Opinion Magazine
Number of visits: 9965374
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મુશ્કેલ સમયમાં (46)

સુમન શાહ|Opinion - Opinion|15 December 2020

= = = = કોઈ એમ કહે કે અવારનવાર જોડણીકોશ વાંચો, છાપું વાંચતાં છો એમ, ઉપરઉપરથી, તો? તો એ માણસ નવરો કે વેદિયો લાગે, પણ વખત જતાં ખબર પડે કે એની વાતમાં દમ છે = = = =

= = = = મને ઘણી વાર થાય કે માણસે જાતને જ પૂછવું કે ભાષા મરી રહી છે કે પોતે મન્દપ્રાણ થઈ ગયો છે -? જાતે ખાતરી કરી લેવી જોઈએ = = = =

‘કોરોના’, ‘કોવિડ-૧૯’, ‘માસ્ક’, ‘લૉકડાઉન’ – આ ૪ શબ્દોમાંથી બને કે ‘માસ્ક’ અને ‘લૉકડાઉન’ માટે કોઈ કોઈ ભાષામાં તેના અનુવાદો થઈ શક્યા હોય. પણ ‘કોરોના’ અને ‘કોવિડ-૧૯’ તો ઘણા હઠીલા તે દુનિયાની એકોએક ભાષામાં એવા ને એવા ચૉંટી ગયા છે. સાવ અનનુવાદ્ય. અનુવાદ કરવાની ચેષ્ટા પણ ન કરવી જોઈએ.

આ ક્ષણે મને યાદ આવે છે એક પ્રસંગ. આપણા એક હૉંશીલા વિવેચક ‘ધી ઓલ્ડ મૅન ઍન્ડ ધ સી’ વિશે વ્યાખ્યાન આપી રહ્યા’તા. એમણે એ શીર્ષકનો અનુવાદ કરી નાખેલો – ‘બૂઢો અને સાગર’. વ્યાખ્યાન દરમ્યાન કંઈ કેટલીયે વાર બોલેલા, ‘બૂઢો અને સાગર’. એમને ‘અર્નેસ્ટ હૅમિન્ગ્વે’-માંના ‘અર્નેસ્ટ’-નો અનુવાદ જડ્યો તો હશે – ‘ગમ્ભીર’, ‘નિષ્ઠાવાન’, ‘આગ્રહી’, પણ ખંચકાયા હશે, અને ‘હૅમિન્ગ્વે’-નો તો નહીં જ આવડ્યો હોય, બીજું શું ! એમને જો વ્યાખ્યાનમાં ‘હુ ઇઝ અફ્રેઇડ ઑફ વર્જિનિયા વૂલ્ફ’ બોલવાની જરૂર પડી હોય તો તેઓ તેનું શું કરે? ‘કોણ ડરે છે વર્જિનિયા વૂઉલ્ફ…’ ‘વૂલ્ફ’ પાસે અટકી ગયા હોત કેમ કે, એમને ખબર કે એટલે તો, ‘વરુ’ ! એમની રસવૃત્તિ કેળવાયેલી એટલે સમજે કે વર્જિનિયા વરુ ન હોય, ન હોવી જોઈએ. શીર્ષકનો અનુવાદ પુસ્તક રૂપે પ્રકાશિત થાય ત્યારે આ બરાબર કહેવાય, વ્યાખ્યાન કે વાતચીતમાં જરૂરી નથી.

દરેક ભાષામાં બીજી ભાષાના શબ્દો અનેક કારણોસર, આ ‘કોરોના’ અને ‘કોવિડ-૧૯’-ની જેમ, ઘૂસી જાય અથવા કહો કે પ્રવેશ પામે, એ એક સ્વાભાવિક ઘટના છે. આપણી ગુજરાતી ભાષામાં જ સંસ્કૃત અને અરબી-ફારસી મૂળના તો ખરા જ પણ અગણિત અંગ્રેજી શબ્દો ઘૂસીને એટલા તો ઓળઘોળ થઈ ગયા છે કે એમ બોલવું ય વ્યર્થ ભાસે છે. આપણે ‘ટેબલ’ માટે ‘મેજ’ શોધી તો કાઢ્યો પણ એ યે પર-ભાષા, ફારસીમાંથી આવેલો છે ! ‘યુનિવર્સિટી’ માટે ‘વિદ્યાપીઠ’ ‘કૉલેજ’ માટે ‘મહાશાળા’ સારા અનુવાદો છે, સંસ્કૃત છે, પણ વપરાય છે કેટલા? કોઈ વાપરવા જાય તો ભૉંઠો પડી જાય છે. આ ‘કોરોના-કોવિડ’-નું કશું ન કરશો, પ્લીઝ.

કોઈ માતા-પિતાએ પોતાની દીકરીને ‘કોરોના’ નામ આપ્યું ને કોઈ બીજાં મા-બાપે પોતાના દીકરાને ‘કોવિડ’ -એ રીતે બને કે કોરોના-આફ્ટરમાથમાં એ બન્ને શબ્દોને વ્હાલ કરવાનું આપણને સૌને મન થઈ આવે. માનવજાત એ અર્થમાં ઘણી સ્થિતિસ્થાપક છે.

એક વાત ઉમેરું. અમારી દશાલાડ વાણિયાની નાત. આમ તો અમે બધા ‘શાહ’, પણ લગભગ દરેક કુટુમ્બની એક વિશિષ્ટ, વધારાની અટક છે. સાંભળો, બહુ રમૂજ થશે : ઘાઘરીવાળા. હાથપગવાળા. ઉંદેડીવાળા. બે-માથાંવાળા. ટૂંકાવાળા. અમારી અટક, દીવાસળીવાળા. એટલે એવું બને કે ભવિષ્યમાં અમુક કુટુમ્બો પોતાને ‘કોરોનાવાળા’ કે ‘કોવિડવાળા’ કહેવરાવે – બચી ગયા હોય, એટલે … આ મુશ્કેલ સમયમાં આવી રમૂજને ભલે બ્લૅક હ્યુમર કહેવાય પણ ન કરવી જોઈએ …

પર-ભાષાના એવા પ્રવેશથી કોઈની માતૃભાષાનો નાશ નથી થતો. અંગ્રેજી જેવી પર-ભાષાના શબ્દો વપરાય કે અંગ્રેજી માધ્યમની શાળાઓ ખૂલે, તેથી ગભરાઈને ભાષા ‘મરવા પડી છે, મરવા પડી છે’ એમ કકલાણ કરવાનો કોઈ સાર નથી. થોડાંક શ્હૅરોનાં થોડાંક પરિવારોને અને એમનાં બાળકોને ગૉટપિટ કરવાથી સારું લાગે છે, તો ભલે કરે. પોતાની પ્રગતિ માટે એમને અંગ્રેજીની જરૂરત પડી છે. એમની સમજ બંધાઈ છે કે અંગ્રેજીના જ્ઞાનને સહારે દુનિયાભરમાં પ્હૉંચી જવાય છે. તો ભલે. પણ એ સિવાયનાં શ્હૅરો જિલ્લા કસબા ગામો અને ગામડાંથી જે 'અસલી' ગુજરાત બન્યું છે ત્યાંનાં મનુષ્યો તો બધો જ જીવનવ્યહાર ગુજરાતીમાં કરે છે. ૭.૦૪ કરોડના ગુજરાતમાં કોની ગુજરાતી ક્યાં ને શેને મરી ગઈ? કોઈ સમજાવો તો …

A girl finding the definitions of 'Man' and 'Woman' in the dictionary. [Courtesy: Latestly]

મને ઘણી વાર થાય કે માણસે જાતને જ પૂછવું કે ભાષા મરી રહી છે કે પોતે મન્દપ્રાણ થઈ ગયો છે -? જાતે ખાતરી કરી લેવી જોઈએ.

પોતાને પૂછવાનું કે મને કેટલાં ક્રિયાપદો કે ક્રિયાવાચી પદો આવડે છે. જો આવડતાં હોય તો ચિન્તા નહીં કરવાની ને સમજી લેવાનું કે ગુજરાતી ભાષા જીવે છે, મરી નથી. જાતને કહેવાનું કે હું પણ છું, પતી નથી ગયો.

મને કેટલાંક વાક્યો સૂઝ્યાં (તમને પણ સૂઝી શકે) ને વિશ્વાસ બેઠો (તમને પણ બેસી શકે) કે મને (તમને પણ) ભાષા જોડે અને ભાષાને મારી જોડે (તમારી જોડે પણ) બનતર છે, બન્નેનું સ્વાસ્થ્ય સારું છે, બન્ને જીવે છે.

આ રહ્યાં એ વાક્યો :

જગુએ ચૂંટણી જીતવા બહુ ‘દાવપેચ કર્યા’ પણ ‘પાસા પોબારા ન પડ્યા’.

રમા-રમેશ એકમેકમાં એવાં ‘ઓળઘોળ થઈ ગયાં છે’, શું ક્હૅવું …

એ ટોળકીએ સામાવાળાઓની ખાસ્સી ‘મારપીટ કરી’.

તમે પશાભૈ, નાહકની ‘હડિયાદોટ કરો છો’, કશું ‘લાભવાના નથી’.

એને તો આપણી દરેક વાતમાં ‘છીંડાં શોધવાની’ કટેવ છે.

સોહને રમણને એવો તો ‘લબડધક્કે લીધો’ કે ત્યારથી ખોટું કરવાની ‘ખો ભૂલી ગયો’.

પછી રમાએ ‘મને-કમને સ્વીકારી લીધું’ કે જે છે, એ બરોબર છે.

છગન જોઈને ન્હૉતો ચાલતો તે ‘અડવડિયું ખાઈને પડ્યો’.

મગનને મંગુ ક્યાંયે દેખાઈ નહીં તે ‘રઘવાયો થૈ જ્યો’.

પોતાને એમ પણ પૂછવાનું કે મને (તમને પણ) કેટલા શબ્દો આવડે છે – મારું (તમારું પણ) શબ્દભંડોળ કેવુંક છે.

મને કેટલાક શબ્દો સૂઝ્યા ને ભરોસો બેઠો કે વાંધો આવે એમ નથી, ચાલશે.

આ રહ્યા એ શબ્દો :

અલ્લડ. કામુક. ઘૅલો. લૂગડું. બળદિયો. સુપરત. મલગોબો. ફોદું. પાણિયારી. ઝડતી. રકઝક. ઝાકમઝોળ. ઢેફું. રાતવાસો. આંગણું. મહેતાગીરી. રોકકળ. લાપરવાહી.

થયું કે વગેરે વગેરે મને ઘણા આવડે છે, ચાલશે.

કોઈ એમ કહે કે અવારનવાર જોડણીકોશ વાંચો, છાપું વાંચતાં છો એમ, ઉપરઉપરથી, તો? તો એ માણસ નવરો કે વેદિયો લાગે, પણ વખત જતાં ખબર પડે કે એની વાતમાં દમ છે. હા, છાપામાં ‘કોરોના’ ને ‘કોવિડ-૧૯’ વારે ઘડીએ જરૂર ભટકાશે, પણ જોડણીકોશમાં કદાચ હવે પછીનાં વરસોમાં…

= = =

(December 14, 2020: USA)

Loading

આંદોલન, શાસન અને પ્રજાજન

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 December 2020

આ લખી રહ્યો છું ત્યારે ઓગણીસ દિવસથી અણથંભ્યો કિસાન ઉઠાવ બરકરાર છે અને કેન્દ્ર સરકારની ભરચક કોશિશ છતાં તે સમેટાવાનું નામ લેતો નથી. આ કોશિશમાં જેમ ખાસો મોડો પડેલ વિનયઅનુનય છે તેમ ખાલિસ્તાની, પાકિસ્તાની, દેશદ્રોહી ને નક્સલ તરેહના આળકારણનો રાબેતો પણ છે. અહીં બહુ ગવાયેલ ત્રણ કાયદાની કે ખેડૂતોની માંગની ચર્ચામાં નહીં જતાં એટલું જ કહીશું કે સરકારે અભદ્ર અધીરાઈ અને અણઘડ ઉતાવળથી હંકારવાનો રવૈયો લેતાં શું લીધો પણ હવે એ એનો ભાર વેંઢારી રહી છે.

હમણાં આળકારણની જિકર કરી તે બાબતે અહીં બે શબ્દો કહેવા લાજિમ છે. મુક્ત ચર્ચાની પૂરા કદની ગુંજાશ વિનાની લોકશાહી એક પા રાજમહેલાતી રાજકારણને સારુ તો બીજી પા ભોમભીતર હિલચાલ સારુ સુવાણ સરજતી હોય છે. માનવ અધિકારને અનુલક્ષીને બંધારણીય મોકળાશમાં ચાલવી જોઈતી ચર્ચા અને ચર્યા પરત્વે વળતા આળકારણની રીતે સત્તાવાર પેશ આવવું એ શોભીતું જ નહીં સલાહભર્યું પણ નથી. ‘રુલ ઑફ લૉ’ની ધોરણસરની બાલાશ જાણવી અને બ્રાન્ડિંગની ગેરધોરણી રૂખ અપનાવવી એમાં લોકતંત્રને હિસાબે પથ્યાપથ્યવિવેક અપેક્ષિત છે. રણોદ્યત કિસાન જમાવડાને પોતા પૈકી કેટલાકથી (કેમ કે એમણે માનવ અધિકાર દિવસે સંદિગ્ધ શૈલીએ જેલમાં નખાયેલાઓ વિશે નિસબત પ્રગટ કરી) કિનારો કરવાનું સૂઝી રહ્યું એ આ બ્રાન્ડિંગથી બચવા સારુ હશે એમ સમજાય છે. પરંતુ, એક પછી એક પકડાતા ગયા ત્યારે હું ન બોલ્યો; પણ છેવટે જ્યારે મને પકડવા આવ્યા ત્યારે મારે વિશે બોલવા કોઈ ન બચ્યું એ યુગબોધ હાલના પ્રભાવક ઉઠાવને હોવો જોઈશે.

ગમે તેમ પણ, આવતીકાલે માનો કે ખરું ખોટું પણ સમાધાન થઈ ગયું કે ઉઠાવવીરો થાક્યા અને સરકારની જિત જેવો દેખાવ થયો તો પણ સુધરે નહીં એ હદે વાસ્તવિક શાસન અને પ્રશાસન-પ્રજાજન પરત્વે અપેક્ષિત પારસ્પર્યનું ટાંચું પડ્યું તે પડ્યું એવા હાલ છે.

જે તે સમયે ઉપસ્થિત થતા પ્રશ્નના મૂળમાં વ્યક્તિશઃ નહીં જતાં પારસ્પર્યના મુદ્દે કુંઠા અને પ્રતિઘાતનું આ જે ચિત્ર ઉપસે છે એમાં સર્વાધિક બહાર આવતું કોઈ એક વાનું હોય તો તે એ છે કે આ સરકાર જે તે સમુદાય સહિત વ્યાપક પ્રજાવર્ગ સાથે સંવાદમાં માનતી નથી. એની આ સંવાદશૂન્ય ‘મન કી બાત’ની તરાહ ને તાસીરનો કોઈ એક જ નાદર નમૂનો ટાંકવો હોય તો મે ૨૦૧૪થી ડિસેમ્બર ૨૦૨૦ દરમિયાન એકવાર પણ વડા પ્રધાને સત્તાવાર પત્રકાર પરિષદ યોજવાપણું જોયું નથી. પ્રસંગે એ લાંબીલચ તકરીર કરી શરૂશરૂમાં હેરતઅંગેજ પેશ આવ્યા એ ખરું; પણ એક તરફી વક્તવ્યચર્ચા એ એમનો સિગ્નેચર ટ્યુન બની રહી છે. ચીનના મામલે જવાહરલાલ નહેરુની ગૃહમાં હાજરી અને ચર્ચામાં દરમિયાનગીરી સાથે નમોની હાજરી અને દરમિયાનગીરી સરખાવી જુઓ એટલે લોકશાહીમાં સરકાર અને પ્રજા વચ્ચે ચાલવો જોઈતો સંવાદ કઈ હદે બાષ્પીભૂત થઈ ગયો છે તે સમજાઈ રહેશે.

જવાહરલાલ સાથેનો આ પેરેલલ અહીં શૂળ પેઠે સાંભરી આવ્યો તે એટલા વાસ્તે કે નવા સંસદભવનનું ભૂમિપૂજન કરતાં નમોએ બોલવું ને સાંભળવું એ લોકશાહીના કાળજાની કોર છે એવું વિધાન ઘટતા આવર્તનભેર કર્યું હતું – અને તે પણ આ જ દિવસો અને આ જ કલાકોમાં ! સંકેલાતે અઠવાડિયે ઉદ્યોગધંધાના ફિક્કી જમાવડામાં એમણે કોર્પોરેટ થેલીશાહોને કૃષિવિભાગમાં વધુ ને વધુ રોકાણ કરી સરકારને (અને કિસાનોને) સહાયરૂપ થવા કહ્યું, કેમ કે ‘નીતિસે ઔર નિયતસે’ અમે કિસાન કલ્યાણને વરેલા છીએ. પણ, પૂરતી ચર્ચા વિના પરબારા લદાયેલા કૃષિકાયદા બાબતે ખેડૂત છેડેથી ફરિયાદ છે કે તમે અમને કોર્પોરેટ પરિબળોને હવાલે કરી રહ્યા છો. હવે સરકાર આ જ કોર્પોરેટ મંડળીને કહે છે કે તમે કૃષિક્ષેત્રે રોકાણમાં ઓર આગે બઢો!

આ આગેકૂચમાં નડે છે શું. પૂછો નીતિ આયોગને. આયોજન પંચનો વીંટો વાળી દેવાયો અને અંતરીક્ષેથી સહસા નીતિ આયોગે ઉતરાણ કીધું ત્યારે દેશજનતાને વિધિવત્‌ જે કહેવાયું હતું તે યાદ છે? આપણને કહેવામાં આવ્યું હતું કે નીતિ આયોગ આ દેશની સર્વાગ્ર વિચારમજૂસ (પ્રિમિયર પૉલિસી થિંક ટૅંક) છે, અને તે જોશે કે રાષ્ટ્રીય વિકાસનું એક સહિયારું દર્શન ઉત્ક્રાન્ત થતું ચાલે અને દેશમાં સહયોગી સમવાયતંત્ર ખીલતું આવે.

આ સહિયારું દર્શન આજે સમુક્રાન્તિના કિયે તબક્કે છે, વારુ. તમે અને હું વિમાસણની વનરામાં રખે ને ભૂલા પડીએ એની દાઝ જાણીને હોય કે અન્યથા પણ નીતિ આયોગના વહીવટી વડા અમિતાભ કાન્ત એક પ્રેમશૌર્યસિક્ત (શિવલરસ) વીરની પેઠે સહસા પડમાં પધાર્યા છે અને એમણે કહ્યું છે કે આપણે ત્યાં લોકશાહીનો અતિ પ્રવર્તે છે … વાલામૂઈ એ સુધારાને ભરખી જાય છે. કેન્દ્ર સરકારે અને સત્તાપક્ષે રાજ્યે રાજ્યે આ ત્રણ કાયદાની સમજૂત આપતા સંવાદો યોજવાનો અભિગમ રહીરહીને હાથ ધર્યો છે ત્યારે બિલકુલ એ જ ટાંકણે સરકારી નીતિ આયોગે વ્યક્ત કરેલ આ માનસિકતામાં શું વાંચવું, સિવાય કે લોકો આપણને સૂંડલામોંઢે મત આપે તે પૂરતું છે. જનતાએ તો આપણને ચૂંટી કાઢીને પોતાનું અવતારકાર્ય કરી નાખ્યું છે … દુનિયા ઝૂકતી હૈ, ઝૂકાનેવાલા ચાહિયે!

આ માનસિકતા અને આ અભિગમ કથિત ખેડૂતહિતૈષી સુધારા સુધ્ધાંના હિતમાં નથી. એટલું જ નહીં, છેલ્લાં છ વરસમાં એવા સંખ્યાબંધ કાયદા ને નીતિવિષયક નિર્ણયો થયા છે જેમાં સત્તાપક્ષે ન તો વિપક્ષ સાથે વિગતે વિચારવિનિમય કર્યો છે, ન તો નાગરિક સમાજ સાથે વિમર્શની દરકાર કરી છે.

યુ.પી.એ. શાસનમાં જે બે મોટી વાત બની આવી તે માહિતી અધિકાર અને મનરેગાની હતી. સત્તાના મેદ અને કાટની પરિસ્થિતિમાં મુકાયેલા કૉંગ્રેસ કાર્યકરોએ આ બે જ મુદ્દે ખરેખાત મચી પડવાપણું જોયું હોત તો એકંદર સમાજમાં ચયાપચય અને રુધિરાભિસરણની રચનાત્મક રાજનીતિમાં એમનું નિર્ણાયક યોગદાન હોત અને સ્વરાજની વડી પાર્ટીને છાજતું જીવનદાન બલકે નવજીવન પણ તે બની રહ્યું હોત.

કૉંગ્રેસનું તો જે થવાનું હશે તે થશે, પણ અભૂતપૂર્વ સંખ્યામાં સ્વયંસેવી કાર્યકરોનો દાવો કરતા ભા.જ.પે. સીધા લોકસંપર્કની શૈલીને સ્થાને જે કેન્દ્રીય કન્ટ્રોલ તળેની લગભગ મોનોલોગી શૈલી વિકસાવી છે તે વસ્તુતઃ એની અભૂતપૂર્વ જેવી સંસદીય બહુમતીયે અહેવાલનારૂપ છે. કૉંગ્રેસમુક્ત ભારત અને કૉંગ્રેસયુક્ત ભા.જ.પ.નો એનો વર્તમાન વ્યૂહ હાલપૂરતો એને ફળતો લાગે તો પણ સરવાળે આપણી લોકશાહી માટે અને વડા લોકશાહી પક્ષ તરીકે એને ખુદને માટે વિપરીતપરિણામી પુરવાર થશે.

નમો ભા.જ.પ.ની બીજી પારીની શરૂઆતના ગાળામાં શાહીનબાગ અને કિસાન ઉઠાવ એ બે ચાલુ પક્ષોથી ઉફરી મોટી ઘટનાઓ બની. બંનેને વિધાયક પ્રતિસાદ આપી શકાયો હોત તો ભા.જ.પ. અને ભારત બેઉને ફળી શકે, પણ …

ડિસેમ્બર ૧૪, ૨૦૨૦

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2020; પૃ. 01-02

Loading

સાદિક નૂર પઠાણ : રેડિયોનો બુલંદ અવાજ

કિરણ કાપુરે|Opinion - Opinion|14 December 2020

કોઈ પૂછે કે તમે ખુદાના બંદાને જોયો છે? જેઓ સાદિકભાઈને મળ્યા હશે તેઓ અચૂક જવાબ ‘હા' આપશે. આ ખુદાના બંદાનું 3 ડિસેમ્બરના રોજ કોરોનાના કારણે અવસાન થયું. આમ સાદિકભાઈ રેડિયોના ફનકાર. ઑલ ઇન્ડિયા રેડિયોમાં વિવિધ પદે અને લાંબા સમય સુધી આસિસ્ટન્ટ સ્ટેશન ડિરેક્ટર તરીકે તેમણે કામ કર્યું. ગુજરાતના રેડિયો સાથે સંકળાયેલી એક આખી પેઢી તેમની પાસેથી રેડિયોના પાઠ ભણી છે. આ તો થઈ તેમની વ્યવસાયિક ઓળખ; પણ ખરા અર્થમાં સાદિકભાઈની ઓળખ આપવી હોય તો તે આત્મીયજન તરીકેની. જ્યાં જ્યાં તેઓ ગયા, જેમને પણ મળ્યા ત્યાં આત્મીયતા બાંધી. રોજબરોજ મળવાનું થાય કે પછી વર્ષો પછી સાદિકભાઈનો એ જ પ્રેમ અને હૂંફ જોવા મળે.

મારે તેમની સાથે દોઢ દાયકા દરમિયાન સમયાંતરે મળવાનું થયું. સૌપ્રથમ 2006માં ગુજરાત યુનિવર્સિટીમાં પત્રકારત્વનો અભ્યાસ દરમિયાન સાદિકભાઈને શિક્ષક તરીકે જોયા. ક્લાસ લેતા સાદિકભાઈનું ચિત્ર આજે પણ આબેહૂબ ચીતરી શકાય તેવું મનમાં જડાયેલું છે. તેમણે અવાજ કેવી રીતે સાંભળવો તે શીખવ્યું. અને ખાસ કરીને તો આપણી આસપાસની સૃષ્ટિનો અવાજ, જે આપણે રોજબરોજની ભાગદોડમાં ચૂકી જઈએ છીએ. સાદિકભાઈને આપણી આસપાસના અમૂલ્ય અવાજ સાંભળવાનો એટલો મહાવરો હતો કે વિદ્યાર્થીઓને તે શિખવાડી શકતા, અને તે પણ સહજતાથી. શિખવાડવાની આ ટેકનિકના કારણે જ તેઓ નિવૃત્ત થયા બાદ પણ ઑલ ઇન્ડિયા રેડિયોના ટ્રેનિંગ વિભાગમાં બરકરાર રહ્યા. તેમનો ઑલ ઇન્ડિયા રેડિયો સાથેનો અને તે પછીનો નિવૃત્તિનો કાળ આમ રેડિયોમાં કારકિર્દી ઘડનારાં અનેક વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની રહ્યો. રેડિયોમાં આજે અનેક એવા અવાજ બુલંદી પર છે, જેઓનો અવાજ ઘૂંટવાનું કામ સાદિકભાઈને આભારી છે.

અવાજથી સાદિકભાઈની એક ઓળખ બંધાઈ પછીનો પરિચય કેળવાયો તે એક લેખક તરીકેનો. 2008ના ‘આરપાર' સામયિકના દિવાળી વિશેષાંક ‘પ્રિયજન' વિષય પર અંક કરવાનો થયો ત્યારે તેમને પણ પોતાના પ્રિયજન વિશેનો નાતો ઉપસાવીને લખવાનું આમંત્રણ પાઠવ્યું. તેમણે તે સ્વીકાર્યું અને પછી તે અંકનો બેનમૂન કહેવાય તેવો લેખ તેમણે લખી આપ્યો. આ લેખમાં પારિવારિક મિત્ર બાબુલાલ વિશે સાદિકભાઈએ લખ્યું છે. આમ તો સાદિકભાઈએ જે લાગણીથી આ પ્રિયજનની વાત માંડી છે તે સંપૂર્ણ જ વાંચવી રહી, પણ અહીં ટૂકમાં એ વાત. સાદિકભાઈ લખે છે :

“1965-66માં અમારું કુટુંબ ખૂબ ગરીબ અવસ્થામાં અમદાવાદના બહેરામપુરા વિસ્તારના સ્લમ ક્વાર્ટ્સમાં રહેવા ગયું. હું નજીકની એક મ્યુનિસિપલ ઉર્દૂ સ્કૂલમાં ભણતો. મારા ભાઈઓ છૂટક કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા. મોટા ભાઈ અફઝલનૂર કોઈ કાસમભાઈ મેમણને ત્યાં ‘ટેણી’ તરીકે ઑટોમોબાઇલના કારખાનામાં કામે લાગી ગયા હતા. ત્યાં એક દિવસ, બાબુલાલ મલ્હોત્રા બૅટરીવાળા એમના ધંધાના કામ માટે આવ્યા અને પૂછ્યું, ‘મંમદ કિધર રહેતા હૈ?’ ભાઈનું નામ મંમદ નહોતું. પણ પ્રશ્ન એમને પુછાયો હતો, તેનો જવાબ આપ્યો, ‘બહેરામપુરા.’ બાબુલાલને આંચકો લાગ્યો. “તું બહેરામપુરા સે નરોડા, ઇતની દૂર આતા હૈ? ભાડે કી સાઇકલ પર?” કહીને ભાઈએ બાબુલાલ તરફ પહેલીવાર જોયું. કડક ઇસ્ત્રીવાળા સફેદ લિબાસમાં સજ્જ, આંખે ધૂપનાં ચશ્માં, પગમાં સોનેરી એમ્બ્રૉઇડરીવાળા પઠાણી સૅન્ડલ, સામાન્ય બાંધાના ક્લીન શેવ્ડ, આધેડ ઉંમરના શેઠ જેવા લાગતા પંજાબી બાબુલાલજી એમની તરફ હેતપૂર્વક જોઈ રહ્યા હતા. બાબુલાલ જાણે આવા જ કોઈ ટેણીને શોધી રહ્યા હતા. તરત બૂમ પાડતા કહ્યું, “અરે ઓ કાસમ, યે છોકરા ઇતની દૂર સે આતા હૈ. ઇસે મૈં લે જાતા હૂં. ઉધર કરીબ પડેગા ઇસકો.”

બીજા દિવસથી મારા ભાઈનું નામ ‘ટેણી’માંથી મંમદ અને એમના નવા શેઠ બાબુલાલ મલ્હોત્રા થઈ ગયા. કેલિકો મિલના ઝાંપા નં. 6 પાસે આવેલી એમની મોટરની બૅટરીઓ બનાવવાની દુકાન હતી. ત્યાં કામ કરતાં કરતાં મારા ભાઈ અને બાબુલાલનો વચ્ચેનો સંબંધ શેઠ અને નોકરમાંથી બાપ-દીકરા જેવો ક્યારે થઈ ગયો એની કોઈને ખબર ન પડી.

બાબુલાલ પોતે ધનાઢ્ય નહોતા. પચાસના દસકામાં એ દિલ્હીમાં બેકાર ફરતા હતા. એમના મોટા ભાઈ પૂરણસિંહ સાથે નિરંકારી કૉલોનીમાં એ રહેતા. લગ્ન થઈ ગયા પછી પણ કોઈ કામધંધો નહીં કરતાં મોટા ભાઈએ ઠપકો આપ્યો. એટલે, કંટાળીને એક દિવસ અમદાવાદની ટ્રેન પકડી લીધી. અહીં બૅટરીનું કામ શીખ્યા અને થોડાંક વર્ષોમાં પોતાનો બૅટરીનો ધંધો શરૂ કરીને કુટુંબ સાથે અહીં ઠરીઠામ થયા હતા.

મારા ભાઈ મોટા થયા. અલગ દુકાન કરવાની ઇચ્છા મનમાં જાગી. દીકરો બાપને કહે એવી જ રીતે, બીતાં બીતાં એક દિવસ મનની વાત ભાઈ સમક્ષ મૂકી. ક્ષણના ય વિલંબ વગર સ્વીકારાઈ. જોતજોતામાં દરિયાપુર દરવાજા પાસે એક દુકાનના માલિક મહંમદભાઈ બેટરીવાળા જાણીતા થવા લાગ્યા. બાબુલાલ મલ્હોત્રાએ આપેલું નામ જ એમણે અપનાવી લીધું અને એમનું મૂળ નામ ઘરના સભ્યોને જ ખબર છે. અલગ દુકાન કરવાથી અમારા બે કુટુંબના સંબંધોમાં જરા સરખો પણ ફેર ન પડ્યો. સપ્ટેમ્બર 1969ના છેલ્લા અઠવાડિયામાં મારા ભાઈનાં લગ્ન થવાનાં હતાં. સામેના મેદાનમાં મંડપ બાંધવાની તૈયારી શરૂ થઈ ગઈ હતી. લગ્નને ચારેક દિવસ રહ્યા હતા. બાબુલાલ અને રાજભાભી છેલ્લી તૈયારી જોઈ ગયાં હતાં.

અચાનક શહેરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં. અમારા માટે રમખાણોનો પહેલો અનુભવ હતો. જીપો ભરી ભરીને લોકોને ક્યાંક ખસેડવામાં આવી રહ્યા હતા. અમે પણ લેવાય એવા એક બે પોટલા સાથે લઈને, લગ્નની બધી તૈયારીઓ એમની એમ મૂકીને ઘર છોડી ગયા. જમાલપુરમાં એક સ્થળે રાહત કૅમ્પ બનાવીને રમખાણગ્રસ્તોને રાખવામાં આવ્યા હતા. શહેરમાં કરફ્યૂ લાદવામાં આવ્યો હતો. કરફ્યૂમાં જ્યારે છૂટ મળી ત્યારે કેમ્પમાં ચહલપહલ થઈ. કોઈના સંબંધીઓ એમને લેવા આવ્યા હતા. કોઈ ખોવાયેલાઓને શોધી રહ્યા હતા. ત્યાં જ મોટાભાઈએ બૂમ પાડી : “ભાઈ ભાઈ, ભાઈ, અમ્મી, ભાઈ આયે.” હા, સાચે જ બાબુલાલ મલ્હોત્રા સામે ફાંફાં મારી રહ્યા હતા. કોઈને પૂછી રહ્યા હતા. અને એમનો મંમદ સફાળો દોડી ગયો ભાઈ તરફ. સાઇકલની આગળની સીટ ઉપર નાનકડા એ દીકરા રાજુને બેસાડીને અને પાછળના કેરિયર ઉપર લોટનો એક ડબો, એમાં એક નાના સ્ટીલના ડબામાં તેલ અને પડીકાઓમાં થોડું સીધું રાજરાણી ભાભીએ મૂકી આપેલું, એ લઈને આવ્યા હતા. ખૂબ વ્યથિત અને થાકેલા બાબુલાલ છેક અંદર કૅમ્પમાં એમની પર્દાનશીન ‘અમ્મી’ને મળવા આવ્યા હતા. અમ્મીના ચરણોમાં બેસીને એ પોક મૂકીને રડવા લાગેલા. આટલા કોલાહલમાં પણ અમારા સૌ વચ્ચે સન્નાટો છવાઈ ગયો હતો. કરફ્યૂ લગાવાની એનાઉન્સમેન્ટ થતાં બાબુલાલ ઊભા થયા. મંમદને થોડા દૂર જઈને ખભે હાથ મૂકીને કંઈક વાત કરી. ખીસામાંથી થોડા પૈસા કાઢીને આપ્યા. બંને ‘ભાઈઓ’ દૂર થોડી વાર રડતા રહ્યા હતા. થોડા દિવસ પછી અમારા એક સંબંધી એમના ઘરે લઈ ગયા હતા. બધું થાળે પડ્યું ત્યારે ખબર પડી કે ઘર અને દુકાન બંને સાફ થઈ ગયાં હતાં. પોતાની દુકાનમાંથી માલ લાવી બાબુલાલે અમારી દુકાન ફરી ચાલુ કરાવેલી અને ભાઈનાં લગ્ન સાદાઈથી થઈ ગયા.

સમયની રફ્તાર સાથે અમારા બંને કુટુંબોના સંબંધો વધુ ને વધુ ગાઢ થતા ગયા. સુખ-દુઃખના પ્રસંગોમાં બધા વ્યવહારો એવી જ રીતે સચવાયા જેવી રીતે લોહીના સંબંધોમાં સચવાય છે. બાબુલાલના મોટાભાઈના અવસાન પછી એમના પરિવારને પણ સાચવવા બાબુલાલના પરિવારે દિલ્હી જવાનું નક્કી કર્યું અને ફરીવાર એ હંમેશને માટે દિલ્હીના થઈ ગયા.

આજે ય દિલ્હીમાં અમારા સૌના માટે નિરંકારી કૉલોની સૌથી જાણીતી જગ્યા છે. કેમ કે ત્યાં અમારા કુટુંબીજન – અમારા ‘પ્રિયજન' વસે છે.”

***

મલ્હોત્રા પરિવાર સાથેનો તેમનો આ સંબંધ પ્રિયજનની વ્યાખ્યા ઘડી શકાય તે રીતે તેમણે શબ્દોમાં ઊતારી આપ્યો. આ લખાણ પરથી અવાજના આ કલાકારનો એ જ કક્ષાના લેખક સાદિકભાઈનો પરિચય થયો.

વિદ્યાર્થીઓ વચ્ચે સાદિક નૂર પઠાણ

સમયના વહેણમાં વર્ષો વીત્યાં અને પછી ‘નવજીવન'માં જોડાવાનું થયું. 2019માં ‘નવજીવન ટ્રસ્ટ’ અંતર્ગત સાબરમતી જેલના બંદીવાનો જેલમાં જ પત્રકારત્વ અભ્યાસ કરી શકે તે માટે એક કોર્ષ શરૂ કરવામાં આવ્યો. કોર્ષ દરમિયાન સાદિકભાઈને વર્ગો લેવા માટે લઈ જવાનું થયું. ઑલમોસ્ટ એક દાયકા પછી તેમને ફોન જોડ્યો અને અગાઉ સાંભળેલો એ જ પ્રેમથી છલકાતો અવાજ કાને પડ્યો. ક્લાસનો દિવસ નક્કી થયો અને તેઓ ને હું સાબરમતી જેલના બંદીવાનોના એ બૅરેકમાં પહોંચ્યા જ્યાં આ વર્ગો લેવાતા હતા. આ વખતે મારે સંયોજક તરીકે જવાનું થયું હતું પણ વર્ગમાં બેઠો એક વિદ્યાર્થી તરીકે. સાદિકભાઈએ વર્ગ લેવાનું શરૂ કર્યું અને એક-એક બંદીવાન તેમની રેડિયોયાત્રામાં જોડાતો ગયો. રેડિયો શીખવામાં તો ખરા જ, પણ સાથે તેમના વ્યક્તિત્વમાં છલકાતાં આત્મીય ભાવ સાથે પણ. આમે ય જેલમાં લાગણી પ્રદર્શિત કરવાની તક ભાગ્યે જ બંદીવાનભાઈઓને મળે છે. પણ સાદિકભાઈના વર્ગમાં એકેક બંદીવાન શીખતાં-શીખતાં લાગણીસભર થયા. તેમણે બંદીવાન વિદ્યાર્થીઓને રેડિયો પર કેવી રીતે બોલવું એ તો શિખવાડ્યું પણ કક્કાવારીના એક-એક શબ્દનો અર્થ અને તેના ઉચ્ચાર પાછળનું વિજ્ઞાન સમજાવ્યું. આ વર્ગ સામાન્ય રીતે બપોરે બે વાગ્યાથી લઈને ત્રણ સુધી રહેતા. ચાર વાગે તો આમે ય બંદીવાનભાઈઓનું રાતનું ભોજન આવે, એટલે ઘણી વાર તેની વેતરણમાં બંદીવાનોને વહેલા નીકળવાનું બને. પણ સ્મૃતિમાં છે ત્યાં સુધી સાદિકભાઈના વર્ગો સાડા ચાર સુધી ચાલ્યા હતા અને તેમાં એક પણ બંદીવાન બહાર ગયો નહોતો. બંદીવાનોને શિખવાડવા માટે પણ તેઓ આગવી તૈયારી કરીને આવ્યા હતા. તેમની પાસે ટેપરેકૉર્ડર, માઇક તો હાથવગું રહેતું; જેમાં રેડિયોનો તુરંત ડેમો આપી શકતા.

કોઈને એવું લાગી શકે કે રેડિયોમાં બોલવાનું શિખવાડવાનું હોય તેમાં વળી શું? પણ સાદિકભાઈ અવાજના આરોહ-અવરોહ, કેવી રીતે કયો શબ્દ ઉચ્ચારવો અને જ્યારે શબ્દ કોઈ વિશેષ રીતે બોલાય ત્યારે તેનો અર્થ કેવો અલગ-અલગ નીકળી શકે તે પણ બકાયદા ઉદાહરણ સાથે સમજાવતા. અહીંયાં આ એક પાસું રેડિયો શિખવનાર શિક્ષકનું હતું, પણ બંદીવાનો સાદિકભાઈ તરફ આકર્ષાયા તેનું મુખ્ય કારણ બંદીવાનોને વર્ગમાં આત્મવિશ્વાસ સાથે બોલતા કેળવવામાં. એક પછી એક બંદીવાનોને માઇકમાં બોલતા કર્યા અને તેઓના અવાજની વિશેષતાની લંબાણપૂર્વક વાત કરી અને મર્યાદા ટૂંકમાં બતાવી.

સાદિકભાઈનો રેડિયોનો દીર્ઘ અનુભવ તો બંદીવાનો શરૂઆતમાં જ પારખી ગયા અને તેઓએ તે વિશેના ખૂબ પ્રશ્નો પૂછ્યા, તેમાં વાત ઉચ્ચારથી શરૂ કરીને આવી ઓમકાર પર. પોતાના અવાજ અને સ્વસ્થતાના રહસ્યનું એક કારણ ઓમકારના રિયાઝને ગણાવ્યું હતું. ઓમકારની અનુભૂતિ તેઓ ક્લાસમાં સૌને કરાવી શક્યા હતા.

આર.જે. દેવકી, ધ્વનિત ઠાકર અને ઑલ ઇન્ડિયા રેડિયોના સાથીદાર તુષાર શુકલ સાથે સાદિકભાઈ

સાદિકભાઈનું આ પ્રથમ વ્યાખ્યાન પૂર્ણ થયું અને બંદીવાનો તરફથી બીજા વ્યાખ્યાનની માંગણી થવા માંડી. બીજું વ્યાખ્યાન ગોઠવાયું અને તેમની સાથે ફરી જવાનું થયું. ફરીથી રેડિયો શિખવવાનો ક્રમ નવી વાત, દાખલા સાથે આરંભાયો. બીજા વર્ગમાં તો એવું ચિત્ર ઊભું થયું જાણે કે બંદીવાનો સાથે સાદિકભાઈનો વર્ષોનો નાતો હોય! સૌ કોઈ તેમના આજ્ઞાકારી વિદ્યાર્થી બની ગયા. સાદિકભાઈના વર્ગ દરમિયાન બંદીવાનોની આંખોની ચમક આજે પણ આંખ સામે ઝળહળે છે. આ રીતે બેથી સાડા ચાર વાગ્યા સુધી ચાલેલા બે વર્ગોમાં સાદિકભાઈએ જે આત્મીયતા બંદીવાનો સાથે કેળવી તે મહિનાઓ સુધી મારાથી નહોતી કેળવાઈ. વર્ગ પૂર્ણ થયા બાદ એક-એક બંદીવાનોને ભેટ્યા અને સાદિકભાઈ સાથે બંદીવાનોની ગોઠડી છેક મુખ્ય દ્વાર સુધી ચાલી.

જેલથી પાછા ફરતી વેળાએ સાદિકભાઈની ગાડીમાં આવવાનું હતું. રસ્તામાં અલપઝલપ વાત થઈ અને પછી તેમના જીવન પર વાત આવી. વાત કહેવામાં તે અને સાંભળવામાં હું એવા મગ્ન થયા કે ઉસ્માનપુરા જ્યાં મારે ઉતરવાનું હતું ત્યાં ગાડીમાં બેઠા બેઠા અડધો કલાક નીકળી ગયો. રમખાણોમાં તેમનો પરિવાર કેવી રીતે ખુંવાર થયો હતો, તે વાત કહી અને તે વેળાએ મદદ કરનારા પારિવારિક હિન્દુ મિત્ર બાબુલાલને ખૂબ યાદ કર્યાં. જો કે આ વાત એક ઘટના તરીકે કહેવાઈ, તેમાં રમખાણોની પીડાનો રોષ નહોતો. અહીં એક વાત જરૂર કહેવી રહી કે આટલું બધું રમખાણોમાં ગુમાવ્યા છતાં સાદિકભાઈએ આજીવન પ્રેમની વહેંચણી કરી છે. અને એટલે જ તેમનાં પરિચિતોમાં આજે તેઓ પ્રેમરૂપી બીજ રોપીને ગયા છે.

તેમના રેડિયો અને જીવન સંબંધિત અનેક ઘટનાઓ એવી છે, જે લખાવી જોઈતી હતી. છેવટે જ્યારે છૂટા પડ્યા ત્યારે તેમના જીવન પર કશુંક નક્કર લખાવું જોઈએ તે શરતે …. ગાડીનો દરવાજો ખોલ્યો અને સસ્મિત સાદિકભાઈએ કહ્યું કે ફરી મળીએ. કમનસીબે તેમના જીવનના આ કેટલાક કલાકોનો હિસ્સો અહીં શબ્દોમાં ઉતારી શકાયો. એક ગુજરાતીનું આટલું ઉમદા જીવન શબ્દબદ્ધ થયા વિના રહી ગયું તેનો અફસોસ કરીએ એટલો ઓછો છે.

[www.navajivan.inના સૌજન્યથી]

Loading

...102030...2,1722,1732,1742,175...2,1802,1902,200...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved