Opinion Magazine
Number of visits: 9574277
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રશાંત ભૂષણને એક રૂપિયાનો દંડ : સજા કરવાથી ગૌરવ જળવાય?

અશ્વિનકુમાર ન. કારીઆ|Opinion - Opinion|9 September 2020

પ્રશાંત ભૂષણ સામેના બહુચર્ચિત કેસમાં પોતાની અવમાનના બદલ સર્વોચ્ચ અદાલતે રૂ. એકનો  દંડ અથવા તેની કસૂરમાં ત્રણ વર્ષની સાદી કેદ અથવા ત્રણ માસ સુધી પ્રેક્ટિસ કરવા પર રોકની સજા ફરમાવી છે. અદાલતના તિરસ્કાર બદલ સજા કરીને ગૌરવ જાળવવાની વાત સામંતશાહી વિચારધારાનું પ્રતીક છે અને આધુનિક વિચારસરણીમાં તે માન્ય નથી.

રૂ. એકનો દંડ ભરવાની કસૂરમાં ત્રણ માસ કેદની સજા કરવા પાછળનો તર્ક સમજાતો નથી. રૂ. એકના દંડનો અર્થ એ થાય છે કે સજા કરવાની ઈચ્છા નથી, પરંતુ તમે ગુનો કરેલ હોવાથી ખાલી પ્રતિકાત્મક દંડ કર્યો છે. જો દંડ કરવા પાછળ આ તર્ક હોય, તો કેદની સજા પણ પ્રતિકાત્મક (દા.ત. કોર્ટ ઉઠવા સુધીની) હોવી જોઈએ અને પ્રેક્ટિસ કરવાની મનાઈની સજા તો બિલકુલ હોવી ન જોઈએ. કાયદાનો એ સિદ્ધાંત છે કે દંડના બદલામાં કેદની સજા પ્રમાણસર હોવી જોઈએ. રૂ. એકના દંડની કસૂરમાં ત્રણ માસ કેદ અથવા ત્રણ માસ પ્રેક્ટિસ કરવા પર રોકની સજા અપ્રમાણસર છે અને તેની પાછળનો તર્ક સમજી શકાતો નથી.

આ કેસમાં કેટલાક પ્રશ્નો અનુત્તર રહ્યા છે. સર્વોચ્ચ અદાલતે તિરસ્કારના મામલે પોતાની મેળે (સુઓ મોટો – Suo Moto) પ્રશાંત ભૂષણ સામે ફરિયાદ દાખલ કરી છે. ફોજદારી કાર્યરીતિ સંહિતા,1973ની કલમ 207 જણાવે છે કે આરોપીને ફરિયાદની નકલ સહિત સંબંધિત તમામ કાગળોની નકલ આપવી જોઈએ. પ્રશાંત ભૂષણનો એ બચાવ હતો કે પોતાને ફરિયાદની નકલ મળી નથી. તેથી અહીં કલમ 207 ઉપરાંત કુદરતી ન્યાયના સિદ્ધાંતનો પણ ભંગ થાય છે. 

પ્રશાંત ભૂષણના સમર્થનમાં હજારો વકીલો ઉપરાંત અનેક પૂર્વ ન્યાયાધીશો અને કર્મશીલો પણ જોડાયા હતા. તેમાંના કેટલાકે કેસમાં પોતાને પક્ષકાર તરીકે ઉમેરવા સર્વોચ્ચ અદાલતને અરજી કરી હતી. તેમને પક્ષકાર તરીકે ઉમેરવા કે કેમ તે સર્વોચ્ચ અદાલતની વિવેકબુદ્ધિની બાબત છે. પરંતુ તે બાબતે ઉલ્લેખ સરખો પણ થયો નથી.

જાહેર હિતની તાકીદની અનેક બાબતો સર્વોચ્ચ અદાલત સમક્ષ વિચારાધીન હોવા છતાં, આ કેસને આ કોવિડકાળમાં અગ્રતા આપવા પાછળનું કારણ પણ સમજી શકાતું નથી. ભારતના એટર્ની જનરલે સર્વોચ્ચ અદાલતને સલાહ આપતાં આ કેસમાં કહ્યું હતું કે સર્વોચ્ચ અદાલતના પૂર્વ નવ ન્યાયાધીશોએ ન્યાય વ્યવસ્થા પડી ભાંગેલ હોવાનો અને ચાર પૂર્વ ન્યાયાધીશોએ ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર પ્રવર્તમાન હોવાનો સ્વીકાર કર્યો છે. વર્ષ 2018ના જાન્યુઆરી માસમાં સર્વોચ્ચ અદાલતના ચાર તત્કાલીન ન્યાયમૂર્તિઓએ સર્વોચ્ચ અદાલતની વ્યવસ્થા સામે અસંતોષ અને લોકશાહી ખતરામાં હોવાની રજૂઆત કરી હતી, એ ઘટનાએ દેશભરમાં ઊહાપોહ જગવ્યો હતો. આ કેસના ચુકાદામાં તે ઘટનાનો ઉલ્લેખ કરાયો છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે તો પછી તેમની સામે અદાલત તિરસ્કારની સુઓ મોટો ફરિયાદ દાખલ થવી જોઈતી હતી.

ખરેખર સર્વોચ્ચ અદાલતે એટર્ની જનરલની સલાહ અનુસરીને કોઈ સજા જાહેર કરી ન હોત, તો તેનું ગૌરવ અને ગરિમા જળવાત. સજાના ચુકાદા બાદ અનેક અખબારોના તંત્રીઓએ પોતાના તંત્રીલેખમાં આ હકીકતનું સમર્થન કર્યું છે. ‘ધ હિંદુ’ અખબારે તંત્રીલેખમાં જણાવ્યું છે કે શું સર્વોચ્ચ અદાલત (ન્યાયતંત્ર) એટલી નબળી છે કે બે ટ્વીટથી તેના પાયા હલી જાય? તેમાં જણાવાયું છે કે પ્રશાંત ભૂષણને સજા કરાઈ છે, પણ તે અદાલત તિરસ્કાર બદલ આ સજા ફરમાવવામાં આવેલ નથી. બીજાં ઘણા નિષ્ણાતોએ પણ સર્વોચ્ચ અદાલતની કાર્યવાહી અંગે ખેદ વ્યક્ત કર્યો છે. સરવાળે, સવાલ તો સર્વોચ્ચ અદાલતના અવમાનનો જ આવ્યો, પણ તે પ્રશાંત ભૂષણના ટ્વીટથી નહીં, ખુદ અદાલતની કાર્યવાહીથી.

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 07 સપ્ટેમ્બર 2020; પૃ. 12

Loading

શ્રાદ્ધ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|9 September 2020


આડે દિવસે જે કાગડા છે 
તે શ્રાદ્ધમાં પૂર્વજો બની જાય છે 
આડે દિવસે છત પર આવે તો 
તેને ઉડાડી મૂકાતા હતા 
તેની શ્રાદ્ધમાં હવે રાહ જોવાય છે
આડે દિવસે કાગડા એટલે ઉડાડાતા
કારણ તે છત પર બેસે તો 
કાગડા જેવા મહેમાનો આવતા 
શ્રાદ્ધમાં તો કાગડા જ મહેમાન હોય છે 
જે દાદાને વાટકી દૂધ નો'તું અપાતું 
તેને છાપરે દૂધપાકનો વાસ મૂકાય છે 
જે દાદીથી ભાખરી ચવાતી નો'તી 
તેને વાસમાં લાડુ પીરસાય છે
જેને આપણે ભૂખે માર્યાં તે સગાં 
છાપરે વહાલાં થઈ જાય છે
ખરેખર તો છત છાંટીને આપણે જ 
લાડુદૂધપાક ઝાપટીએ છીએ!  
શ્રાદ્ધ એટલે પેટ ભરીને કરાતું પ્રાયશ્ચિત …

૦

કાકાકૌવા 

૦
કાકાકૌવામાં
કાકા છે ને કૌવા પણ છે 
પણ તેનું આહ્વાન શ્રાદ્ધમાં નથી થતું તો 
કાગડાને જ છાપરે કેમ તેડાય છે?
ચકલી, કાબર, પોપટ નહીં ને કાગડો?
બહુત નાઈન્સાફી હૈ 
બધાં પંખીઓએ તો રીટ ફાઈલ કરી છે : 
કાગડાને ગણો તો અમને પણ પૂર્વજ ગણો 
અમને પણ પેટ છે 
વળી અમે તો તમારાં 'પેટ' પણ છીએ 
અમને પણ શ્રાદ્ધનો બેનિફિટ મળવો જોઈએ
જો કે કોર્ટનો હુકમ આવતાં પહેલાં
ઘણા જજ પૂર્વજ થઈ જાય એમ બને
બને કે કાબર, પોપટ પણ જન્મ બદલી કાઢે 
ને એ જજ બનીને ચુકાદો આપે 
પણ કૌવા ને પૌંવાનો પ્રાસ બેસે છે 
એટલે છાપરું તો એ જ બગાડશે
તે એટલે પણ કે 
કાગડાને પૂર્વજન્મનું જ્ઞાન હોય છે 
એ જાણતો હોય છે કે ગયા જન્મમાં 
એ આપણો દાદો હતો 
પેલી સાસુ જેવી દેખાય છે તે 
ખરેખર કાગડી જ છે 
એટલે પૂર્વજ થવાની લાયકાત તો 
તે જ ધરાવે છે 
જો કે કોઈ કાગડાએ  જાહેર નથી કર્યું 
કે તેને પૂર્વજન્મનું જ્ઞાન છે 
ને જેમને વધારે રસ હોય તે કૌવાવતાર  
ધારણ કરી ને જાણે તો વાંધો નથી …

૦

અટપટું ચટપટું

૦

'હવે લગ્નની અંતિમવિધિમાં કેટલા જોડાશે?'
'ડોબા, લગ્ન અને અંતિમવિધિ એ બે જુદાં છે.'
'અગ્નિ બન્નેમાં પ્રગટે છે એટલે કહ્યું.'

૦

શિક્ષક: લુચ્ચા,જુઠ્ઠા બેઈમાન માટે એક શબ્દ ?'
વિદ્યાર્થી : ચીન.

૦

'અત્યારે સૌથી વધારે અશાંત કોણ વર્તાય છે?'
'પ્રશાંત અને સુશાંત.

૦

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘કાવ્યકૂકીઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 09 સપ્ટેમ્બર 2020

Loading

ફ્લાઇટ શરૂ છે તો પછી ટ્રેન સેવાથી લોકો હજુ વંચિત કેમ?

આકાર પટેલ|Opinion - Opinion|9 September 2020

મંગળવાર એટલે કે 1 સપ્ટેમ્બરથી દેશમાં અનલોક 4.0 લાગુ કરવામાં આવ્યું છે. તેનો અર્થ શું છે તેની ગણતરી કરવાનું હવે બંધ કરી દીધું છે અને કોઈ તેને સાચા અર્થમાં સમજી શકે તેમ નથી. ભારત સરકાર ખરેખર ઘણી વસ્તુઓ બંધ રાખી કોરોના ચેપને નિયંત્રણમાં રાખવા પ્રયાસ કરી રહી હતી. જો સરકાર લોકોને એકબીજાથી દૂર રાખે અને સેવાઓથી વંચિત રાખે છે, તો કોરોનાનું સંક્રમણ ધીમું થાય. આના માટે કેટલાક નિયમો બન્યા, જે સમજાવા અઘરા છે. ઉદાહરણ તરીકે, વિમાની મુસાફરી મે મહિનાથી શરૂ થઈ છે પરંતુ લૉક ડાઉનની શરૂઆતથી જ રેલવે બંધ કરાઈ છે. દરરોજ લગભગ 17,000 જેટલી નિયમિત ટ્રેનની જગ્યાએ ફક્ત 230 વિશેષ ટ્રેનો દોડી રહી છે. વિમાનો સંપૂર્ણ ક્ષમતા સાથે ચાલી શકે, પણ ટ્રેન દોડી ન શકે તેમાં તર્ક શું છે? કેમ કે, વિમાનમાં પણ મુસાફરો વચ્ચે દો ગજકી દૂરી હોતી નથી.

એપ્રિલ-મે મહિનામાં આશરે 30 લાખ લોકો સુરત અને આજુબાજુના ઔદ્યોગિક વિસ્તારોમાંથી સ્થળાંતરિત થયા. જુલાઇ ૩૧, ૨૦૨૦ના રોજ પ્રકાશિત ‘ફ્રન્ટલાઇન’ મેગેઝિનના અહેવાલમાં આ જણાવાયું છે. આ લોકોને ફરીથી કામ પર લાવવાનો કોઈ રસ્તો નથી. એવા અહેવાલો પ્રાપ્ત થયા છે કે મિલમાલિકો અને અન્ય ઉદ્યોગપતિઓએ વિમાન દ્વારા કામદારોને પાછા બોલાવવાનું શરૂ કર્યું છે. પરંતુ સવાલ એ છે કે રેલવે  શા માટે ટ્રેન ચલાવતી નથી? અહેવાલો મુજબ દિલ્હી મેટ્રો આ અઠવાડિયે શરૂ થશે અને તેની ક્ષમતાના પચાસ ટકા પર કામ કરશે. (સવાલ એ છે કે એરલાઇન્સમાં આવો નિયમ શા માટે નથી?) મુંબઈની જીવાદોરી ગણાતી મુંબઈ લોકલ બંધ થઈ ગઈ છે. શાળાઓ અને કોલેજો બંધ છે, પરંતુ પરીક્ષાઓ લેવાની પ્રક્રિયા ચાલુ છે. જો શાળા-કોલેજને ઑનલાઇન વર્ગો લેવા માટે કહેવાતું હોય, તો પછી પરીક્ષાકેન્દ્ર પર વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે કેમ બોલાવી રહ્યા છીએ?

સિનેમા પણ બંધ છે. કારણ કે શારીરિક અંતર જાળવવા માટે માત્ર પચીસ ટકાની ક્ષમતાથી તેને ચલાવવાનું નુકસાનકારક નીવડે. પરંતુ ફિલ્મનો સમયગાળો દેશની કોઈ પણ હવાઈ મુસાફરી જેટલો જ હોય છે અને થિયેટરો અને વિમાનોની સીટો પણ લગભગ સમાન અંતરે હોય છે. તો પછી થિયેટરો કેમ બંધ છે?  વડા પ્રધાન મોદીની પદ્ધતિ જોતાં આ નિર્ણયોમાં થોડી ‘નૈતિકતા’ સામેલ લાગે છે. ઉદાહરણ તરીકે, રેસ્ટોરાં ખોલવાની છૂટ છે, પરંતુ બાર બંધ રાખવામાં આવે છે.

આ સિવાય કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કેટલીક ગેરસમજો છે. ઉદાહરણ તરીકે, કેન્દ્રે જિમ ખોલવાની મંજૂરી આપી છે, પરંતુ રાજ્યો આવી મંજૂરી આપી રહ્યાં નથી. અન્ય દેશોમાં લૉક ડાઉન ત્યાં મોટા ભાગનાં સ્થળોએ સ્વૈચ્છિક હતું. ભારતમાં તેને કરફ્યૂનું સ્વરૂપ આપવામાં આવ્યું. આજે પણ વાહન લઈને બહાર નીકળનાર યોગ્ય પોલીસની પૂછપરછમાં યોગ્ય કારણ ન આપી શકે, તો મુંબઈ પોલીસ તેનું વાહન જપ્ત કરી શકે. સવાલ એ છે કે યોગ્ય કારણ શું હોવું જોઈએ, તે પોલીસ નક્કી કરે છે. એક રાજ્યથી બીજા રાજ્યમાં જવા માટે અરજી કરવાની રહેશે અને તેની મંજૂરી આપવામાં આવશે કે નહીં તેની જવાબદારી રાજ્યની છે.

કોરોનાના ચેપને રોકવાના પ્રયાસમાં, ભારતે નાગરિકોને આવશ્યક સેવાઓથી વંચિત રાખ્યા. શું ફાયદો થયો? ભારત એકમાત્ર દેશ છે જ્યાં માર્ચથી કોરોના ચેપની સંખ્યા સતત વધી રહી છે. કોરોના ચેપને રોકવાનો એકમાત્ર રસ્તો મોટા ભાગે સામૂહિક વર્તન પર આધારિત છે. પરંતુ બેઠકોમાં કેન્દ્રીય પ્રધાન પણ તેના માસ્ક વિના બેઠા જોવા મળે છે. આ લોકો નાગરિકોને સારી વર્તણૂક માટે કેવી રીતે કહી શકે? અને કહી શકતા નથી એટલે નિયમોમાં સતત ફેરફાર થઈ રહ્યા છે. પરંતુ દરેક નિયમ નિષ્ફળ સાબિત થઈ રહ્યો છે. કોરોનાના કેસની વધતી સંખ્યા તેનો પુરાવો છે.

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 07 સપ્ટેમ્બર 2020; પૃ. 13

Loading

...102030...2,1822,1832,1842,185...2,1902,2002,210...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved