હું રોષે ભરાયેલી છું. તમારે પણ હોવું જોઈએ.
એક યુવાન દલિત મહિલા પર પાશવી સામૂહિક બળાત્કાર થયો, એને એટલી બૂરી રીતે માર મારવામાં આવ્યો કે એને અનેક ફ્રેક્ચર થયાં, લકવો થયો, એનું ગળું દબાવતી વખતે અને પીંખતી વખતે એની જીભ કપાઈ ગઈ. ત્યારબાદ એને ઉત્તર પ્રદેશમાં એના ઘર પાસેના ખેતરમાં લોહીલુહાણ હાલતમાં મૂકી દેવામાં આવી. ભારતના સૌથી મોટા રાજ્યમાં લોહી થીજવી દેનારો ગુનો બન્યો જ્યાં થોડા જ સમય પહેલાં પોતાના કાર્યકાળ દરમ્યાન કાયદો અને વ્યવસ્થાને કેવા પુન:સ્થાપિત કર્યા છે, એવી મુખ્ય મંત્રી આદિત્યનાથ બડાઈ મારતા હતા.
બે અઠવાડિયાના સંઘર્ષ બાદ ૧૯ વર્ષીય મહિલા હૉસ્પિટલમાં મૃત્યુ પામી. ત્યારબાદ વધુ કમકમાટીભરી ઘટના બની — યુ.પી.ના અમાનુષી, નિર્દય, નઠોર અને બેશરમ પોલીસકર્મીઓએ મધરાતે શબને બાળી નાખ્યું. મરનારનાં માતાપિતા અને કુટુંબીજનોને હાજર રહેવા દીધાં નહીં. એમની છુપી કામગીરીને પકડી પાડવા પહોંચી ગયેલાં રિપોર્ટરોના સવાલોના જવાબ આપ્યા નહીં. મહિલાનું શબ મેળવવા પોલીસને આજીજી કરતાં ઍમ્બ્યુલન્સ પર પોતાને ફંગોળતા કુટુંબીજનોનો હૃદયસ્પર્શી વીડિયો બહાર પડ્યો છે. ઊલટાનું, પોલીસની કામગીરી ચાલુ હતી તે દરમ્યાન કુટુંબીજનોને ઘરમાં પૂરી દેવામાં આવ્યાં હતાં. કુટુંબની વિનંતીનો અન્ય મુદ્દો એ પણ હતો કે હિન્દુ રિવાજ મુજબ સૂર્યાસ્ત પછી અંતિમક્રિયા કરી શકાતી નથી.
પીડિતા દલિત હતી અને બધાં જ આરોપીઓ ઉચ્ચ જાતિના પુરુષો છે, એ આ ભયાનક કહાણીનું બીજું મહત્ત્વનું પાસું છે. દૈનિકોના અનેક અહેવાલોમાં દર્શાવવામાં આવ્યું છે કે ઉચ્ચ વર્ગના પુરુષો, ખાસ કરીને આરોપીઓમાંનો એક, મૃતક મહિલા અને એના કુટુંબને કેટલા ય મહિનાઓથી કનડગત કરતા હતા.
કોઈ ઉચ્ચ જ્ઞાતિના કુટુંબ સાથે શું યુ.પી. પોલીસ અને યુ.પી. સરકાર આવો વ્યવહાર કરવાની હિંમત દાખવત? જે લોકો આ કિસ્સામાં જ્ઞાતિના સંદર્ભ પર ચૂનાનો કૂચડો ફેરવવાનો પ્રયાસ કરી રહ્યા છે, એ કાં તો વાસ્તવિકતા ઢાંકવાનો પ્રયત્ન કરી રહ્યા છે અથવા જ્ઞાતિના નામમાં આજે ય જે ગુનાઓ આચરવામાં આવે છે એનો સ્વીકાર કરવા તૈયાર નથી. ટ્વીટર પર જ્ઞાતિના દૃષ્ટિકોણ અંગે મીડિયાને ગાળો ભાંડવામાં કે ટ્રોલ કરવામાં વ્યસ્ત રહેનારા આરામદાયક પરપોટામાં જીવતા હોય છે.
નિર્ભયાના સામૂહિક બળાત્કાર અને હત્યા પછી પણ આપણે કશું જ શીખ્યા નથી. આપણી પોલીસ તૂટી ચૂકી છે, આપણી ન્યાય વ્યવસ્થા તૂટી ચૂકી છે, આપણા રાજકારણીઓ તૂટી ચૂક્યાં છે, અને આપણે, એટલે કે લોકો, તૂટી ચૂક્યાં છીએ.
યાદ છે તમને બધાંને, ૨૦૧૨માં નિર્ભયાના સામૂહિક બળાત્કાર અને હત્યા બાદ, દિલ્હીના માર્ગો પર ન્યાયોચિત નહીં એવો ગુસ્સો અને આક્રોશ ઠલવાયો હતો? ભા.જ.પે., જે વિરોધ પક્ષ હતો, શિલા દિક્ષિત અને મનમોહનસિંગ સરકારનો યોગ્ય પીછો કરેલો. સાધારણ લોકો રસ્તા પર આવી જઈને વિરોધ કરવા લાગેલા, વધુ કડક કાનૂન, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને બળાત્કાર કે હુમલાનો ભોગ બનેલી મહિલાઓની ઝડપી અને ન્યાયી સુનાવણી કરે એવી વ્યવસ્થાની માંગ કરતા હતા. હું તે વખતે ત્યાં હાજર હતી, માર્ગો પરના વિરોધનું કવરેજ કરતી હતી, પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા મોટી સંખ્યામાં બહાર નીકળેલી મા-દીકરીઓ સાથે વાત કરતી હતી.
ભા.જ.પ.ની નેતાગીરી ક્યાં છે આજે? સત્તામાં છે ત્યારે આ ઘટના પર મૌન કેમ? યુ.પી. પોલીસ યોગી આદિત્યનાથને અહેવાલ આપે છે ને વાતનો ત્યાં અંત આવે છે. ના, એ પર્યાપ્ત નથી કે પ્રધાન મંત્રીએ યુ.પી.ના મુખ્ય મંત્રીને ફોન કરીને કહ્યું કે આરોપીઓને કાયદાના જોરદાર સકંજામાં લેવામાં આવે. અસલમાં આના માટે કોને જવાબદાર ઠેરવવામાં આવે છે? સંસ્કારી લોકશાહીમાં મુખ્ય મંત્રીએ રાજીનામું મૂકવાનો નિર્ણય કર્યો હોત. પણ એ બધાંને પડી નથી. એ લોકો આક્રોશ શમવાની અને સમાચારોનું ચક્ર ફરે ને દીપિકા પાદુકોણની આગલી વૉટ્સઍપ ચૅટ બહાર પડે એની રાહ જોશે.
આ ઘટના પર સત્તાધીશ પક્ષની નેતાગીરીનું મૌન દેખીતું છે. સ્મૃતિ ઇરાની, મહિલા અને બાળ વિકાસ મંત્રી અને યુ.પી.ના ધારાસભ્ય, જે ઘણા બધા પ્રશ્નો પર પોતાની વાત મુકતાં હોય છે, આ ઘટના અંગે જોઈએ એટલી મજબૂતીથી આ કુટુંબ માટે ન્યાયની માંગણી કરી શક્યા નથી. પ્રધાન મંત્રીએ આ ઘટના પર હજુ સુધી એક ટ્વીટ પણ કરી નથી. “બેટી બચાવો”નું સૂત્ર આપનારી આ સરકારે આપણી બેટીઓને માત્ર સૂત્ર બનાવી દીધી છે.
નિર્ભયાના બળાત્કાર અને હત્યા બાદ સંસદ દ્વારા નવા કાયદા પસાર કરવામાં આવ્યા, પણ આંકડા સૂચવે છે કે મહિલાઓ વિરુદ્ધ આચરવામાં આવતા ગુનામાં ઘટાડો નહીં, પરંતુ વધારો થયો છે. આ જ અઠવાડિયે નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો દ્વારા પ્રકાશિત સરકારી આંકડા દર્શાવે છે કે અગાઉના વર્ષની સરખામણીમાં ૨૦૧૯માં મહિલાઓ વિરુદ્ધ આચરવામાં આવતા ગુનામાં ૭%નો વધારો થયો છે. ndtv.com પર પ્રકાશિત એક અહેવાલ મુજબ ૨૦૧૮માં એક લાખ મહિલાઓની વસ્તી દીઠ ગુનાનો દર ૫૮.૮%થી વધીને ૨૦૧૯માં ૬૨.૪% થયો હતો. નિર્ભયાના હત્યારાની ખૂબ વિલંબિત સુનાવણીના અંતે એમને મળેલી મોતની સજા ડારનારી ઘટના સાબિત ન થઈ. હકીકતે, આપણી આખી વ્યવસ્થા તૂટી ચૂકી છે, પોલીસથી માંડી ન્યાય વ્યવસ્થા સુધી. સજાનો ડર નથી રહ્યો.
છેવટે, મીડિયા છે. અમુક અપવાદોને બાદ કરતાં, મોટા ભાગના મુખ્યધારાના માધ્યમોએ ગઈકાલ સુધી હાથરસની ઘટનાને લક્ષમાં જ લીધી ન હતી. ભલે મહિલાઓના બળાત્કાર અને હત્યા થાય, અર્થતંત્ર ખૂબ મુશ્કેલીમાં હોય, કોવિડ ઘણાં વધુ લોકોને મારી નાખે, ચીન આપણા દેશમાં પગપેસારો કરે, અમુક ન્યુઝ ચૅનલો બૉલીવુડ અને એની કથિત ડ્રગ સમસ્યાનો રાત દર રાત પીછો કરતી રહેશે. આ ભયાનક હુમલો જો મોટાં શહેરની મહિલા પર થયો હોત, તો ન્યુઝ કવરેજ બહુ જુદુ હોત એની મને ખાતરી છે. આ વખતે કૅન્ડલ-લીટ માર્ચ નથી, ૨૦૧૨માં આઘાત પામેલા મધ્યમ વર્ગ તરફથી વિરોધની બૂમાબૂમ નથી. આપણે બધાં જ તૂટી ચૂક્યાં છીએ.
સ્રોત : www.ndtv.com
તારીખ : ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૦
નિધિ રાઝદાન અસોસિયેટ પ્રોફેસર, જર્નલિઝમ વિભાગ, હાવર્ડ યુનિવર્સિટી અને એન.ડી.ટી.વી.નાં ભૂતપૂર્વ ઍક્સિક્યુટિવ ઍડિટર છે.