Opinion Magazine
Number of visits: 9573989
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એકતાનો આવો વિરાટ પ્રયોગ ગાંધીજી પહેલાં કોઈએ નહોતો કર્યો

રમેશ ઓઝા|Opinion - Opinion|18 October 2020

ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું હતું કે ભારતમાં જેટલા સમાજો છે, એટલી ઓળખો છે અને જેટલી ઓળખો છે એટલી તિરાડો છે. એ તિરાડોનો અંગ્રેજો લાભ લે છે અને અંગ્રેજો એક પ્રજાને બીજી પ્રજાની નજીક આવવા દેતા નથી. તેમના ધ્યાનમાં એ પણ આવ્યું હતું કે ઓળખો અને અસ્મિતાઓને પાતળી પાડવા અને તિરાડો બૂરવા માટે કોઈ પણ પક્ષે કોઈ પ્રયાસ પણ કરવામાં આવતો નથી. સંવાદનો જ અભાવ છે. જે છે એ કાં તો પોતાના મતનો પ્રચાર છે અથવા બીજાનો પ્રતિવાદ છે, સંવાદ નથી.

વળી તેમના ધ્યાનમાં એ પણ આવ્યું કે રાષ્ટ્રની સંકલ્પના અને તેનો ઢાંચો પણ તેમને આખેઆખો પાશ્ચાત્ય જોઈએ છે. એમાં ભારતીય કશું નથી. હા, કેટલાક લોકો મહાન ભારતીય સંસ્કૃતિના ગુણગાન ગાય છે, પરંતુ તેને સર્વસ્વીકાર્ય કેવી રીતે બનાવવી એનો કોઈ ઉપાય તેમની પાસે નથી. બીજા કેટલાક લોકો ભારતને આધુનિક રાષ્ટ્ર બનાવવા માગે છે, પરંતુ તેમની આધુનિકતાની વ્યાખ્યા નહોતી સ્પષ્ટ કે નહોતી સર્વસમાવેશક. ટૂંકમાં ઘરઆંગણેના પ્રશ્ને વ્યાપક ચર્ચા કે સંવાદ કર્યા વિના દરેક જણ સ્વરાજની અપેક્ષા રાખતા હતા. તેમને એ વાતથી પણ કોઈ ફરક પડતો નહોતો અથવા તો તેની ગંભીરતા સમજાઈ નહોતી કે ભારતમાં મુસલમાનો અને અન્ય લઘુમતી કોમ, હિંદુઓમાં સુશિક્ષિત ઉચ્ચભ્રૂ વર્ગ અને અશિક્ષિત બહુજન સમાજ તેમની સ્વરાજની માગણીનો વિરોધ કરે છે. ભારતની લગભગ ૭૦ ટકા પ્રજા સ્વરાજને નકારતી હતી. 

આ બાજુ લંડનમાં અને અન્ય દેશોમાં ભારતીય યુવકો ભારતીય સ્વરાજની માગણી કરતા હતા, પરંતુ જી.કે. ચેસ્ટરટન જેવા લોકો જ્યારે ભારતીય સ્વરાજમાં ભારતીય શું એવો સવાલ કરતા હતા ત્યારે તેમની પાસે તેનો કોઈ જવાબ નહોતો. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં બેઠાબેઠા આ બધું જોતા હતા અને લંડનમાં તેઓ ભારતીય સ્વરાજની વકીલાત કરનારાઓ સાથે પ્રત્યક્ષ ચર્ચામાં ઉતર્યા હતા. ૧૯૦૯માં લખાયેલો ‘હિન્દ સ્વરાજ’ નામનો નાનકડો ગ્રંથ (કહો પુસ્તિકા) આનું પરિણામ છે. એ પહેલાં ૧૯૦૩ના જૂન મહિનામાં તેમણે ‘ઇન્ડિયન ઓપીનિયન’ નામનું સામયિક શરૂ કર્યું હતું અને તેમાં પણ તેઓ વખતોવખત ભારતના પ્રશ્નો વિશે લખતા રહેતા હતા. આ ઉપરાંત તેઓ હેન્રી ડેવિડ થોરો, જૉન રસ્કિન અને લેવ ટૉલ્સટૉયના પ્રભાવમાં આવ્યા હતા અને વધુમાં વધુ સુખની પ્રાપ્તિ એ વિકાસ એવી પશ્ચિમની સમજ વિશે શંકા ઊઠાવતા થયા હતા.

ટૂંકમાં ભારતમાં હોવી જોઈતી એકતાના પ્રશ્ને, રાષ્ટ્ર/રાજ્યની અવધારણાના પ્રશ્ને, વિકાસના પ્રશ્ને ક્યારે ય દગો ન આપે એવી ટકાઉ ચિરંતન શક્તિના સ્રોતના પ્રશ્ને એમ ચારેય બાબતે તેમની અંદર મનોમંથન ચાલતું હતું. એમ કહી શકાય કે ૧૯મી સદીનો પહેલો દાયકો પૂરો થયો ત્યાં સુધીમાં તેઓ આ ચારેય બાબતે ચોક્કસ તારણ ઉપર પહોંચી ગયા હતા. વળી ગાંધીજી જે વિચારે એ કહે અને કહે એ કરે એટલે ૧૯૧૦ સુધીમાં નવા અભિગમની અને નવા રાજકારણની ડાઈ પણ કાસ્ટ થઈ ગઈ હતી.

ગાંધીજી માનતા હતા કે હિંદુ-મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ તેમ જ દલિતોને ન્યાય અને લોકસુલભ રાષ્ટ્રભાષા આ ત્રણ ચીજ ભારતની સ્વતંત્રતા માટે અને સ્વાતંત્ર્ય ટકાવી રાખવા માટે અનિવાર્ય છે. આના સિવાય હિન્દ હિન્દ નહીં બની શકે અને જો રાજકીય સંજોગોને લઈને સ્વતંત્ર હિન્દ સ્થપાશે તો ટકી નહીં શકે. ૧૯૦૩માં ગાંધીજીએ ‘ઇન્ડિયન ઓપીનિયન’ શરૂ કર્યું ત્યારથી લઈને ૧૯૧૪માં તેમણે આફ્રિકા છોડ્યું ત્યાં સુધીમાં આ ત્રણ પ્રશ્ને તેમણે સેંકડો લેખ લખ્યા હતા. એ બધા લેખો ‘ગાંધીજીના અક્ષરદેહ’માં સંગ્રહાયેલા છે. દૂર બેસીને સેંકડો વખત તેમણે અરણ્યરુદન કર્યું હતું કે આ ત્રણ ચીજ જ્યાં સુધી સાકાર નહીં થાય ત્યાં સુધી ભારતનું કોઈ ભવિષ્ય નથી. ભારતમાં આવ્યા પછી ગાંધીજીએ આ ત્રણ પ્રશ્ને હજારો લેખો લખ્યા હશે અને  વક્તવ્યો આપ્યાં હશે. ભારતને જોડવા માટે આ અનિવાર્ય છે અને એક વાર ભારતનો ભાવનાત્મક પીંડ બની જશે પછી અંગ્રેજો ભારત પર રાજ નહીં કરી શકે અને આઝાદ ભારતને કોઈ મિટાવી નહીં શકે.

પણ આને માટે તો પૂર્વગ્રહો છોડવા પડે, બીજાને સાંભળવા પડે, તેમના તરફ સહ્રદયતા કેળવવી પડે, અપનાવવા પડે, જતું કરવું પડે, બાંધછોડ કરવી પડે, સંસ્કારમુક્ત થવું પડે, વગેરે કેટલું બધું કરવું પડે! વાત વાંચવામાં કે સાંભળવામાં જેટલી સહેલી છે એટલી તેને સાકાર કરવી સહેલી નથી. દક્ષિણ આફ્રિકામાં રહ્યે ગાંધીજી આ બાબતે ‘ઇન્ડિયન ઓપીનિયન’માં લેખો લખીને ધ્યાન દોરતા હતા. એવું પણ નહોતું કે દક્ષિણ આફ્રિકામાં જે ભારતીય પ્રજા હતી એ સંગઠિત હતી અને તેમની વચ્ચે કોઈ પૂર્વગ્રહો નહોતા. ભારતથી જ ગયેલી એ પ્રજા હતી એટલે પૃથકતાના સંસ્કારો સાથે લઈને ગયા હતા. જેમ ભારતમાં કોમી એકતા, અસ્પૃશ્યતા નિવારણ અને ભાષાના પ્રશ્ને ગાંધીજીનો પ્રતિકાર કરવામાં આવ્યો એમ દક્ષિણ આફ્રિકામાં પણ ભાષા છોડીને બાકીના બે પ્રશ્ને ગાંધીજીનો પ્રતિકાર કરવામાં આવ્યો હતો. જેમ ભારતમાં કોમી એકતા અને અસ્પૃશ્યતા નિવારણના પ્રશ્ને ગાંધીજીની હત્યા કરવાના પ્રયાસ કરવામાં આવ્યા અને છેવટે હત્યા કરવામાં આવી એમ દક્ષિણ આફ્રિકામાં પણ મુખ્યત્વે કોમી પ્રશ્ને ગાંધીજીની હત્યા કરવાના એક કરતા વધુ પ્રયાસ કરવામાં આવ્યા હતા.

લગભગ બધું એકસરખું હતું. જેમ ગાંધીજીને ભારતમાં સામાજિક-કોમી એકતા દ્વારા ભારતને જોડવામાં નિષ્ફળતા મળી હતી એમ દક્ષિણ આફ્રિકામાં પણ પ્રજાને જોડવામાં એકંદરે સફળતા નહોતી મળી. એમ કહી શકાય કે દક્ષિણ આફ્રિકા ગાંધીજીનો પાયલોટ પ્રોજેક્ટ હતો. લગભગ એક સરખો અનુભવ ગાંધીજીને બન્ને સ્થળે થયો હતો. તો પછી નિષ્ફળ નીવડ્યા હોવા છતાં ગાંધીજી અમર શા માટે છે? કારણ કે દેશને જોડવાનો આવડો મોટો રાજકીય પ્રયોગ ગાંધીજી પહેલાં કોઈએ કર્યો નહોતો. આને માટે સતત તેઓ મથતા રહ્યા હતા અને દેશને જોડવા માટે છેવટે તેમણે બલિદાન આપ્યું હતું. લાખ ગાળો આપવા છતાં ગાંધીજી મરતા નથી એનું આ પહેલું કારણ છે. સદીઓથી વિભાજીત ભારતને જોડવાના પહેલા રાજકીય-સાંસ્કૃતિક પ્રયોગના કર્તા ગાંધીજી હતા.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 18 ઑક્ટોબર 2020

Loading

હર્ષદ મહેતાઃ રિસ્ક, મહત્ત્વાકાંક્ષા, લાલચ અને ખંધાઇ જેના ચરિત્રના શૅર હતા એવા માણસની વાત

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|18 October 2020

આ કૌભાંડ છતાં ય લોકો હર્ષદ મહેતાથી પ્રભાવિત છે અને તેમનું કહેવું છે કે તેણે તો તંત્રમાં જે પોલ હતી તેનો ઉપયોગ કર્યો. કહેનારા એમ પણ કહે છે કે તેને બલિનો બકરો બનાવાયો કારણ કે કોઇની પર દોષનો ટોપલો ઢોળાય એ જરૂરી હતું.

આપણા ગુજરાતીઓમાં એક બહુ કૉમનલી જોવા મળતી બાબત છે. ઘણાં ગુજરાતીઓને પૂછીએ કે તેમનો વર કે ભાઇ કે દીકરો કે કઝિન શું કરે છે ત્યારે એક જવાબ સૌથી કૉમન હોય છે અને એ છે, ‘શૅરનું કરે છે’, ‘શૅર માર્કેટનું કરે છે’, હવે આમાં માળું સમજ ન પડે કે એ જે ‘કરે’ છે એ છે શું? આ જે તે માણસ છે એ કોનું કરી નાખે છે? શૅર બજારમાં ફુલેકાં ફેરવવાને ‘કરે છે’ સાથે સાંકળવાનું તરત મન થઇ જાય. સાચા અર્થમાં શૅરબજારનું કરી નાખનારો એક જ માણસ હતો, અને એ હતો હર્ષદ મહેતા. જો કે કેતન પારેખે એના કરતૂતોની સિક્વલ આપી હતી એમ કહી જ શકાય પણ અત્યારે તો વાત કરવાની છે હર્ષદ મહેતાની અને એનું કારણ છે હંસલ મહેતા દિગ્દર્શિત સિરીઝ ‘સ્કેમ 1992’. મજબૂત એક્ટર પ્રતિક ગાંધીએ આ સિરીઝમાં હર્ષદ મહેતાની ભૂમિકા ભજવી છે, સાથે છે ચિરાગ વોરા, જય ઉપાધ્યાય, હેમંત ખેર, અંજલી બારોટ, અનંત મહાદેવન, રજત કપૂર, શ્રેયા ધનવંતરીએ પણ શૅર બજારના આ કૌભાંડની વાર્તા ઘડનારા, ઉઘાડી પાડનારા અને કહેનારાઓનાં પાત્રો ભજવ્યાં છે. આ સિરીઝની સફળતાને કારણે અત્યારે એવી હાલત છે કે હર્ષદ મહેતા ગૂગલ કરનારાઓને પ્રતિક ગાંધીનો ચહેરો જોવા મળે છે. જો કે સિરીઝનો પ્રભાવ તો એને જોશો ત્યારે જ કળી શકાશે એટલે આજે જેણે શૅર બજારનું ‘કરી’ નાખ્યું તેની વાત કરીએ.

આજે આપણે વિજય માલ્યા અને નીરવ મોદીની છેતરપીંડી પર છાતી પીટીએ છીએ પણ હર્ષદ મહેતાએ જે કર્યું હતું તેનો વ્યાપ આ બધા કરતાં કંઇક ગણો મોટો હતો. અહી એક રડી-ખડી બૅંકને છેતરવાની વાત નહોતી, પણ આખા દેશ સાથે ૨૪,૦૦૦ કરોડની (હાલના ફુગાવાને ગણતરીમાં લઇએ તો ) છેતરપીંડીની વાત હતી અને એ પણ માત્ર ત્રણ વર્ષનાં ગાળામાં કરાયેલું કૌભાંડ હતું. જો તમે વુલ્ફ ઑફ વૉલસ્ટ્રીટ ફિલ્મ જોઇ હોય તો આ બિગ બુલ હર્ષદ મહેતાને વુલ્ફ ઑફ દલાલ સ્ટ્રીટ કહેવો પડે. હર્ષદ મહેતાથી લોકો પ્રભાવિત થઇ જતા કારણ કે ગજવામાં ચાળીસ રૂપિયા લઇને મુંબઇ ખુંદવા નિકળેલા માણસે કરોડોનું ‘કરી’ નાખ્યું અને એ પણ એટલી સિફતથી કે આખેઆખું તંત્ર જ છેતરાયું. સુચેતા દલાલ જે ત્યારે એક યંગ જર્નાલિસ્ટ હતાં જેમણે હર્ષદના કૌભાંડને બહાર પાડવામાં બહુ મોટો ફાળો આપ્યો હતો, તેમણે હર્ષદ મહેતા વિષે કહ્યું હતું કે તેનામાં ગજબ કરિશ્મા હતો, તે આનંદી હતો અને અસાધારણ રીતે મહત્ત્વાકાંક્ષી પણ હતો. પહેલાં મુંબઇના કાંદિવલીમાં તેના પિતા રહેતા પણ પછી તેઓ અહીંથી છત્તીસગઢ ચાલી ગયા હતા અને હર્ષદ સ્કૂલિંગ પછી એકલો મુંબઇ શિફ્ટ થયો, ગ્રેજ્યુએટ થયો અને આઠ વર્ષ સુધી તેણે છૂટક કામ કર્યાં.

હર્ષદ મહેતાને ખરાબ ચિતરવો કે પછી ખાળે ડૂચા અને દરવાજા મોકળા જેવી આપણી બૅંક વ્યવસ્થાની ચર્ચા કરવી? ૧૯૯૧માં ભારતીય અર્થતંત્રમાં ઉદારીકરણ આવ્યું. આજે ૨૧મી સદીમાં આપણે આ પરિવર્તનને વખાણીએ છીએ, પણ ત્યારે ભારતીય બિઝનેસિઝને આગવા પડકારોનો સામનો કરવો પડ્યો. જાહેર સાહસોને આકરી સ્પર્ધા વેઠવી પડી અને નવાં વાતાવરણમાં પોતાની પ્રાસંગિકતા, પોતાનું મૂલ્ય અને પોતાના નફા બતાડવાં માટે તેમને કમર કસવાનો વારો આવ્યો. ખાનગી સાહસોને માટે ઉદારીકરણની નીતિ ફાયદાકારક હતી, તેમને વિદેશી રોકાણોની અને નવા બિઝનેસિઝ શરૂ કરવાની લાલચ હતી. શૅર માર્કેટમાં માહોલ તેજીનો હતો અને તેની પાછળ ઉદારીકરણ ઉપરાંત નવાં ભંડોળની ડિમાન્ડ પણ કામ કરી રહી હતી. બૅંક્સને પોતાની બૉટમ લાઇન સુધારવાની હતી, નફો બતાડવાનો હતો, બેંકમાં સરકારે ઇશ્યુ કરેલા બોન્ડ્ઝ દ્વારા દેશમાં મોટા માળખાકીય પ્રોજેક્ટ્સને આગળ ધપાવવાના હતા અને આ બોન્ડમાં સારામાં સારું રોકાણ બેંકની માંગ અને ટાઇમ લાયેબલિટીને આધારે થવાનું હતું અને સરકારી બૅંક પાસે ટકી રહેવાનો એક માત્ર રસ્તો હતો પરિસ્થિતિનો લાભ લેવો. શૅર બ્રોકર્સે બેંકનો લાભ લેવાનું શરૂ કર્યું.

હર્ષદ મહેતા જેવા બ્રોકર્સ રૂપિયા ધિરનાર બૅંક અને પૈસા ઉછીનાં લેનાર બૅંક માટે વચેટિયાનું કામ કરતા અને આ રોલને એ હદે ઘુંટવામાં આવ્યો કે બ્રોકર્સને જ નાણાં અપાતા અને તેમની પાસેથી જ લેવાતા, આ નાણાં લોનનો જ એક પ્રકાર ગણાતો. હર્ષદ મહેતાએ બૅંક્સ પાસેથી પોતાને નામે ચેક્સ લઇ પોતાના ખાતામાં પૈસા ડિપોઝિટ કરી શૅર બજારમાં રોકતો. બે બેંકના વહેવારમાં જે વાત પૂરી થવી જોઇએ તેમાં હર્ષદે ત્રીજી બેંકનો વિકલ્પ પણ વાપર્યો એટલે કે એક બેંકના પૈસા બીજીમાં અને બીજીના ત્રીજીમાં અને તે પાછા ચોથીમાં જતા, આ બધું જ રેડી ફોરવર્ડ ડીલ્સની સિસ્ટમમાં ચાલ્યા કરતું. બૅંકમાંથી મળતા પૈસાનો ઉપયોગ કરી, હર્ષદ મહેતા મંદીના મહારાજાઓને હંફાવતો તથા અમુક શૅર્સની કિંમત આકાશે અંબાવતો, તેના કહેણ પર લોકો શૅર્સ ખરીદી લેતા અને માર્કેટમાં ભારે કરેક્શન આવતું. બૅંક્સ હર્ષદની આ હરકતોથી વાકેફ હોવા છતાં આંખ આડા કાન કરતી કારણ કે બૅંકના જે પૈસાને કારણે સ્ટૉક માર્કેટમાં ફાયદો થતો તેના અમુક ટકા બૅંકને મળતા.

બૅંક સાથે સતત કામ પાર પાડતા હર્ષદે બેંક રિસિપ્ટ એટલે કે બી.આર.નું કૌભાંડ કર્યું જ્યારે તેણે રસીદ લીધી પણ સામે કોઇ પ્રકારની સિક્યોરિટી ન આપી, આ સંજોગોમાં બી.આર. માત્ર એક નકામો કાગળનો ટુકડો જ હતો. સુચેતા દલાલના ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમને કારણે હર્ષદ મહેતાનું કૌભાંડ બહાર આવ્યું, સી.બી.આઇ.એ તપાસ આદરી, ઘણાં સવાલો થયા, તેને જેલ ભેગો કરાયો. જો કે આ બધાંની સાથો સાથ શૅર માર્કેટમાં અબજોની ખોટ ગઇ, સરકારે બ્રોકર્સ દ્વારા વેચાયેલા શૅરની લે-વેચ પર પ્રતિબંધ મૂકી દીધો. કેટલા ય લોકોએ ભારે ખોટને પગલે આત્મહત્યા કરી લીધી. રાજકીય સ્તરે વિરોધ પક્ષ દ્વારા ત્યારના નાણામંત્રી મનમોહન સિંઘ અને આર.બી.આઇ.ના ગવર્નર એસ વેંકટરામન્‌નાં રાજીનામાની ડિમાન્ડ થઇ, બૅંક્સે પૈસા પાછા મેળવવા હવાતિયા માર્યા અને જ્યારે સમજાયું કે હર્ષદ મહેતાના રોકાણો તો કલંકિત સાબિત થયાં છે અને તેની હવે કોઇ કિંમત નથી ત્યારે તો વિજયા બેંકના ચેરમેને પણ આત્મહત્યા કરી લીધી હતી.

તપાસમાં ઘણાં લોકોના નામ બહાર આવ્યા, આર.બી.આઇ. ગવર્નર જ નહીં પણ પી. ચિદંબરમે પણ હર્ષદ મહેતાની કન્સલ્ટન્સી સર્વિસની મદદ લીધી હતી. હર્ષદ મહેતા ૭૨ ક્રિમિનલ ઑફેન્સ અને ૬૦૦થી વધારે ક્રિમિનલ એક્શન સૂટ્સનો બોજ લઇને ત્રણ મહિના જેલમાં રહ્યો. જામીન મળ્યાં ત્યારે વડા પ્રધાન નરસિંહા રાવને એક કરોડ રૂપિયાની લાંચ અપાઇ હોવાની વાત પણ તેણે કરી, એ મોટી બૅગ પ્રેસ કોન્ફરન્સમાં પણ દેખાડાઇ. હર્ષદ મહેતાએ માર્કેટ ગુરુ તરીકે ફરી અડિંગો જમાવ્યો પણ સપ્ટેમ્બરમાં બોમ્બે હાઇકોર્ટે પાંચ વર્ષની સજા ફટકારી અને ક્રિમિનલ કસ્ટડીમાં જ હાર્ટ અટેકથી તેનું મોત થયું. હર્ષદના પરિવારને વિવિધ બેંકોને ૪,૬૬૨ કરોડ અને આઇ,ટી, વિભાગને ૧૧,૧૭૪ કરોડ આપવાનાં નીકળતા હતા. હર્ષદ મહેતાની પત્નીએ લાંબો સમય સુધી કોર્ટમાં હાજરીઓ ભરી, તેના ભાઇ અશ્વિને લૉમાં ડિગ્રી મેળવી અને પોતાના પરિવારની લડત હેન્ડલ કરી. આજે પણ હર્ષદ મહેતાની કાર્સ, તેનું ભવ્ય ઘર અને તેની નફકરી લાઇફસ્ટાઇલ આજે પણ ચર્ચાનો વિષય બને છે. આ કૌભાંડ છતાં ય લોકો હર્ષદ મહેતાથી પ્રભાવિત છે અને તેમનું કહેવું છે કે તેણે તો તંત્રમાં જે પોલ હતી તેનો ઉપયોગ કર્યો. કહેનારા એમ પણ કહે છે કે તેને બલિનો બકરો બનાવાયો કારણ કે કોઇની પર દોષનો ટોપલો ઢોળાય એ જરૂરી હતું.

બાય ધી વેઃ

આ લેખમાં ઘણું લખી શકાય એમ છે. હજી પણ આ કૌભાંડના પડઘા વર્તાય છે. સિક્યોરિટી સ્કેમ સાથેના કેસિઝ હજી પણ સ્પેશ્યલ કોર્ટમાં છે, અઢી દાયકાની ઉપર સમય થયો હોવા છતાં. ડૉક્યુમેન્ટ અને પુરાવા આઉટ ડેટેડ થઇ ગયા છે, સાક્ષીઓ કાં તો રહ્યા નથી અથવા દેશ છોડી ગયા છે અને આપણે હવે માલ્યા અને નીરવ મોદીમાં અટવાયેલા છીએ. ન્યાય મોડો મળે તો તે ન મળવા બરાબર છે તે અમસ્તા જ નથી કહેવાતું. અરે હા, બીજું બાય ધી વે એમ કે અભિષેક બચ્ચનની ફિલ્મ બિગ બૂલ પણ આ જ વિષય પર બની છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 18 ઑક્ટોબર 2020 

Loading

ચલ મન મુંબઈ નગરી—66

દીપક મહેતા|Opinion - Opinion|17 October 2020

ગોવર્ધનરામ ત્રિપાઠી : જન્મ્યા નડિયાદમાં, પણ વિકસ્યા મુંબઈમાં

જ્યારે ઊંઘી ગયેલા વિદ્યાર્થીને જગાડીને શિક્ષકે પરીક્ષા લીધી

નવલકથા અને તેના લેખક – બંનેનો અંત વાલકેશ્વરના બંગલામાં 

મા સુંદરગિરિથી ઊતર્યાં, બીરદાળી મા!
મા નૌતમ બાળે વેશ, ઝાંઝર વાગે મા!
આ પ્રાતઃકાળે આભલાં, બીરદાળી મા!
તુજ ઘાટડીએ વીંટાય, ઝાંઝર વાગે મા!
આ સૂરજ સન્મુખ લટકાતો, બીરદાળી મા!
મા સામી આરસી સ્હાય, ઝાંઝર વાગે મા!
આ ચકલાં ચકલી હંસલા, બીરદાળી મા!
તુજ પગલે ભમતાં ગાય, ઝાંઝર વાગે મા!
આ સાયર પાસે નાચતી, બીરદાળી મા!
મા નદીમાં આવી ન્હાય, ઝાંઝર વાગે મા!
અમ સમી સઉ નાની બાળકી, બીરદાળી મા!
એને હૈયે વસતી માત, ઝાંઝર વાગે મા!
આ અખિલ વિશ્વમાં વ્યાપતી, બીરદાળી મા!
મુજ કાળજડામાં માય, ઝાંઝર વાગે મા!

આ અખિલ વિશ્વમાં વ્યાપતી, બીરદાળી મા!

આજે પહેલે નોરતે એક સવાલ : આ ગરબાના રચયિતા કોણ છે? જવાબ આજે છૂટા પડીએ ત્યારે.

સરસ્વતીચંદ્ર નવલકથા અને મુંબઈ વચ્ચેના સંબંધ કરતાં ય વધુ નિકટનો સંબંધ ગોવર્ધનરામ અને મુંબઈ વચ્ચે છે. આપણા સાહિત્યમાં જેને ‘પંડિત યુગ’ તરીકે ઓળખાવવામાં આવે છે એ યુગમાં નડિયાદી નાગરોની બોલબાલા હતી. અને તેમનામાં સૌથી પહેલું નામ ગોવર્ધનરામનું લેવાય. પણ જરા હિસાબ માંડીએ.

ગોવર્ધનરામનો જન્મ ૧૮૫૫ના ઓક્ટોબરની ૨૦મી તારીખે, મોસાળના ગામ નડિયાદમાં. એ વખતે પિતા માધવરામ ત્રિપાઠી મુંબઈમાં રહેતા. માધવરામ વેપારી હતા અને વાલકેશ્વરમાં રહેતા હતા. તેમની પેઢી ધીરધારનો તથા દલાલીનો ધંધો કરતી. કમાણી સારી હતી. અમેરિકન સિવિલ વોર દરમ્યાન શેર બજાર કૂદકે ને ભૂસકે ઉપર ગયું ત્યારે, ગોવર્ધનરામના કહેવા પ્રમાણે, લાખ-બે લાખ કમાયા. પણ પછી શેર બજાર પડ્યું ત્યારે ‘ખોટ જબરી ખાધી, પણ સાખ રહી.’ જ્યારે કમાણી સારી હતી ત્યારે ભોઈવાડામાં આવેલું બે માળનું મકાન તોડીને પાંચ માળનું નવું બાંધ્યું. ગ્રાન્ટ રોડ પાસે ૩૮ હજાર રૂપિયામાં વાડી લીધી. ખાંડ બજારમાં એક ભાગીદાર સાથે વખાર રાખી અને એક બીજું નાનું ઘર ભાડાની આવક થાય એ હેતુથી ખરીદ્યું. 

એલ્ફિન્સ્ટન કોલેજ, ભાયખળા

કોણ જાણે કેમ, પણ જિંદગીનાં પહેલાં ચાર વરસ ગોવર્ધનરામ માતાની સાથે નડિયાદ રહ્યા. ચોક્કસ તારીખ તો મળતી નથી, પણ ૧૮૫૯માં ગોવર્ધનરામ મુંબઈ આવી પિતા સાથે રહેવા લાગ્યા અને સ્કૂલનો અભ્યાસ શરૂ કર્યો. એ વખતે નિશાળોમાં નવું શૈક્ષણિક વરસ ઓક્ટોબરમાં શરૂ થતું એટલે ગોવર્ધનરામ સપ્ટેમ્બરમાં કે ઓક્ટોબરની શરૂઆતમાં નડિયાદથી મુંબઈ આવ્યા હોય. તેઓ બુદ્ધિવર્ધક સભાની નિશાળમાં દાખલ થયા. ૧૮૪૯ના ઓક્ટોબરની ૨૩મી તારીખથી જ્ઞાનપ્રસારક મંડળીએ ચાર ગુજરાતી અને બે મરાઠી નિશાળ મુંબઈમાં શરૂ કરી હતી. આ નિશાળો કોટ, બહારકોટ, ધોબી તળાવ અને મઝગાંવ ખાતે શરૂ થઈ હતી. પછીથી ૧૮૫૧ના એપ્રિલ મહિનામાં આ મંડળીની એક શાખા તરીકે બુદ્ધિવર્ધક સભાની સ્થાપના થતાં મંડળીએ આ બધી સ્કૂલો એ સભાને સોંપી દીધી. આ બધી નિશાળો ચલાવવામાં ખોટ જતી હતી અને સભાની પોતાની આર્થિક સ્થિતિ પણ નબળી હતી એટલે ૧૮૬૦માં આ નિશાળો પોતાને હસ્ત લઈ લેવાની સભાએ મુંબઈ સરકારને વિનંતી કરી અને ૧૮૬૧ના એપ્રિલની ૧૬મીથી સરકારે સભાની બધી નિશાળો પોતાને હસ્તક લઈ લીધી. છતાં લોકો ઘણાં વર્ષો સુધી તેને બુદ્ધિવર્ધક સભાની નિશાળો તરીકે ઓળખતા. આમ, ગોવર્ધનરામના શિક્ષણની શરૂઆત મુંબઈમાં થઈ. મુંબઈવાસનો આ પહેલો ગાળો સાત વરસનો.

એલ્ફિન્સ્ટન સ્કૂલ, ધોબી તળાવ

પણ પછી કોઈક કારણસર ૧૮૬૫માં ગોવર્ધનરામ નડિયાદ ગયા અને ગુજરાતી નિશાળનો બાકીનો અભ્યાસ ત્યાંની સરકારી સ્કૂલમાં પૂરો કર્યો. પણ અંગ્રેજી નિશાળના અભ્યાસ માટે ૧૮૬૮માં પાછા મુંબઈ આવી ધોબી તળાવ પરની એલ્ફિન્સ્ટન સ્કૂલમાં જોડાયા. એ જ વરસે તેમનાં પહેલાં લગ્ન હરિલક્ષ્મી સાથે થયાં. ૧૮૭૧માં તેઓ મેટ્રિકની પરીક્ષામાં પાસ થયા. આ પરીક્ષા વખતનો એક કિસ્સો એ વખતની શિક્ષણ પ્રણાલી, વિદ્યાર્થી-શિક્ષકના સંબંધો વગેરે પર સારો એવો પ્રકાશ પાડે છે. શરૂઆતથી ઘણાં વર્ષો સુધી મેટ્રિકમાં લેખિત ઉપરાંત મૌખિક પરીક્ષા પણ લેવાતી. આ પરીક્ષા ટાઉન હોલમાં લેવાતી. એ માટે અટકના આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે રોજ થોડા થોડા વિદ્યાર્થીઓને બોલાવતા અને વારાફરતી એક એક વિદ્યાર્થીની મૌખિક પરીક્ષા લેતા. સંસ્કૃતની મૌખિક પરીક્ષા માટે ગોવર્ધનરામ ગયા. અટક પ્રમાણે તેમનો વારો છેક છેલ્લે આવ્યો. આગલે દિવસે મોડી રાત સુધી પરીક્ષાની તૈયારી કરવા જાગેલા એટલે બાંકડા પર જ બેઠા બેઠા સૂઈ ગયા. સંસ્કૃતના પરીક્ષકે પોતાના ઓરડામાંથી ત્રિપાઠીના નામની બે વાર બૂમ પાડી પણ કોઈ આવ્યું નહિ એટલે જાતે ઊઠીને બહાર જોવા ગયા. બાંકડા પર એક વિદ્યાર્થીને સૂતેલો જોયો એટલે તેને ઢંઢોળીને પૂછ્યું: તમે જ મિસ્ટર ત્રિપાઠી? ચોંકીને જાગેલા ગોવર્ધનરમે હા પાડી અને સૂઈ જવા બદલ માફી માગી. પરીક્ષક તેમને પોતાના ઓરડામાં લઈ ગયા, પરીક્ષા લીધી, અને ગોવર્ધનરામના જવાબોથી ખુશ થયા. વખત જતાં આ શિક્ષક અને ગોવર્ધનરામ વચ્ચે અંગત અને નિકટનો સંબંધ બંધાયો. એ શિક્ષક તે સંસ્કૃતના ખ્યાતનામ વિદ્વાન સર રામકૃષ્ણ ભાંડારકર. 

ગોવર્ધનરામ ત્રિપાઠી – યુવાન વયે

૧૮૭૪માં ઘરના કંકાસથી ત્રાસીને ઘરેથી ભાગીને ગોવર્ધનરામ ભાયખળા સ્ટેશન સુધી ગયા, પણ પછી ઘરે પાછા ફર્યા. એ જ વરસે પત્ની હરિલક્ષ્મીનું અવસાન થયું. ૧૮૭૫માં બી.એ. થયા અને ૧૮૭૬માં લલિતાગૌરી સાથે બીજું લગ્ન કર્યું. સરસ્વતીચંદ્ર નવલકથામાંનું ગુણસુંદરીનું પાત્ર પોતાનાં પત્ની અને માતાનાં ગુણ-લક્ષણો ભેગાં કરી, તેમાં બીજાં કેટલાંક કલ્પનાથી ઉમેરી પોતે ઘડ્યું છે તેમ ગોવર્ધનરામે તેમની ‘સ્ક્રેપબુક’માં નોંધ્યું છે. પોતે નોકરી ન કરવી એમ નક્કી કર્યું હતું, પણ કુટુંબની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે ભાવનગરના દિવાન સર શામળદાસ મહેતાના પર્સનલ સેક્રેટરીની નોકરી કરવા ૧૮૭૯માં ભાવનગર ગયા. આમ, બીજા ગાળામાં તેઓ અગિયાર વરસ મુંબઈમાં રહ્યા.

ત્રણ વખત નાપાસ થયા પછી ૧૮૮૩માં ગોવર્ધનરામ એલએલ.બી. થયા. ભાવનગરની નોકરી છોડી ખિસ્સામાં પચાસ રૂપિયા લઈને ૧૮૮૪માં મુંબઈ પાછા આવ્યા અને તે જ વરસના જૂનની ૨૧મી તારીખથી બોમ્બે હાઈકોર્ટમાં વકીલાત શરૂ કરી. અગાઉથી નક્કી કર્યા પ્રમાણે ૧૮૯૮માં વ્યવસાયમાંથી નિવૃત્તિ લઈને ઓક્ટોબરની ૧૯મી તારીખે નડિયાદ રહેવા ગયા. આમ કારકિર્દી માટે તેઓ ૧૪ વરસ મુંબઈ રહ્યા. સરસ્વતીચંદ્ર નવલકથાનો અંત વાલકેશ્વરના બંગલામાં આવે છે, તો ગોવર્ધનરામના જીવનનો અંત પણ વાલકેશ્વર નજીકના ડો. ત્રિભુવનદાસ ગજજરના બંગલામાં આવ્યો. તેમની છેલ્લી માંદગી વખતે નિકટના મિત્ર ડો. ગજ્જર સારવાર માટે ૧૯૦૬ના ડિસેમ્બરની ૨૫મી તારીખે તેમને મુંબઈ લઈ આવ્યા હતા, અને પોતાના બંગલામાં રાખ્યા હતા. ૧૯૦૭ના જાન્યુઆરીની ચોથી તારીખે બપોરે દોઢ વાગે ગોવર્ધનરામનું અવસાન થયું. નજીકના બાણગંગાના સ્મશાનમાં સાંજે તેમના અંતિમ સંસ્કાર થયા.

ગોવર્ધનરામ જેના પહેલવહેલા પ્રમુખ હતા તે ૧૯૦૫માં શરૂ થયેલી ગુજરાતી સાહિત્ય પરિષદે ત્રણ દળદાર પુસ્તકોમાં ‘ગુજરાતી સાહિત્ય કોશ’ પ્રગટ કર્યો છે તેના બીજા ભાગમાં ગોવર્ધનરામનું અવસાન નડિયાદમાં થયેલું એમ જણાવ્યું છે તે સદંતર ખોટું છે. જ્યારે આ જ સંસ્થાએ પ્રગટ કરેલા ‘ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ’ના ત્રીજા ભાગમાં ગોવર્ધનરામ વિષે ૬૦ પાનાંનું પ્રકરણ છે તેમાં તેમનો જન્મ ક્યાં થયો તે જણાવ્યું છે, પણ અવસાન ક્યાં થયું તે જણાવ્યું જ નથી! આમ, ગોવર્ધનરામનો જન્મ નડિયાદમાં અને નિવૃત્તિનાં વર્ષો પણ નડિયાદમાં ગાળ્યાં. પણ તેમના અભ્યાસ અને વકીલ તરીકેની કારકિર્દીનાં ઘણાંખરાં વરસ મુંબઈમાં વીત્યાં. બાવન વરસના આયુષ્યનાં લગભગ ૩૨ વરસ તેમણે મુંબઈમાં ગાળ્યાં. પાંચ વરસ ભાવનગર રહ્યા. એટલે તેમનો નડિયાદવાસ પંદરેક વરસનો.

વ્યક્તિ ગોવર્ધનરામની જેમ લેખક ગોવર્ધનરામના જીવનમાં પણ મુંબઈએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. સરસ્વતીચંદ્રનો પહેલો ભાગ લખવાનું મુંબઈમાં શરૂ કર્યું ૧૮૮૫ના સપ્ટેમ્બરની ૧૮મી તારીખે, અને ૧૮૮૭ના એપ્રિલ મહિનામાં એની પહેલી આવૃત્તિ પ્રગટ થઈ. આ પહેલી આવૃત્તિની એક પણ નકલ ગુજરાત કે મુંબઈમાં ક્યાં ય સચવાઈ નથી. એટલે તે દેખાવમાં કેવી હતી, કોણે પ્રગટ કરી હતી, એ કહેવું શક્ય નથી. પણ એક અવલોકનમાં તેના સુંદર, આકર્ષક પૂંઠાનાં પણ વખાણ કર્યાં છે. વળી એમ પણ કહેવાય છે કે તેના પર પ્રકાશક તરીકે ગોવર્ધનરામના ભાઈ નરહરિરામનું નામ છાપ્યું હતું. પછીથી ૧૮૮૯માં નરહરિરામ પાસે ગોવર્ધનરામે મુંબઈમાં ‘એન.એમ. કંપની’ શરૂ કરાવી જે વખત જતાં એન.એમ. ત્રિપાઠી પ્રાઈવેટ લિમિટેડ બની. તે પહેલાં ૧૮૮૮માં ગોવર્ધનરામે સરસ્વતીચંદ્રનો બીજો ભાગ લખવાનું શરૂ કરી દીધું હતું. ૧૮૯૧માં તેનું લેખન પૂરું થયું અને ૧૮૯૨ના જૂનની નવમી તારીખે તે પ્રગટ થયો. ત્યારથી માંડીને ૧૯૬૮માં ગોવર્ધનરામનાં પુસ્તકોના કોપીરાઈટ પૂરા થયા ત્યાં સુધી તેમનાં બધાં જ પુસ્તકો એન.એમ. ત્રિપાઠી પ્રાઈવેટ લિમિટેડે જ મુંબઈથી પ્રગટ કર્યાં.

સરસ્વતીચંદ્રનો ત્રીજો ભાગ લખવાની શરૂઆત ૧૮૯૩માં કરી અને તે પૂરો થયો ૧૮૯૬ના ઓક્ટોબરની ૧૭મી તારીખે. પણ પ્રગટ થયો છેક ૧૮૯૮માં. આમ કેમ? કારણ એ વખતે કોઈ પ્રેસ તે છાપવા માટે તૈયાર નહોતું! કારણ? એક તો, ૧૮૯૬માં મુંબઈમાં પ્લેગ ફાટી નીકળ્યો હતો અને આજે કોરોનાને કારણે જેમ જીવન અસ્તવ્યસ્ત થયું છે તેમ જ એ વખતે પણ થયું હતું. વળી પ્લેગને કારણે કુટુંબ સહિત ગોવર્ધનરામ વસઈ રહેવા ગયા હતા. એ જ વખતે મુંબઈ ઈલાકાનું રાજકીય વાતાવરણ ડહોળાયેલું હતું. પૂનાના કલેકટર રેન્ડ અને લેફ્ટનન્ટ આયરેસ્ટનું ચાફેકર બંધુઓએ ખૂન કર્યું. ૧૮૯૭માં લોકમાન્ય ટિળક ઉપર બ્રિટિશ સરકારે રાજદ્રોહનો આરોપ મૂકી કેસ ચલાવ્યો જેમાં તેમને ૧૮ મહિનાની કેદની સજા થઈ. આ બધાંને કારણે બ્રિટિશ સરકાર છાપખાનાં, છાપાં, પુસ્તકો વગેરે તરફ કડક વલણ ધરાવતી થઈ હતી. અધૂરામાં પૂરું, તે વખતે એવી અફવા ફેલાઈ કે ત્રીજા ભાગમાં ગોવર્ધનરામે સરકારની આકરી ટીકા કરી છે. એટલે કોઈ પ્રેસ તે છાપવા તૈયાર નહોતું. છેવટે એક પ્રેસમાં કામ શરૂ થયું. પણ પછી પ્રેસે કહ્યું કે લખાણમાંથી આ એક વાક્ય કાઢી નાખો તો જ આગળ છાપીએ, નહીંતર નહિ. ગોવર્ધનરામ એમ કરવા તૈયાર નહોતા એટલે એ પ્રેસે છાપકામ અટકાવ્યું. છેવટે બાકીનો ભાગ બીજા પ્રેસમાં છપાવીને ત્રીજો ભાગ ૧૮૯૮માં પ્રગટ થયો. એ પ્રગટ થયા પછી નડિયાદમાં એવી અફવા ફેલાઈ કે લોકમાન્યની જેમ ગોવર્ધનરામની પણ રાજદ્રોહના આરોપસર ધરપકડ કરી છે! તેથી માતા શિવકાશીને પુષ્કળ ચિંતા થતાં મુંબઈ તાર કરી ખબર પૂછાવ્યા. આવું કશું જ બન્યું નથી એવો જવાબ મુંબઈથી આવતાં નડિયાદમાં સૌના જીવ હેઠા બેઠા.

ગોવર્ધનરામના હસ્તાક્ષરમાં સરસ્વતીચંદ્રના પહેલા ભાગનું પહેલું પાનું

આમ, સરસ્વતીચંદ્રના પહેલા ત્રણ ભાગ મુંબઈમાં જ લખાયા, છપાયા, અને પ્રગટ થયા. છેલ્લો અને ચોથો ભાગ લખવાની શરૂઆત ૧૮૯૬ના ડિસેમ્બરની ૨૦મી તારીખે કરી તે પણ મુંબઈમાં જ. નડિયાદ ગયા પછી ઈ.સ. ૧૯૦૦ના ડિસેમ્બરની ૨૩મી તારીખની મધરાતે તે લખાઈ રહ્યો, પણ તે છપાયો અને પ્રગટ થયો તો મુંબઈમાં જ. મુંબઈમાં રહ્યા એ દરમ્યાન વકીલાતના વ્યવસાયની સાથોસાથ ગોવર્ધનરામે બીજાં પુસ્તકો ઉપરાંત સરસ્વતીચંદ્રનાં છાપેલાં ૧,૮૦૦ પાનાં જેટલું લેખન કર્યું. પણ નડિયાદના નિવૃત્તિ-નિવાસ દરમ્યાન દીકરી લીલાવતીના જીવનચરિત્ર સિવાય બીજું કશું મહત્ત્વનું લેખન થઈ શક્યું નહિ.

સરસ્વતીચંદ્ર અને નરસિંહરાવ દિવેટિયાનો પહેલો કાવ્યસંગ્રહ ‘કુસુમમાળા’ એક જ વરસે પ્રગટ થયાં એટલું જ નહિ, એ બે પુસ્તકો વચ્ચે, એના લેખકો વચ્ચે, અને મુંબઈ વચ્ચે ગાઢ સંબંધ રહેલો છે. પણ તેની વાત હવે પછી.

અને હા. શરૂઆતમાં જે ગરબો મૂક્યો છે તેના રચયિતા છે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી!

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 17 ઑક્ટોબર 2020

Loading

...102030...2,1252,1262,1272,128...2,1402,1502,160...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved