Opinion Magazine
Number of visits: 9965159
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દીવાના ઝગમગાટ વચ્ચે સર્વને નૂતન વર્ષાભિનંદન

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|16 November 2020

દીપાવલિનું પર્વ ગયું. તેણે અનેક વિટંબણાઓ વચ્ચે પ્રકાશ વેર્યો અને ઝગમગતું 2077 બારણે લાવી મૂક્યું છે તો નૂતન વર્ષને સત્કારીએ. દરેક ભારતીયને હૃદયપૂર્વક અભિનંદનો અને શુભેચ્છાઓ.

વિક્રમ સંવત 2076 કે 2020 લખી વાળવું પડે એવી સ્થિતિ વિશ્વની રહી છે. કોરોના વાયરસથી લાખો લોકો પ્રભાવિત થયા ને વિશ્વના લાખો લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યા એ સૌને ભાવભરી અંજલિ આપીએ અને જેઓ સંક્રમિત થવા છતાં જીવનમાં પાછા ફર્યા એ સૌને શુભેચ્છાઓ પાઠવીએ. બહુ કપરો સમય ગયો છે ને હજી જોખમો છે જ ત્યારે સૌ સ્વસ્થ અને સુરક્ષિત રહે એવી પ્રાર્થના કરીએ.

પ્રકાશની અનેક ઝગારા મારતી ડિવાઈસિસ આપણે વિકસાવી છે, છતાં આપણે દીવા સળગાવીએ છીએ. એકઝેટ જ્યોત જ લાગે એવી ઈલેક્ટ્રિક આરતીઓ મળે છે, પણ કેટલાક ઘરોમાં હજી ઘીના દીવાની જ આરતી થાય છે. હવે તો બજારમાં આરતીનું ઘી અલગથી મળે છે. એ આરતી પણ પ્રકાશ તો આપે જ છે, પણ એનું અજવાળું મનમાં પડતું નથી, કારણ મન સચ્ચાઈ જાણતું હોય છે. જેટલી સચ્ચાઈ મન જાણતું હોય તેટલું અજવાળું મનમાં ઓછું પડે છે ને એનો ગુણાકાર જેમ જેમ વધે છે તેમ તેમ અંધકાર વધતો જાય છે ને એ વ્યક્તિને નિસ્તેજ કરે છે.

જગત આખાનું દુખ, સાચું જાણીએ છીએ અને તે પ્રમાણે વર્તી શકતા નથી એ છે. આપણે આપણને ઢાંકતા જઈએ છીએ ને તેમ તેમ કાળાશ મનમાં વધતી જાય છે ને એવી સ્થિતિ આવે છે કે છેવટે અંધકાર જ શેષ રહે છે. ખબર જ નથી પડતી કે આપણું તેજ ઘટાડતા જઈને આપણે અંધકાર જ ઘૂંટ્યા કરીએ છીએ. આ પાછું આપણે વધુને વધુ પ્રકાશ, સંપત્તિ ને ઐશ્વર્ય મેળવવા કરીએ છીએ. એને માટે એ બધું જ કરીએ છીએ જે સત્ય નથી. આપણે “અર્થ” માટે તમામ અનર્થ કરી શકીએ છીએ ને આજની લગભગ તમામ ચિંતાનું કારણ જ “અર્થ” છે.

પૃથ્વીનો સૂર્ય એક જ છે ને આપણે સૂર્ય થવા મથીએ છીએ. મથવું ખોટું નથી, પણ તેને માટે જે માર્ગ અપનાવીએ છીએ એ સૂર્ય નહીં, અંધકાર વધારનારા છે. સૂર્ય થવા આપણે તેજ નથી વધારતા, અહંકાર વધારીએ છીએ ને અહંકાર ગમે તેટલો પ્રખર હોય તો પણ તેનું પરિણામ અંધકારમાં જ આવે છે.

સૂર્ય થવાય તો થવું, પણ દીવો થવાય તો પણ ખોટું નથી. આરતીની જ્યોત કાયમી નથી એમ જ સૂર્ય પણ કાયમી નથી. સૂર્ય હોય અને આપણે જ ન હોઈએ તો એ સૂર્યનો શો અર્થ છે? મહત્ત્વ સૂર્યનું તો છે જ પણ એથી વધુ મહત્ત્વ તો મનુષ્યનું છે. મનુષ્ય પહેલાં પણ આ પૃથ્વી તો હતી જ, પશુપંખી હતાં, તારા નક્ષત્રો પણ હતાં જ ! સૂર્ય હતો, ચંદ્ર હતો, જળ, વાયુ, અગ્નિ … બધું હતું, પણ પૃથ્વીને, એ પૃથ્વી છે એવી ઓળખ મનુષ્યે આપી. સૂર્યના પ્રખર તાપનો પ્રભાવ જીવજંતુ, વૃક્ષ, પાન, જળ, સ્થળ પર હતો જ, પણ એને અભિવ્યક્તિ આપી મનુષ્યે. મનુષ્ય ન હતો ત્યાં સુધી દેવીદેવતાઓ પણ ન હતાં, સ્વર્ગ ન હતું, નરક ન હતું. પાપ ન હતું, પુણ્ય પણ ન હતું. આ બધું આવ્યું મનુષ્યને પગલે. એ મનુષ્ય હવે પ્રકૃતિનું નિકંદન કાઢવા બેઠો છે. લાખો મનુષ્યોનો કેવળ સત્તા માટે મનુષ્યે સર્વનાશ કર્યો છે. શાસ્ત્રો માટે સંપત્તિનો કરવાનો ઉપયોગ હવે શસ્ત્રો માટે થાય છે. અનેક વખત આ પૃથ્વીનો નાશ કરી શકાય એટલાં શસ્ત્રો આપણે વિકસાવ્યાં છે ને નાશ જ કરવો હોય તો જરૂર તો એક વખતનાં શસ્ત્રોની જ છે. સર્વાર્થ હવે સ્વાર્થમાં પરિણમ્યો છે. આપણે કૃશનું વધાર્યું છે એટલું મહત્ત્વ કૃષિનું વધાર્યું નથી.

ઈશ્વરની સાક્ષીએ પુણ્ય કમાવાની વાત હવે પાપ કમાવા પર આવી છે. કદાચ પાપ જ પુણ્ય થઈ ગયું છે. ગમે એટલું અસત્ય વધે તો પણ તે સત્ય થતું નથી. ગમે એટલો અંધકાર, પ્રકાશ થઈ શકતો નથી. ગમે એટલો નાનો દીવો છે તો પ્રકાશ જ. તેનું અંધકાર કૈં જ બગાડી શકતો નથી. એ દીવાનું તેજ સમજીએ. દીવાનું તેજ સ્નિગ્ધ છે, તે પ્રખર નથી. સૂર્યનું તેજ કોમળ હોય એ જ રીતે તે પ્રખર પણ હોય. ગમે તેટલો પ્રખર સૂર્ય રાત્રે કામ આવતો નથી, ત્યારે તો દીવો જ કામ લાગે છે. દીવો સૂર્યની સામે કૈં જ નથી, પણ તે અંગત છે. સૂર્ય વિશ્વનો છે, દીવો ઘરનો છે. ઘરમાં તો દીવો જ સળગે. ત્યાં કૈં સૂર્ય ન પ્રગટાવાય. સૂર્ય વિના ન જીવાય, પણ દીવા વગર પણ માર્ગ ન મળે એ પણ એટલું જ સાચું છે.

દીવો આગળનું જ જુએ છે. કોઈ પણ પાછળ જવા દીવો પ્રગટાવતું નથી, તે તો આગળનો માર્ગ જ બતાવે છે. અજવાળું બહાર થાય તેમ મનમાં પણ થાય છે. આત્માને સૂર્ય નહીં, દીપ કહ્યો છે. જેને આત્માનું અજવાળું છે તેને અંધકાર સ્પર્શતો નથી. આ અજવાળું બાળકમાં સૌથી વધુ હોય છે. તે એટલે કે તે નિર્દોષ હોય છે.

યાદ છે, શેરીને નાકેથી ડોલમાં માટી ખોદી લાવતા હતાં તે? મહોલ્લામાં નવા નવા લાઈટના થાંભલા નંખાયા હતાં ને તેનું અજવાળું રસ્તા પર બેચાર ઘરે જ પહોંચતું હતું, યાદ છે? ડામરની સડક આવવાની હતી ને પેલી માટીની, આંગણે ઓટલી બનતી હતી, ખબર છેને? તેને છાણ લીંપીને લીસી કરતાં હતાં. ઉપર ગેરુ ફેરવતાં અને દિવસોની મહેનત પછી ઓટલી ચકચકવા લાગતી. શેરીનાં છોકરાઓનું આ જ તો ભક્તિકાર્ય હતું. એ પછી કરોઠી ખરીદાતી ને લારીવાળો રંગોની નાની નાની શંકુ આકારની ઢગલીઓ લાવતો અને માંડ થોડા સિક્કાઓમાં જાણે મેઘધનુષ ઘરમાં આવતું. ત્યારે આજના જેવા રેડીમેડ સાથિયા કે સ્ટિકર્સ ન હતાં. હવે તો ઓટલીઓ જ ગઈ ત્યાં –

પણ ત્યારે ઓટલીમાં જીવ રહેતો. કોઈ મીંડાંના સાથિયા કરતું તો કોઈ બીબાં પર કરોઠી ભભરાવી વાઘ કે લક્ષ્મી ઓટલી પર પાડતાં. ત્યારે ખબર ન હતી કે એ વાક્બારસ છે. વાક એટલે વાણી ને વાણીની દેવી એટલે સરસ્વતી એવું ભાન જ નહીં. અંબામાતાનું વાહન વાઘ એટલે વાઘબારસ, આટલી જ સમજ. વાઘમાં રેતી અને હળદર પૂરીને ચટાપટાવાળો વાઘ તૈયાર થતો ને તેની જીભમાં કંકુ પુરાતું કે એવું લાગતું જાણે અંબામા તેના પર સવારી કરશે. આખી શેરીમાં 40ના કે 100ના બલ્બ સળગતા અને શેરી ફાનસ જેવી ઝગમગી ઊઠતી. મોડી રાત સુધી શેરી વાતે વળગતી ને અનેક સાથિયાઓથી રંગીન થઈ ઊઠતી. બા રસોડામાં ખડખડિયાં, થાપડાં કે રવાના કાંગરીવાળા ઘૂઘરા તળવામાં પડી હોય અને તેની સુવાસ સાથિયા સુધી ઊતરી આવતી. ..

એવામાં સવારે ખબર પડતી કે કોઈ ગાય ઓટલી પરનો સાથિયો ખોદી ગઈ છે તો જીવ ગયા જેવો ચિરાડો પડતો. આખો દિવસ આંખો લૂંછવામાં જતો. એમાં વળી કોઈ દિવસે લોટ, ઘી, ખાંડ લઈને નાનખટાઈ પડાવવા જતાં. રાત્રે ગરમાગરમ નાનખટાઈનો ડબ્બો ભાઈબહેનો માથે મૂકીને લાવતાં ને તેનો અડધો ટુકડો મોમાં મૂકતાં જે મીઠાશ ફેલાતી તે હજી જીભ પર રવરવે છે. ચણાની ઘારીની બાએ મોંમાં મૂકેલી મીઠાશ ઘરડી જીભ હજી શોધે છે ને જવાબમાં ખારાશ આંખે આવે છે.

– ત્યારે ટોટી ફૂટતી ! પિત્તળના વાઘનાં ડોકાં મળતાં. તેનાં મોઢામાં ટોટી મૂકવાની ને તેને ઉછાળો એટલે તે ભોંયે પટકાય ને “ફટ્ટ !” અવાજે દિવાળી શરૂ થતી. લાલપીળાં બપોરિયાં દિવસે સળગતાં ને રાત્રે કનકતારાને છેડેથી વાળીને ગોળગોળ ફેરવવાથી જે સળગતું વર્તુળ રચાતું તે અનેકના ચહેરા સોનેરી રંગી જતું. તે વખતે  ચાંદબીબી છાપ 24 ફટાકડાની લૂમ મળતી. એના એક એક ફટાકડા છૂટા પાડીને ફોડવાના. એક બે લૂમમાં તો દિવાળી પૂરી થતી. કાળી ચૌદશે લક્ષ્મી બોમ્બ મળતા. તે પાંચ મોટા ફટાકડાનું પેકેટ. નાકેના હનુમાનના મંદિરે વડાપૂરી ને તેલ ચડાવતાં ને આવતી વખતે બોમ્બ ફોડતા. તે વખતે 10,000 ફટાકડાની લૂમ ન હતી. આખી જિંદગીનો સરવાળો હજાર ફટાકડા નહીં થાય કદાચ ! જે હતું તે ઓછું હતું, પણ સાત્વિક હતું ને તેનો આનંદ હતો, હવે તો તે ય રહ્યું નથી, પણ એનો અફસોસ કરવાનો અર્થ નથી. હતું તે સારું હતું ને હશે તે ય સારું જ હશે … કારણ ગમે તેટલું કરીએ તો પણ પૃથ્વીને અવળા આંટા તો મરાવી શકાવાના નથી. ગતિ એ જ વિકલ્પ છે ત્યાં ભવિષ્ય એ જ આશ્વાસન પણ છે. આપણે ખરાં થઈએ ને ખરાં ઊતરીએ તો ય ઘણું છે, ખરુંને? ફરી એક વાર સૌને અભિનંદનો …

0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : લેખકની ‘આજકાલ’ નામક કટાર, “ધબકાર” દૈનિક, 16 નવેમ્બર 2020   

Loading

બંધવા મજદૂર ….

નારણ મકવાણા|Opinion - Opinion|15 November 2020

સળગાવી દો..
બધા બંધવા મજદૂરને …
એ પાછા નહીં ચૂકવી શકે તમારા પૈસા,
તમારાં રોજે રોજ વ્યાજ વધતાં પૈસા,
મફતમાં કામ કરાવ્યે રાખો,
ધમકાવો એ ગુલામને,એને પીટો,
એ ફાટી ગયો છે..(તમારા મતે)

૫૦૦૦ રૂપિયાની કિંમત શું?
એક જિંદગી શું જિંદગીભર તમારી ગુલામ?
કાયદાનો તમને ડર નથી,
ને અપરાધ તો જાણે રમત ..
ગરીબની જિંદગીનો રખેવાળ કોણ?

કમોતે, અત્યાચારી મોતે ગરીબ જ્યારે મરે,
એના ઘરે મોટાં મોટાં નેતાઓ આવે,
રાજકારણ ચલાવે,
સરકારી સહાય અપાવે,
ફોટા પડાવે, ટ્વીટ કરે ..
બસ …

ફટાકડા જેમ ફોડો જિંદગી મજૂરની,
એની વિધવા જીવતી મરશે,
જિંદગીભર તડપશે,
બાળકો માટે બધ્ધું જ કરશે
તમારાં બાપનું ક્યાં કૈં જશે ..
બસ ખાલી 
૫૦૦૦ રૂપિયામાં.!!!
ધિક્કાર છે તમને …
તમારી આવનારી પેઢીઓને 
આનું પરિણામ ભોગવવું જ પડશે …..

૯/૧૧/૨૦૨૦

e.mail : naranmakwana20@gmail.com

Loading

આ તમારા ઐશ્વર્યનું નહીં, તમે કરેલા પ્રજાના શોષણનું પ્રદર્શન છે

રમેશ ઓઝા|Opinion - Opinion|15 November 2020

ગાંધીજીએ પહેલું રાજકીય નિવેદન કર્યું ૧૯૧૬ની છઠ્ઠી ફેબ્રુઆરીએ બનારસમાં બનારસ હિંદુ યુનિવર્સિટીના ઉદ્ઘાટન સમારંભમાં. એ નિવેદન નહોતું, દમદાર માણસના દમદારપણાનો અને એ સાથે આપણા કામનો નહીં હોવાની જાહેરાતનો બુંગિયો હતો. સમારંભમાં ભભકાનો પાર નહોતો. ઉદ્ઘાટન માટે આવેલા ગવર્નરની સલામતી માટે ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. શહેરમાં ચારે બાજુ પોલીસ હતી. સમારંભમાં ભાષણોની ધાણી ફૂટતી હતી અને બધા જ વક્તાઓ અંગ્રેજીમાં બોલતા હતા. સમારંભમાં કિંમતી આભૂષણો પહેરીને રાજા-મહારાજો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીજી આની વચ્ચે અકળામણ અનુભવતા હતા.

ગાંધીજીનો જ્યારે બોલવાનો વારો આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ભારતે જો સ્વરાજ મેળવવું હશે તો ભારતની પ્રજા જે ભાષામાં બોલે છે, સમજે છે અને વિચારે છે એ ભાષામાં બોલવું પડશે. એના સિવાય રાષ્ટ્રીય સ્તરે એકવાક્યતા ન સ્થપાઈ શકે. એ પછી તેમણે ગવર્નર માટેની સલામતી વ્યવસ્થાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે આટલા ભય હેઠળ જીવવું એ જીવતર નથી. જો તેમને ભય લાગતો હોય તો તેમણે તેમના વતન પાછા જતા રહેવું જોઈએ. તેમણે શ્રોતાઓ દ્વારા ભારતીય પ્રજાને ઉદ્દેશીને કહ્યું હતું કે જો ગવર્નર આપણા કારણે ભય અનુભવતા હોય તો એ આપણા માટે શરમજનક છે. આપણને ગવર્નરની આંખમાં આંખ નાખીને આત્મવિશ્વાસ સાથે આપણી વાત કહેતા આવડવું જોઈએ. નથી ડરવાની જરૂર કે નથી ડરાવવાની જરૂર. આગળ જતા ગાંધીજીએ રાજા-મહારાજાઓનાં આભૂષણનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે આ તમે પ્રાપ્ત કરેલાં ઐશ્વર્યનું પ્રદર્શન નથી, પરંતુ તમે કરેલા પ્રજાનાં શોષણનું પ્રદર્શન છે.

આવું જાહેરમાં મંચ ઉપરથી મોઢામોઢ ગાંધીજી બોલ્યા હતા. એ બેઠકની અધ્યક્ષતા દરભંગાના મહારાજા કરતા હતા અને બીજા કેટલાક રાજવીઓ મંચ ઉપર અને મંચની સામે પહેલી હરોળમાં બેઠા હતા. ગાંધીજીને આ રીતે મોઢામોઢ બોલતા જોઇને મંચ ઉપર ઉપસ્થિત એની બેસન્ટે ગાંધીજીને તેમનું પ્રવચન પૂરું કરવાની સલાહ આપી હતી. સામે પ્રેક્ષકો ગાંધીજી ભાષણ ચાલુ રાખે એવો આગ્રહ રાખતા હતા. એની બેસન્ટે બીજી વાર ગાંધીજીને બેસી જવા કહ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘જો અધ્યક્ષ મને ભાષણ ટૂંકાવીને બેસી જવા કહેશે તો હું બેસી જઈશ.’ સામેથી લોકોનો હર્ષનાદ એટલો હતો કે ગાંધીજીને બેસી જવા માટે કહેવાની અધ્યક્ષની હિંમત ચાલી નહોતી. થોડી વારે એની બેસન્ટ વિરોધના ભાગરૂપે મંચ ઉપરથી ઊતરી ગયાં હતાં અને એ પછી રાજવીઓ મંચ છોડીને જતા રહ્યા હતા.

ગાંધીજી વિષે જે વાયકાઓ સાંભળવા મળતી હતી એની ભારતની પ્રજાને પ્રતીતિ થઈ. આ માણસ પ્રજા સાથે એકાકાર થઈ શકે છે. આ માણસ સામાન્ય માણસની ભાષામાં સામાન્ય માણસના હિતની વાત કરે છે. આ માણસ જે વિચારે છે એ જ બોલે છે અને કરે પણ છે. આ માણસ નિર્ભીક છે, પણ અભિમાની કે તોછડો નથી. આ માણસ નાની કે કોઈ ખાસ વર્ગ વિશેષના સ્વાર્થની વાત કરતો નથી, પણ સઘળાનો વિચાર કરે છે. ભારતની પ્રજાને લાગ્યું કે આ દમદાર માણસ આપણા કામનો છે. બીજા શબ્દોમાં કહીએ તો દમદાર હોવા છતાં જે માણસ પ્રસ્થાપિત નેતાઓને કામનો નહોતો લાગ્યો એ ભારતની સામાન્ય પ્રજાને કામનો લાગ્યો હતો. એ ઘટના પછી ગાંધીજી ભારતના એકમેવ નેતા તરીકે સ્થાપિત થવા લાગ્યા અને એમ પણ કહી શકાય કે એ ઘટના પછીથી ગાંધીજીને સતાવવાની પણ શરૂઆત થઈ.

ગાંધીજીના એ ભાષણના દેશભરમાં પડઘા પડ્યા હતા. ખરી તાકાત જીગરમાં રહેલી છે, સંખ્યામાં કે સમૂહમાં નથી એ તેમણે બતાવી આપ્યું. ગાંધીજીનાં એ ભાષણ પછી બીજા મહિને વિનોબા ભાવે શાસ્ત્રોનો અભ્યાસ કરવા કાશી ગયા હતા. કાશીમાં સર્વત્ર ગાંધીજીનાં ભાષણની ચર્ચા ચાલતી હતી. ત્યારે વિનોબાજી હજુ ગડમથલમાં હતા કે દેશને મુક્ત કરવા ક્રાંતિનો માર્ગ અપનાવવો કે પછી જીવનને સંસારના બંધનોથી મુક્ત કરવા સંન્યાસ લેવો. તેમણે જ્યારે ગાંધીજીનું આખું ભાષણ વાંચ્યું ત્યારે તેમને સમજાઈ ગયું કે આમાં તો બન્ને સમાહિત છે. દરેક અર્થમાં મુક્ત માણસ જ આવાં વચન જાહેરમાં બોલી શકે. આ માણસ મારા દેશને પણ મુક્ત કરી શકે એમ છે અને મારા જીવનને પણ બંધનમુક્ત કરીને જીવન સાર્થક કરી શકે એમ છે. ક્રાંતિ અને શાંતિનો સમન્વય જોવા મળે એમ છે. વિનોબા ભાવેએ ગાંધીજીને પત્ર લખ્યો, મળવાની ઈચ્છા બતાવી અને જૂન ૧૯૧૬માં કાયમ માટે ગાંધીજીના થઈ બેઠા. પાછળથી ગાંધીજીએ વિનોબાને પોતાના આધ્યાત્મિક વારસ જાહેર કર્યા હતા.

બેરિસ્ટર વલ્લભભાઇ પટેલ ગુજરાત ક્લબમાં ગાંધીજીની કાયમ ઠઠ્ઠા કરતા. એક વાર ક્લબમાં ગાંધીજીનું ભાષણ હતું. વલ્લભભાઇ અને તેમના મિત્ર ગણેશ વાસુદેવ માવલંકર ક્લબમાં પત્તા રમતા હતા. ગાંધીજી આવ્યા ત્યારે માવલંકરે વલ્લભભાઇને કહ્યું કે ગાંધીજી આવી ગયા છે, ચાલો અંદર ભાષણ સાંભળવા નથી જવું? વલ્લભભાઇએ તેમની લાક્ષણિક શૈલીમાં કહ્યું કે, ‘તમે જાવ મારે નથી આવવું. તેઓ શું બોલવાના છે એ હું તમને જણાવી દઉં. ઘઉંમાંથી કાંકરા વીણવાથી સ્વરાજ મળવાનું છે.’ અને પછી તેઓ હસવા લાગ્યા. એ જ વલ્લભભાઇએ ગાંધીજીના બનારસના ભાષણના સમાચાર વાંચ્યા ત્યારે તેઓ બોલી ઉઠ્યા હતા કે, ‘માવલંકર, આ માણસ સ્વરાજ અપાવશે.’

ઘનશ્યામદાસ બિરલા કલકત્તાના ઊગતા ઉદ્યોગપતિ હતા. આગલા વરસે ૧૯૧૫માં ગાંધીજી કલકત્તા ગયા હતા ત્યારે મારવાડી યુવક સંઘના યુવકોએ ગાંધીજીની ઘોડાગાડીના ઘોડા છોડી નાખીને ગાડી જાતે ખેંચી હતી. એ યુવકોમાં એક ઘનશ્યામદાસ બિરલા પણ હતા. તેમણે પણ ગાંધીજીનું બનારસનું ભાષણ વાંચીને મિત્રોને કહ્યું હતું કે બસ, તૈયારી કરો આઝાદી મળવાની છે.

પણ પ્રસ્થાપિત નેતાઓને તો હજુ પણ આ માણસ કામનો નહોતો લાગતો. સમસ્યા એ હતી કે માણસ દમદાર હતો અને હવે તો પ્રજાને પણ કામનો લાગવા માંડ્યો હતો. યાદ રહે, વિનોબા ભાવે, વલ્લભભાઇ પટેલ, ઘનશ્યામ દાસ બિરલાએ આ માણસ અનોખો છે એવા ઉદ્ગાર કાઢ્યા ત્યારે તેઓ પણ પ્રજાનો હિસ્સો હતા, નેતા નહોતા. લગભગ આવા જ પ્રતિભાવો બીજા અનેક જણે આપ્યા હતા જે આગળ જતા રાજકીય નેતા કે ગાંધીજીના સહકારી કે પ્રતિષ્ઠિત મહાનુભાવો નીવડ્યા હતા. પ્રસ્થાપિત નેતાઓ માટે સમસ્યા હતી કે આ માણસનું કરવું શું? આ આપણી ભાષા બોલતો નથી અને આપણે જે રાજકારણ કરીએ છીએ એ નકારે છે. આ માણસને નકારી શકાય એમ પણ નથી, કારણ કે પ્રજા સ્વીકારે છે.

૧૯૧૬-૧૯૨૦. ભારતના પ્રત્યેક નેતાએ, ફરી કહું છું અપવાદ વિના, પ્રત્યેક નેતાએ ગાંધી નામની કવરાવતી વાસ્તવિકતાનું કરવું શું એનો નિર્ણય લેવો પડ્યો હતો.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 15 નવેમ્બર 2020

Loading

...102030...2,1982,1992,2002,201...2,2102,2202,230...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved