Opinion Magazine
Number of visits: 9574631
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એકાકી રહેવું

સ્વામી સચ્ચિદાનંદજી (દંતાલીવાળા)|Opinion - Opinion|27 July 2020

પહેલાં મેં કોઈ સ્થળે જણાવ્યું છે કે જીવન ભલે વાસ્તવિકતાથી ઊંચું કે નીચું થઈ જાય; પણ સમય જતાં અંતે તો વાસ્તવિકતાને સ્વીકારી લેતું હોય છે. પ્રશ્ન માત્ર સમયનો જ હોય છે. મેં આહાર સંબંધે અનેક પ્રયોગો કરીને શરીર વધુ દુર્બળ તથા આહારની નિશ્ચિત વાનગીઓ માટે લાચાર બનાવી દીધું હતું. બહુ સમય પછી ખ્યાલ આવ્યો કે આ બરાબર નથી.

મેં પ્રયોગો છોડીને શક્ય તે જે કાંઈ પથ્થ તથા શાસ્ત્રોનુમોદિત હોય તે બધું જ ખાવા માંડ્યું. મેં જોયું કે તેથી સ્વાસ્થ્ય વધુ સારું રહે છે તથા રોગપ્રતિકારક્ષમતા પણ વધે છે. મસાલાનો પ્રયોગ પણ માપસરનો કરવા માંડ્યો. હળદર, જીરું, રાઈ, મેથી, ધાણાં, મરચાં વગેરે મસાલા, જો માપસરના હોય તો નુકસાન નહીં; પણ ફાયદો કરે છે. પશ્ચિમની નકલ કરીને આપણે મસાલાઓ હાનિકારક માનવાની ભૂલ કરીએ છીએ. પશ્ચિમમાં આ મસાલા પ્રાપ્ત જ નથી, એટલે પેઢી દર પેઢી તેઓ જે રીતનો આહાર લે છે, એમાં આ મસાલાઓ તેમને કદાચ અનુકૂળ ન આવે; પણ આપણા માટે તો ઉપયોગી છે!

આજે હું આહાર બાબતમાં તમામ શાકાહારી વસ્તુઓ ખાઉં છું. મને તેથી લાભ જ થયો છે. આહાર સંબંધી કડક અને કઠોર નિયમો પાળનારા ભાઈઓને આટલું કહેવાનું કે, પોતાના શરીરને અનુકૂળ હોય તેવી પ્રત્યેક વસ્તુને લેતા રહેવાથી સંતુલિત આહાર મળી રહે છે. એક જ પ્રકારનો આહાર લેવાથી, જોઈએ તેટલાં અને તેવાં તત્ત્વો મળતાં નથી. બીજું, આંતરડાં એવી રીતનાં ટેવાઈ જવાથી આહારમાં જરાક ફેરફાર થાય કે તરત જ શરીર બગડે છે.

મારે આશ્રમ બનાવવો ન હતો, જીવનભર વિરક્ત રહીને ગામેગામ ભ્રમણ કરીને જીવન પૂરું કરવું હતું. યાત્રામાંથી થયેલા મરડાએ અને તે પછી લોકોની પ્રતિક્રિયાએ, માથું ઢાંકવા જેટલી કુટિયા બનાવવા ઈચ્છા પ્રગટાવી. પુસ્તકોનો મોહ તેમાં ઉમેરાયો એટલે કુટિયા બનાવવાની ઈચ્છા વધી. જે સાધુઓને પોતાની કુટિયા અથવા આશ્રમ નથી હોતો, તેઓ અંતે કોઈ ને કોઈ આશ્રમમાં રહે છે. આવી રીતે બીજાના આધીન થઈને રહેવાનું, સ્વમાની સાધુઓને ગમતું નથી. વળી, આવું રહેવું જીવનભરની ખાતરી વિનાનું અનિશ્ચિત હોવાથી ચિંતા, ભય પણ રહે છે. સ્વતંત્ર વિચારકોને તો આવું પરાધીન જીવન પોષાય જ નહીં. આવી સ્થિતિમાં જીવનની વાસ્તવિકતાએ, જે મારે નહોતું કરવું, તે જ કરવા તરફ દોર્યો. મને થયું કે એકાદ નાની કુટિયા બનાવી હોય તો લોકોની લાચારી ભોગવવી ન પડે.

મારું ધ્યાન બે જગ્યાએ હતું. એક તો વૃંદાવન અને બીજું નર્મદા કિનારે. વૃંદાવનમાં શ્રીકૃષ્ણનું આકર્ષણ હતું, તો નર્મદા કિનારે નર્મદાજીનું આકર્ષણ હતું.

પ્રથમ હું વૃંદાવન ગયો. થોડા દિવસ રહ્યો તથા આશ્રમ માટે યોગ્ય સ્થળ વગેરેની તપાસ કરવા લાગ્યો. 1955માં હું આ જ વૃંદાવનમાં રહીને લઘુકૌમુદી ભણ્યો હતો. આજે તેર વર્ષ વીતી ગયાં હતાં! તેર વર્ષમાં વૃંદાવન ઘણું બદલાઈ ગયું હતું. પરમહંસ આશ્રમ પણ બદલાઈ ગયો હતો. મેં જોયું કે, પહેલાં કરતાં વૃંદાવનમાં ગુંડાગીરી વધી છે. યાત્રાળુઓ તો આવી ને જાય, એટલે તેમને વાસ્તવિકતાનો ખ્યાલ ન આવે. પણ આ તીર્થો ગુંડાગીરીથી પણ ખદબદતાં હોય છે. ઘણા મઠો તથા આશ્રમો હોવાથી સાધુઓની પારસ્પરિક ઈર્ષાવૃત્તિ પણ ખરી. થોડા જ દિવસમાં મેં નક્કી કર્યું કે અહીં આશ્રમ કરવા જેવો નથી. હું ગુજરાત પાછો ફરવાની તૈયારીમાં હતો, તેવામાં એક શૃંગારરસવાળા મહાત્મા મળી ગયા. તેઓ વૃંદાવનમાં કોઈ વક્તાને લેવા આવ્યા હતા. તે વક્તા તો મળી ન શક્યા. ફિરોજાબાદ(યુ.પી.)માં એક ભવ્ય કાર્યક્રમ ચાલતો હતો, ત્યાં પ્રવક્તાઓની જરૂર હતી. મારે અને તેમને પરિચય ન હોવા છતાં; ‘ખાલી જવું, તેના કરતાં ચાલોને, આ સાધુને જ લઈ જાઉં. કીર્તનબીર્તન તો કરશે!’ તેમ સમજીને મને ફિરોજાબાદ આવવા તેમણે આમંત્રણ આપ્યું. વૃંદાવન સંબંધી કાર્ય પતી જવાથી હું નવરો જ હતો. મેં ફિરોજાબાદ જવાની હા પાડી. અમે સાથે જ કારમાં રવાના થયા. ફિરોજાબાદ કાચની બંગડીઓની ફેક્ટરીઓનું ઔદ્યોગિક નગર છે. અહીંનો – ખાસ કરીને વૈશ્ય સમાજ – સપ્તાહો વગેરેમાં સારો રસ લઈને પ્રવચનો ગોઠવતો રહ્યો છે. પેલા સંત એક-બે મહિનાથી કથા કરતા હતા, તેમનો પ્રભાવ પણ સારો હતો. માત્ર તેમની શૃંગારવૃત્તિથી કેટલાક વૃદ્ધોને અણગમો હતો.

અમે ફિરોજાબાદ પહોંચ્યા. બીજા જ દિવસથી સવારના સમયે પ્રાર્થના પછી, મારું પ્રવચન શરૂ થયું. એક બીજા મહાત્મા પણ હતા. જેમને ‘મહંતજી’ કહીને લોકો બોલાવતા. મારો પરિચય ન હોવાથી મારી સાથે બન્ને મહાત્મા જુનિયર જેવો વ્યવહાર કરે તે સ્વાભાવિક હતું. પ્રવચનોની પરિપાટી એવી હોય છે કે જુનિયરોનાં પ્રવચનો પ્રથમ થાય, સીનિયરોનાં પાછળ થાય. સર્વપ્રથમ મારું પ્રવચન થયું. થોડો જ સમય આપ્યો હોવા છતાં; લોકો પર સારી અસર પડી. પેલા મારી પાછળ બોલનારા મહંતજીએ તેની નોંધ લીધી. બીજા અને ત્રીજા દિવસે પ્રજા મારા તરફ આકર્ષાવા લાગી. મહંતજી ઉપર દબાણ કરીને મારો સમય વધારાવ્યો. પ્રજાનું પરિવર્તન મહંતજીને ન ગમ્યું. તેઓ નિયમિત રીતે મારું ખંડન કરવા લાગ્યા. એક જ મંચ ઉપરથી, પ્રથમ વક્તાનું, પાછળના વક્તા ખંડન કરે, તે ઉત્તમ લક્ષણ તો ન જ કહેવાય. તેમની ખંડનવૃત્તિથી તેઓ લોકોમાં વધુ અળખામણા થવા લાગ્યા. દસ-બાર દિવસ થયા હશે, લોકો મહંતજી તરફથી મોંઢું ફેરવી ચૂક્યા હતા. મને આ ગમતું નહી. પણ મહંતજી પોતે જ સદ્ભાવની જગ્યાએ કુભાવ પ્રસરાવી રહ્યા હતા. જો કે આટલા દિવસમાં તેમને ખ્યાલ આવી ગયો હતો કે, આ નવા સાધુ તરફ લોકો આકર્ષાયા છે તે સકારણ છે, નિષ્કારણ નથી.

– હવે એવું થયું કે લોકોએ મહંતજીનું પ્રવચન પહેલાં અને મારું પ્રવચન પાછળ ગોઠવ્યું, જેથી હું પૂરતો સમય લઈ શકું. અંતે મહંતજીએ બોલવાનું જ બંધ કરી દીધું. લોકો પણ એવું જ ચાહતા હતા. સાધુ વક્તાઓમાં પણ સ્પર્ધા તથા રાગદ્વેષ ઓછાં નથી હોતાં! મારી મુશ્કેલી બીજી પણ હતી. મારો આહાર તદ્દન સાદો (મગની દાળ અને રોટલી) અને દક્ષિણાનું નામ નહીં. લોકો મારા આ આચારથી પણ પ્રભાવિત થતા. મહંતજી તથા બીજા મહાત્માઓને નવાં નવાં મિષ્ટાન્ન વગેરે ભાવે. જમાડનારને સ્વયં કહે કે, આ વસ્તુ બનાવજો. મારા આહારે લોકોને તુલના કરતા કરી દીધા. આ કારણે પણ લોકો મારા તરફ વળવા લાગ્યા. હું જાણતો હતો કે મારા આવવાથી પ્રથમના સાધુઓમાં ઓટ આવી રહી છે, પણ તેમાં હું શું કરું? તેમના જેવો હું થઈ શકું તેમ ન હતો. મારા પૂજ્ય ગુરુદેવે મને કહેલું કે, ‘એકલો રહેજે, ને ટોળામાં રહીશ તો અશાન્તિ થશે, ખટપટો થશે.’ અહીં મને તેનો અનુભવ થવા લાગ્યો.

ધીરે ધીરે સાધુઓ વધવા લાગ્યા. હૃષીકેશ-હરદ્વારથી મોટા મોટા સંતો પધાર્યા. ખૂબ ધામધૂમથી કાર્યક્રમ ચાલવા લાગ્યો. રાત્રે પણ પ્રવચનો થાય. હિન્દીમાં બોલવાનો મને અભ્યાસ હતો, એટલે કામ ચાલતું. હજારો માણસોની સભા ભરાયેલી હોય. લોકોની ચિઠ્ઠીઓ ઉપર ચિઠ્ઠીઓ આવે : ‘સ્વામી સચ્ચિદાનંદકો સમય દેં, હમ ઉનકો સૂનને આયેં હૈં.’ આયોજક ગભરાય, મને પણ ચિંતા થાય. આ બીજા મહાત્માઓને કેવું લાગતું હશે? સવારે તો એક હું અને એક હૃષીકેશના વૃદ્ધ જ્ઞાની મહાત્મા, બે જ પ્રવચન કરીએ. રાત્રે બીજા વારાફરતી એક-બે જણા બોલે; પણ સૌથી છેલ્લે મારું પ્રવચન હોય. મારું નામ બોલાતાં લોકો તાળીઓ વગાડે. પેલા મોટા મહાત્મા બહુ જ ભલા હતા. તે પોતે જ જાણી કરીને, પોતાનાં પ્રવચન ટુંકાવી દે અને મારી પાસે માઈક ગોઠવી દે. તેમની મારા ઉપર મીઠી દૃષ્ટિ રહે, પણ મહંતજી તથા બીજા કેટલાકને મારા પ્રત્યે અણગમો રહે. લગભગ એક મહિના સુધી આ કાર્યક્રમ ખૂબ જાહોજલાલીથી ચાલ્યો.

છેવટમાં મહંતજીના ભાવ બદલાયા. એક વાર અમે જમવા બેઠેલા. તેઓ મારી પાસે આવ્યા અને કહે કે, ‘તમારો એંઠવાડ મને પ્રસાદમાં આપો. સૌનાં દેખતાં મારે ખાવો છે. મેં તમારા પ્રત્યે બહુ ઈર્ષા-દ્વેષ કર્યા છે. મને ક્ષમા કરજો. મને ક્ષમા કરજો.’ તેમના આવા વલણથી હું ગદ્ગદિત થઈ ગયો. મેં કહ્યું કે, ‘તમે મોટા ભાઈ છો, હું તો તમારો નાનો ભાઈ છું. બસ આપની તો અમીદૃષ્ટિ જ જોઈએ.’ પણ તે માન્યા નહીં. તે તો મારો એંઠવાડ લેવા તત્પર હતા. હું આપવા તૈયાર ન હતો. એવામાં મારા કોળિયામાંથી બટાકાનું એક પતીકું છટક્યું અને દૂર જઈ પડ્યું. મહંતજીએ ઝટ દઈને ઝપાટો લગાવ્યો અને તેને પોતાના મોઢામાં મૂકી દીધું. મને ગ્લાનિ થઈ, પણ મહંતજી બદલાઈ ગયા હતા.

ત્યારે સસ્તાનો જમાનો હતો. સૌની વિદાય થઈ. શેઠિયાઓ સૌ પ્રથમ સૌથી મોટી રકમ લઈને મારી પાસે વિદાય ભેટ આપવા આવ્યા. મેં તેમને સમજાવીને સૌ સાધુ-સંતોને પ્રથમ આપવા સમજાવ્યા. હું સૌની પાછળ વધશે તો લઈશ; નહીં તો ચાલશે. સાધુઓને યથાયોગ્ય વિદાય અપાઈ; પણ ઘણાનો કચવાટ તેમના ચહેરા પર જોઈ શકાતો હતો. કેટલાક કાંઈક પરસ્પરમાં બડબડ કરતા હતા. છેલ્લે મારી પાસે સૌથી મોટી રકમ લઈને આવ્યા. મેં કહ્યું કે, ‘મારી રકમ આ સાધુ-સંતોમાં વહેંચી દો. હું તો મારા જ કામે વૃંદાવન આવ્યો હતો.’ શેઠિયાઓની ના–ના હોવા છતાં; મેં મારી ભેટ વહેંચી દીધી. આ બધાનું પરિણામ એ આવ્યું કે સૌ મારા પ્રત્યે અત્યંત આકર્ષીત થઈ ગયા. મેં કાંઈ જ લીધું નથી, તેવું જાણતાં જ લોકોનો ધસારો વધ્યો. સૌ પોતપોતાની શક્તિ પ્રમાણે આગ્રહ કરી કરીને મારી આગળ પૈસા મુકવા લાગ્યા. મારા આશ્ચર્ય વચ્ચે મારી વિદાય ભેટ-કરતાં ત્રણ ગણી રકમ મારી પાસે આવી ગઈ.

કોઈએ ઠીક જ કહ્યું છે કે : ‘માગે સો ભાગે, ત્યાગે સો આગે.’ સૌ વિખરાયા. હું પણ વિદાય થયો; પણ ત્યારથી મેં નક્કી કર્યું કે જ્યાં ઘણા વક્તાઓ તથા સાધુ-સંતો ભેગા થતા હોય, ત્યાં જવું નહીં. પરસ્પરની ઈર્ષ્યા અને દ્વેષબુદ્ધિથી દૂર રહેવા ‘એકાકી રહેવું જરૂરી’ લાગે છે. આ નિયમથી મને ઘણો લાભ થયો.

(‘મારા અનુભવો’માંથી સાભાર; પ્રાપ્તિસ્થાન : ‘ગુર્જર સાહિત્ય ભવન’, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-300 001)

આ લેખ ભાઈ જિજ્ઞેશ અધ્યારુના પ્રસિદ્ધ બ્લૉગ ‘અક્ષરનાદ’ http://www.aksharnaad.com/ માં પ્રકાશિત થયો છે. તેમણે મને તે લેખ મોકલ્યો તે બદલ ભાઈ જિજ્ઞેશનો ખૂબ ખૂબ આભાર. . .. ઉ. મ.

@@@@@

સૌજન્ય : “સન્ડે ઈ.મહેફીલ” – વર્ષ : સોળમું – અંક : 458 – August 02, 2020

Loading

જો ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ તરીકે નહીં ચૂંટાય તો શું બદલાઇ શકે છે?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|26 July 2020

નવા આવનારા પ્રમુખ સામે નવું કરવાનાં ઉત્સાહ કરતાં જૂનું સાફ કરવાની ધીરજ અને સમજ બન્ને હોય તે વધારે જરૂરી થઇ પડશે

એક તરફ વાઇરસ પોતાનું કામ કર્યે રાખે છે, અને કાળમુખો થઇને જિંદગીના કોળિયા ભરતો જાય છે અને બીજી તરફ વિશ્વની મહાસત્તા એવા અમેરિકામાં ચૂંટણીનો માહોલ પકડ જમાવી રહ્યો છે. થોડા સમય પહેલાં અમેરિકાની ક્વિન્યોક યુનિવર્સિટીએ કરેલા રાષ્ટ્રીય સર્વેમાં ટ્રમ્પ તેના નિકટના પ્રતિસ્પર્ધી ડેમોક્રેટિક પાર્ટીનાં જો બાઇડેન કરતાં પાછળ હોવાનું તારણ બહાર આવ્યું.

અમેરિકામાં જે પણ પ્રમુખ તરીકે જીતશે તેને પગલે વૈશ્વિક રાજકારણ પર બહુ મોટો પ્રભાવ પડતો હોય છે. કોરોનાકાળમાં પણ જેને સૌથી વધારે ફટકો પડ્યો છે તેવા અમેરિકાના અર્થતંત્રને પાટે લાવવાની જો બાઇડનની યોજના તેની તરફેણમાં છે. ડોનાલ્ડ ટ્રમ્પ એક બેફામ પ્રમુખ છે એમ કહેવામાં જરા ય અતિશયોક્તિ નથી. ટ્રમ્પની નીતિઓ ધનવાનોને ધ્યાનમાં રાખીને ઘડાઇ હોય તેવી છે, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ટ્રમ્પને કારણે ચીન સાથે સંબંધો ખૂબ વણસ્યા છે, તેમાં ય ખાસ કરીને વ્યાપારી સંબંધો તો વ્યાપારી યુદ્ધ બની ગયા છે. ચીનનો હ્યુસ્ટનમાં આવેલો દૂતાવાસ બંધ કરવાનો આદેશે, ટિકટૉક બંધ કરવાની વિચારણા એમાં ચીનના દૂતાવાસની અંદર દસ્તાવેજો સળગાવવા જેવું જાતભાતનું ઘણું ય યુ.એસ.એ.માં થઇ રહ્યું છે. બીજા વિશ્વયુદ્ધ પહેલાં આ રીતે સરકારી દસ્તાવેજો સળગાવવામાં આવ્યા હતા જે ખરેખર તો એક રીતે યુદ્ધનું આડકતરું આહ્વાન ગણાય છે.

નવેમ્બરની ત્રીજી તારીખે યુ.એસ.એ.માં ચૂંટણી થશે અને જો ટ્રમ્પ ચૂંટણી હારશે તો સ્વાભાવિક છે કે એ બરાબર ફુંગરાશે. યુ.એસ.એ.માં રાજકીય એક્સપર્ટ્સની ચર્ચાનો મુદ્દો એ પણ છે કે જો ટ્રમ્પ હારી જશે તો એ પોતાની હાર સ્વીકારશે ખરા? કે પછી કંઇ ખેલ કરીને ‘બાજી ફિટ્ટુસ’-વાળું પત્તુ નાખીને આખેઆખી ચૂંટણીનો છેદ ઉડાડી દેશે? ટ્રમ્પને આમે ય હાર સ્વીકારવાની જરા ય આદ્દત નથી જે ભૂતકાળમાં તેના વહેવારથી અનેકવાર સાબિત થયું છે. ટ્રમ્પની પ્રમુખ તરીકેની કામગીરી અનેકવાર વખોડાઇ છે અને ખાસ કરીને ચીન સાથેનો સંઘર્ષ ટ્રમ્પ વહીવટી તંત્રમાં જાણે કેન્દ્ર સ્થાને રહ્યો છે. વળી WHO સાથેની ટ્રમ્પની હુંસાતુંસી ય આખા વિશ્વએ જોઇ છે.

જો ટ્રમ્પ ફરી અમેરિકન પ્રમુખ તરીકે નહીં ચૂંટાય તો? આ એક તોંતેર મણનો ‘તો’ આ સવાલમાં છે ખરો પણ ટ્રમ્પ હોય કે ન હોય જે પણ યુ.એસ.એ.ના વડાની ખુરશી પર બેસશે તેણે સૌથી પહેલાં તો વિદેશ નીતિ પર જ કામ કરવું પડશે. મહાસત્તા હોવાને નાતે વૈશ્વિક રાજકારણ પર અમેરિકન પ્રમુખની ખુરશીનો મોટો પ્રભાવ હોય છે. ઓવલ ઑફિસ ધારણ કરનાર માટે એ આવશ્યક હશે કે પેન્ટાગોનના બજેટને બદલે રોગચાળો, અર્થતંત્ર, ક્લાઇમેટ ચેન્જ જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને વહીવટી ફેરબદલ કરે. બાવડાં ફુલાવવાથી કે સૈન્યની શક્તિનાં પ્રદર્શનોથી આખરે તો પાડોશી દેશોને પણ શૂરાતન ચડશે અને પછી આંતરરાષ્ટ્રીય સંબંધોની આંટીઘૂંટીમાં અર્થતંત્ર, માનવ અધિકાર, રોજગારી જેવા પ્રશ્નોનું બાષ્પીભવન થઇ જશે. એમ ધારીએ કે ટ્રમ્પને બદલે જો બાઇડન પ્રમુખની ખુરશી પર બેસે તો તે ઇરાન સાથે ન્યુક્લિયર ડિલ પર ફરી વાટાઘાટો કરવાની પહેલ કરશે અને જો એમ થાય તો તેહરાનની તેલની નિકાસ પરનાં સેન્કશન્સ હળવા થઇ શકે છે, ઇરાની બેરલ્સ માર્કેટમાં ફરી દેખાવા માંડે તેમ બને, જો કે એ કંઇ રાતોરાત નથી થવાનું પણ ન્યુક્લિયર ડિલ અંગેના વાટાઘાટોમાં હિલચાલ ચોક્સ થશે જેને કારણે તેલની કિંમતોનું ડિપ્રેશન યથાવત રહેશે. ટ્રમ્પના રાજમાં તેલની કિંમતોને મામલે ઇરાન એક બુલિશ ફેક્ટર રહ્યું છે. આ તરફ ઑસ્ટ્રેલિયા ચીન પર આર્થિક રીતે ઘણો આધાર રાખે છે અને અમેરિકા-ચીનની ખેંચતાણમાં ઑસ્ટ્રેલિયાને ય ‘સૂકા ભેગું લીલું બળે’ની સ્થિતનો ભોગ બનવો પડે એવી સ્થિતિ હાલમાં છે, પણ યુ.એસ.એ.નું સુકાન કોઇ બીજાના હાથમાં સોંપાય તો સંજોગો જુદાં હશે.

ભારતની વાત કરીએ તો ટ્રમ્પને બદલે બાઇડન પ્રમુખ હશે તો તે યુનાઇટેડ નેશન્સમાં ભારતનું સ્થાન બહેતર કરી શકશે અને બની શકે કે સિક્યોરિટી કાઉન્સિલમાં ભારતને કાયમી બનાવે. જો આપણા વડાપ્રધાને કાશ્મીર અને CAAને લઇને જે પગલાં લીધા છે તેની સામે બાઇડનને વાંધો છે અને તેમણે આની ટીકા પણ કરી છે. બાઇડન ભારત સાથે મળીને સીમા પાર થતા આતંકવાદ સામે ય ખડા થાય અને જ્યારે આપણા પાડોશી દેશ સ્ટેટસ ક્વો બદલી નાખે ત્યારે યુ.એસ.એ. ભારતની પડખે ઊભા રહેવા તૈયાર થઇ જ શકે છે.

યુ.એસ.એ.માં ટ્રમ્પને બદલે કોઇ બીજું પ્રમુખ બનીને આવશે તો? એવા સવાલનો જવાબ ઘણો જ લાંબો હોય તે સ્વાભાવિક છે અને તે એક જ વારમાં આપવો શક્ય ન બને. આ જવાબમાં માત્ર ચીન સાથેનાં સંબંધો, ઓઇલના વ્યાપાર, પાકિસ્તાન અને ભારત સાથેનું વલણ બધાં પર અલગ લેખ લખવા પડે એમ છે. છતાં ય એટલું છે કે યુ.એસ.એ.માં સત્તા બદલાશે તો યુ.એસ.એ.ના આંતરિક વહીવટમાં પણ ધરમૂળથી ફેરફાર આવે અને વિદેશ નીતિ સહિત ઘણું બધું બદલાઇ જશે. મુદ્દો એ છે કે સ્વભાવગત રીતે યુ.એસ.એ.ના પ્રમુખ સિક્યુરિટીમાં એટલે કે પેન્ટાગોનમાં તો આર્થિક ઇંધણ પૂરશે જ પણ આવનારા પ્રમુખે રાષ્ટ્રીય શક્તિનાં બીજા પાસા પર પણ એટલું જ ધ્યાન આપવું પડશે જેમાં ડિપ્લોમસી અને ટ્રેડ સૌથી અગત્યનાં છે.

બાય ધી વેઃ 

જ્યોર્જ ફ્લોય્ડ, વાઇરસ, ચીન, અર્થતંત્ર આ ત્રણ મુદ્દા ટ્રમ્પના પગ નીચેની જમીન પોચી પાડી તેને ગબડાવી દેવા માટે પૂરતાં છે. ટ્રમ્પની આડોડાઇ બધા જાણે છે અને એવું ય કહેનારા છે કે જો પોતે હારશે તો ટ્રમ્પ ‘છેતરપીંડી’ થઇ છે અને ‘વોટર્સ ફ્રોડ’ થયું છે એમ કહી ચૂંટણીના પરિણામને જ પડકારે એવું બની જ શકે છે. અંતિમવાદી જમણેરી વિચારધારા ધરાવતા ટ્રમ્પ જેમના સામાજિક સુધારાઓ કરતાં ધનિકોને કરવેરા મુક્ત રાખવામાં વધારે રસ છે તે ફેંકાઇ જાય એમાં કોઇ નવાઇ નથી પણ નવા આવનારા પ્રમુખ સામે નવું કરવાનાં ઉત્સાહ કરતાં જૂનું સાફ કરવાની ધીરજ અને સમજ બન્ને હોય તે વધારે જરૂરી થઇ પડશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 જુલાઈ 2020

Loading

આઝાદી સમયે બ્રિટિશ અને રિયાસતી એમ બે ભારત હતાં

રમેશ ઓઝા|Opinion - Opinion|26 July 2020

મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ બીજી ઓક્ટોબર ૧૮૬૯ના રોજ કાઠિયાવાડમાં પોરબંદરમાં થયો હતો. આ વાક્ય વાંચીને પ્રશ્ન થશે કે આમાં નવું શું કહ્યું? આ તો નાનું છોકરું પણ જાણે છે. પણ આના અનેક સૂચિતાર્થો છે. ૧૮૬૯ એટલે ૧૮૫૭ના વિદ્રોહ પછીનાં બાર વર્ષ. ભારતની પ્રજાએ તો નહીં, પણ સૈનિકોએ વિદ્રોહ કર્યો હતો જેને કેટલીક રિયાસતોએ મદદ કરી હતી. એ ઘટના પછી અંગ્રેજોએ ભારતીય રિયાસતોને જે તે બહાને જીતી લઈને કે ખાલસા કરીને તેને બ્રિટિશ ભારતમાં ભેળવી દેવાનું બંધ કર્યું હતું. આનું પરિણામ એ આવ્યું કે ભારતમાં લગભગ સાડા પાંચસો રિયાસતો કાયમ માટે પાછળ રહી ગઈ હતી. આનો અર્થ એ થયો કે ભારતને આઝાદી મળી ત્યારે ભારતમાં રાજકીય રીતે બે ભારત હતાં. રિયાસતી ભારત અને બ્રિટિશ ભારત.

પાછળ બચી ગયેલી રિયાસતો શરીરરૂપી ભારતમાં કોઢના ડાઘની જેમ ફેલાયેલી હતી, જેમાં સૌથી વધુ અસરગ્રસ્ત પ્રદેશ કાઠિયાવાડ હતો. કુલ મળીને ૨૨૨ રિયાસતો હતી, જેમાં સૌથી નાની રિયાસત વેજાનો નેસ હતી જેનું ક્ષેત્રફળ માત્ર અગિયાર ચોરસ માઈલ હતું. કાઠિયાવાડનો રાજકીય નકશો એવો હતો કે જાણે મોઢા ઉપર ઘાટા શીતળાના ડાઘ હોય. કવિ નાનાલાલે ‘કવિશ્વર દલપતરામ’ નામના ગ્રંથમાં આઝાદી પહેલાંના કાઠિયાવાડને દરિયામાં ઓટ હોય અને જે રીતે દરિયાકાંઠે ખાબોચિયાં રચાય એવાં ખાબોચિયાં સાથે સરખાવ્યું હતું. આ તો રિયાસતોની વાત થઈ. આ સિવાય જમીનદારો અને જાગીરદારો (કાઠિયાવાડની ભાષામાં ભાયાતો) જુદા.

અંગ્રેજો બહુ ચાલાક પ્રજા હતી. તેમણે બચી ગયેલ રિયાસતી ભારતનો લાભ લેવાનું શરૂ કર્યું હતું. આખરે ભારતનો ૪૦ ટકા પ્રદેશ અને ૨૩ ટકા પ્રજા રિયાસતી ભારતનો હિસ્સો હતી. જે અંગ્રેજો પોતાને જગતની શ્રેષ્ઠ અને સભ્ય પ્રજા સમજતા હતા એ અંગ્રેજોને ભારતના ૪૦ ટકા પ્રદેશની ૨૩ ટકા પ્રજાને કાયદાનું રાજ અને આધુનિક શિક્ષણથી વંચિત રાખવાનો કે પછી એ બન્ને મળે કે ન મળે એના તરફ ઉદાસીન રહેવાનો મોકો મળ્યો હતો. હવે તેમનો અંતરાત્મા ડંખવાનો નહોતો. અમે શું કરીએ? અમારું ક્યાં ત્યાં રાજ છે! તેઓ રિયાસતોનો ઉપયોગ બ્રિટિશ ભારતમાં શરૂ થયેલી નવજાગૃતિનો છેદ ઉડાડવા માટે કરતા હતા. તેમને ખાતરી હતી કે રિયાસતી ભારતમાં બહુ ઓછા પ્રમાણમાં નવજાગરણ થવાનું છે અને ઊલટું બ્રિટિશ ભારતમાં જે જાગૃતિ આવશે તેનો જૂનવાણી માનસ ધરાવનારા લોકો વિરોધ કરશે.

આનો અર્થ એ નથી કે રિયાસતો સંપૂર્ણ સ્વતંત્ર હતી. અંગ્રેજોએ રિયાસતો સાથે આંગળિયાતની સંધી કરી હતી. બધી જ રિયાસતો અંગ્રેજોની આંગળિયાત હતી જેને અંગ્રેજીમાં વેસ્સેલ સ્ટેટ અથવા સબસીડિયરી સ્ટેટ કહેવામાં આવે છે. રિયાસતો પણ અંગ્રેજોની ગુલામ હતી એટલે રિયાસતી ભારતનું શોષણ કરવાની અને ત્યાંનાં સંસાધનો તેમ જ બજારનો લાભ લેવાની તેમણે પાકી તજવીજ કરી હતી. રિયાસતી ભારત તેના દરેક વ્યવહારિક અર્થમાં ગુલામ હતું, માત્ર કહેવા પૂરતું સ્વતંત્ર હતું. અંગ્રેજોએ રાજવીઓના દાંત ખેંચી કાઢ્યા હતા અને નખ કાપી નાખ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી રાજવીઓની અને રિયાસતના રક્ષણની જવાબદારી અંગ્રેજોની. રિયાસતને રક્ષણ આપવા માટે અંગ્રેજો રાજવીઓ પાસેથી પૈસા લેતા હતા. ભારતમાં કોઈ રિયાસત બીજી રિયાસત ઉપર આક્રમણ કરી શકે એમ નહોતી, કારણ કે તેની પાસેથી શસ્ત્રો આંચકી લેવામાં આવ્યાં હતાં. આમ અંગ્રેજો કોઈ મદદ કર્યા વિના રક્ષણના નામે પૈસા લેતા હતા. બીજી બાજુ રિયાસતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી રાજવીની એટલે એ બિચારો કાયમ માટે આરોપીનાં પિંજરમાંમાં ઊભો રહેતો હતો.

દેખીતી રીતે રિયાસતો સાથે અંગ્રેજોએ જે ગોઠવણ કરી હતી તેનાં સામાજિક-રાજકીય-આર્થિક અને સાંકૃતિક પરિણામો અનિવાર્યપણે આવે એમ હતાં. એમાં પાછા એકલા કાઠિયાવાડમાં (અવિભાજિત ભારતના નકશા પર નજર કરશો તો ખોબા જેવડા) ૨૨૨ રિયાસતો એટલે ત્યાં આનાં સૌથી વધુ પરિણામ જોવાં મળ્યાં હતા. મોટા ભાગનાં રજવાડાંમાં દરબાર ગઢના ખર્ચા નહોતા નીકળતા. આને કારણે ભાયાતોનો રંજાડ હતો અને કેટલીક રિયાસતોમાં રાજવીઓ પણ રંજાડતા હતા. આર્થિક વિકાસ શૂન્યવત્ હતો. તાર-ટપાલ, રસ્તા-રેલવે જેવો ભૌતિક વિકાસ બહુ ઓછો થયો હતો. નાની નાની રિયાસતોમાં તો જરા ય નહીં. પ્રજાનો અંગત તેમ જ સામાજિક વિકાસ તો કોઈ પ્રાથમિકતા જ નહોતો ધરાવતો. શાળા, દવાખાનાં, અખબારો, સામયિકો, પુસ્તકો, પ્રકાશનો, ગ્રન્થાલયો, જાહેર પ્રબોધનો, સભાઓ, મંડળીઓ, ચર્ચાઓ શું કહેવાય એની કાઠિયાવાડની બહુ ઓછી પ્રજાને જાણ હતી.

ટૂંકમાં કાઠિયાવાડમાં મધ્યકાલીન જીવનમૂલ્યો અને અંગ્રેજ પૂર્વેની સામંતશાહી તેની સોળે કળાએ કાયમ હતાં. આધુનિકતાની દિશાની યાત્રામાં કાઠિયાવાડ એક પાછળ રહી ગયેલો, બાજુએ હડસાઈ ગયેલો, લગભગ ભૂલાઈ ગયેલો ઉપેક્ષિત પ્રદેશ હતો. કાઠિયાવાડમાં જાણે કે સમય થીજી ગયો હતો. પણ અંગ્રેજો કાઠિયાવાડને ભૂલ્યા નહોતા. તેનો તેમને ખપ હતો. બ્રિટિશ ભારતમાંના ઉપદ્રવીઓ માટે કાઠિયાવાડ આશ્રયસ્થાન હતું. દયાનંદ સરસ્વતીએ તો આધુનિક યુગના એક પ્રસિદ્ધ સંતને ઉત્તર ભારતમાંથી ભાગીને આવેલા અને કાઠિયાવાડમાં છૂપાયેલા ગુનેગાર તરીકે ઓળખાવ્યા હતા. ભારતમાં જેટલા સાધુઓ છે એમાંથી લગભગ ૭૦ ટકા સાધુઓ આજે પણ કાઠિયાવાડમાં જોવા મળશે. આજના દિવસે ભારતમાં જેટલા પરમ પૂજ્યો છે તેમના અનુયાયીઓ મોટા ભાગના ગુજરાતીઓ અને તેમાં પણ કાઠિયાવાડીઓ છે, પછી ભલે તે બિન ગુજરાતી હોય. અહીં કોઈનો વાળ પણ વાંકો ન થાય અને ઉપરથી પૂજાય. અંગ્રેજો કાઠિયાવાડનો ઉપયોગ રાજકીય ઉપદ્રવીઓને તગેડવા માટે પણ કરતા હતા કે જેથી ફરી વાર ૧૮૫૭ જેવી ઘટના ન બને.

ટૂંકમાં અંગ્રેજો રિયાસતોનો ઉપયોગ નવજાગરણને અને આધુનિકતાને નકારવા માટે કરતા હતા અને કાઠિયાવાડનો એક વિશેષ ઉપયોગ ઉપદ્રવીઓને ધકેલવા માટે ઓપન જેલ તરીકે કરતા હતા. કાઠિયાવાડની અરાજકતા બાકીના ભારતમાં ન પ્રવેશે એ સારુ વિરમગામ રેલવે સ્ટેશને દોરડાં બાંધીને ઝડતી લેવામાં આવતી હતી જે આજે પણ વિરમગામ લાઈનદોરી તરીકે ઓળખાય છે.

બીજું રિયાસતોમાં રાજપરિવારોમાં અને ભાયાતોમાં એટલી ખટપટ રહેતી કાઠિયાવાડી ખટપટ આઝાદી પહેલાનાં કાઠિયાવાડની ઓળખનો અનિવાર્ય હિસ્સો હતી. લાઠીના રાજવી કવિ કલાપીએ આ ખટપટથી કંટાળીને આત્મહત્યા કરી હતી. આ કાઠિયાવાડી ખટપટ સમાજશાસ્ત્રીઓ માટે અધ્યયનનો વિષય બની શકે એમ છે. અને કાઠિયાવાડની ત્રીજી ઓળખ એટલે અતિશયોક્તિ. રાજવીઓને અંગ્રેજો અપમાનિત કરતા હતા. તેઓ ખટપટરત અને ખટપટગ્રસ્ત અસલામત રહેતા હતા. ભાયાતો અંકુશમાં રહેતા નહોતા અને કાયદો હાથમાં લેતા હતા. દરબારગઢના ખર્ચા પણ નીકળતા નહોતા એટલે સુચારુ શાસન કરી શકતા નહોતા. આમ છતાં અંગ્રેજો તેમને ‘હીઝ હાઈનેસ’ તરીકે ઓળખાવીને અને દરેક રાજવીને તેના રજવાડાના કદ મુજબ તોપની સલામી આપીને તેમના મિથ્યાભિમાનને પોષતા હતા. 

જેમની પાસે હકથી ગર્વ કરવા જેવું કાંઈ જ નહોતું તેઓ બારોટો પાસે પ્રશસ્તિ કરાવતા હતા એટલે દેખીતી રીતે એમાં અતિશયોક્તિ અને કેટલીકવાર તો સાવ અસત્યનો આશરો લેવામાં આવતો હતો. આને કારણે અતિશયતા અને અતિશયોક્તિ કાઠિયાવાડનો સ્થાયીભાવ બની ગયો છે. બીજાની ક્યાં વાત કરીએ, શુદ્ધ ગાંધીવાદી ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રના બહારવટિયાઓની પ્રશસ્તિ કરવામાં અતિશયોક્તિ કરી છે.

ટૂંકમાં કહીએ તો અંગ્રેજો કાઠિયાવાડી અરાજકતાનો ઉપયોગ બ્રિટિશ ભારતના અરાજક તત્ત્વોની નિકાસ કરવા માટે કરતા હતા. કાઠિયાવાડી ખટપટ રાજવીઓના અસ્તિત્વના સંઘર્ષનું પરિણામ હતું અને કાઠિયાવાડી અતિશયોક્તિ રાજવીઓની નિર્બળતાને છૂપાવવાની ચેષ્ટાનું પરિણામ હતું.

તો આવું કાઠિયાવાડ જ્યારે તેની સોળે કળાએ અસ્તિત્વમાં હતું ત્યારે ગાંધીજીનો કાઠિયાવાડમાં જન્મ થયો હતો અને મોહનને મહાત્મા બનાવવામાં તેનો એક ફાળો છે. 

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 26 જુલાઈ 2020

Loading

...102030...2,2502,2512,2522,253...2,2602,2702,280...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved