Opinion Magazine
Number of visits: 9574837
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સત્તાની સાઠમારીમાં રગદોળાતું રાજસ્થાનનું પ્રજાતંત્ર

કમલેશ ઓઝા|Opinion - Opinion|21 July 2020

ભારતનું રાજકારણ ખરાબે ચડી ચૂક્યું છે. સમભાવ સદ્દભાવ અને મૂલ્યનિષ્ઠાના પાયા પર રચાયેલી ભારતની લોકશાહીના પાયા ડગમગી રહ્યા છે. ગઇ ૨૦૧૮ની વિધાન સભાની સામાન્ય ચૂંટણીમાં જનાદેશ કૉન્ગ્રેસ તરફી હોવા છતાં રાજસ્થાન ત્રીજું રાજ્ય છે જેમાં સત્તાલાલસા અને વધુ પડતી મહત્ત્વાકાંક્ષાથી જનાદેશ વિરુદ્ધ જઇને સરકારને ઉથલાવવાનું ષડયંત્ર રચી આપણી લોકશાહીને લગભગ પેરાલિટીક બનાવી દીધી છે. ભારતીય જનતા પાર્ટીનું સ્લોગન કૉન્ગ્રેસમુક્ત ભારત અને દેશને આખો સરમુખત્યારશાહી તરફ ધકેલી એકહથ્થુ સત્તા પ્રાપ્ત કરવાની નેમ સાથે કૉન્ગ્રેસના સત્તાલાલચુ યુવાનેતા સચીન પાયલોટને હાથો બનાવી રાજસ્થાન સરકારને ઉથલાવવાનું કરાતું કારસ્તાન દેશના વિચારશીલ નાગરિકોને બૌદ્ધિકોને કર્મશીલોને માટે આઘાતજનક બીના છે.

૨૦૧૮માં થયેલી સામાન્ય ચૂંટણીમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક તેમ જ છત્તીસગઢમાં કૉન્ગ્રેસ તરફ જનાદેશ આવ્યો હતો. આ કૉન્ગ્રેસની ચાલતી સરકારોને ઉથલાવી ધારાસભ્યોની મોટા પાયે ખરીદી કરી કર્ણાટક, મધ્યપ્રદેશ અને હવે રાજસ્થાનની જરૂરી બહુમત ધરાવતી કૉન્ગ્રેસના વિધાનસભ્યોને બળવાખોરીના કેસમાં લાવી રાજસ્થાનની કામ કરતી સરકારને લગભગ અસ્થિર બનાવી દેવામાં ભા.જ.પ.નો રોલ બહુ મહત્ત્વનો હોય તેમ લાગે છે. કારણ સચીન પાયલોટ જે ડેપ્યુટી ચીફ-મિનિસ્ટરના માન મરતબાવાળો હોદ્દો, તેમ જ રાજસ્થાનના પ્રદેશ પ્રમુખના હોદ્દા માત્ર ૪૨ વર્ષની ઉંમરે મેળવ્યા છતાં તેના મુખ્યપ્રધાન બનવાની જીદથી તેના સમર્થક 19 સાથી ધારાસભ્યોને ગુડગાવની માનસર હોટલમાં રાખવાનું આખો રોલ યોજના ભા.જ.પ.ની છે કારણ કે આ હોટલ ભા.જ.પ.ના અગ્રગણ્ય નેતાની માલિકીની છે અને આ આખું ષડયંત્ર પાછળ ભારતીય જનતા પાર્ટીની મહત્ત્વની સાજિશ હોય તેમાં મને જરા પણ શંકા નથી. તેમ કહીશ તો અસ્થાને નહી ગણાય – ભલે સચીન પાયલોટ એમ કહેતા હોય કે હું કોઇ બી.જે.પી.ના માણસોને તેમ જ કોઈ હોદ્દેદારોને મળ્યો નથી અને હું હજુ કૉન્ગ્રેસમાં જ છું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નથી. અને જરૂર પડે મારા સમર્થકોનો મારા સાથીદારોનો મત લઇ આગળની રણનીતિ કઇ રીતે કરવી તેમાં નિર્ણય લઇશ – આ લખાય છે ત્યારે પણ સચીન પાયલોટના સમર્થક 19 ધારાસભ્યો આ જ માનસર હોટેલમાં ભારે કબજા હેઠળ રાખવામાં આવ્યા છે.

આ બધી રાજકીય ચહલપહલમાં રાજસ્થાન સરકાર માથે સંકટ તો જરૂર છે. પણ સચીન પાયલોટ પાસે ૧૯ ધારાસભ્યો હોય અને બી.જે.પી.ના ૭૦ ધારાસભ્યો થઇને માત્ર 89 ધારાસભ્યોની જ સંખ્યા થાય એ આંકડો બહુમતીથી ઘણો જ દૂર છે તેથી હાલ પૂરતી સરકાર ઉથલાવવાનો હેતુ પાર ન પણ પડી શકે કારણ કે મુખ્યમંત્રી અશોક ગેહલોતના સમર્થકોની સંખ્યા રાજસ્થાનના રાષ્ટ્રપતિશ્રીને આપેલી યાદી 109 છે. એટલે હાલ પૂરતી સંખ્યા પૂરતી હોવાથી સરકાર તાત્કાલિક ઉથલાવવાનું શક્ય નથી અને કદાચ ફ્લોર ટેસ્ટ કરવો પડે તો સરકાર બચી પણ જાય પણ સરકારને સતત સતર્ક રહેવું પડે – જે આજે ધારાસભ્યોને જયપુરમાં રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે અશોક ગેહલોતના જે સમર્થકો છે જેમણે બે દિવસ પહેલાં ધારાસ્યોની મિટીંગમાં અશોક ગેહલોતમાં સંપૂર્ણ વિશ્વાસ પ્રદાપિત કર્યો છે તેમાંથી એકપણ ધારાસભ્ય ઓછો ન થાય અને સચીન પાયલોટના જૂથમાં ન ચાલ્યો જાય – તેની સતત કાળજી રાખવી જરૂરી બની જાય છે.

એક સમાચાર આ કોલમ લખાય છે ત્યારે એવા આવ્યા છે કે થોડા સમય પહેલાં બહુજન સમાજના છ ધારાસભ્યો જે કૉન્ગ્રેસમાં ભળી ને બહુજન સમાજમાંથી નીકળી ગયા તેનો સમાવેશ થતા અશોક ગેહલોત પાસે 109 ધારાસભ્યોને છે પણ બહુજન સમાજની પ્રમુખ માયાવતી આ ધારાસભ્યોની બહુજન સમાજમાંથી નીકળી કૉન્ગ્રેસમાં સામેલ થયા તેની કાયદાકીય સંવિધાનિક સ્ટેટસને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનાં છે.

સુપ્રીમ કોર્ટ આ બાબતમાં આ ધારાસભ્યોની કાયદેસરતા પર રોક લગાવી દે અને તેને મત દેવાનો અધિકાર પર સ્ટે આપે તો વળી પાછી ગેહલોત સરકાર મુશ્કેલીમાં મુકાય અને બહુમતીના આંકડા સુધી પહોંચવામાં જોખમ ઊભું થાય. આમ રાજસ્થાનની રાજકીય સ્થિતિ અનિર્ણાયક રહેશે તેમ હું માનું છું.

એકવાત સ્પષ્ટ કહેતા હું અચકાઇશ નહીં કે ૨૦૧૮ ચૂંટણીમાં કૉન્ગેસને બહુમતી સીટો મેળવી આપવામાં સચીન પાયલોટનો રોલ નાનો સૂનો નથી. કેટલાક મત વિસ્તારો જેવા કે સવાઇ માધુપુર, ભીલવાડા વિગેરે 45 મત વિસ્તારોમાં ગુર્જર અને મીરા કોમ્યુનિટીનું વર્ચસ્વ છે. સચીન પાયલોટે પોતે ગુર્જર કોમ્યુનિટીમાંથી આવે છે. સચીન પાયલોટનું ગ્રાસરૂટ વર્ક આખા રાજસ્થાનમાં જબરદસ્ત રહેલું અને રાહુલ ગાંધીની અને સચીન પાયલોટની મહેનતથી ૨૦૧૩માં જે કૉન્ગ્રેસની 21 સીટ હતી તેમાંથી 107 પર લાવી કૉન્ગ્રેસ એક બહુમતી મેળવી શકી હતી. એટલે તરવરાટવાળો ચહેરો, સૌમ્ય સ્વભાવ અને કૉન્ગ્રેસની વિચારસરણીમાં ઓતપ્રોત સચીન પાયલોટ એક યુવાનેતાગીરીમાં મહત્વનો ચહેરો છે. એટલે તેને જરૂર પૂરતું સન્માન મળવું જોઇએ તે વાતમાં બે મત નથી, પણ ૨૦૧૮માં જ્યારે મુખ્યપ્રધાન નક્કી કરવામાં આવ્યા ત્યારે તે મુખ્યપ્રધાનની રેસમાં હોવા છતાં રાહુલ ગાંધીની સમજાવટથી તેણે ડેપ્યુટી ચીફ મિનિસ્ટરનો હોદ્દો તેમ જ રાજસ્થાન કૉન્ગ્રેસ પ્રદેશ અધ્યક્ષનો હોદ્દો સ્વીકાર્યો. પણ છેલ્લા છ મહિનાથી સચીન પાયલોટે પોતાની ફરિયાદ, અશોક ગેહલોત સાથેના મતભેદો વારંવાર કૉન્ગ્રેસના હાઇકમાન્ડને જણાવેલા છતાં રાહુલ ગાંધી સોનિયા ગાંધી અને અહેમદ પટેલ જેવાં મહારથીઓ અશોક ગેહલોત અને સચીન પાયલોટ વચ્ચે સમાધાન ન કરાવી શક્યા એટલે સચીન પાયલોટે આજે પણ મીડિયા સામે સ્ટેટમેન્ટ આપ્યું તેમાં કહ્યું કે અશોક ગેહલોતને મારા સ્વમાનને હણ્યું છે મારા કોઇ હુકમ અને આદેશ ન માનવા તેવું અધિકારીઓને કહેવામાં આવતાં હું બહુ જ અસંમજ સ્થિતિમાં હતો માત્ર ગાડી, બંગલા અને એસી ચેમ્બર મને મળ્યા હતા પણ મારા આદેશોનું કોઇ અધિકારી પાલન કરતા ન હતા. અને મારા હુકમો ન માનવા તેવી સુચના અશોક ગેહલોતો અધિકારીઓને આપેલી – મને અશોક ગેહલોત સાથે આજે પણ વાંધો નથી. આજે પણ હું કૉન્ગ્રેસમાં છું અને હું ભા.જ.પ.માં મારી વિચારધારાને કોરાણે મૂકીને નહીં જઇ શકું અને હું મારા સમર્થકોને પૂછીને કૉન્ગ્રેસ ભા.જ.પ. બન્નેનો વિરોધ કરી નવો ફ્રન્ટ મોરચો સ્થાપીશ.

આમ સચીન પાયલોટ જ્યોતિરાદિત્ય સિંધિયાની જેમ ઉતાવળ કરી ભા.જ.પ.માં જઇ, પોતાની છબી નહીં બગાડે એમ તેનું કહેવાનું હતું – તેણે એમ પણ કહ્યું કે કેટલાક લોકો દિલ્હીમાં બેઠેલા મહારથીઓ મારી છબી બગાડવા હું ભા.જ.પ.માં જોડાવાનો છું અને ભા.જ.પ.ના સહારે સરકાર ઉથલાવીશ તે વાત તદ્દન ખોટી છે. માત્ર અને માત્ર મારી રાજકીય સ્થિતિ અને મારું રાજકીય વર્ચસ્વને નીચું બતાડી મારી રાજકીય છબી ખરાબ ચિતરવાનો માત્ર પ્રયાસ છે.

આમ અવલોકન કરતાં એમ માલુમ પડે છે કે સચીન પાયલોટ જ્યોતિરાદિત્ય સિંધિયાની જેમ ઉતાવળ કરી ભા.જ.પ.માં જોડાઇ ને પોતાની રાજકીય કારકીર્દી ઉપર પૂર્ણવિરામ નહીં મૂકી દે અને બીજી વાત એટલી જ સ્પષ્ટ છે કે ગેહલોત સરકારને લઘુમતીમાં મુકવા માટે તેની પાસે પૂરતા ધારાસભ્યો પણ નથી, માત્ર ઓગણીસ ધારાસભ્યો સમર્થક ધારાસભ્યોના ટેકાથી સરકારને ઉથલાવી શકે તેવી સ્થિતિમાં તો નથી જ તેમ જ એવું પણ જાણવા મળ્યું છે કે સચીન પાયલોટના સમર્થક ધારાસભ્યો મોટા ભાગના ભા.જ.પ.માં જોડાવવાના મૂડમાં નથી. એટલે સચીન પાયલોટ ભા.જ.પ.માં જોડાવાની ઉતાવળ નહીં કરે તેમ હું સ્પષ્ટ માનું છું. આ આખા બનાવમાં સચીન પાયલોટની બગાવત હાલ પૂરતી અસરકારક રીતે સરકાર ઉથલાવવા સુધી તો નહીં જ પહોંચે પણ કૉન્ગ્રેસ પક્ષે પણ આવો ગ્રાસરૂટ વર્ક સાથે જોડાયેલો લોકચાહક નેતા જરૂર ગુમાવવો પોસાશે નહીં એટલું સ્પષ્ટ છે કે ગઇ વિધાનસભામાં કૉન્ગ્રેસે મેળવેલી બહુમતીમાં તેનો ફાળો નાનોસૂનો નથી – સચીન પાયલોટ એક ઊગતા નેતા છે ૪૨ વર્ષની ઉંમરે તેને કૉન્ગ્રેસે ઘણું આપ્યું છે. રાહુલ ગાંધીના સીધા સંપર્કમાં હતા અને કૉન્ગ્રેસને પણ તેને માનની નજરે જોતી હતી પણ અશોક ગેહલોતનું તેની સાથેનું વર્તન ઓરમાયું હતું. અને આ વાત તે છેલ્લા છ મહિનાથી કૉન્ગ્રેસના ઉચ્ચ સતાધીશોને સોનિયાજીને, રાહુલને હાઇકમાન્ડને ફરિયાદ કરીને થાક્યા છતાં કૉન્ગ્રેસના ઉચ્ચ સત્તાધીશેને એ આ બાબતમાં સમાધાનનો કોઇ વચ્ચેનો રસ્તો ન શોધ્યો અને અન્તે કૉન્ગ્રેસને એક શક્તિશાળી નેતા ગુમાવવાનો વારો આવ્યો. સચીન પાયલોટની ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તરીકેની હકાલપટ્ટી અને પ્રદેશ કૉન્ગ્રેસના અધ્યક્ષ પદ ઉપર મુકાયેલા પૂર્ણવિરામ અને તેના સમર્થકો ઉપર કૉન્ગ્રેસ હાઇકમાન્ડ દ્વારા લેવાયેલાં પગલાંઓ સામે કૉન્ગ્રેસની યુવાપેઢીની સખત નારાજગી છે, અને હજુ પણ પ્રિયા દત્ત, શશી થરૂર, જીતેન્દ્ર પ્રસાદ, દેવરા વગેરેના થોકબંધ ટ્વીટર પર આવતાં સંદેશાઓ મુજબ કોઇ પણ ભોગે સચીન પાયલોટને કૉન્ગ્રેસમાં પાછા યોગ્ય હોદ્દો આપી સમાધાનનો માર્ગ અપનાવવાની અપીલ કરવામાં આવી છે.

જો કે નાની ઉંમરે ઘણા હોદ્દા ભોગવ્યા પછી વધુ પડતી મહત્ત્વાકાંક્ષા એ સચીન પાયલોટની કૉન્ગ્રેસમાંથી બાદબાકી કરાવી છે, તે વાત સ્પષ્ટ છે અને મુખ્યપ્રધાન સિવાય કઇ નહીં એ જીદ રાજકારણમાં ન ચાલે ભલે પછી ૨૦૧૮ની વિધાનસભાની ચૂંટણીમાં મળેલી જીતના તેઓ યશભાગી હોય – હવે ભૂલેચૂકે ભા.જ.પ.માં ભળે તો ત્યાં તેમનું કેટલું માન સન્માન જળવાય છે તે એક પ્રશ્ર્ન છે. ભા.જ.પ.ને તો સચીન પાયલોટ જેવા કમીટેડ નેતાઓને ઇન્સ્ટ્રુમેન્ટ બનાવી રાજસ્થાનમાં કૉન્ગ્રેસની સરકાર ઉથલાવવી છે અને જનાદેશ વિરુદ્ધ સરકાર સ્થાપવી છે. એટલે આ સચીન પાયલોટ જેવા નેતાનો દુરુપયોગ કરી રાજસ્થાનમાં જ તેમને ફરીથી કમળ ઊગાડવું છે આ વાત સચીન પાયલોટ સારી રીતે જાણે છે અને એટલે જ તેણે આજે આ કોલમમાં લખાય છે ત્યારે પ્રેસ અને મીડિયા વચ્ચે કહ્યું કે હું હજુ કૉન્ગ્રેસમાં જ છું અને ભા.જ.પ.માં જોડાવાનો નથી. આમ સચીન પાયલોટમાં જ્યોતિરાદિત્ય સિંધિયા કરતાં વધારે મેચ્યોરિટી મને દેખાય છે એટલે સચીન પાયલોટ કોઇ પણ રણનીતિ અને ભવિષ્યનું પગલું આંધળુકિયા નહીં કરે તેમ સ્પષ્ટ લાગે છે. કારણ કે તેના પિતા રાજેશ પાયલોટનો કૉન્ગ્રેસમાં આપેલો ભોગ અને તેણે પણ કૉન્ગ્રેસની વિચારસરણીથી આખી રાજકીય કારકિર્દીમાં એક મોટું નામ સ્થાપ્યું છે. એટલે ઉતાવળે પગલું ભરી ભા.જ.પ.માં જોડાઇને રાજકીય કારકીર્દી ઉપર પૂર્ણવિરામ નહીં કરવા દે એવું મને સ્પષ્ટ લાગે છે.

આ કોલમનું સંકલન કરતાં હું એમ જ કહીશ કે વિધાનસભાની ચૂંટણીમાં જનાદેશ કૉન્ગ્રેસ તરફી થયા પછી પણ ભા.જ.પ. યેનકેન પ્રકારે સરકાર ઉથલાવી પોતાની સત્તા વધારવા માગે છે તે એક મોટું પ્રદૂષણ છે – ધારાસભ્યોને ખરીદીને ચાલતી સરકારને ઉથલાવી કરોડો રૂપિયા ખર્ચી લોકતંત્રને પેરાલિટીક બનાવી સત્તા હાસલ કરવાનું રોગ તેને પોતાને જ ભારે પડવાનો છે. સામાન્ય લોકોનો મગજમાં હવે આવા બનાવોથી ભા.જ.પ. તરફથી પ્રતિષ્ઠા ચોક્કસ જોખમમાં મુકાયેલી છે તે વાતનો આપણે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ચોક્કસ જોઇ શકીશું. ઊગતું કમળ ક્યાં ય ચગદાઇને તેની પાંખડીઓ વેરવિખેર થવાના સંજોગો ઉજળા થતા જાય છે કારણ કે સામાન્ય પ્રજાને આવા ષડયંત્ર તરફ સખત નફરત હોય છે. આવનારી ચૂંટણીમાં ૨૦૨૪ મોદી મેગ્નેટ લાંબો ચાલવાો નથી તેમ કહીશ તો અસ્થાને નહીં ગણાય.

સામે પક્ષે કૉન્ગ્રેસમાં પણ પુન:વિચાર જરૂરી છે. જ્યોતિરાદિત્ય સિંધિયા અને સચીન પાયલોટ જેવા નવયુવાનો જે કરિષ્માવાળા નેતાઓ છે અને જેમને હિસાબે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં કૉન્ગ્રેસે બહુમતી મેળવી હતી, તેમને એકદમ નિગ્લેટ કરી તેમના અસંતોષની માત્રા વધારી બગાવતના રસ્તે ચડે ત્યાં સુધી કૉન્ગ્રેસ જાગે નહીં અને કોઇ વચ્ચેનો રસ્તો કાઢી તેમને પાછા કૉન્ગ્રેસના ફોલ્ડમાં ન લઇ શકે તે વાત દુ:ખદ છે.

કૉન્ગ્રેસ આખી પરિવારવાદમાં સપડાયેલી છે. ઇંદિરાજીના સમયની કૉન્ગ્રેસ અને અત્યારની કૉન્ગ્રેસ વચ્ચે આસમાન જમીનનો તફાવત છે. અત્યારે કૉન્ગ્રેસની સ્થિતિ દિશાહીન છે અને બીજી હરોળના કાર્યકરોને આગળ લાવીને કૉન્ગ્રેસને મજબૂત કરવાની તાતી જરૂરી છે. ત્યારે આજની કૉન્ગ્રેસ અનિર્ણાયક સ્થિતિમાં તેના મેચ્યોર નિર્ણય વગરની ભૂલભરેલી નિર્ણયો લઇ અસંખ્ય કાર્યકરોને નિરાશ કરી હતપ્રભ સ્થિતિમાં છે. શશિ થરૂર સૂરજેવાલા અજય માકન શક્તિસિંહ ગોહિલ વગેરે બીજી હરોળના નેતાઓની તાકાત જરા પણ ઓછી નથી. આ બધા જ કાર્યકરો નેતાઓનાં ઉપયોગ કરી કૉન્ગ્રેસે અસંમજ સ્થિતિમાંથી બહાર આવવાની જરૂર છે. રાહુલ ગાંધીનો ૨૦૧૮નો વિધાનસભાની ચૂંટણી વખતનો અવાજ અને પાંચ સ્ટેટમાં મેળવેલ બહુમતીનો અવાજનાં અત્યારે નામશેષ થતો હું જોઉં છું એટલે સચીન પાયલોટ જેવા શક્તિશાળી નેતાને ગુમાવ્યા વગર તેને હેમખેમ પાછા કૉન્ગ્રેસના ફોલ્ડમાં લાવવાની તાતી જરૂર છે. પણ આ કૉન્ગ્રેસ જ્યાં સુધી સોનિયાજી, રાહુલ અને પ્રિયંકા ગાંધી વડેરાનાં સંકુચિત પરિવારવાદમાંથી બહાર નહીં નીકળે ત્યાં સુધી હું કૉન્ગ્રેસનું સારું ભવિષ્ય જોતો નથી.

આજના આ માહોલમાં ધારાસભ્યોને ઘેટાંબકરાંની જેમ રિસોર્ટમાં રાખવા પડે તેમની આજુબાજુ કિલ્લેબંધી રાખવી પડે અને બહુમતી માટે તેમની ઉપર સતત સતર્ક રહેવું પડે તે આજની આપણી લોકશાહીનું મોટું કલંક છે. જે પાર્ટીએ ટિકિટ આપી હોય તેની વફાદરી ન રાખીને કરોડો રૂપિયાથી ખરીદાઇને પ્રજાતંત્રને રગદોળવું એ મારા હિસાબે ભારતીય લોકશાહીનું મોટું કલંક છે. આ માટે હવે તો નવનિર્માણ જેવા જનઆંદોલનો કરી આવા ધારાસભ્યોનો સામાજિક બહિષ્કાર કરવા સાથે રાઇટ ટુ રિકોલવાળો કાયદો લોકસભામાં પસાર કરવા માટે જનઆંદોલન સિવાય છૂટકો નથી અને આમ કરવામાં આવશે તો જ આપણી ડગુમગુ થતી લોકશાહી બચી શકશે તેમ કહી વિરમું છું.

e.mail : koza7024@gmail.com

પ્રગટ : ‘કરન્ટ ટોપીક’, “ગુજરાત ટુડે” 

Loading

જેટલું કહીએ એટલું ઓછું: કેવી રીતે મારા પરિવારે દુનિયાનો સૌથી ખતરનાક માણસ પેદા કર્યો

રાજ ગોસ્વામી|Opinion - Opinion|21 July 2020

અમેરિકાના રાષ્ટ્રપતિઓનો વિશ્વના પ્રવાહો પર પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રભાવ એટલો હોય છે કે તેમની કામ કરવાની રીત, તેમના વિચારો અને આંતરિક જીવન હંમેશાં ચર્ચાનો, અભ્યાસનો વિષય બને છે. રાષ્ટ્રપતિઓ કે પ્રધાનમંત્રીઓ આપણા જેવા જ માણસો હોય છે અને તાકતોની સાથે સાથે કમજોરીઓ પણ હોય છે. સામાન્ય રીતે તેમને તેમની તાકાત અથવા સકારાત્મક બાજુ જ બતાવવામાં રસ હોય છે, પણ તેમને એક સાધારણ માણસ તરીકે સાબિત કરે તેવી ત્રુટીઓ તેઓ છુપાવતા હોય છે અથવા તેની પર સકારાત્મકતાનો ઢોળ ચડાવતા હોય છે. અમેરિકામાં રાષ્ટ્રપતિઓને બિલ્લોરી કાચ નીચે મૂકીને જોવાની ટેવ છે, કારણ કે ત્યાં રાજનેતાઓને 'ભગવાન' માનીને ભક્તિ કરવાની પરંપરા નથી. ત્યાં રાષ્ટ્રપતિનું બધું જ ખાનગી સાર્વજનિક હોય છે, કારણ કે અમેરિકન લોકો માને છે રાષ્ટ્રપતિના સાર્વજનિક જીવન પર તેમના અંગત જીવનનો એટલો જ પ્રભાવ છે.

આપણે ત્યાં પ્રધાનમંત્રીઓને નિર્મમતાથી જોવાની પરંપરા નથી. આપણો સમાજ ભક્તિભાવવાળો છે, એટલે આપણે આપણા સાર્વજનિક સેવકોમાં તારણહારને જોઈને માત્ર તેનું સારું જ જોઈએ છીએ અને જે ત્રુટીપૂર્ણ છે, તેની ઉપેક્ષા કરીએ છીએ. ૧૯૪૯માં, બંધારણીય સભામાં પ્રવચન આપતી વખતે ડો. બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું કે આપણા દેશમાં વ્યક્તિ-પૂજા એક મહામારી છે. આપણા નેતાઓની પ્રશંશા કરવી ખરાબ નથી, પરંતુ તેમના હાથમાં સત્તા આપીને આંખો બંધ કરી દેવી, તે લોકશાહી માટે યોગ્ય નથી.

અમેરિકામાં એવું નથી. ત્યાં રાષ્ટ્રપતિઓનું સારું અને ખરાબ, બંને સાર્વજનિક ચર્ચા-અભ્યાસનો વિષય બને છે.

એટલા માટે, પ્રવર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર તેમની જ ભત્રીજીએ લખેલા પુસ્તકના પ્રકાશન પર ટ્રમ્પે પ્રતિબંધ મેળવ્યો અને સુપ્રીમ કોર્ટના અપીલ જજે ગયા અઠવાડિયે તે પ્રતિબંધ ઉઠાવી લઈને પુસ્તકના પ્રકાશનનો માર્ગ ખુલ્લો કર્યો, તે એક મહત્ત્વની ઘટના છે. જજે તેમના આદેશમાં કહ્યું હતું કે, "રિયલ એસ્ટેટ ડેવલોપર (ટ્રમ્પ પરિવારનો મૂળ વ્યવસાય બાંધકામનો છે) પરિવારને તેમનાં પારિવારીક રહસ્યો ખાનગી રાખવામાં રસ હોય, તે એક વાત છે અને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાના પરિવારને એવો રસ હોય તે બીજી વાત છે."

ડોનાલ્ડ ટૃમ્પ તેમના પિતા ફ્રેડ જોડે. બ્રૂકલિન, 1975

હજુ થોડા મહિના પહેલાં, ટ્રમ્પની ભત્રીજી મેરી એલ. ટ્રમ્પનું કોઈએ નામ પણ સાંભળ્યું ન હતું. મેરી ડોનાલ્ડ ટ્રમ્પના મોટા ભાઈ ફ્રેડ જુનિયરની પુત્રી છે. ફ્રેડ દારૂ પી-પીને ૧૯૮૧માં મરી ગયા છે. પુસ્તકના પ્રકાશક, સિમોન એન્ડ શુટર અનુસાર, મેરી ટ્રમ્પ ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ છે. તેને એક ભાઈ પણ છે. ફ્રેડ અને ડોનાલ્ડના પિતા ફ્રેડ ટ્રમ્પ સિનિયરનું ૧૯૯૯માં અવસાન થયું, તે પછી મેરી અને તેના ભાઈએ દાદાના વસિયતનામાને કોર્ટમાં પડકાર્યું હતું અને ત્યારથી ડોનાલ્ડ અને મેરી વચ્ચે ખટરાગ ચાલે છે. એમાં સમાધાન પણ થયું હતું અને એને આગળ ધરીને જ ટ્રમ્પે કરારની શરતોનું ઉલ્લંઘન થયું છે, તેવી દલીલ સાથે મેરીના આગામી પુસ્તક પર પ્રતિબંધ મેળવ્યો હતો. પુસ્તકના પ્રકાશકે 'અમે ક્યાં એ કરારમાં ભાગીદાર છીએ?' કહીને એ પ્રતિબંધ ઉઠાવી લેવડાવ્યો છે.

પુસ્તકનું નામ લાંબુ અને આક્રમક છે – ટુ મચ એન્ડ નેવર ઈનફ: હાઉ માય ફેમિલી ક્રિયેટેડ વર્લ્ડ્સ મોસ્ટ ડેન્જરસ મેન (જેટલું કહીએ એટલું ઓછું: કેવી રીતે મારા પરિવારે દુનિયાનો સૌથી ખતરનાક માણસ પેદા કર્યો). પુસ્તકના પ્રકાશક સિમોન એન્ડ શુટર કહે છે કે પુસ્તકમાં 'માનસિક આઘાતો, વિનાશક સંબંધો, ઉપેક્ષા, અત્યાચાર અને મેરીના સ્વર્ગસ્થ પિતા ફ્રેડ ટ્રમ્પ જુનિયર તેમ જ તેમના ભાઈ, અને હવે યુનાઇટેડ સ્ટેટના પ્રેસિડેન્ટ, વચ્ચેના વિચિત્ર અને હાનિકારક સંબંધની વાતો છે.'

અમેરિકાના માતબર સમાચારપત્ર ‘ન્યુ યોર્ક ટાઈમ્સ'ના ખોજી પત્રકાર ડેવિડ કે જોહ્ન્સન ૨૮ વર્ષથી ડોનાલ્ડ ટ્રમ્પને ઓળખે છે અને તેમના પર ઘણું લખ્યું છે. એક ઇન્ટરવ્યુમાં એ કહે છે, “ડોનાલ્ડ ટ્રમ્પ વિષે લોકોએ અમુક વાતો સમજવા જેવી છે. એ ક્રિમીનલ પરિવારમાંથી આવે છે: એના દાદાએ સીટલમાં વેશ્યાઘર ચલાવીને કમાણી કરી હતી. એના પિતા ફ્રેડ ટ્રમ્પનો એક ધંધાદારી દોસ્ત વિલી તોમાસેલો, ગેમ્બીનો નામની ગેંગસ્ટર ફેમિલીનો પાર્ટનર હતો. સરકારને હાલના ભાવના ૩૬ મીલિયન ડોલરમાં નવાડવાના કેસમાં ટ્રમ્પના પિતાની યુ.એસ. સેનેટે જાંચ કરી હતી. ડોનાલ્ડે આ શોમેનશીપ એના બાપા પાસેથી અને વૈભવ સંગઠિત ક્રિમિનલ્સ પાસેથી મેળવ્યો છે.”

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકના પોતાને સર્વશ્રેષ્ઠ માનતા રૂઢિચુસ્ત ગોરા લોકોમાં બહુ લોકપ્રિય છે. તેમને ઉદેશીને ડેવિડ કહે છે, “ધર્મ શ્રદ્ધાળુ અમેરિકનોએ એ પણ જાણવું જરૂરી છે કે, ડોનાલ્ડની જીવન અંગેની અંગત ફિલોસોફી વેરની વસૂલાતની છે. ઈશુની 'બીજો ગાલ ધરવા'ની શીખ આપનારને એણે મૂર્ખ કહ્યા છે. ટ્રમ્પ બાઈબલમાં જે છે તેનાથી તદન ઊલટું કહે છે. એ ક્રિશ્ચિયનોને ઉતારી પાડે છે. હું ૩૦ વર્ષથી એને ઓળખું છું. એ સહેજ પણ બદલાયો નથી. એ સાંગોપાંગ રેસીસ્ટ છે. એણે બિન-ગોરાઓને નોકરીઓમાંથી બાકાત રાખ્યા છે. ટ્રમ્પ એના દાવાથી વિપરીત, ઝનૂની રીતે ક્રિશ્ચિયન વિરોધી છે, અને એને શબ્દશઃ કોઈ બાબતની કશી જ ખબર નથી પડતી.

ટ્રમ્પની ભત્રીજી તેમને ‘દુનિયાનો સૌથી ખતરનાક માણસ’ કહે છે, એવું ઘણા માને છે. તેમના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટનના એક પુસ્તકમાં ટ્રમ્પને અવિચારી, અનિયંત્રિત, અશિષ્ટ, અણઘડ, ભ્રમિત, ભ્રષ્ટ અને અમેરિકાનું નેતૃત્વ કરવા માટે તદ્દન અક્ષમ ગણે છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલના સાઈકિયાટ્રી વિભાગના નિવૃત્ત ક્લિનિકલ પ્રોફેસર ડો. લાન્સ ડોડ્સ કહે છે કે ટ્રમ્પ માનસિક રીતે દુરસ્ત નથી અને સાર્વજનિક સંકટ છે.

એક ઇન્ટરવ્યુમાં ડો. ડોડ્સ જે કહે છે, તે ટ્રમ્પની ભત્રીજીના પુસ્તકના શીર્ષકને મળતું આવે છે, “ટ્રમ્પ પોતાને ટીકાઓથી પર ભગવાન માને છે, અને એટલે લોકતંત્રને નષ્ટ કરવાના તમામ પ્રયાસો કરે છે. ટ્રમ્પને તેની ભક્તિ થાય, તે જ વાસ્તવિકતા ગમે છે. તેને પડકારવામાં આવે, તો તેની ક્રૂરતા, પરપીડક વૃત્તિ અને હિંસા સામે આવી જાય છે. તેનામાં હમદર્દી નથી અને અપરાધ બોધની ભાવના નથી. એ હિટલર કરતાં ક્યાં જુદો છે?”

એક સહજ પ્રશ્ન એવો થાય કે તો પછી લાખો અમેરિકન મતદારો આવા ‘ખતરનાક’ નેતાને કેમ પસંદ કરે છે? એનો સાદો ઉત્તર એ જ છે, જે હિટલર માટે કહેવાતું હતું: તેણે માધ્યમવર્ગી, અર્ધ શિક્ષિત અને ગરીબ જર્મન નાગરિકોને સ્વર્ગનું સ્વપ્ન બતાવ્યું હતું (ટ્રમ્પનો નારો ‘અમેરિકાને ફરીથી મહાન’ બનાવવાનો છે) અને દેશની આર્થિક, સમાજિક અને નૈતિક બીમારી માટે એક દુશ્મન ઊભો કર્યો હતો: યહૂદીઓ. અમેરિકનો ટ્રમ્પની ત્રુટીઓને ચલાવી લે છે, કારણ કે તેમને ટ્રમ્પના સારા હોવામાં નહીં, ખુદની સલામતીમાં રસ છે.

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “સંદેશ”; 19 જુલાઈ 2020

Loading

કવિતા

વરવર રાવ, વરવર રાવ|Poetry|21 July 2020

તેલુગુ ભાષી વરિષ્ઠ કવિ વરવર રાવ

(સ્રોત : કાવ્યસંગ્રહ મુક્તકંઠમ્‌)

કવિતા સત્ય છે, ઉઘાડું
પડદાની જરૂર નથી એને
સરકારની અનિવાર્યતા પર
પ્રશ્નાર્થ મૂકતા લોકોને
કે અમૃતની લાલસા ન રાખતી
જિંદગીઓને હોય છે એમ

ખીસા ફંફોસો, ગમે તેટલા
કાગળો ને પુસ્તકો ઠાલવો ટેબલ પર
ડ્રોઅર ફેંદો, ઊંધા વાળો
કે ગલકાંનાં ફૂલમાં ઉઘડતી હૃદયની અસીમ સુરંગની કરો તપાસ:
કોઈ રહસ્યો નહિ મળે, મળશે ફક્ત કવિતા

તમને નહિ સમજાય:
મારી હસ્તીના સૌથી ખતરનાક
રહસ્યનું નામ છે
કવિતા

શું લાગે છે આ કાળોતરા આકાશના ચોકઠામાં
ચંદ્ર સપડાયેલો રહેશે શાશ્વતી સુધી
કે પછી તમે ખીસામાં ભંડારી દીધેલા હાથ
અને અપમાન કરવા નજર ઉઠાવશો ત્યાં સુધી:
જુઓ, આ કઈ ચાંદની ફેલાઈ રહી છે આકાશમાં.
આકાશના ચંદ્રને જોઈ ન શકતા
આ અદ્દભુત ચંદ્રની કથા સાંભળી
તમે ચકિત થઇ જશો

શરૂઆતમાં, પ્રતિબંધિત સામાન શોધવા
મારુ શરીર, નખશિખ, ફેંદતાં, ફંફોસતા
ત્યારે નફરત થતી ભારોભાર,
ચામડી પર જીવડાં સળવળતાં ધરાર !
હવે, આ સજીવી એકલતામાં,
ઘરડું લોહી વહાવી કવિતાનો સંચાર કરું છું
ત્યારે દયા આવે છે તારા પર
તલાશી ભલે લેતો મારી, અસલમાં
ખુદની માનવતા શોધવા મથી રહ્યો છે તું
હવે મારી હસ્તી તારે હવાલે
મારા ગળે પટ્ટો બાંધ
આ દિલ પર લેથ મશીન ચલાવ
મારાં કપડાં ઉતાર
ચામડી લોહીથી નવડાવ
અને ખુફિયા દેશોમાં, મારી પાછળ પાછળ આવ

ભારેખમ બેડીઓમાં જકડાયેલા
હાથનો અવાજ છે કવિતા
લગીરેક હલન, સ્હેજ ચલન
ને સાંકળ તોડી ઊડી જાય
આઝાદીનાં પારેવાં

સુનવણીના દિવસે
મુકદમાના ષડયંત્રનો
પર્દાફાશ થાય

જેટલો વધારે જાપ્તો એટલી જોરથી ભભૂકશે કવિતા
જેટલું વધારે શાસન એટલી જ પ્રેરણા આપશે કવિતા
મોતનો સકંજો જેટલો સખત
એટલી જ ઊંડી ઊતરશે કવિતા, તારા મનમાં

સત્તાને નાબૂદ કરતો
ખુલ્લો ભેદ છે કવિતા,
હૃદયમાં આકાર લેતી હોય
ત્યારે પણ વાચક સુધી પહોંચે તે કવિતા,
સમજી શકે એના દિલમાં બેશક
અર્થ બની જન્મે છે કવિતા
અંતરાકાશમાં ભીની સવાર પેઠે ઊગતી હોય
ત્યારે પણ વિરોધનો વંટોળ જગાવે તે કવિતા

ખરું રહસ્ય તો એ છે
કે સામાજિક અંદોલનોનું ધાવણ ધાવી
ઉછરી છે મારી કવિતા

બાંધી દીધેલા હાથમાંથી
શોક અને આક્રોશના અનંત તંતુ જેવી
દ્રષ્ટીમાંથી ઊઠતા અશ્રુઓનાં ભભૂકતા ઝરા જેવી
મારી ભાષાની લાલઘૂમ નસોમાંથી વહ્યા કરે છે કવિતા

અનુવાદ : હેમાંગ દેસાઈ (રોહિતના અંગ્રેજી અનુવાદ પરથી)

Varavara Rao's poem "Poetry" in Gujarati, based on dear friend Rohith's English translation.

Loading

...102030...2,2572,2582,2592,260...2,2702,2802,290...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved