સાધારણ માણસ દરેક ક્ષેત્રમાં પીડાવા માટે જ હોય છે. વાલી તરીકે વિદ્યાર્થી માટે, નોકર તરીકે સાહેબ માટે, શિક્ષક તરીકે આચાર્ય કે સંચાલક માટે, ખેડૂત તરીકે ખેતી માટે, ગ્રાહક તરીકે બેંક માટે, સ્ટાફ તરીકે કોર્પોરેટ સેક્ટર માટે … એમ અનેક જગ્યાએ પીડાવા માટે જ સામાન્ય માણસ જન્મ્યો હોય તેવી સ્થિતિ છે. આજના સંજોગોમાં તે સૌથી વધારે આર્થિક ભારણથી પીડાય છે. આર્થિક બાબતોથી ન પીડાતો વર્ગ જન્મજાત ઉદ્યોગપતિઓનો, વિધાયકોનો, સાંસદોનો અને મંત્રીઓનો છે. મોરને ચણ ને ઢોરને મણ એ લોકો જ ખવડાવી શકે છે. જો કે સંસદ હાથીને પાળી શકે એમ નથી, કારણ ઘણા ધોળા હાથીને પાળવાની જવાબદારી તેની છે.
કસ્ટમર ઈઝ ઓલ્વેઝ રાઈટ – એવું ભલે કહેવાયું હોય, પણ મનાય છે એવું કે ગ્રાહકમાં અક્કલ હોતી નથી અને દરેક રીતે તે લૂંટને પાત્ર જ છે. મીડિયામાં આવતી જાહેરાતોમાં દેખાવ એવો હોય છે કે બધી જ પ્રોડક્ટ્સ ગ્રાહકને સસ્તી મળે છે ને તેની દરેક બાબતમાં કાળજી લેવાય છે. આ બધાં, બધું મફતને ભાવે આપતાં હોય છે ને તેના પર ડિસ્કાઉન્ટ એટલું હોય છે કે ઘરમાં બધું મફત થઈ પડે ને પરિણામ એ આવે છે કે ગ્રાહકને ખીસું કપાયાનો જ અનુભવ સિલકમાં રહે છે. ગ્રાહકની મફત મેળવવાની માનસિકતા કંપનીઓ જાણે છે ને એનો બરાબર (ગેર)લાભ ડિસ્કાઉન્ટ આપવાને નામે ઉઠાવાય છે.
એક નકરું સત્ય એ છે કે ગ્રાહક લૂંટવા માટે જ હોય છે. લૂંટવા માટે જ નહીં, બીજા લૂંટી ગયા હોય તો તેની વસૂલાત માટે પણ હોય છે. આની ખાતરી ઘેરબેઠાં પણ કોઈ બેંક સંદર્ભે કરી શકાય. ધારો કે તમારે નેટ બેન્કિંગથી ૨૫,૦૦૦ ટ્રાન્સફર કરવા છે તો એન્ટ્રી દીઠ ૨થી ૧૦ રૂપિયા ચાંદલો ચોંટી શકે છે. આ નેટ બેન્કિંગની ટેવ ગ્રાહકે પોતે તો પાડી ન હતી. ગ્રાહક એ.ટી.એમ. તો વસાવવા ગયો ન હતો, પણ હવે એ.ટી.એમ. સાથે થતો વ્યવહાર પણ ચાર્જેબલ છે. અહીં યુક્તિ એ કામ કરે છે કે ગ્રાહકને ટેવ મફતમાં પડે ને એક વાર ટેવ પડી જાય તો પછી એવી સિફતથી લૂંટવામાં આવે કે ગજવામાં હાથ નાખ્યા વગર જ તે ખર્ચાઈ જાય.
અરે! એ.ટી.એમ.માં પિન બદલવા ઈચ્છો છો તો લાવો પચાસ રૂપિયા. પોતાના ખાતાની સેફટી માટે બેન્કે જ પિનની ભલામણ કરી હોય અને એ સેફટી માટે ગ્રાહક પિન બદલે તો તેનો પણ ચાર્જ ! સહેલી અને શરમ વગરની લૂંટનું આનાથી મોટું ઉદાહરણ નથી. મહિનાનું સેવિંગ્સ એકાઉન્ટનું સ્ટેટમેન્ટ જોઈએ છે તો ખાતામાં ૭૫ રૂપિયા ઉધારાઈ જશે. કરન્ટ એકાઉન્ટનું સ્ટેટમેન્ટ જોઈએ છે તો ૨૫૦નો કરન્ટ લાગશે. એક સમય હતો જ્યારે પાનાંનાં પાનાંની પાસબુક બેંક કર્મચારી હાથે એન્ટ્રી પાડીને આપતો હતો ને તે પણ એમ જ! હવે તો મશીનથી પ્રિન્ટ થાય છે, પણ ચાર્જ વગર ગાડું આગળ વધતું નથી. હવે એ.ટી.એમ.નું વાર્ષિક ભાડું ૧૫૦થી ૨૦૦ લેવાશે. આ પણ ભેદી છે. ૧૫૦થી ૨૦૦ એટલે શું? કોને ૧૫૦ ને કોને ૨૦૦ એનો ખુલાસો નથી. વારુ, એ.ટી.એમ.નું ભાડું એક જ ગ્રાહક પાસેથી વસૂલાતું નથી. સેંકડો, હજારો ગ્રાહકો એનો ઉપયોગ કરતા હોય છે ને એ બધા પાસેથી વસૂલાતું ભાડું લાખોમાં થાય છે. એક ડબલાંનું આટલું ભાડું નફાખોરી જ નથી, છડેચોક લૂંટ છે! ચેક રિટર્ન થવાનો ચાર્જ ૧૨૫થી ૫૦૦નો છે. બેલન્સ પૂછો તો ૩૦ રૂપિયા ચોંટે. સેવિંગ્સ એકાઉન્ટમાં વર્ષે ૫૦થી વધુ ઉપાડ થાય તો એન્ટ્રી દીઠ ૧૨થી ૧૫ રૂપિયા ચાર્જ લાગશે. એમ ઘણા ચાર્જ રાષ્ટ્રીયકૃત બેન્કોએ ૧ જુલાઈ, ૨૦૨૦ની પાછલી તારીખથી વસૂલવાનું નક્કી કર્યું છે.
આમ તો કોરોનાને કારણે બેન્કોએ ચાર્જ લેવાનું બંધ કર્યું હતું, પણ એ માણસાઈ ૨૮ ઓગસ્ટ સુધી જ હતી. હવે એ ભૂલ સુધારી લેવામાં આવી છે અને પાછલી તારીખથી વસૂલીનું ભૂત ફરી ધૂણવા લાગ્યું છે. કાલે ઊઠીને બેંકમાં પગ મૂકવાનો એન્ટ્રી દીઠ ચાર્જ વસૂલ થાય તો આઘાત ન લાગવો જોઈએ.
હકીકત એ છે કે બેન્કોને હવે ગ્રાહકોની ગરજ રહી નથી. તેમાં પણ ડિપોઝિટ મૂકનારા તો બેંકોને દીઠે ડોળે ગમતા નથી. આ બધા ચાર્જ એ ગ્રાહકોને લૂંટવા નક્કી થયા છે જે બેંકમાં પૈસા મૂકે છે. બેન્કોને ડિપોઝિટર્સની જરા જેટલી પણ ગરજ રહી નથી. તેને ઓછામાં ઓછું વ્યાજ બેંકો આપે છે. સિનિયર્સ વ્યાજ પર નભતા હતા, એમને જીવવા જેવો તો ઠીક, આપઘાત કરવા જેટલો વ્યાજ દર પણ બેંકો આપતી નથી. બીજી તરફ સિનિયર્સ માટે સરકાર બહુ માનની નજરે જુએ છે, પણ દુનિયા જાણે છે કે સરકારો દેખાડાની ને અખાડાની જ હોય છે.રિઝર્વ બેંકનું એક જ ટાર્ગેટ છે. લોન સસ્તી કરવાનું. લોન સસ્તી થાય તો વધુ દેવાદારો પાકે ને તેમને ઓછા વ્યાજની લોન મળી રહે એટલે ડિપોઝિટના રેટ ઘટતા આવે છે. લોન સસ્તી કરવા જ રેપોરેટ કે રિવર્સ રેપોરેટ પણ રિઝર્વ બેંક બદલતી રહે છે.
એ વિચારવા જેવું છે કે જ્યારે ૧૨ ટકા વ્યાજ ડિપોઝિટ પર અપાતું હતું તો કયા વ્યવહારો અટકી પડ્યા હતા ને આજે વ્યાજ દર ઘટ્યા છે તો શો લાભ થયો છે? ખેડૂતોને ઓછા વ્યાજની લોન આપવાનું શરૂ થયું તે પછી તેમના આપઘાતો વધ્યા કે તે પહેલા વધારે હતા? ખેડૂતોની લોન માફ કરવાની ટકાવારી લોન મોંઘી હતી ત્યારે વધારે હતી કે આજે વધારે છે આ બધું જોવાવું જોઈએ.
રિઝર્વ બેન્કે એટલું બધું નાણુ બજારમાં તરતું કર્યું છે કે માર્કેટોમાં તેજીનો માહોલ બને. એક તરફ લોકો પાસે પૈસા નથી ને બીજી બાજુ પર શેરબજારમાં ઉછાળો આવ્યો છે. આ આખું ચિત્ર ભ્રામક છે. દેશમાં બધાં જ દેવાળિયા હોય તો નાનમ ઓછી લાગે એ હિસાબે બધાંને જ લોનધારક બનાવવા સરકાર કટિબદ્ધ છે. આ સ્થિતિમાં ડિપોઝિટ મૂકનાર બેન્કોને ઓછા જ વહાલાં લાગવાના. એ તો સીધું છે કે લોન લેનાર બેન્કને નવડાવે એટલું ડિપોઝિટ મૂકનાર ઓછું જ નવડાવવાનો હતો ! બેન્કોને નવડાવનારાઓ વિદેશમાં મોજ કરે છે ને હમણાં વધુ ને વધુ નવડાવનારાઓ માટે જાણે સગવડ ઊભી થઈ છે.
એક સમય હતો જ્યારે બેન્કોને ડિપોઝિટના ટાર્ગેટ અપાતા, પણ હવે લાગે છે કે લોનના અપાય છે. એ સારી જ વાત હશે. એથી ધંધાનો વિકાસ પણ થતો હશે ને ખેડૂતોને કે અન્ય વર્ગને રાહત જ થતી હશે, પણ ડિપોઝિટર્સની અવગણના ઠીક નથી. લોનધારકને સસ્તી લોન મળી રહે એ હેતુથી ડિપોઝિટના રેટ ઘટાડાય છે, પણ લોન લઈને જે કમાય છે તેઓ વધુ વ્યાજ ન જ ચૂકવી શકે એમ માનવું બરાબર નથી. એવા લોનધારકો જેઓ ખોટ નથી ખાતા તેમની પાસેથી વધારે વ્યાજ વસૂલી જ શકાય. જેમ સિનિયર સિટીઝન્સને અડધો ટકો વધારે વ્યાજ અપાય છે, એમ જ નફાકારક ધંધા માટેનું ધિરાણ મોંઘું હોય તો કશું ખોટું નથી. લોન મોંઘી હતી ત્યારનો રિકવરી રેટ ને લોન સસ્તી થઈ ત્યારનો રિકવરી રેટ સરખાવવા જેવો છે. એ હકીકત છે કે લોન સસ્તી થઈ પછી બેન્કોનું એન.પી.એ. વધ્યું છે. જો વાસ્તવિકતા આ જ હોય તો લોન સસ્તી કરવાનું ઝનૂન કોઈ રીતે આવકાર્ય નથી. હા, ખેડૂતોને અપાતી લોન કે હોમલોનનું વ્યાજ ઓછું રાખી શકાય, કારણ એ જરૂર છે, એમાં કમાણી નથી. જે કમાય છે તે વધારે ટેક્સ ભરે એ તર્ક યોગ્ય હોય તો જે કમાય તે વધારે વ્યાજ ચૂકવે એમાં ખોટું શું છે?
જો કે અત્યારનું બેન્કિંગ ઘણી રીતે બદલાયેલું છે એટલે એનો તર્ક જુદો હોઈ શકે છે, પણ બેંક ચાર્જિસમાં વધારો એ ઉઘાડી લૂંટ છે. આ ચાર્જિસ વસૂલવાને મામલે તો બેંકો પોતે પણ જુદો મત ધરાવે છે ને એ અંગે સરકારનું ધ્યાન પણ દોરવામાં આવ્યું છે. બેંકો પોતે માને છે કે સરકારી બેન્કોએ જુદા જુદા ચાર્જ દ્વારા ગ્રાહકો પર આર્થિક ભારણ વધારી દેવાનું જ કામ કર્યું છે. આ ચાર્જ વધારવાનું સબળ કારણ એ અપાય છે કે બેન્કોના કરોડો રૂપિયા ડૂબી ગયા છે તે બેંકો તેના જ ગ્રાહકો પાસેથી ચાર્જ વધારીને વસૂલ કરી રહી છે. જેમણે બેન્કોનાં નાણા ડુબાડ્યાં છે એમને આંગળીયે અડાડ્યા વગર, જે ગ્રાહકો જવાબદાર જ નથી એમની પાસેથી ચાર્જ વસૂલવાની વાત સદંતર ખોટી છે ને એનો ગ્રાહકોએ સામૂહિક વિરોધ કરવો જોઈએ. આ ન થયેલા ગુનાનો વસૂલાતો દંડ છે. જો કે બેંકો આ લૂંટ બંધ કરવાની નથી, કારણ એ જાણે છે કે ગ્રાહકોમાં વિરોધ કરવાની તાકાત જ નથી. અગાઉ ક્યારે ય નો’તી એવી નિર્માલ્ય પ્રજા અત્યારે તમામ સત્તાઓને પોતાને લૂંટવાનું ખુલ્લું આમંત્રણ આપી રહી છે, પછી સત્તાધીશો ન લૂંટે તો એ મૂરખ જ સાબિત થાય કે બીજું કંઈ?
૦
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ' નામક લેખકની સાપ્તાહિક કટાર, “ધબકાર”, 31 ઑગસ્ટ 2020