Opinion Magazine
Number of visits: 9574290
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિંદુ વિચાર અને હિંદુમાનસ કઈ રીતે વિકસ્યા ?

રમેશ ઓઝા|Opinion - Opinion|17 August 2020

 

त्वं नो अस्या इन्द्र दुर्हणांया पाहि वज्रिवो दुरितादभीके
प्र नो वाजान् रथ्योर अश्वबुध्या निषे यन्धि श्रवसे सुनृताये

ઋગ્વેદના પહેલા મંડળના ૧૨૧માં અધ્યાયનો આ ૨૧મો મંત્ર, પ્રારંભના કાળમાં, હિંદુમાનસ શેનાથી ઘડાયું તેનું ઠીકઠીક પ્રતિનિધિત્વ કરે છે. આ મંત્રનો અર્થ પ્રાચીન હિંદુ ભારતમાં રાષ્ટ્રવાદના શોધકર્તા અને વેદમૂર્તિ તરીકે ઓળખાતા પંડિત સાતવળેકર આ મુજબ કરે છે : હે વજ્રધારી ઇન્દ્ર, તુ અમારી કઠણાઈ અને દુર્ગતિથી અમારી રક્ષા કર. પાપથી અમને બચાવ. સંગ્રામમાં અમારી રક્ષા કર. તું અમને બળ, યશ અને ઉત્તમ સત્યપૂર્ણ વ્યવહાર માટે રથ અને ઘોડાથી યુક્ત ધન પ્રદાન કર.

આ મંત્ર ફરી એકવાર વાંચી જાવ અને તે શું કહે છે એ સમજવાની કોશિશ કરો. પ્રાચીન વૈદિકયુગથી આગળ જતાં હિંદુ-વિચારવૃક્ષ કેવી રીતે વિકસ્યું હશે એની કલ્પના કરી જુઓ જેનાથી હિંદુમાનસ ઘડાયું છે. આમાં ઋષિ કોઈને મારવાની માગણી નથી કરતા, રક્ષણ કરવાની માગણી કરે છે. પાપથી રક્ષા કરવાની માગણી કરે છે. બીજા અનેક મંત્રો એવા છે જેમાં અહિંસાના રક્ષક દેવો પાસે હિંસાનો માર્ગ અપનાવનારાઓથી રક્ષણની માગણી કરવામાં આવી છે. કઠણાઈ અને દુર્ગતિથી રક્ષા કરવાની માગણી કરે છે.

એક રીતે જુઓ તો એમાં યાચના છે. યાચના છે શત્રુઓથી બચાવવાની, પણ શત્રુને ગાળો આપવામાં આવી હોય અને તેનો નાશ કરવા જેટલી શક્તિ માગવામાં આવી હોય એવા મંત્ર વેદોમાં તમને ભાગ્યે જ જોવા મળે છે. યાચના છે; કઠણાઈઓથી અને પાપથી બચાવવાની. એમાં બળ અને યશની યાચના જરૂર કરવામાં આવી છે, પણ શા હેતુ માટે? ઉત્તમ સત્યપૂર્ણ વ્યવહાર માટે. આ અર્થઘટન પંડિત સાતવળેકરનું છે; જેમણે આખી જિંદગી વેદોમાં અને પ્રાચીન હિંદુ ગ્રંથોમાં રાષ્ટ્ર અને રાષ્ટ્રવાદ શોધવામાં વિતાવી છે, રવીન્દ્રનાથ ટાગોરનું નથી જે રાષ્ટ્રવાદને અભિશાપ માનતા હતા.

હવે કલ્પના કરી જુઓ, કે હિંદુ-વિચારવૃક્ષ કેવું હશે અને હિંદુ-માનસ શેનાથી ઘડાયું હશે! એમાં યાચના છે એટલે પુરુષાર્થ નથી. સરેરાશ હિંદુ અભ્યર્થનાઓ કરવામાં અને ઈશ્વરી વરદાન મેળવવામાં રચ્યોપચ્યો રહે છે. એમાં કોઈને મારવાની, આક્રમણ કરીને પરાજિત કરવાની કામના નથી, પણ રક્ષા કરવાની માગણી કરવામાં આવે છે. આને પરિણામે હિંદુમાનસ દૈવવાદી, પ્રારબ્ધવાદી અને કર્મકાંડી બન્યું છે. આને પરિણામે હિંદુમાનસ અંતર્મુખી વધુ છે બહિર્મુખી ઓછું છે. એમાં શક્તિ અને યશ માગવામાં આવ્યાં છે તો એ ઉત્તમ સત્યપૂર્ણ વ્યવહાર માટે.

વેદોમાં જેટલી કામનાઓ કરવામાં આવી છે એમાં અડધી પોતાના રક્ષણ માટેની અને પોતાના અંગત કલ્યાણ માટેની છે અને બાકીની અડધી સાર્વત્રિક શુભ માટેની અથવા માંગલ્ય માટેની છે. સુજ્ઞ વાચકના ધ્યાનમાં અહીં એક વાત આવી હશે કે જે સ્થૂળ લાભની કામના છે એ પોતાના માટેની અંગત છે અને જે ઉદાત્ત કામનાઓ છે એ બધા માટેની સાર્વત્રિક છે. આ બહુ મોટી વાત છે. બધાનું કલ્યાણ ઇચ્છવું અને વારંવાર ઇચ્છવું એ સાચા માણસનાં લક્ષણ છે. મારી વાત ગળે ઊતરતી ન હોય તો તમારી સગી આંખે અથવા પંડિત સાતવળેકરજી જેવા રાષ્ટ્રવાદીની આંખે પ્રાચીન હિંદુ સાહિત્ય તપાસી જુઓ. એમાં મહદ્ અંશે માંગલ્ય નજરે પડે છે અને એક હિંદુ તરીકે હું ગર્વ અનુભવું છું.

જ્યારે હિંદુવલણ વધુને વધુ યાચનાપરક પ્રારબ્ધવાદી બનવા માંડ્યું, જ્યારે તેના પરિણામે તેમાં કર્મકાંડોનો અતિરેક થવા લાગ્યો અને મૂળ વૈદિક અંતર્મુખતા લાલચમાં પરિણમીને બહિર્મુખ થવા લાગી ત્યારે બુદ્ધ અને મહાવીરે તેમાં સુધારો કર્યો હતો. એ સુધારો એટલે શ્રમણદર્શન. શ્રમણદર્શનના કેન્દ્રમાં છે, યાચના અને પ્રારબ્ધની જગ્યાએ પુરુષાર્થ. પણ પુરુષાર્થ શેને માટે? આપણી અંદર જે રિપુઓ છે તેને પરાજિત કરવા માટે. માટે તો જૈનોના ૨૪માં તીર્થંકર વર્ધમાન ભગવાન ‘મહાવીર’ તરીકે ઓળખાય છે. ‘મહાવીર’ એ છે જે આપણી અંદર રહેલા રિપુઓ ઉપર વિજય મેળવે. મહામૂલ્યવાન એક જિંદગી મળી છે તો તેનો ઉપયોગ અંદરના રિપુઓ ઉપર વિજય મેળવીને તેને સાર્થક કરવા માટે ખર્ચવી છે. 

ઇતિહાસમાં હિંદુઓ પરાજિત થતા આવ્યા એનું કારણ અંતર્મુખ હિંદુમાનસ છે. હિંદુઓ તો મુસલમાનો આવ્યા એ પહેલાં પણ પરાજિત થતા આવ્યા છે. શક, હૂણ, યવન એમ બધા સામે હિંદુઓનો પરાજય થયો છે. હિંદુએ તેની ક્યારે ય ગ્લાનિ પણ નહોતી અનુભવી કારણ કે હિંદુ નામની કોઈ ઓળખ જ નહોતી. એ તો ‘પોતાના’ રક્ષણની અને ‘બધાના’ મંગળની કામના કરતો આવ્યો છે. ઠીક છે, ઈશ્વરે રક્ષણ નહીં કર્યું, પણ એનો અર્થ એવો નથી કે બધાના મંગળની કામના કરવામાં ન આવે. હિંદુઓમાં આગળ જતાં જે પોતાપણું વિસ્તર્યું એ વર્ણ અથવા જ્ઞાતિના સ્વરૂપે, હિંદુ તરીકેનું નહીં. બ્રાહ્મણ વ્યક્તિ મટીને બ્રાહ્મણ બન્યો, પણ તે ક્યારે ય હિંદુ તો બન્યો જ નહોતો. તું હિંદુ છો એ તો વિદેશીઓએ આપણા પૂર્વજોને કહ્યું ત્યારે ખબર પડી કે આપણે હવે હિંદુ છીએ.

બહુ લાંબી લેખણે વિવેચન કરવાનો અહીં અવકાશ નથી એટલે સંક્ષેપમાં જણાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે હિંદુવિચાર અને હિંદુમાનસ કઈ રીતે વિકસ્યાં હતાં. આપણને કેવો વારસો ગળથૂથીમાં મળે છે. પહેલીવાર મુસલમાનોએ હિંદુઓને કહ્યું કે તમે હિંદુ છો અને પહેલીવાર અંગ્રેજોએ હિંદુઓને કહ્યું કે તમે પરાજિત પ્રજા છો. હિંદુઓને પરાજયબોધ અને ગ્લાનિ અંગ્રેજોએ પેદા કરીને આપી હતી કે જેથી હિંદુઓ અને મુસલમાનો વચ્ચે દુશ્મની વધે અને પોતે લાંબો સમય રાજ કરી શકે. એ પહેલા નહોતો પરાજયનો બોધ કે નહોતી ગ્લાનિ. અંગ્રેજોએ હિંદુઓને કરાવેલા પરાજયબોધનો ઉપયોગ મુસલમાનોએ હિંદુઓને ટોણા મારવા માટે અને નીચા દેખાડવા માટે કરવા માંડ્યો જેમાંથી હિંદુઓની અંદર એક પ્રકારની લઘુતાગ્રંથિ પેદા થવા લાગી.

આ લઘુતાગ્રંથિ હિંદુઓને સતાવે છે અને લઘુતાગ્રંથિ સ્વયં એક પરાજિત મનોદશા છે. હું એક હિંદુ તરીકે આવી કોઈ પરાજિત મનોદશા ધરાવતો નથી, લઘુતાગ્રંથિ ધરાવતો નથી, પ્રતિશોધ(વેર વાળવાની)ની અગ્નિથી બળતો નથી એટલે મારે હિંદુ લઘુતાગ્રંથિના પ્રતિકસમા અયોધ્યાના રામમંદિરમાં પગ મુકવાની જરૂર નથી. બીજું, હિંદુઓને પરાજયનો બોધ બીજાઓએ એટલે કે અંગ્રેજોએ કરાવ્યો છે, પણ હું કોઈ પ્રકારનો પરાજયબોધ અનુભવતો નથી. બહારના રિપુઓ કરતાં અંદરના રિપુઓ સામે યુદ્ધ કરવામાં અને તેને પરાજિત કરવામાં આયુષ્યસિદ્ધિ છે એવા હિંદુઅભિગમ માટે હું શરમ નથી અનુભવતો, બલકે ગર્વ અનુભવું છું. કોઈની જમીન કબજે કરવા કરતાં માણસાઈ કબજે કરવામાં જીવનની સાર્થકતા એમ જો કોઈ મને કહે તો હું એ સૂરમાં સૂર પુરાવું. પરાજિત મનોદશા અને લઘુતાગ્રંથિ ધરાવનારાઓએ જ્યાં બાબરી મસ્જીદ ઊભી હતી એ મુસલમાનોની જમીન બળજબરીથી કબજે કરી લીધી અને ત્યાં લઘુતાગ્રંથિજન્ય પ્રતિશોધના પ્રતિકરૂપે મંદિર બાંધ્યું છે એમાં ભગવાન રામ હોય ખરા? હું મર્યાદાપુરુષોત્તમ રામને તેમના સ્થાનેથી નીચે ઉતારવા નથી માગતો.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 ઑગસ્ટ 2020

Loading

ચીનને આખા વિશ્વે પાઠ ભણાવવાની જરૂર છે

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|17 August 2020

૭૪મું આઝાદીપર્વ હમણાં જ ઉજવ્યું ને લાલકિલ્લા પરથી ત્રિરંગો લહેરાતો આપણે માધ્યમો દ્વારા અનુભવ્યો. વડાપ્રધાને લગભગ દોઢેક કલાકનાં પ્રવચનમાં અનેક અંજલિઓ આપી ને સૌને ભાવથી યાદ કર્યા. આપણા વડાપ્રધાનો સૂત્રો આપતા આવ્યા છે ને એ સિલસિલો હજી પણ ચાલુ જ છે. ‘આરામ હરામ હૈ’, ‘જય જવાન, જય કિસાન’, ‘ગરીબી હટાવ’ ને એવા કૈંક સૂત્રો દેશની પ્રજાને અપાયાં ને હવે આપણે ‘મેઈક ઈન ઇન્ડિયા’, ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ સુધી આવ્યાં છીએ.

આવાં સૂત્રો એક ધ્યેય અને દિશા તો નક્કી કરે છે ને એનાથી પ્રજા દોરવાય છે ને તેનામાં ઉત્સાહ ને જોમ પણ ઉમેરાય છે. તે રીતે સૂત્રો જરૂરી પણ છે, પણ તેનાથી પેટ ભરાતું નથી. ‘ગરીબી હટાવ’વા જતાં ઘણાં હટી ગયાં ને ગરીબી હજી ત્યાં જ ઊભી છે. અનેક યોજનાઓ અને પેકેજો અનેક સરકારોએ જાહેર કર્યાં ને એ ક્રમ હજી જળવાયેલો જ છે, પણ એમાં પ્રજાની ભક્તિ વધી છે, શક્તિ વધી નથી. એ સાચું છે કે જેમ જેમ યોજનાઓ અને સૂત્રો વધ્યાં તેમ તેમ વસ્તી પણ વધી અને કરેલાં કામો દેખાય જ નહીં એવી સ્થિતિ પણ આવી. એ આજે પણ છે. ભ્રષ્ટાચાર છતાં, કામો થયાં જ છે, યોજનાઓનો અમલ પણ થયો જ છે. વીજળી, પાણી ને ખોરાકની દિશામાં પ્રગતિ થઈ જ નથી એવું નથી, પણ વાસ્તવિકતા એ છે કે ગમે એટલું કરો, પનો ટૂંકો જ પડે છે. એમાં ભ્રષ્ટ તંત્રો, પડોશી દેશોની સતત ચાલતી કનડગત, વધતી વસ્તી, આગ-રેલ-રોગચાળો-ભૂકંપ-પર્યાવરણીય પ્રશ્નો જેવી બાબતોને કારણે બે ડગલાં આગળ ચાલીને ત્રણ ડગલાં પાછળ આવવા જેવું જ થાય છે. એમાં કરેલું ધોવાઈ જાય છે.

આખા વિશ્વે એ વિચારવાની જરૂર છે કે સંરક્ષણ બજેટ ઘટે એવું શક્ય છે કે કેમ? એક વખત નહીં, અનેક વખત આ પૃથ્વીનો નાશ થઈ શકે એટલાં શસ્ત્રો આપણે વિકસાવ્યાં છે. આ વિકાસ ડરને કારણે થયો છે. કોઈ દેશ હુમલો કરે તો પોતાનું રક્ષણ કરવા અણુશસ્ત્રો આખા જગતે વિકસાવ્યાં છે. એવી સ્થિતિ નથી કે કોઈ દેશ હુમલો જ ન કરે ને દરેક પોતપોતાના દેશમાં શાંતિથી રહે. યુદ્ધ લાલચ વગર જન્મતું નથી. આ લાલચ અધિકાર વગરની હોય છે. એ લાલચ અતિક્રમણને જન્મ આપે છે ને એ યુદ્ધની ભૂમિકા બને છે. બબ્બે વિશ્વયુદ્ધો અને જાપાનના સર્વનાશ પછી પણ આપણે યુદ્ધોને બાજુ પર મૂક્યાં નથી તે વૈશ્વિક કમનસીબી છે. અણુકરારો કે ના-યુદ્ધ કરારો છતાં નાનામોટાં યુદ્ધો વિશ્વમાં થતાં જ રહ્યાં છે. એમાં ચીન જેવાને વિશ્વસત્તા બનવાની ચળ ઊપડી છે ને તેણે એક યુદ્ધમાં ન થાય એવી મોટી ખુવારીને, કોરોના દ્વારા આખા વિશ્વમાં જન્મ આપ્યો છે. એણે ભારત સાથે મૈત્રીનું નાટક કરીને સરહદી વિશ્વાસઘાત કર્યો ને ભારતની મુશ્કેલી વધારી છે. એ હજી ભારતને ૧૯૬૨નું ભારત જ સમજે છે. તેનો વળતો જવાબ ભારતે આપ્યો જ છે, પણ હજી વધારે કડકાઈથી ભારતે વર્તવાની જરૂર છે.

ખાસ કરીને આત્મનિર્ભર ભારતની વાત સાથે જે વાતો જતી નથી તે અંગે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. ભારતની નીતિ અત્યાર સુધી કાચા માલની નિકાસ કરીને તૈયાર માલની આયાત કરવાની રહી છે. આવું ક્યાં સુધી ચાલશે એવી ચિંતા ખુદ વડાપ્રધાને કરી છે. અહીં વાત આયાત ઘટાડવાની જ નથી, આત્મિક કુશળતા વધારવાની પણ છે. આપણે ખરેખર જ આત્મનિર્ભર થવા માંગતા હોઈએ તો આપણામાં રહેલા વિરોધાભાસો અંગે પુનર્વિચાર કરવાનો રહે છે.

ઉદાહરણ તરીકે ચીનની સાન ઠેકાણે લાવવા ભારતે ઢગલો ચાઇનીઝ એપનો જડબેસલાક બહિષ્કાર કર્યો. એની અસર પણ પડી. ચીન થોડું નરમ પણ પડ્યું. તેણે સરહદ પર છમકલાં ઘટાડ્યાં. તે સુધરી જવાનું નથી, પણ તેની મનમાનીમાં ફરક તો પડ્યો જ છે. આ બહિષ્કાર ચાલુ રહેવો જોઈએ, પણ એવું ઓછું જ થાય છે. વડાપ્રધાન એક તરફ આયાત ઘટાડવાની વાત કરે છે ને બીજી તરફ એ જ ચીન પાસેથી આયાત ચાલુ રાખે છે તે બેવડી નીતિ સમજાતી નથી.

આમ ગયાં વર્ષ કરતાં ચીની માલની આયાત ઘટી છે, પણ કોરોના કાળની શરૂઆતમાં આયાત બધા જ દેશોની ઘટી, તે જ રીતે ભારતની પણ ઘટી, પણ છેલ્લા થોડા મહિનાઓમાં ભારતની ચીન પાસેથી આયાત વધી છે. જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં ભારતે ચીન પાસેથી ૩૨.૨ અબજ ડોલરની આયાત કરી છે ને માત્ર જુલાઈની જ વાત કરીએ તો ભારતે ૫.૬ અબજ ડોલરની ચીજવસ્તુઓની આયાત કરી છે. ૨૦૧૯ની તુલનામાં આયાત ૨૪ ટકા ઘટી છે તે સાચું, પણ હાલના સંજોગોમાં, જ્યારે સંબંધો પૂરા વણસેલા હોય ને બહિષ્કારનો દોર ભારતે જ ચાલુ કર્યો હોય ત્યારે આટલી આયાત પણ શું કામ થવી જોઈએ તે પ્રશ્ન તો છે જ ! એમ કહેવાય છે કે આ આયાતો મેડિકલ પ્રોડક્ટ્સની છે. એનો અર્થ એ થયો કે આરોગ્યને મામલે હજી આપણે ચીન પર જ નિર્ભર છીએ. આ સ્થિતિ સુધરવી જોઈએ. એક તરફ ‘આત્મનિર્ભર ભારત’ની મોટે ઉપાડે જાહેરાત થતી હોય ને બીજી તરફ શત્રુ રાષ્ટ્રની ચીજવસ્તુઓ વગર આપણને ચાલતું ન હોય એ બરાબર નથી. અન્નક્ષેત્રે ભારત સ્વાવલંબી થયું જ છે, પણ મેડિકલ બાબતોમાં પણ આ સ્વાવલંબન અપેક્ષિત છે. એ રાતોરાત ન થાય તે સાચું, પણ સ્વતંત્રતા પ્રાપ્તિનાં ૭૩ વર્ષ પછી આટલી અપેક્ષા વધારે પડતી નથી.

જ્યાં સુધી ચીની માલની આયાતનો પ્રશ્ન છે ત્યાં સુધી ભારતે બહુ જ ચેતીને ચાલવા જેવું છે. ચીન સુપર પાવર થવા હવાતિયાં મારી રહ્યું છે ને તેને માટે તે કંઈ પણ કરી શકે એમ છે. ચીન દવાઓ ને અન્ય સામગ્રીમાં ભયંકર છેતરપિંડી કરી શકે એમ છે. તે જો કોરોના વિશ્વમાં ફેલાવી શકે તો ભારત સાથે તો તે ગમે તે હદની બદમાશી કરી જ શકે. એવામાં દવાઓને મામલે તે વિશ્વાસધાત ન કરે ને નકલી કે ઝેરી દવાઓ ન જ મોકલે એમ માનવાને કોઈ કારણ નથી. આ કોઈને કદાચ વધારે પડતું લાગે પણ તેણે ખેતીને ક્ષેત્રે તેવું કર્યાની વાત બહાર આવી છે.

એવી શંકા છે કે ભારત સહિત અમેરિકા અને અન્ય દેશોમાં એવું બિયારણ ચીને કુરિયર દ્વારા મોકલ્યું છે જે રોગ ફેલાવી શકે. ભારત સરકારના કૃષિ સંશોધન વિભાગને એવાં પેથોજન્સ (રોગકારકો) બિયારણમાંથી મળ્યાનું લાગ્યું છે ને તેણે એ અંગે તપાસ શરૂ કરી છે. ગુજરાત સરકારે પણ આવાં શંકાસ્પદ બીજ પાર્સલોથી ચેતવાની જાણકારી સંબંધિત વિભાગોને આપી છે. અમેરિકાએ પણ આ અંગે તપાસ શરૂ કરી છે ને તેને પાકી શંકા છે કે આવાં રોગકારક બિયારણ વિશ્વભરમાં ચીન પાર્સલ કરી રહ્યું છે. ભારતે અધિકૃત રીતે આ કામ ચીનનું જ છે એવું કહ્યું નથી, પણ ચીન તરફની શંકા અમેરિકાએ તો દર્શાવી જ છે. તે ગંભીરપણે માને છે કે પેથોજન્સ ધરાવતાં બીજ ચીન જ મોકલી રહ્યું છે. અમેરિકા ઉપરાંત કેનેડા, જાપાન, ન્યુઝીલેન્ડ, યુરોપના દેશોમાં પણ આવાં ખોટાં લેબલવાળાં પાર્સલો પહોંચ્યાની વાત બહાર આવી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચના વડાએ પણ એ મામલે ચિંતા પ્રગટ કરી છે કે આવાં પેથોજ્ન્સવાળાં બીજ કામમાં લેવાય તો અન્ન સુરક્ષાના ગંભીર પ્રશ્નો ઊભા થાય. કેટલાક મહિનાઓથી હજારો શિપમેન્ટ અનેક દેશોમાં આવાં બિયારણના પહોંચ્યાં છે ને તે અંગે તપાસ વૈશ્વિક લેવલે ચાલુ થઈ છે.

ટૂંકમાં આ પ્રકારનાં બિયારણ દેશની બાયોડાયવર્સિટીને નુકસાન પહોંચાડી શકે એમ છે, એટલું જ નહીં, તે ગંભીર પ્રકારના રોગોને આમંત્રણ પણ આપી શકે એમ છે. આવી સ્થિતિ હોય ત્યારે ચીનની કોઈ પણ પ્રકારની મદદ ભારતે કે અન્ય દેશોએ શું કામ લેવી જોઈએ? હાલના સંજોગોમાં ભારતે જ શું કામ, તમામ દેશોએ ચીનનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવો જોઈએ એવું નથી લાગતું? ચીનને પાઠ ભણાવવાનું આખા વિશ્વે નક્કી કરવું જોઈએ, કારણ તેણે આખું વૈશ્વિક સંતુલન અને અર્થકારણ ખોરવવાનો અક્ષમ્ય અપરાધ કર્યો છે ને આ તેને માટેની ઓછામાં ઓછી સજા છે. શું કહો છો?

૦

e.mail : ravindra21111946@gmail.com

Loading

સારપને સંકોરવાનું પુણ્યકાર્ય

હિમાંશી શેલત|Opinion - Opinion|17 August 2020

‘ભૂમિપુત્ર’ના વાચકવર્ગને એના અંતિમ પૃષ્ઠનું ખેંચાણ બહુ મોટું. સંભવ છે કે અંક મળે ત્યારે એ છેલ્લું પાનું જ પહેલું વંચાતું હોય! હરિશ્ચંદ્ર બહેનોની આ પ્રસ્તુતિ ખૂબ વાચકપ્રિય બનેલી. કાંતાબહેનના અવસાન બાદ હરવિલાસબહેને આ રજૂઆત સંભાળેલી અને એમની વિદાય પછી, 2010થી આશા વીરેંદ્ર દ્વારા આ વિશિષ્ટ વાચન સામગ્રીની સુપેરે માવજત આજ પર્યંત થઈ છે. દસ વર્ષના લાંબા પટ પર અન્ય ભાષાઓની કથાને આમ રજૂ કરવી, ચુસ્તીપૂર્વક એનું સાતસો-સાડી સાતસો શબ્દોનું માળખું જાળવવું અને મૂળ રચનાનાં હાર્દ અને રસને તથા વાર્તા પસંદગીમાં વિષય તથા પાત્ર વૈવિધ્યને ધ્યાનમાં રાખવાં, એ પૂરતી સજ્જતા અને નિષ્ઠાની અપેક્ષા રાખે એ સ્વયંસ્પષ્ટ છે.

આશા વીરેન્દ્ર આ લાંબા ગાળા દરમિયાન પોતાની સજ્જતા અને નિષ્ઠાનો સરસ પરિચય આપી શક્યાં છે. કેવળ પ્રાદેશિક જ નહીં, વિદેશી વાર્તાઓને પણ એમણે ‘ભૂમિપુત્ર’ના છેલ્લા પૃષ્ઠની આવશ્યકતા મુજબ ઢાળી છે, અને પરિણામે આ કથાઓએ સારી એવી લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. ધર્મ અને જાતપાતના, સામાજિક અને ભૌગોલિક તેમ જ સાંસ્કૃતિક સીમાડા વળોટી જનમાનસને સ્પર્શતી આ કથાસામગ્રી મૂળ તો મનુષ્યના અસ્તિત્વની સારપનો અને મનુષ્યત્વનો મહિમા દાખવે છે.

અહીં એવી કથાઓ પસંદ થઈ છે જે સામાન્યતામાં સંગોપિત અસામાન્યતા, અને ભોંયમાં રોપાયેલા માણસોની ઊંચાઈને વ્યક્ત કરે. કુટુંબજીવન અને પારિવારિક સંબંધો ભારતીય ભાવકોનું મનપસંદ ક્ષેત્ર છે, એ જ રીતે સામાજિક સમસ્યાઓ પણ એમના રસનો વિષય. વાર્તાઓમાં એકવિધતા ન આવે અને એનું વિષયવૈવિધ્ય જળવાય એ પરત્વે આશાબહેને ઠીકઠીક જાગરૂકતા રાખી છે. સ્વયં વાર્તાલેખનની શિસ્તમાં પલોટાયાં હોવાથી કથારસ શી રીતે જાળવવો, વાર્તાનો આરંભ અને અંત કઈ ઢબે અસરકારક બની શકે અને ભાષા સંદર્ભે કેવી કાળજી આવશ્યક ગણાય એનો આશાબહેનને પરિચય છે, અને કથાપ્રસ્તુતિનું આ જમા પાસું લેખાય.

‘ભૂમિપુત્ર’ની આ વાર્તાઓ ‘જન્મભૂમિ’માં, અન્ય સામયિકોમાં અને બીજી પદ્ધતિઓ થકી એક વિશાળ વાચક સમુદાયમાં ફરી વળી છે. એમાંની થોડીક વળી ‘તર્પણ’ એક અને બેમાં સંચયરૂપે પ્રગટ થઈ છે. જો કે ક્યારેક સામગ્રી દીર્ઘ વાર્તા કૃતિને લાયક હોય ત્યારે એને ટૂંકામાં સમાવવાનો પડકાર ભારે પડ્યો હોય એમ પણ નોંધવું રહ્યું. ખીચોખીચ ભરેલા ફલક જેવી આ પ્રકારની રચનાઓમાં વાર્તાને મોકળાશભર્યો શ્વાસ લેવામાં મુશ્કેલી પડી છે. ‘અણમોલ ભેટ’ કે ‘બોજ’ (બંને તર્પણ-2) જેવી કૃતિઓ આનાં ઉદાહરણ છે.

ઘટનાપ્રચુર વાર્તાઓ માટે વિસ્તૃત ફલક અનિવાર્ય બને એ હકીકત નજરઅંદાજ કરવા જેવી નહીં પરંતુ સરેરાશ ભાવકનો અભિગમ તો વાર્તારસ માણવા જેટલો જ હોવાથી આવી બારીકાઈ એને માટે જરૂરી ન ગણાય. સામાન્ય ભાવકવ ર્ગ- જે ઘણો મોટો છે – એને આદર્શ અને વાસ્તવનું મિશ્રણ, લાગણીના ઘટ્ટ-ઘેરા રંગો તથા માનવસંબંધો અને કુટુંબજીવનના આટાપાટા માણવામાં ઘણો સંતોષ મળે છે. જે સામગ્રી એને આવો પરિતોષ આપે તેના તરફ એને આકર્ષણ રહેવાનું. એટલે થોડીક મર્યાદા હોવા છતાં ઉપર નોંધેલી ચોક્કસ પ્રકારની વાચનસામગ્રી માટે એને પક્ષપાત રહેવાનો. પરંતુ જ્યારે આશાબહેન સંયત સૂરે, કલાપક્ષને લક્ષ્યમાં રાખી લેખનપ્રવૃત્ત થયાં છે ત્યારે ‘ખાલીપો’ અથવા ‘શિવ-શંભુ’ કે ‘માઈનું ઘર’(તમામ તર્પણ-1) જેવી સાધ્યંત અસરકારક કૃતિઓ નિષ્પન્ન થઈ છે.

ટૂંકી વાર્તા તો નિમિત્ત, એને આધારે સત્ત્વશીલ અને જીવનલક્ષી સામગ્રી પ્રસ્તુત કરવાનો દસ વર્ષથી વણથંભ ચાલતો આ ઉપક્રમ બિરદાવવાનો અવસર છે. અહીં આ કથાઓમાં હૃદયપલટાનાં સરળ સમીકરણો હાજર છે, પરંતુ એનીયે સકારાત્મક અસર ક્યાંક ને ક્યાંક થતી હશે એમ માનવું ગમે. મનુષ્યની સારપને સંકોરવાનો આ પ્રયાસ અને એનાં રચયિતા – બંને અભિનંદનનાં અધિકારી.

હૈદરાબાદ લીટરેચર ફેસ્ટીવલના ફેસબુક પેજ પરથી સાભાર.

https://bhoomiputra1953.com/2020/07/25/l/

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 જુલાઈ 2020; પૃ. 10

Loading

...102030...2,2182,2192,2202,221...2,2302,2402,250...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved