Opinion Magazine
Number of visits: 9965975
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાંચ કાવ્યો

ઉદય ચંદ્રકાંત|Poetry|20 September 2020

ઠેકાણું નહીં !

મારું કંઈયે ઠેકાણું નહીં !
સુખ મળે સામું, માણું નહીં !

બિછાવી હતી મેં પણ જાળ
એકેય માછલું ફસાણું નહીં !

બતાવ્યા કેટલા ય રસ્તાઓ
પણ મારાથી ચલાણું નહીં !

કરું દોસ્તી અજાણ્યાઓથી
પોતાનાઓને પિછાણું નહીં !

જોયા બધાં ચહેરા કફનમાંથી
એમાં એક પણ અજાણ્યું નહીં !

રહ્યો એક જ અફસોસ છેલ્લે
દુ:ખ લીધું એને દેવાણું નહીં !

•

સરાણિયાનું ગીત

કોળિયો કેમે ય ન ઊતરે !
ભૂખ્યા જન જ્યાં ફરે !
પેટ ગયું પાતાળે
આંખો ઊંડા કૂવા !
ગણી-ગાંઠી પાંસળીઓ
ક્યાંથી દે તમને દુવા !
નીંદર ક્યાંથી હોય આંખોને
મનમાં દ્રશ્ય એ ફરે !… કોળિયો કેમેય ન ઊતરે !

આગ ઝરતી ક્રૂર બપોરે
એક સરાણિયો, પગ ઢસડતો
ધાર કાઢવા
ઉઘાડા પગે ફરે !
ધમણ થઈને છાતી ફૂલે
અંધારા આંખે ઊતરે ! … કોળિયો કેમેય ન ઊતરે !

સાંજ પડે ને ભૂખ્યા પેટે
ઓટલે કાયા ઢળે !
પાણી પીને, પરસેવાથી
ક્યાંથી નીંદર વળે ! … કોળિયો કેમેય ન ઊતરે !

જીવનની એ ધાર કાઢતો
બુઠ્ઠા સપનાં લઈને !
કાયા થાકી, શ્વાસેય ખૂટ્યા
જે આપો તે લઈ લે !
બટકું રોટલો મળી જાય તો
રાતની પીળા ટળે ! … કોળિયો કેમેય ન ઊતરે !

••

જઈને ક્યારી ક્યારી !

ફૂલ શોધે ફોરમને
જઈને ક્યારી ક્યારી !
ફૂલને જોઈને આવાં બ્હાવરાં
કળીઓ પણ શરમાણી ! … જઈને ક્યારી ક્યારી

રંગો બિચારાં થયા નિમાણા
સામ સામે જોતા !
સુગંધ વિનાનું કેવું જીવન
મનમાં બહુ મૂંઝાતાં !
કળીઓ પણ વાટ જોતી
પાનનો ઘૂંઘટ તાણી ! … જઈને ક્યારી ક્યારી !

ડાળીઓએ ડોક ધૂણાવી
સરવા કર્યાં કાન !
ઓચિંતો પમરાટ પથરાયો
વાંસડી વગાડે ક્હાન !
ફોરમે ફૂલોની સાથે
કરી પછી ઉજાણી ! … જઈને ક્યારી ક્યારી !

•••

મારો એક જ વિસામો

મારો એક જ વિસામો
કૃષ્ણ કેરો પાવો !
તમે રાજા દ્વારિકાના
હું ગરીબ સુદામો ! … મારો એક જ વિસામો !

લાવ્યો છું હું ચપટી તાંદુલ
માંગો તમે તો આપું !
આઘાપાછા જરી થતા ના
નયને બાંધી રાખું !
મિત્ર કહ્યો તો સંગે રહેજો
છોડી બીજા કામો ! … મારો એક જ વિસામો !

મિત્ર, મિત્ર કહી દોડી આવ્યા
ત્રણે લોકના સ્વામી !
સુદામાના પાય પખાળે
વાતો જ્યારે જામી !
સ્વાગત મારું કરવા નાથે
બહુ કર્યો ઉધામો ! … મારો એક જ વિસામો !

••••

મારો હરિ બહુ મોટો !

મારો હરિ બહુ મોટો !
ઉપર બેસી સઘળું જોતો
કોણ ખરો, કોણ ખોટો ! … મારો હરિ બહુ મોટો !

નરસિંહ કાજે શામળિયો ને
મીરાંનો એ ગિરધર !
જળનું પોત એક સરીખું
સરિતા હોય કે સરવર !
પ્રીત પારખી દોડી આવે
દયાનો નહીં કોઈ તોટો ! … મારો હરિ બહુ મોટો !

પાંચાળીનાં ચીર પૂર્યાં
કરી પાર્થને સહાય !
ગોપી કેરાં વસ્ત્રો ચોરી
જમના જળમાં ન્હાય !
શિશુપાલનું શિશ વધેરી
કંસનો પીસે ટોટો ! … મારો હરિ બહુ મોટો !

સુદામા કેરી ઝૂંપડીને
કરે સુવર્ણ મહેલ !
શરત એ છે શામળિયાની
તારે કરવી પહેલ !
એના ઉપર જો હોય ભરોસો
કદી ન પડતો ખોટો ! … મારો હરિ બહુ મોટો !

•••••

e.mail : gor.uday.chandra@gmail.com

Loading

ચલ મન મુંબઈ નગરી—62

દીપક મહેતા|Opinion - Opinion|19 September 2020

નામ-રૂપ જૂજવાં : બોમ્બે ગ્રીન, એલ્ફિન્સ્ટન સર્કલ, હોર્નિમન સર્કલ

આ સર્કલ એટલે બ્રિટનના બાથ શહેરના રોયલ ક્રેસન્ટનું પ્રતિબિંબ 

માનશો? પહેલું ચર્ચગેટ સ્ટેશન દરિયાને અડીને આવેલું હતું

આપણા દેશમાંથી અંગ્રેજોનું રાજ ગયું તે પછી આખા દેશની જેમ મુંબઈમાં પણ જાહેર ઈમારતો, રસ્તાઓ, રેલવે સ્ટેશનો, વગેરે સાથે જોડાયેલાં અંગ્રેજોનાં નામ દૂર કરવાનું શરૂ થયું જે આજ સુધી ચાલુ રહ્યું છે. હજી થોડા વખત પહેલાં જ એલ્ફિન્સ્ટન રોડ સ્ટેશનનું નામ બદલીને પ્રભાદેવી કરવામાં આવ્યું છે. પણ કંઈ નહિ તો એક દાખલો આના કરતાં ઊંધો જોવા મળે છે. એક બગીચા અને તેની આસપાસના વિસ્તાર સાથે જોડાયેલું એક અંગ્રેજનું નામ દૂર કરીને બીજા અંગ્રેજનું નામ જોડવામાં આવ્યું અને તે નામ આજ સુધી સચવાઈ રહ્યું છે. એ નામ તે હોર્નિમન સર્કલ. જે પહેલાં એલ્ફિન્સ્ટન સર્કલ હતું તે. અને આ બન્યું ૧૯૪૮-૧૯૪૯ના અરસામાં, એટલે કે દેશને આઝાદી મળી એ પછી લગભગ તરત.

“ધ બોમ્બે ક્રોનિકલ”ના તંત્રી હોર્નિમન

આજે આ હોર્નિમનનાં નામ-કામ લગભગ ભૂલાઈ ગયાં છે, એટલે સ્વાભાવિક રીતે જ સવાલ થાય કે આ હોર્નિમન હતા કોણ? અને તેમણે એવું તે શું કરેલું કે દેશ આઝાદ થયા પછી પણ મુંબઈના એક લેન્ડ માર્ક સાથે તેમનું નામ જોડાયું? આખું નામ બેન્જામિન ગાય હોર્નિમન. ઇન્ગ્લંડના સસેક્સ પરગણાના ડવ કોર્ટ ખાતે જન્મ. પિતા વિલિયમ હોર્નિમન રોયલ નેવીમાં કામ કરતા. બેન્જામિન પહેલાં પોર્ટસમાઉથની ગ્રામર સ્કૂલમાં અને પછી મિલિટરી એકેડમીમાં ભણ્યા. પણ પછી ૧૮૯૪માં થયા પત્રકાર. એ વર્ષે તેઓ 'પોર્ટસમાઉથ ઇવનિંગ મેલ’ નામના અખબારમાં પત્રકાર તરીકે જોડાયા. પછી ‘ડેઈલી ક્રોનિકલ’, ‘માન્ચેસ્ટર ગાર્ડિયન’ જેવાં છાપાંમાં કામ કર્યું. ૧૯૦૬માં હિન્દુસ્તાન આવ્યા ને કલકત્તાના ‘ધ સ્ટેટ્સમેન’ના ન્યૂસ એડિટર બન્યા. સર ફિરોજશાહ મહેતાનું ધ્યાન એમના તરફ ગયું. તેમણે ૧૯૧૦માં મુંબઈથી ‘ધ બોમ્બે ક્રોનિકલ’ નામનું અખબાર શરૂ કર્યું હતું. એ વખતનાં મુંબઈનાં ઘણાંખરાં અંગ્રેજી છાપાં અંગ્રેજ રાજવટની તરફેણ કરનારાં હતાં. હિંદીઓ અને કૉન્ગ્રેસની નીતિ અને કામગીરીની તરફેણ કરવાની જરૂર જણાતાં તેમણે આ છાપું શરૂ કરેલું. કલકત્તામાં હતા ત્યારે પણ હોર્નિમનનું વલણ હિન્દુસ્તાનીઓની તરફેણમાં હતું. એટલે ફિરોઝશાહ મહેતાએ તેમને ૧૯૧૩માં પોતાના ‘બોમ્બે ક્રોનિકલ’માં તંત્રી તરીકે જોડાવાનું આમંત્રણ આપ્યું અને હોર્નિમન મુંબઈ આવી તેમાં જોડાયા. એ છાપું આઝાદી માટેની ચળવળને ટેકો આપતું એક મહત્ત્વનું સાધન બની રહ્યું.

સાલ ૧૯૧૯. મહિનો એપ્રિલ, તારીખ ૧૩. બ્રિટિશ રાજવટ દરામ્યાન અગાઉ ક્યારે ય બન્યું નહોતું એવું તે દિવસે બન્યું : જલિયાનવાલા હત્યાકાંડ. જનરલ ડાયરના હુકમથી પોલીસે લોકો પર આડેધડ ગોળી ચલાવી. એ દિવસ હતો વૈશાખીનો, પંજાબીઓના નવા વરસનો. બાગમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. લગભગ દસ મિનિટ સુધી સતત ગોળીબાર ચાલુ રહ્યો. કુલ ૧,૬૫૦ ગોળી પોલીસે છોડી, જેમાં જનરલ ડાયરના જ અહેવાલ પ્રમાણે ૨૦૦-૩૦૦ માણસો મરાયા. એ વખતે દેશમાં અંગ્રેજ સરકારની કડક સેન્સરશિપ હતી એટલે બીજાં છાપાં આ બનાવ વિષે ભાગ્યે જ કશું છાપી શક્યાં. પણ હોર્નિમન જેનું નામ! અહેવાલો મેળવ્યા, ફોટા મેળવ્યા, અને એ બધું બેધડક ‘બોમ્બે ક્રોનિકલ’માં છાપ્યું. તેમાંથી પહેલાં યુરપનાં, અને પછી બ્રિટનનાં છાપાંઓએ આ બધું પ્રગટ કર્યું. બ્રિટનમાં પણ હો હા થઈ ગઈ.

આ બનાવ વિષે તપાસ કરવા માટે ‘હન્ટર કમિશન’ નિમાયું જેણે જનરલ ડાયરને દોષી ઠેરવ્યા. પણ મુંબઈ સરકાર ચોંકી ઊઠી. આ માણસ તો ખતરનાક છે. બ્રિટિશ છે, પણ ઊભો રહે છે હિન્દીઓની તરાફેણમાં. જો કોઈ ‘દેશી’ તંત્રી હોત તો તો તાબડતોબ જેલ ભેગો કરી દીધો હોત. પણ આ તો એક અંગ્રેજ, અને પાછો પ્રતિષ્ઠિત પત્રકાર. ગોવર્ધન દાસ નામના ખબરપત્રીને તો ત્રણ વરસની જેલની સજા ઠોકી દીધી. હોર્નિમનને પણ પકડ્યા તો ખરા, પણ પછી ફરમાવી દેશનિકાલની સજા. એટલે હોર્નિમને છાપું છોડ્યું, મુંબઈ છોડ્યું, હિન્દુસ્તાન છોડ્યું. પણ પોતાને સાચી લાગેલી વાત છોડી નહિ. જલિયાનવાલા બાગની ઘટના વિષે બ્રિટિશ એડમિનિસ્ટ્રેશન એન્ડ ધ અમૃતસર મેસેકર નામનું પુસ્તક લખ્યું જે ૧૯૨૦માં પ્રગટ થયું. દેશનિકાલના હુકમમાં રહી ગયેલું કાનૂની છીંડું શોધીને પાછા હિન્દુસ્તાન આવ્યા અને ફરી ‘બોમ્બે ક્રોનિકલ’ના તંત્રી બન્યા. ૧૯૨૯માં પોતાનું છાપું કાઢ્યું, ‘ધ ઇન્ડિયન નેશનલ હેરાલ્ડ’. ૧૯૩૩થી બાર વરસ સુધી મુંબઈથી ‘બોમ્બે સેન્ટિનલ' નામનું સાંજનું દૈનિક ચલાવ્યું. અને પછી રૂસી કરંજિયા અને દિનકર નાડકર્ણી સાથે મળીને ૧૯૪૧માં સાપ્તાહિક ‘બ્લિટઝ’ શરૂ કર્યું. ૧૯૪૮માં હોર્નિમનનું અવસાન થયું તે પછી થોડા વખતે એલ્ફિન્સ્ટન સર્કલનું નામ બદલીને હોર્નિમન સર્કલ કરવામાં આવ્યું.

આ સર્કલ નજીકની મેડોઝ સ્ટ્રીટ પર ‘બોમ્બે ક્રોનિક્લ’નાં ઓફિસ અને છાપખાનું આવેલાં હતાં. જનરલ સર વિલિયમ મેડોઝ ૧૭૮૮થી ૧૭૯૦ સુધી મુંબઈના ગવર્નર હતા. તેમનો જન્મ ૧૭૩૮ના ડિસેમ્બરની ૩૧મી તારીખે. ૧૭૫૬માં બ્રિટિશ લશ્કરમાં જોડાયા. ૧૭૮૮ના સપ્ટેમ્બરની ૬ઠ્ઠી તારીખથી ૧૭૯૦ના જાન્યુઆરીની બીજી તારીખ સુધી તેઓ મુંબઈના ગવર્નર અને લશ્કરના જનરલ હતા. તે પછી તેમની બદલી મદ્રાસના ગવર્નર અને લશ્કરના જનરલ તરીકે થઈ. ટીપુ સુલતાન સાથેની લડાઈની શરૂઆતમાં તેઓ મદ્રાસ લશ્કરના વડા હતા. પણ પાછળથી ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસે પોતે એ લશ્કરનું વડપણ સંભાળ્યું એટલે મેડોઝ તેમના હાથ નીચે રહીને લડ્યા. એક હુમલામાં પોતાની ભૂલને કારણે નિષ્ફળતા મળવાથી તેમણે આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો. લડાઈમાં જીત મળ્યા પછી તેમને પાંચ હજાર પાઉન્ડનું ઇનામ મળ્યું જે રકમ તેમણે પોતે ન રાખતાં પોતાના લશ્કરના સૈનિકોમાં વહેંચી દીધી, અને ૧૭૯૨માં સ્વદેશ પાછા ગયા. લાંબી લશ્કરી કારકિર્દી પછી ૧૮૧૩ના નવેમ્બરની ૧૪મીએ લંડનથી ૯૭ માઈલ દૂર આવેલા બાથ નામના શહેરમાં તેમનું અવસાન થયું. રોમનોએ બાંધેલા જાહેર બાથ(સ્નાનગૃહ)ને કારણે આ શહેરને ‘બાથ’ એવું નામ મળ્યું છે.

  

સ્વાતંત્ર્યસેનાની નગીનદાસ માસ્તર

આ મેડોઝ સ્ટ્રીટનું આજનું નામ નગીનદાસ માસ્તર માર્ગ. તેમનો જન્મ ૧૮૭૫માં. વકીલાતનો વ્યવસાય. મુંબઈની પહેલવહેલી બાર કાઉન્સિલના સભ્ય. એની બેસન્ટની હોમ રૂલની ચળવળ સાથે અને ગાંધીજીના મીઠાના સત્યાગ્રહ સાથે નજીકથી જોડાયેલા. બ્રિટિશ માલના બહિષ્કારમાં સક્રીય ભાગ લીધેલો. છ મહિનાની જેલની સજા ભોગવી. ૧૯૪૪મા મુંબઈના મેયર બન્યા. આ રોડ પર સેન્ટ પીટર્સ ચર્ચ આવેલું છે જે મુંબઈનું એકમાત્ર આર્મેનિયન ચર્ચ છે. ૧૬૭૦ના અરસામાં અહીં આર્મેનિયનો મોટા પ્રમાણમાં વસ્યા હતા. 

સર વિલિયમ મેડોઝનું જ્યાં અવસાન થયું તે બાથ શહેર અને મુંબઈ વચ્ચે પણ સીધો સંબંધ છે. બાથ શહેરમાંના રોમન બાથ જેમ જાણીતા છે તેમ ત્યાં આવેલ ધ રોયલ ક્રેસન્ટ વિસ્તાર અને તેની અર્ધગોળાકાર અને ૧થી ૩૦ નંબર ધરાવતી ઈમારતો પણ ખૂબ જાણીતી છે. જોન વૂડ ધ યંગર નામના સ્થપતિએ તૈયાર કરેલી આ ઈમારતનું બાંધકામ ૧૭૬૭થી ૧૭૭૪ દરમ્યાન થયું હતું. તેનું સ્થાપત્ય જ્યોર્જિયન શૈલીનું છે. ઊંચા, ખમતીધર થાંભલા એ એની ખાસિયત છે. આ ઈમારત બંધાઈ હતી પણ જરા જૂદી રીતે. માત્ર મોખરાનો અર્ધગોળાકાર ભાગ જ બાંધવામાં આવ્યો હતો અને તેને ૧થી ૩૦ સુધીના નંબર આપેલા. ખરીદનારાઓએ તેમાંનો કોઈ ભાગ ખરીદવાનો અને પછી મોખરાની પાછળની ઇમારત પોતાની ઇચ્છા મુજબ બાંધવાની! એટલે આગળથી જોતાં એક સરખી લાગતી આ ઇમારતો પાછલી બાજુથી જોઈએ તો જુદી જુદી લાગે! હા, બધી ઈમારતની ઊંચાઈ એક સરખી અને દરેકને માથે અગાસી રાખવાનું ફરજિયાત. આ ઈમારતો બંધાઈ રહ્યા પછી ‘શહેરમાં વસેલું ગામડું’ તરીકે પણ ઓળખાતી થઈ, કેમ કે દરેક ઈમારતની અગાસી પરથી સામેનું મોટું, ખુલ્લું મેદાન દેખાય છે.

બિંબ-પ્રતિબિંબ : રોયલ ક્રેસન્ટ અને એલ્ફિન્સ્ટન સર્કલ

મુંબઈમાં બોમ્બે ગ્રીન્સ પર જે ઇમારતો બાંધવામાં આવી તે આ ધ રોયલ ક્રેસંટને નમૂના તરીકે નજર સામે રાખીને બંધાઈ હતી. દિલ્હીનું કોનોટ પ્લેસ પણ તેને જ નમૂના તરીકે રાખીને બંધાયું છે. પછી તો આપણા દેશનાં ઘણાં શહેરોમાં આ રીતે ગોળાકાર કે અર્ધગોળાકાર ઇમારતો બંધાઈ છે. હોર્નિમન સર્કલની ઇમારતોમાં વચમાં ઘણાં વરસ તો માલિકો કે ભાડૂતો મન ફાવે તે રીતે ફેરફારો કરતા, બહારની દિવાલ પર નામનાં પાટિયાં આડેધડ લગાડતા. જુગારીઓ અને ગંજેરીઓ સિવાય બીજું કોઈ વચમાંનાં ગોળાકાર બગીચામાં દાખલ થવાની હિંમત ભાગ્યે જ કરતું. પણ હવે સ્થિતિ થોડી સુધરી છે.

ચર્ચગેટ સ્ટેશન અને દરિયા કિનારો – અડખેપડખે!

હવે આ ગોળ ગોળ ઇમારતો છોડીને ચાલો ચર્ચગેટ સ્ટ્રીટ પર. આજનાં હોર્નિમન સર્કલ અને ફ્લોરા ફાઉન્ટન વચ્ચે આવેલો આ રસ્તો અસલના કોટ વિસ્તારના જૂનામાં જૂના રસ્તાઓમાંનો એક છે. મુંબઈના કિલ્લાને ત્રણ દરવાજા હતા તેમાંનો એક ચર્ચગેટ. એ દરવાજાથી સીધો ચર્ચ સુધી આ રસ્તો જતો હતો તેથી તે ચર્ચગેટ સ્ટ્રીટ તરીકે ઓળખાયો. આમ, પહેલાં ચર્ચ, પછી રસ્તો, પછી કિલ્લાનો ગેટ. જીવણજી જમશેદજી મોદીનાં અને બીજાં કેટલાંક લખાણો પરથી જાણવા મળે છે કે ‘દેશી’ લોકો આ દરવાજાને પવન ચક્કી દરવાજા તરીકે અને રસ્તાને પવન ચક્કી રોડ તરીકે ઓળખતા. કારણ એ ગેટની બહાર ખુલ્લા મેદાનમાં એક મોટી પવન ચક્કી આવેલી હતી જ્યાં ઘણા લોકો સાંજે ‘હવા ખાવા’ જતા. પછીથી ૧૮૭૦માં ચર્ચગેટનું રેલવે સ્ટેશન બંધાયું ત્યારે એ સ્ટેશન સુધીનો રસ્તો પણ ચર્ચગેટ સ્ટ્રીટ બન્યો. માનશો? એ વખતે દરિયો અને ચર્ચગેટ સ્ટેશન અડોઅડ આવેલાં હતાં! આજે પણ સ્ટેશન તો એ જ જગ્યાએ છે, પણ દરિયો તેનાથી દૂર ગયો છે. મરીન ડ્રાઈવની પાળ સુધી.

કોટના ત્રણ દરવાજામાંનો એક ચર્ચગેટ

કિલ્લાની દિવાલો બંધાઈ ત્યારે જ આ ચર્ચગેટ પણ બંધાયો હતો. પણ એ મૂળ દરવાજાને તોડીને એ જ જગ્યાએ ૧૮૪૦માં નવો ગેટ બંધાયો. પણ એનું આયુષ્ય હતું માંડ વીસ-બાવીસ વરસનું. ૧૮૬૨ના અરસામાં કિલ્લો તોડી નાખવામાં આવ્યો ત્યારે એ ગેટ પણ ભોંય ભેગો થયો. જો કે કિલ્લાની ઉપયોગિતા કેટલી રહી છે એ અંગેની ચર્ચા તો ઠેઠ ૧૮૪૧થી શરૂ થઈ ગઈ હતી. ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’એ ૧૮૪૧માં લખ્યું હતું: 'મુંબઈના કિલ્લાને જાળવી રાખવાની હવે કોઈ જરૂર રહી નથી. શહેરનાં રહેવાસીઓ માટે હવે તે માથાનો દુઃખાવો બની ગયો છે. અને સરકાર તેની પાછળ જે પૈસા ખર્ચે છે તે નકરો બગાડ છે. તેમાં વળી હમણાં જ સરકારે ૩૦ હજાર રૂપિયા ખર્ચીને ચર્ચગેટ નવેસરથી બાંધ્યો છે. આ કિલ્લો હવે શહેરને ગળે બાંધેલા ઘંટીના પડ જેવો બની ગયો છે.’

પણ બિલાડીને ગળે ઘંટ બાંધે કોણ? ૧૮૬૨માં સર બાર્ટલ ફ્રેરે મુંબઈના ગવર્નર બન્યા. તેમને ગળે આ વાત શીરાના કોળિયાની જેમ ઊતરી ગઈ અને તેમણે કિલ્લો તોડી પાડવાનો હુકમ કર્યો. ફોર્ટ કહેતાં કોટ ગયો, પણ નામ રહી ગયું. આજે આ કિલ્લાનો કોઈ અવશેષ જોવા મળે ખરો? ના. કોટ વિસ્તારમાં જ એક દિવાલને આ કિલ્લાની દિવાલ તરીકે ઘણી વાર ઓળખાવવામાં આવે છે, પણ હકીકતમાં એ દિવાલ મુંબઈના કિલ્લાની નહિ, પણ ફોર્ટ સેન્ટ જ્યોર્જની છે. જ્યારે મુંબઈના કોટની અંદરની જગ્યા ઓછી પડવા લાગી ત્યારે એ કિલ્લાની નજીક આ ફોર્ટ સેન્ટ જ્યોર્જ બાંધવામાં આવ્યો હતો. કહેવાય છે કે જેનું નામ તેનો નાશ. પણ અહીં તો ફોર્ટ કહેતાં કોટ ગયો તો ય તેનું નામ રહી ગયું. કિલ્લો તોડ્યા પછી શું શું થયું તેની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 19 સપ્ટેમ્બર 2020

Loading

આપણા સહુના પ્રકાશભાઈ : એક પરિચયઝલક

———, ———, રાજેન્દ્ર શુક્લ|Opinion - Opinion|19 September 2020

સુજ્ઞશ્રી,

આપણે જાણીએ છીએ કે ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ રણજિતરામ વાવાભાઈ મહેતાએ સ્થાપી, ત્યારે એમના મનમાંનો ગુજરાતી સાક્ષર ગોવર્ધનરામના 'સાક્ષરજીવન'ના નાયક સમો હતો, જેના દિલમાં દેશહિત હોય, પરિષદદર્શનની આ વ્યાપકતાનો ખ્યાલ એના પરથી આવે છે કે અહીં થયેલા પ્રમુખો મોટા સર્જકોની સાથે મોટા ચિંતકો પણ રહ્યા છે. ગાંધીજીનું પરિષદપ્રમુખ હોવું એ આ પરંપરાનું ગૌરવ હતું. આર્નોલ્ડે સાહિત્યને જીવનની સમીક્ષા ગણાવ્યું છે. એ અર્થમાં સાહિત્યકાર એટલે જીવનનો સમીક્ષક. જીવન એટલે મેઘાણી કહે છે તેમ મુંબઈના કોઈ નળમાંથી ટપકતી દદૂડી નહીં, પણ સાગરવેળ જે આપણા અણુએ અણુને પ્લાવિત કરે. પરિષદદર્શનના પાયામાં આ ભાવના રહેલી છે. પરિષદદર્શનના આ પાયાના એક પથ્થર પ્રકાશ ન. શાહ છે, આપણે ત્યાં રસિક હોય એ ઘણીવાર પૂરો નાગરિક નથી હોતો, નાગરિક હોય એ પૂરો રસિક નથી હોતો. રસિક નાગરિકની કેળવણી પ્રકાશભાઈની મથામણ રહી છે.

ગુજરાતી સાહિત્ય પરિષદમાં અગાઉ મધ્યસ્થ અને કારોબારી સભ્યથી માંડી ઉપ-પ્રમુખ અને મહામંત્રી તરીકે એમણે સેવા આપી છે. ઉચ્ચ મૂલ્યો સાથે પ્રગાઢ નિસબતભેર કર્તૃત્વ-નેતૃત્વના કારણે એમનું નામ ગુજરાતભરમાં જાણીતું છે.

યુવાવયથી જ સામાજિક, સાંસ્કૃતિક, નાગરિકપ્રવૃત્તિઓમાં સક્રિય પ્રકાશભાઈએ સાહિત્યપ્રવૃત્તિ પણ એટલી જ કરી છે. 'વિશ્વમાનવ' કે જે સામયિકે ગુજરાતની આધુનિક પેઢીને ઘડી તેના સંપાદનમાં તરુણવયે તેઓ જોડાયા હતા. ઉમાશંકરે જેને હોમ યુનિવર્સિટી લાયબ્રેરી સમી કહી તે ‘જ્ઞાનગંગોત્રી’ શ્રેણી અને એના સમૃદ્ધ મણકાઓમાં પ્રકાશભાઈની સહભાગિતા રહી છે. અધ્યાપકની નોકરીને તિલાંજલિ આપી એમણે પ્રજામતની કેળવણીને – કહો કે લોકશિક્ષણને અગ્રતા આપી. ‘દર્શક’ના શબ્દમાં કહીએ તો શિંગડા માંડતા શીખવાડ્યું! જયંતિ દલાલ આપણા એવા જ સર્જક. એમના નિધનથી શતાબ્દી વર્ષના પૂરા ત્રણ દાયકા લગી એમના ગ્રંથપ્રકાશન અને સ્મૃતિસંમાર્જનમાં પ્રકાશભાઈએ દાયિત્વ નભાવ્યું.

આ સર્જકોની સર્વતોમુખી પ્રવૃત્તિ પ્રકાશભાઈમાં પણ આપણને જોવા મળે છે. રાજનીતિ, પત્રકારત્વ, શિક્ષણ અને સાહિત્યમાં પ્રગતિશીલ અભિગમથી સતત કામ કર્યું. સાહિત્યની સ્વાયત્તતા અને સંસ્થા પ્રત્યેની નિસબતના સંયોગનું એ વિરલ ઉદાહરણ છે. ભોગીલાલ ગાંધી, જયંતિ દલાલ, ‘દર્શક’, ઉમાશંકર જોશી, સાથે તો જયપ્રકાશના આંદોલનમાં અને આચાર્ય કૃપાલાણી સાથે અંતેવાસી કહી શકાય એ રીતે કામ કર્યું. કટોકટી વખતે જેલવાસ પણ વેઠ્યો. આમ, પ્રકાશ ન. શાહ એક વ્યક્તિ નહીં પણ એક મિજાજ, એક આબોહવાનું પ્રતિનિધિત્વ કરે છે. એમના લેખન અને વક્તવ્યમાં સંદર્ભો અવનવાં પુષ્પોની જેમ પ્રગટ થઈ, વિષયને વ્યાપક ફલક પર લઈ જાય છે. નિર્ભય લેખક કેવો હોય એનું પ્રકાશ ન. શાહ જીવતુંજાગતું ઉદાહરણ છે. પ્રકાશભાઈ પ્રજાલક્ષી રાજનીતિમાં સતત સક્રિય રહ્યા છતાં એમની છાપ કોઈ પણ પક્ષ કે વાદમાં બંધાવાને બદલે મૂલ્યબદ્ધ વ્યક્તિ તરીકે જ સમાજમાં વિસ્તરતી રહી. આ કારણે જ એમની લોકપ્રિયતા કે સ્વીકૃતિને પક્ષવાદ કે જૂથની સીમાઓ અડી પણ નહિ અને નડી પણ નહીં.

ગાંધી, ટોલ્સટોય, મુન્શી, ‘દર્શક’ પરનાં એમનાં લખાણોમાંથી પસાર થનારને એમની રસજ્ઞ વિદ્વતાનો પરિચય થશે. ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના વિભાગીય અધ્યક્ષ તરીકે એમણે આપેલાં વ્યાખ્યાનો – 'ગુજરાતી નવલકથામાં સ્વરાજચેતના' કે 'સાહિત્ય અને રાષ્ટ્ર' પણ અહીં યાદ કરી શકાય. એમનાં 'ટોલ્સટોયથી ગાંધી’ વ્યાખ્યાનો અનન્ય છે. ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ ઍડ્વાન્સ સ્ટડી, શિમલામાં ગેસ્ટફેલો તરીકે આપેલ સેમિનાર ('ગાંધીઝ રિલિજિયસ ક્વેસ્ટ : અ સિવિલ સોસાયટી પરસ્પેક્ટિવ') ખાસો જાણીતો થયેલો. આ જ પરંપરામાં મુંબઈ યુનિવર્સિટીનાં ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાનો તેમ જ બત્રીસ વ્યાખ્યાનોમાં પ્રસરેલી ત્રણ કૃપાલાણી વ્યાખ્યાનમાળાઓ ('ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો', 'સ્વર્ગમાં બાકી કશી વારો છે નવજવાં' અને 'ભારતવર્ષની સ્વરાજસાધના') વિશ્વસ્તરની સાંસ્કૃતિક – સાહિત્યિક – રાજનૈતિક વિચારયાત્રા અને પરિવર્તનલીલાને સમજવાની મથામણ શી છે.

પ્રકાશ ન. શાહના વ્યક્તિત્વનું બીજું પાસું નાગરિકસમાજના ઘડતરનું રહ્યું છે. 'ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન'માં તેઓ ૧૯૭૦માં મંત્રી હતા. ત્યારબાદ ગુજરાત લોકસંઘર્ષ સમિતિ, લોકસમિતિ, લોકસ્વરાજમંચ, ઑલ ઇન્ડિયા સેવ એજ્યુકેશન કમિટી, મુવમેન્ટ ફૉર સેક્યુલર ડેમોક્રેસી જેવી એકાધિક સંસ્થાઓમાં તેમણે અગ્રભૂમિકા અદા કરી છે. રામનાથ ગોયન્કાના આમંત્રણ અને સુપ્રતિષ્ઠ પત્રકાર પ્રભાસ જોશીના મૈત્રીપૂર્ણ આગ્રહથી એક્સપ્રેસ જૂથના ગુજરાતી પત્રોમાં તંત્રીસ્તરની કામગીરી બજાવી. 'દિવ્યભાસ્કર'ના આરંભકાળે સંપાદકીય સલાહકાર તરીકે તેમ 'અખંડ આનંદ' દ્વિજ અવતારમાં પણ એમની ભૂમિકા રહી. એમણે શબ્દને સાબૂત રાખ્યો છે. શબ્દસેવી નમાલો ન હોય, રાજસત્તા-ધર્મસત્તાના શરણે ન હોય એ ઝંખ્યું છે. તેથી આવા અવાજોને 1992થી 'નિરીક્ષક'માં સતત અવકાશ આપતા રહ્યા છે.

છેલ્લે, ગુજરાતના પ્રતિષ્ઠિત સાહિત્યકારોની મથામણથી ઊભી થયેલી, ભારતની એકમાત્ર લેખકીય મતદાર મંડળ અને ચુંટાયેલ પ્રતિનિધિત્વ ધરાવતી સ્વાયત્ત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા મળે, ટકે અને જળવાય, એની સક્રિય ખેવના એમણે કરી. 'નિરીક્ષક'એ આ સ્વાયત્તતાવિમર્શને જીવંત રાખ્યો. ઉમાશંકર જોશી, ‘દર્શક’, નારાયણ દેસાઈ અને નિરંજન ભગતની રવાયત્તતાની વહે પ્રકાશભાઈની ઉમેદવારી વાટે પ્રગટ થઈ રહી છે. ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ની સ્વાયત્તતાનું છિનવાઈ જવું ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલ તમામ માટે આઘાતજનક ઘટના છે. એ માટે પ્રકાશભાઈએ ચલાવેલ ઝુંબેશમાં એમના સમગ્ર જીવનમાં કચવેલાં રસિકનાગરિક કામોનું જ એક સાતત્ય છે.

આજે, ૨૧મી સદીમાં પરિષદપ્રમુખ આવા બહુઆયામી હોવા જોઈએ એમ અમે સ્પષ્ટપણે માનીએ છીએ. પરિષદની સુદીર્ધ સમય સુધી કરેલી સેવા, ઉચ્ચ અને મૂલ્યનિષ્ઠ પ્રવૃત્તિ માટે દાખવેલી નિસબતના સંદર્ભે આપણો મત એમને આપી સાહિત્ય અને સમાજને માનવસંવેદનાની રાહે સાંકળવાની પરિષદ-પરંપરાને આગળ વધારવામાં આપણું યોગદાન આપીએ.

લિ.

અચ્યુત યાજ્ઞિક, અજિત પારેખ, અતુલ પાઠકજી, અનંતા પરીખ, અનિલ જોશી, અભિજિત વ્યાસ, અમિતા શ્રોફ, અમૃત ખત્રી, અમૃત પરમાર, અરુણા બક્ષી, અરુણિકા દરૂ, અશોક ચાવડા, અશ્વિન ચંદારાણા, અંજની સુ. મહેતા, અશ્વિન ચૌહાણ, આનંદ વસાવા, આશા વીરેન્દ્ર, આશિષ કક્કડ, ઈંદુ જોશી, ઈલ્યાસ રેલ્વવાળા, ઉત્તમ પરમાર, ઉમેશ સોલંકી, ઉર્વીશ કોઠારી, ઋચા બ્રહ્મભટ્ટ, ઋષિ દવે, એ.ટી. સિંધી, ઐલેશકુમાર શુક્લ, કનુ આચાર્ય, કનુ ખડદિયા, કમલ વોરા, કમલેશ યાજ્ઞિક, કલ્પેશ પટેલ, કશ્યપ મહેતા, કાંતિ માલસતર, કિરણ દેસાઈ, કિરણસિંહ ચૌહાણ, કિરીટ ડુમાસિયા, કુસુમ ડાભી, ક્રિષ્ણા જિગોદરા, ખગેનરાય જયંતભાઈ ચૌહાણ, ગણપત વણકર, ગિરીશ ધોળાભાઈ, ગુણવંત ઠક્કર, ગુરુદેવ પ્રજાપતિ, ગુલાબચંદ પટેલ, ગોવિંદ મારુ, ચંદુ મહેરિયા, ચંદ્રકાન્ત ટોપીવાળા, ચંદ્રાબહેન શ્રીમાળી, ચેતન ફ્રેમવાલા, જગદીશ ત્રિવેદી, જાગૃત ગાડીત, જાસ્મિન શાહ, જિતેન્દ્ર મૅકવાન, ઝૈતુન લાકડાવાલા, ડાંકેશ સુરતવાલા, તન્મય તિમિર, થોભણ પરમાર, દર્શિત પિનાકીન ઠાકોર, દિનુ ભદ્રેસરિયા, દિલીપ ચાવડા, દીપક ભટ્ટ, ધર્મેશ ભટ્ટ, ધીમંત પુરોહિત, ધ્રુવકુમાર જોશી, નંદિતા મુનિ, નગીન ડોડિયા, નટુભાઈ પરમાર, નયન હ. દેસાઈ, નરેન્દ્ર વેગડા, નલિની માડગાંવકર, પરીક્ષિત જોશી, પરેશ નાયક, પીયૂષ ઠક્કર, પીયૂષ પટેલ, પ્રતિષ્ઠા પંડ્યા, પ્રદીપ આઝાદ, પ્રદ્યુમ્ન જોશી, પ્રફુલ્લ દવે, પ્રફુલ્લ ભારતીય, પ્રબોધ પરીખ, પ્રવીણ ખાંટ, પ્રવીણ ગઢવી, પ્રવીણ પંડ્યા, પ્રેમજી પટેલ, ફાધર વર્ગીસ પૉલ, ફિલીપ ક્લાર્ક, બંકિમ તરુણ દવે, બંકેન ચૌહાણ, બાબુભાઈ નાયક, બારીન મહેતા, બિનીત મોદી, ભદ્રેશ શાહ, ભરત મહેતા, ભાનુપ્રસાદ પુરાણી, ભાવના હેમંત વકીલ, ભીખુ વેગડા, મધુ રાય, મનહર ઓઝા, મનીષી જાની, મનોજ દરુ, મહેશ વકીલ, માલતી ભરત પરીખ, માસુંગ ચૌધરી, મિતા દીક્ષિત, મીનાક્ષી ચંદારાણા, મીનાક્ષી દીક્ષિત, મીરા દેસાઈ. મુનિ દવે, મેહુલ ત્રિવેદી, મેહુલ દેવકલા, મોહન મઢીકર, યશવંત વાઘેલા, યામિની વ્યાસ, યૉસેફ મેકવાન, યોગિની ચૌહાણ, યોગેન્દ્ર ચૌહાણ, રતિલાલ રોહિત, રમણ વાઘેલા, રમેશ કોઠારી, રમેશ ત્રિવેદી, રમેશ રસમંજન, રમેશ સંઘવી, રવિકુમાર વસાવા, રાજન ભટ્ટ, રાજુલ દવે, રાજેન્દ્ર કર્ણિક, રાજેશ મકવાણા, રાધિકા ટીક્કુ, રામચંદ્ર પંચોલી, રૂમા ગાંધી, રોહિત રાઠોડ, લલિત સેલારકા, લીલાબેન કૃષ્ણકાંત વખારિયા, વસંત જોશી, વિજય સેવક, વિપુલ કલ્યાણી, વિનુ બામણિયા, વિસ્મય શાહ, વીણાબેન એમ. ચૌહાણ, વૃંદાવન સોલંકી, વૈભવ કોઠારી, શરદ દેસાઈ, શ્રેણિક વિદાની, સંજય અમરાણી, સંજય છેલ, સંધ્યા દવે, સરૂપ ધ્રુવ, સાહિલ પરમાર, સુધા પંડ્યા, સુનિતા ઈઝ્જકુમાર, સુવર્ણા, સુરેશ વિરાણી, સુહાસબહેન ડાભી, સુષ્મા ઐયર, સેજલ શાહ, સોહન દવે, સ્મિતા શુક્લ, સ્વાતિ જોશી, સ્વાતિ મહેતા, સ્વાતિ મેઢ, હરીશ મંગલમ્, હર્ષદ પરમાર, હરમુખ પટેલ, હસિત મહેતા, હિતેશ ગાંધી, હિદાયત પરમાર, હિમાંશી શેલત, હિરેન પંડ્યા, હેતલ બારોટ, હેમન્ત દવે, હેમન્ત પરીખ, હેમન્ત વણકર, હેમન્ત શાહ, હેમરાજ આર. પટેલ, હેમાંગ રાવલ.

… અને, આ ‘ગોવર્ધન ઊંચકવા’ ઈચ્છુક પ્રકાશ ન. શાહને ‘પોતીકી ડાંગ’ વડે ટેકો કરનારાં મિત્રોની વિચારવાણી :-

૧.

વ્યાપક સમાજના હિતને સામે રાખીને જે લેખન સર્જન થાય, જે બોલાય, જે ગવાય તે સાહિત્ય. માત્ર મનના કેટલાક તરંગો આવેગોને હવા આપે તેમાં જ સાહિત્યની ક્ષિતિજોને બાંધી લેવી તે સમજની અધૂરપ કહેવાય. પ્રકાશભાઈ તેમના કૃત્યને લંબાઈ, પહોળાઈમાં ફેલાવતા નથી. સમાજના પાયાના મૂલ્યો પર થતા ઘાની સામે બરોબર પ્રહાર કરે છે. તેમના શબ્દો ગુંજારવ ગહન હોય છે. તેમના વાક્યોની તરંગ લંબાઈ અમાપ ભેદન શક્તિ ધરાવે છે. સદા પ્રજાના પડખે રહેવાવાળા પ્રકાશભાઈ જે બોલે છે, તેને સમજવા મિત્રો અલગ શબ્દકોશ રચવાનું કહેતા હોય છે. પ્રકાશભાઈને સમજવા માટે કદાચ સાહિત્યકાર માટે જોડણી કોશમાં યથાર્થ ફેરફાર કરવો પડે તો ભાઈ જરૂર કરો.

— રજની દવે, અમદાવાદ

૨.

ખુશ આમદીદ, પ્રકાશભાઈ

૧૯૮૫-૮૭ દરમ્યાન અમારા વિદ્યાર્થી જૂથમાં એક સૂત્ર લોકપ્રિય બન્યું હતું : "પઢો લડાઈ કરને કો, લડો પઢાઈ કરને કો !" આજે પણ આ સૂત્ર કેટલું બધું પ્રસ્તુત લાગે છે ! આપણા સૌના આદરણીય અને પ્રિય પ્રકાશભાઈ ઘણાં વર્ષોથી આ સૂત્રને ચરિતાર્થ કરી રહ્યા છે. જરા બદલીને કહીએ તો "લિખો લડાઈ લડને કો, લડો લેખન કરને કો !" નરવી હવામાં શ્વાસ લેવાની આશા સાથેસ્તો ! ગુજરાતી ભાષામાં લખતા લેખકોએ આ સૂત્રને આત્મસાત્ કરીને અમલમાં મૂકવાનો વખત તો ક્યારનો પાકી ગયો છે.

'નિરીક્ષક' અને તેના તંત્રી સંપાદક સંવાહક પ્રકાશભાઇએ સતત ગુજરાતી લેખકો-વાંચકો અને એથીએ આગળ કહીએ તો ગુજરાતી ભાષા માત્રને સાબદા રાખવાનું, ટટ્ટાર બનીને જીવવાનું અને સ્વતંત્રતાનું મૂલ્ય સમજવા-સમજાવવાનું જાણે કે જીવનકાર્ય (મિશન) ગણ્યું છે. રાજકારણ-સમાજકારણ અને લેખનને એકસૂત્રે પરોવીને સુપેરે બાંધી રાખવાની નેમ લીધી છે. પ્રગતિશીલતા, પ્રતિરોધ અને 'નો સર' કહેવાની ખુમારી ધરાવતા લેખકો-કર્મશીલોને માથું મેલવાને-કલમ ચલાવવાની ખમતીધર ખોળાધરી આપી છે.

એમના પ્રમુખપદેથી ગુજરાતી સર્જન સાચા અર્થમાં 'પુખ્ત' બનશે એવી આપણી અપેક્ષા જરૂર પૂરી થશે. સાહિત્ય અકાદમી કે કોઈપણ અન્ય સંસ્થાઓ-સંકુલો-સંશોધન કેન્દ્રોની માત્ર માળખાગત સ્વાયત્તતા જ નહિ પણ પ્રજાતંત્રના પ્રાણસમી અભિવ્યક્તિની સ્વતંત્રતાની સત્તા આલેબેલ પોકારનારા પ્રકાશભાઈ શાહને આવો, સાથે મળીને કહીએ … ખુશ આમદીદ ! ભલે પધાર્યા !


— સરુપ ધ્રુવ, અમદાવાદ

૩.

"પ્રકાશભાઈની હળવાશ અને તેમના ખડખડાટ હાસ્ય પાછળ સાહિત્ય, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, ગાંધીપરંપરા જેવાં અનેકવિધ ક્ષેત્રોના વાચન-સમજણનો અખૂટ ખજાનો છે.

દેશના જાહેર જીવનનાં મહત્ત્વનાં પાત્રો સાથેની નિકટતાનો ભાર તે સામેવાળાને લાગવા નથી દેતા ને પોતે પણ રાખતા નથી. ગુજરાતી સાહિત્ય-લેખન-જાહેર જીવનમાં સમજનો તેમના જેટલો વ્યાપ ધરાવનાર હવે બીજું કોઈ ભાગ્યે જ હોય. તેમના કેટલાક સમવયસ્કોને એવું આશ્ચર્ય થતું રહ્યું છે કે ‘જુવાનિયા પ્રકાશભાઈને મળવા કેમ દોડે છે? એમનામાં એવું તે શું છે?’ ટૂંકો જવાબ છે : તેમની સાથે પ્રેમથી અસંમત થઈ શકાય છે અને જનરેશન ગૅપના અહેસાસ વિના મૈત્રી બાંધી શકાય છે.

જીવનભર તેમણે કદી ફાયદાની ગણતરી માંડી નથી. એટલે તેમને અવગણવામાં નુકસાન તેમનું નહીં, આપણું – ગુજરાતનું ગુજરાતના જાહેર અને સાંસ્કૃતિક જીવનનું છે. સાહિત્ય પરિષદને સાંસ્કૃતિક જીવનનો સક્રિય ભાગ બનાવવામાં તેના પ્રમુખ તરીકે પ્રકાશભાઈ ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે છે. તમે સાહિત્ય પરિષદના સભ્ય હો તો તમારો મત પ્રકાશભાઈને આપવા ભારપૂર્વક અનુરોધ છે, અને તમે મારી જેમ અ-સભ્ય હો, તો આ વાત તમારા સભ્ય-મિત્રો સુધી પહોંચાડો એવી વિનંતી."


— ઉર્વીશ કોઠારી


(પત્રકારત્વ જગતમાં જે સાંપ્રત કટોકટી પ્રર્વતે છે, તેમાં કેટલાંક યુવાન પત્રકારો "ઘીના દીવાનો પ્રકાશ" પાથરીને ચોથી જાગીરનું રખોપું કરી રહ્યા છે, તેમાં અગ્રસ્થાને ઉર્વીશ કોઠારી છે. − ઉત્તમ પરમાર)

૪.

'અંધકાર માં એક પ્રકાશ ..!'
"દેશ-દુનિયામાં ચારે દિશાઓમાંથી ઊભરતા શુભાશયી વિચારોનું મંથન ચાલ્યા કરે અને નવી હવા ઊભી થાય, નવી દિશાઓ ઊઘડતી જાય એ આજના સમયની તાતી જરૂરિયાત છે.
આ નવી હવા, નવી દિશાઓ લેખકો, કલાકારો, સર્જકો માટે ઉત્પ્રેરક બની રહે એ ય આજે એટલું જરૂરી.
આ મંથન માટે ‘ગુજરાતી સાહિત્ય પરિષ’દ જેવી સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થાઓ જ મંચ માટેની ભૂમિકા ભજવી શકે અને પરિષદની આ ભૂમિકાની આગેવાની યુવા લેખકો, પત્રકારો, કર્મશીલોની વચ્ચે જ સતત વસતા પ્રકાશભાઈ જ કરી શકે.
આ વાતને બીજા શબ્દોમાં દોહરાવતા બુલંદ અવાજે હું કહીશ : 'અંધકારમાં એક પ્રકાશ ..!"

— મનીષી જાની, અમદાવાદ.

[ગુજરાત અને દેશના રાજકીય સામાજિક જીવનમાં પરિવર્તનકારી બનેલું નવનિર્માણ આંદોલનના પ્રણેતા મનીષી જાની ‘ગુજરાતી પ્રગતિશીલ લેખક મંડળ’ના કર્તાહર્તા છે, લેખકોના અધિકાર માટે સતત સંઘર્ષ કરતા રહ્યા છે. તેમ જ જનવાદી લોકતાંત્રિક અધિકારો માટે તથા સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદ ની સ્વતંત્રતા અને સ્વાતંત્ર્ય માટે સતત સંઘર્ષ રત છે. − ઉત્તમ પરમાર]

૫.

"પ્રકાશભાઈ એટલે ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત અને સામાજિક નિસબતનો અનેરો સંગમ. ૬૦થી વધુ વર્ષોનો મારો પરિચય અને એમ કહું તો અતિશયોક્તિ નહીં ગણાય કે મારા જેવા સંખ્યાબંધ નાગરિકોના ઘડતરમાં તેમનો અમૂલ્ય ફાળો છે.

શ્રીમંત કુટુંબના નબીરા પરંતુ આરંભથી જ વિચારણાના માર્ગે પ્રસ્થાન કરવા માટે તથા સામાજિક અને રાજકીય નિસબત સાથે કદમ માંડવાની પ્રેરણા આપવા માટે તેમનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો પડે.

ગુજરાતી સાહિત્યને તથા પત્રકારત્વને પ્રજાજનો સાથે જોડવા માટે, સાંકળવા માટે તેઓએ અથાગ પ્રયત્નો કરીને નવી પેઢીને ઉમદા દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. આશા છે કે તેઓ ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ને ફરીથી લોકાભિમુખ બનાવીને નવા અધ્યાયનો શુભારંભ કરશે".

— અચ્યુત યાજ્ઞિક, અમદાવાદ.

સુપ્રસિદ્ધ સમાજ વિજ્ઞાની અને સામાજિક કર્મશીલ

૬.

"છેલ્લા કેટલાક સમયથી આપણી ગુજરાતની અને દેશની સાહિત્ય, શિક્ષણ, સંસ્કાર, વિજ્ઞાન, સમાજ વિજ્ઞાન અને સહકારની સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થાઓમાં રાજ્યસત્તા, ધર્મસત્તા અને અર્થસત્તા પોતાનું આધિપત્ય સ્થાપવા માટે યુદ્ધના ધોરણે પ્રવૃત્ત થઈ હોય, ત્યારે આપણી ગુજરાતની ૧૧૫ વર્ષ જૂની ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ પોતાની સ્વતંત્રતા અને સ્વાયત્તા સાથે સાહિત્યિક મૂલ્યોની સુરક્ષા અને સંવર્ધન સુપેરે કરી શકે તે માટે પ્રકાશભાઈ શાહ જેવું નેતૃત્વ ગુજરાતભરમાં અનન્ય અને અપ્રતિમ છે. જેની સમજણ સાથે આપણે સૌએ પ્રકાશભાઈને ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના પ્રમુખપદે આરૂઢ કરાવવા માટે સક્રિય પ્રયત્નો કરવા જોઈએ. હું મારું સમર્થન પ્રકાશભાઈને પાઠવું છું."

— ઘનશ્યામ સનાઢય

સુરતની એમ.ટી.બી. કોલેજના ભૂતપૂર્વ આચાર્ય અને પ્રબુદ્ધ કર્મશીલ

૭.

"વ્યક્તિ સ્વાતંત્ર્ય એ સર્જક સાહિત્યનો પ્રાણવાયુ છે. આ પ્રાણવાયુ પૂરો પાડવાની જવાબદારી સાહિત્ય સંસ્થાઓની છે. સાહિત્ય સંસ્થાઓની સ્વતંત્રતા અને સ્વાયત્તા સાહિત્યકારોની મોકળાશ અને સર્જનશક્તિને સિંચે છે.

સાહિત્ય સંસ્થાઓની સ્વતંત્રતા અને સ્વાયત્તતા માટે ગુજરાતી સાહિત્યના અને ગુજરાતના જાહેર જીવનમાં એક પહેરેગીર સાતત્યપૂર્વક પ્રવૃત્ત રહેતા આવ્યા છે, અને તે છે પ્રકાશ ન. શાહ.

ચાલો, આપણે ગુજરાતી સાહિત્ય, ગુજરાતી સાહિત્યકાર અને ‘ગુજરાતી સાહિત્ય પરિષદ'ની સ્વતંત્રતા અને સ્વાયત્તાની રખેવાળી પ્રકાશ ન. શાહને પરિષદ પ્રમુખ તરીકે વિજયી બનાવીને આપણી જવાબદારી અદા કરીએ".

— ઘનશ્યામ શાહ

(ઘનશ્યામભાઈ શાહ સુરતની" સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝ"ના ભૂતપૂર્વ નિયામક તેમ જ વર્તમાન ટ્રસ્ટી તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સમાજ વિજ્ઞાની છે)

૮.

"આપણું સાહિત્ય આજે સમાજ વિમુખ થઈ ગયું છે. આપણી સાહિત્ય વિશેની સમજ ખૂબ જ સંકુચિત છે. એને સીમિત અને બંધિયાર અસ્તિત્વમાંથી નીકળીને બહારની મુક્ત હવા અને દેશ-વિદેશના સમયરંગથી ભીંજાવાની, એના સંપર્કમાં આવવાની તાતી જરૂર છે.

પ્રકાશભાઈનાં લખાણો અને વિચારોમાં એક વિશાળ વૈશ્વિક પરિપ્રેક્શ્યનુ દર્શન થાય છે જે ગુજરાતી લેખકોમાં આજે ભાગ્યે જ જોવા મળે છે. ઉપરાંત, સાહિત્ય એ ધર્મસત્તા અને રાજ્યસત્તાથી સ્વતંત્ર છે અને હોવું જોઇએ. આજે જ્યારે ગુજરાતમાં સાહિત્ય આ બંને પરિબળોની અસર નીચે ભીંસાઈ રહ્યું છે, જે ચિંતાનો વિષય છે, ત્યારે પ્રકાશભાઈએ 'નિરીક્ષક'ના તંત્રી તરીકે લેખક અને વિચારોની સ્વતંત્રતા ટકાવી રાખવાની ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી છે.

ગુજરાતી સાહિત્ય ખુલ્લા, સ્વતંત્ર અને બહોળા વાતાવરણમાં શ્વાસ લે તેમ જ આસપાસના જગત અને સમય સાથે નાતો બાંધે એમ ઇચ્છતા સૌ કોઈ પ્રકાશભાઈને જ સાહિત્ય પરિષદની રખેવાળી માટે પસંદ કરે એમ મારું દ્રઢપણે માનવું છે. એ વિશે બે મત હોઇ જ ના શકે."

— સ્વાતિ જોશી, અમદાવાદ.

(દિલ્હી યુનિવર્સિટીના અંગ્રેજી ભાષા સાહિત્યના પ્રગતિશીલ પ્રાધ્યાપિકા સ્વાતિ જોશી હાલ અમદાવાદમાં નિવૃત્તિ પછી માનવવાદી પ્રગતિશીલ સાહિત્ય અને લોકઆંદોલન સાથે સક્રિય ભૂમિકા અદા કરી રહ્યાં છે. આપણા મૂર્ધન્ય સાહિત્યકાર સ્વ. ઉમાશંકરભાઈ સ્વાતિબહેનના પિતાજી થાય એ માત્ર પૂરક જાણકારી. − ઉત્તમ પરમાર)

૯.

"વિનોબાજીએ સાહિત્યની સરસ વ્યાખ્યા આપી છે. સહિત લઈને ચાલે તે સાહિત્ય. સાહિત્ય પરિષદની પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં પ્રકાશ ન શાહ શ્રેષ્ઠ ઉમેદવાર છે !

કારણ કે પ્રકાશ ન શાહ કોઈ જૂથના ઉમેદવાર નથી. એવો સૌને સહિત લઈને ચાલ્યા છે.

ઉમાશંકરભાઈનો વારસો પ્રકાશ શાહ પાસે આજ દિન સુધી સલામત રહ્યો છે, એનો હું નિરીક્ષક રહ્યો છું. પ્રકાશ શાહ જાગૃત લેખક છે.

ગાંધીજી સાહિત્યકાર નહોતા પણ એમની સામાજિક નિસબતને કારણે આખો ગાંધીયુગ સર્જાયો હતો.

પ્રકાશ શાહની ચેતના અને મૂલ્યો સાથેની એમની નિસબતને કારણે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે સર્વથા ઉચિત ઉમેદવાર છે. હું મારું હૃદયપૂર્વકનું સમર્થન પ્રકાશભાઈને પાઠવું છું"

— અનિલ જોશી, મુંબઈ

૧૦.

હું પ્રકાશભાઇથી ૧૧/૧૨ વષઁ નાનો પણ એમનો વહેવાર મિત્ર જેવો.

એમના જેવા ખમીરવંત અને સત્તા સામે બોલી બે ટૂંક વાત કરનાર જ્યારે ઘટતા જાય છે, ત્યારે પરિષદને એમના જેવાના નેતૃત્વથી અકાદમી સાથેના સંધર્ષમાં નવું બળ મળશે.

ગુજરાતી ભાષામાં અન્ય ભાષાના અટપટા અર્થચ્છાયા ધરાવતાં કોઇપણ જ્ઞાનશાખાના શબ્દનો ગુજરાતી ભાષાનો પર્યાયવાચી શબ્દ ઘડવામાં એમની તોલે કોઇ ના આવે. ગુજરાતી ભાષાને એમને ૧,૦૦૦થી વધુ શબ્દ આપી માતબર કરી હશે.

એમના “નિરીક્ષક” સામાયિકના તંત્રી લેખ અને કોઇ પણ વિષયની તલસ્પશીઁ છણાવટ વાંચવાની હંમેશાં પ્રતિક્ષા રહે.

એમને ખેડેલા વિવિધ ક્ષેત્રમાંના સાહસોથી અભિભૂત થયા વિના આપણે ના રહી શકીએ.

કેટકેટલાં ક્ષેત્રમાં એમનો બહોળો મિત્રવર્ગ ફેલાયેલો! એમનું ખડખડાટ નિર્દોષ હાસ્ય તો જે માણે તે જ જાણે.

એમના પ્રમુખ નિયુક્ત થવાથી પરિષદની જ ગરિમા વધશે તે નક્કી જ.

હું અને બીજાં અનેક મિત્ર એમને જ મત આપવાના ; બીજાં પણ આપે તેવી અભ્યથઁના.

— હેમન્ત એચ. શાહ, મુંબઈ

(આ દશ સમર્થનો ઉત્તમભાઈ પરમારની ફેઈસબૂક દિવાલેથી સ-સાદર અને સાભાર)

Loading

...102030...2,2862,2872,2882,289...2,3002,3102,320...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved