Opinion Magazine
Number of visits: 9680605
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ ગરીબોને ભીખ માંગવાની અનુકૂળતા રહેશે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|2 November 2020

કેવડિયા ખાતે, સરદાર જયંતી નિમિત્તે વડાપ્રધાન બે દિવસ મહેમાન રહ્યા અને જુદા જુદા સત્તર પ્રોજેક્ટ્સનું એમણે લોકાર્પણ કર્યું. બધી રીતે ભવ્ય આયોજનો થયાં. આમ પણ વડાપ્રધાનને ભવ્યથી  ઓછું બહુ ખપતું નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી એનું ભવ્ય ઉદાહરણ છે. વડાપ્રધાન પોતે કરકસર કરીને આટલે સુધી આવ્યા છે. સરદાર પોતે બીજી અનેક જિંદગીમાં ન ખર્ચે એટલો ખર્ચ માત્ર એમના સ્ટેચ્યુ માટે થયો છે. એ રીતે એ એક ભવ્ય અંજલિ છે એની ના પાડી શકાશે નહીં.

આપણે જયંતીશૂરી પ્રજા છીએ. મહાનુભાવોની જયંતી પૂરતું શૂર આપણને છૂટે છે ને પછી સૂરસૂરિયું થઈ જાય છે. સરદાર જયંતી આવે છે એટલે એકદમ એમને વડા પ્રધાન નહોતા બનવા દેવાયા એ મુદ્દો ચર્ચામાં આવે છે. આવું વર્ષે વર્ષે વિશ્લેષકોને, ચેનલોને, છાપાંઓને યાદ આવે છે. એમાં નહેરુની વિરુદ્ધ પણ વાતો વાગોળાય છે. આની ટેવ પડી ગઈ છે ને કૉન્ગ્રેસને એની સામે ઘણું કહેવાનું હોય છે. સરદાર વડા પ્રધાન હોત તો આ દેશની તાસીર જુદી જ હોત, પણ જે બન્યું જ નથી ને જે હવે બને એમ જ નથી એનું કૂટ્યા કરવાથી દેશને શું લાભ છે તે સમજાતું નથી. સરદાર કે નહેરુએ જે કૈં કર્યું એને સંભારીને આગળ શું થઈ શકે એમ છે એ જ વિચારવાનું દેશને વધુ ઉપકારક થઈ પડે એવું નહીં?

વડાપ્રધાને કેવડિયાને વૈશ્વિક નકશા પર મૂકી દીધું છે ને સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ પ્રોજેક્ટ્સ ખુલ્લાં મૂકીને વિશ્વને કેવડિયા તરફ જોવાની બારી ખોલી આપી છે. એનાથી દેશના અને વિદેશના પ્રવાસીઓ કેવડિયા સુધી આવશે અને આ સ્થળ મોટું પ્રવાસન કેન્દ્ર બનશે એવી અપેક્ષા અસ્થાને નથી. આમ થશે તો સહેલાણીઓ માટે એક નવું સ્થળ હાથવગું થશે અને તેની આસપાસ હોટેલ ઉદ્યોગ ને અન્ય ઉદ્યોગો વિકસશે, અન્ય રહેવા-જમવાના કેન્દ્રોનો વિકાસ થશે તો રોજગારીની તકો વધશે ને કોરોના કાળમાં એમ થતું હોય તો તે અંતે તો દેશ હિતનાં ખાનામાં જ જશે.

રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક જુદો જ અર્થ મળ્યો છે. સરદારને આમ તો કોઈ સ્થાપનાની જરૂર નથી, પણ પુન: સ્થાપનનો આ પ્રયોગ હોય તો પણ તે આવકાર્ય છે. વડાપ્રધાને સી-પ્લેન સેવાનું ઉદ્ઘાટન કર્યું અને પોતે કેવડિયાથી સાબરમતી રિવર ફ્રન્ટ સુધી, 45 મિનિટની મુસાફરી કરી પહોંચ્યા અને ત્યાં વોટર એરપોર્ટનું ઉદ્ઘાટન પણ કર્યું. આ સેવા એક સાથે 19 જણને પૂરી પડાશે. આવવા-જવાની મુસાફરીનો વ્યક્તિ દીઠ ખર્ચ 3,000 રૂપિયાનો હશે એમાં પણ શરતો લાગુ થાય તો ખર્ચ વ્યક્તિ દીઠ 5,000 સુધીનો પણ થઈ શકે.

આ ઉપરાંત જુદા જુદા પ્રોજેક્ટ્સ માટે પણ ફી નક્કી કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે નાનાંની ફી 90 અને મોટાની 150 રૂપિયા છે. વ્યૂઇંગ ગેલરી માટે મોટાની ફી 380 તો નાનાની 230 જ્યારે એકતા ક્રૂઝ માટે 200 રૂપિયાની ફી રખાઇ છે. બટરફલાય ગાર્ડનમાં મોટા માટે 50 અને નાના માટે 40 રૂપિયા ફી છે. કેકટસ ગાર્ડનમાં નાના માટે 40 અને મોટા માટેની ફી 60 રૂપિયા છે. રિવર રાફટિંગમાં ફી 1,000 રૂપિયા છે, એકતા નર્સરીમાં મોટા માટે 30 અને નાના માટે 20ની ફી નક્કી કરાઈ છે. એ જ ફી વિશ્વ વનમાં અને આરોગ્ય વનમાં પણ પ્રવેશ માટેની છે. ચિલ્ડ્રન પાર્કમાં મોટા માટે 200 અને નાના માટે 125 નક્કી થયા છે. ઇકો બસની ફી 300 અને 250 નક્કી કરાઈ છે.  યુનિટી ગાર્ડનની ફી હજુ નક્કી નથી ને અહીં જે ફી દર્શાવાઈ છે એમાં પણ સુધારાને અવકાશ છે.

આ બધું જોતાં બે બાળકોને લઈને પતિ-પત્ની અમદાવાદથી કેવડિયા આવવાનું નક્કી કરે તો માત્ર મુસાફરીનો અને જુદી જુદી જગ્યાની મુલાકાતનો ખર્ચ, તથા રહેવા જમવાનો ખર્ચ લગભગ 30 હજારનો થાય. મધયમવર્ગના કુટુંબ માટે આ ખર્ચ ઓછો નથી. એની સામે, સામે પક્ષે ક્યાં ય રૂપિયાની પણ રાહતની કોઈ જોગવાઈ નથી. કમસે કમ બાળકોને તમામ ફીમાંથી મુક્તિ આપી શકાય. શિક્ષણથી માંડીને રમતગમત કે આવાં પ્રવાસન સ્થળોમાં બાળકોને માટે, નાની નાની બાબતો માટે પૈસાની જે ઉઘરાણી ચાલે છે એમાં હેતુ તો માત્ર કમાવાનો જ જણાય છે. એ ખાનગી સંસ્થાઓ પૂરતું સીમિત હોય ત્યાં સુધી તો કૈંકે સમજાય, પણ સરકાર પણ એમાં કોઈ રાહત ન આપે એ ઠીક નથી. બીજા તો લૂંટે, પણ સરકારે એમાં ભાગીદારી ન કરવી જોઈએ.

આખા દેશમાં વિકાસને નામે જે ચાલે છે તે અનેક રીતે પુનર્વિચારણાને પાત્ર છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જ દાખલો  લઈએ તો કેવડિયામાં જે વિકાસ થયો છે ને હવે 17 પ્રોજેક્ટ્સ ખુલ્લાં મૂકાતાં થવાનો છે તે કોનો અને કેવો વિકાસ છે તે વિચારવાનું રહે છે. એમાં વિકાસ સરકારનો દેખાય છે ને સાથે જ પ્રોજેક્ટ્સ તૈયાર કરનારનો કે તેની ફી ઉઘરાવનારનો છે. એક મધ્યમ વર્ગના કુટુંબનો દાખલો ઉપર જોયો, જેમાં અમદાવાદથી કેવડિયા આવનાર પતિપત્ની અને બે બાળકોને અંદાજે 30,000નો ખર્ચ થાય. આ સાધારણ કુટુંબને કેટલું પરવડે એ વિચારવાનું રહે. એક જ રાજ્યમાં 300 કિલોમીટરના વિસ્તારમાં આટલો ખર્ચ કરવા ગુજરાતીઓ તો કદાચને તૈયાર થાય, પણ અન્ય રાજ્યો કે દેશમાંથી પ્રવાસીઓ કેટલા આકર્ષાય તે પ્રશ્ન રહે. શરૂઆતમાં ધસારો થાય પણ ખરો, પણ આવનારા સમય સંદર્ભે આખી વાતને જોવાની રહે.

એમ લાગે છે કે આપણી વિકાસની પરિભાષામાં સાધારણ માણસોને બહુ જ ઓછું સ્થાન છે. જે વિકાસ થાય છે તે ગણ્યાગાંઠયા મૂડીપતિઓ અને ઉદ્યોગપતિઓનો જ થાય છે. કંપનીઓ વિકાસ કરે છે ને બદલામાં સાધારણ માણસો ચૂકવણું કરે છે. એટલું છે કે સાધારણ માણસને સગવડો મળે છે, પણ તેની પાસેથી જે વસૂલાય છે તે ઓછું હોય તો પણ એટલું તો લાંબાગાળાનું હોય છે કે સરવાળે તો તે લૂંટાય જ છે. વધારે ન વિચારવું હોય તો ટોલટેક્સને જ યાદ કરી લેવો.

વિકાસથી સ્થાનિકોને ઓછામાં ઓછો લાભ થાય છે ને ગરીબોને તો આમ પણ સ્થાન હોતું નથી. હા, થોડા ભિખારીઓ કૈંક પામવામાં સફળ થાય એમ બને. કેવડિયામાં આસપાસના આદિવાસીઓ આ પ્રોજેક્ટ્સથી શું અને કેટલું પામશે એની રાહ જોવાની રહે.

આમ તો કોઈ પણ મોટા પ્રોજેકટો પ્રજાના હિતમાં સક્રિય થતા દેખાય છે, પણ સરવાળે તો હેતુ વધુને વધુ કમાણીનો જ હોય છે. કમાણીનો પણ વાંધો ન હોય, પણ કોઈ રાષ્ટ્રીય સ્મારક ઊભું કરીને તેની આસપાસના વિસ્તારોનો વિકાસ કેવળ નફાકારક ધંધાની રીતે જ જોવાય તો પેલું સ્મારક પણ ધંધાનો જ ભાગ થઈને રહી જાય છે એ ભૂલવા જેવું નથી.

કોઈ રાષ્ટ્રીય સ્મારક, પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકાસ પામે તો મુલાકાતીઓ વધે અને તેને અનુષંગે નાના મોટા ધંધાઉદ્યોગો વિકસે તો પ્રવાસીને જ એનાથી લાભ થવાનો છે ને એની યોગ્ય ફી  લેવાય તો તેનો ય વાંધો ન હોય, પણ ઉદ્દેશ આવનારની લાચારીનો લાભ ઉઠાવવાનો જ હોય ને એવું પાછું સરકારની રહેમ નજરથી ચાલતું હોય તો પ્રશ્ન આખા ય પ્રોજેક્ટની વિશ્વસનીયતાનો ઊભો થાય.

વડા પ્રધાન ગુજરાતના છે. અહીંની ભૂમિમાં ઊછર્યા છે. અહીં મુખ્ય મંત્રી રહી ચૂક્યા છે. એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ 17 જેટલા પ્રોજેકટ ખુલ્લા મૂકે અને આખી વિધિમાં કેવળ ત્રાહિત માણસની તટસ્થતાથી બધું પાર પાડતા દેખાય ત્યારે વડા પ્રધાન હોય તો તેણે આત્મીયતાનો ભોગ આપવો જ પડે એમ ગુજરાતી પ્રજાએ સ્વીકારી લેવું પડે. કમસેકમ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના વિસ્તારના ઉપયોગ માટે ગુજરાત અને કેન્દ્ર સરકારે તમામ ફીમાં રાહત કરવી જોઈએ. સરદાર રાષ્ટ્રના હતા એ સાચું, પણ સર્વપ્રથમ તો એ ગુજરાતના હતા, તે પણ ત્યારથી, જ્યારે ગુજરાતનું સ્વતંત્ર રાજ્ય તરીકે અસ્તિત્વ પણ ન હતું.

ઇચ્છીએ કે સરકાર આ મામલે ગંભીરતાથી વિચારી પ્રજા હિતમાં કોઈ નિર્ણય લે.

0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : “ધબકાર” દૈનિક, 02 નવેમ્બર 2020   

Loading

ઑનલાઇન કળાપરિચય

જ્યોતિ ભટ્ટ|Opinion - Opinion|2 November 2020

એક સમયે પોતાના અંગત મંત્રીને કોઈ પુસ્તક વાંચતાં જોઈ તે અંગે પૂછપરછ કરી ગાંધીજીએ કહ્યું હતું કે તેમણે એ પુસ્તકનાં વખાણ સાંભળ્યાં હતાં અને તે વાંચવાની ઇચ્છા પણ ધરાવતા હતા. એ પછી તેમણે ઉમેર્યું કે, આપણને આવી સાહ્યબી માટે સમય આપવાનો અધિકાર જ નથી. આપણી ક્ષણેક્ષણ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા જરૂરી લોકજાગૃતિ લાવવાના કાર્ય માટે ખર્ચવાની છે.

હાલમાં જ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બનેલા  નિરીક્ષકના તંત્રીની સ્થિતિ પણ ઉપર્યુક્ત વાતને સમાંતર કહી શકાય તેવી છે. મને લાગતું રહ્યું છે કે દેશ અને સમાજની પરિસ્થિતિ ઉપરાંત વ્યાવહારિક મર્યાદાઓને કારણે રસ અને સમજ ધરાવતા હોવા છતાં તંત્રીએ સાહિત્ય તથા અન્ય લલિતકળાઓને પરાણે ‘સાહ્યબી’ માનવી પડે છે. (વડોદરાના એક સ્મશાનની ભીંત પર દુર્યોધનના મોઢે બોલાયેલા શબ્દો લખેલા જોવા મળેલા : ધર્મ શું છે તે જાણતો હોવા છતાં મારાથી તેનું આચરણ થઈ શકતું નથી.)

જો કે કળા તો નહીં પણ કળાસર્જકો અંગે ક્યારેક, મુખ્યત્વે તેમના નિધન અંગેની નોંધ લેવાતી રહી છે ખરી.

સાહિત્ય પરિષદના સ્થાપક સ્વ. રણજિતરામ વાવાભાઈ મહેતા ભર્તૃહરિએ નીતિશતકમાં કહેલી વાત-સાહિત્ય, સંગીત અને કળામાં રસ ન ધરાવનાર, પૂંછડી અને શિંગડાં વિનાનો પશુ છે – તે જાણતા હતા તથા તેની સાથે સહમત હતા તેમ માની શકાય. એકસોથી વધુ વર્ષ પહેલા તેમણે ધ્યાન દોરેલું કે, આપણે સાહિત્યને પોષવા, ઉછેરવામાં મશગૂલ છીએ પરંતુ સંગીત આદિ સાહિત્યના સહોદરો પ્રત્યે લક્ષ પણ આપતા નથી.

વીસમી સદીના પૂર્વાર્ધ સુધી-સાચી-નિસબત, ધરાવતા લોકોએ પણ સમયની આવી કટોકટી અનુભવવી પડેલી નહોતી. પોતાની વ્યાવસાયિક, કૌટુંબિક તથા લૌકિક જવાબદારીઓ નિભાવવા છતાં વિવિધ કળાઓથી તેઓ માહિતગાર રહી શકતા હતા અને રહેતા પણ હતા. વ્યાવહારિક તેમ જ આર્થિક કારણોસર કે તે બહાને, ઘણાં સામયિકો તથા અખબારોમાં હવે કળા સંબંધી લખાણો માટે પહેલાં ફાળવાતી જગ્યામાં કટૌતી થઈ છે અથવા સદંતર બંધ કરાઈ છે. જો કે, સદ્‌ભાગ્યે તેના વિકલ્પે, ઇન્ટરનેટ જેવી સગવડોને લીધે કળાઓમાં કે પોતાને મનગમતા વિષયોમાં રસ લેવા તથા તેને સમજવા ઇચ્છતા લોકો માટે ઉપયોગી ઢગલાબંધ સામગ્રી ઉપલબ્ધ પણ થઈ છે અને મેળવવી સરળ પણ બની છે. વળી, છાપકામની મર્યાદાઓ તો જરાયે નડતી ન હોવાથી રંગીન, દૃશ્ય-શ્રાવ્ય સ્વરૂપે મળે છે. આનો લાભ લેવા માટે આપણે વૉટ્‌સએપ્પ, ફેસબૂક તથા અન્ય પોપ્યુલર મીડિયા જેવી અનેક વ્યસન જેવી સુવિધાઓમાંથી થોડો સમય આપવા સિવાય અન્ય કશું જ ગુમાવવાનું હોતું નથી.

૧૯૫૪માં તત્કાલીન કેન્દ્રસરકારે રાષ્ટ્રીય સ્તરે ‘સાહિત્ય, સંગીત નાટક તથા લલિતકલા અકાદમી’ નામે ત્રણ સંસ્થાઓ સ્થાપી હતી. આ ત્રણેય સંસ્થાઓ પરસ્પર સંકલિત રીતે સક્રિય રહી શકે તે માટે, ત્રણ પાંખો ધરાવતી એક મોટી ત્રણમાળી ઇમારત પણ તૈયાર કરાવી આપેલી. અને તેને, ત્રણેય કળાપ્રકારોમાં મહત્ત્વનું પ્રદાન કરનાર રવીન્દ્રનાથ ટાગોરની યાદમાં રવીન્દ્રભવન નામ અપાયું. ત્યાર બાદ ગુજરાત સહિત ઘણાં રાજ્યોમાં પણ અકાદમીઓ સ્થપાઈ. કોવિદ-૧૯, કોરોનાકાળમાં જેમ એકાદ-બે સ્થળ તેની અસરથી મુક્ત રહી શક્યાં તેમ આ બધી અકાદમીઓમાંથી ચંડીગઢ લ. ક. અકાદમી જ મૂળ ઉદ્દેશ તથા કાર્યક્ષેત્રને અનુરૂપ કાર્ય કરતી રહી શકી છે. વળી, માત્ર રાજ્ય ધોરણે અને મર્યાદિત શ્રોતા – પ્રેક્ષકોની હાજરીમાં પ્રયોજાયેલા, સચિત્ર વ્યાક્યોની લાભ કળાપ્રત્યે અભિરુચિ  ધરાવતા બધા લોકોને મળી શકે તે માટે ‘યુટ્યૂબ’ પર ઉપલબ્ધ કરાયાં છે.

આધુનિક તેમ જ સાંપ્રત અનુઆધુનિક કળા પ્રકારો સાથે સંકળાયેલા અનેક પ્રમુખ કળાકારોના વાર્તાલાપો તેમ જ કળા-આલોચકો સાથેના, પ્રશ્નોત્તરી પ્રકારના, ૪૫થી ૬૦ મિનિટના અનેક વીડિયો તેમાં જોઈ શકાય છે. વળી, એનું ધોરણ પણ ઉત્તમ અને પૂરેપૂરું ‘પ્રોફેશનલ’ હોય છે.

૧૯૬૮માં રાષ્ટ્રીય લ. ક. અકાદમીએ આંતરરાષ્ટ્રીય ત્રિવાર્ષિકી કળા પ્રદર્શન આરંભેલ. અગિયાર પ્રદર્શનો યોજ્યાં પણ પછી, તે બંધ થઈ ગયાં. મોટા ભાગે રવીન્દ્રનાથના એક કાવ્યમાં, પોતે આથમી જાય પછી રાત્રે લોકોને પ્રકાશ કોણ આપશે તેની ચિંતા કરતા સૂર્યને એક નાનકડું કોડિયું કહે છે : મહારાજ! તે માટે મારાથી શક્ય તેટલું  હું જરૂર કરીશ.

ભારતીય કળાક્ષેત્રે ખૂબ સરસ અને ઉપયોગી પુરવાર થયેલ એક પ્રદર્શન બલકે મહોત્સવ છેલ્લાં ૧૨ વરસથી દેશના દક્ષિણ ખૂણે આવેલ નાનકડા રાજ્ય કેરળમાં જીવિત કરાતો છે. રાજ્ય સરકારની તેમ જ સહૃદયી કળા પ્રેમીઓની સહાયથી ‘કોચિ આંતરરાષ્ટ્રીય દ્વિ-વાર્ષિકી’ કળાપ્રદર્શન યોજાવા લાગ્યાં છે. આ દ્વિ-વાર્ષિકી અંગેની વિવિધ દૃશ્યમાહિતી પણ ગૂગલ અને યુટ્યૂબ પર જોઈ-સાંભળી શકાશે.

આના સંદર્ભે મારા મનમાં એક પ્રશ્ન તરવાર્યા કરે છે : ગયા વરસે ભયંકર વરસાદી પૂરપ્રકોપથી તારાજ થઈ ગયેલા કેરળવાસીઓને સહાય-રૂપ થવા દેશભરના કળાકારોએ સહર્ષ આપેલી કળાકૃતિઓના વેચાણાર્થે યોજાનાર પ્રદર્શન માટે દિલ્લીની રાષ્ટ્રીય લ. ક. અકાદેમીએ પોતાની વિથિ (ગૅલેરી) આપવા કરેલ ઇન્કારનું કારણ એ તો નહીં હોય કે પોતે જેને જિવાડી ન શક્યા અને પડતું મૂક્યું તે કાર્ય કેરળમાં ફિનિક્સ પંખી જેમ બલકે વધુ સારી અને સફળ રીતે જીવિત થયું? જો કે કળાકારો અન્ય સ્થળે પ્રદર્શન યોજીને પણ ત્રણ કરોડ રૂપિયા એકઠા કરી ધારેલી મદદ કરી શકવા સફળ રહ્યા હતા.

મુખ્યત્વે સાહિત્યને સમર્પિત સામાયિકમાં દૃશ્ય તેમ જ અન્ય કળાઓની ‘ઑનલાઇન’ રજૂઆત માટે મારા મનમાં એક ઉપાય બલકે તે માટેનો વિચાર ઘૂમરાયા કરે છે. દરેક અંકમાં બેત્રણ સારા કાર્યક્રમોનો માત્ર થોડી પંક્તિઓમાં પરિચય આપી તેની સાથે લિંક જોડવી.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2020; પૃ. 11

Loading

સાર્થક જલસો-૧૪

———, રાજેન્દ્ર શુક્લ|Opinion - Opinion|2 November 2020

વિશિષ્ટ વાચનઃ 

ગુજરાતી વાચનમાં જુદી ભાત પાડનાર છમાસિક ‘સાર્થક જલસો’નો સળંગ ૧૪મો અંક પ્રકાશિત થયો છે. તેમાં રાબેતા મુજબનું આશ્ચર્યજનક વિષયવૈવિધ્ય જોવા મળે છે. અનોખાપણાનો અને વિવિધતાનો ખ્યાલ આપતા કેટલાક લેખઃ બનાસકાંઠાના આદિવાસી વિસ્તારમાં ત્રણ દાયકાની કામગીરી (હસમુખ પટેલ), અંગકોરવાટનું પ્રવાસવર્ણન (છાયા ઉપાધ્યાય), મહેમદાવાદમાં સેવાભાવે સેલ્ફ-ફાઇનાન્સ્ડ કૉલેજ ઊભી કરવાની સંઘર્ષકથા (બિપીન શ્રોફ), પિતા નીરવ પટેલ સાથેનાં સંસ્મરણો (ઋચા નીરવ પટેલ), ત્રણ દાયકા પહેલાં મુંબઈમાં કેટલાક મહાન ફિલ્મ- કલાકારોને સામાન્ય ચાહકો તરીકે મળવાના વિશિષ્ટ અનુભવો (બીરેન કોઠારી – ઉર્વીશ કોઠારી), બાલી અને ઇઝરાઇલમાં કોરોનાકાળ પહેલાં, તહેવારને કારણે થતા ‘લૉકડાઉન’ના અનુભવો (હેતલ દેસાઈ), કોરોના-સંદર્ભે રોગચાળા અંગે વર્તમાન અને ભૂતકાળની વિશિષ્ટ જ્ઞાનસામગ્રી (ડૉ. દુર્ગેશ મોદી), ચા વિશેનાં દેશપરદેશનાં સંભારણાં (કૅપ્ટન નરેન્દ્ર), શૈશવથી જીવનસંધ્યા સુધી દવાખાનાંના અનુભવો (ચંદુ મહેરિયા), તકિયા-કલામ વિશે (સલિલ દલાલ), ફૉરેસ્ટ ઑફિસર તરીકેનાં સંભારણાં (ચંદ્રશેખર પંડ્યા) …

આ ઉપરાંત રજનીકુમાર પંડ્યાનો આત્મકથનાત્મક અંશ અને દીપક સોલિયા, નરેશ મકવાણા, અમિત જોશી, નિશા પરીખ-સંઘવી, કિરણ જોશી તથા ડૉ. અશ્વિનકુમારના વિશિષ્ટ લેખ સામેલ છે. નડિયાદના જાણીતા (હવે દિવંગત) તસવીરકાર મનહર ચોકસીએ ખેંચેલી પંડિત નહેરુ, રવિશંકર મહારાજ જેવા અગ્રણીઓની અને પૃથ્વીરાજ કપૂર જેવા ફિલ્મ-કલાકારોની યાદગાર તસવીરોનું ફોટોફીચર પણ આ અંકમાં જોવા મળે છે.

મે, ૨૦૨૦નો અંક કોવિડ-૧૯ને કારણે પ્રગટ થઈ શક્યો ન હતો. માટે, આ વખતનો અંક સામાન્ય રીતે આવતાં ૧૪૪ પાનાં- કિંમત રૂ.૮૦ને બદલે, ૧૭૬ પાનાં અને કિંમત રૂ.૧૦૦નો છે.

(સાર્થક જલસો-૧૪, સાર્થક પ્રકાશન, ફોન-વૉંટ્‌સએપઃ કાર્તિક શાહ, ૯૮૨૫૨ ૯૦૭૯૬)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2020; પૃ. 15

Loading

...102030...2,1342,1352,1362,137...2,1402,1502,160...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved