Opinion Magazine
Number of visits: 9574363
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરોનાને મામલે ભારત વિશ્વવિક્રમ કરવા માંગે છે?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|7 September 2020

કોરોનાને મામલે ભારત વિશ્વમાં બીજા ક્રમે પહોંચ્યું છે ને બીજા ક્રમે રહેલા બ્રાઝિલને તે પાછળ ધકેલીને  આગળ આવ્યું છે. બ્રાઝિલ ૪૦ લાખ કેસોની સાથે વિશ્વમાં બીજા ક્રમે હતું તેને ૪૧ લાખ કેસોની આગેવાની સાથે ભારતે પછાડ્યું છે ને થોડા જ સમયમાં અમેરિકાને પણ પાછળ ધકેલીને ભારત વિશ્વ વિજેતા બને તો નવાઈ નહીં ! વિશ્વભરમાં મૃતકોની સંખ્યા નવ લાખ નજીક પહોંચી છે ને એવું લાગતું નથી કે ભવિષ્યમાં આ આંકડાઓ ઘટે. જે ઝડપ અત્યારે ભારતની છે એમાં તે વિશ્વવિક્રમ કરે એવા પૂરતા સંજોગો છે. સિત્તેર હજાર લોકોએ અત્યાર સુધીમાં ભારતમાં કોરોનાને કારણે જીવ ગુમાવ્યા છે.

દેશના આરોગ્યમંત્રી કોણ છે તે આરોગ્યમંત્રી સિવાય બધાં જ જાણે છે. એમને યાદ અપાવવું જોઈએ કે સાહેબ, તમે આરોગ્ય મંત્રી છો અને દેશ મંતરાઈ રહ્યો છે, તો જરા જાગો. દેશમાં આરોગ્યમંત્રી છે કે નહીં, તેની ખબર જ નથી પડતી, પણ આરોગ્ય મંત્રાલય ને આરોગ્ય સેતુ એપ તો છે જ. એટલાથી કોરોના કાબૂમાં આવી જશે એવું સરકાર માને છે. આરોગ્ય મંત્રાલય આંકડાઓ બહાર પાડે છે ને કાળજી રાખે છે કે તેના આંકડાઓ મીડિયાથી વધે નહીં, ભલે પછી તેની ગતિ વિશ્વવિક્રમ કરવા તરફની હોય.

દેશમાં મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રની સ્થિતિ સૌથી ખરાબ છે ને એ મામલે કેન્દ્ર સરકાર ચિંતિત છે. છેલ્લા ચોવીસ ક્લાકમાં આ ત્રણ રાજ્યોમાં મોત ૫૨ ટકા ને સક્રિય કેસો ૪૬ ટકા ૬ સપ્ટેમ્બરે નોંધાયા છે. ગઈ ૭ ઓગસ્ટે કેસોની સંખ્યા ૨૦ લાખની હતી, તે એક મહિનામાં બીજા ૨૧ લાખને આંબી ગઈ ગઈ છે. કેન્દ્રે જે તે રાજ્યોને પગલાં લેવાનું કહીને ફરજ બજાવી લીધી છે, કેમ જાણે રાજ્યોને તો અક્કલ જ નથી કે તેણે પગલાં પણ લેવાં જોઈએ ! જો કે દેશની બધી જ સરકારો હાથ ઊંચા કરી દેવામાં કે હાથ ખંખેરી નાખવામાં સફળ છે એટલે ‘કૃષ્ણએ કરવું હોય તે કરે …’ એ પંક્તિ બદલીને ‘કોરોનાએ કરવું હોય તે કરે …’ ગાઈને જ સંતોષ માની લે છે.

સરકારે પ્રજા પાસે થાળી વગડાવીને કે દીવા પેટાવડાવીને કોરોના ભગાડવાની કોશિશ તો કરી, પણ કોરોનાને આંખકાન નથી. એને થાળી દીવા દેખાયાં જ નહીં. હવે સરકારને આંખકાન ન હોય તેમ તે વર્તે છે ને કોરોના તેની જરા ય શરમ રાખ્યા વગર આગળ વધી રહ્યો છે ને  લોકો ખરાબ રીતે મરી રહ્યાં છે.

સરકાર અત્યારે અર્થતંત્રની ચિંતામાં છે. તે વ્યવહાર પૂર્વવત કરવામાં પડી છે. ઉદ્યોગધંધા ચાલે તો દેશ બેઠો થાય એ સાચું છે, પણ લોકોને મરવા તો છોડી ન દેવાયને ! સરકારે લોકોને રામ ભરોસે છોડી દીધાં છે ને આ મૂર્ખ પ્રજા પોતાની કાળજી લેવામાં માનતી નથી એટલે સંક્રમણ વધ્યું છે. સરકાર જેટલી જ પ્રજા પણ જવાબદાર છે. ધર્મકર્મ, લગ્ન, મરણ અને રાજકારણને નામે પ્રજા ગમે ત્યાં ટોળું વળી જાય છે. એક તરફ ટોળે વળવાની બંધી છે ને બીજી તરફ પ્રજા સમર્થનમાં કે વિરોધમાં વાવટા ફરકાવતી હાજર થઈ જાય છે. આટલી નવરી પ્રજા કોઈ દેશમાં નથી. રાજકારણીઓ પોતે મંદિરોમાં ને સભાઓમાં તેમણે ઠરાવેલા નિયમોનું પાલન ઓછું જ કરે છે. રાજનેતાઓ, અભિનેતાઓ, ડોકટરો કે સામાન્ય પ્રજાની કોરોનાએ શરમ રાખી નથી તે હવે તો બધાંને સમજાવું જ જોઈએ, પણ નથી સમજાતું તે હકીકત છે.

માત્ર સુરતનો જ દાખલો લઈએ તો એવો એક્કે વર્ગ બાકી નથી જે કોરોનાની જાળમાં ના ફસાયો હોય. એનો અર્થ એ કે કોઈ વર્ગ કોરોના અંગે કાળજી લેવાને મામલે સભાન નથી. ડોક્ટર, નર્સ, શિક્ષક, બેન્કર, લારીવાળા, કરિયાણાના, કાપડના વેપારીઓ, રસોઈયા, પોલીસ, ડ્રાઈવર એમ કોઈ કહેતા કોઈ વર્ગ કોરોનાની અસરથી બાકાત નથી. મતલબ કે માસ્ક કે ૬ ફૂટનું અંતર જાળવવાની વાત પ્રજાએ પાળી નથી અથવા તો બહાર પાડેલા નિયમોમાં હજી કંઈ ખૂટે છે. આવું હોય તો સરકારે નિયમો અંગે ફેર વિચારણા કરવાની રહે. માસ્ક ન પહેરનારાઓને ભારે દંડ કરવાનું ઠરાવ્યું ત્યારથી પ્રજા માસ્ક પહેરતી તો થઈ છે, પણ લગ્ન કે સમર્થન-વિરોધનાં ટોળામાં કોઈ નિયમ પળાતો નથી.

છેલ્લા અનલોકમાં ૧૦૦ માણસો ભેગાં થવાની છૂટ અપાઈ છે. જો ખબર હોય કે નિયમો પળાતા નથી, સ્કૂલો, કોલેજો, થિયેટરો બંધ હોય તો સો માણસોની છૂટ શું કામ આપવી જોઈએ? એનાથી સરકારે શું વિશેષ સિદ્ધ કરવું છે? ખરેખર તો ૧૪૪મી આખા દેશમાં લાગુ કરવી જોઈએ. જો આ ઠીક ન લાગતું હોય તો સ્કૂલો, કોલેજો નિયમો અને શરતોને આધીન ચાલુ કરી દેવી જોઈએ. સાધનોને અભાવે નગરમાં પણ ઓનલાઈન શિક્ષણ મુશ્કેલ છે ને શિક્ષણ આપવા પૂરતું અપાય છે ત્યારે જે વિસ્તારોમાં નેટ, મોબાઈલની સુવિધાઓ જ નથી એવાં ગામડાંઓમાં કે આદિવાસી વિસ્તારોમાં ઓફલાઈન શિક્ષણ ચાલુ કરી દેવાનો વાંધો ન હોવો જોઈએ, કારણ ઓનલાઈન શિક્ષણ એમને તો મળવાનું જ નથી ને સરકાર એમના સુધી પહોંચવાની પણ નથી ત્યારે એ વિસ્તારો શિક્ષણથી શું કામ વંચિત રહેવાં જોઈએ? આજ સુધી સરકાર ઓનલાઈન શિક્ષણ તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકી નથી ને હવે જ્યારે આર્થિક મુશ્કેલીઓ વધી છે ત્યારે પહોંચે એવું લાગતું પણ નથી તો જ્યાં સંક્રમણ નથી એવા વિસ્તારોમાં શિક્ષણ શરૂ કરવામાં કશું ખોટું નથી.

ખાનગી સ્કૂલોમાંથી કેટલીક સ્કૂલોએ ફી ઘટાડવાની માણસાઈ દાખવી છે તો કેટલીક સ્કૂલોએ સંગીત, ચિત્રકામ જેવી પ્રવૃત્તિઓની ફીની ઉઘરાણીઓ પણ કાઢી છે. એક પણ ચિત્ર દોરાયું નથી કે એક પણ વર્ગ સંગીતનો થયો નથી તેની ફી માંગતાં થોડી પણ શરમ ન લાગે? વાલીઓ એનો વિરોધ ન કરે તો શું કરે? ખાનગી સ્કૂલના શિક્ષકોની સ્થિતિ દયનીય છે. કેટલીક સ્કૂલોની સ્થિતિ સારી ન હોય ને તે શિક્ષકોને વેતન ન ચૂકવી શકે તે સમજી શકાય એમ છે, પણ કેટલી ય ખાનગી સ્કૂલો એવી છે જે તગડી ફી એડવાન્સમાં ઉઘરાવીને મોટું બેલન્સ રાખીને, હોજરી તર કરીને બેઠી છે. આ આખો નફાનો જ ધંધો હતો. એ જેમ જેમ ફી આવતી હતી તેમ તેમ પગાર ચૂકવતી હતી એવું ન હતું. એવી સ્કૂલો શિક્ષકને પગાર ન ચૂકવે એ પાપ છે ને સરકારે એવી સ્કૂલોના શિક્ષકોની જવાબદારી ઉપાડીને તેમને વેતન મળે તે જોવું જોઈએ. શિક્ષણમંત્રી પોતે આ મામલો ઉકેલે એવી એમને વિનંતી છે. એ સાચું છે કે બધે સરકાર પહોંચી ન શકે, પણ એની પાસે છે એવી વ્યવસ્થા બીજા કોઈ પાસે નથી જ, એ સ્થિતિમાં એમની પાસે નહીં તો બીજા કોની પાસે મદદનો હાથ લંબાવી શકાય?

પ્રમાણમાં આરોગ્ય સેવાઓ ઠીક ઠીક ચાલી છે, પણ એમાં ઘણી કાળજી લેવાની જરૂર છે. ડોકટરો બે પ્રકારના જોવા મળે છે. એક એવો વર્ગ છે જે જીવને જોખમે દરદીને સાજો કરવા મથે છે. એમને વંદન જ કરવાં ઘટે. બીજો વર્ગ એવો છે જે કોઈ પણ રીતે પૈસા બનાવવા માંગે છે. ગંભીર પ્રકારનાં હૃદયનાં ઓપરેશનોની ફી નથી હોતી એનાથી અનેકગણી વધારે ફી કોરોનાના દરદી પાસેથી લેવાય છે. તેમાં જો દરદીનું મૃત્યુ થયું તો બિલ ન ભરાય ત્યાં સુધી લાશ પણ સંબંધીઓને સોંપવામાં આવતી નથી. સંબંધીઓ સ્વજન ગુમાવે છે તેનું દુખ હોય તેમાં બિલની પઠાણી ઉઘરાણી માણસાઈ વગરની છે. આજે જ્યારે ખાસ આવક જ નથી રહી ત્યારે આવી ઉઘરાણીઓ લાજ-શરમ વગરની છે ને આવી બાબતો પર સરકારે તાત્કાલિક ધોરણે ધ્યાન આપવાની જરૂર છે.

બનવું તો એવું જોઈએ કે કોરોના પોઝિટિવ નીકળે કે તેની તમામ સારવારની જવાબદારી સરકાર ઉપાડી લે અથવા તો મામૂલી ફીથી રોગીની સારવાર થવી જોઈએ. આવકનાં સાધનો ખાસ રહ્યાં ન હોય એવી સ્થિતિમાં દરદી પાસેથી લાખો રૂપિયા પડાવવામાં માણસાઈ નથી.

જો કોરોના વકરતો જ જતો હોય ને નક્કી કરવામાં આવેલા નિયમોથી સારાં પરિણામો મેળવી ન શકાતાં હોય તો નિયમો અંગે ફેર વિચારણા કરવાની રહે. કમસે કમ ચારથી વધુના જાહેરમાં મળવા પર પ્રતિબંધ મૂકાવો જોઈએ અને કમસે કમ તબીબી અને શૈક્ષણિક સેવાઓ અંગે વધુ માનવીય પ્રયત્નો થાય તે જોવાવું જોઈએ. જોવાશે?

૦

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ધબકાર”, 07 સપ્ટેમ્બર 2020

Loading

અસૂર્યલોકનો સૂર્ય: ભગવતીકુમાર શર્મા

રવીન્દ્ર પારેખ|Opinion - Literature|7 September 2020

આવતી કાલે [05 સપ્ટેમ્બર] શિક્ષક દિન. એ દિવસે સુરતના સપૂત ભગવતીકુમાર શર્માની વિદાયને બે વર્ષ થશે. ચોર્યાસી વર્ષની જિંદગીમાં ૮૪ લાખ ફેરા જેટલું જીવ્યા હોય એટલું વિપુલ સર્જન અને પત્રકારત્વ ભગવતીભાઈએ કર્યું છે. હાઈસ્કૂલમાં હતા ત્યારે જ નબળી આંખોને કારણે ડોકટરે વાંચવા લખવાની મનાઈ ફરમાવેલી. આ જ વાત ‘અસૂર્યલોક’માં ડો. તાંજોરકર દ્વારા લેખકે નવલકથાના નાયક તિલક માટે પણ કહેવડાવી છે. કોઈને એમાં આત્મકથાના અંશો જણાય તો નવાઈ નહીં. બીજો કોઈ છોકરો હોત તો રડીને ખૂણે બેસી ગયો હોત, પણ ભગવતીભાઈ ૧૪ વર્ષની ઉંમરે ગાંધીજીની હત્યાથી વ્યથિત થઈને પહેલી કવિતા લખે છે.

ભગવતીભાઈ થોડી રાહ જોવડાવીને ૩૧ મે, ૧૯૩૪ને રોજ હરગોવિંદ શર્મા અને હીરાબાના કુટુંબમાં અવતરે છે. માતાને તે ભગવતીનો પ્રસાદ લાગે છે ને નામ પડે છે ભગવતી. આ દીકરા પર ભગવતીની કૃપા તો હતી જ, પછી સરસ્વતીનો હાથ પણ માથે મૂકાય છે. નર્મદ પછી ૧૦૧ વર્ષે ભગવતીભાઈ જન્મે છે તો એને સરસ્વતી ખાલી તો ન જ રહેવા દેને!

વીસેકની ઉંમરે ભગવતીકુમાર ‘ગુજરાતમિત્ર’માં જોડાય છે ને છેવટ સુધી એની સાથે જ સંકળાયેલા રહે છે. એક બે નહીં, ૬૪ વર્ષ ‘ગુજરાતમિત્ર’ને એમણે આપ્યા ને હજારો તંત્રીલેખો અને અનેક કોલમોથી પત્રકારત્વ ઉજાળ્યું. એ એક પત્નીવ્રતી જ નહીં, એક પત્રવ્રતી પણ રહ્યા. એમની સાથે ‘ગુજરાતમિત્ર’માં દસ વર્ષ પત્રકારત્વ ખેડવાનો લહાવો મેં પણ લીધો છે. એમના તંત્રીલેખોના બે’ક પુસ્તકો થયાં છે, પણ બીજા ઘણાં થઈ શકે ને તે પત્રકારત્વના ઇતિહાસ લેખે પણ અભ્યાસુઓને ઉપયોગી થઈ પડે એમ છે. આવું સાત્ત્વિક અને સાહિત્યિક પત્રકારત્વ ખેડનાર બીજો પત્રકાર ગુજરાતમાં તો ઠીક, ભારતમાં પણ મને તો દેખાતો નથી. પત્રકારત્વ તેમણે ‘નિર્લેપ’ભાવે ખેડ્યું છે ને પીળું પત્રકારત્વ જોર પર હોય ત્યારે આટલાં સાતત્ય સાથે શુદ્ધ પત્રકારત્વનો મહિમા અપવાદ જ ગણાય. નબળી આંખે પ્રૂફરીડિંગનાં આંખો ફોડનારા કામથી એ શરૂ કરે છે ને દેશભરના વરિષ્ઠ પત્રકારનું સન્માન ‘નચિકેતા પુરસ્કાર’ અટલબિહારી વાજપેયીને હસ્તે મેળવે છે. જ્ઞાનપીઠ પુરસ્કારને બાદ કરતાં તમામ નાનામોટા પુરસ્કારો એમને મળ્યા છે એટલું જ કહેવું અહીં પૂરતું થશે.

અમારી વચ્ચે ક્યારેક રકઝક પણ થતી. એ નબળી આંખોની ફરિયાદ કરતા રહેતા. હું કહેતો કે દેખતી આંખોવાળા ન કરી શકે એટલું ગંજાવર ને ગુણવત્તા સભર સર્જન અને પત્રકારત્વ તમે કર્યું છે, તો સરસ્વતીનો ઉપકાર માનો કે એણે એનું વાહન તમને બનાવ્યા. માંડ ત્યારે એ શાંત પડતા, પણ નબળી આંખે એમણે અનેક મુશ્કેલીઓ વેઠી છે તેની ના પાડી શકાશે નહીં.

એમની પહેલી નવલકથા ‘આરતી અને અંગારા’ ૧૯૫૬માં છપાઈ. એ પછી તો ‘સમયદ્વીપ’, ‘ઊર્ધ્વમૂલ’, ‘અસૂર્યલોક’ જેવી ૧૩ નવલકથાઓ પ્રગટ થાય છે. ખાસ કરીને આ ત્રણ નવલકથાઓ કોઈકને કોઈક રીતે સામવેદી સંસ્કારોનો મહિમા કરે છે. ‘સમયદ્વીપ’માં આસ્થા અને નૂતન આવિષ્કારો વચ્ચેનો સંઘર્ષ છે, તો ‘ઊર્ધ્વમૂલ’માં ધાર્મિક સંસ્કારો, મૂળની શોધ માટે પાત્રોને પ્રવૃત્ત કરે છે, તો ‘અસૂર્યલોક’ સંસ્કારોથી જ્ઞાનનો મહિમા કેવી રીતે થઈ શકે તેની વાત કરે છે. ‘સમયદ્વીપ’નું દ્વિઅંકી નાટ્યરૂપ મેં કરેલું ને તે દીપક ગાંધીના દિગ્દર્શનમાં રાષ્ટ્રીય કલા કેન્દ્રએ ભજવેલું પણ ખરું તો ‘ઊર્ધ્વમૂલ’ના ત્રીજા ખંડનું એક કલાકનું મેં લખેલું રેડિયો નાટ્યરૂપ વિહંગ મહેતાએ ‘આકાશવાણી’ના વડોદરા કેન્દ્ર પરથી પ્રસ્તુત કરેલું તે પણ યાદ આવે છે.

ભગવતીભાઈની જ એક વાર્તા ‘સુવ્વરની ઔલાદ’ના બે એકાંકી નાટ્યરૂપ તૈયાર થયેલાં. એક નાટ્યકાર જ્યોતિ વૈદ્યે કરેલું તો બીજું લેખન મેં કરેલું જે મુંબઈમાં કાંતિ મડિયાનાં દિગ્દર્શનમાં પ્રસ્તુત થયેલું ને એનું જ વાચિકમ્‌ નરેશ કાપડીઆએ પણ પ્રસ્તુત કર્યું છે. ભગવતીભાઈની પહેલી વાર્તા ૧૯૫૩માં ‘સવિતા’માં પ્રગટ થયેલી. એમના વાર્તાસંગ્રહ ‘વ્યર્થ કક્કો : છળ બારાખડી’ની પ્રસ્તાવના મેં લખેલી. એ ઉપરાંત ‘અડાબીડ’, ‘અકથ્ય’ જેવા બીજા દસેક સંગ્રહો પ્રગટ થયેલા. ‘પ્રતીતિ’, ‘પ્રેમઅંશ’, ‘કૂતરાં’, ‘શંકા’, ’બકોર પટેલનો બહેરાપો’ જેવી ઘણી યાદગાર અને પ્રયોગશીલ વાર્તાઓ ભગવતીભાઈએ લખી છે છતાં, તેઓ શ્વસે તો છે પરંપરાને જ. સુરેશ જોશીના પ્રભાવથી એ અંજાતા નથી ને પરંપરા અને પ્રયોગના સમન્વયથી એ વાર્તા જોડે કામ પાડે છે.

પહેલી કવિતા ૧૯૪૮માં લખાય છે, પણ પહેલો કાવ્યસંગ્રહ ‘સંભવ’ ૧૯૭૪માં ૨૬ વર્ષનાં સંયમ પછી બહાર પડે છે. એ પછી તો ‘છંદો છે પાંદડાં જેનાં’, ‘ઝળહળ’, ‘નખદર્પણ’, ‘અઢી અક્ષરનું ચોમાસું’, ‘ઉજાગરો.’ જેવા દસેક કાવ્યસંગ્રહો બહાર પડે છે. ભગવતીભાઈએ ગઝલો લગભગ ચારેક દાયકા લખી છે, પણ તેમનાં ગીતો ને સોનેટોનું પણ આગવું મહત્ત્વ છે.

મેં, મનહરલાલ ચોક્સી, નયન દેસાઈ અને ભગવતીભાઈએ પંક્તિઓ પર અનેક ગઝલો સાથે બેસીને લખી છે. એવી જ એક ગઝલનો એમનો મત્લા છે :

હું ‘હું’ ક્યાં છું? પડછાયો છું, આ ઘર, ઉંબર ને ફળિયામાં,
હું જન્મોજન્મ પરાયો છું, આ ઘર, ઉંબર ને ફળિયામાં.

આ ગઝલ પરથી જાણીતા દિગ્દર્શક કપિલદેવ શુક્લએ હૃદયસ્પર્શી એકાંકી લખ્યું અને તેને સફળતાપૂર્વક ભજવ્યું પણ ખરું.

આંસુ પણ છેવટે તો નમક જ છે, પણ કેવું નમક છે?

બહુમૂલ્ય સંપદા છે, અકારણ ન વેડફો,
ચડિયાતું કોઈ આંસુથી જગમાં નમક નથી.

મૃત્યુ નિશ્ચિત છે, પણ તે ક્યારે અને કેવી રીતે આવે છે તે જુઓ :

એ બહુ છાનેમાને આવે છે,
મોત બહુ નાજુક બહાને આવે છે

‘હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ …’, ‘અઢી અક્ષરનું ચોમાસું’, ‘મારે રુદિયે બે મંજીરાં’ જેવાં ઘણાં ગીતો લોકપ્રિય થયાં છે ને તે સંગીતબદ્ધ પણ થયાં છે.

સાધારણ રીતે  ભગવાન બહુ દુ:ખ દેતો હોય એવી ફરિયાદ માણસ કરતો હોય છે, પણ ગીતકારને એ પ્રશ્ન થાય છે કે જે હરિ નિરંતર હૃદયમાં જ છે તે દુ:ખ કેવી રીતે દે? એવું તો નથી ને કે માણસ, હૈયે રહેતા હરિને દુ:ખ દેતો હોય? એટલે કવિ કહે છે :

હરિ, મારે રુદિયે રહેજો રે,
દ:ખ જે દઉં તે સહેજો રે!

આ ભાવ પહેલી વખત ગીતમાં આવ્યો છે.

સોનેટ સાધારણ માણસને બહુ સમજાતાં નથી, પણ ભગવતીભાઈએ સોનેટ બોલચાલની ભાષામાં લખ્યાં છે. સામવેદી સંસ્કારોને લગતાં બે સોનેટ ‘પિતૃકંઠે’ અને ‘ફરીથી’ અદ્ભુત છે. પિતા સામવેદી પંડિત હતા. તેમનું મૃત્યુ થતાં હવે તેમનો વારસો સચવાય એમ નથી એટલે જેમાં સંસ્કારો સચવાયેલા તે લાકડાની પેટી ભારે હૈયે કવિએ બીજાને સોંપી દેવી પડે છે. એ સમયે પિતાને બીજી વખત વળાવ્યા હોય એવી દારુણ વેદના કવિપુત્રને થાય છે :

જાણે દીધા વળાવી જનક જ ફરીથી સ્કંધપે ઊંચકીને,
ભીની આંખે ભળાવ્યા ભડભડ બળતા અગ્નિ અંકે ફરીથી.  

આ ઉપરાંત માતા, પત્નીને લગતાં ઘણાં સોનેટો ભગવતીભાઈએ લખ્યાં છે. ‘આત્મસાત’ કરીને ૭૨ સોનેટોનો આખો સંગ્રહ પત્ની જ્યોતિબહેનના મૃત્યુ પછી અને પિતાનું ઘર છોડવા સંદર્ભે પ્રગટ થયો છે. એમાં કાવ્યની સમાંતરે કથા પ્રવાહ પણ વહે છે એટલે મેં એ સંગ્રહને ‘સોનેટનોવેલ’ તરીકે ઓળખાવ્યો છે. એમાં એક સોનેટ છે, ‘કાલૌષધિ’. સાધારણ રીતે દુઃખનું ઓષડ દા’ડા’ એમ કહેવાય છે. મૃત્યુનો ઘા સમય રૂઝવી દેતો હોય છે, પણ આ સોનેટમાં કવિ ઈચ્છે છે કે પત્નીના મૃત્યુનો ઘા રૂઝાય જ નહીં. એટલે કહે છે : ‘ટકોરા થંભાવો ! ટિક ટિક કરો બંધ સઘળી -’ કવિ સમયને વહેવા દેવા નથી માંગતો, કારણ સમય વહે તો ઘા રૂઝાય ને પત્ની ભુલાવા માંડે ને કવિ , ‘… એ વેળાને સતત જીવતી’ રાખવા માંગે છે. ‘આત્મસાત’ની પ્રસ્તાવના મેં લખી છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ મારી પસંદગીની એમની કવિતાનું સંપાદન પણ ‘શબ્દનું સાત ભવનું લેણું છે.’ પ્રગટ કર્યું છે તો એવી જ રીતે ગઝલનું સંપાદન ‘ગઝલની પાલખી’ પણ મેં કર્યું છે તેનો આનંદ છે.

‘શબ્દાતીત’, ‘બિસતંતુ’, હૃદયસરસાં’, ‘સ્પંદનપર્વ’, ‘નદીવિચ્છેદ’ જેવા દસેક નિબંધ સંગ્રહો છાપામાં ચાલેલી કોલમોમાંથી થયા છે. આ નિબંધો સરકાર, સંસ્કાર, ધર્મ, શિક્ષણ વગેરેને વિષય કરે છે, પણ તેને પુસ્તકરૂપે પ્રગટ કરતી વખતે તે છાપાળવાં ન રહે તેની કાળજી લેવાઈ છે. ભગવતીભાઈના હાસ્યના પાંચેક પુસ્તકો છે તો એકાદ પુસ્તક વિવેચનનું પણ છે. ‘અમેરિકા,આવજે!’ તેમનું અમેરિકા પ્રવાસનું પુસ્તક છે તો ‘સુરત મુજ ઘાયલ ભૂમિ’ તેમનું આત્મકથાનું પુસ્તક છે, જેમાં મધ્યમવર્ગીય બ્રાહ્મણ કુટુંબની કથાની સાથોસાથ ૧૯૪૦ પછીના સુરતની વિકાસ ગાથા પણ સમાંતરે ચાલે છે એટલે એમાં ‘આત્મ’ અલ્પ અને ‘કથા’ વધારે છે. એ અનુવાદ, આસ્વાદથી પણ દૂર રહ્યા નથી.

ભગવતીભાઈને નિકટથી જોયાજાણ્યા છે. એમને વિશે વિચારું છું તો થાય છે કે વર્ષો પછી ટકી રહે એવું એમનાં સર્જનમાં શું છે તો એમની સામવેદી સંસ્કારોથી પ્રભાવિત થયેલી કવિતાઓ, વાર્તાઓ અને ‘સમયદ્વીપ’, ‘ઊર્ધ્વમૂલ’ અને ‘અસૂર્યલોક’ જેવી નવલકથાઓને કાળ કોઈ કાળે ભૂંસી નહીં શકે એમ લાગે છે. બીજું ટકશે કે નહીં તે ખબર નથી, પણ આટલું કાળજયી નીવડશે એવી આગાહી હું ગૌરવભેર કરી શકું એમ છું. એમની સ્મૃતિને વંદન કરીને વિરમું.

૦૦૦

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ધબકાર”, 04 સપ્ટેમ્બર 2020

Loading

“કાયદો ગધેડો છે” અને જજ સાહેબો “ઓલ્ડ ફૂલ્સ છે”

રાજ ગોસ્વામી|Opinion - Opinion|7 September 2020

અંગ્રેજીમાં કાયદાને ગધેડો કહે છે – લો ઇઝ એન ઍસ (એ ડબલ એસ). બ્રિટિશ ઇંગ્લિશમાં 'ઍસ' એટલે ગધેડો. અમેરિકન ઇંગ્લિશમાં 'બેસવાની જગ્યા.' બ્રિટિશ વિક્ટોરિયન યુગના પ્રસિદ્ધ નવલકથાકાર ચાર્લ્સ ડિકન્સ(૧૮૧૨-૧૮૭૦)ની નવલકથા 'ઓલિવર ટ્વિસ્ટ'માં ઓલિવર નામના છોકરાની મૃત માતાના શરીર પરથી લોકેટ અને રિંગ ચોરાઈ જાય છે. તે બદલ ઓલિવર જ્યાં રહે છે, તે સરકારી વર્કહાઉસ(અનાથાલય)ના મેનેજર મિસ્ટર બમ્બલ અને તેની માથાભારે પત્નીને અદાલતમાં ઊભાં કરવામાં આવે છે.

અદાલત આ ચોરી બદલ મિસ્ટર બમ્બલને મેનેજર પદેથી હટાવવાની વાત કરે છે, ત્યારે તેનો વિરોધ કરતાં મિસ્ટર બમ્બલ કહે છે કે આ અપરાધ મેં નહીં, પણ મારી પત્નીએ કર્યો છે. માનનીય અદાલત મિસ્ટર બમ્બલનો તર્ક સ્વીકારવાનો ઇન્કાર કરીને કહે છે કે, "એ ઘટના બની ત્યારે તું ત્યાં હાજર હતો અને કાયદાની નજરમાં તું વધુ ગુનેગાર છે, કારણ કે કાયદો માને છે કે તારી પત્ની તારા કહ્યા પ્રમાણે જ કરે." આ સાંભળીને મિસ્ટર બમ્બલ કહે છે, "જો કાયદો આવું માનતો હોય, તો કાયદો ગધેડો છે – લો ઇઝ એન ઍસ."

ગધેડાઓ, અનુચિત રીતે જ, તેમની જડતા અને બેવકૂફી માટે બદનામ થયેલા છે. કાયદા માટે પણ એવું કહેવાય છે કે એ જડ હોય છે. એ કોઈ કેસ કે ઘટનાને કાયદાની એક જ નજરથી જુવે છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણના કેસમાં અદાલતની અવમાનના(કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ)નો કાયદો કંઇક આવી જ રીતે હાંસીને પાત્ર ઠર્યો છે. પ્રશાંત ભૂષણની બે ટ્વીટ સામે દેશની સર્વોચ્ચ અદાલતે આટલી ઉતાવળે કાર્યવાહી કરી તે ખરેખર જરૂરી હતી કે નહીં, તેની હવે ચર્ચા શરૂ થઇ છે.

કન્ટેમ્પ્ટનો કાયદો સદીઓ જૂનો છે. ઇંગ્લેન્ડમાં તેને કોમન લો કહેવાય છે, જે રાજાની ન્યાયિક સત્તાનું રક્ષણ કરવા માટે હતો અને રાજા જાતે જ તેનો ઉપયોગ કરતો હતો. આજે ન્યાયાધીશોની પેનલ રાજાના નામે ન્યાયિક સત્તાનું રક્ષણ કરે છે. જે કોઈ ન્યાયાધીશોના આદેશનો અનાદર કરે, તે રાજાના અનાદર કહેવાય. સમય જતાં 'અનાદર'ની વ્યાખ્યામાં અદાલતો કે ન્યાયાધીશોની સહેતુક ટીકા (જેની નોંધ પ્રશાંત ભૂષણના કેસમાં લેવામાં આવી હતી), બિનજરૂરી આલોચના અને પ્રતિષ્ઠાને હાની પહોંચાડે તેવી ટીપ્પણીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

પ્રશાંતે બે ટ્વીટ કરી હતી, જે આ કેસનો આધાર હતી :

પહેલી ટ્વીટ ૨૭ જૂનની હતી. તેમાં પ્રશાંતે લખ્યું હતું કે જ્યારે ઇતિહાસકારો ભારતના વીતેલાં ૬ વર્ષોનો ઇતિહાસ જોશે તો સમજાશે કે વગર ઈમરજન્સીએ દેશમાં લોકશાહીને ખતમ કરવામાં આવી હતી. ઇતિહાસકાર ખાસ કરીને સુપ્રીમ કોર્ટના ૪ ભૂતપૂર્વ ચીફ જસ્ટીસની ભૂમિકા પર સવાલ ઉઠાવશે. તેમણે બીજી ટ્વીટમાં હાર્લે ડેવિડસન બાઈક પર ચીફ જસ્ટીસ બોબડેનો ફોટો શેઅર કર્યો હતો અને લખ્યું હતું કે સુપ્રીમ કોર્ટ લોકડાઉન મોડમાં છે અને નાગરિકો ન્યાયથી વંચિત છે, ત્યારે સી.જે.આઈ. માસ્ક વગર કે હેલ્મેટ વગર ભા.જ.પ.ના નેતાની ૫૦ લાખની બાઈક પર સવારી કરે છે.

સુપ્રીમ કોર્ટે આને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ ગણીને પ્રશાંત ભૂષણને દોષિત ઠેરવ્યા અને એક રૂપિયાનો દંડ કર્યો છે અને દંડ ના ભરે, તો ત્રણ મહિનાની જેલ અને ત્રણ વર્ષ માટે વકીલાત પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. પ્રશાંતે દંડ ભરવાનું સ્વીકારીને તેમની સજા સામે અપીલ કરવાનું નક્કી કર્યું છે. સજા ફરમાવતા પહેલાં કોર્ટે માફી માગવાનો વિકલ્પ આપ્યો હતો.

પ્રશાંત ભૂષણે માફી માગવાનો ઇન્કાર કર્યો હતો, અને સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે "ટ્વીટ મારફતે મેં મારા પરમ કર્તવ્યનું પાલન કરવાના પ્રયાસથી વધુ કશું ન હતું. તેને આ સંસ્થાને બહેતર બનાવવાના પ્રયાસ તરીકે જોવી જોઈએ. મેં જે લખ્યું હતું, તે મારો અંગત અભિપ્રાય, મારો વિશ્વાસ અને મારો વિચાર છે. આ અભિપ્રાય અને વિચાર કરવો એ મારો અધિકાર છે."

તે પછી તેમણે આવી જ એક ટ્રાયલમાં મહાત્મા ગાંધીએ માફી માગવાનો ઇન્કાર કર્યો હતો તેને ટાંકીને કહ્યું, "હું દયાની ભીખ નથી માંગતો, અને ન તો હું તમારી પાસે ઉદારતાની અપીલ કરું છું. કોર્ટે મારી જે વાતને અપરાધ માની છે, તેના માટે કોઈ પણ સજાને હું શિરોમાન્ય રાખીશ, પણ મારી નજરમાં તે વાત ખોટી નથી, બલકે નાગરિકો પ્રત્યે મારું સર્વોચ્ચ કર્તવ્ય છે.”

મહાત્મા ગાંધીનો કિસ્સો રસપ્રદ છે. ૧૯૧૯માં જલિયાંવાલા બાગના ‘હત્યારા’ જનરલ ડાયરના રોવલેટ એક્ટ સામે દેશભરમાં સત્યાગ્રહ શરૂ થયો હતો. એમાં અમદાવાદ ડિસ્ટ્રીક કોર્ટના બે વકીલ, કાલિદાસ ઝવેરી અને જીવનલાલ દેસાઈએ, સત્યાગ્રહના સમર્થનમાં સહી કરી હતી. વકીલોના આ વ્યવહારના સંબંધમાં ડિસ્ટ્રીક જજ બી.સી. કેનેડીએ બોમ્બે હાઇકોર્ટના રજીસ્ટ્રારને એક ‘ખાનગી’ પત્ર લખ્યો હતો. તે પત્ર ‘યંગ ઇન્ડિયા’ સામાયિકના એડિટર મહાત્મા ગાંધી પાસે આવ્યો, એટલે તેમણે એને ‘અમદાવાદમાં ડાયરવાદ’ મથાળા હેઠળ પ્રકાશિત કર્યો, અને તંત્રીલેખમાં જજ કેનેડીની ટીકા કરી. એમાં બોમ્બે હાઈ કોર્ટે ‘યંગ ઇન્ડિયા’ને માફી માગવા કહ્યું.

ગાંધીજીએ લેખિતમાં ખુલાસો મોકલ્યો કે પત્રકાર તરીકે આ પત્ર પ્રકાશિત કરવાનો અને તેની પર ટીકા-ટીપ્પણી કરવાનો મારો અધિકાર છે, કારણ કે આ જનહિતનો મામલો છે. એમાં કોર્ટે ગાંધીજી અને પ્રકાશક મહાદેવ દેસાઈ સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો કેસ કર્યો. કેસ જ્યારે સુનાવણી પર આવ્યો, ત્યારે ગાંધીજીએ કહ્યું કે માફી માગવાની સલાહ મને અમાન્ય છે, કારણ કે મેં નૈતિક કે ન્યાયિક અપરાધ કર્યો નથી અને કોર્ટ જે ચાહે તે સજા કરે. કોર્ટે બંનેને દોષિત તો ઠેરવ્યા, પણ ‘ફરી આવું ના કરતા’ એવો ઠપકો આપીને સજા વગર છોડી મુક્યા.

જ્યાંથી આ કાયદો આવ્યો છે તે બ્રિટનમાં, ન્યાયાધીશો બહુ સંયમથી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો ઉપયોગ કરે છે. ૧૯૮૮માં, બ્રિટનના ગુપ્તચર અધિકારી પીટર રાઈટની આત્મકથા ‘સ્પાયકેચર’ના કેસના રિપોર્ટીંગ પર મીડિયા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો, ત્યારે ‘ધ ડેઈલી મિરર’ નામના લંડનના સમાચારપત્રએ ત્રણ માનનીય ન્યાયધીશોના ફોટા ઊંધા છાપીને ઉપર મથાળું ઠઠાળ્યું હતું; યુ ઓલ્ડ ફૂલ્સ (બેવકૂફ બૂઢિયા). તેની સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો કેસ ચલવવાનો ઇન્કાર કરીને જજ લોર્ડ ટેમ્પલમેને કહ્યું હતું, “હું તો ખરેખર બુઢ્ઢો છું, બાકી રહી વાત બેવકૂફ હોવાની, તો એ તો માન્યતાની વાત છે. મને નથી લાગતું કે હું બેવકૂફ છું.”

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 06 સપ્ટેમ્બર 2020

Loading

...102030...2,1872,1882,1892,190...2,2002,2102,220...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved