Opinion Magazine
Number of visits: 9663125
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોઈ હમદર્દ નહીં, દર્દ મેરા સાયા હૈ

સોનલ પરીખ|Opinion - Opinion|5 January 2026

હંસને કી ચાહ ને કિતના મુઝે રુલાયા હૈ

કોઈ હમદર્દ નહીં દર્દ મેરા સાયા હૈ …

દિન તો ઉલઝા હી રહા ઝિંદગી કી બાતોં મેં

સાંસે જલતી હૈ કભી કભી રાતોં મેં

કિસી કી આહ પે તારોં કો પ્યાર આયા હૈ …

સપનેં છલતે હી રહે રોજ નઈ રાહોં સે

કોઇ ફિસલા હૈ અભી અભી બાહોં સે

કિસકી હૈં આહટેં યે કૌન મુસ્કુરાયા હૈ …

દોડધામભરી જિંદગીમાં સાચવવા જેવું સચવાતું નથી હોતું – કનુ રૉય એક એવી વિસારે પાડી દેવાયેલી પ્રતિભાનું નામ છે. બ્રિટિશ ભારતના બંગાળના ફરીદપુર જિલ્લાના એક ગામમાં વસતા ને પછીથી મુંબઈ આવી વસેલા રૉયચૌધરી પરિવારે ફિલમજગતને બે પ્રતિભાઓ આપી – કનુ રૉય અને ગીતા રૉય(જે પછી ગીતા દત્ત તરીકે ઓળખાઈ). કનુ રૉય હિંદી અને બંગાળી ફિલ્મોના અભિનેતા અને સંગીતકાર હતા. એમણે ઓછું પણ નક્કર કામ કર્યું છે, મોટે ભાગે બાસુ ભટ્ટાચાર્ય સાથે. એમણે સંગીતબદ્ધ કરેલી મુખ્ય ફિલ્મો ‘ઉસકી કહાની’, ‘અનુભવ’, આવિષ્કાર’, ‘ગૃહપ્રવેશ’ અને ‘સ્પર્શ’માં પહેલી ચારના દિગ્દર્શક અને ‘સ્પર્શ’ના નિર્માતા બાસુ ભટ્ટાચાર્ય હતા. આ કનુ રૉયનો જન્મદિન 9 ડિસેમ્બર અને પુણ્યતિથિ 20 ડિસેમ્બર – આજે માણીશું કનુ રૉયન સંગીતમાં મન્ના ડેએ ગાયેલું ફિલ્મ ‘આવિષ્કાર’નું અવિસ્મરણીય ગીત ‘હંસને કી ચાહ ને હિતના મુઝે રૂલાયા હૈ, કોઈ હમદર્દ નહીં દર્દ મેરા સાયા હૈ’ 

ગીતા દત્ત

‘આવિષ્કાર’ કાબેલ ફિલ્મસર્જક બાસુ ભટ્ટાચાર્યની પ્રસિદ્ધ ફિલ્મત્રયી ‘અનુભવ’ (1971), ‘આવિષ્કાર’ (1974) અને ‘ગૃહપ્રવેશ’(1979)માંની વચ્ચેની. આ ત્રણે ફિલ્મનાં નાયક-નાયિકાનાં નામ અમર અને માનસી છે. અમર, માનસી અને દાંપત્ય પર એમણે ઘણાં વર્ષો પછી 1997માં ‘આસ્થા’ પણ બનાવી. ‘આસ્થા’ બની ત્યારે કનુ રૉયનું અવસાન થઈ ચૂક્યું હતું, તેનું સંગીત સારંગ દેવે આપેલું. પણ આ ફિલ્મત્રયી પહેલાંની એમની ‘ઉસકી કહાની’(1966)માં કનુ રૉયનું સંગીત હતું. એ ફિલ્મ બાસુ ભટ્ટાચાર્યની દિગ્દર્શક તરીકેની પહેલી અને અંજુ મહેંદ્રુની નાયિકા તરીકેની પહેલી ફિલ્મ હતી. એનાં ગીત કૈફી આઝમીએ લખ્યાં હતાં. એ ફિલ્મના ગીતા દત્તના ગાયેલા ‘આજ કી કાલી ઘટા’માં કનુ રૉયનો ખાસ સ્પર્શ છે.  

ગુરુ દતથી અલગ થયા બાદનાં વર્ષો ગીતા દત્ત માટે શારીરિક-માનસિક-આર્થિક સંઘર્ષનાં હતાં. આ વર્ષોમાં કનુ રૉયે બહેન અને ભાણેજોને બને એટલાં સાચવી લીધાં હતાં. આત્મવિશ્વાસ અને તકો ગુમાવી બેઠેલી ગીતા  દત્ત પાસે ‘અનુભવ’નાં ગીતો ગવડાવી તેમણે સાબિત કરી દીધું કે ગીતા દત્તની કલા હજી જીવંત છે. 

આપણે ‘આવિષ્કાર’ની વાત કરતાં હતાં. ‘આવિષ્કાર’ પોસ્ટ-મેરિટલ ડિપ્રેશન – રોમાન્સને ખતમ કરી દેતાં લગ્નની કહાણી હતી. અમર (રાજેશ ખન્ના) અને માનસી (શર્મિલા ટાગોર) પ્રેમ કરીને લગ્ન કરે છે, પણ પાંચેક વર્ષમાં રોમાન્સ એવો તો હવાઈ જાય છે કે અમરને માનસીના તનમાં કે મનમાં રસ રહેતો નથી. માનસીની પણ એ જ સ્થિતિ છે. બન્ને એક્બીજા પર આનો દોષ ઢોળ્યા કરે છે. લગ્નની વર્ષગાંઠના દિવસે માનસીનો સામનો કરવાનું ટાળવા અમર મોડે સુધી ઑફિસમાં જ બેસી રહે છે. રજનીગંધાના ફૂલનો ગુચ્છો દરવાજે જ મૂકી ઘરમાં પ્રવેશે છે ને માથાના દુખાવાનું બહાનું કાઢી ભૂખ્યો રહે છે. 

એકબીજાને ટોણા મારી, આખી રાત એકબીજા તરફ પીઠ કરીને જાગતા પડેલા અમર-માનસીની કહાણી આપણને ફ્લેશબેકમાં ટુકડે ટુકડે જાણવા મળે છે. સવારે માનસી દૂધ લેવા બારણું ખોલે છે ત્યારે થોરના છોડને અઢેલીને પડેલો પુષ્પગુચ્છ જુએ છે. ફૂલોને સ્પર્શતાં જ તેના મનમાં છુપાયેલો પ્રેમ જાગી ઊઠે છે અને જાગીને પાછળ આવેલો અમર તેને સાહીને ઘરમાં લઈ જાય છે. દર્શક રાહત પામે છે, પણ તેના મનમાં પ્રશ્ન પણ જાગે છે, આ પ્રેમનું આયુષ્ય કેટલું? આ નવી શરૂઆત છે કે એક આકસ્મિક પળ? અંત સુખદ હોવા છતાં દર્શકો એક અસમંજસ સાથે થિયેટર છોડે છે.

પ્રેમીઓ પતિપત્ની બને પછી તાજી, સુગંધી, ખળખળ વહેતી જિંદગી વાસી અને બંધિયાર કેમ બની જાય છે? એ સુગંધ જે પ્રિયપાત્રના હૃદયમાંથી ઊઠતી હતી એ ક્યાં ઊડી જાય છે? લગ્નજીવનમાં સુખ શોધતાં સ્ત્રીપુરુષને લગ્ન હજારો જમેલા અને બંધનો આપે છે. કદાચ એ બધામાં જ રોમાન્સ, સુખ અને શાંતિનો ભોગ લેવાઈ જાય છે. એ મેળવવાની કોશિશ પણ એક દિવસ પૂરી થઈ જાય છે અને પછી બાકી રહે છે જે થયું તેને માટે બીજા પર દોષ ઢોળવાની વિકૃત મઝા. આવું કેમ થાય છે ને આવું થાય તો પછી શું થાય છે? દરેક ફિલ્મમાં બાસુદા આ સવાલ ફરી ફરીને દર્શકો સામે મૂકે છે. 

‘હંસને કી ચાહ ને કિતના મુઝે રૂલાયા હૈ ..’ ફિલ્મની શરૂઆત જ આ ગીતથી થાય છે અને ટાઈટલ્સ પૂરાં થાય ત્યાં સુધીમાં ફિલ્મનું વાતાવરણ બંધાઈ જાય છે. કપિલકુમારના શબ્દોમાં કનુ રૉયના શબ્દો અને મન્ના ડેના કાંઠે એવો પ્રાણ પૂરીઓ છે કે તેમાંની વ્યથા કોઈ એકની ન રહેતાં થિયેટરમાં બેઠેલા તમામની બની જાય છે. ‘અનુભવ’માં ગીતા દત્તે કનુ રૉયના સંગીતનિર્દેશનમાં ‘મુઝે જા ન કહો મેરી જાં’ અને ‘કોઈ ચુપકે સે આકે’ જેવાં કમાલનાં ગીતો ગાયાં હતાં – એ જો 1972માં મૃત્યુ ન પામી હોત તો તેના કંઠને અનુરૂપ એવું ‘આવિષ્કાર’નું ‘નૈના હી પ્યાસે મેરે’ પણ તેણે ગાયું હોત એવું ધારવું ગમે. 

બાસુ ભટ્ટાચાર્ય બિમલ રૉયના સહાયક હતા. મધ્યમ તરીકે ફિલ્મોને કલાત્મકટના સર્વોચ્ચ શિખરે પહોંચાડવામાં પોતાના ગુરુ જેવી મહારત એમને હાંસલ કરી હતી. બિમલ રૉયની પુત્રી રિંકી સાથે બધાનાં વિરોધ વચ્ચે  ભાગીને લગ્ન કર્યાં, પણ લગ્ન ટક્યાં નહીં. એ કડવા અનુભવોને ફિલ્મોમાં મૂકી તેઓ જાણે કોઈ હલ શોધે છે. 

‘આવિષ્કાર’ વિવેચકોએ ખૂબ વખાણેલું. ‘સૂરજ હૈ સૂરજ ધરતી સે, સૂરજ ફિર ભી સૂરજ હૈ; ધરતી હૈ ધરતી સૂરજ સે, ધરતી ફિર ભી ધરતી હૈ’ આ પંક્તિ રાજેશ ખન્ના બોલે છે ત્યારે એ અનંત અર્થોની વાહક બની જાય છે. રાજેશ ખન્નાને આ ફિલ્મ માટે ઍવોર્ડ મળ્યો હતો. એક સંવાદમાં અમર કહે છે, ‘પહેલા આપણે દિવસો પછી મળતા, માંડ એકાદ કલાક સાથે રહેતા. એ એક કલાકમાં આપણું બધું શ્રેષ્ઠ જ બહાર આવતું.’ માનસી કહે છે, ‘હાં, કિતને અચ્છે થે વો એક ઘંટે વાલે તુમ, વો એક ઘંટેવાલી મૈં – ઔર અબ કિતને ખરાબ હો ગયે હૈં!’ અમર નિ:શ્વાસ નાખે છે, ‘ખરાબ નહીં હૈં, બસ કુછ કર નહીં પાતે.’ એનો એ નિ:શ્વાસ થિયેટરમાં બેઠેલા તમામ પરિણીતોના હૃદયમાં પડઘાય છે. ‘આપણે’માંથી જ્યારે ‘તું’ અને ‘હું’ના બે ટુકડા જુદા પડી જાય છે ત્યારે ફિલ્મના એક પાત્રની જેમ કહેવાનું મન થાય છે, ‘શાદીશુદા આદમી જ્યાદાતર અકેલા હી હોતા હૈ’

માનસી કહે છે, ‘મારા પિતા કહેતા કે પ્રેમ પોકળ વસ્તુ છે. નક્કર ચીજ છે શ્રદ્ધા. પણ મારી મા કહે છે, પુરુષ પત્નીને શ્રદ્ધાથી જોઈ શકતો નથી. જ્યાં સુધી શરીરનું આકર્ષણ છે ત્યાં સુધી એ પત્નીનો ગુલામ થઈને રહે છે. ત્યાર પછી બની જાય છે પત્ની-સંતાનોનો માલિક. અમર, આપણે પ્રેમનો અર્થ સમજ્યાં હતાં ખરાં?’ બાંસુદાની છેલ્લી ફિલ્મ ‘આસ્થા’માં આ અર્થનો, આ શ્રદ્ધાનો વિસ્તાર છે? ક્યારેક એની પણ વાત કરીશું. 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 12 ડિસેમ્બર   2025

Loading

દુનિયા બનાનેવાલે, ક્યા તેરે મન મેં સમાઈ

સોનલ પરીખ|Opinion - Opinion|4 January 2026

દુનિયા બનાનેવાલે ક્યા તેરે મન મેં સમાઈ,
કાહે કો દુનિયા બનાઈ …

કાહે બનાયે તૂને માટી કે પૂતલે
ધરતી યે પ્યારી પ્યારી મુખડે યે ઉજલે
કાહે બનાયા તૂને દુનિયા કા ખેલા
જિસમેં લગાયા જવાની કા મેલા
ગુપચૂપ તમાશા દેખે વાહ રે તેરી ખુદાઈ
કાહે કો દુનિયા બનાઈ …

તૂ ભી તો તડપા હોગા મન કો બનાકર
તૂફાં યે પ્યાર કા મન મેં છુપાકર
કોઈ છબિ તો હોગી આંખો મેં તેરી
આંસુ તો છલકે હોંગે પલકોં સે તેરી
બોલ ક્યા સૂઝી તુઝકો કાહેકો પ્રીત જગાઈ
કાહે કો દુનિયા બનાઈ …

પ્રીત બનાકે તૂને જીના સીખાયા
હંસના સીખાયા રોના સીખાયા
જીવન કે પથ પર મીત મિલાયે
મીત મિલાકે તૂને સપને જગાયે
સપને જગાકે તૂને કાહેકો દે દી જુદાઈ
કાહે કો દુનિયા બનાઈ …

હસરત જયપુરી

ફિલ્મી ગીતોમાં એક અજબ આકર્ષણ છે. પણ આપણને ગીત, કલાકારો, ગાયકો, ફિલ્મ ને સંગીતકાર પણ  યાદ રહે છે, પણ ગીતનું ખરું આકર્ષણ જેમાં છે તે શબ્દોના રચનારનું નામ બહુ ઓછાને યાદ આવે છે. ઘણીવાર તો પરવા પણ નથી હોતી. એને તો નામ ને દામ બન્ને ઓછા જ મળે છે. ગ્લેમર વિશ્વના મોટા ભાગના શાયરો આવું જ નસીબ લઈને આવ્યા હોય છે. 15 એપ્રિલે હસરત જયપુરીનો જન્મદિન હતો. 1966ની ફિલ્મ ‘તીસરી કસમના ગીત ‘દુનિયા બનાનેવાલે, ક્યા તેરે મન મેં સમાઈ, કાહે કો દુનિયા બનાઈ’ નિમિત્તે હસરતે લખેલા અદ્દભુત શબ્દો સાથે એ અદ્દભુત ફિલ્મને પણ યાદ કરીએ. 

પહેલું ગીત જીયા બેકરાર હૈ 

‘તીસરી કસમ’ માટે એક વિવેચકે લખ્યું છે, ‘ઈટ ઈઝ લાઈક અ પોએમ ઓન સેલ્યુલોઈડ વિથ અ થ્રેડ ઑફ પેઇન રનીંગ થ્રુ ઈટ.’ ‘તીસરી કસમ’ના સીધાસદા, ગીત ગાતા રહેતા ગાડાવાળા હીરામન (રાજ કપૂર) અને તેની ‘સવારી’ હીરાબાઈ (વહીદા રહેમાન) વચ્ચે લાંબી મુસાફરી દરમ્યાન એક કોમળ સંબંધ ગૂંથાતો હતો, બંને એકબીજાને અને પોતાને પણ ઓળખતા જતાં હતાં ત્યારે પણ આ જ થતું હતું. બાજુમાંથી ગાડું પસાર થાય તો પડદો ખેંચી પોતાને કોઈની નજરથી બચાવી લેતા હીરામનની નિર્દોષતા જોઈ હીરાબાઈ એ ભૂલી ગઈ કે પોતે નૌટંકીની નાચનારી છે જેને ચારઆઠ આના ખર્ચી કોઈ પણ હાલીમવાલી જોઈ શકે છે. 

મુસાફરી પૂરી થયા બાદ હીરાબાઈ વાસ્તવિક દુનિયામાં પાછી ફરી ગઈ, હીરામન એમ ન કરી શક્યો. હીરાબાઈ સમજતી હતી કે એનો અને હીરામનનો કોઈ મેળ નથી. ફિલ્મના અંતે તે પોતાની જૂની કંપનીમાં ચાલી જાય છે. ખરું કારણ હીરામનથી દૂર ચાલ્યા જવાનું છે. રેલવે પ્લેટફોર્મ પર થયેલી અંતિમ મુલાકાતમાં હીરાબાઈ કહે છે, ‘તેં મને મહુવાની વાર્તા કરી હતી, જેને વેચી નાખવામાં આવેલી – મૈં ભી બિકી હુઈ હૂં હીરામન. દુ:ખી ન થા.’ કોરી આંખે છૂટા પડતાં આ બંને પાત્રોનું  દર્દ દર્શકોની આંખો ભીંજવ્યા વગર રહેતું નથી. 

‘દુનિયા બનાનેવાલે’ આ મહુવાની વાર્તા કરતા હીરામને ગાયેલું ગીત છે. મા વગરની મહુવા એક પરદેસીને દિલ દઈ બેઠી. તેણે મહુવાનો સોદો કરી નાખ્યો ને મહુવાએ આત્મહત્યા કરી. ગીતમાં ડૂબી ગયેલાં પાત્રો અને પ્રેક્ષકોને ત્યારે ખબર નથી કે આ જ ગીત એમને ક્યાં લઈ જવાનું છે. હસરત જયપુરીએ ગીતના શબ્દોમાં એક જીવતા પાત્ર જેવો પ્રાણ પૂર્યો છે. 

કહે છે શાયર મિત્ર શૈલેન્દ્રએ ‘તીસરી કસમ’ બનાવવા માંડી ત્યારે રાજ કપૂરે તેને વાર્તામાં ફેરફાર કરવા સમજાવ્યો હતો. એ ન માન્યો. રાજકપૂરે પછી માત્ર એક રૂપિયો લઈ હીરામનનું પાત્ર ખૂબ સંવેદનશીલતાથી કર્યું, વહીદા રહેમાનની સુંદરતા, અભિનય અને નૃત્યકળા ત્રણેને આ ફિલ્મમાં અવકાશ મળ્યો, ગીતો અને ગ્રામ્ય પરિવેશથી ભારતનું એક અનુપમ ચિત્ર ખડું થયું, બાસુ ભટ્ટાચાર્યએ દિગ્દર્શક તરીકેની આ પહેલી જ ફિલ્મમાં ઘણું કૌવત દેખાડ્યું અને કલાત્મકતાની દૃષ્ટિએ ફિલ્મ વખણાઈ પણ ખરી – પણ પ્રેક્ષકોને તે બિલકુલ ન ગમી અને કશી નોંધ લેવાય એ પહેલા જ એ ભુલાઈ ગઈ, ભુંસાઈ ગઈ. ત્રણ ત્રણ વર્ષથી તેની પાછળ ખુવાર થતા રહેલા શૈલેન્દ્રનો એ નિષ્ફળતાએ જીવ લીધો. પછીનાં વર્ષોમાં ફિલ્મ ઑલ ટાઈમ ક્લાસિક શ્રેણીમાં મુકાઈ અને તેના સર્જક તરીકે શૈલેન્દ્રનું નામ અમર થઈ ગયું. પણ ત્યારે રાજકપૂરની ટીમ ખરાબ રીતે તૂટી ગઈ હતી. 

હસરત જયપુરીની મુખ્ય ઓળખ રાજકપૂરની ટીમના સભ્ય તરીકેની ભલે હોય, પણ તેઓ એ સિવાય પણ ઘણું હતા. નાનાનો વારસો અને રાધાનો ઈશ્ક એમના પહેલા પ્રેરણાસ્રોતો. ‘કહીં વો આ કે મિટા ન દે ઈન્તઝારકા લુત્ફ, કહીં કૂબુલ ન હો જાયે ઇલ્તઝા મેરી’ આ સુંદર શેર એમણે એમની વિદ્યાર્થી અવસ્થામાં લખ્યો હતો અને ‘યે મેરા પ્રેમપત્ર પઢકર’ ગીત ‘સંગમ’માં લેવાયું એનાં વર્ષો પહેલા રાધાને માટે લખાયેલું. પણ ફૂટેલા નસીબમાં રાધા ન હતી, ગરીબી, મજૂરી અને કંડકટરી હતી. 

મુંબઈમાં આવ્યા બાદ 11 રૂપિયામાં મહિનો ખેંચતા, મુશાયરા ગજવતા ને પછી ફૂટપાથ પર સૂઈ જતા હસરતે ફૂટપાથના સાથી મજૂરની લાશ પર દર્દભરી રચના લખી. મુશાયરામાં એ સાંભળી પૃથ્વીરાજ કપૂરનું દિલ ડોલી ઊઠ્યું અને ‘બરસાત’ બનાવી રહેલા રાજ ક્પૂરને એક સાથી, એક મિત્ર મળી ગયો. ‘જિયા બેકરાર હૈ’ અને ‘છોડ ગયે બાલમ’ આ બંને હસરતનાં પહેલાં ગીતો. ઊંડો પ્રેમ અને દર્દ એમની રચનાઓમાં વારંવાર ઝલકે, પણ તેમની પ્રકૃતિ રોમાન્સની – ‘બહારો ફૂલ બરસાઓ’, ‘એ ગુલબદન’, ‘આ જા રે આ જરા’, ‘મસ્તીભરા હૈ સમા’, ‘તેરી પ્યારી પ્યારી સૂરત કો’ ‘બદન પે સિતારે લપેટે હુએ’ એક એકથી ચડે તેવાં રોમેન્ટિક ગીતો. 

હસરત પાસે સાહિર જેવી કડવાશ કે ફૈઝ – કૈફી જેવું ગાંભીર્ય કદાચ ન મળે, પણ અનુભવોમાંથી નીતરેલું ઊંડાણ જરૂર મળે. એમની કલા કઠોર નહીં, જીવનની દરેક કડવાશમાંથી મીઠાશ શોધી લે તેવી હતી – પ્યાર સચ્ચા હો તો રાહેં ભી નિકલ આતી હૈ, બિજલિયાં અર્શ સે ખુદ રાસ્તા દિખલાતી હૈ …  

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 11 ઍપ્રિલ ડિસેમ્બર 2025

Loading

રિયાધ વિરુદ્ધ અબુ ધાબી : વિશ્વનો નકશો બદલી નાખવા સક્ષમ યુદ્ધ છેડાયું છે ત્યારે …

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|4 January 2026

IMEC કોરિડોરથી માંડીને ઊર્જા સુરક્ષા સુધી, અખાતી ગઠબંધનનું પતન ભારત માટે છેલ્લા એક દાયકામાં ખડી થયેલી સૌથી મોટી કૂટનીતિક કસોટી છે

ચિરંતના ભટ્ટ

યમનના મુકલ્લા પોર્ટ પર ૩૦ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ જે દૃશ્યો સર્જાયા તેણે દાયકાઓ જૂની ઔપચારિક મિત્રતાના ભ્રમને બાળીને ખાખ કરી દીધો છે. સાઉદી વાયુસેનાએ યુ.એ.ઈ.(UAE)ના શસ્ત્રોના જથ્થા પર બોમ્બમારો કરીને અખાતી સ્થિરતાના પાયારૂપ ગણાતા રિયાધ અને અબુ ધાબી વચ્ચેના ગઠબંધનમાં “માળખાકીય ભંગાણ” (structural rupture) ખડું કર્યું. અત્યાર સુધી ચાલતી મુંગી હરીફાઈ હવે ખુલ્લા લશ્કરી સંઘર્ષમાં ફેરવાઈ ગઈ છે. આ કોઈ સામાન્ય રાજદ્વારી ખટરાગ નથી; આ મધ્ય પૂર્વની સત્તાનું મૂળભૂત પુનર્ગઠન છે, જેની પર આખી દુનિયાએ તો ધ્યાન આપવું જ પડશે પણ આપણી કેન્દ્ર સરકારે પણ આ મામલા પર ધ્યાન આપવું પડશે.  

ભાઈઓમાં ભંગાણ

સાઉદી અરેબિયા અને યુ.એ.ઈ. આ પહેલાં ક્યારે ય એકબીજાની સામે નથી થયા, તેમની વચ્ચે ક્યારે ય કોઈ યુદ્ધ નથી થયું. એક સરખી સુન્ની (જો કે શિયા મુસલમાનો પણ ત્યાં છે જ પણ સુન્નીઓની પકડ વધારે છે) ઓળખ અને ભૌગોલિક નિકટતાથી બંધાયેલો આ સંબંધ ‘ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ'(GCC)ની એકતાનો આધારસ્તંભ હતો. છતાં આજે એવી હાલત એ છે કે : સાઉદી જેટ્સ અમીરાતી લશ્કરી પુરવઠાને નિશાન બનાવી રહ્યા છે, અને સાઉદી-સમર્થિત ‘પ્રેસિડેન્શિયલ લીડરશિપ કાઉન્સિલ’ (PLC) એ યુ.એ.ઈ.ના દળોને ચોવીસ કલાકમાં યમન છોડવાનું અલ્ટીમેટમ આપ્યું છે.

અનુભવી વિશ્લેષકો અને જીઓપૉલિટિકલ ફેરફારોના નિરીક્ષકો આ આખી ઘટનાથી દંગ થઇ ગયા છે. આ ટકરાવ યમનમાં પ્રોક્સી (proxy) દળોને કારણે થયો છે, જ્યાં બંને રાષ્ટ્રોના એક સરખા દુ:શ્મન ઈરાન-સમર્થિત હૂથી બળવાખોરો છે. આ તો એવી વાત થઈ કે બે અગ્નિશામકો આગ ઓલવવાને બદલે એકબીજા પર પાણીનો મારો ચલાવવા માંડે. સાઉદી મંત્રાલયે યુ.એ.ઈ. પર “અત્યંત ખતરનાક” વર્તણૂકનો આરોપ મૂક્યો, તો અબુ ધાબી માને છે કે સાઉદી અરેબિયાએ સાથી દેશ પર બોમ્બમારો કરીને સહયોગને બદલે વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કર્યો.

મુકલ્લામાં વિસ્ફોટ: શતરંજની બાજી કેમ પલટાઈ?

આ ઘટના પાછળની અકળામણને અને ટ્રીગરને સમજવા માટે નકશો સમજવો જરૂરી છે. આ સંઘર્ષનું કારણ ‘સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલ’ (STC) એ હદરમૌત અને મહરા પ્રાંતો પર કબજો જમાવ્યો—જે યમનની અંદાજે 80 ટકા તેલ સંપત્તિ ધરાવે છે અને સાઉદી અરેબિયા સાથે 425 માઈલ લાંબી સરહદ શેર કરે છે. મુકલ્લાનું મહત્ત્વ આગવું છે. તે અરબી સમુદ્રનું પ્રવેશદ્વાર છે, જે બાબ અલ-મન્ડેબ અને રાતા સમુદ્ર(Red Sea)ના સાંકડા માર્ગો (choke points)ને બાયપાસ કરીને દરિયા વાટે વેપારનો રસ્તો આપે છે. 

દક્ષિણ યમનને સ્વતંત્ર દેશ બનાવવા માટે STCના પ્રયાસને ટેકો આપીને, પોતાની અતિશય લશ્કરી મહત્ત્વાકાંક્ષાઓને કારણે “લિટલ સ્પાર્ટા”તરીકે ઓળખાતા અબુ ધાબીએ, ગલ્ફ દેશોમાં “મોટા ભાઈ” ગણાતા સાઉદી અરેબિયાને સીધો પડકાર આપ્યો. તેણે સાઉદીની સમુદ્ર સુધીની પહોંચમાં અવરોધ નાખ્યા, તેને કાપવાનો પ્રયાસ કર્યો. કોલિશનના અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે 80થી વધુ લશ્કરી વાહનો લઈ જતી બે નૌકાઓ રિયાધને જાણ કર્યા વિના અમીરાતી સૈન્ય મથકોમાં મોકલાઈ હતી. રિયાધે લશ્કરી વાહનોના આ હસ્તાંતરણને ભૂલ તરીકે નહીં પણ જાણીજોઈને કરાયેલી વ્યૂહાત્મક ઘેરાબંધી તરીકે જોયું.

વિચારધારાનો સંઘર્ષ: મુત્સદ્દી વિરુદ્ધ રણનીતિકાર

સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) અને અમીરાતી રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ (MBZ) વચ્ચેની અંગત તિરાડ અસ્તિત્વ ટકાવી રાખવાની બે અલગ અલગ વ્યૂહરચના દર્શાવે છે.


  • સાઉદી મોડેલ (સત્તાનું કેન્દ્રિકરણ):

    • યમનના કાદવમાં હાથ બગાડ્યા બાદ, MBS ‘વિઝન 2030’ માટે સરહદો સુરક્ષિત કરવા “કાયદા આધારિત મુત્સદ્દીગીરી” અપનાવી રહ્યા છે. જો કે, આ કોઈ લિબરલ અભિગમ નથી પણ “સાઉદી ફર્સ્ટ” સિદ્ધાંત છે જે સંપૂર્ણ પ્રાદેશિક વર્ચસ્વની માંગ કરે છે અને કોઈ નાના ભાગીદારની દખલગીરી સાંખી લેવા તૈયાર નથી.

  • અમીરાતી મોડેલ (નેટવર્ક):

    MBZ “હોબ્સિયન (Hobbesian) દૃષ્ટિકોણ” અપનાવે છે, જે સુદાનના RSFથી લઈને સોમાલિયાના સોમાલીલેન્ડ સુધીના બિન-રાજકીય જૂથોને સશક્ત બનાવે છે. આ કારણે રાજ્ય બનાવવાની જવાબદારી લીધા વગર જ પોતાનો  પ્રભાવ વધારી શકાય છે, જેને સાઉદી અરેબિયા પોતાની રાજ્ય-કેન્દ્રિત વ્યવસ્થા માટે પડકાર માને છે.

આર્થિક હરીફાઈ આ આગમાં ઘી હોમનારી સાબિત થાય છે. યુ.એ.ઈ.ને ઓપેક પ્લસ(OPEC+)માં ઉત્પાદન ક્વોટા તોડવા બદલ “serial cheater”નું લેબલ મળ્યું છે. એ યુ.એ.ઈ. “મધ્ય પૂર્વના સિંગાપોર”નો તાજ મેળવવા રિયાધ સાથે સ્પર્ધામાં ઉતર્યું છે. હવે એ લોકો ભાગીદાર નથી પણ એક જ લક્ષ્ય મેળવવા હોડમાં લાગેલા બે સ્પર્ધકો છે.

ત્રીજા વિશ્વયુદ્ધનું કારણ અહીં ખડું થશે?

એમ થવાની શક્યતા નથી પણ એવું નહીં જ થાય એવું માની લેવું પણ મુર્ખામી ગણાશે. સૌથી મોટું જોખમ પ્રાદેશિક વિભાજન છે.

ના, આનાથી ત્રીજું વિશ્વયુદ્ધ નહીં થાય. પરંતુ તેને અવગણવું મુર્ખામી ગણાશે. સાચો ખતરો પ્રાદેશિક વિભાજન છે.

૧. પ્રોક્સી અરાજકતા: હૂથી-વિરોધી દળો અંદરોઅંદર લડી મરશે, જેનાથી ઉત્તર યમન ઈરાનને ભેટમાં મળી જશે.

૨. “અકળાયેલા રાષ્ટ્રોનું ગઠબંધન”: વિશ્લેષકોનું માનવું છે કે યુ.એ.ઈ.ને અલગ કરવા સાઉદી અરેબિયા ઇજિપ્ત અને તુર્કીની નજીક જઈ શકે છે.

૩. વૈશ્વિક સ્તરના ગુંગળામણના મુદ્દાઓ: રાતા સમુદ્રના કોરિડોરમાંથી 12% વૈશ્વિક વેપાર થાય છે. એ પ્રવેશદ્વાર એ કોરિડોર હવે દારૂગોળાનો ઢગલો બની ગયો છે. અહીં કંઇપણ ઊંચનીચ થશે તો તે ઊર્જાના ભાવમાં ભડકો કરશે જેના કારણે એવા આર્થિક આંચકા થશે કે કોઈ સેના તેને રોકી નહીં શકે. 

ભારતે કયા મામલે વ્યૂહાત્મક રહેવાની જરૂર છે?

વાર્ષિક 162 અબજ ડોલરના અખાતી વેપાર અને આ પ્રદેશમાં વસતા 90 લાખ ભારતીયો સાથે, ભારત માટે આ અસ્તિત્વનો પ્રશ્ન છે. કેન્દ્ર સરકાર આ મામલે મૂક પ્રેક્ષક નહીં બની શકે.

૧. IMECને અત્યારે વેન્ટિલેટર પર મૂકો (અને પ્લાન B શોધો):  ઇન્ડિયા મિડલઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર (IMEC) મરણ પથારીએ છે. આ કોરિડોર સાઉદી-યુ.એ.ઈ.ના રેલવે જોડાણ પર આધારિત છે. જો આ બંન્ને વચ્ચે જ કંઇ ઠેકાણે ન હોય તો બંન્ને દેશો વચ્ચેની ટ્રેનો ચાલવાની નથી. આ તબક્કે ભારતે તાત્કાલિક ઈન્ટરનેશનલ નોર્થ–સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC)ને પુનર્જીવિત કરવો જોઈએ અથવા ઓમાન સુધીના સીધા દરિયાઈ માર્ગો શોધવા જોઈએ.

૨. ઊર્જા સુરક્ષાનું રક્ષણ: બંને રાજધાનીઓ સાથે સક્રિય સંપર્ક સાધીને ઊર્જા કરારો સુરક્ષિત કરવા જરૂરી છે. આપણે એ ચોકસાઈ રાખવી જોઈએ કે તેલના આપણા પુરવઠાનો ઉપયોગ તેમના આંતરિક ઝઘડામાં હથિયાર તરીકે ન થાય. એ લોકો બાખડે અને આપણને ઈંધણ ન મળે એ તો પાડાને વાંકે પખાલીને ડામ જેવી હાલત થશે.

૩. પ્રવાસી ભારતીયોની સુરક્ષા: MEA (વિદેશ મંત્રાલય) એ તાત્કાલિક કટોકટી પ્રોટોકોલ સ્થાપિત કરી દેવા જોઈએ. યુ.એ.ઈ.માં 35 લાખ અને સાઉદીમાં લાખો ભારતીયો છે આવામાં સંજોગો તંગ થાય તો આપણી પાસે ઇવેક્યુએશન પ્લાન હોવો જોઇએ. 

૪. વ્યૂહાત્મક સ્વાયત્તતા જાળવવી જોઈએ: આ સંજોગોમાં કોઈપણ એકનો પક્ષ લેવાનું દબાણ કરાશે તો આપણે તેનો પ્રતિકાર કરવો જોઇએ. ભારતે પોતાની જાતને બે દેશો વચ્ચેનો તણાવ ઘટાડવામાં મદદ કરનારા કડી કે સેતુ તરીકે પોતાનુ્ સ્થાન બનાવવું જોઇએ. આપણે એવા દેશોમાંથી એક છીએ જે MBS અને MBZ બંને સાથે નિખાલસતાથી વાત કરી શકીએ તેમ છે.

૫. સંરક્ષણ ભાગીદારીમાં સંતુલન: બંને સાથે નૌકાદળનો સહયોગ ચાલુ રાખવો જોઇએ, પરંતુ કોઈ એક પક્ષ તરફી દેખાવાનું ટાળવું જોઇએ. અત્યારે યુ.એ.ઈ. નેવી સાથેનો કોઈ પણ સંયુક્ત અભ્યાસ રિયાધ ચોક્કસ શંકાની નજરે જોશે એટલે આપણે સાવચેતી રાખવી જરૂરી છે.  

૬. પાકિસ્તાનના પરિબળને નજરમાં રાખવું જોઇએ: બંને કિંગડમ્સ પાકિસ્તાન સાથે વ્યૂહાત્મક સંબંધો ધરાવે છે. વિભાજિત ગલ્ફ ઇસ્લામાબાદને તેની સુરક્ષા સેવાઓ સૌથી વધુ બોલી લગાવનારને વેચવાની તક આપે છે, જે ભારતની પ્રાદેશિક સલામતનીની ગણતરીને જટિલ બનાવી શકે છે.

૭. આર્થિક મુત્સદ્દીગીરીનો ઉપયોગ: FTA વાટાઘાટોને વેગ આપવો જોઇએ પણ સંતુલન પણ જાળવવું જોઇએ. ભારતીય વ્યવસાયોને તટસ્થ પક્ષો તરીકે સ્થાપિત કરો જે બંને રાજ્યોના આર્થિક વૈવિધ્યકરણ (diversification) માટે જરૂરી છે, પછી ભલે તેમની વચ્ચેના રાજકીય સંબંધો ગમે તેવા હોય.

સાઉદી-યુ.એ.ઈ. વચ્ચેના “વ્યૂહાત્મક લગ્ન” હવે હાઈ-વૉલ્ટેજ છૂટાછેડામાં ફેરવાયા છે. ભારતે અત્યારે વ્યૂહાત્મક ધીરજ રાખવાની જરૂર છે. ઊર્જા, પ્રવાસી ભારતીયો અને વેપાર જેવા ભારતના મુખ્ય હિતો કાયમી રહેવાના છે, પરંતુ આ તમામને સુરક્ષિત કરવાનો રસ્તો અત્યારે બારૂદી સુરંગોથી ભરેલો છે.

બાય ધી વેઃ  

હવે “મોટા ભાઈ” આંખ આડા કાન કરવા તૈયાર નથી, અને “લિટલ સ્પાર્ટા”ને હવે ઓર્ડર નથી લેવા, પણ સત્તા જોઇએ છે. વર્તમાન પરિસ્થિતિ બે શક્તિશાળી શિકારીઓ જેવી છે, એવા શિકારીઓ જે એક સમયે એક જ જંગલમાં શિકાર કરતા, જંગલમાં પોતાની મર્યાદાઓ સમજીને કામ કરતા પણ હવે તેમને શિકાર કરવા માટે આ જંગલ નાનું પડે છે. સાઉથ બ્લોક, સમજદારીપૂર્વક રસ્તો કાઢજો. ભલે બે ભાઈઓ ઝઘડી રહ્યા હોય, પરંતુ ભારતનું હિત એ સુનિશ્ચિત કરવામાં છે કે આપણે અંદર હોઈએ ત્યારે તેઓ ઘરને આગ ન લગાડી દે. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 04  જાન્યુઆરી 2026

Loading

...10...21222324...304050...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved