તને યાદ છે, આપણે ગઈ આઠમે મળ્યા'તા?
અને તે ય પાછા મેળામાં?
તારી પાસે પાવો હતો,
તું ઉપરથી ઉઘાડો હતો.
તેં નાના અમથા મુગટમાં મોરપિચ્છ ખોસેલું,
તારી આગળપાછળ ફરતી
બે યુવતીઓ,
એકે પથારાવાળા પાસેથી તંબૂરો
તો બીજીએ ચિતરેલી નાની માટીની મટુકી ખરીદેલી.
તું રાજી થઈ મેળામાં મહાલતો હતો,
તેં ય સૅલથી ચાલતું રમકડું લીધેલું,
અદ્દલ સુદર્શનચક્ર જ જોઈ લો !
એક સ્ટૉલ પર તેં માખણ માંગેલું, પણ
પેલાએ તને બટર આપેલું,
પણ લૂખું તો ખવાય નહીં !
તું અકળાયેલો, મૂંઝાયેલો!
તે આજે ય જન્માષ્ટમી છે.
પણ, આજે મેળો નથી.
તું આવીશ નહીં, ફેરો પડશે.
આવે તો માસ્ક પહેરીને આવજે.
સેનેટાઈઝરને ઓળખે છે?
સોશ્યલ ડિસ્ટન્સની ખબર છે?
રાધા-મીરાંને કહેજે તારાથી દૂર રહે !
કોરોના કે કંસે સામ્રાજ્યવાદી વલણ અપનાવ્યું છે.
તારો જાદૂ ચાલશે ?
હવે જો જાદૂ ન જ ચાલવાનો હોય તો તું
હોમક્વોરાઈન્ટન થઈ જજે.
અને હા,
અમને પેલો શ્લોક હવે યાદ નથી;
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति। भारत………
તેથી કશો સંકોચ કરતો નહીં !
અમારી ચિંતા કરતો નહીં,
અમને આત્મનિર્ભરના પાઠ સાહેબે
શીખવી દીધા છે.
ઓકે?
![]()


મહેન્દ્ર મેઘાણી સંપાદિત 'અડધી સદીની વાચનયાત્રા'(ભાગ : ૧, પૃષ્ઠ : ૨૧)માં, પ્રદ્યુમ્ન તન્નાનો લેખ "ઈ તો સાંયડી રોપી છે!" શીર્ષકના છાંયડા હેઠળ પ્રકાશિત થયો છે. લેખક પ્રદ્યુમ્ન તન્નાને કચ્છના પ્રવાસમાંથી આ પ્રસંગ જડી આવ્યો છે. તેમણે રબારી જ્ઞાતિના લગ્નની દસ્તાવેજી સામગ્રી ભેગી કરવાના મુખ્ય હેતુ સાથે મીંઢિયાણા ગામની મુલાકાત લીધી હતી. આ ગામમાં મુખ્યત્વે ઢેબરિયા રબારીઓ વસે છે. તેમના આરાધ્ય દેવ કૃષ્ણ છે. આ રબારીઓનાં લગ્નનું વણજોયું મુહૂર્ત એટલે ફક્ત ગોકળઆઠમનો દિવસ. આમ, જન્માષ્ટમીએ ગામમાં ઘણાં બધાં ઘરે લગ્ન લેવાતાં હોય છે.
કેટલા ય પાઠ એવા હોય છે કે અઘરે રસ્તે પણ આપણે તેને શીખવા માગતા નથી. કોવિડ-19ના પ્રકોપ જેવી, સદીમાં એકાદ વાર જવલ્લે પ્રસરતા વિશ્વવ્યાપી રોગચાળા જેવી ઘટનાથી મોટું બીજું કયું નિમિત્ત એ માટે જોઈએ? માર્ચ મહિનાના અંતથી ત્રણેક મહિના સુધી તો સંપૂર્ણપણે, અને છેલ્લા એકાદ મહિનાથી અંશત: માનવીય ગતિવિધિઓ થંભી ગઈ છે. તેની સીધી અને સવળી અસર પર્યાવરણ પર પડી રહી હોવાના અહેવાલો અનેક વાર આ ગાળામાં વખતોવખત પ્રકાશિત થતા રહ્યા છે. આમ છતાં, આપણા પર જાણે કે તેની કશી અસર જ નથી.