Opinion Magazine
Number of visits: 9664091
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સબ કા અપના અપના નોર્મલ હૈ 

રાજ ગોસ્વામી|Opinion - Opinion|8 July 2025

બહેરા દેડકાનું સાહસ …

રાજ ગોસ્વામી

એક જંગલમાં દેડકાઓનાં ટોળાં વચ્ચે ઊંચા નીલગિરી પર ચઢવાની હરીફાઈ યોજાઈ. બીજાં પ્રાણીઓ ત્યાં એકઠાં થયાં. કોઈને વિશ્વાસ નહોતો દેડકાઓ ઉપર ચઢી શકશે. તેમણે સલાહ આપી કે આવા અખતરા રહેવા દે, નહીં તો જીવ ગુમાવવો પડશે.

હરીફાઈ શરૂ થઇ. પ્રાણીઓ બોલવા લાગ્યાં; ‘કોઈ ઉપર નહીં ચઢી શકે …પડીને મરી ન જાય તો મને કહેજો …ઝાડ બહુ લીસ્સું છે અને આ લોકોમાં અક્કલ નથી.’

એકાદ બે દેડકાને બીક લાગી અને હરીફાઈમાંથી નીકળી ગયા. અમુક થોડુંક ચઢીને ગબડી પડ્યા અને મરી ગયા. જે જુસ્સાવાળા હતા તે ઝાડ પર ઊંચે ચઢ્યા. નીચેથી ટોળાંએ બૂમો ચાલુ રાખી; ‘આગળ ન ચઢતા, પડીને મરી જશો. તમારું ગજું નહીં.’ 

દેડકાઓએ વાત ન સાંભળી અને થોડા વધુ દેડકા પડીને મરી ગયા. 

પરંતુ એ બધામાં એક દેડકો ઊંચે ને ઊંચે ચઢવા લાગ્યો. તેનો જુસ્સો અને ગતિ બંને પ્રસંશનીય હતાં. નીચે રહી ગયેલા દેડકાઓ અને અન્ય પ્રાણીઓના આશ્ચર્ય વચ્ચે તે ઝાડની ટોચ પર ચડી ગયો.

બધાને નવાઈ લાગી. એ નીચે આવ્યો એટલે બધાએ તેને હરીફાઈ જીતવા માટે અભિનંદન આપ્યા, અને પછી પૂછ્યું કે ‘તને ના પાડી હતી તો’ય જાનનું જોખમ કેમ લીધું? અને તું એટલા ઊંચે ચડી શક્યો કેવી રીતે?’

વિજેતા દેડકાએ ભોળા ચહેરે તેમની તરફ જોઇને કહ્યું, ‘તમે મને ચેતવતા હતા? પણ હું તો બહેરો છું. મને એમ કે તમે બધા મારું સાહસ વધારી રહ્યા છો.’

————————–

આમિર ખાનની બહુચર્ચિત નવી ફિલ્મ ‘સિતારે જમીન પર’નો એક સંવાદ લોકપ્રિય થયો છે : સબકા અપના અપના નોર્મલ હૈ. આ ફિલ્મ, માનસિક વિકાસ સંબંધી ડાઉન સિન્ડ્રોમ અને ન્યૂરો ડાઈવર્સી જેવા જટિલ વિષય પર પ્રકાશ પાડે છે. ફિલ્મના હીરો ગુલશનને જ્યારે આવાં સ્પેશ્યલ બાળકોને કોચિંગ આપવાની સજા સંભાળવવામાં આવે છે ત્યારે, ‘આ છોકરાં તો નોર્મલ નથી’ની તેની મૂંઝવણના જવાબમાં કમ્યુનિટી સેન્ટરનો સંચાલક ગુરપાલ સિંહ કહે છે, ‘સબ અપને-અપને નોર્મલ પે ટીકે બૈઠે હૈં, કોચ સાહબ. સબકા અપના-અપના નોર્મલ હોતા હૈ. આપ કા નોર્મલ આ પકા, ઉન કા નોર્મલ ઉન કા.’

ડાઉન સિન્ડ્રોમ વાળાં બાળકોને ‘અલગ’ અને ક્યારેક તો ‘ગાંડા’ ગણીને સમાજમાં આભડછેટ કરવામાં આવે છે. લોકો તેમને એબનોર્મલ માને છે કારણ કે તેમની દૃષ્ટિએ નોર્મલ એ છે જે તેમના જેવા છે. આમિરની ફિલ્મ આ માન્યતાને તોડવા પ્રયત્ન કરે છે. તે કહે છે કે સમાજનો બહુમતી વર્ગ નક્કી કરે તે નોર્મલ ન કહેવાય. દરેક વ્યક્તિ નોર્મલ જ છે, પણ પોતાની રીતે. તેની કોઈ એક વ્યાખ્યા નથી, જેમાં સર્વેને ફિટ કરી દેવામાં આવે. નોર્મલ શું છે તે સમાજ નક્કી નથી કરતો, તે વ્યક્તિ નક્કી કરે છે; સબ કા અપના-અપના નોર્મલ હોતા હૈ.

આમ તો આ શબ્દનો ઉપયોગ મેન્ટલ હેલ્થના સંદર્ભમાં કરવામાં આવે છે. પશ્ચિમના વિકસિત સમાજોમાં તો આજે ઘણી સજાગતા આવી છે, પરંતુ ભારત જેવા દેશોમાં હજુ પણ માનસિક સ્વાસ્થ્ય સંબંધી બાબતોને નકારાત્મક રીતે જોવામાં આવે છે. આપણે ત્યાં વિકલાંગ બાળકો અને સ્ત્રીઓને સમાજમાં બીજાં જેવાં નહીં હોવાની આકરી સજા ભોગવવી પડે છે. આપણે ત્યાં સ્ત્રીઓને આજે પણ ડિપ્રેશન કે હીસ્ટેરિયા જેવી સાધારણ ફરિયાદો બદલ ‘ગાંડા’માં ખપાવી દેવામાં આવે છે.

કોઈ વ્યક્તિને સ્કિઝોફ્રેનિયા હોય તો તેનો અર્થ એ નથી કે તે મનુષ્યમાં નથી. આપણે ત્યાં તેને સાંકળોથી બાંધી રાખવાના દાખલા પણ છે. કથિત રીતે નોર્મલ લોકો જેટલી હિંસા કરે છે તેની સરખામણીમાં, માનસિક રીતે અસ્વસ્થ અમુક લોકો જ આક્રમક હોય છે, તેમ છતાં આપણે તમામ ‘ગાંડા’ને સૌથી જોખમી ગણીએ છીએ. ગાંડાઓને પથ્થરો મારવાનું ચલણ આપણે ત્યાં જ છે. 

આ બધું આપણી નોર્મલની વ્યાખ્યાને કારણે છે. સમાજે નોર્મલની એક અવસ્થા સ્વીકારી લીધી છે. જે લોકો તેમાં ફિટ થાય તે નોર્મલ, અને ન થાય તે એબનોર્મલ. પ્રકૃતિ આવા ભેદ નથી કરતી. આ માનવસર્જિત ભેદ છે. વાસ્તવમાં, લોકો નોર્મલ કે એબનોર્મલ નથી હોતા, નેચરલ હોય છે. 

અને આ વાત માત્ર વ્યક્તિની માનસિક કે શારીરિક સ્થિતિ સુધી સીમિત નથી. દરેક સામાજિક વલણના નોર્મલ હોવા અંગે સવાલો ઊભા થાય છે. નોર્મલ હોવું એ સબ્જેક્ટિવ, એટલે કે વ્યક્તિપરક હોય છે કારણ કે માપદંડો દરેક વ્યક્તિએ વ્યક્તિએ, સમાજે સમાજે અલગ હોય છે. તે સમય પ્રમાણે બદલતા રહે છે. તમારા માટે જે નોર્મલ છે તે મારા માટે નથી, અને મારા માટે આજે જે નોર્મલ છે તે ગઈકાલે નોર્મલ નહોતું. 

આપણે આપણી માન્યતાઓ, દૃષ્ટિકોણ, માહોલ, ઉછેર, અનુભવ, પરિવાર, સમાજ અને જરૂરિયાતો અનુસાર શું નોર્મલ છે તે નક્કી કરીએ છીએ. પરંતુ આ માપદંડો શાશ્વત નથી. દાખલા તરીકે, સમલૈંગિકતા બહુ લાંબા સમય સુધી બીમારી અથવા વિકૃતિ ગણાતી હતી (આજે પણ ગણાય છે), પરંતુ વૈજ્ઞાનિક સમજના વિકાસની સાથે આપણે તેને પ્રાકૃતિક સમજતા થયા છીએ.

નોર્મલ શબ્દ આપણી બોલચાલમાં અને વિચારોમાં એટલો ઘૂસી ગયો છે કે આપણને તેનો અંદાજ પણ નથી. દાખલા તરીકે, આપણે કેટલી સહજતાથી આવાં વાક્યો બોલીએ છીએ અથવા આજુબાજુમાં લોકોને બોલતાં સાંભળીએ છીએ –

‘ફલાણાનો ઉછેર નોર્મલ નથી થયો.’

‘હું નોર્મલ માણસની જેમ કેમ ખાઈ ન શકું?’

‘મને કેમ નોર્મલ વિચારો નથી આવતા?’

‘ફલાણાનો વ્યવહાર નોર્મલ કેમ નથી?’

‘આજના લોકો નોર્મલ લગ્નો કેમ નથી કરતા?’

‘ફલાણો માણસ નોર્મલ જિંદગી કેમ જીવી શકતો નથી?’

અહીં, નોર્મલ એટલે સમાજનો બહુમતી વર્ગ જે રીતે જીવે છે અથવા કરે છે તે. આપણે તે ફૂટપટ્ટી વડે બીજાને અને ક્યારેક આપણને માપીએ છીએ. આપણે એક સમાજ કે સમુદાયમાં રહેતા હોઈએ ત્યારે તેમની સાથે તંદુરસ્ત લગાવ જાળવી રાખવા માટે અમુક નિયમો અથવા રિવાજોનું પાલન કરીએ તેમાં ખોટું નથી. દાખલા તરીકે, બધા સાડી પહેરતા હોય અથવા કૂર્તો-પાયજામો પહેરતા હોય તો તે નોર્મલ કહેવાય. અથવા થાળીમાંથી હાથ વડે ખાવું નોર્મલ છે. 

પરંતુ સાડી પહેરવી કે હાથ વડે ખાવું તે મારા નોર્મલ હોવાની નિશાની નથી. તે એક શોખ અથવા પસંદગીથી વિશેષ કશું નથી. સમસ્યા ત્યારે શરૂ થાય જ્યારે વ્યક્તિગત પસંદ (જે પ્રાકૃતિક પણ હોઈ શકે) એબનોર્મલ અથવા વિકૃતિમાં ગણવામાં આવે. 

આપણે ત્યાં તો અમુક પ્રકારની સ્વભાવગત ખાસિયતોવાળા લોકોને પણ એબનોર્મલ ગણવાની ટેવ છે. દાખલા તરીકે, કોઈ વ્યક્તિ વધુ પડતી સંવેદનશીલ હોય, શરમાળ હોય અથવા અંતર્મુખી હોય તેને પણ નોર્મલમાં ગણવામાં નથી આવતી.

નોર્મલ ફેક્ટ નથી, ફિક્શન છે. તે પ્રાકૃતિક સત્ય નથી, સામાજિક કલ્પના છે. સમાજમાં ઘણાં મીથ હોય છે, તેવું તે એક મીથ છે. દરેક સમાજ નોર્મલની એક વાર્તા લખે છે અને આપણે તેમાં ફિટ થવાનું હોય છે. એ વાર્તા આપણને કહે છે કે સુખી અને સફળ જીવન કોને કહેવાય. એક ‘નોર્મલ’ માણસે કેવી રીતે જીવવું તેનું પ્રિસ્ક્રીપ્શન એ વાર્તામાં લખેલું છે. 

વાસ્તવિકતા એ છે કે આપણે સૌ અનન્ય અને અદ્વિતીય છીએ. અને આપણે કોણ છીએ અથવા કેવા છીએ, અથવા આપણા વ્યક્તિત્વનાં લક્ષણો શું છે તેનાથી કોઈ ફરક પડતો નથી. સૌનું એક સમાન સ્વાગત છે. 

અંદરથી સૌને ખબર છે કે જીવન આસાન નથી. સૌની કોઈને કોઈ કમજોરી હોય છે. છતાં, આપણે અનન્ય છીએ. આપણે સૌ આપણી રીતે અલગ છીએ. આપણા અનન્ય અનુભવો, આપણા સંજોગો, આપણું જ્ઞાન, આપણી તાકાત અને કમજોરીઓ આપણને આગવી ઓળખ આપે છે. 

આપણે મશીનમાં બનતા રોબોટ નથી, આપણે પ્રકૃતિના ખોળે ઉછરતા જીવ છીએ. દુનિયામાં કેટલાં ઝાડ છે? તેના પર કેટલાં પત્તાં છે? અને છતાં, એક પણ પત્તું તેના પાડોશી જેવું સમાન નથી. પ્રકૃતિએ પ્રત્યેક પત્તાને એક જુદો ચહેરો આપ્યો છે. તમે ક્યારે ય બજારમાં એક ખૂણે બેસીને સામેથી પસાર થતા લોકોને જોયા છે? ન જોયા હોય તો જો જો. પ્રત્યેક વ્યક્તિની ચાલ અલગ હશે. દુનિયામાં કોઇપણ બે વ્યક્તિ એક સરખું ચાલતા નથી. 

આપણે સૌ એકબીજા જેવા નોર્મલ નથી એટલે જ આપણી આગવી ઓળખ છે. આપણે એકબીજાથી અલગ છીએ એટલે જ દુનિયા આટલી ખૂબસુરત છે. આપણી કથિત એબનોર્માલિટી દુનિયા માટે ગિફ્ટ છે. દુનિયાને આપણી આગવી વાર્તાની જરૂર છે. આપણા સૌની વાર્તાઓ અલગ છે. આપણે એક સમાન નથી. સર્વસામાન્ય નોર્મલ જેવું કશું હોતું નથી. આપણે સૌ આપણું નોર્મલ બનાવીએ છીએ. સબ કા અપના અપના નોર્મલ હૈ. 

1980માં, નસીરુદ્દીન શાહની એક ફિલ્મ આવી હતી, ‘સ્પર્શ.’ તેમાં તે દૃષ્ટિહીન શિક્ષક છે અને  દૃષ્ટિહીન બાળકોની સ્કૂલમાં ભણાવે છે. તે સ્કૂલમાં બાળકોને ગાવાનું શીખવાડતી શબાના આઝમી એક દિવસ બોલે છે, ‘મૈં યહી ચાહુંગી કિ બેચારોં કો જ્યાદા સે જ્યાદા દે સકું.’

નસીર તેને ટોકે છે, ‘એક છોટી સી અર્જ હૈ. એક લફ્ઝ આપ જીતની જલ્દી ભૂલ જાયેં ઉતના અચ્છા હોગા – બેચારા. હમે મદદ ચાહિયે, તરસ નહીં. યે મત ભૂલીએ કી અગર આપ ઉન્હેં કુછ દેંગી તો વો ભી આપકો કુછ દેંગે. કિસી કા કિસી પર અહેસાન નહીં. કોઈ બેચારા નહીં. ઠીક?’

(પ્રગટ : ‘સુખોપનિષદ’ નામે સાપ્તાહિક કટાર, “ચિત્રલેખા”; 14 જુલાઈ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!

કિશોર દેસાઈ|Gandhiana|7 July 2025

કિશોર દેસાઈ

ગાંધીજીના જીવન વિશે, ખાસ કરીને તેમના હરિલાલ સાથેના સંબંધો વિશે, સાચી હકીકતોનો તટસ્થતાથી અભ્યાસ કર્યા વિના નવલકથા કે નાટક લખવામાં આવે અને પછી તેને નાટક દ્વારા પ્રજા સમક્ષ રજૂ કરવામાં આવે તે યોગ્ય છે ખરું ? આ મુદ્દા ઉપર હાલમાં પુષ્કળ વિવાદ ચાલી રહ્યો છે.

થોડા વખત પહેલાં હરિલાલ ગાંધીનાં પૌત્રી ઊર્મિ દેસાઈએ જાહેરમાં પત્ર લખીને ગાંધીજીના જીવનની હકીકતોને અવળી રીતે રજૂ કરવામાં આવે છે એવી ફરિયાદ કરી હતી. (“ગુર્જરી”ના જુલાઈ 1998ના અંકમાં એ પત્ર છપાયો હતો.) ગંભીર હકીકતદોષો તરફ ધ્યાન દોરવા છતાં તે પ્રત્યે ઉપેક્ષા રાખવામાં આવી છે એ તેમની ખાસ ફરિયાદ છે.

લોકશાહીમાં ગાંધીજી જેવી વિભૂતિને પણ ચર્ચાને ચાકડે ચડવું પડે છે. એમાં આમ તો કાંઈ ખોટું નથી. પણ કંઈક બુદ્ધિગમ્ય ચર્ચા થાય અથવા બૌદ્ધિક સ્તરે ગાંધીજીના વિચારોનું મંથન, દોહન થાય તો તે ઉપયોગી પણ નીવડે. એને બદલે વિવાદ જગાવીને પોતાનું કામ સાધી લેવાની વૃત્તિ જો રહેલી હોય તો તેની ચર્ચા થવી જ જોઈએ.

ગાંધીએ તો એનું સમગ્ર જીવન કોરી કિતાબ જેવું જગતની સામે મૂકી દીધું છે. એકલદોકલ નહીં, પણ હજારોની સંખ્યામાં વિશ્વના ખૂબ ઊંચાઈએ પહોંચેલા મહામાનવોએ ગાંધીજીને, તેમના વિચારોને, તેમના આદર્શોને, નિષ્ઠાને પ્રામાણિક સર્ટિફિકેટો આપી દીધા છે. એટલે ગણ્યાગાંઠ્યા કોઈ વેંતિયાઓ, તકસાધુઓ, લેભાગુઓ કે મુફલીસો ચારેકોર ગાંધીનો પુનરપિ પુનરપિ વધ કરીને પછી પોતાનો જય જયકાર કરીને હોબાળો મચાવે તેથી આમ તો બહુ વ્યથિત થવાની જરૂર નથી.

વર્તમાન જગતમાં તમે નિગેટિવ બનો તો તમને પ્રસિદ્ધિ વહેલી મળે છે. આમાં તમારે ગાંધી જેવું વિશ્વમાં પંકાયેલું કોઈ પાત્ર શોધી લેવાનું અને પછી એને ચર્ચાના ચાકે ચડાવવાનું. એમ કરવામાં સાચી હકીકતોની સંભાળ લેવામાં ઐસી કી તૈસી, બસ, લોકો તો કુતૂહલવશ પણ જોડાવાના જ છે. અને આમ પછી આપણું ટટ્ટુ ચાલશે જ. આવી કોઈક ફોર્મ્યુલા પર આ સમગ્ર લેભાગુ વર્ગ કામ કરતો હોય છે. એ બધાં કંઈ રિચાર્ડ ઍટનબરો નથી કે જે વીસ વીસ વર્ષો સુધી ગાંધીના જીવનને ઝીણવટથી તપાસવાની ધીરજ રાખે અને પછી જ એના પર ફિલ્મ બનાવે. કે નથી એ લોકો કોઈ સર્વપલ્લી રાધાકૃષ્ણન્, કે સિત્તેર જેટલી વિદેશી વ્યક્તિઓને મળી, ચકાસીને પછી કોઈ પુસ્તક લખે. ઈન્ટરનેટના યુગમાં ‘જર્નાલિઝમ’નું કલેવર બદલાયું છે. મોટી અને જાણીતી વ્યક્તિઓનાં જીવન વિશે કોઈ રોમાંચક કથાઓને બજારમાં મૂકવાથી વેચાણ સારું થઈ શકે છે કેમ કે વાણી સ્વાતંત્ર્યની ઢાલ નીચે એની કોઈ સજા નથી.

ગાંધીને આપણે આજે બજારુ અને આપણી નબળાઈઓથી ભરેલી લૂઝ ‘વેલ્યુઝ’થી મૂલવીએ છીએ. ગાંધી સામે ગોડસેનો મહિમા થાય, ગાંધીનું ઘસાતું બોલાય અને પેલા જાણે વીરપુરુષ હોય એમ એને તાળીઓના ગડગડાટથી વધાવી લેવાય ત્યારે આ વધારે પડતું છે એમ લાગે છે અને આપણે કેટલા બેવકૂફ છીએ તેનું ઉઘાડેછોગ પ્રદર્શન કરતા હોઈએ એમ લાગે છે. આમાં દેશદ્રોહ છે. ગાંધીને કારણે આપણે ગુલામીમાંથી બહાર આવ્યા છીએ એ ઐતિહાસિક ઘટનાને આપણે ભૂલી જઈએ છીએ.

બેશક, ગોડસે હત્યારો છે. જે હત્યા કરે તેને જો હત્યારો ન કહેવાય તો એને બીજું શું કહેવાય? એની દૃષ્ટિએ કારણો ગમે એટલા મજબૂત હોય; પણ તેથી બીજાના વિચારો જોડે સંમત ન થઈએ એટલે એને ખતમ કરી નાખવું એ વિચાર જ બહુ ખતરનાક છે. જો આપણે બધા એમ જ કરવા બેસીએ તો આપણામાંથી કેટલા બચે ?… પોતાના વિચારો વ્યક્ત કરવાનો કોઈને પણ પૂરો હક છે. અન્યના વિચારોને ધીરજપૂર્વક સહન કરવાના ઔદાર્યથી તો લોકશાહી પુખ્ત બનતી હોય છે. એની પ્રતીતિ અમેરિકામાં આપણે રોજ કરીએ છીએ.* ‘અ માઇનર બર્ડ’ નામની એક કવિતામાં ઘરઆંગણે વૃક્ષ પર બેસીને ગીત ગાતાં કોઈ પંખીને હાથની તાળીઓ પાડીને ઉડાડી મૂકવાના કૃત્યને પણ રોબર્ટ ફ્રોસ્ટે તો ગુનો કહ્યો છે. એમનાં કાવ્યની છેલ્લી બે પંક્તિ છે :

And of course there must be something wrong

In wanting to silence any song.

                                                          [Robert Frost]

ગાંધીજીની હત્યાનો પ્રશ્ન ‘ગુજરાતી વિરુદ્ધ મરાઠી’ કે ‘હિંદુ વિરુદ્ધ મુસ્લિમ’ વચ્ચેનો નથી. માત્ર સાંકડા દૃષ્ટિકોણથી એને ન જોવાય. પ્રશ્ન એ છે કે, એક ‘સિવિલાઈઝ્ડ નૅશન’ તરીકે આપણે જંગલી અવસ્થામાં રહેવા માગીએ છીએ કે વૈચારિક મતભેદ વચ્ચે પણ આપણે સહિષ્ણુતાથી અડીખમ ઊભા રહી શકીએ એવું વાતાવરણ સર્જવા માગીએ છીએ?

થોડાં વર્ષ પહેલાં એક વિદ્વાન સાથે વાત થતી હતી ત્યારે એમણે એક બાણ છોડ્યું, ‘ગાંધીજીની બ્રહ્મચર્યવૃત્તિની વાતમાં હું સંમત થતો નથી’. એમાંથી હજી તો કળ વળે તે પહેલાં એમણે બીજું બાણ છોડ્યું, ‘ગાંધીજીની નિઃસ્વાદવૃત્તિ સાથે હું સંમત થતો નથી.’

આ જાતનો એક નવો ઠઠેરો વળી હમણાં હમણાંનો ચાલે છે. અલ્યા બાબાભાઈ, ગાંધીજીની સાથે સંમત કે અસંમત થનારા આપણે કઈ વાડીના મૂળા!

દેશને આઝાદી અપાવવાનું એમનું તો એક મિશન હતું. એમાં દૃઢ મનોબળવાળાઓની એમને તાતી જરૂર હતી, એવા કે જે ધારાસણામાં સામી છાતીએ લાઠીના ઘા ઝીલી શકે. તો સાજન, કહોને, કહોને, સાજન, તમારે કયું મિશન છે ? 

પણ ઠીક છે, ગાંધીનું નામ લઈને પંગુઓ ભલે લંઘયતે ગિરિમ્. જયન્તભાઈ પંડયાએ લખ્યું છે તેમ આ બધા અવાજો ચાર દિવસના મહેમાન છે, પછી મુંબઈના દરિયામાં ડૂબી જશે. જ્યારે ગાંધીનો અવાજ સદીઓ વીંધીને પ્રવર્તશે, ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં.

પાદટીપ :

જયન્ત મ. પંડ્યા

ફિલાડેલ્ફિયામાં એક વાર્તાલાપમાં, પ્રાધ્યાપક જયન્તભાઈ પંડ્યાએ ગાંધીજી વિશે વાત કરી હતી. ‘ગાંધી આજે રેલેવન્ટ ખરા?’ એવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું કે ‘ઠગોની વચ્ચે સતવાદીનું રેલેવન્સ હંમેશાં રહેવાનું છે.’ ગાંધીને આપણે બજારુ મૂલ્યોથી મૂલવીએ છીએ એટલે આપણે ગૂંચવાઈએ છીએ. ગાંધીએ નીતિમત્તા કેળવી હતી. કોઈ પાસેથી સાદાઈ લીધી, કોઈ પાસે અહિંસા લીધી, કરુણા લીધી, બ્રહ્મચર્ય લીધું. અને પછી આખી જિંદગી એ બધાને વળગી રહ્યા.

હરિલાલ સંબંધમાં એમણે ક્યાં ય ગાંઠ નથી રાખી. સંબંધ હંમેશાં પ્રેમનો રાખ્યો છે. હરિલાલે પ્રેમ રાખ્યો પણ સાથે સાથે ધૂંધવાટ પણ રાખ્યો. એક વાર બા અને બાપુ રેલવેમાં જતા હતા ત્યારે હરિલાલ સ્ટેશન પર મળવા આવેલા. સાથે ચાર સંતરાં લેતા આવેલા તે કસ્તૂરબાને આપતાં કહ્યું કે, ‘આ તમારા માટે જ છે.’ આથી ડોસા ઉપર શું ગુજરી હશે એની આપણે તો માત્ર કલ્પના જ કરવાની રહી.

(‘ઓપિનિયન’ નવેમ્બર 1999માંથી સાભાર)
*1999.
07 જુલાઈ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 356

Loading

‘ભૂખ્યો ખડક’ નામ કેમ પડ્યું?

રમેશ સવાણી|Opinion - Opinion|7 July 2025

5 જુલાઈ 2025ના રોજ, ઇલિનોઇસ રાજ્યના ‘Starved Rock State Park – સ્ટાર્વ્ડ રોક સ્ટેટ પાર્ક’ની મજા માણી. શિકાગોથી 93 માઈલ દૂર છે. આ પાર્ક 2,630 એકર(1,064 હેક્ટર)માં ફેલાયેલો છે. ખડક / ખીણો / જંગલથી ઘેરાયેલ છે. આ ઉદ્યાન ફોક્સ અને વર્મિલિયન નદીઓ વચ્ચે, મિસિસિપી નદીની મુખ્ય ઉપનદી, ઇલિનોઇસ નદીના દક્ષિણ કિનારે છે. અહીં વાર્ષિક બે મિલિયનથી વધુ મુલાકાતીઓ આવે છે. 

પાર્કના વિઝિટર સેન્ટરમાં પાર્કના ઇતિહાસ વિશેની ટૂંકી ફિલ્મ જોઈ. આશરે 14,000-19,000 વર્ષ પહેલાં કાંકાકી ટોરેન્ટ તરીકે ઓળખાતા પીગળતા હિમન દીમાંથી પૂર આવ્યું હતું, જેના કારણે આ સ્થળની ભૂગોળ અને તેની ખુલ્લી ખડક-ખીણો બની હતી. ઉદ્યાનમાં વિવિધ વન વનસ્પતિ અસ્તિત્વ ધરાવે છે અને આ વિસ્તારમાં અનેક જંગલી પ્રાણીઓની પ્રજાતિઓ છે. 

વિઝિટર સેન્ટરમાં પ્રદર્શન પણ હતું. ટ્રેઈલના રસ્તા વ્યવસ્થિત હતા. Viewing galleryમાં જવા માટે લાકડાની સીડીઓની સુંદર વ્યવસ્થા હતી. કુદરતી સૌંદર્ય અને ઇલિનોઇસ નદીના દર્શન માટેની અદ્દભુત વ્યવસ્થા હતી. વૃક્ષના શીતળ છાંયે બેસીને નાસ્તો કર્યો અને જગદીશ બારોટ અને ડો. દિનેશ ધાનાણી સાથે મિનિ રેશનલ-સભા યોજી ! 

સ્ટાર્વ્ડ રોક એટલે ભૂખ્યો ખડક ! આવું નામ કેમ પડ્યું હશે? યુરોપિયન સંપર્ક પહેલાં, આ વિસ્તાર મૂળ અમેરિકનોનું ઘર હતું, ખાસ કરીને કાસ્કાસ્કિયા જેઓ નદીની પેલે પાર ઇલિનોઇસના ગ્રાન્ડ વિલેજમાં રહેતા હતા. લુઇસ જોલિએટ અને જેક્સ માર્ક્વેટ આ પ્રદેશની શોધખોળ કરનાર પ્રથમ યુરોપિયન હતા, અને 1683 સુધીમાં, ફ્રેન્ચ લોકોએ નદીની સામે આવેલા મોટા રેતીના પથ્થરના ખડક પર ફોર્ટ સેન્ટ લૂઇસની સ્થાપના કરી હતી, જેને તેઓ લે રોચર (ખડક) કહેતા હતા. 20 એપ્રિલ 1769ના રોજ ઇલિનોઇસ કન્ફેડરેશનના યોદ્ધા દ્વારા કાહોકિયામાં માર્યા ગયા હતા. ઓટ્ટાવા, તેમના સાથી પોટાવાટોમી સાથે, ઇલિનોઇસ નદી કિનારે ઇલિનિવેકના એક જૂથ પર હુમલો કરીને પોન્ટિયાકના મૃત્યુનો બદલો લીધો. ઇલિનિવેક (મૂળનિવાસી) આશ્રય મેળવવા માટે ખડક પર ચઢી ગયા, પરંતુ તેમના પીછો કરનારાઓએ ખડકને ઘેરી લીધો. ખડક પરના મૂળ અમેરિકન લોકો સરેન્ડર ન થયા, ભૂખ્યા રહ્યા, મરી ગયા પણ સરેન્ડર ન થયા. આમ સ્ટાર્વ્ડ રોક એટલે ભૂખ્યો ખડક નામ પડ્યું. નિર્દયતા તો જૂઓ : જેઓ મૂળનિવાસી હતા તેમને જ ભૂખ્યા જ મરવું પડ્યું ! યુરોપિયનો પાસે બંદૂકો હતી અને મૂળનિવાસીઓ પાસે હતા તીરકામઠાં !

એ પછી ફોક્સ નદીને કિનારે ફર્યા. અહીં 1988માં, ફોક્સ વેલીના નાગરિકોએ POTTAWATOMI-પોટ્ટાવટોમી મૂળનિવાસીનું વિશાળ કદનું સ્ટેચ્યુ મૂક્યું છે. આ પ્રતીમા નીચે લખ્યું છે : “સાંભળો, કારણ કે હું ફક્ત એક જ વાર બોલું છું… જ્યારે હું ઝળહળતી ફોક્સ નદીના પાણીની સામે જોઉં છું, ત્યારે મને હજારો teepeesનો ધુમાડો દેખાય છે જ્યાં મેં એક સમયે ફક્ત સૌમ્ય prairies-પ્રેરીઝ અને શિકારથી ભરપૂર લીલાછમ જંગલો જોયા હતા: અમે પ્રકૃતિ સાથે શાંતિથી રહેવા આવ્યા હતા. અમે શિકાર અને ભોજન કર્યું. અમે લગ્ન કર્યા, બાળકોને જન્મ આપ્યો અને અમારા નિયત સમયે મૃત્યુ પામ્યા. અમારા લોકોનાં હાડકાં અહીં પૃથ્વી સાથે ભળી ગયાં. અમને આ ખીણ ખૂબ જ ગમતી હતી, ખૂબ દુઃખ સાથે અમને અમારું ઘર છોડવું પડ્યું. અમે થોડા હતા, અને વસાહતીઓ ઘણા હતા. મારા પૂર્વજોના આત્માઓએ ક્યારે ય આ મહાન ખીણ છોડી નથી, અને ક્યારેક ક્યારેક, તમે અમારા પડછાયાઓની ઝલક જોઈ શકો છો અથવા અમારી હાજરી અનુભવી શકો છો, કારણ કે અમે અમારી પ્રિય ફોક્સ નદીના કિનારે શાંતિથી ચાલતા હોઈએ છીએ. અમારી ભૂમિ છોડતી વખતે અમારી અંતિમ પ્રાર્થના એ હતી કે તમે આ ખીણને એટલો જ પ્રેમ કરો જેટલો અમે તેને પ્રેમ કરતા હતા !” મૂળનિવાસીઓની કેવી ઉમદા ભાવના ! ફોક્સ વેલીના નાગરિકોને પણ ધન્યવાદ ઘટે છે કે એમણે મૂળનિવાસી ઇતિહાસનો આદર કર્યો. 

આપણે ત્યાં ગીર / જૂનાગઢ / કેવડિયા કોલોની / અમદાવાદ કે અન્ય જગ્યાએ પ્રવાસ ઉદ્યોગના વિકાસ માટે મોટી મોટી વાતો થાય છે, પરંતુ કોઈ જગ્યાએ સરખું વિઝિટર સેન્ટર ઊભું કરી શક્યા નથી. સરખા વોશરૂમની વ્યવસ્થા ઊભી કરી શક્યા નથી. ઐતિહાસિક તથ્યો સાથેનું પ્રદર્શન આપણે તૈયાર કરી શક્યા નથી. હાલ તો એ સ્થિતિ છે કે ભારતભૂમિનો ઇતિહાસ જ 2014થી શરૂ થયો છે !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...222223224225...230240250...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved