Opinion Magazine
Number of visits: 9456437
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

100 વર્ષ પહેલાં ઝેલેન્સ્કીનાં કપડાં જેવો વિવાદ; અને એમાંથી ભારતને ‘અર્ધ-નગ્ન ફકીર’ મળ્યા!

રાજ ગોસ્વામી|Opinion - Opinion|10 March 2025

રાજ ગોસ્વામી

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કી વચ્ચે જે વરવી લડાઈ થઇ તે આખી દુનિયાએ જોઈ. આમ તો ટ્રમ્પ અને તેમના ડેપ્યુટી જે.ડી. વેંસ બંનેએ ભેગા મળીને ઝેલેન્સ્કીને ધધડાવ્યા હતા, પરંતુ એમાં મીડિયા ય પાછળ રહ્યું નહોતું. 

વ્હાઈટ હાઉસના આ અસાધારણ ‘મહાભારત’માં શકુની બનેલા એક પત્રકારે તો ઝેલેન્સ્કીને ક્ષોભનો અહેસાસ કરાવવા માટે એવું પૂછી નાખ્યું હતું કે, “તમે સૂટ કેમ નથી પહેરતા? તમે આ દેશની સૌથી મોટી ઓફિસમાં આવ્યા છો. તમારી પાસે સૂટ નથી?”

આપણે ત્યાં ગામડામાં પણ લોકો ઘરે આવેલા મહેમાનનાં કપડાં પર ટિપ્પણી કરતા નથી અને અહીં મહાસત્તાનું મીડિયા રશિયન તાનાશાહી સામે ઝીંક ઝીલી રહેલા એક ટચુકડા દેશના વડાને લાઇવ ટેલિવિઝન પર મેનર્સ શીખવાડતું હતું. 

અને તે પણ એ જ વ્હાઈટ હાઉસમાં, જ્યાં પંદર દિવસ પહેલાં ટ્રમ્પના આજકાલ જેના પર ચાર હાથ છે તે અમેરિકન અબજપતિ ઈલોન મસ્ક માથે ટોપી અને ખભે તેના છોકરાને બેસાડીને રાષ્ટ્રપતિની હાજરીમાં મીડિયાને સંબોધતો હતો. 

પાછળથી એવા સમાચાર પણ આવ્યા હતા કે છોકરાએ તેના નાકમાંથી ગુંગા કાઢીને રાષ્ટ્રપતિના જે ટેબલની ધાર પર લૂછ્યાં હતાં તે 150 વર્ષ જૂના ટેબલને બદલી કાઢવામાં આવ્યું હતું. તે વખતે તો કોઈને મેનર્સ નજર આવ્યા નહોતા.

અને અહીં તો ઝેલેન્સ્કી રશિયા સામે યુદ્ધના ભાગ રૂપે કેઝ્યુલ ડ્રેસમાં હતા. પ્રશ્નથી આઘાત પામેલા ઝેલેન્સ્કીએ પત્રકારને વળતું પૂછ્યું હતું – “તમને શું પરેશાની છે?” 

પત્રકારે કહ્યું હતું, “ઓવલ ઓફિસના ડ્રેસ કોડનું પાલન ના થાય તો ઘણા અમેરિકનોને માઠું લાગે છે.”

ઝેલેન્સ્કીનો જવાબ વિચારપૂર્વકનો હતો, “જ્યારે યુદ્ધ પૂરું થશે, ત્યારે હું સૂટ પહેરીશ. કદાચ તમારા જેવા, કદાચ એથી પણ સારો … મને નથી ખબર. જોઈશું. કદાચ કોઈક સસ્તો.”

જ્યારથી રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું છે ત્યારથી, ઝેલેન્સ્કી દેશને બચાવવામાં વ્યસ્ત હોય તેવી વ્યક્તિ જેવાં સામાન્ય મિલીટરી કપડાં પહેરે છે. બરાબર છે કે ઓવલ ઓફિસનો ડ્રેસ કોડ હશે, પણ એક યુદ્ધગ્રસ્ત દેશનો વડો સાધારણ પણ સુઘડ કપડાંમાં મિટિંગ માટે આવે, તો આવી રીતે નાકનાં ટીચકાં ચઢાવાનું અમેરિકાને જરા ય શોભા દેતું નથી. ઝેલેન્સ્કીનાં કપડાં તો ઠીક, મોટો ગેરવ્યવહાર તો તેને લઈને પત્રકારનો પ્રશ્ન છે.

એ પત્રકારને કદાચ ખબર નહીં હોય કે આજથી 100 વર્ષ પહેલાં, આવી જ રીતે ત્રસ્ત એક દેશના નેતાએ, તે વખતની મહાસત્તા સાથે આવી જ રીતે સામાન્ય (કદાચ એથી ય ઉતરતાં) કપડાં પહેરીને વાટાઘાટો કરી હતી. એ દેશનું નામ હતું ભારત, એ નેતાનું નામ હતું મહાત્મા ગાંધી, એ મહાસત્તાનું નામ હતું ગ્રેટ બ્રિટન અને કપડાંના નામે હતી એક સાદી ધોતી!

એ ઇતિહાસ ફરીથી યાદ કરવા જેવો છે. ભારતની સ્વતંત્રતા માટે યોજાયેલી બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે ગાંધીજી સપ્ટેમ્બર 1931માં બ્રિટન ગયા હતા. તેઓ તેમની ટેવ મુજબ, કમર પર એક સફેદ ધોતી અને બદન પર એવી જ સફેદ શાલ લપેટીને ગયા હતા. અને તે પણ લંડનની કાતિલ ઠંડીમાં!

તેઓ પૂર્વ લંડનના કોમ્યુનિટી સેન્ટર કિંગ્સલી હોલમાં રોકાયા હતા. તેમનું એક પ્રવચન લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં પણ યોજાયું હતું. ગોળમેજી પરિષદમાં ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસ તરફથી માત્ર તેઓ જ હાજર હતા. એલ.એસ.ઈ.ના ગ્રેજ્યુએટ ડૉ. આંબેડકર દલિત લોકોના પ્રતિનિધિ તરીકે  ઉપસ્થિત હતા. 

મજાની વાત એ છે કે કિંગ્સલી હોલમાં રોકાણ દરમિયાન ગાંધીજીએ યુક્રેનમાં જન્મેલા ચિત્રકાર જેકોબ ક્રેમરને તેમનું એક બ્લેક એન્ડ વ્હાઈટ ચોકથી ચિત્ર દોરવા દીધું હતું. લગભગ એ જ સમયે, વેસ્ટ એસેક્સ યુનિયનિસ્ટ એસોસિએશનની કાઉન્સિલમાં બ્રિટનના ભાવિ વડા પ્રધાન ચર્ચિલનું એક સંબોધન યોજાયું હતું. 

ચર્ચિલ ગોળમેજી પરિષદના અને ખાસ તો ભારતને આઝાદી આપવાના પ્રખર વિરોધી હતા અને એ અકળામણમાં તેમણે કહ્યું હતું; “મિડલ ટેમ્પલમાં વકીલાત કરીને હવે વિદ્રોહી બનેલા મિ. ગાંધી રાજા સમ્રાટના પ્રતિનિધિ સાથે સમાન શરતો પર વાટાઘાટો કરવા માટે અર્ધ-નગ્ન ફકીરની અવસ્થામાં વાઇસરિગલ મહેલનાં પગથિયાં ચઢીને આવે તે જોવું ચિંતાજનક અને ઘૃણાસ્પદ પણ છે.”

સ્વતંત્રતા સંગ્રામ માટે દેશના તમામ ભાગોમાંથી આપણા લોકોના સમર્થન મેળવી રહેલા ગાંધીજી પેન્ટ અને શર્ટમાં મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે તેઓ તમિલનાડુમાં ફરતા હતા, ત્યારે એક દિવસ તેમણે ત્યાંના ખેડૂતોને અર્ધ નગ્ન ધોતી અથવા ટુવાલ લપેટીને જમીન ખેડતા જોયા હતા. 

ત્યારે તેમને પહેલીવાર અહેસાસ થયો હતો કે તેમના દેશવાસીઓ પાસે શરીર ઢાંકવાનાં પૂરતાં કપડાં નથી અને તેઓ ઇંગ્લિશ પેન્ટ-શર્ટ-ટાઈમાં સજ્જ છે. તે દિવસે તેમણે નક્કી કર્યું હતું કે તેઓ તેમના દેશવાસીઓની જેમ જ કપડાં પહેરશે. જે નિર્ણય તેમણે 30 જાન્યુઆરી, 1948ના રોજ અંતિમ શ્વાસ સુધી જાળવી રાખ્યો હતો!

લંડનમાં એ જ સંબોધનમાં ચર્ચિલે મહાત્માને ‘દુષ્ટ વિનાશક દુરાગ્રહી’ પણ ગણાવ્યા હતા, પરંતુ બીજા દિવસનાં સમાચારપત્રોએ પોતડી પહેરેલા ગાંધીના ચિત્ર સાથે ‘અર્ધ-નગ્ન ફકીર’વાળી ટિપ્પણીને ઉછાળી હતી. ગોળમેજી પરિષદમાં કોઈ ફલશ્રુતિ વગર, તેઓ 5મી ડિસેમ્બર 1931ના રોજ બ્રિટનથી રવાના થયા હતા. બ્રિટનને તે તેમની અંતિમ યાત્રા હતી.

ચર્ચિલ સાથે તેમના મુશ્કેલ સંબંધની પણ તે શરૂઆત હતી. ચર્ચિલ આજીવન ગાંધી અને ભારતની આઝાદીના વિરોધી રહ્યા હતા. ભારતનાં રાષ્ટ્રપ્રેમી સમાચારપત્રોએ ‘અર્ધ-નગ્ન ફકીર’ શબ્દ પકડી લીધો હતો અને તેને ભારતનું અપમાન ગણાવ્યું હતું. 

ગાંધીજીએ જો કે તે અપમાનને ગૌરવ તરીકે લીધું હતું. 13 વર્ષ પછી, ચર્ચિલ વડા પ્રધાન બન્યા ત્યારે 1944માં મહાત્માએ તેમને એક પત્રમાં તેમની ટિપ્પણી આ રીતે યાદ કરાવી હતી;

“ડીયર પ્રાઈમ મિનિસ્ટર,

તમે મારા જેવા એક સાધારણ ‘નગ્ન ફકીર’ને નષ્ટ કરવાની ઈચ્છા સેવી છે એવું કહેવાય છે. હું લાંબા સમયથી ફકીર, અને તે પણ નગ્ન, બનવાનો પ્રયત્ન કરી રહ્યો છું – જે ઘણું મુશ્કેલ કામ છે. એટલે, તમારી એ અનાયાસ ટિપ્પણીને હું મારી પ્રશંસા ગણું છું. એટલે, હું એ એ જ રીતે તમારો સંપર્ક કરી રહ્યો છું. મારી વિનંતી છે કે તમે મારા પર ભરોસો મુકજો અને તમારા લોકો, મારા લોકો અને તે સૌ મારફતે દુનિયાના લોકોની ભલાઈ માટે મારો ઉપયોગ કરજો.

તમારો વિશ્વાસુ મિત્ર

એમ.કે. ગાંધી”

(પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 09 માર્ચ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગુજરાતમાં દારૂબંધી નામની જ છે … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 March 2025

રવીન્દ્ર પારેખ

આમ તો ગાંધીજી વિશ્વના છે, પણ તેમનો એકડો કાઢવામાં તેઓ ગુજરાતના જ રહી ગયા હોય ને દારૂબંધી પણ નામની જ રહી ગઈ હોય એમ બને. જો કે, હવે ગાંધી ગુજરાતના ય કેટલા રહ્યા હશે તે સવાલ જ છે. વળી વિકાસ પણ હવે એટલો થયો છે કે ગુજરાતનાં મુગટમાં ડ્રગ્સનું નવું છોગું પણ ઉમેરાયું છે. ગુજરાતનો દરિયા કાંઠો ડ્રગ્સ ઉતારવા માટે જ બન્યો હોય તેમ છાશવારે અહીં ડ્રગ્સ ઊતરે છે ને ધીમે ધીમે ખતરનાક રીતે તે ગલી-મહોલ્લાઓમાં પહોંચે પણ છે. 

રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દારૂબંધી જાળવવા ને ડ્રગ્સ માફિયાઓને જેર કરવા બોલે છે તો ઘણું, પણ પરિણામ વધુ દારૂ પકડાવામાં ને દરિયે વધુ ડ્રગ્સ ઉતારવામાં આવે છે. દારૂબંધી હોય એવું જરા પણ યાદ ન આવે એ રીતે, દારૂની હેરફેર, રેલવે દ્વારા ઘણાં શહેરોમાં વિના રોકટોક ચાલે છે. બુટલેગરો ‘બૂટ’ અને ‘લેગ’ દોડતા રાખીને દારૂની હેરફેર, ટ્રેનમાં સરળતાથી કરી શકે છે. તેમની સત્તા એટલી છે કે ગમે ત્યાં ટ્રેનનું ચેઇન પુલિંગ કરીને, વચ્ચે જ ટ્રેન થોભાવીને દારૂનાં પોટલાં ઉતારી લે છે. આવાં તત્ત્વોને જેર કરવાને બદલે પોલીસ તેમની મદદમાં હોય તેવો નવસારીનો વીડિયો સામે આવ્યો છે. ગયે અઠવાડિયે બુટલેગરોએ નવસારી સ્ટેશને ચેન પુલિંગ કરીને ટ્રેન રોકી હતી અને તેમનો માલ ઉતાર્યો હતો. એ અંગે લોકોએ ઊહાપોહ કરતાં પોલીસ હાજર તો થઈ હતી, પણ તે બુટલેગરોને પકડવાને બદલે, તેમના સહાયકની ભૂમિકામાં હોય તેમ વર્તતી હતી. એથી સ્ટેશન પર હાજર પબ્લિક એટલી ઉશ્કેરાઈ હતી કે તેમણે પોલીસની હાજરીમાં જ રાજ્યના ગૃહ મંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા, તો કેટલાંક લોકો એવું પણ ચર્ચતા હતા કે હર્ષ સંઘવી હેલ્મેટ ફરજિયાત કરવા જીવ પર આવ્યા છે, પણ દારૂની હેરફેર રોકવાનું તેમને સૂઝતું નથી. છે ને કમાલ, બુટલેગરો પકડવા નથી ને હેલ્મેટ વગરનાને પકડીને સરકાર પોરસાયા કરે છે. તો, કેટલાક એમ પણ બોલતા હતા કે વર્ષોની મહેનત પછી ઊભાં કરેલાં મોદીના ગુજરાતને આ લોકો ડુબાડશે. 

મહિના પહેલાં જ એ.ટી.એસ.એ ખંભાતના સોખડામાં 100 કરોડનું 107 કિલો ડ્રગ્સ પકડાયાની માહિતી ગૃહ મંત્રી સંઘવીએ આપી અને ટીમને બિરદાવી પણ ખરી. એક તરફ બિરદાવવાનું ચાલે છે તો બીજી તરફ દારૂ-ડ્રગ્સની રેલમછેલ હોય તેમ ઠેર ઠેર પકડાપકડી ચાલે છે. ડભોઈ જેવામાં એક્ટિવા સવાર વિદેશી દારૂનો 3,69,560ની કિંમતનો જથ્થો લઈ જતો પકડાયો હતો. 28 ફેબ્રુઆરીના રોજ નડિયાદમાં દેશી દારૂ પીવાને કારણે ત્રણ જણાનાં મોત થયાં હતાં. જાન્યુઆરી 9, 2025ના સમાચારમાં 6 વર્ષ પર ઝડપાયેલા ડ્રગ્સના આરોપીને સુરત કોર્ટે 15 વર્ષની સજા ફટકારી હતી. વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી અને વિદેશી દારૂ અને પ્રતાપગંજ વિસ્તારમાં ડ્રગ્સનાં ખુલ્લેઆમ વેચાણના સમાચાર 18 ફેબ્રુઆરીએ આવ્યા હતા. વરસેક પર 4,160 કરોડના નશીલા પદાર્થો કચ્છમાંથી પકડાયાની વાત પણ છે. 21 ઓકટોબર, 2024 ને રોજ સુરતના મગદલ્લા વિસ્તારમાં ચાલતી પાર્ટીમાં દરોડા પાડીને ડ્રગ્સ, ગાંજો, દારૂને ઝડપી પાડવા ઉપરાંત 14 લોકોની ધરપકડ સી.આઇ.ડી. ક્રાઇમ બ્રાન્ચે કરી હતી. 

હોળી-ધૂળેટી આમ તો ધાર્મિક તહેવારો છે, પણ ઘણા દારૂ પી-પાઈને તેની ઉજવણી કરવામાં જ ધર્મ માનતા હોય છે. સુરતના કાપોદ્રા વિસ્તારની સોસાયટીઓ નજીક એક તબેલામાં દૂધને બદલે દારૂ ઝડપાયો હતો. ખેતીની જમીનમાં આવેલા તબેલામાં સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરતાં બે રૂમમાંથી 33.11 લાખની કિંમતની દારૂની 17,421 બોટલો ઝડપાઈ હતી. એ સાથે જ ટેમ્પોમાં વગે કરાતી 4.26 લાખની બીજી 2015 બોટલો પણ હાથ લાગી હતી. એ જ રીતે 1 ફેબ્રુઆરી, 2024ને રોજ રાજકોટમાં દૂધની જેમ દેશી દારૂ, ગાંજો, ડ્રગ્સ અને ચરસ વગેરે 25 જગ્યાએ વેચાઈ રહ્યાના સમાચાર હતા. 22 જૂન, 2024ને રોજ અમદાવાદથી 3.50 કરોડ અને કચ્છથી 5 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. 

કેટલાક નબીરાઓ દારૂની જેમ જ કાયદો પણ ઘોળીને પી જતાં હોય છે. આજના જ સમાચારમાં અમદાવાદના ઇસ્કોન પોલીસ ચોકી જેવા પોશ વિસ્તારમાં, જાહેરમાં, સાતેક નબીરાઓ દારૂ ઢીંચીને મ્યુઝિકના તાલે ઝૂમી રહ્યાનો વીડિયો વાઇરલ થયો છે. પોલીસે ત્રણેકની ધરપકડ તો કરી જ છે ને બાકીનાની તપાસ ચાલે છે. એનું પરમ આશ્ચર્ય છે કે પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકી નજીકમાં જ હોવા છતાં આ નબીરાઓ કાયદાની ઐસી તૈસી કરીને પૂરી બેશરમીથી દારૂની મહેફિલ માણી રહ્યા હતા. સવાલ તો એ પણ છે કે પોલીસ રાતભર ચેકિંગ કરતી હોવાનો દાવો કરે છે, છતાં નબીરાઓને મોજથી મહેફિલ માણવાનું મુશ્કેલ બન્યું ન હતું. ક્યાં તો પોલીસનું પેટ્રોલિંગ શંકાસ્પદ છે અથવા તો નબીરાઓને પોતાના પર એવો વિશ્વાસ છે કે પોલીસ તેમનું કૈં બગાડી શકે એમ નથી. 

આ જાણ્યા પછી એમ લાગે છે કે ગુજરાતમાં દારૂબંધી છે? લાગે છે તો એવું કે ગાંધી જેટલો જ દારૂબંધીનો પ્રભાવ ગુજરાતમાં રહી ગયો છે. સરકાર દાવાઓ તો ઘણા કરે છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પણ પકડવાનું ઓછું ને છોડવાનું વધુ ચાલતું હોય એમ બને. ગુજરાત વિધાનસભામાં સરકાર જ બે દિવસ પર માહિતી આપે છે કે અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના 8 જિલ્લાઓમાંથી એક જ વર્ષમાં 2 લાખથી વધુ લિટરની દેશી દારૂની અને 30 લાખથી વધુની વિદેશી દારૂની બોટલો પકડાઈ છે. વાત કરોડો રૂપિયાનો દારૂ પકડવા પૂરતી સીમિત નથી રહી, પણ ચરસ અને અફીણનો કરોડોનો જથ્થો પણ પકડાયો છે તે ચિંત્ય છે. માત્ર નવસારી જિલ્લામાં જ એક વર્ષમાં 9.22 લાખની કિંમતની વિદેશી દારૂની બોટલો ઝડપાઈ છે. નવસારીમાં જ 60 કિલોથી વધુ ચરસનો જથ્થો તથા 21.5 કિલોથી વધુ ગાંજાનો જથ્થો પકડાયો છે. દાહોદ તાલુકામાંથી 1,002 કિલો અફીણ, ઝાલોદમાં 2,286 કિલો અફીણ ને 1,135 કિલો ગાંજો ઝડપાયો છે. પાટણથી 2થી વધુ કિલો અફીણ અને 177 કિલોથી વધુ ગાંજો, મહેસાણાથી 225થી વધુ કિલો અફીણ, આણંદથી 720 કિલો ગાંજો તથા વડોદરાથી 6 કિલો અફીણ, 10 ગ્રામ ચરસ, 600 કિલો એમ.ડી. ડ્રગ્સ, અને 136 કિલો ગાંજો પકડાયો હતો. 

ટૂંકમાં, ગુજરાત હવે દારૂ ઉપરાંત ડ્રગ્સ, ગાંજા, ચરસનું મુખ્ય મથક બની ગયું છે. અહીં એવો બચાવ જરૂર થઈ શકે કે પોલીસ તંત્રની સક્રિયતાને લીધે જ દારૂ, ડ્રગ્સ પકડાય છે. એ સાચું જ છે, પણ આટલો માલ ગુજરાતમાં ઊતરે છે તે પણ ખરું કે કેમ? એ આવે છે કોની મહેરબાનીથી તે પ્રશ્ન પણ સત્તાધીશોને થવો જોઈએ. વળી જે માલ આવે છે, તે બધો જ પકડાય છે એવું ક્યાં છે? અનેક ગણો દારૂ કે ડ્રગ્સ નથી પણ પકડાતું તે ય ખરુંને ! એ ઝાલોદ, દાહોદ, મહેસાણા, આણંદ … વગેરે નગરોમાં પહોંચે છે ને ત્યાંની પ્રજાને બરબાદ કરે છે તે જોખમ અંગે વિચારવાનું ખરું કે કેમ? આનો સૌથી વધુ ભોગ એ યુવા પેઢી બને છે જે આવતીકાલનું ભવિષ્ય છે. એ અંગે સરકારે કૈં કરવાનું રહે છે કે પછી આ પેઢીઓને બરબાદ થતી સાક્ષી ભાવે જોયા કરવાની છે? 

ગુજરાતનાં અનેક શહેરોમાં જીવલેણ અક્સ્માતોનું પ્રમાણ અનેકગણું વધ્યું છે. માત્ર અમદાવાદની જ વાત કરીએ તો ગયા વર્ષે અમદાવાદમાં 1,314 અકસ્માતમાં 406 લોકોનાં મોત થયાં હતાં. ગયે વર્ષે જ ગંભીર ઇજાઓની 718 ઘટનાઓ સામે આવી હતી. છેલ્લા બે મહિનામાં 166 અકસ્માતો થયા, જેમાં 40નાં મોત થયાં ને 82ને ગંભીર ઇજાઓ થઈ. અમદાવાદની જ વાત કરીએ તો અકસ્માતના જ રોજના 4 બનાવો બને છે. હેલ્મેટ ફરજિયાત થવા છતાં, અકસ્માતોનું પ્રમાણ ઘટતું નથી. એમાં મોબાઈલ પર ચાલુ વાતે વાહન ચલાવવાનું દુસ્સાહસ, અત્યંત ઝડપથી વાહન ચલાવવાની ઉતાવળ ને બીજા કારણો હશે, પણ નશાની હાલતમાં વાહન ચલાવવાની ઉતાવળ ને બેદરકારી ભયંકર પરિણામોનાં કેન્દ્રમાં છે. 

એમ લાગે છે કે દારૂબંધી નથી એવા રાજ્યમાં, દારૂ અને ડ્રગ્સથી થતાં નુકસાન કરતાં, દારૂબંધીવાળા  ગુજરાતમાં થતું નુકસાન વધારે હોય તો નવાઈ નહીં !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 માર્ચ 2025

Loading

EU અને ભારતની મૈત્રીઃ  વૈશ્વિક સ્તરે રાજકીય એકલતા વેઠવા કરતાં દોસ્તો એકઠા કરવામાં શાણપણ 

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|9 March 2025

ભારત વિશ્વની સૌથી આધુનિક આર્થિક તાકાત નથી એ સાચું પણ ભારત પાસે એટલી સગવડ અને શક્યતાઓ છે જેના ઔદ્યોગિક પાયો યુરોપના આર્થિક લક્ષ્યને માર્ગ કરી આપે

ચિરંતના ભટ્ટ

યુરોપિયન કમિશનના પ્રેસિડન્ટ પોતાનાં સાથી કમિશનર્સની સાથે ભારતની મુલાકાતે આવ્યાં હતાં. આ મુલાકાત સરકારી પ્રોટોકોલ્સ પ્રમાણે જ હોય તે સ્વાભાવિક છે, છતાં પણ એમ લાગ્યું કે આ આખી ઘટના સહેજ ઉતાવળે નક્કી થઇ અને તેની પાછળ ભારત સાથેના સંબંધો પાકા કરી લેવાનો ઇરાદો હતો. ડોનાલ્ડ ટ્રમ્પનું અમેરિકાના પ્રેસિડન્ટ થયા પછી એવી પરિસ્થિતિ ખડી થઈ કે ઘણાબધા રાષ્ટ્રોએ પોતાના રાજકીય ભૌગોલિક સંબંધોમાં તેલ પૂરીને બધું તાજું અને સાજું કરી લેવાની અનિવાર્યતાને પ્રાધાન્ય આપ્યું. એમાં ય ભારતની સ્થિતિ એવી છે કે તેને અમેરિકા સાથે તો સારાસારી છે જ પણ ટ્રમ્પ તો મનસ્વી છે અને એટલે જ ભારતને એમ થાય કે બીજા રાષ્ટ્રો સાથે આપણે સારા સંબંધો હોય તો એ જળવાઈ રહે તો સારું રહે. એક તરફ ભારતીય વડાના મગજમાં આ વિચાર હોય તો બીજી તરફ વૈશ્વિક સ્તરે બદલાઈ રહેલા સમીકરણોમાં યુરોપીય દેશોને પણ દોસ્તની જરૂર પડે અને માટે ભારત સાથે સંબંધો પાકા કરી લેવાની અનિવાર્યતા તેમને પણ સમજાય. 

ભારત અને યુરોપના સંબંધો ખરાબ નથી રહ્યા પણ તેમાં નૈકટ્ય અને મજબૂતાઈનું પ્રમાણ માપસર રહ્યું છે. અત્યારે જે સંજોગો છે એ જોતાં યુરોપીય યુનિયન માટે ભારત આધાર રાખી શકાય તેવો એ આર્થિક અને વ્યૂહાત્મક સાથીદાર બની શકે છે. ભારતનો વિસ્તાર અને આર્થિક વિકાસ બન્ને યુરોપિયન યુનિયન માટે આકર્ષણનું કારણ રહ્યાં છે. આ કારણે જ અત્યાર સુધી બાજુમાં મુકાયેલી આ સંબંધોની ફાઇલ પરની ધૂળ ઉડાડવામાં હવે મોડું કરવા જેવું નથી. ખાસ કરીને યુરોપિયન યુનિયન માટે આ બહુ જરૂરી છે કારણ કે વૈશ્વિક રાજકારણની ગોઠવણમાં યુરોપ એકલું નથી પડી ગયું તેની ધરપત પોતાને માટે તો જરૂરી છે જ પણ અન્ય રાષ્ટ્રોને પણ એ સંદેશો પહોંચે તે જરૂરી છે.

યુરોપિયન કમિશન પ્રેસિડન્ટ ઉર્સુલા વોન ડે લિયાનની વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક થઇ અને ત્યાર પછીને જાહેરાતો ભારત અને યુરોપિયન યુનિયનને વધુ નજીક લાવવાની દિશામાં હતી. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, ડિફેન્સ અને સિક્યોરિટીને લગતી ભાગીદારી જેવા મુદ્દાઓ પર નક્કર કામગીરી કરાશે તેમ જાહેર કરાયું.

અત્યારે યુરોપ જે હકારાત્મક ઊર્જા દર્શાવે છે તે ત્રણ વર્ષ પહેલાંની સ્થિતિથી સાવ જ અલગ છે. જ્યારે રશિયાએ યુક્રેન પર ચઢાઈ કરી ત્યારે ભારતે રશિયાની ટીકા નહોતી કરી અને એવું ય નથી કે ભારતે હવે પોતાનું વલણ બદલી નાખ્યું છે. પણ યુરોપિયન રાજકારણના વર્તમાન સંજોગોમાં યુરોપિયન યુનિયનને એ સમજાઈ ગયું છે કે ભારતમાં જે પણ અપૂર્ણતા હોય, અધૂરપ હોય એ બધું બાજુએ મૂકીને વ્યૂહાત્મક રીતે માત્રને માત્ર બે દેશો વચ્ચેની આપ-લે અને વાટાઘાટોને અગ્રિમતા આપીને સંબંધ મજબૂત કરવા જરૂરી છે. યુરોપને માટે અત્યારે પસંદગી કરવી અઘરી થઇ છે. સુરક્ષામાં મદદને મામલે યુ.એસ.એ.નો વિકલ્પ નથી તો આર્થિક સંબંધોને મામલે ચીનની જગ્યા કોઈ લઇ શકે એમ નથી – આવામાં યુરોપને નવી ભાગીદારીમાંથી જે મળશે એમાં ખુશ રહેવું પડશે. યુરોપને આ નવી દોસ્તીમાંથી જે મળશે તે યુરોપને જે ગુમાવવું પડશે તેની સરખામણીએ બહુ નાનું હશે, પણ ન મામા કરતાં કાણો મામો શું ખોટો વાળું ગણિત યુરોપિયન યુનિયનના મનમાં હોય તે સ્વભાવિક છે. હાથમાં હોય અને નજર સામે હોય બન્ને ગુમાવવાને બદલે જે થોડું ઘણું સાચવી લેવાય તે સાચવી લેવું પડે એવી સ્થિતિ છે. આવામાં યુરોપે તો ભારત કરતાં ય નાના પાયે વ્યાપારી તાકાત ધરાવતા હોય એવા દેશોને ય દોસ્તીની સલામ કરી છે – જેમ કે બ્રાઝીલ, આર્જેન્ટિના, પેરાગ્વે અને ઉરુગ્વે. આ એવા દેશો છે જેમના વિશે આપણે વૈશ્વિક રાજકારણ કે અર્થતંત્રને મામલે ભાગ્યે જ ચર્ચામાં મોટો હિસ્સો તેમના ભાગે આવતો હોય છતાં પણ યુરોપિયન લીડર્સે બને એટલા દેશ સાથે દોસ્તી સાચવી લેવાનું નક્કી કર્યું છે. વળી જાપાન, દક્ષિણ અમેરિકા, ભારત અને ગલ્ફ રાષ્ટ્રો સાથે સંબંધો બાંધીને વ્યાપારી પાસાને સબળ કરવાની દિશામાં પણ યુરોપિયન નેતૃત્વએ કમર કસી છે. ભૂતકાળમાં વ્યાપાર અને સુરક્ષાને મામલે તેમણે યુ.એસ.એ. પર જ આધાર રાખ્યો હતો પણ હવે તેને આધારે બેસી રહેવાનું પોસાય તેમ નથી.  

અમેરિકાના પ્રમુખે કોઈની સાડાબારી રાખ્યા વિના લગભગ માફિયાગીરી ચાલુ કરી છે તેમાં આગામી દસકો તોફાની રહેવાનો છે. વળી અમેરિકાથી શરૂ થયેલું તોફાન આર્થિક રાજકીય રીતે અન્ય દેશોને ય અસર કરશે અને માટે જ યુરોપ માટે સલામતી અને વ્યાપાર – આ બન્ને બાબતો માટે ભારત સાથે સંબંધો કેળવવા જરૂરી છે. ભારત વિશ્વની સૌથી આધુનિક આર્થિક તાકાત નથી એ સાચું પણ ભારત પાસે એટલી સગવડ અને શક્યતાઓ છે જેના ઔદ્યોગિક પાયો યુરોપના આર્થિક લક્ષ્યને માર્ગ કરી આપે. આપણે ત્યાં પ્રાથમિક તબક્કાની ઉત્પાદન ક્ષમતા વધારવાનું માળખું વ્યવસ્થિત છે. યુરોપિયન કમિશનનાં પ્રેસિડન્ટે યુરોપિયન યુનિયન સાથે ડિફેન્સ પ્રોજેક્ટમાં જોડાવામાં ભારતને રસ હોવાનું જાહેર કર્યું છે. યુરોપ માટે મેન્યુફેક્ચર – ઉત્પાદન કરવાનું આવે તો ભારતીય કંપનીઓ પોતાની કામગીરીનો વ્યાપ આગલા તબક્કે લઇ જઇ શકે. આ સંજોગોમાં બન્નેને ફાયદો થશે, જે એક સારા રાજકીય સંબંધની નિશાની છે. 

યુરોપની વ્યથા નાની નથી કારણ કે ચીન પ્રતિસ્પર્ધી છે તે સમજીને તેની સામે કઈ રીતે વ્યૂહરચના કરવી તે દિશામાં યુરોપે વિચાર્યું ત્યાં ખબર પડી કે યુ.એસ.એ.એ પણ આ સ્પર્ધામાં ઝંપલાવ્યું છે. બે મોટા માંથા સાથેની સ્પર્ધામાં ટકી રહેવું હોય તો નવા અને નાના પણ મજબૂત રાષ્ટ્રોની મદદ જોઇએ તે સ્વાભાવિક છે. યુરોપ સાથે વ્યાપારી વાટા-ઘાટની વાત કરીએ તો ચીન સપ્લાય ચેનને મામલે બહુ બળૂકો દેશ છે અને ભારત તેની બરોબરી તો નહીં કરી શકે. વૈશ્વિક વ્યાપારને મામેલ ચીન અને યુરોપિયન યુનિયનનો હિસ્સો પંદર ટકા છે જ્યારે ભારતનો હિસ્સો માંડ બે ટકા છે, છતાં પણ યુરોપિયન યુનિયનના અન્ય કોઈ પણ ભાગીદાર કરતાં ભારત તેની સાથે વધુ વ્યાપારી લેવડ-દેવડ ધરાવે છે. ભારત યુરોપિયન યુનિયનના વ્યાપારી ભાગીદારોની યાદીમાં નવમા સ્થાને છે. યુરોપના અર્થતંત્રમાં ભારતનો ફાળો નાનો છે પણ નહિવત્ નથી. 

અત્યારે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ મલ્ટિલેટરાલિઝમ – એટલે કે પક્ષીયતાથી પોતાને દૂર કરી રહ્યા છે. જેમાં એક સાથે અનેક રાષ્ટ્રો ભેગાં મળીને વૈશ્વિક મુદ્દાઓ ઉકેલે, નિર્ણય લે અને આંતરરાષ્ટ્રીય કાયદા ઘડે. ટ્રમ્પને અત્યારે એવું કંઇ નથી કરવું, તેના સ્વાર્થમાં માત્રને માત્ર અમેરિકા છે – કારણ કે અમેરિકાનું અર્થતંત્ર, વ્યવસ્થા અંદરથી સાવ પાંગળા થઈ ગયાં છે. ફાંકાં મારતા હોય એમ ભલે લાગતું હોય પણ અમેરિકા પર તોતિંગ આર્થિક બોજો છે. આવા સંજોગોમાં યુરોપિયન યુનિયને નિયમો આધારિત તંત્રથી દેશોને જોડી રાખ્યા છે અને માટે જ એકતાની તાકાતથી માથાભારે રાષ્ટ્રો સામે ટકી શકાય તે દિશામાં યુરોપિયન યુનિયન કામ કરવા માગે છે.  

બાય ધી વેઃ 

અચાનક જ ભારતીય વડા પ્રધાન સાથેની દોસ્તીનું પ્રદર્શન યુરોપની બેચેની છતી કરી દેનારું લાગી શકે પણ યુરોપિયન યુનિયનને અત્યારે એવી કોઈ ફિકર નથી સતાવી રહી. પોતે એકલા પડી ગયા છે તેવું લાગે તેના કરતાં પોતાની ટીમમાં ય કોઈ છે એવું બતાવવામાં જ શાણપણ છે તે યુરોપિયન યુનિયન જાણે છે. વળી ભારત પણ સારી પેઠે સમજે છે કે પોતે હજી એટલો તાકાતવર નથી કે એકલા હાથે યુરોપિયન યુનિયનના પડકારો ઉકેલી દે પણ સારાસારી રાખવાનો પ્રયત્ન એળે નહીં જાય એ પણ એક સત્ય છે. યુરોપ એકલું પડ્યું છે, તેને પોતાનો રસ્તો જાતે કરી લેવાનું અમેરિકાએ કહી દીધું છે ત્યારે મૈત્રીની ડિપ્લોમસી જ હામ બંધાવે. ભારત માટે આ એક સારો મોકો છે જેના થકી તે પારકી પંચાતમાં પ્યાદું બનવાને બદલે પોતાની ક્ષમતાનો વ્યાપ કરી વધુ મજબૂત બની શકે અને વૈશ્વિક રાજકારણમાં પોતાની ચાવીરૂપ ભૂમિકાને વધુ ધારદાર બનાવી શકે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 માર્ચ 2025

Loading

...102030...222223224225...230240250...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved