Opinion Magazine
Number of visits: 9680578
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજસત્તા સામે સ્વાયત્તતાનાં મૂલ્યની હૅટ ટ્રિક

પ્રવીણ પંડયા|Opinion - Opinion|1 November 2020

ગુજરાતી સાહિત્ય પરિષદની મૂલ્યનિષ્ઠ પરંપરામાં ચંદ્રકાંત ટોપીવાળા અને સિતાંશુ યશશ્ચંદ્ર પછી વર્ષ ૨૦૨૧-૨૦૨૩ માટે ચૂંટાયેલા પ્રમુખ પ્રકાશ ન. શાહના વિજયને આપણે સહુ સ્વાયત્તતાનાં મૂલ્યના વિજય તરીકે જોઈ રહ્યા છીએ અને એ આપણું મૂલ્ય આધારિત દર્શન છે. દેશમાં જ્યારે ચૂંટણીના માહોલમાં રાજકીય પક્ષો. તમે મત આપો-અમે તમને વેક્સિન આપીશું કહી પેંડો આપીને કડું કાઢવી લેવાના ખેલ પાડી રહ્યા છે ત્યારે ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણીમાં મૂલ્ય આધારિત લોકતંત્ર વધુ મજબૂત થતું જોવા મળ્યું છે. અને આવું એક વાર બને તો કોઈ એને અકસ્માત કહે, બીજી વાર બને તો યોગનુયોગના ખાનામાં ખતવી શકે; પણ ત્રણ ત્રણ વખત આવું એક સરખું પરિણામ આવે તો એને એના મૂળ સ્વરૂપમાં સ્વીકારવું પડે. સાહિત્ય પરિષદની આ લાગટ ત્રીજી ચૂંટણી છે જેમાં સાહિત્યકારો, સાહિત્યરસિકો અને નાગરિક સમાજે ગુજરાત મૂલ્ય આધારિત રાજનીતિથી જવાબ આપ્યો છે. ૨૦૧૫માં સાહિત્યકારોની સ્વાયત્ત લોકતાંત્રિક ગુજરાત સાહિત્ય અકાદમીને સત્તાનાં બળ, છળ અને કપટથી ગુજરાત સરકારે હસ્તગત કરી એટલું જ નહીં પણ એનો સાહિત્યનાં પ્રસાર પ્રચારસંવર્ધનનો હેતુ બદલી પોતાની વિચારધારાનાં પ્રચાર પ્રસારસંવર્ધનનુ રાજકીય કામ આરંભ્યું. સરકારની આ પ્રકારની જોહુકમી સામે સાહિત્ય સમાજે અકાદમીની સ્વાયત્તતા માટેનું આંદોલન શરૂ કર્યું અને ગોવર્ધનરામ ગાંધી ઉમાશંકરની મૂલ્યનિષ્ઠ પરંપરા ધરાવતી પરિષદે સ્વાયત્તતાનાં મુદ્દે સરકારને ટપારી ત્યારે સરકારે આ સંસ્થાને પણ અકાદમીની જેમ પોતાનાં કબજામાં લેવાના પેંતરા શરૂ કર્યા. પરિષદ પ્રમુખની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઊભા રાખી પરિષદ પર પોતાનો ઝંડો ફરકાવવાની કોશિશ કરી. વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૩ સુધીના પ્રમુખપદની ચૂંટણીમાં સરકાર પક્ષને પરિષદના મૂલ્યનિષ્ઠ લોકતંત્રે મ્હાત આપી સરકાર સામે એ ઉદાહરણ સ્થાપ્યું છે કે ‘સાહિત્યકારો કોઈપણ વિચારધારાનાં હોય એમની પ્રાથમિકતા મૂલ્ય હોય છે’ અને એ રીતે આ રાજસત્તા સામે  સ્વાયત્તતાના મૂલ્યની હૅટ ટ્રિક છે. ગુજરાત સરકાર અને જેમના હાથમાં અત્યારે એનો સૂત્રસંચાર છે એવા ભારતીય જનતા પક્ષે હવે રાજહઠ છોડીને ગુજરાત સાહિત્ય અકાદમી ફરી સ્વાયત્ત કરી લોકતાંત્રિક સરકારને છાજે એવું ઉદાહરણ સ્થાપવું જોઈએ.

રાજકીય પક્ષો સત્તાની ઘોડાદોડમાં જોતરાય ત્યારે વિચારધારાઓને લૂણો ય લાગે,પણ મૂલ્યોનો દૃઢ પાયો ધરાવતી સંસ્થાઓ જેમ જેમ જૂની થાય એમ વધુ પક્વ વિકસિત અને વિચારવંત બને. ગુજરાતી સાહિત્ય પરિષદ આનું ઉદાહરણ છે. આનું કારણ પણ સાવ સીધું સાદું અને સમજાય એવું છે.પક્ષોનું ચાલક બળ વિચારધારા હોય છે અને ધ્યેય દરેક ક્ષેત્રમાં સત્તા સ્થાપવાનું હોય છે; સાહિત્યનું ચાલક બળ મૂલ્ય છે, અને ધ્યેય કલાસર્જન વડે મૂલ્ય રક્ષા અને હર્ષ આદિની પ્રાપ્તિ. આમ બંનેની પ્રકૃતિ ભિન્ન છે. સાહિત્ય એક વિવિધરંગી મેઘધનુષ છે તો રાજકીય પક્ષો એકરંગી ઓળખ ધરાવતાં સંગઠન. કોઈ એક રંગ ક્યારેય સમસ્ત સાહિત્યને પોતાનાં રંગે ન રંગી શકે. આવો પ્રયાસ જ બાલિશતા છે જે અહીં હાલની ભાજપ સરકાર કરી રહી છે. સરકારોની આવી મૂલ્ય આધારિત તુલના કે ટીકાટિપ્પણી એ સાહિત્યકારનો બંધારણે આપેલો અભિવ્યક્તિનો જ નહીં પણ કળાએ બક્ષેલો માધ્યમગત અધિકાર પણ છે. અને એ બદલ કોઈ રાજકીય પક્ષ જો સાહિત્યકારો કે કલાકારોને ટેગ કે ટ્રોલ કરે અથવા દંડિત કરે તો એ લોકતાંત્રિક રાષ્ટ્રમાં રાજસત્તાનો ઘોર દુરુપયોગ જ કહેવાય. પણ અત્યારે આપણે આ ચર્ચાને અહીં વિરામ આપી એ વિચારીએ કે સાહિત્ય સમાજે બહુમતીથી રાજસત્તા સામે પોતાની સ્વાયત્તતા માટે લડતી આ સંસ્થામાં સરકાર તરફી પ્રમુખપદના ઉમેદવારને એકવાર નહીં પણ ત્રણ ત્રણ વાર પરાજય કેમ આપ્યો? કારણ માત્ર એટલું જ કે જુદી જુદી રાજકીય સમજણ ધરાવતા તમામ અગ્રણી સાહિત્યકારો સ્વાયત્તતાનાં મૂલ્યને પક્ષે છે. અને આનું ઉજ્જવળ ઉદાહરણ આ વખતના પ્રમુખપદ માટેના ત્રિપાંખિયા જંગે પૂરું પડ્યું છે એટલું જ નહીં પણ શાસક પક્ષને એ પણ બોધપાઠ આપ્યો છે કે સાહિત્યનું લોકતંત્ર; સાહિત્યની રાજનીતિ તમારી સત્તાની સીમિત સમજથી ઘણે દૂરની વાત છે, એનાં પર તમે ‘હું સીમિત રાજનીતિનો માણસ છું’ એવો વ્યંગ કરી શકો પણ લોભ-લાલચ કે કપટથી જેમ અન્ય ક્ષેત્રોમાં તમારો ઝંડો ફરકાવો છો એમ અહીં ન ફરકાવી શકો. અમે એ સંસ્કૃત વિદ્વાન રાજશેખરના વંશજો છીએ જે રાજાઓને પણ એ સલાહ આપતા કે રાજદરબારમાં સાહિત્યકારોનું ક્યાં અને કેવું સ્થાન હોવું જોઈએ. તમે આ નહીં સમજો તો દરબારી સાહિત્યકારો ભલે તમારો ‘જય હો.. જય હો’ કરે પણ પોતાની ‘સીમિત રાજનીતિ’ની સમજ સાથે જ સમેટાઇ જશો.

ગઈ બે ચૂંટણીમાં સરકાર પક્ષે પરિષદ પ્રમુખપદ માટે ટોપીવાળા અને સિતાંશુ ‘એઝ અ બ્રાન્ડ’ (ભા.જ.પ.) પોતાનાં ઉમેદવાર સામે અનુક્રમે નાનુભાઈ નાયક અને બળવંત જાની ઉતાર્યા હતા. આ બંને ભલે જુદી રાજકીય સમજ ધરાવતા હોય પણ આપણાં માટે સાહિત્યકાર તરીકે સન્નમાનનીય જ છે; પણ રાજસત્તાનું પૂરું પીઠબળ હોવા છતાં  તેઓ જંગી બહુમતીથી પ્રમુખપદ માટે પરાજિત થયા. આ વખતે રણનીતિ બદલાઈ. ઉમેદવાર તરીકે પરિષદ સાથે સતત સંકળાયેલા રહેલા ગુજરાત સાહિત્ય અકાદમીનાં ત્રણ ભૂતપૂર્વ મહામાત્રોને પરિષદનો કોઠો ભેદવા મેદાનમાં ઉતાર્યા જેમના એક ૬૩ વર્ષનાને પ્રમુખપદના યુવાન ઉમેદવાર તરીકે મૂક્યા. પ્રચાર પણ કમાલનો કર્યો. અન્ય બે ઉમેદવારમાં પ્રકાશ. ન. શાહ (૮૧ વર્ષ) અને હરિકૃષ્ણ પાઠક (૮૩ વર્ષ). હર્ષદ ત્રિવેદી તરફે સરકાર તરફી બળો અગાઉની જેમ જ કાર્યરત રહ્યાં, ‘પેલી સીમિત રાજનીતિના માણસવાળી’ દલીલની જેમ એમણે ‘યુવાનોનાં હાથમાં પરિષદનું સુકાન સોંપો’નું ‘નાગપુરી’ લૉજિક આગળ કર્યું અને પ્ર.ન. શા. ઘરડા છે ને’ સાહિત્યકાર તરીકે નહીં પણ પત્રકાર તરીકેની ઓળખ ધરાવે છે એવો ‘ડંક-નાદ’ કર્યો. પાઠકસાહેબનો પણ ‘વૃદ્ધ છે’ના લૉજિકથી છેદ ઊડાડવાની કોશિશ થઈ. સાહિત્યની રાજનીતિ પોતાની લીટી લાંબી કરવાની વિધેયાત્મક રાજનીતિમાં વિશ્વાસ ધરાવે છે. ‘સીમિત રાજનીતિની’ સમજમાં નહીં. પરિષદના શાણા મતદારોએ પરિણામ આ પ્રમાણે આપ્યુંઃ પ્રમુખપદના વિજેતા પ્રકાશ. ન. શાહ; ૫૬૨ મત, હર્ષદ ત્રિવેદી ૫૩૩, હરિકૃષ્ણ પાઠક ૧૯૭, કુલ મત ૧૨૯૨. સાર એ કે સાહિત્ય પરિષદ સાહિત્યની સંસ્થા છે એટલે એમાં મૂલ્ય આધારિત લોકતંત્ર જ ચાલે છે. પ્રકાશભાઈ અને પાઠકસાહેબ (ઘરડા, પણ ગાડાં વાળે એવા) બંનેની રાજકીય વિચારધારામાં તફાવત હશે, પણ સ્વાયત્તતાના મુદ્દે બંને સ્પષ્ટ હતા, જ્યારે હર્ષદ ત્રિવેદી અસ્પષ્ટ. આ વિજય સ્વાયત્તતાના મૂલ્યનો – પ્રકાશભાઈ ૫૬૨ + હરિકૃષ્ણભાઈ ૧૯૭, બહુમતીએ થયેલો સ્વાયત્તતાનો વિજય છે. સ્વાયત્તતાની આ હૅટ ટ્રિકને વધાવી આપણે સહુ હારજીત ભૂલીને કામે લાગીએ.

તારીખઃ ૨૬/૧૦/૨૦૨૦

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2020; પૃ. 03

Loading

ગુજરાતી સાહિત્ય પરિષદઃ હવે કઈ દિશા?

રમણ સોની|Opinion - Opinion|1 November 2020

સ્નેહાદરણી / નવનિર્વાચિત પ્રમુખશ્રી પ્રકાશભાઈ,

તમને ને નવી મધ્યસ્થ સમિતિના મિત્રોને હાર્દિક અભિનંદન આપીને તરત જ એમ કહેવાનું થાય છે કે તમારી સૌની જવાબદારી બેવડી થઈ જાય એવી આજે પરિષદની સ્થિતિ છે. પ્રશ્નો ઘણા છે ને એટલે દૃષ્ટિપૂર્વકનો પરિશ્રમ પણ એટલો જ રહેવાનો …

પરિષદની એક તાસીર એ રહી છે કે કેટલાંક ઉત્તમ કામો આદરીને એણે અધૂરાં મૂકી દીધાં છે. પરિષદમાં ‘માતૃભાષા સંવર્ધન કેન્દ્ર’ ચાલતું હતું, સરસ રીતે ચાલતું હતું. સાહિત્યના લેખકો-શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપરાંત પણ કેટલા બધા જિજ્ઞાસુઓને ગુજરાતી ભાષાની સમજ અંગેના એ વર્ગોમાં રસ પડતો હતો ને પ્રતિપોષણ મળતું હતું. પણ પછી એનું શું થયું? એ જ રીતે, બીજું એક અત્યંત જરૂરી ‘અનુવાદ કેન્દ્ર’ સ્થપાયું હતું. એ કાગળમાંથી બહાર નીકળીને કેટલું કાર્યરત રહ્યું? અનુવાદના વર્ગો પણ કેટલોક વખત ચાલીને વિરામ પામ્યા. છેલ્લાં વર્ષોમાં આવા વિરામોની સંખ્યા જ વધી છે. ભૂતપૂર્વ પ્રમુખશ્રી ચન્દ્રકાન્ત ટોપીવાળાએ પરિસંવાદના કેટલાક નવતર કાર્યક્રમો ઉપરાંત પરિષદ-પ્રકાશનોના વક્તવ્ય-વિમર્શની પરિપાટી રચેલી. પછી એ અટકી તે અટકી. જ્ઞાનસત્રોમાં, સરજાતા સાહિત્યનું બે વર્ષનું સરવૈયું રજૂ થાય એવી, ઐતિહાસિક પરિપ્રેક્ષ્યવાળી પરંપરા હતી એ પણ સમેટાઈ ગઈ. દલપતરામની દ્વિજન્મશતાબ્દી અને ઉશનસ્‌- જયંત પાઠકની જન્મશતાબ્દીઓ ગઈ, પણ એની કોઈ ગુંજ પરિષદમાં સંભળાઈ?

પરિષદે કર્યો જ છે, ને પરિષદ જ કરી શકે એવાં કેટલાંક કામ સાતત્યથી ચાલતાં રહેવાં જોઈતાં હતાં. ૧૯૮૦ આસપાસ આરંભાયેલું ને સતત ચાલતું રહેલું સાહિત્ય-કોશનું કાર્ય ૧૯૮૯ પછી પ્રકાશિત થતું રહ્યું પણ પછી એનું કોઈ સાતત્ય રહ્યું? જેમ કે, અર્વાચીનકાળને લગતો કોશનો ખંડઃ૨ પ્રગટ થયો (૧૯૯૦) ત્યારે એમાં ૧૯૫૦ સુધીમાં જન્મેલા લેખકોનો સમાવેશ થયેલો. ૧૯૫૦ પછી જન્મેલા લેખકમાંના કેટલાક હવે ૭૦ની વયના થવા આવ્યા, ને એમનાં સર્વ લેખનકાર્ય સાથે એ કોશની બહાર છે! એ કોશખંડનું પરિષદે શું વિચાર્યું? એ કાર્યનું કોઈ અનુસંધાન કે સાતત્ય રહ્યું છે ખરું? સાહિત્યસમાજની અપેક્ષા આવાં મૂળગામી અને ઇતિહાસદર્શી કાર્યોની હોય. હવેના પ્રમુખ અને વહીવટી મંડળી આવાં કાર્યોને અગ્રતા આપશે એવી અપેક્ષા રાખીએ.

પરિષદની એક ઊજળી પરંપરા હતી સાહિત્ય અને સાહિત્યવિદ્યા-વિમર્શ અંગેની કેન્દ્રવર્તી પ્રવૃત્તિઓની. નજીકનાં વર્ષોમાં પરિષદભવનમાં એવા કોઈ મહત્ત્વના પરિસંવાદો થયા? કોઈ સઘન પરિચર્ચાઓ યોજાઈ? ('અનુબંધ’, ‘આનંદની ઉજાણી’, વગેરે પ્રકારની જે પ્રવૃત્તિઓ ચાલી એ તો સાહિત્યના વ્યાપક પણ પ્રાથમિક સંપર્ક માટેની, પરિઘ પરની પ્રવૃત્તિઓ ગણાય. કેટલીક ઉત્તમ શાળાઓ પણ આવા કાર્યક્રમ કરતી હોય છે). એ અલબત્ત,એક ઉપયોગી વિસ્તરણ-પ્રવૃત્તિ ગણાય, પણ પરિષદનું એ મુખ્ય કેન્દ્રીય કામ ગણાશે? સાહિત્યના સુજ્ઞ રસિકોની ને વિદગ્ધોની, પરિષદ જેવી માતૃસંસ્થા પાસે રહે એવી વાજબી અપેક્ષાઓ કેટલી સંતોષાઈ? નવી મંડળી આના પર કેન્દ્રિત થાય એવી આશા અને અપેક્ષા છે.

અલબત્ત, પ્રવૃત્તિઓના સંચાર માટે આર્થિક ચાલક બળની જરૂર રહે. પરંતુ પરિષદની એ મુશ્કેલીનો ઉકેલ તો કર્યે જ છૂટકો. નહીં તો પરિષદના અસ્તિત્વનો જ પ્રશ્ન થાય. પરિષદ સરકારી સંસ્થા નથી, પ્રજાની – સાહિત્યરસિક પ્રજાવર્ગની સંસ્થા છે. પ્રકાશભાઈ, તમારો એક ગમતો શબ્દ છે – ‘પ્રજાસૂય’. તો લેખકો-ભાવકોની આ સંસ્થાના સંચાલન માટે, જરૂર પડ્યે, દરેક સાહિત્યરસિકની યથાશક્ય હિસ્સેદારીનું, સહાયનું પણ વિચારી શકાય. એવી પણ એક ઝુંબેશ હોઈ શકે. નવી મંડળી, ઉત્તમ સાહિત્યપ્રવૃત્તિઓથી સૌને પ્રતીતિ કરાવી શકે તો એ ઝુંબેશ સફળ થઈ પણ શકે.

અહીં જ સ્વાયત્તતાનો મુદ્દો પણ વિચારી લેવા જેવો છે. સ્વાયત્તતા આમ તો લેખકમાત્રના વ્યક્તિગત સ્વમાનનો ને ગૌરવનો મુદ્દો છે. પણ સરકારી અકાદમી સાથેના સંબંધો બાબતે આપણા ઘણા લેખકોએ સ્વમાનનું તળિયું બતાવી દીધું છે! આપણને જાણે ટટ્ટાર રહેવાનું ફાવતું (કે પાલવતું?) જ નથી!. સાહિત્ય પરિષદે સ્વાયત્તતા અંગે જે સંકલ્પ કરેલો છે  –  ને આજસુધીના બધા જ પ્રમુખો એને વળગી રહ્યા છે – એ આનંદનો વિષય છે. પણ સ્વાયત્તતાની લડત અંગે બે મુદ્દા વિચારી લેવા જેવા છે. એક તો એ કે, માત્ર ઠરાવો કે વિચારોથી સ્વાયત્તતા હાંસલ નહીં થઈ શકે, આંદોલન જ પરિણામગામી રસ્તો છે. બીજું એ કે, ગુજરાત સાહિત્ય અકાદમીની કોઈપણ પ્રવૃત્તિ સાથે ન જોડાવા અંગે મધ્યસ્થ-કારોબારી-હોદ્દેદારોને માટે પરિષદે નીતિલક્ષી નિર્ણય લીધો હોય તે બરાબર છે પણ સર્વ લેખકોને માટે પણ એની અજમાયશ કરવી એ બરાબર નથી. પરિષદના હોદ્દેદાર ન હોય એવા પણ ઘણા લેખકોએ ગુજરાત સાહિત્ય અકાદમીનો સ્વૈચ્છિક બહિષ્કાર કરેલો છે, કેટલાકે ન પણ કર્યો હોય, એટલે પરિષદના કાર્યક્રમોમાં વક્તવ્ય, ‘પરબ’માં લેખન, એ બધું દરેક લેખક માટે – એની યોગ્યતા-અનુસાર – ખુલ્લું રહેવું જોઈએ. વળી આ પ્રકારની અતાર્કિકતા અને મતાગ્રહ-આવેશ લોકશાહી-નિષ્ઠ સંસ્થાને શોભે નહીં. એને કારણે તો, પરિષદ જે ક્યારે ય ઈચ્છતી નથી એ પ્રતિસ્પર્ધા ભાવ નાહક વ્યાપક બનતો જશે.

સ્વાયત્તતાનો આગ્રહ એ પરિષદનો એક સ્પષ્ટ સંકલ્પ છે, પણ એ આગ્રહમાં જ પરિષદની ક્રિયાશીલતા સમાપ્ત થતી નથી, ન થવી જોઈએ. ખરેખર તો, પોતીકી મુદ્રા ઉપસાવતી ઉત્તમ અને નક્કર સાહિત્યપ્રવૃત્તિઓથી જ પરિષદ સ્વાયત્ત સંસ્થા એટલે શું એનું, વગરબોલ્યું, પ્રતિમાન રચી શકે – બલકે એ જ કર્તવ્ય કાર્ય છે.

આસન્ન ભૂતકાળના અનુભવોથી રહીરહીને એવો સંદેહ થાય છે કે આ નવું વહીવટી મંડળ એ જ ચાલતા ઢાળ પરથી ઢળી જવાનો સુકર રસ્તો લેશે કે કાર્યસઘન નવી ઉપત્યકાઓ રચવાનું સ્વીકારશે?

પરંતુ એવી આશા રાખવી જ અત્યારે તો ઈષ્ટ લાગે છે, પ્રકાશભાઈ, કે તમારા સરખા વિચારશીલ પ્રમુખની નરવી દોરવણીથી ને તમારી સંવાદી – પણ ક્રિયાવર્તી બનનારી – કાર્યશૈલી સાથે આ નવી મંડળી પરિષદને વિશ્વસનીયતાથી અને કાર્યનિષ્ઠાથી નવું અજવાળું આપે. એ પડકાર પણ આનંદદાયક નીવડે.

— ર.સો.

ઑક્ટોબર ૨૮, ૨૦૨૦

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2020; પૃ. 04

Loading

મારા વહાલા હિન્દુત્વવાદીઓ અને ભક્તો, તમારે કોની સાથે ઊભા રહેવું જોઈએ ? એર્ડોગન સાથે કે મેક્રોન સાથે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|1 November 2020

ફ્રાંસ અને તુર્કી વચ્ચે અને ફ્રાંસ અને ઇસ્લામ વચ્ચે અત્યારે જે સંઘર્ષ ચાલી રહ્યો છે એ જોઇને હિન્દુત્વવાદીઓ અને ભક્તો રાજીના રેડ થતા જોવા મળી રહ્યા છે. જો મુસલમાનોનું અને ઇસ્લામનું બુરું થતું હોય તો એનાં કરતાં રાજી થવા જેવી બીજી કઈ બાબત હોય! પણ રાજી થતાં પહેલાં થોડી સબૂરી.

હું છેલ્લા એક સદીના ઇતિહાસના કેટલાક તથ્યો તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું અને એમાં તમે કોના પક્ષમાં છો એ વિચારી જુઓ અને પછી અભિપ્રાય બનાવો.

૧. મૌલાના મૌદુદી નામના ઇસ્લામ ધર્મના એક મોટા વિદ્વાન હતા. ગઈ સદીના દસ શ્રેષ્ઠ ઇસ્લામિક સ્કોલરમાં તેમની ગણતરી થાય અને આજે ઇસ્લામિક વિશ્વમાં જે બની રહ્યું છે તેમાં તેમના વિચારોનો મોટો હાથ છે.

તેમણે કહ્યું હતું કે ઇસ્લામ જગતનો સંપૂર્ણ ધર્મ છે અને આ જગતમાં એવી કોઈ ચીજ નથી જેના વિષે ઇસ્લામમાં આદેશ ન આપવામાં આવ્યો હોય. જો કોઈક નાનીમોટી ચીજ રહી ગઈ હશે તો તે બાબતે ઇસ્લામના પ્રકાશમાં વિદ્વાનો આદેશ આપી શકે છે. આનો અર્થ એ થયો કે આ-લોકની તમામ બાબતોને ઇસ્લામ સ્પર્શે છે અને એનો બીજો અર્થ એ થયો કે બંધારણ આધારિત આધુનિક રાજ્ય-રચનાની મુસલમાનોને જરૂર નથી. ભારત જો આઝાદ થઈને આધુનિક રાજ્ય બને તો તેના સેક્યુલર કાયદા-કાનૂનો મુસલમાનો પર લાગુ ન થવા જોઈએ. મુસલમાનો પાસે પોતાના કાયદા-કાનૂનો છે અને તે આધુનિક યુગમાં જીવવા માટે સક્ષમ છે. અને જો મુસલમાનોની બહુમતી સાથે પાકિસ્તાન રચાય તો તો પછી ઈસ્લામ અને સેક્યુલર કાયદાઓ વચ્ચે પસંદગી કરવાનો કોઈ સવાલ જ નથી. એ તો ઇસ્લામિક કાયદા આધારિત મુસ્લિમ દેશ જ હોવાનો.

એક મૌલવી આવી વાત કરે એમાં જરા ય આશ્ચર્ય નહીં થયું હોય. પણ થોભો, એ સલાહને ગાંડીઘેલી સલાહ નહીં માની બેસતા કારણ કે મૌલાના મૌદુદીએ તો હિંદુઓને પણ એ જ સલાહ આપી હતી જે મુસલમાનોને આપી હતી અને હિન્દુત્વવાદીઓને તે મીઠી લાગી હતી. તેમણે કહ્યું હતું કે હિંદુ ધર્મ પણ જગતનો પ્રાચીન ધર્મ છે અને એ સમૃદ્ધ તેમ જ સંપૂર્ણ ધર્મ હોવાનો હિન્દુત્વવાદીઓ દાવો કરે છે. હિન્દુત્વવાદીઓએ પણ માગણી કરવી જોઈએ કે આઝાદ ભારતમાં હિંદુઓ હિંદુ ધર્મના કાયદાઓને અનુસરશે, આધુનિક રાજ્યના બંધારણનિર્મિત સેક્યુલર કાયદાઓને નહીં. તેમણે કહ્યું હતું કે ઇસ્લામવાદીઓએ અને હિન્દુત્વવાદીઓએ મળીને આધુનિક સેક્યુલર રાજ્યને નકારવું જોઈએ.

રહી વાત કયો ધર્મ શ્રેષ્ઠ તો એનો નિર્ણય ભવિષ્યમાં હિંદુ અને મુસલમાનો દો-દો હાથ કરીને લઈ લેશે. તેમને ગળા સુધી ખાતરી હતી કે ભારતમાં થનારા ધાર્મિક યુદ્ધમાં મુસલમાનોનો જ વિજય થવાનો છે કારણ કે ઇસ્લામ જગતનો શ્રેષ્ઠ ધર્મ છે અને મુસલમાન શ્રેષ્ઠ પ્રજા છે. હિન્દુત્વવાદીને પણ ખાતરી હતી કે હિંદુ ધર્મ જગતનો શ્રેષ્ઠ ધર્મ છે અને હિંદુઓ શ્રેષ્ઠ પ્રજા છે એટલે વિજય તો તેમનો જ થવાનો છે. બન્યું એવું કે ૧૯૪૭માં પાકિસ્તાનની સ્થાપના સાથે જ ઇસ્લામવાદીઓ સેક્યુલર મુસલમાનોને પરાજીત કરી શક્યા, પણ હિન્દુત્વવાદીઓ સેક્યુલર હિંદુઓને પરાજીત નહીં કરી શક્યા. સેક્યુલર હિંદુઓને પરાજીત કરતા હિન્દુત્વવાદીઓને સાત દાયકા લાગ્યા. હજુ પૂરો વિજય તો થયો નથી.

હવે મારા વહાલા હિન્દુત્વવાદીને અને ભક્તોને મારે સવાલ પૂછવો રહ્યો કે મૌલાના મૌદુદીએ મુસલમાનોને અને હિંદુઓને જે એક સરખી સલાહ આપી હતી એ તમને કબૂલ છે કે નહીં? એકને આપેલી સલાહ ગાંડીઘેલી હોય અને બીજાને આપેલી સલાહ સોનાની હોય એવું તો બને નહીં, કારણ સલાહ એક સરખી હતી. ચાલો, આપણે સાથે મળીને સેકયુલરિઝમને નકારીએ એમ તેમણે કહ્યું હતું.

૨. ૧૯૨૩માં મુસ્લિમ બહુમતી દેશ હોવા છતાં તુર્કીએ સેક્યુલરિઝમને અને આધુનિક રાજ્યના ઢાંચાને અપનાવ્યો ત્યારે મૌલાના મૌદુદી જેવા ઇસ્લામવાદીઓએ ભીષ્મપ્રતિજ્ઞા કરી હતી કે એક દિવસ સેક્યુલર તુર્કીને અમે ખતમ કરીને રહીશું. ત્રણ દાયકા પહેલા મૌલાના વહીદુદ્દીન જેવા કહેવાતા ઉદારમતવાદી મૌલાનાએ એકવાર જાહેરમાં કહ્યું હતું કે ઉમ્માહ(જગતભરના મુસ્લિમ બાંધવો)નાં બે સપનાં છે; એક તો સ્પેઇનમાં મુસ્લિમ શાસન સ્થાપવું અને તુર્કીમાં સેકયુલરિઝમનો અંત લાવીને ઇસ્લામિક રાજ્યની સ્થાપના કરવી. તેઓ જે મુસલમાનોની સભામાં આમ બોલ્યા હતા એ સભામાં હું હાજર હતો. લાંબા સંઘર્ષ પછી છેવટે રિસેપ તય્યીપ એર્ડોગનના નેતૃત્વમાં તુર્કીમાં સેકયુલરિઝમનો અને સેક્યુલરિસ્ટોનો પરાજય થયો.

૧૯૪૭માં આધુનિક સેક્યુલર રાજ્ય તરીકે ભારતની સ્થાપના થઈ ત્યારે હિન્દુત્વવાદીઓએ પણ ભીષ્મપ્રતિજ્ઞા કરી હતી કે એક દિવસ ભારતની સેક્યુલર ઓળખ મિટાવીને તેને હિંદુ ઓળખ આપીશું. જગતભરના હિંદુબાંધવોનું આ સપનું છે એવો તેઓ દાવો કરતા હતા. સાત દાયકાના સંઘર્ષ પછી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હિન્દુત્વવાદીઓને ભારતની સેક્યુલર ઓળખ ખતમ કરીને હિંદુ ઓળખ આપવામાં ઠીકઠીક સફળતા મળી ચૂકી છે. જેમ ઇસ્લામવાદી તુર્કી મુસલમાન રાજીનો રેડ છે અને એર્ડોગનનો ફેન છે એમ ભારતમાં હિન્દુત્વવાદી સેક્યુલરિઝમને નબળું પાડવા માટે અને ભારતને હિંદુ ઓળખ આપવા માટે રાજીનો રેડ છે અને નરેન્દ્ર મોદીનો ફેન છે.

અહીં મારા હિન્દુત્વવાદી મિત્રને અને ભક્તને પૂછવાનું રહે કે મારું આ કથન ખોટું છે? વિચારીને જવાબ આપજે, ઉતાવળ નહીં કરતો.

૩. તુર્કીમાં સેક્યુલરિઝમના પરાજયના પ્રતિક તરીકે, સહઅસ્તિત્વના પરાજયના પ્રતિક તરીકે અને ઇસ્લામના વિજયના તેમ જ સાંસ્કૃતિક સરસાઈના પ્રતિક તરીકે તુર્કીના એક હજાર વરસ જૂના હેજીયા સોફિયા ચર્ચને મસ્જીદમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે. ગયા ઓગસ્ટ મહિનાની આ ઘટના છે. ખુદ એર્ડોગન ધર્મસ્થાનના પરિવર્તનના સમારંભમાં હાજર રહ્યા હતા અને એ રીતે તેમણે જગતને મેસેજ આપ્યો હતો કે તુર્કી ઇસ્લામિક મુસ્લિમ દેશ છે. ઇસ્લામવાદી તુર્કીઓ એર્ડોગનની ૫૬ ઇંચની છાતી જોઇને રાજીના રેડ થઈ ગયા હતા.

યોગાનુયોગ એવો છે કે ઓગસ્ટ મહિનામાં જ ભારતમાં નરેન્દ્ર મોદીએ એર્ડોગનની માફક અયોધ્યામાં મસ્જીદની જગ્યાએ રામમંદિર માટે પોતે શિલાપૂજન કર્યું હતું અને એ રીતે જગતને મેસેજ આપ્યો હતો કે ભારત હિંદુ દેશ છે. નરેન્દ્ર મોદીની ૫૬ ઈંચની છાતી જોઇને હિન્દુત્વવાદીઓની છાતી ગજગજ ફૂલી હતી. ડીટ્ટો તુર્કીના ઇસ્લામવાદી મુસલમાનો.

ખોટી વાત છે? જવાબ આપવામાં ઉતાવળ નહીં કરતા.

૪. ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું છે કે ફ્રાંસ સેક્યુલરિઝમ સહિત દરેક અર્થમાં ઉદારમતવાદી દેશ છે અને રહેશે. ફ્રાંસમાં કોઈ ધાર્મિક કોમની મસ્તી ચલાવી નહીં લેવાય પછી એ બહુમતીમાં હોય કે લઘુમતીમાં. દરેકને વાણીસ્વાતંત્ર્યનો સો ટકા અધિકાર છે અને એમાં કોઈની ધાર્મિક લાગણીને ધ્યાનમાં લેવામાં નહીં આવે. જેમ બીજી દરેક ચીજનું મૂલ્યાંકન થઈ શકે અને મર્યાદા બતાવી શકાય એમ ધર્મ, ધર્મગ્રંથ, ધર્મગુરુ, મસીહા અને પેગંબરનું પણ મૂલ્યાંકન થઈ શકે અને તેની મર્યાદા બતાવી શકાય. તેમણે કહ્યું છે કે કેટલાક મુસલમાનો કહે છે એ જ જો સાચો ઇસ્લામ હોય તો ઇસ્લામ સંકટગ્રસ્ત છે અને મુસલમાનોમાં પુનર્જાગરણના ઉઘાડની જરૂર છે. ફ્રાંસમાં ઘડિયાળના કાંટાઊંધા નહીં જ ફરે.

મારા વહાલા હિન્દુત્વવાદીઓ અને ભક્તો, તમારે કોની સાથે ઊભા રહેવું જોઈએ? એર્ડોગન સાથે કે મેક્રોન સાથે? પ્રામાણિક હો તો તમારે એર્ડોગનને પડખે ઊભા રહેવું જોઈએ અને મૌલાના મૌદુદીએ આપેલા ઈજનનો સ્વીકાર કરવો જોઈએ. ચાલો, આપણે સાથે મળીને પહેલા તો સેક્યુલરિઝમને ધ્વસ્ત કરીએ. એ પછી લડી લઈશું, જે ધર્મ અને પ્રજા શ્રેષ્ઠ હશે એ જીતશે.

પણ  નરેન્દ્ર મોદીએ મેક્રોનને ટેકો આપ્યો છે. માર્ગ એર્ડોગનનો અને ટેકો મેક્રોનને! વિચિત્ર નથી લાગતું?

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 નવેમ્બર 2020

Loading

...102030...2,1372,1382,1392,140...2,1502,1602,170...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved