પ્રતિકાવ્ય
ગમતાનો કરીએ ગુલાલ!
ડોનાલ્ડ ટ્રંપ તો તેને રે કહીએ
જે પીડ પરાઇ માણે રે
પર દુ:ખે ઉપહાસ કરે તો યે
લાજ શરમ નવ જાણે રે
સકળ લોકમાં સહુને નિંદે
ચિંતા ન કરે કેની રે
વાચ કાજ મન ચંચળ રાખે
લાજે જનની તેની રે
કમ દ્રષ્ટિ ને તૃષ્ણા ભારી
હર પરસ્ત્રી જે ઝંખે રે
જિહ્વા થકી કદી સત્ય ન બોલે
પરધન માટે ડંખે રે
મોહ માયા છાંડે નહીં જેને
કામ ક્રોધ જેના મનમાં રે
ટ્રંપ નામ શું તાળી રે લાગી
સકળ નરક તેના તનમાં રે
મહા લોભી ને કપટ ભરીત છે
દયા ધરમ તો નિવાર્યા રે
ભણે કિશોરિયો તેના દરશન કરતાં,
કુળ ઇકોતેર બાળ્યા રે
પ્રેષક : ભારતીબહેન મલ્લિક
![]()


વૃદ્ધો એક સમયે આશીર્વાદ આપવા પૂરતા કામના હતા, પણ હવે અપવાદરૂપે એવું હોય તો હોય ! મોટે ભાગે વૃદ્ધો ઇચ્છનીય નથી, સિવાય કે એમની પાસેથી કોઈ આશા હોય. યુવાની જિંદગીનો સૌથી સુંદર કાળ હોય છે, એમાં બેમત નથી, પણ જગતમાં કૈં પણ, છેવટે તો પૂરું થવા માટે જ હોય છે. યૌવન પણ પૂરું થાય જ છે. અમરત્વ સરસ કલ્પના છે, પણ વાસ્તવિકતા તો મૃત્યુ જ છે. જન્મ અને મૃત્યુ એ હકીકત છે. કલ્પના કે સ્વપ્નો પણ જીવન દરમિયાન જ શક્ય છે. જીવનની બહાર કલ્પના નથી કે નથી તો સ્વપ્નો પણ ! જીવનની આગળ કે જીવનની પાછળ જે તે વ્યક્તિ માટે કૈં નથી. અન્ય વ્યક્તિ, જનાર વ્યક્તિને તેનાં કાર્યોને લીધે વખાણે કે વખોડે એ શક્ય છે, પણ જનાર વ્યક્તિને એની જાણ થતી નથી તે પણ એટલું જ સાચું છે, કારણ તે હયાત નથી.
અલબત્ત, તાજેતરમા લંડનની ‘શિવમ’ નાટ્યસંસ્થા દ્વારા રજૂ થયેલાં બે રમૂજી નાટક ‘મારી હનીને ભાવે મની’ તેમ જ ’પપ્પા પરણ્યા ત્રીજી વાર’ વીડિયો પર ઓનલાઈન જોયાં. ઓન ડિમાન્ડ આ નાટકો જોઈ શકાય છે. સોશિયલ કોમેડીથી સામાન્ય રીતે હું દૂર રહું છું. પરંતુ, આ બન્ને નાટકોમાં ભદ્દી કોમેડીને બદલે સામાજિક સંદેશ સાથે હળવી રમૂજ હતી. એ ય પાછી લંડનવાસીઓની ટિપિકલ ગુજરાતીમાં. છોગામાં ગીતો ય ખરાં. જૂની રંગભૂમિનાં ગીતોના ઢાળ ઉપર નવા શબ્દો. ઝટ જાઓ ચંદનહાર પ્રકારનું ગીત; ઝટ જાઓ લકી ડીપ લાવો રસોડે નહીં રાંધું રે, જીવનમાં ભંગ પડ્યો રે મારા ભૈ કે આજ મારી પૂરી ફજેતી થઈ, હું તો લકી ડીપ ભરી ભરી થાકી કાનુડા તારા મનમાં નથી, આ મારી વાઈફ અને આ મારી લાઈફ …જેવાં ગીતો જૂની રંગભૂમિની યાદ અપાવતાં હતાં.
નાટકનાં ગીતો લખનાર અને પોતે જ ગાનાર કિરણ પુરોહિત ગીતોનાં સંદર્ભમાં કહે છે કે, "મ્યુઝિકલ પ્લે હંમેશાં દર્શકોનું મનોરંજન કરે છે. એમાં ય હું લંડનના ગુજરાતીઓની માનસિકતાને આધારે, અહીં બોલાતી ગુજરાતી ભાષા પ્રમાણે હાસ્ય નિષ્પન્ન થાય એવાં જ ગીતો લખું છું. આ ગીતોમાં ક્યાં ય બેઢંગ કે અશોભનીય ભાષા નથી હોતી. નાટકની કથા પ્રમાણે શુદ્ધ મનોરંજન આપવાનો જ હેતુ છે. લેસ્ટરના ચંદુભાઈ મટ્ટાણીએ આશિત દેસાઈનું નામ સૂચવ્યું હતું. એમણે નાટકને અનુરૂપ સરસ બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને ગીતોનું ડબિંગ કરી આપ્યું હતું.’