતા, અમુકોને તો ક્યારે ય નથી લાગતા. આ વાતમાં આ ક્ષણે મને એક હૂજકો પડે છે – સમજ – અન્ડરસ્ટૅન્ડિન્ગ. એમ કે, સાહિત્યકારો ત્રણ પ્રકારના હોય છે.

એક એવા કે એમનું સાહિત્ય અઘરું લાગે, ન સમજાય, પણ આનન્દ તો આપે જ. એમનામાં આપણો કશો ગજ વાગે નહીં પણ એમની સૃષ્ટિમાં આપણને મજા તો પડે જ. અને બીજા એવા કે એમનું સાહિત્ય સહેલું લાગે, સમજાય, પણ આનન્દ ન આપે. પણ ત્રીજા એવા કે સમજાય અને આનન્દ પણ આપે.

જેમ કે, બાણની ‘કાદમ્બરી’ -માં કશું ઝટ પલ્લે ન પડે, શબ્દગુચ્છોની વેલ વિસ્તર્યા કરતી હોય, તે, મૂળ વાત તો છેક પાંચમા પાને પૂરી થાય ! પણ એ શબ્દલીલા આપણને અભિભૂત કરી દે. શ્રીહર્ષના ‘નૈષધીયચરિતમ્’-ના કેટલાક શ્લોકને સમજવાનું કઠિનતમ, કેમ કે એવા કોઈ શ્લોકના તો પાંચ પાંચ અર્થ થતા હોય ! શિક્ષક પણ કવિના જેટલો જ પાણ્ડિત્યપ્રેમી હોય, તે એવા એક જ શ્લોકની ચર્ચામાં પીરિયડ પૂરો કરે ને નર્યા ઉત્સાહથી બધું બતાડે ત્યારે આનન્દ, કદાચ થાય. પણ સંસ્કૃત ભાષાનો એ વૈભવ જોઈને આપણી છાતી ફૂલે અને આપણે વગર સમજ્યે બસ ખુશ થયા કરીએ. ગીતાંજલિ’-ની કોઈ કોઈ રચનાઓ સમજાય બહુ મૉડેથી, પણ હમેશાં સંતોષ અને આનન્દ આપે, વાતમાં આપણો જીવ ઠરે. ‘સરસ્વતીચંદ્ર’-ના ત્રીજા-ચૉથા ભાગનું વસ્તુ ઘણું મૂલ્યવાન ભાસે પણ આનન્દ ન આવે તે ન જ આવે. ચિન્તક ગોવર્ધનરામ માટે માન થાય પણ સર્જક ગોવર્ધનરામની શોધ કરવા નીકળીએ તો આપણે ઘાંઘા થઈ જઈએ. એ ત્રીજા-ચૉથા ભાગના કોઈ વિશિષ્ટ વિદ્વાન બધું સમજાવે, તો થાય.

પણ બીજા સાહિત્યકારો કે જેમનું સાહિત્ય સહેલું લાગે છે, સમજાય છે, તેમનાં નામ કે કામનો શો મહિમા કરવો? એઓ તો પહેલા જ વાચને પમાઇ ગયા હોય છે ! એઓની સૃષ્ટિથી આનન્દ નથી મળતો, ફુરસદનો સમય આરામથી પસાર કરી શકાય છે. નૉંધપાત્ર વાત એ છે કે દુનિયાભરનાં સાહિત્યક્ષેત્રોમાં આ બીજા પ્રકારના લેખકો સંખ્યાબંધ હોય છે. ઘણી વાર તો એમ લાગે કે એમની હાજરીને કારણે જ સાહિત્ય વાજતું-ગાજતું રહે છે.

પણ, કાલિદાસ. એમનું ‘મેઘદૂત’ સમજાય પણ ખરું, આનન્દ પણ આપે. કબીર અઘરા તો ન જ લાગે, હમેશાં સમજાય અને સાતા આપે. સૉનેટકાર શેક્સપીયર ક્યારેક જ અઘરા પડે, પણ ચારમાંની બે ટ્રેજેડી – ‘હૅમ્લેટ’ અને ‘ઑથેલો’ જેટલી સમજાય, એટલો આનન્દ પણ આપે. કામૂ કાફ્કા હૅમિન્ગ્વે હમેશાં સમજાય, હમેશાં આનન્દ આપે. વર્તમાન ગઝલસર્જકોની તુલનામાં ગાલિબ મુશ્કેલ લાગે, પણ ગમે ઘણા. હું પ્રૉફેસર ઇમેરિટ્સના મારા એ સમયગાળામાં ઉમાશંકરની પદ્યરચના પર સંશોધનકાર્ય કરતો’તો. ત્યારે ઘણા મને પૂછે કે તમને સુન્દરમ્-ની પદ્યરચનાઓ સરળ નથી લાગતી? હું કહેતો કે હાલ તો હું ઉમાશંકરમાં છું, પછી વાત કરશું. સુરેશ જોષીની સૃષ્ટિમાં ઘણાઓને સમજ નથી પડતી પણ એમને મજા જરૂર પડે છે – ‘છિન્નપત્ર’ને ચૂસ્યા જ કરે, પાનાં પછી પાનાં ભલે ફરતાં જાય. આવાં બીજાં અનેક દૃષ્ટાન્તો ઉમેરી શકાય.

આ વાત સંગીતકલાને પણ લાગુ પડે છે. શાસ્ત્રીય સંગીતમાં, સાચું કહીએ તો, ઘણાઓને કશું સમજાતું નથી પણ એમનાં માથાં તો ડોલતાં હોય છે. આ વાત ચિત્રકલાને પણ લાગુ પડે છે. મૉડર્ન, ઍબ્સ્ટ્રેક્ટ, પેઇન્ટિન્ગમાં માણસને કશી ગતાગમ ન પડે, પણ તાક્યા કરે. શ્રીમન્તો એવાં ચિત્રો ખાસ ખરીદે છે ને ઘરની દીવાલ પર લટકાવીને કલાપોષક હોવાનો ગર્વ અંકે કરે છે.

આ વાત તત્ત્વચિન્તનને પણ લાગુ પડે છે. ઇમાન્યુએલ કાન્ટને સમજવા અને માણવા માટે બહુવિધ વ્યાયામની જરૂર પડવાની. નિત્શે બીજે તો ઠીક પણ ‘ધસ સ્પોક જરથુષ્ટ્ર’-માં સમજાય અને આનન્દ પણ આપે. સાર્ત્ર એમની નવલ ‘નૉશિયા’ વગેરે સર્જનાત્મક કૃતિઓમાં સમજાય અને આનન્દ પણ આપે, બાકી, તત્ત્વચિન્તક સાર્ત્રને પામવા તમારે કોઈને ગુરુ કરવા પડે કે પછી જાતે ગુરુ થઈને મથવું પડે. શોપનહાવરને, હાઇડેગર કે હ્યુસેર્લને, દેરિદાને, ફૂકોને કે બાદિયુને સમજવા માટે પણ ઘણી બધી વિદ્વદ્ત્તાસભર વ્યક્તિઓના માર્ગદર્શનની જરૂર પડે.

પણ આ બાબતે લેખાંજોખાં ન મંડાય, સરખામણીઓ ન કરાય. જેમ કે, નર્મદ અને દલપતની કે પ્રેમચંદ અને ‘અજ્ઞેય’-ની આ પરત્વે સરખામણીઓ ન જ થાય. પત્રકાર ચન્દ્રકાન્ત બક્ષીને કયા પત્રકાર સાથે સરખાવવા? હમેશાં સમજાય ને આનન્દ આપે. ઘણી વાર તો ગુસ્સો દાખવીને કે ચીડવીને પણ તમને રાજી કરી દે. આ પરત્વે, કિશોર જાદવ અને શિવકુમાર જોષીની તુલના ન કરાય, જેમ રામનારાયણ પાઠક અને જયન્તી દલાલની ન કરાય. સમજાય એવું છે કે ગની દહીંવાળા અને રમેશ પારેખની પણ આ વિષયે, તુલના ન જ કરાય.

તમને કહું, જાણ્યે-અજાણ્યે સાહિત્યકારો અઘરાની સાધનામાં જ વ્યસ્ત હોય છે. જુઓ, વિદ્વદ્પ્રિય લેખકો લોકપ્રિયોને એ કારણે જ ગણકારતા નથી. પોતાનાં લેખનો ન સમજાય તેને ગુણ ગણે છે ને લોકપ્રિયોનાં સમજાય તેમાં અવગુણ જુએ છે. તમને એ પણ કહું કે એક લોકપ્રિયની બીજા લોકપ્રિય જોડે સરખામણી ન કરાય. કેમ કે, દરેક લોકપ્રિય પોતાને અંદરખાને કંઈક તો વિદ્વત્તાતરફી ગણતો જ હોય છે. બાજુવાળા લોકપ્રિયને એ ગણકારતો નથી – એમ કે એની લોકપ્રિયતા ગ્રામ્ય છે, છીછરી છે.

વગેરે વગરે દાખલાઓ ઉમેરીને સાહિત્યમાં આ અઘરું ને સ્હૅલું-ની વારતાને બહેલાવી શકાય.

મૂળ વાત હતી કોરોનાની. એનો સાર એ છે કે કોરોના અઘરો છે, ન સમજાય એવો છે, એમાં આનન્દ કે મજાને તો જગ્યા જ નથી, બલકે રોજે રોજનાં મૉતથી એણે માનવસંસારને કલુષિત કરી મેલ્યો છે. એ જાય એ માટે એને કે એના મોકલનારને માત્ર પ્રાર્થના જ કરી શકાય છે.

બીજી વાત આ હતી, સાહિત્યની. એનો સાર એ છે કે સાહિત્ય અઘરું લાગે, ન સમજાય, પણ આનન્દ આપે એવું હોય છે. અને સાહિત્ય સહેલું લાગે, સમજાય, પણ આનન્દ ન આપે એવું પણ હોય છે. અને સાહિત્ય સમજાય અને આનન્દ પણ આપે એવું પણ હોય છે.

તેમ છતાં, અઘરું જ લાગે તો એક સહેલો ઉપાય છે – એવા સાહિત્યકારને હમ્મેશને માટે તિલાંજલિ આપી દેવી, એના ભણી કદી ફરકવું નહીં.

સાહિત્યકલાના મહેલમાં પ્રવેશાય અથવા તો દૂરથી એને રામ રામ કરી દેવાય …

= = =

(June 30, 2020: Ahmedabad)

Loading

...102030...2,2882,2892,2902,291...2,3002,3102,320...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved