ઠેકાણું નહીં !
મારું કંઈયે ઠેકાણું નહીં !
સુખ મળે સામું, માણું નહીં !
બિછાવી હતી મેં પણ જાળ
એકેય માછલું ફસાણું નહીં !
બતાવ્યા કેટલા ય રસ્તાઓ
પણ મારાથી ચલાણું નહીં !
કરું દોસ્તી અજાણ્યાઓથી
પોતાનાઓને પિછાણું નહીં !
જોયા બધાં ચહેરા કફનમાંથી
એમાં એક પણ અજાણ્યું નહીં !
રહ્યો એક જ અફસોસ છેલ્લે
દુ:ખ લીધું એને દેવાણું નહીં !
•
સરાણિયાનું ગીત
કોળિયો કેમે ય ન ઊતરે !
ભૂખ્યા જન જ્યાં ફરે !
પેટ ગયું પાતાળે
આંખો ઊંડા કૂવા !
ગણી-ગાંઠી પાંસળીઓ
ક્યાંથી દે તમને દુવા !
નીંદર ક્યાંથી હોય આંખોને
મનમાં દ્રશ્ય એ ફરે !… કોળિયો કેમેય ન ઊતરે !
આગ ઝરતી ક્રૂર બપોરે
એક સરાણિયો, પગ ઢસડતો
ધાર કાઢવા
ઉઘાડા પગે ફરે !
ધમણ થઈને છાતી ફૂલે
અંધારા આંખે ઊતરે ! … કોળિયો કેમેય ન ઊતરે !
સાંજ પડે ને ભૂખ્યા પેટે
ઓટલે કાયા ઢળે !
પાણી પીને, પરસેવાથી
ક્યાંથી નીંદર વળે ! … કોળિયો કેમેય ન ઊતરે !
જીવનની એ ધાર કાઢતો
બુઠ્ઠા સપનાં લઈને !
કાયા થાકી, શ્વાસેય ખૂટ્યા
જે આપો તે લઈ લે !
બટકું રોટલો મળી જાય તો
રાતની પીળા ટળે ! … કોળિયો કેમેય ન ઊતરે !
••
જઈને ક્યારી ક્યારી !
ફૂલ શોધે ફોરમને
જઈને ક્યારી ક્યારી !
ફૂલને જોઈને આવાં બ્હાવરાં
કળીઓ પણ શરમાણી ! … જઈને ક્યારી ક્યારી
રંગો બિચારાં થયા નિમાણા
સામ સામે જોતા !
સુગંધ વિનાનું કેવું જીવન
મનમાં બહુ મૂંઝાતાં !
કળીઓ પણ વાટ જોતી
પાનનો ઘૂંઘટ તાણી ! … જઈને ક્યારી ક્યારી !
ડાળીઓએ ડોક ધૂણાવી
સરવા કર્યાં કાન !
ઓચિંતો પમરાટ પથરાયો
વાંસડી વગાડે ક્હાન !
ફોરમે ફૂલોની સાથે
કરી પછી ઉજાણી ! … જઈને ક્યારી ક્યારી !
•••
મારો એક જ વિસામો
મારો એક જ વિસામો
કૃષ્ણ કેરો પાવો !
તમે રાજા દ્વારિકાના
હું ગરીબ સુદામો ! … મારો એક જ વિસામો !
લાવ્યો છું હું ચપટી તાંદુલ
માંગો તમે તો આપું !
આઘાપાછા જરી થતા ના
નયને બાંધી રાખું !
મિત્ર કહ્યો તો સંગે રહેજો
છોડી બીજા કામો ! … મારો એક જ વિસામો !
મિત્ર, મિત્ર કહી દોડી આવ્યા
ત્રણે લોકના સ્વામી !
સુદામાના પાય પખાળે
વાતો જ્યારે જામી !
સ્વાગત મારું કરવા નાથે
બહુ કર્યો ઉધામો ! … મારો એક જ વિસામો !
••••
મારો હરિ બહુ મોટો !
મારો હરિ બહુ મોટો !
ઉપર બેસી સઘળું જોતો
કોણ ખરો, કોણ ખોટો ! … મારો હરિ બહુ મોટો !
નરસિંહ કાજે શામળિયો ને
મીરાંનો એ ગિરધર !
જળનું પોત એક સરીખું
સરિતા હોય કે સરવર !
પ્રીત પારખી દોડી આવે
દયાનો નહીં કોઈ તોટો ! … મારો હરિ બહુ મોટો !
પાંચાળીનાં ચીર પૂર્યાં
કરી પાર્થને સહાય !
ગોપી કેરાં વસ્ત્રો ચોરી
જમના જળમાં ન્હાય !
શિશુપાલનું શિશ વધેરી
કંસનો પીસે ટોટો ! … મારો હરિ બહુ મોટો !
સુદામા કેરી ઝૂંપડીને
કરે સુવર્ણ મહેલ !
શરત એ છે શામળિયાની
તારે કરવી પહેલ !
એના ઉપર જો હોય ભરોસો
કદી ન પડતો ખોટો ! … મારો હરિ બહુ મોટો !
•••••
e.mail : gor.uday.chandra@gmail.com
![]()






આપણે જાણીએ છીએ કે ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ રણજિતરામ વાવાભાઈ મહેતાએ સ્થાપી, ત્યારે એમના મનમાંનો ગુજરાતી સાક્ષર ગોવર્ધનરામના 'સાક્ષરજીવન'ના નાયક સમો હતો, જેના દિલમાં દેશહિત હોય, પરિષદદર્શનની આ વ્યાપકતાનો ખ્યાલ એના પરથી આવે છે કે અહીં થયેલા પ્રમુખો મોટા સર્જકોની સાથે મોટા ચિંતકો પણ રહ્યા છે. ગાંધીજીનું પરિષદપ્રમુખ હોવું એ આ પરંપરાનું ગૌરવ હતું. આર્નોલ્ડે સાહિત્યને જીવનની સમીક્ષા ગણાવ્યું છે. એ અર્થમાં સાહિત્યકાર એટલે જીવનનો સમીક્ષક. જીવન એટલે મેઘાણી કહે છે તેમ મુંબઈના કોઈ નળમાંથી ટપકતી દદૂડી નહીં, પણ સાગરવેળ જે આપણા અણુએ અણુને પ્લાવિત કરે. પરિષદદર્શનના પાયામાં આ ભાવના રહેલી છે. પરિષદદર્શનના આ પાયાના એક પથ્થર પ્રકાશ ન. શાહ છે, આપણે ત્યાં રસિક હોય એ ઘણીવાર પૂરો નાગરિક નથી હોતો, નાગરિક હોય એ પૂરો રસિક નથી હોતો. રસિક નાગરિકની કેળવણી પ્રકાશભાઈની મથામણ રહી છે.
આ સર્જકોની સર્વતોમુખી પ્રવૃત્તિ પ્રકાશભાઈમાં પણ આપણને જોવા મળે છે. રાજનીતિ, પત્રકારત્વ, શિક્ષણ અને સાહિત્યમાં પ્રગતિશીલ અભિગમથી સતત કામ કર્યું. સાહિત્યની સ્વાયત્તતા અને સંસ્થા પ્રત્યેની નિસબતના સંયોગનું એ વિરલ ઉદાહરણ છે. ભોગીલાલ ગાંધી, જયંતિ દલાલ, ‘દર્શક’, ઉમાશંકર જોશી, સાથે તો જયપ્રકાશના આંદોલનમાં અને આચાર્ય કૃપાલાણી સાથે અંતેવાસી કહી શકાય એ રીતે કામ કર્યું. કટોકટી વખતે જેલવાસ પણ વેઠ્યો. આમ, પ્રકાશ ન. શાહ એક વ્યક્તિ નહીં પણ એક મિજાજ, એક આબોહવાનું પ્રતિનિધિત્વ કરે છે. એમના લેખન અને વક્તવ્યમાં સંદર્ભો અવનવાં પુષ્પોની જેમ પ્રગટ થઈ, વિષયને વ્યાપક ફલક પર લઈ જાય છે. નિર્ભય લેખક કેવો હોય એનું પ્રકાશ ન. શાહ જીવતુંજાગતું ઉદાહરણ છે. પ્રકાશભાઈ પ્રજાલક્ષી રાજનીતિમાં સતત સક્રિય રહ્યા છતાં એમની છાપ કોઈ પણ પક્ષ કે વાદમાં બંધાવાને બદલે મૂલ્યબદ્ધ વ્યક્તિ તરીકે જ સમાજમાં વિસ્તરતી રહી. આ કારણે જ એમની લોકપ્રિયતા કે સ્વીકૃતિને પક્ષવાદ કે જૂથની સીમાઓ અડી પણ નહિ અને નડી પણ નહીં.