Opinion Magazine
Number of visits: 9574270
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘કામઢા’નાં ડાબલાંમાં જાદુ

જગત જતનકર|Opinion - Opinion|13 September 2020

તેલઘાણી એટલે ઘાલમેલનો ધંધો; પણ મહંમદના કામમાં લગીરે ય ગરબડ નહીં. તેલનું ટીપું ય આઘુંપાછું થાય નહીં. ખોળ પણ વાળી-ઝૂડીને ઘરાકને આપી દે. આસપાસનાં પાંચ-સાત ગામમાં મહંમદની ઘાણીની શાખ. તેની પત્ની મુમતાઝ આખાબોલી; પણ મનમાં જરીકે ય મેલ નહીં. પડોશમાં જ સમજુભા રહે, સમજણપૂર્વક અપરિણીત રહેલા. એમનું વતન તો ખાસ્સું આઘું; પણ પાંત્રીસ વરસથી ગામમાં શિક્ષક તરીકે કામ કરે, એટલે આ વિચારપુર ગામ જ એમનો પરિવાર થઈ ગયેલું. મુમતાઝ એમની જમવાની કાળજી કરી લે.

ઘરને આંગણે રોજ રાતે ડાયરો જામે. દેશ-દુનિયાના સમાચાર અને ગામમાં બનતી ઘટનાને આધારે અલકમલકની વાતો થાય. માત્ર નિશાળિયા જ નહિ; વડેરાં ય આવીને સમજુભાની વાતો સાંભળવા બેસે. આ ડાયરો એટલે ગામના સમજણ અને સંપમાં વધારો કરનારો સહજતાથી ચાલતો વર્ગ! વેકેશનમાં સમજુભા પ્રવાસે કે શિબિરમાં જાય તો આખા ય ગામને ખોટ વર્તાય. બધા એમના આવવાની વાટ જુએ. સમજુભા આવીને પ્રવાસના અનુભવોની વાતો કરે. સમજુભા અને મહંમદને લીધે વિચારપુર ગામ પંકાય.

મહંમદની ઘાણી બળદથી ચાલે. કદાવર, સફેદ, કાંકરેજી બળદ. રોજ ઘરનો ખોળ મળે એટલે શરીરે અલમસ્ત. ઉંમરે બાર વર્ષનો. મહંમદે તેને ખરીદ્યો ત્યારે તે નવ માસનો વાછરડો હતો. તેને બીજે જ અઠવાડિયે મુમતાઝે ઈસ્માઈલને જન્મ આપેલો. બે ય સાથે જ મોટા થયા. પતિ-પત્નીને બે ય વહાલા. બળદનું નામ પાડ્યું ‘કામઢો’. નામ એવા ગુણ. કામઢો રોજ આઠ-દસ કલાક ઘાણી ફેરવે એટલે કસાયેલું શરીર. ચામડી ચમકે, માખી બેસે તો ય ચામડી થથરાવે તેવો સ્ફૂર્તિલો. તેને કોઈ દિવસ કામની આળસ નહીં. ઘરનાં બારણાંનાં મીજાગરાં સવારે ખૂલે ત્યારે કિચૂડ કિચૂડ બોલે તે કામઢાનું એલાર્મ.

ઊઠતાંવેંત કામે ચઢવા તૈયાર. ગામ આખામાં કામઢો સૌથી પહેલો કામે ચઢે. થાકે એટલે ઘડીક ઊભો રહે. સરખી જ ઉંમરનો ઈસ્માઈલ સમજી જાય. પાણીની ડોલ મોઢા આગળ મૂકે. ડોલ ખસવાનો અવાજ આવે એટલે વળી પાછો વગર ડચકારે કામઢે ચાલવા માંડે. ચાલવામાં તેજ, બીજા બળદ કરતાં તેની ચાલ સવાઈ. આગળના પગની છાપની આગળ પાછલો પગ પડે. કેટલાક ઘરાક ખાસ ચાલ જોવા ઊભા રહે. કોઈ વળી જતાં જતાં કામઢા માટે એકાદ બે કિલો ખોળ મૂકતાં ય જાય.

સૌ કામઢાના કામનાં વખાણ કરે, ‘આપણો બળદ જો કામઢા જેવો હોય તો કેટલું સારું!’ મુમતાઝ એ સાંભળી જાય તો રોકડું જ પરખાવે, ‘દીકરાની જેમ સાચવો તો તમારા બળદ પણ કામઢા જેવું કામ કરે.’ આવે વખતે પરગજુ મહંમદ મુમતાઝને વારે; પછી વખાણ કરનાર તરફ હાથ જોડીને કહે, ‘પરવરદિગારની કૃપા કે અમારી પર ગામ આખાનો દયાભાવ છે. બધાને ઘાણીકઢું તેલ ખવરાવવાનું અમને જ નહિ; આ કામઢાને ય ગમે છે!’ આ સંવાદ સાંભળી કામઢો તો ભારે પોરસાય.

કામઢાની એક જ મર્યાદા. એને ગોળ-ગોળ ફરતા જ આવડે! મહંમદે તેને ઘાણી માટે જ પલોટેલો તે ! ઘાણીએ જોતરીને પહેલું કામ કાળાં ડાબલાં પહેરાવવાનું. ગામનાં છોકરાંને નવાઈ લાગે, ‘બીજા બળદ ડાબલાં પહેર્યા વિના જ ચાલે છે તો કામઢાને ડાબલાં કેમ?’ સવારથી સાંજ એક જ કામ; ગોળ-ગોળ ફરવાનું. દિવસો વીત્યા, મહિના વીત્યા, દાયકો વીત્યો. કોઈ દિવસ નહિ વેકેશન; નહિ રજા. રજાનો વિચાર કરવાની ફુરસદ ન’તી મહંમદને કે ન’તી કામઢાને. જેમ અર્જુનને માછલીની આંખ સિવાય કાંઈ ન દેખાય તેમ આ બંનેને ઘાણી સિવાય કાંઈ ન દેખાય.

એક વાર ઉનાળાનો સમય. વેકેશનમાં સમજુભા ધ્યાન શિબિરમાં ગયેલા. બરાબર તે જ વખતે અલ્લાનું કરવું ને કામઢાને કાંધ આવી. ધ્યાન ન રહે તો કાંધ પાકે અને લાંબું થાય. મુમતાઝે તો મહંમદનો ઊધડો લીધો, ‘આટલું ય ધ્યાન નથી રાખતા!’ મહંમદે ચાલુ ઘાણ પૂરો કરી કામ કર્યું બંધ. ઘરાક ભલે ધક્કા ખાય. કામઢો પહેલો; ઘરાક પછી. ઈસ્માઈલ દા’ડામાં બે-ત્રણ વાર કાંધ પર ઘરનું તાજું દિવેલ લગાવી આપે. ઈસ્માઈલનો ફોરો હાથ કામઢાને ખાસ શાતા આપે.

મુમતાઝ રોજ ઊઠતાંની સાથે જ તેને પસવારતાં કહે, ‘ઘણું ય કામ કર્યું છે. પૂરતો આરામ કરી લે. આવી તક મળતી નથી’. આટલું સાંભળી મિજાગરાના અવાજ સાથે ઊભો થયેલો કામઢો પાછો બેસી જાય. કામ વિનાના કામઢાને ચેન પડે નહીં. જિંદગીમાં પહેલી વાર કામઢાને ડાબલાં વગર દિવસો કાઢવાના આવ્યા. સવારથી સાંજ સુધી ગામમાં થતી આવન-જાવન પર તેની નજર રહે. એણે જોયું કે રોજ સવારે એનાં બીજાં ભાઈ-ભાંડુઓ અલગ અલગ સાંતી લઈને સીમ તરફ જાય છે. કોઈ ઓરણી, કોઈ કરબ, તો વળી કોઈ હળ લઈને જાય છે. કોઈ વળી ગાડું ખેંચી જાય છે. કોઈને તો કાંઈ જ જોતર્યું નથી. સાંજે પાછો વળતો ક્રમ. કેટલાં બધાં ઘાટનાં સાંતી, જુદા જુદા રંગ-કદના બળદ, બધાની ચાલે ય અલગ!

શરૂઆતના ત્રણ દિવસ તો આ જોવામાં કામઢાને ભારે રસ પડ્યો. ચોથે દિવસે કામઢાને અચાનક ઝબકારો થયો : ‘આ શું? તેના આ ભાઈ-ભાંડુઓમાંથી એકે ય એનાં જેવાં ડાબલાં તો પહેરતા જ નથી ! બધા ખુલ્લી આંખે અને સીધી દિશામાં ચાલે છે. એકે ય એની જેમ એકલા તો છે જ નહિ ! બધા કોઈ ને કોઈ સાથીદારની સાથે જ ચાલે છે!’ હવે એનું મગજ ચકરાવે ચડ્યું, ગડમથલ થવા માંડી કે, ‘રોજ સાંજે પાછું જ આવવાનું હોય તો બધાં એની જેમ ગોળ ફરીને કામ જલદી પતાવતા કેમ નથી? ઝડપ આટલી ધીમી કેમ? બધા જાય છે ક્યાં અને આવે છે ક્યાંથી? ત્યાં શું કામ કરતા હશે? ભાર વગર ચલાતું કેમ હશે? બધાની ઘાણી કેવીક હશે? આટલા બધા ઘાટના સાંતીની અને તેને વળી બદલતાં રહેવાની જરૂર શી?’ વિચારોના ઘમસાણથી એનું માથું દુખવા લાગ્યું અને એ ઝોકે ચડી ગયો. બીજા બે દિવસ ગયા. રોજ આ જ મથામણ ચાલે અને ઝોકાં આવે પછી એનું માથું ઊતરે.

તેવામાં એક દિવસ તેણે સાંભળ્યું, ‘ચાલો ચાલો, આપણે આજે તો ઓરવાનું છે, મોડા પડે નહીં ચાલે. આ કામઢાની જેમ બેસી રહેવું આપણને ના પાલવે.’ પોતાનું નામ સાંભળી કામઢાના કાન સરવા થયા. તેણે જોયું તો એક વાંકાબોલો ખેડૂત તેના બળદોને પરોણો મારતો હતો. કામઢાને વાત સમજાઈ ગઈ. એની તો ઊંઘ ઊડી ગઈ. તેનું મન વ્યાકુળ થઈ ગયું. દસ વરસની એકધારી અને એકચિત્ત મહેનત પછી ગામમાં આવી વાતો થાય કેમ? તેની કામ પ્રત્યેની લગનને કોઈ પડકારી કેમ શકે? તે રાત્રે કામઢો સૂઈ ન શક્યો. આખી રાત તેણે ઊઠબેસ જ કરી. એને એમ થાય કે પોહ ફાટે ક્યારે અને ઘાણીએ વળગું ક્યારે? તેના માંહ્યલાના અવાજ સામે કાંધની પીડા તો ક્યાં ય ભુલાઈ ગઈ.

ઈસ્માઈલ ઘાણીએ બેસીને મોટેથી એક વારતા વાંચતો તે તેને યાદ આવી ગઈ. તેમાં બંને પગ વગરની એક છોકરી ગિરનાર ચડી ગઈ હતી. શારીરિક તકલીફો તો નબળા મનવાળાને નડે. એને તો ધૂન સવાર થઈ કે, ‘મારે કામ કરવું જોઈએ. ધૂંસરું નાંખી ગોળ-ગોળ ફરવું એ મારો સ્વધર્મ છે, એ જ મારી ફરજ છે અને એ જ મારો સેવાધર્મ છે. મને ઈશ્વરે તેને માટે તો મોકલ્યો છે. આવી રીતે કોઈ નવરું બેસે જ નહિ. કામ વિના જીવનનો સંતોષ મળે જ કેમ? કામ ન કરીએ તો જીવતર એળે જાય. હું બેઠો હોઉં ને ગામ ભેળસેળવાળું તેલ ખાય? અને પછી કામ કેટલું ચડી જાય? ઘાણી પડી પડી બગડી તો નહિ જાય ને?’ તેમાં વળી ઘણા વખતથી બાકી રહેલાં કામો પતાવવા મહંમદ બહારગામ જઈ આવ્યાની વાત જાણી. કામઢાને તો એમે ય વિચાર આવી ગયો કે, ‘આ મહંમદ, કોઈ બીજો ધંધો તો શોધી નહિ કાઢે ને! તે તેનો સ્વધર્મ તો ભૂલી નહિ જાય ને!’ તે રાતે કામઢાએ કશીક ગાંઠ વાળી લીધી.

સવાર પડી; પણ બારણું ખૂલવાનો અવાજ આજે આવ્યો કેમ નહિ? તાવલા ઈસ્માઈલને પોતાં મૂકવા મા-બાપે મોડી રાત સુધી ઉજાગરો કરેલો. બહારના શોરબકોરથી જાગીને મહંમદ જુએ છે તો આખું ફળિયું કામઢાની ફરતે ભેગું થઈ ગયેલું. ટોળાની વચમાં ખીલા ફરતે કામઢો ગોળ-ગોળ ફરે છે. જેમ ઘાણીની પડાળમાં લાટ ફરે તેમ હાલી ગયેલો ખીલો ય ગોળ-ગોળ ફરે છે. અને લોકો આ નવતર જોવાની મઝા માણે છે. કોઈ બોલ્યું, ‘કામઢો ગાંડો થયો લાગે છે.’ કોઈ કહે, ‘હવે આફરો ચડશે.’ કોઈને થયું, ‘બેઠા-બેઠ ખાધું તેની આળસ ઉતારે છે.’ કોઈ શું બોલે છે તેની કામઢાને પડી નથી. એ તો એના તાનમાં ફર્યે જ જાય છે.

આ તમાશો જોઈને મહંમદને ભારે અચરજ થયું. ઘડીક તો તેને કશી ગતાગમ પડી નહિ. કામઢાનું આવું વર્તન ક્યારે ય જોયું નહોતું. ન તો કોઈ દિ’ આવી બીમારી વિશે સાંભળેલું. આની દવા શી? આનો દાક્તર કોણ? આ તો દરદ જ નવું! આંખ ચોળતી મુમતાઝ બોલી, ‘ખીલો બદલી જુઓ.’ મહંમદ તરત કામઢા પાસે ગયો, પૂચકાર્યો. પણ કામઢો ગાંઠે શેનો? મુમતાઝે પાણી પાયું એટલે ઘડીક શાંત થયો.  દરમ્યાન મહંમદે એને ખીલેથી છોડી લીધો. તે જેવો નવા ખીલા તરફ દોરી જાય છે તેવો કામઢો માથું નીચું કરી મહંમદ પાસે ઊભો રહ્યો. કામઢાને એમ કે હવે ધૂંસરી મુકાય એટલે ઘાણી શરૂ. ‘પણ હજી તો કાંધ મટી ક્યાં છે?’ મુમતાઝ ઊંચા અવાજે બોલી. ‘કામઢાને કામે ન ચડાવાય.’ કામઢાને શંકા થઈ કે પેલી ગિરનાર ચડવાવાળી વારતા મુમતાઝે સાંભળી નહિ હોય?

તેણે તો નવા ખીલે ફરી ગોળ-ગોળ ફરવાનું શરૂ કર્યું. પડોશમાં સમજુભા સવારથી બધો તાલ જોયા કરે. આગલી રાતે જ શિબિરમાંથી પાછા આવેલા. તે તો જીવનના મર્મજ્ઞ હતા, બધું પામી ગયા. કહે, ‘ખીલો બદલ્યે નહિ ચાલે, કાંધ મટે નહીં ત્યાં સુધી ડાબલાં પહેરાવેલાં રાખો.’ મહંમદે જેમતેમ કરી કામઢાને ડાબલાં ચડાવી દીધાં. અને ઉપાય તો ભારે કારગર નીવડ્યો! ઘડીકમાં કામઢો શાંત થઈ બેસી ગયો. ડાબલાં જ તેને ગોઠ્યાં. હવે તેની નજર બીજે ફરતી બંધ થઈ. તેનું મન ચકરાવે ચડતું નહોતું અને સદ્ભાગ્યે કોઈ વાંકાબોલો નજીક ફરકતો નો’તો.

એકાદ અઠવાડિયું ગયું. કાંધ સાજી થઈ ગઈ, ઘાણી ચાલુ થઈ ગઈ. હવે બધાં ય રાજી છે, ઘરાક રાજી, મહંમદ રાજી અને કામઢો ય રાજી! પણ રોજ ભરાતા ડાયરામાં ગામનાં વડેરાં પૂછ્યે રાખે છે, ‘હેં સમજુભા, ડાબલાંમાં એવું તો શું છે કે કામઢો શાંત થઈ ગયો?’ સમજુભા મૂછમાં હસે ને એટલું જ બોલે, ‘ડાબલાંમાં જાદુ છે!’ પછી કરુણાભાવથી કામઢા તરફ જોયા કરે.

પણ એટલેથી અટકે તો સમજુભા શેના? આવો મોકો એ જવા દે? એક માર્મિક ગમ્મત કરવાનું તેમને સૂઝ્યું. ઓસરીમાં એક મોટો અરીસો લટકાવ્યો. પછી તેના ઉપરના ભાગે એક આકર્ષક ચબરખી ચોંટાડી, તેમાં કંઈક લખ્યું. ડાયરામાં આવતા લોકોને આજે આ નવું લાગ્યું. અરીસા પર કોઈ ચબરખી થોડી ચોંટાડે? વિચારપુરનાં લોકો આ કૌતુક જોવા જાય છે અને તેમાં પોતાનો ચહેરો દેખાય ત્યારે ચબરખી કપાળે આવે છે. ચબરખી વાંચી સૌ વિચારતાં થઈ જાય છે!

મહંમદે પણ અરીસામાં જોયું ને બોચી ખંજવાળી. કપાળ ઉપર દેખાતી ચબરખીમાં લખ્યું હતું, ‘કામઢો’! તેણે મલકાતાં મલકાતાં સમજુભાને પૂછ્યું, ‘આ અરીસો કામઢાની સામે ધરું?’ મુમતાઝ બોલી, ‘કામઢાને ચાલતાં આવડે છે; વાંચતાં નહિ.’ સમજુભા કહે, ‘અરે, વાંચતાં ન આવડે તો ય ચાલે, અરીસામાં જોતાં આવડે તો ભયો ભયો!’

(સમજુભાના અરીસામાં જોતાં જોતાં સૂઝેલી વાર્તા)  

સૌજન્ય : ભૂદાનમૂલક ગ્રામોદ્યોગપ્રધાન અહિંસક ક્રાંતિનું પાક્ષિક મુખપત્ર “ભૂમિપુત્ર”, 16 ઑગસ્ટ 2020

Loading

ન્યાયતંત્ર નહીં ઊગરે તો દેશ અરાજકતા તરફ ધકેલાઈ જશે

રમેશ ઓઝા|Opinion - Opinion|13 September 2020

સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિને સર્વોચ્ચ અદાલતના નહીં, દેશના મુખ્ય ન્યાયમૂર્તિ અર્થાત્ ચીફ જસ્ટીસ ઑફ ઇન્ડિયા તરીકે ઓળખાવવામાં આવે છે, એના પરથી ખ્યાલ આવશે એ હોદ્દો કેટલો મોટો છે અને એનાથી પણ વધુ એનું ગૌરવ કેટલું મોટું છે. પ્રોટોકોલની યાદીમાં મુખ્ય ન્યાયમૂર્તિ અનુક્રમે રાષ્ટ્રપતિ, ઉપ-રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ (જો હયાત હોય તો) પછી પાંચમાં ક્રમે આવે છે. આમાં નિવૃત્ત રાષ્ટ્રપતિને અપાયેલો ચોથો ક્રમ એક આદર માત્ર છે એટલે સત્તા ધરાવનારાઓમાં દેશના મુખ્ય ન્યાયમૂર્તિ વડા પ્રધાન પછી તરત જ ચોથા ક્રમે આવે છે.

તમને યાદ હશે કે ૨૫મી એપ્રિલ ૨૦૧૬ના રોજ દેશના ચોથા ક્રમના હોદ્દેદાર, મુખ્ય ન્યાયમૂર્તિ ટી.એસ. ઠાકુર દેશના ત્રીજા ક્રમના હોદ્દેદાર વડા પ્રધાન નામે નરેન્દ્ર દામોદાર મોદીની હાજરીમાં જાહેરમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. તેઓ રીત સર હીબકા ભરતા ભરતા વડા પ્રધાનને કહી રહ્યા હતા કે હવે દેશનું ન્યાયતંત્ર પડી ભાંગ્યું છે. એને બચાવો. સરકાર જ એને બચાવી શકે એમ છે. પ્લીઝ ન્યાયતંત્રને ચુસ્ત-દુરુસ્ત કરો. ન્યાયતંત્ર નહીં બચે તો દેશમાં કાયદાનું રાજ્ય પડી ભાંગશે.

કાયદાનું રાજ્ય. સામાન્ય જનોનું કાયદાના રાજ્યમાં કેટલું હિત જળવાયેલું છે એનું લોકોને અને ખાસ કરીને ભક્તોને ભાન નથી. ધોળે દિવસે દીકરીનું અપહરણ થશે ત્યારે રડતાં માં-બાપને ક્યાંયથી ન્યાય મળવાનો નથી. જે ન્યાય આપનાર છે એ જ શાસક પાસે કરગરે છે કે પ્લીઝ ન્યાયતંત્રને બચાવો.

તમને કદાચ જાણ નહીં હોય કે ૧૮૧૮માં પેશ્વાઓના રાજનો અંત આવ્યો અને તેની જગ્યાએ અંગ્રેજોનું રાજ આવ્યું ત્યારે પેશ્વાઓની રૈયતે ઘરને ટોડલે દીવાઓ પ્રગટાવીને દિવાળી ઉજવી હતી. શા માટે? કારણ કે કાયદાનું રાજ નહોતું. ઘાસીરામ કોટવાલો પેશ્વાઓના શ્રીમંત સરદારો માટે કે તેના લંપટ સગાંઓ માટે ગમે તેની મા-બહેનોને ઉઠાવી જતા હતા. ફરિયાદ ક્યાં કરો અને કોને કરો? વિજય તેંડુલકરે ‘ઘાસીરામ કોટવાલ’ નાટક લખ્યું અને ભજવાયું ત્યારે મહારાષ્ટ્રના દેશપ્રેમી સંસ્કૃતિ-રક્ષક બ્રાહ્મણોને મરચાં લાગ્યાં હતાં અને નાટક ન ભજવાય એ માટે ધમપછાડા કર્યા હતા. ખેર, એ વાત જવા દઈએ. પેશ્વાઓની રૈયતે દીવા કરીને દીવાળી ઉજવી હતી એ વાત તમને ગળે ન ઉતરે એવું બને.

મને ખાતરી છે કે તમે આપણા કવિ દલપતરામની પેલી જાણીતી કવિતા ‘હરખ હવે તું હિન્દુસ્તાન’! તો સાંભળી જ હશે. હરખ કઈ વાતનો હતો એ તો મનહર છંદમાં લખાયેલી કવિતા વાંચશો એટલે ખબર પડી જશે. કવિતા આ મુજબ છે :

ઝેર ગયાં ને વેર ગયાં, વળી કાળા કેર ગયા કરનાર,
પર નાતીલા જાતીલાથી સંપ કરી ચાલે સંસાર;
દેખ બિચારી બકરીનો પણ કોઈ ન જાતાં પકડે કાન,
એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન.

કવિતા ઘણી લાંબી છે એટલે આખી ઉતારતો નથી (આખી કવિતા ઈંટરનેટ પર ઉપલબ્ધ છે), પણ હજુ વચ્ચેથી બે પંક્તિ ટાંકુ છું :

ઈગ્લીશ નેજા નીચે તારાં તનુજ કરે ગુલતાન,
એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન.

આ કવિતા પરથી ખ્યાલ આવશે કે કાયદાના રાજ માટે પ્રજા કેટલી વલખાં મારતી હતી. દલપતરામ તો શિક્ષિત બ્રાહ્મણ હતા અને છતાં અંગ્રેજોના રાજનું સ્વાગત કરતા હતા તો કલ્પના કરો કે દેશી રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની હાલત કેવી હશે! લગભગ દરેક રાજ્યમાં ઘાસીરામ કોટવાલો જ રાજ કરતા હતા. દલપતરામની કવિતા વાંચીને કદાચ તમને ખાતરી થશે કે મહારાષ્ટ્રમાં પ્રજાએ પેશ્વાઓના રાજના અંતનો અને અંગ્રેજોના રાજના આરંભનો કેવો ઉત્સવ મનાવ્યો હશે.

હિંદુરાષ્ટ્ર અને દેશપ્રેમના નામે દરેક કુકર્મોનો બચાવ કરનારાઓને એક સવાલ પૂછવાનું મન થાય છે. દલપતરામ ડાહ્યાભાઈ આપણી ભાષાના આધુનિક યુગના આદ્યકવિ છે. નર્મદ કરતાં ઉંમરમાં મોટા હતા અને નર્મદ જેટલા જ આધુનિક હતા એટલે હું તેમને આધુનિક યુગના આદ્યકવિ કહું છું. વળી નર્મદ તો પાછલાં વર્ષોમાં બદલાયો હતો, જ્યારે દલપતરામ જેટલા આધુનિક હતા એટલા જીવનભર રહ્યા હતા. એક છેડેથી બીજે છેડે નહોતા ગયા. આ દલપતરામ ૧૯મી સદીમાં ભારતીય શાસકોને અને તેમના આંગળિયાતોને કાળા કેર કરનારાઓ તરીકે ઓળખાવે છે. બકરી અહીં દીકરી-વહુ તેમ જ ગરીબ લાચાર પ્રજાના પ્રતિકરૂપે છે. પાછું દેશીરાજ્યોથી મુક્તિને તેઓ આવકારે છે અને અંગ્રેજ રાજ્યનું સ્વાગત કરીને પ્રજાને હરખાવાની સલાહ આપે છે.

તમને નથી લાગતું કે કવિ દલપતરામ આધુનિક ગુજરાતના આદ્યકવિ ભલે હોય, સૌ પહેલા તો તેઓ આધુનિક ગુજરાતના આદ્યદેશદ્રોહી હતા? આવું કહેવાતું હશે, હરખ હવે તું હિન્દુસ્તાન! આ લખનાર જેવા તો દલપતરામના દેશદ્રોહી નાનાં છોરું કહેવાય. મહારાષ્ટ્રમાં આપણા પોતાના, પાછા હિંદુ અને હિન્દુમાં પણ સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ એવા પેશ્વાઓનું રાજ જાય તો હરખાવાનું હોય! કોઈ દેશપ્રેમ અને હિંદુગૌરવ જેવી ચીજ ખરી કે નહીં? ૧૮૧૮માં જે જે ઘરોમાં ટોડલે દીવા પ્રગટ્યા હતા એને પાછલી મુદ્દતથી દેશદ્રોહી જાહેર કરવા જોઈએ.

હિંદુરાષ્ટ્ર અને દેશપ્રેમના નામે કુકર્મોનો બચાવ કરનારાઓને એ પણ જણાવી દઉં કે અફઘાન પ્રજાને જ્યારે તાલેબાનોથી મુક્તિ મળી ત્યારે ત્યાં પણ પ્રજાએ હરખ મનાવ્યો હતો અને ત્યાં પણ કોઈ દલપતરામે હરખ હવે તું અફઘાનિસ્તાન કવિતા લખી હશે. તમને ખબર નથી કે કાયદો અને વ્યવસ્થા શું ચીજ છે. હિંસા તમારે ઉંબરે આવશે, બહેન-દીકરીને સાંજ પડ્યા પછી ઘરની બહાર નીકળતા ડર લાગશે અને ગાયબ થઈ ગયેલો દીકરો ક્યારે ય ઘરે પાછો નહીં ફરે કે નહીં તેની લાશ મળે ત્યારે ભાન થશે કે કાયદો અને વ્યવસ્થા શું ચીજ છે. છેલ્લાં સો વરસમાં આ ધરતી ઉપર સોએક જેટલા દેશોએ કમકમાં આવે એવી અરાજકતા વેઠી છે. એને જઈને પૂછો કે ધર્મ, વંશ અને ભાષાની અસ્મિતાઓ કરતાં કાયદો કેટલો મહાન છે અને કેટલો જીવનાવશ્યક છે. જીવનાવશ્યક દવા તો માત્ર આપણી જિંદગી બચાવે છે; જ્યારે કાયદો અને કાયદા આધારિત રાજ્ય તમારી, તમારા પરિવારની અને તમારા વહાલાં સંતાનોની જિંદગી બચાવે છે. એના થકી તમે રાતના ઊંઘી શકો છો.

માટે ૨૦૧૬માં દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ટી.એસ. ઠાકુરનાં જાહેરમાં, કેમેરાની સામે બધાં બંધનો તૂટી પડ્યા હતાં અને હીબકા ભરતાં ભરતાં દેશના વડા પ્રધાનને કહ્યું હતું કે ન્યાયતંત્રને ઉગારો. તેનો નાભીશ્વાસ ચાલી રહ્યો છે. ન્યાયતંત્ર નહીં ઊગરે તો દેશ અરાજકતા તરફ ધકેલાઈ જશે. જગતનો ઇતિહાસ આની સાક્ષી પૂરે છે. આ વાતને ચાર વર્ષ થઈ ગયાં છે. આ ઘટના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં બની હતી. તેમણે ન્યાયતંત્રને ઉગારવા શું કર્યું? કાંઈ જ નહીં. ઊલટું, એક ધક્કા ઔર દોની નીતિ અપનાવી છે.

પણ એ પહેલાં દેશના ન્યાયતંત્રની આવી અવસ્થા થઈ શેના કારણે એનું વિવેચન કરીશું.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 સપ્ટેમ્બર 2020

Loading

આ મુશ્કેલ સમયમાં (36)

સુમન શાહ|Opinion - Opinion|13 September 2020

= = = = એ સાહિત્યકૃતિ જ મહાન છે જે આપણી ખરી જીવનપીડાનું આપણને મૉંમાથું બતાડે ને આપણને હમ્મેશને માટે જગાડી મૂકે = = = =

= = = = વૅલ-પ્લાન્ડ ડીઝાઇન એમ છે કે મૃત્યુ મળે તો જ રાહ જોવાનું પતવાનું છે. જીવવું એટલે સતત રાહ જોતા રહેવું ને છેલ્લે મૃત્યુને વરવું. કોરોનાને લીધે હર પળે સંખ્યાબંધ મનુષ્યો મરે છે, પણ એ બધાં કંઈ મૃત્યુની રાહ ન્હૉતાં જોતાં. એમને એમ જ ઉઠાવી લેવાયાં ! એ કારણે કોરોનાને હું વિકરાળમાં વિકરાળ આફત ગણું છું = = = =

સ્ત્રી કે પુરુષ, યુવાન કે વૃદ્ધ, ઇન્ડિયન યુરોપીયન અમેરિકન કે જાપાની, પૃથ્વી પરનો હરેક મનુષ્યજીવ, આજે જેની રાહ જોઈ રહ્યો છે, એ છે, રસી. અંગ્રેજીમાં એને વૅક્સીન કહે છે. રશિયાના પુતિન કહે છે, એમને ત્યાં શોધાઈ ગઈ છે. અમેરિકાના ટ્રમ્પ કહે છે, ઑક્ટોબરમાં અમેરિકન વૅક્સીન મળી જશે. રાજકારણી કોઈપણ મનુષ્યમાં મને આમે ય શ્રદ્ધા નથી ને રસી જેવી અતિ મહત્ત્વની ચીજ માટે આ મહા ખેલાડી રાજકારણીઓમાં તો કેવી રીતે હોય? એમનો ભરોંસો શો?

રસી એક આશા છે અથવા આશાનું નામ રસી છે. એ ક્યારે આવશે તેની ચૉક્કસ ખબર નથી. ચૉક્કસ ખબર એ છે કે એ આવશે.

સૅમ્યુઅલ બૅકેટના ‘વેઇટિન્ગ ફૉર ગોદો’ નાટકમાં પણ એમ જ છે. નાટકમાં ગોદો એક આશા છે. એની રાહ જોવાય છે. એ આવશે તેની એસ્ટ્રેગૉન અને વ્લાડિમિર બન્ને મિત્રોને ચૉક્કસ જાણ છે. પણ એ ય એટલું જ ચૉક્કસ છે કે ક્યારે આવશે તેની એમને જાણ નથી. મૅસેન્જર છોકરો આવીને રોજ એમ કહે છે કે જેની તમે રાહ જુઓ છો એ આજે નહીં પણ કાલે આવશે.

આ મૅસેન્જર ગોદોનો માણસ છે કે ગોદો અને બે મિત્રો વચ્ચેની કશી ખૂટતી કડી છે તેની મને સ્પષ્ટતા નથી મળી. પણ જમાને જમાને આપણને દિલાસો દેનારા સંદેશવાહકો તો મળ્યા જ કર્યા છે. તેઓની આપણી વચ્ચેની હાજરીને કારણે જીવવાને વિશેની આપણી હામ ટકી રહે છે ને આશા જીવી જાય છે. ગોદોની રાહ જોનારા એ બન્ને મિત્રો પછી તો છોકરાની રાહ જોતા થઈ ગયા. એનો અર્થ એટલો જ કે રાહ જોવાનું ખતમ નથી થયું. રાહ જોવાનું કદી મટી નથી જતું એ સત્યને બૅકેટે નાટકમાં રણઝણતું કરી મેલ્યું છે.

બૅકેટને પૂછવામાં આવેલું : ગોદો કોણ છે? : તો એમણે કહેલું : મને ખબર હોત તો હું નાટક લખત શું કામ ! : એમણે ઉમેરેલું : આયૅમ નૉટ ઇન્ટરેસ્ટેડ ઇન ગોદો, આયૅમ ઇન્ટરેસ્ટેડ ઇન વેઇટિન્ગ !

રસીની જ શું કામ, આપણે દિવસ દરમ્યાન જાતજાતની ને ભાતભાતની રાહો જ જોતા હોઈએ છીએ. આ લેખ પૂરો કરવાની જાણ્યેઅજાણ્યે હું રાહ જોતો હોઉં છું. લેખના વાચકો રાહ જુએ છે કે લેખનો છેડો ક્યારે આવશે. દરેક વર્તમાન ક્ષણ, હવે પછી શું? – વ્હૉટ નૅક્સ્ટ?-ની મનોસ્થિતિમાં જકડાયેલી હોય છે. વૅલ-પ્લાન્ડ ડીઝાઇન એમ છે કે મૃત્યુ મળે તો જ રાહ જોવાનું પતવાનું છે. જીવવું એટલે સતત રાહ જોતા રહેવું ને છેલ્લે મૃત્યુને વરવું. કોરોનાને લીધે હર પળે સંખ્યાબંધ મનુષ્યો મરે છે, પણ એ બધાં કંઈ મૃત્યુની રાહ ન્હૉતાં જોતાં. એમને એમ જ ઉઠાવી લેવાયાં ! એ કારણે કોરોનાને હું વિકરાળમાં વિકરાળ આફત ગણું છું.

આ ગોદો માટે એમ કહેવાયું છે કે ગોદો એટલે ગૉડ. ગૉડ જો હોય તો ક્યારે આવશે, નથી કહી શકાતું, આપણા ગૉડે ખાતરી આપી છે કે પોતે યુગે યુગે સંભવે છે. પણ યુગની એમની વ્યાખ્યા શી છે, નથી ખબર.

પોત્ઝો. લકી, એસ્ટ્રેગૉન, વ્લાડિમિર.

એમ પણ કહેવાયું છે કે ગોદો એટલે ડેથ. ચૉક્કસ વાત એ છે કે ડેથ તો આવવાનું જ છે, પણ ચૉક્કસ વાત એ પણ છે કે ક્યારે, તે નથી કહી શકાતું. આ એટલું બધું સાચું છે કે માણસ જાતે ઇચ્છે, નક્કી કરે કે આજે કે હમણાં, તો પણ મરી નથી શકતો. નાટકમાં એક પ્રસંગ છે : એસ્ટ્રગૉન વ્લાડિમિર આગળ પ્રસ્તાવ મૂકે છે – ચાલ આપણે ફાંસીએ લટકીને મરી જઇએ. પણ એમની પાસે ફાંસીનું દોરડું તો હતું નહીં. એસ્ટ્રગૉન પોતાના હૂંથણાનું નાડું છોડી નાખે છે, બન્ને જણા નાડાનો સામસામો છેડો પકડીને ખૅંચે છે, પણ નાડું તૂટી જાય છે. ફાંસીએ ચડીને આપઘાત કરવાનો એ પ્રયાસ આમ નિષ્ફળ નીવડે છે. વ્લાડિમિર કહે છે : આવતી કાલે લટકીશું જો ગોદો ના આવે તો. એસ્ટ્રેગૉન કહે છે : અને જો આવે તો? : વ્લાડિમિર કહે છે : તો તો આપણે બચી જઈશું. બન્ને મિત્રોને એક જ સાર પકડાય છે કે પરિસ્થિતિમાંથી ઊગરી જવાનો એક જ રસ્તો છે – કાં તો ડેથની અથવા તો ગૉડ સમી કોઈપણ હસ્તીની રાહ જોવી.

વ્લાડિમિર અને એસ્ટ્રેગૉનને આ સમજાયું હશે કદાચ ને તેથી તેઓ ગોદોની રોજ રાહ જુએ છે. નાટકમાં બે દિવસ કહ્યા છે પણ પ્રેક્ષક કલ્પી શકે છે કે તેઓ તો ત્રીજે, ચૉથે કે પાંચમે દિવસે પણ રાહ જોવાના છે. કેમ કે, આજે નહીં પણ કાલે આવશે એમ કહીને મૅસેન્જર છોકરો ચાલી જાય એટલે એ બન્ને જણા બોલતા હોય છે ખરા – ચાલો જઈએ, પણ જતા નથી. પરદો પડે એ પહેલાં એમની એ અવઢવ જોઈ શકાય એવો એ બન્નેએ અભિનય કરવાનો હોય છે અને દિગ્દર્શકે એવી બધી જોગવાઈ કરવાની હોય છે.

નાટકમાં બીજી જોડી પોત્ઝો અને લકીની છે. પોત્ઝો શેઠ છે, સત્તાશાળી. એવાઓના હોય જ એમ લકી એનો વેઠિયો છે. અને, લકી શબ્દો સાથે વ્યભિચાર કરનારા કૃતક બૌદ્ધિકોનું પ્રતીક છે. એનું કશા જ અર્થ વગરનું ભાષણ એક બકવાસ છે. કશા જ વિરામ કે પૂર્ણવિરામ વિના પાંચ-થી પણ વધારે મિનિટ લગી અસ્ખલિત ચાલતા એ ભાષણની શરૂઆત આવી છે : સ્વીકાર્યું કે એક અંગત ઈશ્વરનું અસ્તિત્વ પન્ચર ઍન્ડ વૉટમનની જાહેર કૃતિઓમાં ઉચ્ચરિત છે એમ એ મુજબ છે એમ છે ઈશ્વર ક્વાક્વાક્વાક્વા છે સફેદ દાઢીવાળો છે ક્વાક્વાક્વાક્વા સમયાતીત છે વિસ્તૃતિહીન છે કે જે દૈવી જાડ્ય ઍપથિયા દૈવ્ ઍથમ્બિયા દૈવ્ … વગેરે.

લકીના આ બકવાસની અસર મળે એ ખાતર ત્યારે મેં આ ‘ક્વાક્વાક્વાક્વા’ શબ્દનો અનુવાદ નહીં કરેલો. પણ કહું : અંગ્રેજીમાં quaquaversal શબ્દ છે. એનો અર્થ છે એક જ કેન્દ્રમાંથી દરેક દિશામાં ફેલાયેલું હોય તેવું. લકીએ આ વિશેષણ ઈશ્વર માટે પ્રયોજ્યું છે. ઈશ્વર એમ જ છે, એક જ કેન્દ્રમાંથી દસે દિશાએ પ્રસરી ગયેલો, સાર્વભૌમ, સર્વવ્યાપી.

આપણી પરમ્પરામાં દેવોના મુખારવિન્દની ચોપાસ જે તેજોવલય હોય છે એ આવું જ હોય છે – સર્વ દિશાઓમાં ફેલાયેલું. આ શબ્દનો ફ્રૅન્ચમાં અર્થ છે, which’s. મૂળ શબ્દ છે, quoi. ગુજરાતીમાં કહેવાય, કયો? આપણે કયોકયોકયોકયો બોલીએ તો ઈશ્વરને જ લાગુ પડે … કેમ કે એનો અતપતો નથી મળતો. એ સાર્વભૌમ છે છતાં અગમ્ય છે. એ સર્વવ્યાપી છે છતાં અનન્ત છે … આ ‘છે’ અને ‘છતાં’-ની વચ્ચે રહીને મનુષ્યજીવનની અસંગતતા – ઍબ્સર્ડિટી – ઘૂઘવતી હોય છે …

આ કોરોના પાન્ડેમિક અને કોવિડ-૧૯ નામનું આપણી સામે જે ઘૃણાસ્પદ નાટક ભજવાઈ રહ્યું છે તેનો ઇલાજ જો રસી છે, તો કોઈકે એને શીર્ષક આપવું જોઈશે, ‘વેઇટિન્ગ ફૉર વૅક્સીન’.

મેં આ નાટકનો ‘ગોદોની રાહમાં’ એમ અનુવાદ કર્યો છે (પહેલી આવૃત્તિ : ૧૯૯૦ : પુનર્મુદ્રણ : ૨૦૦૪ : પુનર્મુદ્રણ : ૨૦૦૮ બીજી આવૃત્તિ : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ). એ પછી, પહેલી વાર, મેં નસીરુદ્દીન શાહ અને બૅન્જામિન ગિલાનીની મુખ્ય ભૂમિકામાં એનું મંચન જોયું છે. પછી તો, એના જુદા જુદા ફિલ્મ-અવતારો પણ જોયા છે.

નસીરુદ્દીને એક સ્થાને હમણાં જ કહ્યું કે ત્યારે તો હું અને બેન (બેન્જામિન) કશું ખાસ સમજતા ન્હૉતા પણ ઉમ્મર વધવાની સાથે ઘણી ઘણી સમજ પડવા લાગી છે …

વિદેશમાં એવી જાહેરાત આવતી હોય છે : આ ૫૦ પુસ્તકો તમે મૃત્યુ પામો એ પહેલાં વાંચી લો : આ નાટક માટે હું કોઈપણ સાહિત્યકારને, સાહિત્યરસિયાને કે પ્રજાજનને વિનન્તી કરું કે આ નાટક જરૂર વાંચો અને જરૂર જુઓ.

એ સાહિત્યકૃતિ જ મહાન છે જે આપણી ખરી જીવનપીડાનું આપણને મૉંમાથું બતાડે ને હમ્મેશને માટે આપણને જગાડી મૂકે …

= = =

(September 13, 2020 : Ahmedabad)

Loading

...102030...2,1772,1782,1792,180...2,1902,2002,210...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved