લોકતાંત્રિક ભારત દેશની સર્વોચ્ચ અદાલત આજે પોતે પોતાના વિષે ચુકાદો આપશે. સર્વોચ્ચ અદાલતમાં અત્યારે જે જજો બેઠા છે તેઓ આજે તેમના પોતાના વિષે ચુકાદો આપશે. ચુકાદાને વધાવનારાઓ કે તેની નિંદા કરનારાઓ ભારતના ભવિષ્ય વિષે ચુકાદો આપશે. આમ તો સર્વોચ્ચ અદાલતના સીનિયર વકીલ પ્રશાંત ભૂષણ સામેના અદાલતનો તિરસ્કાર કરવાના કેસમાં આ બધાએ ચુકાદો આપી જ દીધો છે હવે માત્ર ‘સજા’ની ઔપચારિકતા બાકી છે. ભારતના મુક્ત અવાજને, ભારતના ખુલ્લા સમાજને અને ભારતના લોકતંત્રને દંડવાં કે જવા દેવાં એ નક્કી કરવાનું છે.
કોઈ પણ દેશના લોકતાંત્રિક ઇતિહાસમાં આવી ક્ષણો આવતી હોય છે. ૧૯૭૦ના દાયકામાં સર્વોચ્ચ અદાલત અને તેના એ સમયના જજો ભીંસમાં આવ્યા હતા. ઇન્દિરા ગાંધીની આપખુદશાહી હતી અને કોઈ પણ આપખુદ શાસકને અદાલતોની સ્વતંત્રતા આંખના કણાની માફક ખૂંચતી હોય છે. માત્ર અદાલત જ નહીં, ચૂંટણીપંચ સહિતની તમામ લોકશાહી સંસ્થાઓ તેમના માર્ગમાં અવરોધ પેદા કરતી હોય છે. એમાં અત્યારના શાસકો માત્ર આપખુદ નથી, તેમની તો હિંદુ રાષ્ટ્ર વિશેની એક કલ્પના પણ છે જે તેઓ લાગુ કરવા માગે છે. હિંદુ રાષ્ટ્ર અને સેક્યુલર રાષ્ટ્ર પરસ્પર વિરોધી છે. તેનું સહઅસ્તિત્વ શક્ય નથી.
જો હિંદુ રાષ્ટ્ર સાકાર કરવું હોય તો બે વિકલ્પ છે; એક છે ભારતના બંધારણમાં પરિવર્તન. હવે બંધારણનો ઢાંચો આમૂલાગ્ર બદલવો અઘરો છે અને જગત પાછું ટીકા કરે. તો એના વિકલ્પે બીજો માર્ગ છે બંધારણની એટલે બંધારણપુરસ્કૃત લોકતંત્રની અને લોકતાંત્રિક મૂલ્યોની રખેવાળી કરનારી અદાલતની કમર તોડી નાખવાની. ન્યાયતંત્ર સિવાયની બીજી લોકશાહી સંસ્થાઓની પણ કમર તોડી નાખવાની. લાલચ, ખરીદી-વેચાણ અને ભય આ ત્રણ માર્ગ અપનાવવામાં આવે છે. આ ઉપરાંત ન્યાયતંત્રની બાબતે એક ચોથો વિકલ્પ પણ છે. છેક નીચેથી વૈચારિક રીતે અનુકૂળ હોય એવા જજોને ન્યાયતંત્રમાં દાખલ કરતા જવાના. એ જજ પછી એક દહાડો સર્વોચ્ચ અદાલતનો મુખ્ય ન્યાયમૂર્તિ બને, ત્યારે અનુકૂળ ન્યાયતંત્રનું વર્તુળ પૂરું થઈ જાય. એ પછી દેશમાં જે લોકશાહી બચે એ માત્ર કલેવરરૂપે હોય, એમાંથી પ્રાણ જતા રહ્યા હોય.
બીજા વિશ્વયુદ્ધ પછી ભારતની જેમ બીજા અનેક દેશો સંસ્થાનવાદી ગુલામીથી આઝાદ થયા હતા. એ બધા દેશો માટે ભારત દેશ દીવાદાંડીરૂપ હતો. જગતમાં જોટો જડે નહીં એટલી બહુવિધ પ્રજાએ સાથે મળીને લડીને આઝાદી મેળવી. લડીને આઝાદી મેળવી, તાસકમાં નહોતી મળી. બહુવિધ પ્રજાએ આઝાદી માટે લડતા લડતા વિમર્શ કર્યો અને સેક્યુલર લોકતાંત્રિક દેશની રચના કરવાનો સંકલ્પ કર્યો. દેશના ભાગલા પડ્યા અને કોમી લોહી વહેતું હતું ત્યારે બંધારણસભાના સભ્યોએ વિચલિત થયા વિના શાંત ચિત્તે જગતનું શ્રેષ્ઠ બંધારણ ઘડ્યું હતું. જો તેમની અંદરનો હિંદુ જાગ્યો હોત અથવા જાગવા દીધો હોત અને વિચલિત થયા હોત તો ત્યારે જ જગત માટે દીવાદાંડીરૂપ નીવડેલા ભારતીય રાજ્યનું કાસળ નીકળી ગયું હોત.
એ સમયે બીજા દેશોએ પણ ભારતનું અનુકરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. આધુનિક વિશ્વમાં સભ્ય તેમ જ સંસ્કારી બની રહીને આધુનિક બનવાનો અને વિકાસ સાધવાનો મનસૂબો બીજા તાજા આઝાદ થયેલા દેશો પણ ધરાવતા હતા. ભારત જેવો ગરીબ અને વિપુલ વિવિધતા ધરાવતો દેશ જગતનું શ્રેષ્ઠ બંધારણ ઘડી શકે અને દરેક અર્થમાં આધુનિક વિશ્વમાં જગ્યા મેળવી શકે તો આપણે કેમ નહીં! એ યુગમાં ભારત સાચે જ અધિકારપૂર્વકનું વિશ્વગુરુ હતું. જવાહરલાલ નેહરુનો જગતમાં જે દબદબો હતો એનું કારણ તેમનું વ્યક્તિત્વ તો હતું જ, પણ એનાથી વધારે મોટું કારણ એ નિર્ણાયક યુગમાં ભારતનું વિશ્વગુરુનું સ્થાન હતું. પાકિસ્તાનની બંધારણસભાના સભ્યોની અંદરનો મુસલમાન જાગ્યો અથવા પરાણે જગાડવામાં આવ્યો અથવા અંદરના માણસને ધરાર મારીને મુસલમાનને બંધારણસભામાં બેસાડવો પડ્યો એવું જો ભારતની બંધારણસભાના સભ્યોની બાબતમાં બન્યું હોત તો ભારત વિશ્વગુરુ ન બન્યું હોત. નેહરુનો કોઈએ ભાવ ન પૂછ્યો હોત. એ તો ઠીક છે, ભારતની હાલત આજે પાકિસ્તાન જેવી હોત.
પણ કેટલાક લોકોને ત્યારથી જ ભારત રાજ્યના અપનાવવામાં આવેલા સ્વરૂપ સામે વાંધો હતો. બહુમતીમાં હોઈએ અને માથાભારે ન હોઈએ તો બહુમતીનો શો અર્થ? કમસે કમ અમે બહુમતીમાં છીએ એની ખાતરી તો કરાવવી જ જોઈએ ને! આવું બંધારણ ન ચાલે જેમાં બહુમતી પ્રજાની શિરજોરી ન હોય. માથાભારે થવામાં શક્તિ શોધવી અને શક્તિનો અહેસાસ મેળવવો એ લઘુતાગ્રંથિનાં લક્ષણો છે. આવા લઘુતાગ્રંથિથી પીડાતા હિન્દુત્વવાદીઓને ભારત રાજ્યનું લોકતાંત્રિક સેક્યુલર સ્વરૂપ સ્વીકાર્ય નહોતું. તેમણે સત્તા સુધી પહોંચવા માટે તેનો જ ઉપયોગ કર્યો હતો, પણ હવે જે સીડી વાપરી હતી એ સીડી ફગાવી દેવી છે. કારણ એ છે કે બંધારણપુસ્કૃત સેક્યુલર-લિબરલ-ડેમોક્રેટિક સ્ટેટ માથાભારે થવામાં આડે આવે છે અને ઉપરથી ન્યાયતંત્ર, મુખ્યત્વે સર્વોચ્ચ અદાલત તેની રખેવાળી કરે છે. બંધારણના ઘડવૈયાઓએ ભારતની સર્વોચ્ચ અદાલતે બંધારણની અને બંધારણીય મૂલ્યોની રખેવાળી કરવાનું એક ખાસ અને પવિત્ર કામ સર્વોચ્ચ અદાલતને સોંપ્યું છે.
તેઓ તો બંધારણનો ઢાંચો જ બદલવા માગે છે, પણ એ પહેલાં અત્યારે તેઓ રખેવાળોની કરોડરજ્જુ ઉપર આઘાત કરી રહ્યા છે. લાલચ, ભય અને ભરતી એમ ત્રણ માર્ગ અપનાવવામાં આવી રહ્યા છે. છેલ્લાં કેટલાંક વરસોથી સર્વોચ્ચ અદાલતના જજો કસોટીમાં નાપાસ થઈ રહ્યા છે જે રીતે ૧૯૭૦ના દાયકામાં સર્વોચ્ચ અદાલતના કેટલાક જજો નાપાસ થયા હતા. ત્યારે કેટલાક જજો નાપાસ થયા હતા, સમૂળગી સર્વોચ્ચ અદાલત નાપાસ નહોતી થઈ. ન્યાયમૂર્તિ કૃષ્ણા ઐયર, ન્યાયમૂર્તિ ખન્ના અને ન્યાયમૂર્તિ હેગડે જેવા પ્રાત:સ્મરણીય જજો ત્યારે સર્વોચ્ચ અદાલતમાં હતા જેમણે સર્વોચ્ચ અદાલતને નાપાસ નહોતી થવા દીધી. બીજી બાજુ ન્યાયમૂર્તિ રે, ન્યાયમૂર્તિ બેગ, ન્યાયમૂર્તિ બહારુલ ઇસ્લામ જેવા હતા જેમણે ભય અથવા લાલચમાં આવીને પોતાનું, સર્વોચ્ચ અદાલતનું અને ન્યાયતંત્રનું નાક કપાવ્યું હતું. ૧૯૭૦ના દાયકાથી ઊલટું આજે જજો સાથે સમૂળગી સર્વોચ્ચ અદાલત નાપાસ થતી નજરે પડી રહી છે.
પ્રારંભમાં જ કહ્યું એમ આજે સર્વોચ્ચ અદાલત અને તેમાં બિરાજમાન જજો પોતે પોતાના વિષે ચુકાદો આપવાના છે. ચુકાદો પ્રશાંત ભૂષણ વિષે નહીં હોય, તેમના પોતાના વિશે હશે. બંધારણની, બંધારણીય મૂલ્યોની અને બંધારણપુસ્કૃત સેક્યુલર-લિબરલ-ડેમોક્રેટિક સ્ટેટની રક્ષા કરવાની તાકાત તે ધરાવે છે કે નહીં એનો ચુકાદો આવવાનો છે. આગળ કહ્યું એમ તેઓ તેમના વિષે ચુકાદો તો આપી જ ચુક્યા છે, માત્ર દંડવાનું બાકી છે. જોઈએ, આજે અદાલતો અને જજો પોતે જ પોતાને દંડે છે કે નહીં!
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 20 ઑગસ્ટ 2020