Opinion Magazine
Number of visits: 9663812
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 

દીપક મહેતા|Profile|10 July 2025

દીપક મહેતા

“સાચો શિક્ષક વિદ્યાર્થીઓને વિચારો વહેંચતો નથી, પણ તેમને પોતાની જાતે વિચારતાં શીખવે છે.” જેમનો જન્મ દિવસ, પાંચમી સપ્ટેમ્બર, શિક્ષક દિન તરીકે ઉજવાય છે તે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને ઓછામાં ઓછા શબ્દોમાં શિક્ષકની સાચી વ્યાખ્યા આપી છે. આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે મારી અનોખી સ્કૂલ અને તેના એક આગવા શિક્ષક વિષે થોડી વાત.આ લખનારનું સારું નસીબ કે એને સ્કૂલમાં આવા સાચા શિક્ષકો મળ્યા.  એ સ્કૂલ તે ન્યૂ ઈરા, ના, ‘ધન્ય ન્યૂ ઈરા.’. જે હવે ભૂતકાળ બની ગઈ છે. ગોવાળિયા તળાવના મેદાનના એક છેડે હતી ફેલોશીપ સ્કૂલ. સામે છેડે ૧૯૩૦માં મગનભાઈ, સરોજબહેન, અને ચંદુભાઈ વ્યાસે શરૂ કરી ન્યૂ ઈરા સ્કૂલ. ઇન્ગ્લન્ડના અભ્યાસ દરમ્યાન જેનો પરિચય થયો હતો તે અદ્યતન શિક્ષણ પદ્ધતિ, મહાત્મા ગાંધીની પાયાની કેળવણી, અને ગુરુદેવ ટાગોરની વિવિધ કલાઓને પ્રાધાન્ય આપતી શિક્ષણ પદ્ધતિ – આ ત્રણેનો સમન્વય કરીને એક અનોખી સ્કૂલ તેમણે ઊભી કરી. 

આ લખનારને સાહિત્ય અને સંગીતનો ‘સ’ જેમની પાસે ઘૂંટવાની પહેલવહેલી તક મળી તે પિનુભાઈ પાસે. પિનુભાઈ એટલે પિનાકિન ત્રિવેદી. મુંબઈની ન્યૂ ઈરા સ્કૂલમાં ગુજરાતી અને સંગીતના શિક્ષક, બલકે ગુરુ. કાયમ સફેદ કફની, સફેદ ધોતિયું. માથે સફેદ ટોપી. પાણીદાર આંખો સતત કશુંક શોધ્યા કરે છે એમ લાગે. હાલતાં-ચાલતાં, ઊઠતાં-બેસતાં કશુંક ગણગણ્યા કરતા હોય. પ્રેમાનંદનું સુદામા ચરિત, નાનાલાલનું વિશ્વગીતા, ગુજરાતી સાહિત્યની કેટલીયે પાણીદાર ગદ્ય-પદ્ય કૃતિઓ ભણવાની, બલકે પામવાની તેમની પાસેથી તક મળી. સુદામાચરિત શીખવતા ત્યારે ક્લાસમાં આવતાંવેંત ટેબલ પર પલાંઠી વાળીને બેસી જાય. એક પછી એક કડી ગાતા જાય. હથેળી વડે ટેબલ પર તાલ આપતા જાય. સાથોસાથ તાલ અને રાગની સમજણ આપતા જાય. પછી અટકીને પ્રેમાનંદના શબ્દોને ખોલી આપે. રોજ સવારે દસ વાગે સ્કૂલ શરૂ થાય ત્યારે એસેમ્બલી હોલમાં સ્કૂલના બધા વિદ્યાર્થી ભેગા થાય. પહેલાં સમૂહ પ્રાર્થના – ‘ઓમ સહના વવતુ’ અને ‘ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા’. પછી પિનુભાઈ, ક્યારેક સુષમાબહેન દિવેટિયા (ક્ષેમુભાઈ દિવેટિયાનાં બહેન), ક્યારેક શાસ્ત્રીય સંગીતના શિક્ષક જોગળેકર સર, કોઈ ગીત, ભજન, શાસ્ત્રીય સંગીતની ચીજ ગાય. શનિવાર સંઘગીતોનો દિવસ. પિનુભાઈ ગવડાવે અને અમે ૫૦૦-૬૦૦ વિદ્યાર્થીઓ ઝીલીએ. અને દરરોજ એસેમ્બલી પૂરી થાય પિનુભાઈએ લખેલા અને સ્વરબદ્ધ કરેલા ‘ધન્ય ન્યૂ ઈરા’ એ સ્કૂલ એન્થમના સમૂહગાનથી. અને અગિયારમા ધોરણ(હા, તે વખતે સ્કૂલોમાં અગિયાર ધોરણ હતાં)નાં વિદ્યાર્થીઓનો છેલ્લો દિવસ હોય ત્યારે પિનુભાઈ પોતે રચેલું ગીત ‘વિદાય વસમી વહાલાં જનની, ભાવે ઉર ઉભરાય,’ આર્દ્ર સ્વરે ગાય. તેમની આંખોમાં અને કેટલાયે શિક્ષકો અને વિદ્યાર્થીઓની આંખોમાં આંસુ માંડ માંડ રોકાતાં હોય. 

પિનાકિન ત્રિવેદી

પિનુભાઈ ઉત્તમ શિક્ષક તો ખરા જ, પણ તે ઉપરાંત તેમણે કવિતા લખી, નાટક લખ્યાં, ઘણા અનુવાદો કર્યા. ગુરુદેવ ટાગોરની કવિતાના અનુવાદ ઘણા અનુવાદકોએ કર્યા છે. પણ સમગેય  અનુવાદ કર્યા તે મુખ્યત્ત્વે પિનુભાઈ-નિનુભાઈની જોડીએ. નિનુભાઈ તે નિનુ મઝુમદાર. મહાદેવભાઈ દેસાઈ અને પિનાકિનભાઈએ કરેલા ગુરુદેવના સમગેય અનુવાદોની સરખામણી કરતાં છેક ૧૯૩૯માં ઝવેરચંદ મેઘાણીએ લખ્યું હતું : “પિનાકિન રચિત ચાર ગીતો અને આ બે ગીતો(એકલો જાને રે અને તારાં સ્વજન તને જાય મૂકી તો)નાં ગાયન વચ્ચે જે મોટો તફાવત પડી રહે છે તે જ બતાવી આપે છે – આપણી ગુજરાતી વાણીની ખૂબીઓની પિનાકિનને પ્રાપ્ત થયેલી પિછાન, અને મહાદેવભાઈને હાથ ન લાગેલી સાન. એ તફાવત ગુજરાતી ભાષાને કાન પકડી પરાણે બંગાળી વાણીના મરોડો પહેરાવવાના પ્રયત્નમાંથી પરિણમ્યો છે. પિનાકિન પણ ટાગોરની પાસે બેસી બંગાળી બાઉલ સંગીત તેમ જ શિષ્ટ સંગીતનું પાન કરનારા છે. મહાદેવભાઈ પણ બંગાળી ભાષાના જ્ઞાતા છે, ને એમણે કરેલા તરજૂમા મૂળ બાઉલ લયવાળાં ગીતોના છે. પિનાકિનનાં સ્વતંત્ર ગીતોમાં ભાષાનો કે સંગીતનો તરજુમો નથી, બંગાળી મરોડો ને સ્વરભારોનો મનોવિભ્રમ નથી, એથી તો ગુજરાતી મરોડો પરની પકડ મજબૂત છે. એટલે જ એમણે કર્યું છે રસાયણ, ને મહાદેવભાઈના તરજૂમામાં જે નિપજ્યું છે તે છે બંગાળીકરણ.” 

ગુરુદેવ ટાગોરની સામે બેસીને તેમનાં જ બંગાળી ગીતો તેમને જ ગાઈ સંભળાવ્યાં હોય, અને ગુરુદેવે એમની પ્રશંસા કરી હોય એવું જો કોઈ ગુજરાતીની બાબતમાં બન્યું હોય તો તે પિનુભાઈની બાબતમાં. એક વાર ગુરુદેવ અને પિનુભાઈ શાંતિનિકેતનથી મુંબઈ સાથે ટ્રેનમાં આવતા હતા. ત્યારે આખે રસ્તે પિનુભાઈએ ગુરુદેવનાં ગીતો તેમને જ ગાઈ સંભળાવ્યાં હતાં. પિનુભાઈએ પોતે નોંધ્યું છે : “આવા કેટલાક અનુવાદો સ્વયમ્ ગુરુદેવને સંભળાવવાનું સદ્ભાગ્ય, ૧૯૩૩માં તેમની સાથે શાંતિનિકેતનથી મુંબઈ આવવાનું થયેલું ત્યારે મને પ્રાપ્ત થયેલું.” મુંબઈ આવ્યા પછી ગુરુદેવ અને ઝવેરચંદ મેઘાણીની પહેલી મુલાકાત કરાવનાર પણ પિનુભાઈ. 

મહારાષ્ટ્રના વાડા નામના નાનકડા ગામમાં ૧૯૧૦ના સપ્ટેમ્બરની છઠ્ઠી તારીખે પિનુભાઈનો જન્મ. પિતા હતા જી.ટી. હોસ્પિટલમાં રેસિડન્ટ ડોક્ટર. એટલે પિનુભાઈનું શરૂઆતનું શિક્ષણ ધોબી તળાવની એક સ્કૂલમાં થયું. પછી પિતાએ ઉમરેઠમાં સ્વતંત્ર પ્રેક્ટિસ શરૂ કરતાં ત્યાંની સ્કૂલમાં ભણ્યા. ૧૯૨૭મા મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી વધુ અભ્યાસ માટે ગુરુદેવ ટાગોરના શાંતિનિકેતનમાં ગયા. ૧૯૩૧માં ડિસટિંગ્શન સાથે કલકત્તા યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ થયા. વિષયો હતા સંસ્કૃત, ફિલસૂફી અને અંગ્રેજી. વધુ અભ્યાસ માટે શાંતિનિકેતનમાં જ રહી ઋગ્વેદ અને અવેસ્તાની ગાથાઓનો તુલનાત્મક અભ્યાસ કર્યો. શાંતિનિકેતનમાં હતા ત્યારે જ ગુરુદેવનાં ગીતોના સમગેય અનુવાદો કરવાનું શરૂ કર્યું. 

મુંબઈ પાછા ફર્યા પછી તે વખતે વિલેપાર્લે(પૂર્વ)માં આવેલી, અને હાલમાં સાંતાક્રુઝ પશ્ચિમમાં આવેલી પ્યુપિલ્સ ઓન સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. પણ તેમની કર્મભૂમિ બની તે તો ગોવાળિયા ટેંક પાસે આવેલી ન્યૂ ઈરા સ્કૂલ. ૧૯૪૦થી લગભગ વીસ વરસ ત્યાં રહીને તેમણે અનેક વિદ્યાર્થીઓમાં સાહિત્યપ્રીતિ, સંગીત-રસ, અને મૂલ્યનિષ્ઠાનાં બીજ વાવ્યાં.

પિનાકિન ત્રિવેદી

પિનુભાઈએ ઢગલાબંધ બાળગીતો લખ્યાં. એ એટલાં તો બાળપ્રિય થયેલાં કે ૧૯૩૮-૧૯૩૯ના અરસામાં કોલમ્બિયા ગ્રામોફોન કંપનીએ પિનુભાઈનાં બાળગીતોની રેકર્ડ બહાર પાડેલી. ગુજરાતી બાળગીતોની એ પહેલવહેલી ગ્રામોફોન રેકર્ડ. પોતાની ‘કલમ અને કિતાબ’ કોલમમાં આ રેકર્ડનું અવલોકન કરતાં મેઘાણીએ લખેલું : “ભાઈ પિનાકિનને તો મારી વિનંતી કે આ જાતનાં બીજાં બાળગીતોની રેકર્ડો ઉતરાવે. સાથે સાથે એ પણ વિનંતી કરવાની કે તમે જે ક્ષેત્ર પકડ્યું છે તે ક્ષેત્રને તજતા નહિ. (‘જન્મભૂમિ’, ૭-૬-૧૯૩૯)

સ્કૂલ, તખ્તા પર ભજવવાનાં નાટકો, સમારંભો, રેડિયો, અને છેલ્લે છેલ્લે દૂરદર્શન માટે ઘણું લખ્યું. ઘણું ગાયું, ઘણું ભજવ્યું. પણ પોતાનાં લખાણોને ગ્રંથસ્થ કરવા અંગે ઉદાસીન. ગુરુદેવના નાટક ‘તાસેર દેશ’નો અનુવાદ ‘પત્તાંનો પ્રદેશ’ નામે કરેલો તે પુસ્તક રૂપે પ્રગટ થયેલો. ‘દિવાળીની છુટ્ટી’ બાળનાટક પણ છપાયેલું. પિનુભાઈના ૭૫મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે તેમના વિદ્યાર્થીઓ અને ચાહકોના આગ્રહથી ૧૯૮૪માં ‘પ્રસાદ’ નામે દળદાર કાવ્યસંગ્રહ પ્રગટ થયો. ‘કબીર વચનાવાલી’ નામે તેમણે કરેલો કબીરની કવિતાનો અનુવાદ દિલ્હીની સાહિત્ય અકાદમીએ પ્રગટ કરેલો. આજ સુધી તે અવારનવાર ફરી છપાતો રહ્યો છે.

પિનુભાઈની કાર્યનિષ્ઠા અને ધગશનું એક જ ઉદાહરણ: મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજના ગુજરાતી સાહિત્ય મંડળે એક વાર ગીતો ગાવા આમંત્રણ આપેલું. તે જ દિવસે પિનુભાઈનો અવાજ સાવ બેસી ગયેલો. છતાં કાર્યક્રમ માટે ગયા. પોતાની સ્થિતિ જણાવી અને કહ્યું કે ફક્ત  એક ગીત ગાઈશ. પણ પછી કોણ જાણે શું જાદુ થયો, તે પૂરા બે કલ્લાક સુધી સતત ગાતા રહ્યા. પછી મંડળના પ્રમુખે વાર્યા ત્યારે કહે કે બસ, હવે આ છેલ્લું ગીત. પિનુભાઈએ ગાયેલા એ ગીતની છેલ્લી પંક્તિઓ છે :

ચિંતામણિનો આ તો ચમત્કાર, સો સો જ્યોત ઝગમગી!

કરશે કથીરને કનક આકાર, સો સો જ્યોત ઝગમગી!

ગુરુ, શિક્ષક, એ એક ચિંતામણી છે જેના ચમત્કારને પ્રતાપે માત્ર સો સો જ નહિ, હજારો વિદ્યાર્થીઓનાં જીવન કથીરમાંથી કનક થાય છે, એમના જીવનની જ્યોત ઝગમગતી થાય છે.

આવા એક ચિંતામણી પિનુભાઈને ગુરુપૂર્ણિમા પ્રસંગે પ્રણામ.      

XXX XXX XXX

10 જુલાઈ 2025
e.mail : deepakbmehta@gmail.com

Loading

બિઈંગ નોર્મલ ઈઝ બોરિંગ : મેરેલિન મનરો

સોનલ પરીખ|Opinion - Opinion|10 July 2025

હું સ્વાર્થી, અઘરી, અસલામત, ભૂલો કરતી, કાબૂ ગુમાવતી અને સંભાળવી મુશ્કેલ બને તેવી છું. પણ જો તમે મને મારા સૌથી ખરાબ તબક્કામાં સંભાળી ન શકો તો તમે મારું શ્રેષ્ઠ મેળવવાને લાયક નથી. 

— મેરિલિન મનરો 

કેલિફૉર્નિયાના ફોસ્ટર-હોમમાં છવ્વીસ વર્ષની ગ્લૅડિઝ બેકર ખોળામાં બે અઠવાડિયાની ફૂલગુલાબી દીકરીને લઈ બેઠી હતી. તેના સુંદર ચહેરા પર ગ્લાનિની છાયા હતી. 

‘છોકરીનું નામ?’ ફોસ્ટર હોમની સંચાલિકાએ પ્રશ્ન કર્યો. 

‘નોર્મા જિન મોર્ટેંસન,’ બેકર બોલી. 

‘પિતાનું નામ?’ જવાબ આપ્યા વિના બેકર ઊભી થઈ. ઢીંગલી જેવી દીકરીને પારણામાં મૂકી ચાલતી થઈ.

એ પળથી નાનકડી નોર્માની અજબ વળાંકોવાળી જિંદગીની શરૂઆત થઈ. આ નોર્મા આગળ જતા મેરિલિન મનરોના નામથી પ્રસિદ્ધ થવાની હતી. 1 જૂને આવતા તેના જન્મદિન નિમિત્તે વાત કરીએ ભવ્ય સફળતા અને વિરાટ અસલામતીના બે પડ વચ્ચે પીસાતી રહેલી તેની જિંદગીની, માત્ર 36 વર્ષની ઉંમરે તેણે કરેલી આત્મહત્યાની અને તેના સંકુલ વ્યક્તિત્વની. 

તો, નાની નોર્મા ફોસ્ટર-હોમના શાંત, ધાર્મિક, શિસ્તબદ્ધ વાતાવરણમાં ઉછરવા લાગી. નોર્માની મા તેને મળવા આવતી ને ક્યારેક પોતાના હોલિવૂડ અપાર્ટમેન્ટમાં લઈ જતી પણ તેને સ્ક્રિઝોફેનિયાના હુમલા આવતા અને વારંવાર એસાઈલમમાં દાખલ થવું પડતું. નોર્માને ફોસ્ટર-હોમ્સ, અનાથાલયો અને પાલકો વચ્ચે ફંગોળાતા રહેવું પડતું. 

આ સ્થિતિમાંથી છૂટવા 1942માં, 16 વર્ષની ઉંમરે નોર્મા એક ફેક્ટરીમાં કામ કરવા લાગી અને તેની સાથે કામ કરતા જેમ્સ ડોબરીને પરણી ગઈ. દરમ્યાન એક ફોટોગ્રાફરે પાડેલી તેની તસવીરો જાણીતી થઈ અને તેની મોડેલિંગ કૅરિયર શરૂ થઈ. નોર્માની મા દસ વર્ષ મેન્ટલ હૉસ્પિટલમાં ગાળી બહાર આવી ત્યારે બીજું વિશ્વયુદ્ધ પૂરું થવાની તૈયારીમાં હતું. નોર્માએ છૂટાછેડા લઈ લીધા હતા, તે મોડેલિંગ કરતી હતી અને તેને ટ્વેંટીએથ સેંચુરી ફોક્સ સાથે કરાર કરી મેરેલિન મનરોના નામથી એક ફિલ્મ સાઈન કરી હતી. તેની માને આ ગમ્યું નહીં. એક પરણેલા પુરુષને શોધી એ ક્યાંક ચાલી ગઈ.  

મેરિલિન ખૂબ સુંદર હતી. કોમળ ચહેરો, મીઠો અવાજ અને સંઘેડાઉતાર શરીર – આ સંપત્તિનું તે નિ:સંકોચ પ્રદર્શન પણ કરતી. ટ્વેંટીએથ સેંચુરી ફોક્સ સાથેના કરાર પૂરા થયે તેણે ફરી મોડેલિંગ શરૂ કર્યું. કેલેન્ડર માટે આપેલા ન્યૂડ ફોટોગ્રાફે ફરી તેને ફિલ્મો અપાવી. જોતજોતામાં તે છવાઈ ગઈ. 

1954માં તેણે નિવૃત્ત ફૂટબૉલ પ્લેયર ડીમીએગો સાથે લગ્ન કર્યાં. બન્ને વચ્ચે મેળ હતો જ નહીં – લગ્ન થયાં કે તરત બન્ને છૂટાછેડા લેવાનું વિચારવા લાગ્યાં, ને એક વર્ષમાં જ છૂટાં પડ્યાં. એ જ વર્ષે તેને જહોન કેનેડી સાથે પ્રેમ થયો. કેનેડી સેનેટર હતા, પ્રમુખની ચૂંટણી માટે તૈયારી કરતા હતા, સંબંધને જાહેરમાં સ્વીકારવા તૈયાર ન હતા. પ્રેમપ્રકરણ ‘ઓપન સિક્રેટ’ બની ચાલતું રહ્યું. સફળ ફિલ્મોની વણઝાર ચાલુ હતી. 1956માં મેરિલિન પ્લે રાઈટર આર્થર મિલરના પ્રેમમાં પડી અને યહૂદી બની તેની સાથે લગ્ન કર્યાં. પાંચ વર્ષમાં બન્ને છૂટાં પડ્યાં. એ જ વર્ષે ‘ધ મિસફિટ’ આવી. આ ફિલ્મ મિલરે ખાસ મેરિલિન માટે લખી હતી. ફિલ્મ રિલિઝ થઈ ત્યારે તે એક પરિણીત ફ્રેંચ અભિનેતાના પ્રેમમાં હતી અને પ્રેગ્નન્ટ હતી. તેની સગર્ભાવસ્થાની તસવીરો પછીથી તેની ખાસ મિત્ર ફ્રિએન્ડાના સામાનમાંથી મળી અને ઊંચા ભાવે વેચાઈ હતી. મેરિલિનને બાળકો ગમતાં, પણ થયાં નહીં. બેફામ જીવનશૈલી અને વારંવાર કરાતા ગર્ભપાતોએ તેનું શરીર ડખોળી નખ્યું હતું.  

1962માં ‘સમથિંગ ગોટ ટુ ગિવ’નું શૂટિંગ શરૂ થયું. તે બીમાર રહેતી, તો પણ  આ જ વર્ષના મે મહિનામાં તે ન્યૂ યૉર્ક ગઈ અને એક ભવ્ય સમારંભમાં પ્રમુખ જહોન કેનેડી માટે ‘હૅપી બર્થ ડે પ્રેસિડેન્ટ’ ગીત ગાયું. જૂન મહિનામાં મેરિલિનને ફિલ્મમાંથી પડતી મુકાઈ. ફરી તેને ફિલ્મમાં લીધી પણ શૂટિંગ થયું નહીં. 

ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં 36 વર્ષની મેરિલિન મનરો પોતાના લૉસ એન્જલિસના ઘરમાં મોટા પ્રમાણમાં બાર્બિચ્યુરેટ્સ(ઊંઘવાની ગોળીઓ)થી મૃત્યુ પામી. મૃત્યુના દિવસે તેણે એક કલાક ડૉક્ટર સાથે વાત કરી હતી. રાત્રે ત્રણ વાગ્યે રૂમમાં લાઈટ સળગતી જોઈ તેની હાઉસકીપરે બારણું ઠોક્યું. ન ખૂલ્યું એટલે ડૉક્ટરને બોલાવ્યા. બારી તોડી જોયું તો મેરિલિન રિસિવર પકડીને લગભગ વસ્ત્રહીન અવસ્થામાં મૃત પડી હતી. મૃત્યુ ‘સંભવિત આત્મહત્યા’ ગણાયું. એક થિયરી પ્રમાણે તે પ્રમુખ જ્હોન કેનેડી સાથેના પોતાના સંબંધો જાહેર કરી ન દે તેથી અને બીજી થિયરી પ્રમાણે તે એટર્ની જનરલ રોબર્ટ કેનેડીના કોઈ કાવતરાનો ભાંડો ન ફોડી દે તેથી તેની હત્યા કરવામાં આવી હતી. જો કે તેના પુરાવા મળ્યા નહીં, પણ અફવા બહુ ચગી હતી. 

મેરિલિન મનરોએ 23 ફિલ્મોમાં કામ કર્યું હતું. તેની લોકપ્રિયતા અને સંપત્તિ તેના જમાનાના બધા કલાકારો કરતાં ઘણા વધારે હતા. તેની ઈમેજ શરૂઆતમાં કમઅક્કલ, માદક અને લોભામણી સુંદરીની હતી. અમેરિકાના પ્રમુખ જ્હોન કેનેડી ઉપરાંત માર્લોન બ્રાંડો, ફ્રાંક સિનાત્રા, ઈલિયન કર્ઝન સહિત અનેક મોટાં માથા મેરિલિનના પ્રેમમાં હતાં. એક સ્રોત આ સૂચિમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું નામ પણ મૂકે છે. પછીનાં વર્ષોમાં મેરિલિનનું વ્યક્તિત્વ ખીલ્યું, પણ આડેધડ જીવાઈ રહેલી જિંદગી અને બનતા-તૂટતા સંબંધોને લીધે પછીથી એનું વ્યક્તિત્વ હોલિવૂડનાં દબાણો વચ્ચે અસ્તિત્વ ટકાવવા મથતી એક પ્રસિદ્ધ ને ગ્લૅમરસ પણ દુ:ખી ને વેરવિખેર સ્ત્રી તરીકે આકાર લેતું ગયું. તે ભીતરથી વલોવાતી રહી, મનોચિકિત્સકો અને દવાઓના શરણે ગઈ. સેટ પર ખૂબ મોડી આવતી, ક્યારેક દિવસો સુધી બાર્બિચ્યુરેટ્સના ઘેનમાં ઊંઘ્યા કરતી. તેની અપરંપાર લોકપ્રિયતાને લીધે ફિલ્મસર્જકો આ બધું ચલાવતા પણ કારકિર્દી હાલકડોલક તો થતી રહેતી. 

એક તરફ એકલતા, અસલામતી અને પ્રબળ ઊર્મિશીલતા; બીજી તરફ સફળતા, નાણાંની રેલમછેલ અને ગ્લેમરની ઝળહળ. એક બાજુ લાગણીઓની ભયાનક ઊથલપાથલ, બીજી બાજુ ઈમેજ ટકાવવાની જીવલેણ મથામણ – સંયોજન કંઈક એવું થયું કે જીવ લઈને ગયું. અકાળ અને રહસ્યમય મૃત્યુએ તેને અમેરિકન સંસ્કૃતિપ્રતિમા તરીકે ઉચ્ચ સ્થાને સ્થાપી અને અમર બનાવી. ‘ધ એમ્પ્ટી ગ્લાસ’ના લેખક તેના મૃત્યુને 20મી સદીની સૌથી મોટી રહસ્યમય ઘટના કહે છે. હોલિવૂડમાં સુંદર અભિનેત્રીઓનો તોટો નથી, પણ મેરિલિનની કક્ષાનું સૌંદર્ય અને તેના જેટલું જટિલ વ્યક્તિત્વ ભાગ્યે જ કોઈનું હશે. તેના મૃત્યુને અડધી સદીથી પણ વધારે સમય થઈ ગયો છે, પણ લોકો તેને ભૂલ્યા નથી. તેનાં વસ્ત્રો, પત્રો, તસવીરોનું લીલામ થાય ત્યારે ઊંચા ભાવે તેને ખરીદી લેવા પડાપડી થાય છે. આવી જ પડાપડી તેની ફિલ્મો જોવા માટે થતી. 

મેરિલિન તેના અજબ જીવનમાંથી શું શીખી હશે, શું પામી હશે, કયા ખાલીપાથી આટલી નાની ઉંમરે જીવનનો અંત આણ્યો હશે? તેણે પ્રસંગોપાત કહ્યું છે તે સૂચક છે : ‘બિઈંગ અ સેક્સ સિમ્બૉલ ઈઝ અ હૅવી લોડ ટુ કેરી એસ્પેશ્યલી વ્હેન વન ઈઝ ટાયર્ડ, હર્ટ એન્ડ બિવાઈલ્ડર્ડ.’ ‘હું આંખ બંધ કરું અને હોલિવૂડ વિશે વિચારું તો મને એક ખૂબ જાડી, ભૂરી, ઉપસેલી નસ દેખાય છે.’ 

મેરેલિન મનરો પર અનેક પુસ્તકો લખાયાં, ડઝનેક ફિલ્મો બની. મધુબાલા અને મેરેલિન મનરોને વારંવાર સરખાવાય છે. દુ:ખી બાળપણ, અસાર સંબંધો, ગ્લેમરના ઝળહળાટ પાછળની અસલામતી અને અકાળ મૃત્યુ. મેરિલિન કહેતી, ‘સમર્થ પુરુષને સ્ત્રીને તાબે કરવી પડતી નથી. પોતાના પ્રેમમાં અસહાય થયેલી સ્ત્રી પર શાસન ચલાવવાને બદલે એ પોતાની શક્તિને દુનિયા સામે લડવામાં વાપરે છે.’ ‘સાચો પ્રેમી એ છે જે અછડતા સ્પર્શથી, આંખોમાં આંખ પરોવવાથી, કે પછી બાજુમાં હોવા માત્રથી રોમાંચિત કરી શકે.’ ‘પ્રેમ દુર્લભ છે. જિંદગી વિચિત્ર છે. કશું ટકતું નથી. માણસો બદલાઈ જાય છે.’ ‘હું ફેસલિફ્ટ કરાવ્યા વિના જ વૃદ્ધ થવા માગું છું. મારામાં મેં જ બગાડી મૂકેલા ચહેરાને જોવાની હિંમત હોવી જોઈએ.’ ‘હું સ્વાર્થી, અઘરી, અસલામત, ભૂલો કરતી, કાબૂ ગુમાવતી અને સંભાળવી મુશ્કેલ બને તેવી છું. પણ જો તમે મને મારા સૌથી ખરાબ તબક્કામાં સંભાળી ન શકો તો તમે મારું શ્રેષ્ઠ મેળવવાને લાયક નથી.’             

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 01 જૂન  2025

Loading

અર્થ-અનર્થ – આંકડાની માયાજાળમાં ઢાંકપિછોડા

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|10 July 2025

દુનિયાના ચોથા  મોટા અર્થતંત્રમાં ઘટતી અસમાનતાનો દાવો છતાં …  

વરવી વાસ્તવિકતા એ છે કે અહીં એક ટકો શ્રીમંત વર્ગ રાષ્ટ્રીય આવકનાં 22-23 ટકા  અને રાષ્ટ્રીય સંપત્તિના 40 ટકા પર કબજો  ધરાવે છે; અને સરકાર જેનું નામ તે અબજોપતિના વધતા જુમલાને વિકાસમાં ખપાવે છે. 

પ્રકાશ ન. શાહ

ગિની કહેતાં સોનાનો સિક્કો સમજાય એ અર્થમાં નહીં પણ ઇટાલિયન અંકશાસ્ત્રી ગિનીએ દેશોમાં આંતરિક સમાનતા અને અસમાનતાનું પ્રમાણ સમજવા માટે નિપજાવેલ સૂચકાંક, તે ગિની ઇન્ડેક્સઃ આજે તે યાદ કરવાનું કારણ, આ સૂચકાંક મુજબ તાજેતરનાં વર્ષોની આપણી પ્રગતિ ચીનથી માંડી અમેરિકા જેવા વિકસિત દેશો કરતાં બહેતર છે. વચ્ચે વિશ્વ બેન્કે કહ્યું કે, હવે હિંદ દુનિયાની ચોથી મોટી સમાનતામંડિત પ્રજા બની રહેલ છે. સત્તાવાર સરકારી દાવો આમે ય આપણે દુનિયાનું ચોથું મોટું અર્થતંત્ર હોવાનો હતો જ, હવે ચોથી સમાનતામંડિત પ્રજા હોવાનાં વિશ્વ બેન્કી વધામણાં આવી પડ્યા. (આ સંજોગોમાં અખો શું કહે? વઢકણી વહુએ દીકરો જણ્યો … દઇ જાણે.)

વાસ્તવ કાર્ય પાછળના ખર્ચ કરતાં તેની જાહેરાત અંગેનો ખર્ચ વખત છે ને વધુ હોય એવા દિવસોમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. ત્યારે સમાનતાને મુદ્દે આવા દાવાદુવી ઊંડી તપાસનો મુદ્દો બની રહે છે. પગ વગર ચાલી શકતી ભીંતો વિશે સાંભળવાનું ગઝલિસ્તાનમાં બનતું રહ્યું છે, પણ આપણે ત્યાંનો ક્લાસિક કિસ્સો કેટલીયે બાબતોમાં ડેટાનિરપેક્ષ દાવાદુવીનો હમણેના દસકામાં સતત રહ્યો છે. 

તેમ છતાં, ઘટતી અસમાનતામાં આપણે અગ્રેસર છીએ એ દાવાને શક્ય વિગતોને આધારે આપણે તપાસીએ તે પહેલાં વિશ્વબેન્કના એ અવલોકનની પણ નોંધ લઈએ કે અત્યધિક ગરીબીનું પ્રમાણ મનમોહન દશક ઊતરતે 28-29 ટકા જેવું હશે. તેની સામે મોદી દશક ઊતરતે તે 2-3 ટકે પહોંચી ગયું છે. 

જો મોદી દશક ઊતરતે આવું ઝળહળતું ચિત્ર હોય તો એવું કેમ છે, અમદાવાદ-સ્થિત અર્થશાસ્ત્રી ઇંદિરા હિરવેએ પૂછ્યું છે, આજકાલ પાંચ વરસથી નાનાં બાળકો પૈકી પાંત્રીસ ટકા જેટલાં ઠીંગરાયેલાં માલૂમ પડે છે, અને 18-19 ટકા જેટલાં વળી ઋણવજનિયાં છે. કદાચ, એ પણ સાથે લગો જ પૂછવા જેવો પ્રશ્ન છે કે સરકારી દાવા પ્રમાણે દેશમાં 80 કરોડ લોકો સારુ મફત અનાજની સોઈ હોવા છતાં વૈશ્વિક ભૂખમરાના સૂચકાંકમાં આપણે લથડિયાં કેમ ખાઈએ છીએ. મુદ્દે, એવું તો નથી ને કે અત્યધિક ગરીબી એટલે શું તેની વ્યાખ્યા જ પુનર્વિચાર માંગે છે?

એ તો સ્થાપિત વિગત છે કે 6-7 ટકા જેટલો જી.ડી.પી. દર છે, પણ આ દરના મુકાબલે લોકોની સ્થિતિમાં સુધારદર નોંધપાત્રપણે નીચો છે, મતલબ, અસમાનતા બલકે વિષમતા વસ્તુતઃ બરકરાર છે. 

જેમ અત્યધિક ગરીબીની વ્યાખ્યા પુનર્વિચાર માગે છે તેમ વિશ્વપ્રતિષ્ઠ ગિની સૂચકાંક પણ, એની મર્યાદાઓ સંદર્ભે પુનર્વિચાર અને સમીક્ષા માગે છે, અભ્યાસીઓનું અવલોકન છે કે ગિની સૂચકાંક બહુધા જેની ફરતે રમેભમે છે તે તો જે તે અર્થતંત્ર માંહેલું મધ્યમ આવક જૂથ હોય છે. એકદમ ટોચ પરના કે તળેટી પરના, કદાચ એથીયે નીચેરા તબકા એની તપાસ – રમણામાં નથી આવતા.

આ દૃષ્ટિએ વાસ્તવચિત્ર સમજવા વાસ્તે, વિશ્વપ્રતિષ્ઠ ફ્રેન્ચ અર્થશાસ્ત્રી થોમસ પિકેટી અને સાથીઓનું જે એક શોધપત્ર 2022-23માં આવ્યું છે તે ઉપયોગી (અને આંખ ખોલનારું) થઈ પડે એમ છે. હિંદની વસ્તીનો એક ટકો શ્રીમંત વર્ગ રાષ્ટ્રીય આવકના 22-23 ટકા અને રાષ્ટ્રીય સંપત્તિના 40 ટકા હિસ્સા પર કબજો ધરાવે છે. તળિયાનો પચાસ ટકા વર્ગ રાષ્ટ્રીય આવકના પંદર ટકા અને રાષ્ટ્રીય સંપત્તિના 6-7 ટકા પર જ અધિકાર ધરાવે છે. 

અહીં 2023ના જુલાઈમાં પરકાલા પ્રભાકર સાથે થયેલી ચર્ચા સાંભળે છે. 

નિર્મલા સીતારામન્‌ વિત્તમંત્રી બન્યાં, પણ એમના પતિ પ્રભાકરને ધીરે ધીરે મોદીકારણ બાબતે મોહભંગનો અનુભવ થયો. ધોરણસરના ડેટા પર ઢાંકપિછોડા છતાં ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’ની લીક મારફતે જણાયું કે 2017-18માં બેરોજગારી દર છેલ્લાં પિસ્તાલીસ વરસમાં સૌથી ઊંચે હતો. જ્યાં સુધી સમાનતા-અસમાનતાનો સવાલ છે, પ્રભાકરે કહ્યું, 2022માં અબજોપતિ 55થી વધીને 146 થઈ ગયા એ વિગત સરકારી વર્તુળો વિકાસના નિદર્શનરૂપે ઉછાળે છે!

વિશ્વનું ચોથું મોટું અર્થતંત્ર, અને ઓસરતી અસમાનતા તે આનું નામ.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 09 જુલાઈ 2025

Loading

...102030...219220221222...230240250...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved