Opinion Magazine
Number of visits: 9965626
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બે જનેતા

આશા વીરેન્દ્ર|Opinion - Short Stories|25 September 2020

આ ગામને હમણાં હમણાં જ રેલવેનું સ્ટોપ મળ્યું હતું, એટલે નાનું એવું રેલવે સ્ટેશન હતું અને નાનકડું પ્લેટફોર્મ હતું. આખા દિવસમાં માત્ર બે કે ત્રણ આવતી ને જતી ટ્રેનો ત્યાં ઊભી રહેતી. ટ્રેનમાં ઊતર-ચઢ કરનારા મુસાફરો, સ્ટેશન માસ્તર અને એક હવાલદાર સિવાય પ્લેટફોર્મ પર ખાસ કોઈ દેખાતું નહીં.

પણ કાયમ સૂમસામ રહેતા આ પ્લેટફોર્મ પર આજે નાનકડું ટોળું જમા થઈ ગયું હતું. કહેવત છે ને કે ‘તમાશાને તેડું ન હોય!’ એ મુજબ સૌને મફતમાં તમાશો જોવા મળતો હતો એટલે મજા આવતી હતી. લોકો અંદરોઅંદર વાતો કરતા હતા, “આ બે બાઈડિયું ઘડીવાર પે’લા તો હસી હસીને, તાળી દઈ દઈને વાતું કરતી’તી ને ઘડીકમાં હું થઈ ગ્યું?’

‘હા, જો ને, એકબીજીને ગાળું દઈ દઈને બાઝે (ઝઘડે) છે ને ભેગાભેગી રડતી ય જાય છે.’

થોડી વારમાં લાકડી હલાવતો હવાલદાર આવીને દમ મારવા લાગ્યો, “એ ય, ઈધર મારામારી નૈ કરનેકા. મેરેકુ બોલો, શું થ્યા હૈ?’

“સાયેબ, આને મારો છોરો જોવે છે. મારે કંઈ વધારાનો સે તે એને આલી દઉં?” પોતાની છાતીએ વળગાડેલા મરિયલ જેવા લાગતા, કાળામશ છોકરા પર ભીંસ વધારતાં એક સ્ત્રીએ કહ્યું.

“આ ખોટ્ટાડી સે, હોં સાયેબ! છોરો એનો નથ. ઈ તો મારો સે. કટલી ય માનતા માની તારે રાંદલ માએ માંડ માંડ આલ્યો સે. મરી જઈસ પણ એને નૈ આલું.” બીજી સ્ત્રીએ રડતાં રડતાં કહ્યું.

આ બેઉમાં સાચું કોણ એ હવાલદારને સમજાયું નહીં. હવે તો હાથોહાથની મારામારી પર આવી ગયેલી સ્ત્રીઓને પોતાની લાકડીથી છૂટી પાડતાં એણે કડકાઈથી પૂછ્યું, “આ કેતી હૈ કે છોરા મેરા હૈ, તુ કેતી હૈ કે મેરા હૈ. ચાલો, સચ બોલો, કૌન ઈસકી મા હૈ?”

બેમાંથી ઉંમરમાં નાની દેખાતી સ્ત્રીની આંખો રડી રડીને લાલચોળ થઈ ગઈ હતી. એણે હિબકાં ભરતાં કહ્યું, “ખોટું બોલું તો મને રાંદલ મા પૂછે. ભીખલો મારો જ સે. આ રૂપલી ઈને લઈને આગગાડીમાં બેહીને ભાગી જવાની સે. સાયેબ, છોરા વના હું મરી જઈસ. ઈને રોકો સાયેબ, તમારે પગે પડું.”

હવે રૂપલી કંઈક ઢીલી પડી હતી. એણે ધીમા અવાજે વાત માંડી, “ભીખલાને આ મંગીએ જલમ આપ્યો ઈ વાત હાવ હાચી, સાયેબ, પણ પૂછો એને જ કે, સાત સાત મૈનાથી દૂધ કોણે પાયું? ઈ જલમ્યો પછી મંગીની છાતીમાં હમૂળગું દૂધ જ નો’તું આવતું. માના દૂધ વના ભીખલો મરી જ જવાનો હતો. ઈ વખતે મારે ય ચંદૂડો ધાવણો હતો. મંગી મારી પડોસણ. એક દી’ ઈ રોતી રોતી મારી પાંહે આવીને મને કે’ આ છોરાને હવે તું જ જિવાડ.”

હવે મંગી વાંકી વળીને રૂપલીના પગમાં પડીને કહેવા લાગી, “તારા ચંદૂડાના ભાગમાંથી કાઢીને તેં ભીખલાને દૂધ પાયું ઈ તારો પાડ ઉં નૈ ભૂલું ને મને યાદ સે કે ઈ ટાણે મેં કીધેલું કે ઈને જિવાડે તો ભીખલો તારો દીકરો, પણ આમ મારી નજર હામે તું ઈને લૈને આગગાડીમાં જાતી રે’ તો ઉ તો છતે દીકરે વાંઝણી જ થઈ જાઉં ને?” આ બધી અફડા-તફડીમાં રૂપલી છોકરાને લઈને ભાગી ને ઊભી રહેલી ટ્રેનના ડબ્બામાં ચઢી ગઈ.

મંગી જોર જોરથી છાતી ફૂટીને રડવા ને હવાલદારને વિનંતી કરવા લાગી, “સાયેબ, ઈ લોકો તો વણઝારા સે. ઈનો આખો કબીલો ફિરોજપુર જતો રયો સે. એનો વર પોતાની હંગાથે ચંદૂડાને ય લઈ ગ્યો સે. એની પાંહે તો બધાય સે ને ઉં તો હાવ એકલી સું. મારા ભીખલા વના મારું કોઈ નથ સાયેબ …” હવે હવાલદારને મંગીની દયા આવી. ટ્રેન શરૂ થવાને થોડીક જ વાર હતી. ડબ્બાના દરવાજા પાસે ઊભેલી રૂપલીને એણે કડક અવાજે કહ્યું, “ચાલ, આપી દે, આપી દે. જો છોકરાની મા હૈ ઉસકો છોકરા વાપસ દે દે.”

હવાલદારના હુકમ પાસે પોતાનું કંઈ નહીં ચાલે એ સમજીને રૂપલી હવે ભીખલાને માથે ને મોઢે હાથ ફેરવતી અને બચ્ચીઓ ભરતી રડવા લાગી, “પૂછો સાયેબ, પૂછો ઈને કે કોણ સે છોરાનો બાપ? ઈને ખબર હોય તો ઈ બોલસે ને? ઈ તો નીત નવા મરદો પાછળ ભાગતી ફરે છે.” રૂપલીએ છેલ્લો દાવ અજમાવી જોયો.

“જો ભી હો પણ લડકેકી મા વો હૈ. બચ્ચા દે દે.” હવાલદારે છોકરાને પરાણે ખેંચીને મંગીના હાથમાં આપી દીધો. ક્યારનો સૂઈ રહેલો ભીખલો આંખ ખૂલતાંની સાથે દૂધ માટે વલખાં મારતાં ચીસો પાડીને રડવા લાગ્યો. મંગી મૂંઝાઈ ગઈ કે એને છાનો શી રીતે રાખવો? એક હાથે ટ્રેનનો સળિયો પકડીને બીજો હાથ લાંબો કરીને રૂપલી રડતી જતી હતી ને બોલતી જતી હતી, “મારી નાખજે ઈને. ઈ મરી જસે ત્યારે તને નિરાંત થસે. હવારથી બચાડાના પેટમાં દૂધનું ટીપું ય નથ ગ્યું. ઈ બચાડો જીવ રડે નૈ તો સું કરે?”

મંગી ગભરાઈને ભીખલાના મોંમાં શીંગ-ચણાના દાણા મૂકવાનો પ્રયત્ન કરવા લાગી. ગાડી ઊપડવાની સીટી વાગી ગઈ હતી ને રૂપલીએ આ જોયું. ધડામ કરતી ચાલુ થઈ ગયેલી ટ્રેનમાંથી કૂદીને એ પ્લેટફોર્મ પર આવી ગઈ.

“મારી નાખીસ મારા છોરાને હરામજાદી, આ સું ખવડાવે છ? અક્કલનો છાંટો સે કે નૈ તારામાં?” દોડીને મંગી પાસે જઈને એણે ભીખલાને ખેંચી લીધો. થોડીવારમાં પ્લેટફોર્મ પર પૂર્વવત્‌ શાંતિ ફેલાઈ ગઈ.

ફરી પાછા રોન પર નીકળેલા હવાલદારને નવાઈ લાગી કે એકમેકને ગાળો દેતી ને રડતી પેલી બંને બાયડીઓ ગઈ ક્યાં? એણે ધ્યાનથી જોયું તો નજીકના ઝાડને છાંયે બેઠેલી રૂપલી સાડલાનો છેડો ઊંચો કરીને. ભીખલાને ધવડાવતી હતી અને મંગી ધીમું ધીમું હસતી છોરાને માથે હાથ ફેરવતી હતી.

(ભીષ્મ સહાનીની હિંદી વાર્તાને આધારે)

સૌજન્ય : ભૂદાનમૂલક ગ્રામોદ્યોગપ્રધાન અહિંસક ક્રાંતિનું પાક્ષિક મુખપત્ર “ભૂમિપુત્ર”, 16 સપ્ટેમ્બર 2020

Loading

વીજળીને ચમકારે મોતીડાં પરોવો, પાનબાઈ

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|24 September 2020

હૈયાને દરબાર

વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ !

નહિતર અચાનક અંધારા થાશે જી;
જોત રે જોતાંમાં દિવસો વહી જશે પાનબાઇ !
એકવીસ હજાર છસોને કાળ ખાશે જી … વીજળીને ચમકારે.

જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ પાનબાઇ !
અધૂરિયાને નો કે’વાય જી,
ગુપત રસનો આ ખેલ છે અટપટો,
આંટી મેલો તો સમજાય જી … વીજળીને ચમકારે.

મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનબાઇ !
જાણી લીયો જીવ કેરી જાત જી;
સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત જી … વીજળીને ચમકારે.

પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુ પાનબાઇ !
તેનો રે દેખાડું તમને દેશજી,
ગંગા રે સતી એમ બોલિયાં રે સંતો,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ જી … વીજળીને ચમકારે.

                                                             — ગંગા સતી

————————–

બહુ નાનપણમાં સાંભળેલી આ લોકપ્રિય ભક્તિ રચનાનો અર્થ તો બહુ મોડો સમજાયો હતો. પરંતુ જ્યારે સમજાયો ત્યારે થયું કે ભારતીય અધ્યાત્મશાસ્ત્ર કેટલું ગૂઢ છે અને ગંગા સતી જેવી સાવ સામાન્ય નારી પણ કેવું ઉચ્ચ જ્ઞાન પામી છે! મેરુ તો ડગે કરતાં ય ચડિયાતી રચના એટલે વીજળીને ચમકારે મોતીડાં પરોવો …!

આ એક પંક્તિથી ગુજરાતી સંતસાહિત્યમાં ઝબકારો કરનાર ગંગા સતી અને પાનબાઈનું નામ ગુજરાતીઓ માટે અજાણ્યું નથી. ભાવનગરના રાજપરા ગામમાં જન્મનાર ગંગાનાં લગ્ન સમળિયાના ગિરાસદાર કહળસંગ સાથે થયા હતા. લગ્ન વખતે તે કાળની રાજપૂત પરંપરા પ્રમાણે પાનબાઈ નામની કન્યાને સેવિકા તરીકે સાથે મોકલવામાં આવી હતી. લગભગ સમાન ઉંમરની પાનબાઈ ગંગા સતીને માટે અધ્યાત્મપંથની સહયાત્રી બની.

પ્રસ્તુત પદમાં ગંગા સતી માનવજીવનને વીજળીના ચમકારાની ઉપમા આપે છે. જેમ વીજળીનો ચમકારો ક્ષણિક હોય છે તેમ માનવજીવન પણ ક્ષણિક છે. એમાં ઈશ્વરના નામનું મોતી પરોવવાનું છે. જો એ તક ચૂકી ગયા તો વીજળી થયા પછી અંધારું થઈ જાય એમ મૃત્યુ આવી પહોંચશે. વળી, ભજનમાં ઉલ્લેખ છે કે એકવીસ હજાર છસ્સો કાળ ખાશે. તો એની પાછળ વૈજ્ઞાનિક ગણતરી છે. સામાન્ય રીતે આપણે દર મિનિટે ૧૫ શ્વાસોશ્વાસ લેતા હોઈએ છીએ. તો આ ગણતરી પ્રમાણે એક દિવસના ૨૧,૬૦૦ શ્વાસોશ્વાસ થાય. એટલે કે કાળ એ રીતે સમયને ખાઈ રહ્યો છે. અને આમ જ એક દિવસ શ્વાસ બંધ થઈ જશે એથી હરિનામનું મોતી પરોવી લેવાનું છે.

સૌરાષ્ટ્રની ધરતી એટલે સંતો, ભક્તો અને શૂરવીરોની ધરતી. ગંગા સતીના ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાન સામે શીશ ઝૂકે. સતી, સંત અને શૂર ગંગા સતીનો જન્મ પાલિતાણા પાસેના રાજપરા ગામે ઇ.સ. ૧૮૪૬માં થયો હતો. ગંગાબાનાં લગ્ન રાજપૂત ગિરાસદાર કહળસંગ ગોહિલ સાથે થયા હતા. ગંગા સતી રોજ, એક ભજનની રચના કરતાં અને તે ભજન પાનબાઈને સંભળાવતાં.

ભગતી રે કરવી હોય તેણે રાંક થઈને રેવું ને પાનબાઈ
મેલવું અંતરનું અભિમાનજી
ગંગા રે સતી એવું બોલ્યા રે .. પાનબાઈ
જનમ સફળ થઈ જાય જી

એક મીરાં ચિતોડમાં થયાં મીરાંબાઈ, એક મીરાં શ્રી રંગમમાં થયાં આંડાલ, એક મીરાં કર્ણાટકમાં થયાં અક્ક મહાદેવી અને એક મીરાં સૌરાષ્ટ્રમાં થયાં ગંગા સતી.

સંતજાતમાં જ્ઞાતિના આધારે ઊંચનીચના ભેદને કોઈ સ્થાન નથી. સંતોની દુનિયામાં તો ‘હરિ કો ભજે સો હરિ કો હોઈ’ની જ નીતિ અપનાવવામાં આવે છે. આ સત્ય ગંગા સતી ભજનમાં બોલી રહ્યાં હતાં.

જાતિપણું, છોડીને અજાતિ થાવું ને
કાઢવો વરણ વિકાર રે,
જાતિ પાતિ નહીં, હરિના દેશમાં ને
એવી રીતે રહેવું નિર્માન રે.

ગંગા સતીના પિતાનું નામ ભાઈજી ભાઈ જેસાજી સરવૈયા હતું. માતાનું નામ રૂપાળી બા હતું અને પિતા રાજપૂત ગિરાસદાર હતા. ગિરાસદાર પરંપરા પ્રમાણે ગંગાબાનાં લગ્ન પછી પાનબાઇ નામની કન્યાને સેવિકા તરીકે તેમની સાથે મોકલવામાં આવી હતી એ વાત મેરુ તો ડગે … લેખમાં થઈ ગઈ છે. ગંગા સતી રોજ, એક ભજનની રચના કરતાં અને તે ભજન પાનબાઈને સંભળાવતાં. આ રીતે આ ક્રમ બાવન દિવસ ચાલ્યો. બાવન દિવસમાં બાવન ભજનોની રચના થઈ.

ગંગા સતીના વીજળીને ચમકારે મોતીડાં પરોવો પંકિતએ ગુજરાતી સાહિત્યમાં ચમત્કાર કર્યો. જવાહર બક્ષીના કહેવા મુજબ રવીન્દ્રનાથ ટાગોર જેવા વિશ્વ કવિ પણ આવી પંક્તિ આપી શક્યા નથી. વીજળીનો ચમકારો દુર્લભ છે. વીજળીનો ચમકારો એટલે શું ? ભારે વરસાદ, તીવ્ર પવન અને વાદળોના ગડગડાટ વચ્ચે હજાર વોલ્ટના હજારો બલ્બ લગાવ્યા હોય તેના કરતાં ય વધુ ઝળહળાટ અને આ ક્ષણિક ઝબકારે મોતી પરોવવાનું કામ એથી ય દુર્લભ. જબરજસ્ત કૌશલ્ય હોય તો જ પાર પડે.

જીવનને ગંગા સતી વીજળીના ચમકારાની ઉપમા આપે છે. જેમ વીજળીનો ચમકારો ક્ષણિક છે. આ ક્ષણિક જીવનમાં ભગવદ્ પ્રાપ્તિ જેવી અસાધારણ ઘટના ઘટી શકે છે. દરેક માનવી માટે સોમવારથી રવિવારની વચ્ચે સાત દિવસ જ હોય છે. માનવીનો અંતકાળ આ સાત દિવસમાંથી ક્યારે આવશે તે નક્કી નથી, ગંગા સતી કહે છે કે એક ક્ષણ પછી અંધારું થઈ જશે. એટલે મૃત્યુ આવી પહોંચશે. તેથી અંધકાર થઈ જાય તે પહેલા ભગવદ્ પ્રાપ્તિનું મોતી પરોવી લેવાનું કાર્ય સિદ્ધ થઈ શકે તેમ છે.

સુપ્રસિદ્ધ લેખક ભાણદેવજીએ સંત કવયિત્રીઓ પર ઘણું સંશોધન કર્યું છે. ગંગા સતીનાં અધ્યાત્મ ઉપર જ એમનાં ત્રણ પુસ્તકો છે. એક સ્થાને એમણે આ ભક્તિ ગીતના સંદર્ભે લખ્યું છે કે, "વીજળીને ચમકારે પંક્તિના ત્રણ અર્થ છે. પહેલો અર્થ એ છે કે વીજળીને ચમકારે મોતી પરોવવું એટલે અપરંપાર જાગૃતિ રાખવી. મોતી પરોવવા ઘણી એકાગ્રતા અને સ્થિરતા જોઈએ. ક્ષણભરમાં કાર્ય સિદ્ધ કરી લેવાનું હોવાથી અધ્યાત્મ પથ પર અનંત સાવધાની અને જાગૃતિ જોઈએ. પક્ષીઓને આકાશમાં જવાનો કોઈ નિશ્ચિત રસ્તો ન હોય એમ મનુષ્યે પણ ક્ષણે ક્ષણે રસ્તો કંડારતા જવાનું છે. તેથી જ ગંગા સતી કહે છે કે સતત સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. કેવી સાવધાની – વીજળીને ચમકારે મોતી પરોવવા જેવી સાવધાની.

બીજો અર્થ છે કે જીવન બહુ ટૂંકું છે, વીજળીના ચમકાર જેવડું. તેથી જે સમય મળ્યો છે એમાં મોતી પરોવી લો.

ત્રીજો યોગિક અર્થ છે. ગંગાસતીએ લખ્યું કે રાખવું સ્વરભેદમાં ધ્યાન. આ સ્વરોપાસના છે. સંસ્કૃતમાં શિવ સ્વરોદય નામે ગ્રંથ છે જે સ્વરવિદ્યાનો શ્રેષ્ઠ ગ્રંથ ગણાય છે. એમાં કહ્યું છે કે આપણા શ્વાસ બંને નસકોરાંથી હંમેશાં સમાન રીતે નથી ચાલતા. એકમાં વધુ એકમાં ઓછો એમ ડાબે જમણે ચાલ્યા કરે. ડાબું ચાલતું હોય ત્યારે સમજવું કે ઈડામાં શ્વાસ ચાલે છે કારણ ઈડા ડાબી બાજુ છે જેને તંદ્ર નાડી કહેવાય છે. પીંગલા જમણી તરફ હોવાથી શ્વાસ જમણી તરફ વધુ હોય તો પીંગલામાં કહેવાય. વારાફરતી શ્વાસ બદલાય ત્યારે વચ્ચે થોડીક એવી ક્ષણો આવે છે શ્વાસ બન્નેમાં સમાન ભાવે ચાલે છે. એ ક્ષણ સિદ્ધ થાય તો આધ્યાત્મિક છલાંગ લાગી શકે. ગંગા સતી આ ગૂઢ વિદ્યા જાણતાં હતાં એટલે કહ્યું કે રાખવું સ્વરભેદમાં ધ્યાન. બન્નેમાં શ્વાસ સમાન થાય ત્યારે એ સુષુમણામાં કહેવાય. દિવસો સુધી યોગીઓના શ્વાસ સુષુમણામાં ચાલે એ ધ્યાનની ઉત્તમ અવસ્થા છે. કુંડલિનીને સુષુમણાના માર્ગમાં કેમ લેવી એની યુક્તિ ગંગા સતી જાણતાં હતાં. આ સુષુમણાનો શ્વાસ વીજળીના ઝબકાર જેવો છે. તેનો ઉપયોગ કરી લો. એ વખતે સમાધિ લાગી જાય તો જીવનનું મૂલ્યવાન મોતી પરોવાઈ જાય!

પાનબાઈ આ પરમ પદ પામ્યાં હતાં એટલે જ ગંગા સતી છેલ્લે પાનબાઈને કહે છે કે તમે પદ પામ્યાં નિર્વાણ. અધિકારી શિષ્યને ગુરુ આ કહે એથી મોટું પ્રમાણપત્ર બીજું એકેય નથી.

ગંગા સતી ભક્તિ આંદોલનનાં મધ્યકાલીન સંત કવયિત્રી હતાં. જેમણે ગુજરાતીમાં સંખ્યાબંધ ભજનો રચ્યાં હતાં.

ગંગાસતી અને પતિ કહળસંગ અત્યંત ધાર્મિક હતાં. એમને બે દીકરીઓ જ હતી એટલે પાનબાઈ પુત્રવધૂ હોવાની વાત ખોટી છે. તેમનું ઘર ધાર્મિક સત્સંગનું કેન્દ્ર હતું. કહેવાય છે કે આવનારા લોકો અને સાધુઓ માટે તે નાનું પડતા તેઓ ખેતરમાં જઇ વસ્યાં અને ત્યાં ઝૂંપડી બાંધી રહેવા લાગ્યાં અને સત્સંગ ત્યાં ચાલુ રાખ્યો. સિદ્ધિનો અકારણ ઉપયોગ અને પરિણામ સ્વરૂપ આવી મળેલ પ્રસિદ્ધિ ભજનમાં બાધા કરશે એમ સમજાતાં તેમણે પ્રાયશ્ચિતરૂપે કળુભાએ દેહત્યાગનો સંકલ્પ કર્યો. ગંગા સતીએ પણ તેમની સાથે દેહત્યાગની ઈચ્છા વ્યક્ત કરી. પરંતુ કહળસંગે પાનબાઈનું અધ્યાત્મ શિક્ષણ પૂરું ન થાય ત્યાં સુધી તેમને રોકાઈ જવાની આજ્ઞા કરી.

કહળસંગે દેહત્યાગ કરી સમાધિ લીધી ત્યાર પછી ગંગા સતી રોજ એક ભજનની રચના કરતાં અને પાનબાઈને સંભળાવતાં. ગંગા સતીનાં ભજનો એક રીતે પાનબાઈને ઉદ્દેશીને અપાયેલ આધ્યાત્મિક શિક્ષણ છે. બાવન દિવસ સુધી આ ક્રમ જારી રહ્યો, જેના પરિણામે બાવન ભજનોની રચના થઈ. ગંગા સતીએ ત્યાર બાદ સમાધિ લીધી. ઈ. સ. ૧૯૭૯માં તેમના જીવન પર આધારિત દિનેશ રાવલ દ્વારા દિગ્દર્શિત ગુજરાતી ચલચિત્ર ગંગા સતી રજૂ થયું હતું.

ગંગા સતીએ ગુરુનો મહિમા અને મહત્ત્વ, અનુયાયીનું જીવન, કુદરત અને ભક્તિનો અર્થ વગેરે પર ભજનો રચ્યાં છે. આ ભજનો કોઇ ભગવાનનો ઉલ્લેખ કરતા નથી પરંતુ સામાન્ય સ્વરૂપમાં ભગવાનનો ઉલ્લેખ કરે છે. તે અધ્યાત્મના વિવિધ પાસાંઓને પણ રજૂ કરે છે. આ ભજનો સૌરાષ્ટ્ર અને ભક્તિ સંગીતમાં હજુ પણ લોકપ્રિય છે.

ગંગા સતીની બાવન ભજન રચનાઓમાં સદ્દગુરુ મહિમા, નવધા ભક્તિ, યોગસાધના, નામ અને વચનની સાધના, ક્રિયાયોગ, શીલવંત સાધુના લક્ષણો, સંતના લક્ષણો, આત્મસમર્પણ, ભક્તિનો માર્ગ, નાડીશુદ્ધિ, મનની સ્થિરતા, સાધુની સંગત, વચનનો વિવેક અને સંપૂર્ણ શરણાગતિના ભાવો આલેખાયા છે. આ રીતે આ ભજનોમાં ભક્તિ, જ્ઞાન અને યોગનો ત્રિવેણીસંગમ થયેલો જોવા મળે છે.

ગંગા સતીનાં ભજનોમાં વેદ, ઉપનિષદ, ગીતા, પુરાણોનું તત્ત્વજ્ઞાન, ઇંડા, પિંગલા, સુષુમણા, મૂલાધાર, કુંડલિની પ્રાણાયમની સમજ, પરા-અપરાવિદ્યા, જન્મ – મૃત્યુ – પુનર્જન્મ – મોક્ષ – ક ર્મ- દ્વૈત – અદ્વૈત – જેવું આચાર્યોનું બ્રહ્મજ્ઞાન એક સાથે જોવા મળે છે.

આ અમર રચના અનેક કલાકારોએ ગાઈ છે જેમાં લલિતા ઘોડાદ્રા, હેમંત ચૌહાણ, ભારતી વ્યાસ તથા આજની પેઢીમાં હિમાલી વ્યાસ નાયક તથા વનરાજ-બલરાજ જેવા યુવા કલાકારો પણ એ ગાય છે. સાંભળીને હૃદયસ્થ કરવા જેવી આ ભક્તિરચનાનો આનંદ તમે પણ લેજો.

https://www.youtube.com/watch?v=FvFvGe1CV50

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=656303  

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 24 સપ્ટેમ્બર 2020

Loading

સરહદી રાજ્યોમાં રાષ્ટૃવાદ મઢવાનો પ્રયત્ન કેમ ?

રમેશ ઓઝા|Opinion - Opinion|24 September 2020

વિડંબના એવી છે કે રાષ્ટ્રવાદના મૂળભૂત કે અંગભૂત પદાર્થો (જેવા કે બહુમતી પ્રજાનો ધર્મ, બહુમતી પ્રજાની ભાષા, બહુમતી પ્રજાની સંસ્કૃતિ, સામાજિક રીતિરિવાજ, શરીરિક દેખાવ, રૂપરંગ વગેરે) તળ ભૂમિમાં તેની સોળે કળાએ ખીલેલા જોવા મળે છે, પરંતુ જેમ જેમ તળ ભૂમિથી દૂર જાવ એમ એમ એ પાતળા પડવા માંડે અને ઓઝલ થવા માંડે. સરહદનો હિંદુ કે ભારતીય તમને તમારા જેવો હિંદુ કે ભારતીય નથી લાગતો. એટલે તો આપણે ઇશાન ભારતના ભારતીયને ચીના કે જપાની માની બેસીએ છીએ અને પેલાએ કહેવું પડે છે કે, ‘ભાઈ હું પણ ભારતીય છું.’ આ દુનિયા આખીની સરહદ પરની વાસ્તવિકતા છે.

સરહદ એ સાંસ્કૃતિક સંગમનો પ્રદેશ છે. જ્યાં સુધી બહુમતી પ્રજાની સંસ્કૃતિ (મુખ્યત્વે ધર્મ અને ભાષા) આધારિત સીમાબદ્ધ રાષ્ટ્રવાદ અસ્તિત્વમાં નહોતો ત્યાં સુધી આ કોઈ સમસ્યા જ નહોતી, પરંતુ જ્યારથી રાજ્યના સીમાડાઓ જે તે પ્રજાના સાંસ્કૃતિક માપદંડોના આધારે નક્કી થવા લાગ્યા ત્યારથી સરહદે સીમા નક્કી કરવાની મોકાણ પેદા થઈ છે. માત્ર ભારત અને ચીન વચ્ચે નહીં, લગભગ જગત આખામાં.

તો પછી શું કરવું? ગયા અઠવાડિયે લેખ પૂરો કરતાં પહેલાં મેં આપની સમક્ષ પાંચ સવાલો વિચારવા માટે રાખ્યા હતા. વિવેકી ડાહ્યા શાસકો શું કરે? ખૂબ દૂર સુધી જોઈ શકનારા વ્યવહારવાદી શાસકો શું કરે? ધૂર્ત ચાલાક શાસકો શું કરે? માથાભારે શાસકો શું કરે? અને આપણે શું કરવું જોઈએ? મને આશા છે કે તમે આ વિશે વિચાર કર્યો હશે.

સરહદ પરનો ભારતીય તમારા જેવો ભારતીય નથી એ એક હકીકત છે. ઈશ્વરદત્ત વાસ્તવિકતા છે એટલે એમાં તમે કાંઈ ન કરી શકો. હિમાલયમાં પીપળો અને વડલો ન ઊગે ત્યાં તમે શું કરી શકવાના? ત્યાં ચિનાર અને દેવદાર ઊગે છે. બીજી બાજુ તમે તમારા રાજ્યને ત્યાં સુધી વિસ્તારવા કે લંબાવવા માગો છો જ્યાં સુધી ભારતીય સંસ્કૃતિનાં સગડ મળતા હોય. ગયા અઠવાડિયે મેં છાંટ શબ્દ વાપર્યો હતો. જેટલે દૂર સુધી આપણી સંસ્કૃતિનાં છાટણાં મળતાં હોય ત્યાં સુધી દાવો કરવાનો. આ મોહ આજના રાષ્ટ્રવાદી યુગની રાજકીય વાસ્તવિકતા છે.

આ સ્થિતિમાં વિવેકી અને ડાહ્યા શાસકો શું કરે? હજુ વધારે યોગ્ય રીતે કહીએ તો વિવેકી અને ડાહી પ્રજા શું કરે? આ પહેલો પ્રશ્ન.

વિવેકી અને ડાહ્યા શાસકો સરહદ પરની આ વાસ્તવિકતાનો સ્વીકાર કરે. રાષ્ટ્રવાદ નામના ભૂતને દારૂ ન પાય, કારણ કે એમાં ખૂવારી થવાનો ભય છે. પાડોશી દેશ વાંધો ઉઠાવે, ઝઘડા થાય અને વખતે યુદ્ધ પણ થાય. પાછું સરહદ પરનો ભારતીય તમારી જેમ અને તમારા જેવો હજુ પૂરો ભારતીય થવાનો બાકી છે. તો વિવેકી અને ડાહ્યા શાસકો અને એવી પ્રજા સરહદનો પ્રશ્ન આપસમાં આપ-લેની સમજૂતી કરીને ઉકેલે. લડાખે કાશ્મીર ઉપર શાસન કર્યું હોય કે કાશ્મીરે લડાખ ઉપર શાસન કર્યું હોય, અથવા સમયના કોઈ મુકામે કાશ્મીરે તિબેટ ઉપર શાસન કર્યું હોય કે પછી તિબેટે કાશ્મીર ઉપર શાસન કર્યું હોય એવું બન્યું છે. તિબેટે ચીન ઉપર પણ શાસન કર્યું છે એ આજે માનવામાં મુશ્કેલી પડશે, પણ ઇતિહાસની એ વાસ્તવિકતા છે. આમ સરહદનો પ્રદેશ આમતેમ જાય એ સરહદની પ્રજા માટે કોઈ નવી વાત નથી. તમે હિંદુ ચશ્માંથી લડાખીઓને જુઓ છો, પણ તેઓ તો પોતાનાં ચશ્માંથી પોતાને જુએ છે અને એ તમારાંથી જુદાં છે.

તો વિવેકી અને ડાહ્યા શાસકો અને એવી પ્રજા પહેલું કામ પાડોશી દાવેદારો સાથે સમજૂતી કરવાનો પ્રયાસ કરે કે જેથી સરહદ નિશ્ચિત થઈ જાય, નિશ્ચિત થઈ જાય એટલે સુરક્ષિત થઈ જાય અને સરહદે શાંતિ હોય તો દેશના વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકાય. વિવેકી અને ડાહ્યા શાસકો અને એવી પ્રજા બીજું કામ સરહદની પ્રજાનો પ્રેમ અને વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરે. એ પ્રજાને સમજે, એ પ્રજાની સંસ્કૃતિને સમજે, વૈવિધ્યની કદર કરે, એના પ્રશ્નોને સમજવાનો પ્રયાસ કરે, તેમની ફરિયાદોને સાંભળે અને તેને ઉકેલે, તેમને પોતાને ત્યાં બોલાવે અને પોતે ત્યાં જાય.

શાસકોની વાત જવા દો, તમે એક ડાહ્યા દેશપ્રેમી તરીકે આવો કોઈ પ્રયાસ કર્યો છે? તમને ખબર છે કે ઇશાન ભારતમાં કેટલાં રાજ્યો આવેલાં છે? ત્યાં જવાની વાત તો દૂર રહી. ગૂગલની સહાય વિના માત્ર ગણી આપો. મૂછે તાવ દેવાથી કે સાથળ થપથપાવવાથી રાષ્ટ્રો નથી બનતાં, એવા ઘેલા તો સરહદની પેલે પાર પણ મોટી સંખ્યામાં છે. જ્યાં રાષ્ટ્રનાં ઘટકતત્ત્વો પાતળાં છે, જ્યાં રાષ્ટ્રની વિભાવના પહોંચી નથી, જ્યાં તમારું રાષ્ટ્ર નાજુક અવસ્થામાં છે એ પ્રદેશને જો ભારતીય રાષ્ટ્રનો હિસ્સો બનાવી રાખવા માગતા હો તો બે જરૂરિયાત છે એ નોંધી લો. પહેલી જરૂરિયાત છે, એ પ્રજાને અને તેના પ્રદેશને આપણી સાથે ટકાવી રાખવાની અને બીજી જરૂરિયાત છે વિસ્તારવાદી પાડોશીથી તેને બચાવવાની. પહેલી ફરજ પ્રજાની અને શાસકોની છે અને બીજી ફરજ લશ્કરની છે. ટકાવી રાખવાનો ધર્મ આપણો છે, બચાવી રાખવાનો ધર્મ લશ્કરનો છે.

તમે ક્યારે ય વિચાર્યું છે કે આપણે લશ્કરી જવાનોને આટલો બધો પ્રેમ અને આદર શા માટે આપીએ છીએ? જવાનો દેશની રક્ષા કરે છે માટે એવો તમે જવાબ આપશો જે સાચો જવાબ નથી. આપણે લશ્કરી જવાનોના ઓવારણા એટલા માટે લઈએ છીએ કે સરહદની પ્રજાને અને ત્યાંના પ્રદેશને આપણી સાથે ટકાવી રાખવાની જે નાગરિક ફરજ છે તેનાથી ભાગવાના પાપને છૂપાવવા માટે. હું ટકાવી રાખવા માટે કાંઈ જ નહીં કરું, મને તો એ પણ ખબર નથી કે ઇશાન ભારતમાં કેટલાં રાજ્યો છે; પણ તું તો જવાંમર્દ છે, તું અમારો હીરો છે એટલે બચાવ એ પ્રદેશને.

તમે શું એમ માનો છો કે તમારી નકલી લાગણી લશ્કરી જવાનો નથી જાણતા? નિવૃત્ત લશ્કરી અધિકારીઓએ સેંકડોની સંખ્યામાં પુસ્તકો લખ્યાં છે અને અખબારો-સામયિકોમાં તેઓ લખે છે એના પર નજર કરશો તો આની ખાતરી થઈ જશે. શાસકો અને પ્રજા ટકાવી રાખવાની ફરજ નિભાવે અને રચનાત્મક પ્રયાસ કરે તો બચાવી રાખવાનું લશ્કરનું કામ આસાન થઈ જાય એમ તેઓ વારંવાર કહે છે. બને છે એનાથી ઊલટું. મધ્ય પ્રદેશમાં ચૂંટણી જીતવી હોય તો કાશ્મીરમાં ઊંબાડિયું કરવાનું અને પછી લશ્કરનાં ગુણગાન ગાઈને કહેવાનું કે ભૂમિને બચાવવાની જવાબદારી તારી. 

આ સારા વિવેકી શાસકો અને પ્રજાનાં લક્ષણો નથી. રહી વાત ધૂર્ત અને માથાભારે શાસકોની તો એમાં નૈતિકતાની વાત જવા દો તો પણ વ્યવહારની વાત તો છે જ. ધૂર્તતા અને માથાભારેપણું પરવડે એવું છે કે નહીં એનું તો ધ્યાન રાખવું જોઈએ. નહીં તો લેને કે દેને પડ જાય એવું બને. ચીનનો ધૂર્તતા અને માથાભરેલો વ્યવહાર કેટલો વ્યવહારુ છે અને કેટલો પરવડે એવો છે એની વાત આવતા અઠવાડિયે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 24 સપ્ટેમ્બર 2020

Loading

...102030...2,2812,2822,2832,284...2,2902,3002,310...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved